Translate

લેબલ 'gujarati blog' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'gujarati blog' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 5 નવેમ્બર, 2022

એક યાદગાર દિવસ

     કેટલાં વર્ષોથી એક ઈચ્છા હતી કે ખુલ્લા ખેતરો વચ્ચે દોડવું છે! પપ્પાને કારણે એ ઈચ્છા ગઈ કાલે પૂરી થઈ. એમને સેન્દ્રિય ખાતરની એક જાહેરાતનું શૂટિંગ આવ્યું અને હું પણ તેમની સાથે જોડાયો. ગુજરાતમાં ગાંધીનગરથી આગળ થોડે દૂર એક ગામ. તેમાં વિશાળ ખેતરમાં શૂટિંગ હતું. ખેતરો વચ્ચે બે મોટાં બંગલા. ચૌધરીઓનો બે ભાઈનો પરિવાર એમાં રહે. બે બંગલા વચ્ચે લીલાછમ ખેતરો. બંગલાની આજુબાજુ પણ ખુલ્લા ખેતરો. મારું કામ પણ ચાલુ હતું - દૂરથી ફોન દ્વારા જોડાઈને. એટલે દિવસનો મોટો ભાગ બંગલાના ઓરડામાં બેસીને કામ કરતાં કરતાં પસાર કર્યો. પણ વચ્ચે વચ્ચે બહાર આવી શૂટિંગ અલપ ઝલપ જોઈ લેતો. પપ્પા મોજમાં હતાં. ધોતિયું, ઝભ્ભો, બંડી, માથે સાફો, મોટી મેકઅપની મૂછો અને પૂરા ગેટ અપ માં તેઓ રંગમાં આવી ગયા હતા અને જાણે તેમનું સંપૂર્ણ રૂપાંતરણ બીજી કોઈ વ્યક્તિ માં થઈ ગયું હતું - ગોપાલ કાકાના એક સમૃદ્ધ વયસ્ક ખેડૂતના પાત્રમાં. તેઓ ખરા અર્થમાં રંગમાં આવી ગયા હતા. બહાર ભારે તડકો અને ગરમી પણ તેમને આકરા તો લાગતા જ હશે, પણ તેમને સહ્ય લાગી રહ્યા હતાં. ઘણાં દિવસો બાદ તેઓ પોતાનું મનપસંદ એવું કામ કરી રહ્યા હતા. મને પણ એ જોઈ સંતોષ અને આનંદ થઈ રહ્યો હતો. કેટકેટલા લોકોને મળવાનું થયું, કેટલે વખતે! પપ્પાને મેકઅપ કરનાર અનુભવી મેકઅપ આર્ટિસ્ટ પહેલી વાર એક મહિલા હતા. પપ્પા ના જણાવ્યા મુજબ અત્યાર સુધી તેમણે માત્ર પુરુષોને જ મોટે ભાગે આ વ્યવસાયમાં જોયા છે, પણ ધનલક્ષ્મી નામના મળતાવડા મહિલા મેકઅપ-વુમનને મળી તેમની સાથે વાતો કરી આનંદ આવ્યો. અમે બધાંએ લંચ સાથે બેસી ને લીધું અને ત્યાં અલકમલકની વાતો કરી. બીજા એક મળવા જેવા વ્યક્તિને મળવાનું થયું - રાકેશ પૂજારાને. તેમના વિશે તો આખો એક સ્વતંત્ર બ્લોગ લેખ લખી શકાય એટલું બધું જાણવા લાયક અને પ્રેરણાત્મક વ્યક્તિત્વ છે તેમનું. ઘણી બધી વાતો થઈ આ કલાકાર સાથે, જેમણે ગુજરાતી હોવા છતાં, ગુજરાતી ભાષા કરતા વધુ ફિલ્મો, વિલન તરીકે ભોજપુરી ભાષામાં કરી છે! હાલ તેઓ ફિલ્મોના સેન્સર બોર્ડમાં પણ નિયુક્ત થયા છે જે આપણાં ગુજરાતીઓ માટે અને ગુજરાત રાજ્ય માટે ગર્વ લેવા જેવી વાત છે. લંચ પછી થોડી વાર બહાર ખેતરમાં લટાર મારવા નીકળ્યો, જ્યાં એક નોળિયો દૂર થી જોવા મળ્યો. હું બહાર જાઉં, ત્યારે મારી નજર સતત આવા નિતનવા અને ઓછા દેખાતા જીવોને શોધતી હોય! મોરના ટહુકાના અવાજ તો સતત સંભળાતા હતાં, પણ એ ક્યાંય નજીકમાં દેખાતા નહોતા. એ ઈચ્છા સાંજે પૂરી થવાની હતી!ખેતરમાં થોડે દૂર વચ્ચે એક પમ્પ જોયો જેમાંથી પાણીનો નાનો ધોધ પડી રહ્યો હતો. એવી વ્યવસ્થા હતી કે દૂર આવેલ એક બોર માંથી આ પમ્પમાં પાણી આવે અને તે આસપાસના બધાં ખેતરમાં પહોંચી રહે. બહારની ગરમી જાણે પાણીની એ ધારાને જોઈ ઓછી થઈ! ખળખળ કરતું, સ્વચ્છ પારદર્શક પાણી નાની નાની નહેરોમાં વહી દૂર દૂર જઈ આખા ખેતરમાં ફરી વળતું હતું. સામે એક વિશાળ વૃક્ષ જોઈ ખૂબ સારું લાગ્યું. થડ જાડું અને નાનું પણ એ વૃક્ષની ઘટા... અહાહા!

    બપોરે ગરમી હોવાથી વધુ વાર બહાર ના રહેતા ફરી બંગલામાં ઓરડામાં આવી કામ કર્યું અને બંગલાના માલકણ જેઠાણી - દેરાણીની વયસ્ક મહિલાઓની બેલડી સાથે વાતચીત કરી.

     સાંજે થોડી ઠંડક થઈ એટલે હું ફરી બહાર આવ્યો અને ખેતરમાં શૂટિંગ માટે વચ્ચે મૂકેલા ટ્રેકટર પર બેસી મેં થોડા ફોટા પડાવ્યા અને પછી ખેતરમાં થોડે વધુ અંદર, દૂર જવા પ્રયાણ કર્યું. ત્યારે જ ચાર-પાંચ યુવાનો કેમેરા મૂકવાનું ત્રણ પગ વાળું સ્ટેન્ડ, ખાટલો અને શૂટિંગ ની અન્ય સામગ્રી લઈ ખેતર વચ્ચે થઈ એક નવા લોકેશન તરફ જઈ રહ્યા હતા અને મારી આગળ હતા. તેમણે બૂમ પાડી મને આગળ ન આવવા સૂચવ્યું, કારણ તેમને માર્ગમાં એક સાપ નજરે ચડયો હતો! હું તો સાપ નું નામ સાંભળી રોમાંચિત થઈ ગયો અને એ ભાગી જાય એ પહેલાં તેની ઝાંખી મેળવવા રીતસર ત્યાં તરફ દોડ્યો! પણ સાપ ભાઈ તો બરાબર આરામ ના મૂડમાં હતાં. તેમના શરીરનો ઘાટ્ટો કાળો ભીંગડાયુક્ત ભાગ દ્રશ્યમાન થતો હતો. શ્વાસ-ઉચ્છવાસ લેતી વખતે જેમ ઊંચું નીચું થાય તેમ તેનું શરીર પ્રસરણ - સંકોચન પામતું જોવા મળ્યું. તેનું મોઢું કે પૂંછડી દેખાતા નહોતા. માત્ર શરીરનો વચ્ચેનો ભાગ દેખાઈ રહ્યો હતો. તેની લંબાઈ પણ કળવી મુશ્કેલ જણાઈ રહી હતી, પણ તેના શરીરની જાડાઈ પરથી લાગતું હતું કે તે યુવાન સાપ હોવો જોઈએ. થોડી વાર નિરીક્ષણ કર્યા બાદ મેં શૂટિંગની ટ્રાઇપોડ સ્ટેન્ડના ત્રણમાંથી એક પગ વડે સાપને સલામત અંતરેથી ઉંચો કર્યો, તેને વાગે નહીં એનું ધ્યાન રાખી. હવે એણે ડાબી બાજુના ખેતરના કાણાં માંથી પોતાનું મોઢું બહાર કાઢ્યું અને તે જમણી તરફ સરકી ગયો, મને અને આસપાસ ઉભેલા પેલા ચાર પાંચ યુવાનોને તેની નાનકડી, સુંદર ફેણના દર્શન કરાવ્યા બાદ! એ દ્રશ્ય અદ્ભુત હતું! એ સુંદર, યુવાન નાગ હતો કે કદાચ નાગણ! આ મારા માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો! તરત મેં તેનો મોબાઈલ માં ક્લીક કરેલો ફોટો ઓળખ માટે મારા વોટ્સ એપ નેચર ગ્રુપ પર મોકલી આપ્યો અને જાણવા મળ્યું કે એ કોબ્રા હતો.

   આ તરફ સાપનો ભય હોવાથી અન્યોને અહીં ના લાવતા, શૂટિંગ માટે થોડે દૂર સામે આવેલા બીજા બંગલાના પ્રાંગણમાં ખાટલો ઢાળી ત્યાં અન્ય સાધન સરંજામ લઈ ગયા. હું પણ ત્યાં ગયો અને સદનસીબે ત્યાં મને આખા દિવસની શ્રેષ્ઠ પળો માણવા મળી! બંગલાની છત પર વિશાળ ધાબું હતું, ત્યાં હું ચઢી ગયો. સાંજ ઢળવામાં હતી. ચારે તરફ ખુલ્લાં ખેતરો, ઉપર વાદળાં ની અનેરી ભાત ધરાવતું સુંદર ભૂરું આકાશ અને દૂર દેખાતા બંગલા પાછળ અને ઝાડોમાં જાણે અસ્ત પામવા જઈ રહેલો સૂર્ય. આ બધાં એ ભેગા મળી મારા મન પર જાદુઈ અસર કરી. એક બાજુએ ખુલ્લાં મેદાન જેવા ભાગમાં મેં ત્રણ તેતર જોયાં. આ પણ ભાગ્યે જ જોવા મળતું દ્રશ્ય હતું. એક તેતર તેની વિશિષ્ટ અદામાં દડબડ દડબડ દોડતું આગળ ભાગ્યું અને કોણ જાણે ક્યાં અલોપ થઈ ગયું! તેને જોવામાં પાછળના બીજા બે તેતર પણ અદ્રશ્ય! ત્યાં જ ભૂખરા રંગના ચાર પાંચ અન્ય પક્ષીઓ સાથે એક ઢેલ દ્રશ્યમાન થઈ. એમને જોયા બાદ ધાબાની બીજી તરફ, નાગ દેખાયો હતો એ તરફ નજર દોડાવી તો દાણા ચરી રહેલાં બે મોર દેખાયાં! શી એમની નજાકત અને શું એમનું સૌંદર્ય! મને એક ગજબની ધરપત નો અનુભવ થઈ રહ્યો હતો આટલું બધું કુદરતી સૌંદર્ય એક સાથે જોઈ, અનુભવતા. એમાં શ્રાવ્ય તત્ત્વ ભેળવવાનું મન થયું અને મોબાઈલ પર મેં મારા મનપસંદ ગીતો એક પછી એક વગાડવા માંડ્યા. સંગીતનો જાદુ ભળ્યો, સુંદર દ્રશ્યો સાથે અને મન એક અજબની શાંતિ નો અનુભવ કરી રહ્યું. સૂર્ય ઢળી જવા છતાં અજવાળું હતું. અંગ્રેજી વી આકારમાં ઉડતા પંખીઓ, આડી હારમાં ઉડતા પંખીઓ અને છૂટા છવાયા એકલ દોકલ પંખીઓ જોઈ મને પણ આકાશમાં ઊડવાની ઈચ્છા થઈ આવી! ચારે તરફ ફરી એ સુંદરતા હું જાણે ધરાઈ ધરાઈ શરીરમાં, મનમાં ભરવા મથી રહ્યો. એમ થતું હતું કે આ અનુભવ રોજ કરવા મળે તો કેટલું સારું! કેટલો નસીબદાર છે એ ચૌધરી પરિવાર જેના આ બે બંગલા હતાં અને જેમને રોજ આ કુદરતી સૌદર્ય વચ્ચે જીવન ગાળવા મળતું હતું! 

આખરે અંધારું ધીમે ધીમે ઉતરી આવ્યું આસપાસ અને મારે ક-મને નીચે ઉતરવું પડયું. પપ્પા પણ ખૂબ ખુશ હતાં આજનો દિવસ તેમની મનગમતી પ્રવૃત્તિ કરી અને હું પણ ખૂબ ખુશ હતો આ એક અતિ યાદગાર દિવસ પરિપૂર્ણતાની લાગણી સાથે પસાર કર્યા બાદ.  

પ્રચાર અને પ્રસાર માધ્યમોની જવાબદારી

 લોકશાહીના ચાર આધારસ્તંભ છે : ન્યાયપાલિકા (Judiciary), કાર્યકારી મંડળ / અધિકારી વર્ગ (Executive), પ્રસારમાધ્યમ (Media) અને સંસદ / વિધાનસભા (Legislature). પ્રસારમાધ્યમ અને પ્રચારમાધ્યમની એક વિશેષ જવાબદારી છે. પત્રકારો વિશ્વભરના સમાચાર નિષ્ઠા પૂર્વક આપણાં સુધી પહોંચાડવાની પવિત્ર ફરજ બજાવે છે. પરંતુ દરેક ક્ષેત્રની જેમ અહીં પણ સ્પર્ધા મોજૂદ છે. સૌથી પહેલાં સમાચાર લોકો સુધી પહોંચાડવાની ઉતાવળમાં ક્યારેક પત્રકારો પોતાની નૈતિક જવાબદારી ભૂલી જાય છે. માત્ર ક્વોટા પૂરો કરવા કે ટાર્ગેટ પહોંચી વળવા સમાચાર સાચા છે કે ખોટા તેની ચકાસણી પણ કર્યા વગર એ લોકો સુધી પહોંચાડી દે છે. આ મુદ્દે આજે થોડી વાત કરવી છે.

  સેલિબ્રિટીઓનું જીવન ઘણી વાર મુશ્કેલ બની જતું હોય છે. તેમની અંગત વાતો પણ લોકો સુધી પહોંચાડવા પત્રકારો ચડસાચડસી કરતાં હોય છે. ઘણી વાર કોઈ સેલિબ્રિટી મુશ્કેલ દોર માંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે પણ તેની નાની મોટી, સાચી ખોટી અનેક વાતો પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં ચમકતી રહે છે. લોકોને પણ આવી વાતોમાં ખૂબ રસ પડતો હોય છે. કેટલીક વાર તો સેલિબ્રિટી ખુદ પણ લોકોની નજરમાં રહેવા માટે પોતાની વાતો ચગાવતા હોય છે. તો ઘણી વાર પત્રકારો હદ ઓળંગી જતા હોય છે અને કેટલીક વાર  ઔચિત્ય અને માનવતાની તમામ હદ ઓળંગીને માત્ર પોતાના કે પોતાના પ્રકાશન કે સંસ્થાના નામ અને સ્વાર્થ માટે થઈ સાવ વજૂદ વગરના સમાચાર જાહેર કરી દેતા હોય છે.

  પપ્પા છેલ્લાં નવેક મહિનાથી થોડા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે અમને સારા - માઠાં એમ બન્ને પ્રકારના અનુભવ થયાં છે. જન્મભૂમિ અખબારની મારી પોતાની કટાર દ્વારા હું તેમની તબિયતના અને હકારાત્મકતાનાં સમાચાર તમારા સૌ સાથે સમયાંતરે પહોંચાડતો રહ્યો છું. અન્ય પણ ઘણાં માધ્યમો દ્વારા ગત વર્ષે તેમની સર્જરી થઈ ત્યારે એ સમાચાર સારી અને સાચી રીતે પ્રકાશિત થયા હતા. કોરોનાના કપરા કાળમાં લોકોને ઉત્સાહ અને હકારાત્મકતા જાળવી રાખતાં પપ્પાના ઘણાં સંદેશાઓ અને તેમની જીવન યાત્રા અને સંઘર્ષની કહાણી પણ એક ગુજરાતી અખબારમાં છપાઈ અને પછી વાઈરલ થઈ.

પણ નવેક મહિના અગાઉ તેમની સર્જરી બાદ તેઓ સામેથી કેટલાક પત્રકારોને ગુજરાત ખાતે મળ્યાં જ્યાં અમે માતાજીના દર્શને ગયા હતા. ત્યારની તેમની તસ્વીરમાં તેઓ થોડાં અશક્ત જણાતાં હતાં એ તસ્વીર પ્રગટ કરી કેટલાકે એવી વાત ઉડાડી કે નટુકાકા એ તારક મહેતા શો છોડી દીધો છે. એ સમયે કેટલાક પાત્રોની સિરિયલમાં અદલાબદલી થઈ હશે અને આ સિરિયલ છેલ્લાં ઘણાં સમયથી ટોપ દસ કે પાંચમાં રહેતી આવી છે એટલે તેને લગતાં કોઈક ને કોઈક સમાચારો પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં ચમકતા જ રહે છે. પણ કોઈક પાત્ર તબિયત નાદુરસ્ત હોવાને લીધે સિરિયલમાં દેખાઈ ન રહ્યું હોય એટલે તેના વિશે ગપગોળા ફેંકવાના? પપ્પાની એ તસવીરો ચમકાવી એટલે કેટલાકે એમને ટ્રોલ કરવાનો પણ પ્રયાસ કર્યો. આ જ તસ્વીરો સાથે એક મરાઠી વેબ પોર્ટલે તો હદ કરી નાખી! તેમણે લખ્યું કે નટુકાકા ને ખાવાના સાં સાં છે અને તેઓ એક જ સમય નું ભોજન પામે છે! તેઓ બેકાર થઈ ગયા છે... એક અંગ્રેજી અખબારમાં છપાયેલ પપ્પાના ઇન્ટરવ્યૂનું અતિ નબળું, બેહુદું અને ખોટું ભાષાંતર આ પોર્ટલે કર્યું હતું. વળી એ લેખનું ટાઇટલ અતિ નકારાત્મક હતું પણ સમાચારની અંદર કંઈક ભળતી જ વાત લખી હતી. એ પત્રકાર કે પોર્ટલ સાથે સંકળાયેલી વ્યક્તિએ ટાઇટલ અને લેખ ના કન્ટેન્ટ ને મેચ કરવા જેટલી તસ્દી પણ લીધી નહોતી. થોડાં સમય બાદ એક અગ્રગણ્ય ગુજરાતી અખબારે પણ આ જ સૂર ધરાવતો અહેવાલ છાપ્યો જેમાં લખ્યું હતું કે ઘનશ્યામ નાયક બેકાર બેઠાં છે અને આર્થિક સંકટ માંથી પસાર થઈ રહ્યા છે. એ વાંચી કેટલાયે લોકોએ ફોન કર્યા. આ ગુજરાતી અખબાર ના પત્રકાર જેણે એ લેખ છાપ્યો એ એકાદ ફોન કરી તથ્ય ચકાસવાની જહેમત ઉઠાવી શક્યા હોત.

   બે સપ્તાહ અગાઉ મેં પપ્પાની હકારાત્મકતા બિરદાવતો એક બ્લોગ લેખ લખ્યો હતો તેના આધારે ફરી પપ્પાની તબિયતને લગતા સમાચાર ચર્ચાએ ચડ્યા અને કેટલાક બેજવાબદાર પત્રકારોએ જૂના કોઇક ઇન્ટરવ્યૂમાં પપ્પાએ કહેલી વાત કે 'તેમની ઈચ્છા તેમનું મૃત્યુ ચહેરા પર મેઇક અપ સાથે થાય' ને તેમની હાલની તબિયત સાથે જોડી એવાં ટાઇટલ સાથે સમાચાર વહેતા કર્યા કે નટુકાકાની અંતિમ ઈચ્છા તેમણે જાહેર કરી છે! આ વાંચી કંઈ કેટલાયે લોકો ના ફોન આવ્યાં છે અને તેનો જવાબ આપતાં આપતાં અમે થાકી ગયાં છીએ.

  અખબારો અને પત્રકારોએ તથ્યોની ચકાસણી કર્યા બાદ જ કોઈ પણ સમાચાર છાપવા જોઈએ. કારણ આજ ના ઇન્ટરનેટ ના યુગમાં કોઈ પણ સમાચાર વાઈરલ થઈ જતાં વાર નથી લાગતી, આવે સમયે પ્રસાર અને પ્રચાર માધ્યમોની જવાબદારી બેવડી થઈ જાય છે.  

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

ગેસ્ટ બ્લોગ : આશા

      ગઈ વખતનાં લોકડાઉન અને અનલોક વખતે સકારાત્મક સિત્તેર જેટલાં લેખોની લોકડાઉન ડાયરી લખી હતી. આ વખતે પણ લખવાની ઈચ્છા થઈ. વિચારો પણ ઘણા આવે છે પણ જ્યારે એ વિચારોને કલમ દ્વારા કાગળ પર ઉતારવા જાઉં છું ત્યારે અચાનક જ કલમની સ્યાહી આંસુ બની જાય છે. મારી આંખ સામે હોસ્પિટલમાં પ્રવેશ મેળવવા માટે એમ્બ્યુલન્સની લાંબી કતારમાં તડપતાં દર્દીઓ દેખાય છે. દવા અને ઇંજેક્શન માટે વલખાં મારતાં દર્દીઓનાં પરિવારજનો દેખાય છે. જે ઓક્સિજનની પ્રકૃતિએ છૂટે હાથે લહાણ કરી છે તે ઓક્સિજન માટે હૈયું કંપાવી દે એવાં તરફડિયાં મારતાં દર્દીઓનાં ચહેરા દેખાય છે. જીવનની અંતિમ ક્ષણોમાં અંગત સ્વજનોની ગેરહાજરીમાં જીવ છોડતાં અકળામણ અનૂભવતાં દર્દીઓનાં ચહેરા દેખાય છે. સ્મશાનની બહાર મૃતદેહોની લાંબી કતાર દેખાય છે. મૃત્યુના ભયને અવગણીને દવા, ઇંજેક્શન અને ઓક્સિજનની કાળાબજારી કરતાં લોકોનાં ચહેરા દેખાય છે. સતાની સાઠમારીમાં વ્યસ્ત નેતાઓ દેખાય છે. અત્યંત કફોડી  સ્થિતિમાં જીવતાં લાખો ગરીબ અને નીચલા મધ્યમવર્ગના લોકોનાં દયામણા ચહેરાઓ દેખાય છે. કામધંધા વગર બેકાર ફરતાં યુવાનોના નિસ્તેજ ચહેરા દેખાય છે. મારી આંખ બોઝિલ થઈ જાય છે. મારે રડી લેવું છે પણ થીજી ગયેલા આંસુઓ આંખમાંથી બહાર નથી આવતાં. મને ચીસ પાડવાનું મન થાય છે પણ

અવાજ નીકળતો નથી. ના, ના મારે પરાકાષ્ઠાએ પહોંચેલા કળિયુગ વિષે નથી લખવું. કંઈ જ નકારાત્મક લખવું નથી પણ સકારાત્મક લખું તો કઈ રીતે? આ ગાઢ અંધકારમાં જયોત પ્રગટાવવી તો કઈ રીતે?

         જે જિંદગીને હું સો વર્ષ જીવવા માંગતો હતો. વૃદ્ધત્વને માણવા માંગતો હતો તે જિંદગી અચાનક જ કેમ નીરસ લાગવા માંડી? જીજીવિષા કેમ ઓસરી ગઈ? મોત કેમ વહાલું લાગવા માંડ્યું? કંઈક મોતનાં વિચારોમાં જ હું ઘરની બહાર નીકળ્યો. ચાલતાં ચાલતાં ઘૂઘવતા સાગરની સામે આવીને

ઊભો રહ્યો. મારાં મનમાં પણ ન સહન કરી શકાય એવો વિચારોનો ઉત્પાત ચાલી રહ્યો હતો. મારી નિરાશા, મારી ઉદાસી વધુ ગહરી થાય તે પહેલાં

કોઈએ મારી સામે આવીને કહ્યું "પ્રણામ. આપ મને નહીં ઓળખતાં હોવ પણ આપનો મારાં પર એક બહુ મોટો ઉપકાર છે. ગયા વખતની આપની લોકડાઉન ડાયરીએ મને આપઘાતનાં માર્ગથી

પાછો વાળ્યો હતો. આ વખતે પણ ડાયરી ચાલુ કરો

ને? એમનો આભાર માની હું સડસડાટ ઘરે પાછો આવ્યો. કાગળ અને પેન હાથમાં લઈને હું વિચારવા લાગ્યો - હવે મારી આંખની સામે મૃત્યુના ભયને અવગણીને પંદર પંદર કલાક કામ કરતાં ભગવાન સ્વરૂપ ડોકટરોનાં ચહેરા હતાં. દેવી સ્વરૂપ નર્સોનાં

ચહેરા હતાં. કોઈ પણ જાતની સૂગ વગર દર્દીનાં

મળ-મૂત્ર અને ઉલટી સાફ કરતાં દેવદૂત સ્વરૂપ સ્વાસ્થ્યકર્મીઓનાં ચહેરા હતાં. મફતમાં ગરીબોને

અનાજ અને ફળનું વિતરણ કરતાં, મફતમાં ઓક્સિજન ભરી આપતાં, કોઈ પણ જાતના સંબંધ

વગર લાશની અંતિમક્રિયા કરતાં, સતત ફરજ બજાવતા મેડીકલ સ્ટાફ, પોલીસ અને એવાં તો

કંઈક સેવાના સેંકડો ભેખધારી આત્માઓ જે

પરમાત્માનાં અંશ સ્વરૂપ છે તેમનાં ચહેરા હતાં. ગાઢ

અંધકારને પ્રગટાવતી જયોત મને જડી ગઈ. મેં લખવાનું ચાલુ કર્યું -

ઈશ્ચર, અમારા અક્ષમ્ય અપરાધોની સજારૂપ ચાલી

રહેલાં આ વિસર્જનનાં માહોલમાં પણ તેં તારૂં સર્જન ચાલુ જ રાખ્યું છે. હું પણ સકારાત્મક વિચારોની મારી લેખન શ્રેણી ચાલુ જ રાખીશ. આશાની જયોત સદૈવ પ્રજવલિત રાખીશ. 

બસ, પછી તો કલમ સડસડાટ ચાલવા લાગી. 

   —     રોહિત ખીમચંદ કાપડિયા

મંગળવાર, 4 જાન્યુઆરી, 2022

અમી સ્પંદન

સંકલન એટલે સારી સારી કૃતિઓ ભેગી કરી તેનો તૈયાર કરેલો ગુલદસ્તો. એક ફૂલનું પોતાનું આગવું સૌદર્ય હોય તો ગુલદસ્તામાં આવા અનેક સુંદર ફૂલો ભેગા હાજર હોય! કાવ્ય, પ્રાર્થના /ભજન, બાળકાવ્ય, દેશભક્તિ ગીત, ગરબા /રાસ, દુહા /સુભાષિત અને આરતી એવા સાત સાહિત્ય પ્રકારોની સવાસોથી વધુ કવિઓની નીવડેલી સવા સાતસો જેટલી જૂની - નવી રચનાઓનાં અપૂર્વ સંગ્રહ સમાન એક સુંદર પુસ્તક 'અમી સ્પંદન' થોડાં સમય અગાઉ ભેટમાં મળ્યું. સ્વ. પ્રવિણચંદ્ર ચુનીલાલ દવે આ પુસ્તકના સંકલન કર્તા. સન ૧૯૫૦માં પાંચ વર્ષની વયે ઉઘાડે પગે ને પહેરેલે કપડે તેમના જ્યેષ્ઠ બંધુ સાથે અભ્યાસાર્થે મુંબઈ આવ્યા અને પછી તો નસીબ તેમને ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા પણ લઈ ગયું. સત્તાવીસ વર્ષની ઉંમરે વિદેશમાં નોકરીનો પણ અનુભવ લીધા બાદ ભારત પરત ફર્યા અને અહીં સ્થાયી થયા. સાહિત્ય પ્રત્યેની અદમ્ય લાગણીને લઈને ૧૯૯૩થી અમી સ્પંદનના સંકલનનું કાર્ય હાથ ધર્યું અને અનેક વિટંબણાઓ વટાવી છેક જાન્યુઆરી, ૨૦૦૧માં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ. જો કે પછી તો આ પુસ્તક એટલું લોકપ્રિય બન્યું કે અત્યાર સુધી તેનું ૨૮૦૦૦ કરતાં વધુ પ્રત સાથે સત્તર વાર પુનઃ મુદ્રણ થઈ ચૂક્યું છે.

    આ પુસ્તકનું મુખપૃષ્ઠ અતિ કલાત્મક અને આકર્ષક છે. તેના ઉપરના ભાગમાં છ રાગિણીઓનું કોલાજ છે જેમાં રાગ હિંડોળ, દિપક, કુમકુમ, મેઘમલ્હાર, વસંત તથા ગોડકરી છે. ગીત /સંગીતને પ્રદર્શિત કરવાનો આ ભારતીય અભિગમ છે. કોલાજ ચિત્રની નીચેના ભાગમાં પિઆનોની સાત ચાવીઓનું સપ્તક છે. આ સપ્તકના માધ્યમથી અમીસ્પંદનમાં સામેલ કરવામાં આવેલ સાત જુદા જુદા વિભાગોને વાચા આપી છે. પિઆનો પશ્ચિમી ગીત /સંગીતનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આમ પૂર્વ - પશ્ચિમની એકરૂપતા અભિપ્રેત છે. એકવીસમી સદીમાં પૂર્વની પદ્યરચનાઓ પશ્ચિમી વાદ્યો દ્વારા ગુંજી ઉઠે એ ભાવના સાંકળવાનો સંકલનકર્તાનો નમ્ર પ્રયાસ છે.

   આ પુસ્તક સંકલન કર્તા માટે અતિ ખાસ રહ્યું હશે કારણ તેમાં તેમની આઠેક વર્ષના અથાગ પરિશ્રમનો સમન્વય છે. તેમણે એ તેમની સ્વર્ગસ્થ પુત્રી અમી ને અર્પણ કર્યું છે જેણે તેમના જીવનને કિલ્લોલમય કર્યું અને અકળ કારણોસર કિશોરાવસ્થા માં જ જીવન સંકોરી લીધું હતું. અમી ના નામ ને જ એટલે એમણે પુસ્તકના શિર્ષકમાં પણ સમાવિષ્ટ કર્યું છે.

   વર્ષ ૨૦૦૭માં દિવાળીમાં ભેટ આપવા લાયક    ૧૦૦ પુસ્તકોમાં અમી સ્પંદનનો સમાવેશ થયો હતો. પુસ્તકથી શ્રેષ્ઠ ભેટ બીજી કઈ હોઈ શકે? ઘણાં લોકો સ્વજન ગુમાવ્યા બાદ, તેની સ્મૃતિમાં પણ સારા પુસ્તકની લહાણી કરે છે જે એક આવકાર દાયક બાબત છે. મને લાગે છે અમી સ્પંદન પણ ઘણાં લોકો દ્વારા આ રીતે સ્વજનો અને પરિવારજનો સાથે વહેંચાયું હશે.

   સ્વ. કવિ શ્રી મકરંદ દવે એ પ્રથમ આવૃત્તિ વેળાએ અમી સ્પંદનને આનંદ સાથે આવકાર્યું હતું આ શબ્દોમાં : આપણે ત્યાં એવી રચનાઓ છે જે કાવ્યત્વથી સભર હોય પણ ગેયતાને નામે એમાં લયનો મરોડ ન હોય. અને ગેયતા સુગમ હોય ત્યાં કાવ્યત્વની ઉણપ વર્તાઈ આવે જેની સામે સાક્ષર વર્ગ અને સામાન્ય જનતાને ભાવે એવી વાનગી પીરસવાની દૃષ્ટિ છે. તેનું કાર્ય કઠિન બની જાય છે. ઊંડો કવિતા પ્રેમ અને પરિશ્રમ ઉઠાવવાની ક્ષમતા વિના આવો સર્વ ભોગ્ય સંગ્રહ ન થઈ શકે. પ્રવીણચંદ્ર ભાઈ નું સહસ્ત્ર વીણા ના તાર છેડવાનું પ્રાવીણ્ય આપણને સૌને એમાં વધુ સ્પંદનો ઝીલવાની પ્રેરણા આપે એવી શુભેચ્છા પાઠવું છું. દરેક કવિની એકાદ રચના આપીને એવી બીજી રચનાઓ વાંચવાની ભૂખ ઊઘડે એવી ભાવના પણ આ સંગ્રહમાં જોવા મળે છે. પુસ્તકોની અપૂર્ણ સંદર્ભ સૂચિ તરફ નજર કરતાં જ ખ્યાલ આવે છે કે કેટકેટલી નદીઓનાં પાણીથી તેમણે આ મંગળ કુંભ ભર્યો છે! આ સંગ્રહમાંથી ખોબલે જળપાન કરી મૂળ સ્ત્રોત ભણી યાત્રા કરવાની વાચકને પ્રેરણા મળશે તો સંકલનકર્તાએ પ્રસ્તાવના માં જે કલ્યાણકારી ભાવના સેવી છે તે ફળીભૂત થશે.

    પ્રિયકાંત મણિયારનું 'આ નભ ઝૂકયું તે કાનજી ને ચાંદની તે રાધા રે...' , ઈંદુલાલ ગાંધીનાં આંધળી માનો કાગળ અને દેખતા દીકરાનો જવાબ, ઉમાશંકર જોશીનું ગીત અમે ગોત્યું ગોત્યું, જયંત પાઠકનું દીકરીના લગ્ન પછી ઘરમાં, કલાપીનું ગ્રામ્યમાતા, સ્નેહરશ્મિ ના હાઈકુ વગેરે જેવા ગુજરાતી માધ્યમમાં શાળાજીવનમાં બાલભારતીમાં ભણેલા અનેક કાવ્યો અમી સ્પંદન માં વાંચવા મળ્યાં ત્યારે જાણે શૈશવ ની ગલીઓમાં ફરી ભમવાની એક તક સાંપડી! આવા તો સવાસો થી વધુ કાવ્યો અહીં સમાવિષ્ટ છે. કૃષ્ણ દવે, સ્વ સુરેશ દલાલ વગેરે કવિઓની અદ્યતન કવિતાઓ પણ આ સંગ્રહમાં સમાવવામાં આવી છે તો બાળકાવ્ય વિભાગમાં તો અમેરિકન લોકગીત પણ મોજૂદ છે. શાળા જીવનમાં ગાયેલાં- સાંભળેલાં આઓ બચ્ચો તુમ્હે.., તૈયાર થઈ જજો, વિજયી વિશ્વ તિરંગા, સારે જહાં સે અચ્છા.., હમ હોંગે કામયાબ... જેવાં દેશ ભક્તિ ગીતો અને ૐ તત્સત્, અખિલ બ્રહ્માંડમાં..., એક જ દે ચિનગારી... વગેરે પ્રાર્થનાઓ પણ વાંચી મન પુલકિત થઈ જાય! પ્રખ્યાત ગુજરાતી ગરબા અને આરતીના શબ્દો વાંચવાનું મન થાય તો એ અમી સ્પંદનમાં મળી રહેશે.

  અમી સ્પંદનના સર્જકના પુત્ર પિનાકિનભાઈ દવે નો આટલી સુંદર અનોખી ભેટ મને આપવા બદલ આભાર! ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ ધરાવતાં અને કાવ્યો - ગીતોમાં રસ ધરાવતાં સૌ કોઈ માટે આ પુસ્તક એક શ્રેષ્ઠ ભેટ સાબિત થશે.


શનિવાર, 12 સપ્ટેમ્બર, 2020

નટુકાકાની તબિયત કેમ છે?

     છેલ્લાં સાતેક દિવસથી સતત મારો ફોન રણકયા કરે છે. સેંકડો ફોન કોલ્સ, મેસેજ સંદેશાઓ પર એક જ પ્રશ્ન - નટુકાકા ને કેમ છે? તેમની તબિયત સારી છે? સગા - સ્નેહી - મિત્રો અને શુભેચ્છકોના આ પ્રેમ જોઈ હું નવાઈ પામ્યો છું, ગદગદિત થયો છું, ક્યારેક થોડો ઘણો કંટાળ્યો પણ છું તો ક્યારેક સંવેદનશીલ બની ઈશ્વરનો આભારી પણ બન્યો છું. 

   પપ્પા ઘનશ્યામ નાયક એટલે કે તારક મહેતાના નટુકાકા ગત શનિવારથી હોસ્પિટલમાં દાખલ થયા અને એ જ દિવસે એક અંગ્રેજી અખબારમાં આ સમાચાર છપાયા બાદ, આ અહેવાલ અન્ય છાપાઓ, ટી. વી. અને સોશિયલ મિડીયામાં વાઈરલ થતાં, જાણે લોકોના સંદેશાઓ અને શુભેચ્છાઓનો ધોધ વહ્યો છે. લાખો ચાહકોની પ્રાર્થનાને પગલે જ તેમની લાળગ્રંથિ નજીક ઉત્પન્ન થયેલી આઠેક ગાંઠ સફળતાપૂર્વક કાઢવાની શસ્ત્રક્રિયા સંપન્ન અને સફળ રહી છે અને ઈશ્વરની અસીમ કૃપાથી હવે પપ્પા સ્વસ્થ છે અને એક મોટી આફતમાંથી તેઓ હેમખેમ પાર ઉતર્યા છે. 

  આજ કાલ જ્યાં કોરોનાના આંકડા સતત વધવાના અને અનેક લોકો મૃત્યુ પામતાં હોવાના સમાચારો જ ચારેકોર સાંભળવા મળતા હોય છે એવા વાતાવરણમાં પપ્પાની વાત હકારાત્મક છે એટલે હું એ આ માધ્યમથી તમારા સૌ સાથે શેર કરી રહ્યો છું. 

    પપ્પાને દોઢેક વર્ષ અગાઉ આંખમાં પાંપણ ઉપર એક ગાંઠ વારંવાર થતી હતી. ત્રણેક વાર એ સામાન્ય ડોક્ટર પાસે કઢાવ્યા બાદ ચોથી વાર તે સર્જરી દ્વારા કઢાવી અને તે વાંધાજનક (મેલિગ્નન્ટ) હોવાનું નિદાન થયું હતું જો કે તે સંપૂર્ણ રીતે કાઢી નાંખવામાં આવી હતી અને અમે ધાર્યું હતું કે એ પ્રકરણ પૂરું થઈ ગયું છે. આ સર્જરી કરનાર કુશળ યુવા ડોક્ટર નિરવ રાઈચૂરાએ ખૂબ કુશળતાથી અને સારી રીતે આંખની પાંપણ પરની એ ગાંઠ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરી હતી અને આ દરમ્યાન તેમણે પપ્પાના ડાબા ગાલના કાન પાસે ના ભાગ પર થોડો ઉપસેલો ભાગ જણાતાં તેની ટેસ્ટ કરાવવા સૂચન કર્યું હતું, જેનો હિસ્ટોપેથ રિપોર્ટ એ વાંધાજનક ન હોવાનું સૂચન કરતો હતો જેને મેડિકલ ભાષામાં 'બીનાઇન' કહેવામાં આવે છે. ત્યારે તેમણે બીજો અભિપ્રાય લેવા હિન્દુજા હોસ્પિટલ પણ મોકલ્યા અને અન્ય એક આંખ નિષ્ણાત એવા મહિલા ઓપ્થોસર્જન ડો. સાંવરી પાસે ચેક અપ કરાવ્યું. તેમણે પેટસ્કેન કરાવવાનું સૂચન કર્યું જેમાં આખા શરીર ની ચકાસણી થાય છે અને કોઈ પણ મેલિગ્નન્ટ ગાંઠ કે કેન્સર જેવું તત્ત્વ શરીરમાં હોય તો તેનું સચોટ નિદાન થાય છે. હવે આ ટેસ્ટ થોડો ભારે હોય અને એમાં શરીરમાં કિરણોત્સર્ગ કરવામાં આવતો હોવાથી હું થોડો અચકાતો હતો અને પપ્પાએ પણ ત્યારે આ બાબત ગંભીરતાથી ના લીધી અને અમે આ ટેસ્ટ ન કરાવ્યો. આ ઘટનાના દોઢેક વર્ષ બાદ, ડાબા ગાલ પાસેની પેલી કાન નજીકની ગાંઠ સહેજ મોટી બની અને પપ્પાને થોડું દુખવા પણ માંડ્યું. એટલે એ ગયા સૂચક હોસ્પિટલ. ત્યાં એ ગાંઠ પર વધુ સંશોધન થાય એ પહેલાં કોણ જાણે ક્યાંથી હર્પીસ નામના ચેપી વિષાણુએ ડાબા ગાલ પર જ હૂમલો કર્યો અને પપ્પાનો ડાબો ગાલ અને તેની નીચે ગળા સુધીનો ભાગ પીડાદાયક ફોલ્લાંથી ભરાઈ ગયો. તેની ટ્રીટમેન્ટ માં વીસેક દિવસ નીકળી ગયાં. આ પીડાએ પણ જોકે પપ્પાનું મનોબળ 

ડગાવ્યું નહીં. એક તો કોરોના લોક ડાઉન નો કપરો કાળ, કામધંધો પાંચ - છ મહિનાથી બંધ, પંચોતેર વર્ષની ઉંમર - પણ આ વામન કદના માનવીનું મનોબળ, હકારાત્મકતા કોઈ યુવાનને પણ શરમાવે એવા હોઈ તેમની વિરાટતાના દર્શન થયાં. હર્પીસ ગાયબ થયા બાદ ફરી સૂચક હોસ્પિટલ ના ચક્કર શરૂ થયાં. આ હોસ્પિટલ મલાડમાં આવેલી પચાસ વર્ષ કરતાં પણ જૂની, અન્ય પૈસા છાપવાના મશીન ગણાતી પ્રોફેશનલ હોસ્પિટલ કરતાં ઘણી જુદી અને સારી છે. તેના સ્થાપક ડો. અનિલ સૂચક ના પત્ની આભાબેનના પિતા જૂના જમાનાના એક ખૂબ સારા અભિનેતા હતાં અને આ તેનું બીજું પાસું જેના કારણે પપ્પાને આ હોસ્પિટલ ખાસ્સી આત્મીય લાગે છે. અગાઉ તેમનો એક અકસ્માત થયો હતો ત્યારે પણ તેઓ અહીં જ સાજા થયાં હતાં, તેમની અન્ય પણ નાની મોટી સર્જરી અહીં ભૂતકાળમાં સફળ રીતે પાર પડી હતી તેથી તેઓ અહીં આવવામાં બિલકુલ અચકાતા નહોતા. મને કોરોના ના કારણે અત્યારે ઘરની બહાર નીકળવામાં પણ જોખમ જણાતું પણ તેઓ વિના કોઈ ડર કે સંકોચ સાથે અહીં આવતા અને થોડાં ઘણાં જરૂરી ટેસ્ટ કર્યા બાદ જાણ થઈ કે તેમની ડાબા ગાલ પાસેની પેલી ગાંઠ વાંધાજનક છે. અલબત્ત પેટ સ્કેન અને અન્ય ટેસ્ટ માં જણાયું કે આ ગાંઠની આસપાસ અન્ય નાની મોટી ગાંઠ પણ હોઈ શકે છે જે બીનાઇન કે મેલિગ્નન્ટ પણ હોય અને એ વહેલામાં વહેલી તકે કઢાવી નાખવી જોઈએ. કોરોના પ્રભાવિત આવા કપરા કાળમાં અન્ય કોઈ, આ પ્રકારનું નિદાન જાણી ગભરાઈ જાય, પણ ઘનશ્યામ નાયક જેનું નામ! અતિ હળવાશ અને નિર્ભયતાથી તેઓ ડોક્ટરને પૂછે છે ક્યારે કાલે થઈ શકે આ ઓપરેશન?! મારો સ્વભાવ થોડો અલગ, હકારાત્મકતા તો જાણે મને પણ વારસા માં જ મળી છે પણ હું અઢાર ગળણે પાણી પીવામાં માનનારો માણસ. બીજો ઓપિનિયન લેવો જોઈએ? મોટી હોસ્પિટલ માં જવું જોઈએ? ઓપરેશન થતી વેળાએ કોરોના લાગી જાય તો? ઓપરેશન અત્યારે જ કરાવવું જોઈએ? આવા અનેક પ્રશ્નો મને સતાવતા હતાં. પણ પપ્પાએ તો નિર્ણય લઈ લીધો કે સૂચક હોસ્પિટલમાં જ તેઓ શક્ય એટલી જલદી શસ્ત્રક્રિયા કરાવી પેલી વણજોઈતી, વાંધાજનક ગાંઠોને દૂર કરાવશે અને ગત શનિવારે તેઓ હોસ્પિટલમાં દાખલ પણ થઈ ગયા! 

  સદનસીબે અતિ કુશળ એવા યુવાન ઓંકો સર્જન યોગેન છેડા અને તેમના પત્ની અલકનંદાએ સાથે મળી ગત સોમવારે પપ્પાના ગળા પાસે વાઢકાપ કરી સૂચક હોસ્પિટલમાં જ શસ્ત્રક્રિયા દ્વારા આઠેક નાની મોટી ગાંઠ બહાર કાઢી. પપ્પાના આત્મીય એવા સૂચક હોસ્પિટલના ડો. શર્મા પણ સતત ચાર કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં તેમની સાથે રહ્યાં. ભગવાનની પરમ કૃપા થકી આ ઓપરેશન સફળ રહ્યું અને અગાઉ જે ભયની મેં ડોક્ટર છેડા સાથે ચર્ચા કરી હતી તે બધાં દૂર થયાં. આ ગાંઠ લાળગ્રંથિની અતિ નજીક આવેલી એક નસ પાસે હતી જે મગજ, આંખ, ગાલ, જીભ-મોઢા અને ગળા જેવા પાંચ અવયવો સાથે જોડાયેલી હોય છે અને અતિ પાતળી અને સંવેદનશીલ એવી આ નસ પર શસ્ત્રક્રિયા સમયે જો અસર પહોંચે તો તેની સીધી અસર આ પાંચ અવયવો કે તેમની કામગીરી પર પડી શકે છે. પપ્પા નું દાયકા અગાઉ બાય પાસ ઓપરેશન પણ થયું હતું અને ડાયાબીટીસ અને પ્રેશરની ગોળીઓ પણ તેઓ નિયમિત લે છે. આ બધી પરિસ્થિતિ ને લઈને હું ભારે ચિંતિત હતો પણ ગાંઠ દૂર કરવાની સર્જરી વિના વિઘ્ન પાર ઉતરી. 

  છેલ્લાં અઠવાડિયા થી હું પપ્પાની સાથે જ હોસ્પિટલમાં છું અને અન્ય કેટલીક મજેદાર વાતો મને અહીં કરવી ગમશે. જેમકે ઓપરેશન થયા બાદ પપ્પાને બે - ત્રણ દિવસ આઈ. સી. યુ. માં રાખવાના હતાં, પણ બીજે જ દિવસે સવારે તેઓ તેમનાં માટે ફાળવેલા અલાયદા રૂમમાં આવી ગયા. મને કહે "એક બુઢ્ઢો બાજુ માં હતો એ આખી રાત લોહી પી ગયો! તેણે સતત બડ બડ કરી મને અને અન્ય ડોક્ટરોને પરેશાન કરી મૂક્યા. એટલે હું અહીં આવી ગયો." મારી આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ. હજી ઓપરેશન ને એક દિવસ થયો છે, તેમને આઈ. સી. યુ. માં રાખવાનું સૂચન થયું હતું અને તેમણે ડોકટરને મનાવી પણ લીધા, તેમને શિફ્ટ કરવા! જો કે તેમની રિકવરી ઘણી સારી અને ઝડપી હોવાથી જ આ શક્ય બન્યું. હવે ઓપરેશન તાજું હોવાથી તેમણે ખોરાક મોઢે થી ચાવી ને લેવાનો નહોતો અને તેમનાં નાકમાંથી એક નળી પસાર કરી સીધી અન્ન નળી સાથે જોડી હતી જેના વાટે તેમને પ્રવાહી ખોરાક લેવાનો હતો. પણ આ ભારે અસુવિધા ભર્યું હતું એટલે જ્યારે પણ નર્સ કે ડોક્ટર આવે ત્યારે પૂછે "આ ગણપતિ બાપા ની સૂંઢ ક્યારે દૂર કરવાની છે?! “. તેમને સતત ચાલતા રહેવાની આદત, બેસવું તો ગમે જ નહીં. ઓપરેશન દરમ્યાન અને ત્યાર બાદ પેદા થતું ખરાબ લોહી નીકળી જાય એ માટે એક નળી ગળામાંથી બહાર કાઢી તેનો બીજો છેડો એક થેલી જેવા પાત્ર સાથે જોડેલો હોય એટલે ઉભા થઈ ચાલવું હોય તો આ થેલી સતત હાથમાં પકડી ઉભું થવું પડે કે ચાલવું પડે. જ્યારે પણ નર્સ કે ડોક્ટર આવે ત્યારે પોતાના કોમેડી સ્વભાવ મુજબ પૂછે, "હવે આ વરરાજાના સતત હાથમાં રાખવા પડતાં નાળિયેર ને ક્યારે છોડો છો?! “. નર્સ અને ડોક્ટર હસતાં હસતાં રૂમમાંથી બહાર જાય!

 તેમને વાતો કરવાનો ભારે શોખ. દવા આપવા જ્યારે પણ જુદી જુદી નર્સ આવે એ દરેક સાથે અચૂક અલક મલકની વાતો કરે. એક નર્સ નું નામ ઉર્વશી એટલે તેને કહે, "હવે તું અહીં રંભા ને પણ બોલાવી લાવ એટલે ઈન્દ્રસભાનું આયોજન કરીએ! “. તેમને કસરત કરાવવા ફિઝિઓથેરાપીસ્ટ એવા યુવા ડો. પ્રતીક શાહ આવે એટલે એમની સાથે પણ જુદા જુદા વિષયો પર ગોષ્ઠી માંડે. ડો. જયેશ શાહ પણ તેમનું બી. પી. અને સુગર ચેક કરવા આવે ત્યારે તેમને પેલી સૂંઢ અને વરરાજાના નાળિયેર વળી વાત કરી હસાવે! ઓપરેશન પછી ત્રીજા દિવસે પેલી સૂંઢમાંથી મુક્તિ મળી અને છઠ્ઠા દિવસે પેલી વરરાજાના નાળિયેર સમી થેલી પણ ડોક્ટરે દૂર કરી! હવે તેઓ બધો ખોરાક પણ લઈ શકે છે અને થોડાં દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા પણ મળી જશે. નર્સો કહે છે "કાકા, અમે તમને મિસ કરીશું! “ 

  હવે તેમની ગાંઠનો વિગતપૂર્વકનો રિપોર્ટ આવી ગયા પછી આગળની ટ્રીટમેન્ટ નક્કી થશે. એકાદ મહિનો હજી આરામ કરવાનું ડોક્ટરોએ સૂચવ્યું છે. ત્યારબાદ, નવરાત્રિ સુધી કે નવરાત્રિના શુભ દિવસો દરમ્યાન તેમના પ્રાણવાયુ સમા શો તારક મહેતા માં તેઓ ફરી એન્ટ્રી મારે એવી તેમની ઈચ્છા છે. પ્રાર્થના કરીએ કે નટુકાકાની આ ઇચ્છા પણ અંબામા પૂરી કરે! 


રવિવાર, 22 માર્ચ, 2020

કોરોનાના કાળા કેર વચ્ચે ડોકાતી સોનેરી કિનાર

     આપણાં સૌના જીવનમાં આ અત્યારનો ઐતિહાસિક સમયગાળો છે જેમાંથી આપણે પસાર થઈ રહ્યાં છીએ. આપણાં જીવન કાળ દરમિયાન આ પહેલા ક્યારેય આખા વિશ્વને કોઈ મહામારીએ ભરડામાં લીધું હોય અને તેની આટલી ઘેરી અસર વિશ્વભરમાં સૌના જીવન પર પડી હોય એવું ક્યારેય બન્યું નથી. ઓફિસો અને દુકાનો બંધ થઈ ગયા છે. આઠમા ધોરણ સુધીમાં ભણતા વિદ્યાર્થીઓને વગર વાર્ષિક પરીક્ષાએ આગળના ધોરણમાં ચડાવ પાસ કરી દેવાયા છે. વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘેર થી કામ અનેક જગાએ ફરજિયાત બનાવી દેવાયું છે. શેર બજારો ગભરાટમાં તળિયું બતાવવા માંડ્યા છે. ફિલ્મનાં અને ટીવી સિરિયલોના શૂટિંગ બંધ થઈ ગયા છે. સિનેમા હોલ, નાટકો, સ્વિમિંગ પૂલ, મોલ વગેરે બધું બંધ છે. ફક્ત એક્ટિવ છે કોરોના વાયરસ. તેણે જાણે શક્ય એટલી વધુ ઝડપે વિશ્વભરમાં વધુ માં વધુ લોકો સુધી પહોંચવાની ટેક લીધી છે! આપણે તેને હંફાવવાનો છે, તેના પર કાબુ મેળવવાનો છે, તેના પર જીત હાંસલ કરવાની છે.
   અત્યારે મોટે ભાગે ડર અને શંકાનું સામ્રાજ્ય ફેલાયેલું છે, પણ તેમાં ક્યાંક સોનેરી કિનાર દેખાય છે તેની આ બ્લોગ થકી વાત કરવી છે. થોડી હકારાત્મકતા ફેલાવવાની છે. ઈટાલીમાં જ્યાં આ મહામારીની સૌથી વધુ અસર થઈ છે, જ્યાં સૌથી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓ મૃત્યુ પામ્યાં છે, ત્યાં વર્ષો પછી ડોલ્ફીન માછલી ત્યાંના દરિયામાં પાછી ફરી છે, હંસ પક્ષી ત્યાંના સરોવર અને તળાવમાં પાછા ફર્યા છે જ્યાં અત્યાર સુધી પ્રવાસીઓના ધાડા ના ધાડા જોવા મળતા હતાં. ગંડોલા બોટ, ક્રૂઝ શીપ બંધ થતાં, પ્રવાસીઓની અવરજવર બંધ થતાં પ્રકૃતિના આ મનુષ્ય જેટલાં જ પ્રિય સંતાન સમા પશુ પક્ષીઓ પોતાના આવાસોમાં પાછા ફર્યા છે. સિંગાપોરની શેરીઓમાં નોળિયા જેવા દેખાતા ઓટર પ્રાણીઓ દોડાદોડ કરતા જોવા મળ્યા છે. ઇજિપ્શિયન બતકોનું એક આખું કુટુંબ (નર - માદા અને તેમના દસ બાર બચ્ચાઓ) નિર્ભય પણે ઇઝરાએલના એક એરપોર્ટ પર વિહરી રહેલું એક વિડિયોમાં જોવા મળ્યું, કારણ અહીં ઉડતા વિમાનો અત્યારે બંધ છે! અન્ય એક વિડિયોમાં શિકાગોના એક ઝૂ માં પેંગ્વીન પક્ષીનું એક જોડલું બિન્ધાસ્ત આખા પ્રાણી સંગ્રહાલયમાં દોડાદોડ કરતું નજરે ચડે છે જ્યાં સામાન્ય રીતે મનુષ્યોની ભીડમાં ક્યારેક આ બધા કેદ પ્રાણીઓ અકળાઈ ઉઠતા હશે! રસ્તા પર વાહનોની ભીડ નથી. પ્રદૂષણનું પ્રમાણ આશ્ચર્યજનક કક્ષાએ નીચું ગયું છે. જળાશયો ચોખ્ખા થયા છે, દરિયા કિનારા અને અન્ય જાહેર સ્થળો સ્વચ્છ બન્યા છે. આ બધું જોતા એક વાત કહેવાની કે કોરોનાએ આપણને એક મહામૂલો પાઠ શીખવ્યો છે - સહ અસ્તિત્વનો. વિશાળે જગ વિસ્તારે, નથી માનવ એકલો... પશુ - પક્ષીઓ - જંતુઓ - વનસ્પતિ - ફૂલો આ બધું પણ પૃથ્વી પર એટલો જ હક્ક ધરાવે છે જેટલો આપણે મનુષ્યો. પણ આપણે બધાં પર અતિ ક્રમણ કરી રાજા બની બેઠાં છીએ. વિકાસના નામે પ્રકૃતિનો કચ્ચર ઘાણ કાઢી નાખવામાં આપણે બે વાર વિચાર કરતા નથી. આપણે જંગલનો બેફામ નાશ કર્યો છે, મહાસાગરોમાં કચરો ઠાલવી તેમનું પાણી પ્રદૂષિત કર્યું છે. અનેક જીવોની કતલ કરી અથવા ફક્ત પોતાનો વિચાર કરી તેમના જીવન માટે જરૂરી તત્વોનો નાશ કરી તેમનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું છે - આ મુદ્દે હવે વિચાર કરવાનો અવકાશ મળ્યો છે. આપણે સહ-અસ્તિત્વની વિચારધારા અપનાવી જીવન રીત બદલવાની છે.
   બીજું, પોતાના માટે જ સતત વિચારવાની વૃત્તિ ત્યજી અન્યો માટે થઈ પણ કંઈક કરતા શીખવાનું છે. કોરોના મહા ચેપી વિષાણુ છે. તેનાથી બચવા અને તેને અન્યો સુધી ના પહોંચાડવા પણ આપણે કેટલોક સમય ઘરમાં બેસવાનું છે, ફરાજિયાત. આ સમય અત્યાર સુધી ના કરી શકેલી ઘેર બેસી થઈ શકે એવી પ્રવૃત્તિઓ માટે વાપરવાનો છે. પરિવાર સાથે સુખદ સ્મૃતિઓ બનાવવાની છે. બાળકો સાથે રમવાનું છે. વાંચવાનું અને તેમને સારું વંચાવવાનું છે. ટીવી જોવાનું છે, સારી મિસ કરી લીધેલી ફિલ્મો જોવાની છે. લખવાનો શોખ હોય તો પેટ ભરીને લખવાની તરસ છીપાવવાની છે. પરિવારના અન્ય સભ્યો સાથે સમય અને વ્યસ્તતા ને કારણે ગુમાવી દીધેલી નિકટતા પાછી કેળવવાની છે.
   આપણાં પ્રધાનમંત્રી મોદી સાહેબે જે ચૌદ કલાકનો સમય માગ્યો છે, તે તેમને આપવાનો છે. સાંજે પાંચ વાગે પોતપોતાના ઘરની બારી કે ગેલેરી માં ઉભા રહી તાળી પાડી એ સૌ હીરોના પ્રયત્નો ને બિરદાવવાના છે જેઓ આપણાં માટે આવી વિકટ પરિસ્થિતિ માં પણ ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. જેમકે ડોક્ટર અને નર્સ ભાઈ બહેનો, કોરોનાનું પરીક્ષણ કરતી લેબ માં કામ કરતા ભાઈ બહેનો, આપણાં સફાઈ કામદારો, દૂધ અને છાપું નાખવા આવતા ભાઈબહેનો અને આવા તમામ લોકો જે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સેવા કરી આપણું જીવવું સરળ બનાવે છે. આ બધાં પ્રત્યે આભાર પ્રકટ કરવા આજે સાંજે પાંચ વાગે પાંચ મિનિટ સુધી તમારી બારી કે બાલ્કની માંથી તાળીઓ પાડજો, ઘંટ નાદ જેવો ધ્વનિ પેદા કરજો અને આ મોટી મુસીબતના સમયે આપણે સૌ એક બીજાની સાથે છીએ એ વાતની પ્રતીતિ કરાવજો.
  વિજ્ઞાન દ્વારા પણ સાબિત થયું છે કે તાળી પાડવી સ્વાસ્થ્ય માટે સારી સાબિત થાય છે અને ઘંટનાદમાં એવા સ્પંદનો છે જે નકારાત્મતાને મારી ભગાડે છે. ચૌદેક કલાક ઘરમાં જ રહીને કોરોના ને પણ વધુ ફેલાતો અટકાવવામાં ઘણી મોટી મદદ મળશે. તો ચાલો આ અભિયાનમાં સહભાગી થઈ આપણે આપણું નાનકડું યોગદાન આપીએ, આપણાં દેશ માટે, આપણી માનવ જાત માટે અને સમગ્ર પૃથ્વી માટે.

ગેસ્ટ બ્લોગ - તમારી પત્ની અને બાળકો આર્થિક રીતે સુરક્ષિત છે?

     આજે આ બ્લોગ ની શરૂઆત વેદ વ્યાસ રચિત મહાભારતની એક વાર્તા થી કરીશ. આ વાર્તા આપણા જીવનની અનિશ્ચિતતા પર પ્રકાશ પાડે છે.

યુધિષ્ઠિર જ્યારે ઇન્દ્રપ્રસ્થ ના રાજા હતા ત્યારની વાત છે. એક દિવસ એક ભિક્ષુક એમની પાસે ભિક્ષા માંગવા આવ્યો. યુધિષ્ઠિર કોઈ કાર્યમાં વ્યસ્ત હતા, એટલે એમણે ભિક્ષુકને બીજા દિવસે આવવા કહ્યું. ભીમ ને આ વાત ની ખબર પડી એટલે એણે નગર માં ઢંઢેરો પિટાવ્યો કે મોટાભાઈ ત્રિકાળદર્શી થઇ ગયા. યુધિષ્ઠિરે પૂછ્યું, આ શું કરે છે? ભીમે કહ્યું મારી ખુશી જાહેર કરું છું. તમે ત્રણેય કાળનું દર્શન કરી શકો છો. તમે ભિક્ષુક ને કાલે આવવા કહ્યું એટલે તમે જાણો છો કે કાલે તમે હશો. તમે આવતી કાલને આજે જોઈ લીધી. યુધિષ્ઠિરને પોતાની ભૂલ સમજાઈ. એમણે ભિક્ષુકને બોલાવીને ભિક્ષા આપી અને માફી માંગી.

આપણે બધા જાણીએ છીએ કે રાજા રામ પણ નહોતા જાણતા કે બીજે દિવસે એમનો રાજ્યાભિષેક થવાનો છે કે એમને વનવાસ મળવાનો છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!

વાર્તાનો સાર : આપણે ભવિષ્યની ગર્તામાં શું ધરબાયું છે એ નથી જાણી શકતા. મિત્રો, એક બાજુ આપણે નિશ્ચિતપણે ભવિષ્ય નથી જાણી શકતા અને બીજી બાજુ આ જ અનિશ્ચિતતા આપણને દોડતા રાખે છે.

આવતીકાલ ની અનિશ્ચિતતા આપણને વધુ ને વધુ કાર્ય કરવા માટે અને વધુ કમાણી કરવા માટે, વધુ બચત કરવા માટે અને વધુ  જોડવા માટે પણ ભાગતા રાખે છે. ક્યારેય વિચાર કર્યો છે કે આપણે શા માટે આવી રીતે એક એટીમ (એની ટાઈમ મની) મશીનની જેમ કામ કરીએ છીએ? અને કોના માટે કરીએ છીએ? તમે તરત જ ચોક્કસપણે કહેશો કે પરિવાર માટે, જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ અને જેની આપણને પરવાહ અને ચિંતા છે.

માની લીધું કે તમે તમારા પરિવાર માટે જ કમાવો છો અને ભેગું કરો છો. પણ કેટલી ખાતરી સાથે તમે કહી શકો કે કોઈ પણ પ્રકારની અસાધારણ પરિસ્થિતિમાં પણ આ કમાયેલું ધન એમના હાથમાં જ આવશે?  અસાધારણ પરિસ્થિતિ જેમ કે ડિસએબીલીટી, (disability) મૃત્યુ કે પછી રિટાયરમેન્ટ.

આપણે દરેકે  ક્યારેક ને ક્યારેક આ અનુભવ કર્યો હશે કે આપણા કોઈ પરિચિત ના જીવનમાં જોયું હશે કે પૈસેટકે ગમે એવા સદ્ધર હોય તો પણ એમના બૈરી છોકરાં એ અસાધારણ અને ઓચિંતી પરિસ્થિતિમાં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવાનો વારો આવ્યો હોય.

આવી અણધારી પરિસ્થિતિમાંથી ઉગરવા અને પત્ની અને બાળકોને એક સન્માનપૂર્વક જીવન આપવા માટે ભારત સરકારે એક એવો કાયદો બનાવ્યો છે જેના થકી વ્યક્તિ પોતાના ઇન્વેસ્ટમેન્ટ ને કોઈપણ પ્રકારના લીગલ અટેચમેન્ટ થી સુરક્ષિત રાખી શકે છે.

તમે કોઈ આવા પ્રકારના કોઈ કાયદા વિશે જાણો છો? આવો કોઈ કાયદો આપણે ત્યાં છે એ વિશે કોઈ જાણકારી છે તમને? મને ખબર છે તમે તરત જ કહેશો, હાં પીપીફ (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) છે ને. તમારી જાણ ખાતર કહી દઉં કે પીપીફ સેવિંગ સ્કીમ છે. પીપીફ માં જયાં સુધી પૈસા પડયા છે ત્યાં સુધી અટેચ ના થાય. તમારી વાત સાચી. એક વખત એમાંથી પૈસા ઉપાડવા માં આવે એટલે એ તમારા સેવિંગ બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર થાય. જે એકાઉન્ટ અટેચેબલ છે. ઉપરથી ભારત સરકારે પીપીફમાં 1.50 લાખ ની હાયર લિમિટ રાખી છે.

અત્યારે હું જે કાયદા ની વાત કરું છું એ બ્રિટિશ ના સમયથી છે અને ભારત સરકારે પછીથી એમાં ફેરફાર કર્યા છે, જેની જાણ બહુ જ ઓછા લોકોને છે. જે તમારી પત્ની અને બાળકોને ફિનાન્સીઅલ કવચ પૂરું પાડે છે.

આ કાયદા દ્વારા તમારા પત્ની અને બાળકો ન માત્ર તેમનાં સપનાં જેમ કે હાયર એડયુકેશન કે એના જેવા બીજા સપનાં પુરા કરી શકે. ન કરે નારાયણ, તમારી હયાતી ન હોય તો પણ તેઓ સ્વમાનપૂર્વક નું પોતાનું જીવન કોઈના પર આધાર રાખ્યા વગર સારી રીતે જીવી શકે.

આ કાયદો એટલે મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ ૧૮૭૪, અમેન્ડેડ એક્ટ ૧૯૫૯.

આ કાયદાના સેક્શન ૬ વડે કોઈપણ પરિણિત પુરુષ, વિધુર કે છૂટાછેડા લીધેલ પુરુષ પોતાના જીવન પર ઇનસ્યુરન્સ કરાવે. ટર્મ કે એન્ડોમેન્ટ કે માર્કેટ સાથે જોડાયેલ કોઈપણ પ્રકારના પ્લાન લઈ શકે. એમાં એ માત્ર પોતાની પત્ની, માત્ર સંતાનો કે પછી પત્ની અને સંતાનો ને બેનેફિસયરી બનાવી શકે.

આ એકટ માં કોઈ હાયર લિમિટ નથી પણ વ્યક્તિને એમની ઇન્કમ વગેરે ના આધાર પર વીમા રાશિ મળે.
આ એક ખૂબ જ સુરક્ષિત અને સચોટ ઉપાય છે. જેમાં પૈસા માત્ર ને માત્ર જે બેનેફિસયરી નક્કી કર્યા હોય એમનાં જ હાથમાં જાય. એકવાર આ મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ નીચે આવે એટલે એ પુરુષ ની મિલકતનો હિસ્સો ન ગણાય. અને એટલે જ પતિ/પિતા ઇનસોલ્વન્ટ (દેવાળું ફૂકે) થઈ જાય તો પણ આ પૈસાને કોઈ હાથ ન લગાડી શકે. પછી એ તમારા લેણિયાત હોય, કોર્ટ કે ટેક્સ ઓથોરિટી હોય.

ડિસેમ્બર ૨૦૧૯ માં આબીસી, ઇનસોલ્વનસી એન્ડ બેંકરપસી એક્ટ નીચે વ્યક્તિગત બાંહેધરી આપનારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી લોન લેનાર જો પૈસા પાછા ના આપી શકે તો બાંહેધરી આપનાર વ્યકિત પાસેથી રકમ વસુલ કરી શકાય અને એની મિલકત જપ્ત થઈ શકે, એવી જોગવાઈ આ નવા સુધારા માં કરવામાં આવી છે. દરેક ધંધાધારી વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના રિસ્ક સાથે જ ધંધો કરતા હોય છે અને એ રિસ્ક પરિવાર પર ન આવે એની સાવચેતી રખાવી જોઈએ.

આ એક્ટ ની એક બીજી બાજુ પણ છે. કોઈ કારણસર વ્યક્તિ કમાણી કરતી અટકી જાય, અપંગ બની જાય કે  કોઈપણ જાતના બદઈરાદા વગર બધું જ ગુમાવી દે ત્યારે આ મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ તેની વ્હારે આવે છે.

મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ ની પોલિસી દ્વારા વારસો પણ બનાવી શકાય. એક સંતાનને બીસનેસ સોંપાય અને બીજાને એજ વેલ્યુ ની પોલિસી વારસા માં આપીને વસિયત બનાવી શકાય. તમારી ગેરહાજરી માં કોઇ સક્સેસન માટે દાવો કરે તો પણ આ પૈસા તમારા નક્કી કર્યા મુજબ માત્ર ને માત્ર પત્ની અને બાળકોને જ જાય.

સમાપન કરતી વખતે; મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ નીચે ઝીરો કોસ્ટ પર નોન એટેચેબલ ટ્રસ્ટ ઉભું કરવું એ શાણપણ અને ખૂબ જ મહત્વનું કાર્ય છે.

મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ તમારા કોઈપણ ઇન્વેસ્ટમેંન્ટની લીગલ ઓથોરિટી થી સુરક્ષા માટે જરૂરી છે.

તમારા એન્યુઅલ ટર્નઓવર ના ૩-૪% કોસ્ટ થી એટલી જ રકમ ઉભી કરી શકાય જે સંતાનો વચ્ચે સરખે ભાગે વહેંચણી કરવામાં સારું પડે.

આ એક બહુ જ મહત્વનું હાથવગું સાધન છે જેના થકી તમે તમારી પત્ની અને બાળકોને એક સુરક્ષિત, ઉજ્જવળ અને ફાનાન્સિયલી સબળ જીવનની ઉમદા ભેંટ આપી શકો છો.

તમને નથી લાગતું કે આ મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ તમને મનની શાંતિ આપી શકે.

તો પછી રાહ શેની છે?

આજે જ મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ વાંચો, જાણો, સમજો અને ડહાપણભર્યો નિર્ણય આજે જ લ્યો અને  શાંતિ ભરી આવતીકાલને આવકારો.

- છાયા કોઠારી

બાળઉછેર અંગેની મહત્વની ટિપ્સ

     તાજેતરમાં મારી દિકરી નમ્યાની સ્કૂલ તરફથી આયોજીત એક પેરેન્ટિંગ વર્કશોપમાં હાજરી આપી. ડો. સમીર દલવાઈ નામના સુવિખ્યાત બાળ મનોચિકિત્સકે આ વર્કશોપમાં બાળ ઉછેર અંગેની કેટલીક અતિ ઉપયોગી અને અસરકારક ટિપ્સ શેર કરી. તે આજે આ બ્લોગ થકી સૌ સાથે વહેંચી રહ્યો છું, અમલમાં મૂકજો તમારે નાના બાળકો હોય તો, નહીંતર અન્ય પરિવારજનો, મિત્રો સાથે વહેંચજો - તેમને કામ લાગશે.

બાળકને કામ સોંપો. તમારું બાળક નાનું હોય ત્યારથી જ તેને એ કરી શકે એટલા બધા કામ એને કરવા દો. ઘણી વાર આપણે તેના પર દયા ખાઈને તો ઘણી વાર તેના પ્રત્યેના પ્રેમને વશ થઈ બધાં કામ પોતે કરી લેતા હોઈએ છીએ જેમ કે બાળક નાનું હોય અને રમકડાં રમવા તેના પટારામાંથી તે કાઢ્યા બાદ આમ તેમ બધે વેરવિખેર ફેંકી દે છે અને પછી રમી લીધા બાદ પાછા પોતે પટારામાં મૂકવાનું નામ નથી લેતું. ત્યારે મોટે ભાગે માતા પિતા કે પરિવારના અન્ય સભ્ય એ રમકડાં પાછા પટારામાં મૂકવાનું કામ કરે છે. આ ન કરો. બાળકને નાનપણથી જ પોતાનું કામ જાતે કરવાની ટેવ પાડો. ખાતી પીતી વખતે પોતાનું ભાણું પોતે લાવવાની અને ઉપાડવાની આદત પણ તેના ઘડતરમાં મોટો ભાગ ભજવશે. તેને સ્વતંત્ર અને સ્વાવલંબી બનવાની આદત પાડો.
બીજી એક મહત્વની વાત. તેનું ઘડતર પૂર્વગ્રહો સાથે ન કરો. આ કામ છોકરીનું છે - આ રમત છોકરાઓ થી જ રમાય - છોકરાઓ રડે નહીં - છોકરીઓ આવા કપડાં ન પહેરે આવા બધાં પૂર્વગ્રહો તેના મનમાં ન ઠસાવો. છોકરો હોય કે છોકરી તેને બધાં જ કામ કરવા દો. તેને ઘરનાં બધાં જ કામમાં સમાવિષ્ટ કરો. છોકરો હોય તો તેને છોકરીને માન આપતા અને સન્માનની દ્રષ્ટિએ જોતા શીખવો.

- પૂરતી ઉંઘ સારા સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક છે. ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળક માટે ૧૨ કલાકની ઉંઘ જરૂરી છે. બપોરે સૂવાની જરૂર નથી. ૧૨ કલાકની ઉંઘ એકીસાથે રાત્રે જ મળવી જોઈએ. આ માટે એને શારીરિક કસરત મળે તેવા કામ અને રમતોમાં એ વ્યસ્ત રહે એ સુનિશ્ચિત કરો. સાંજનું ભોજન વહેલું લેવું જરૂરી છે. રાત જાણી જોઈને નથી લખ્યું. સાત - સાડા સાત સુધી ભોજન કરી લેવું આદર્શ ગણાય. મોબાઇલનો ઉપયોગ રાત્રે આઠ વાગ્યા પછી વર્જિત હોવો જોઈએ. આ અંગે વિસ્તારથી ચર્ચા પછી. પિતા કે માતા રાતે મોડા આવે તો બાળકોએ ત્યાં સુધી જાગવું જરૂરી નથી. બાળકોને વહેલા સૂવાની ટેવ પાડો.

બાળકને નાના પણ સ્પષ્ટ સૂચન આપો. તેને મૂંઝવી ન નાખો. તે સારું કામ કરે કે પોતાનું કામ જાતે કરે ત્યારે તેની પ્રશંસા કરવાનું ના ચૂકો. તેની પીઠ થાબડો. તેને યોગ્ય ઉત્તેજન આપો, જે નાની યોગ્ય ભેટ સ્વરૂપે પણ હોઈ શકે છે. પણ એ લાલચ સ્વરૂપે ન હોવી જોઈએ. તેની એ રીતે પ્રશંસા કે કદર કરો જેમાં તેને પોતાને માટે એ કઈ રીતે ફાયદાકારક છે તે સમજાય. દા. ત. બાળક રમકડાં પોતે ભરી લે ત્યાર બાદ તેના વખાણ કરી તેને બગીચામાં લઈ જાવ, તેની સાથે વધુ સમય પસાર કરો. એ કંઈક સારું કામ કરે તેની કદર રૂપે ફિલ્મ જોવા કે હોટેલમાં ખાવા આખો પરિવાર સાથે જાવ.

બાળકને તમારા સગા સંબંધીઓ, પાડોશીઓ સાથે હળવા મળવા દો. તેને એકલું ન પાડી દો, એકલવાયું ના બનાવો. પાંચ વાલીઓ ભેગા મળી વારાફરતી પાંચે પરિવારના બાળકોને દર રવિવારે એક વાલી - પરિવારને ત્યાં ચાર પાંચ કલાક હળવા મળવા નો નિયમ બનાવી શકાય. આનાથી અન્ય ચાર પરિવારના પતિ - પત્નીને આરામ મળી શકશે અને બાળકોને પણ બધાં સાથે હળવામળવાની, અન્ય ઘરની સંસ્કૃતિ - રીતભાતની ટેવ પડશે.

બાળકોને દરેક પરિસ્થિતી હળવાશથી લેતા શીખવો. DeStress don't distress. એટલે કે હળવા રહો /થાઓ અને તાણમાં ન આવી જાઓ. પરીક્ષા એન્જોય કરો. પાર્ટીની જેમ ઉજવો.

છેલ્લે ડોક્ટર સાહેબે લંબાણપૂર્વક મોબાઇલના દૂષણ અને ગેરફાયદાઓ વિશે ચર્ચા કરી. તેમની વેબસાઈટ પર અને #LimitMyScreentime આ હેશટેગ સાથે આ વિષય પર વિસ્તૃત માહિતી મેળવી શકાશે.

એક અતિ મહત્વની વાત ડૉક્ટરે એ કરી કે બાળકો જે જૂએ છે એ શીખે છે માટે એમને જે કંઈ શીખવવું હોય એ માતા પિતાએ પ્રથમ પોતે આચરણમાં મૂકવું જોઈએ. મોબાઇલ નો ઉપયોગ પહેલા માતા પિતાએ પોતે ઘટાડવો જોઈએ. પોતે અસત્ય ના બોલવું જોઈએ. પોતે પોતાના માતાપિતાની સેવા કરવી જોઈએ, અન્યોને માન આપવું જોઈએ. ક્રોધ ન કરવો જોઈએ. એકબીજા સાથે ઝઘડવું ન જોઈએ.

શનિવાર, 17 ઑગસ્ટ, 2019

બેંકમાં પ્રત્યક્ષ જવું કે નેટ બેન્કિંગ?

    આમ તો ઘણાં વર્ષોથી હું નેટ બેંકિંગ કે મોબાઇલ વૉલેટ જેવા સાધનો દ્વારા જ સઘળાં નાણાંકીય વ્યવહારો ઓનલાઇન પતાવું છું અને મને યાદ પણ નથી કે છેલ્લું લાઇટ, ટેલિફોન કે પાણીનું બિલ મેં જાતે બહાર જઈને ક્યારે ભર્યું હતું. પણ વર્ષના વચલા દહાડે એકાદ વાર બેંકમાં પ્રત્યક્ષ જવાનું થાય. આવો એક મોકો થોડા દિવસ પહેલાં આવ્યો.
    પબ્લિક પ્રોવિડેંટ ફંડનું પંદર વર્ષની મુદ્દતનું ખાતું વ્યક્તિ જીવનમાં એક જ વાર ખોલાવી શકે છે જે ટેક્સ સેવિંગ અને લાંબા ગાળાના નાણાં રોકાણ માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. મારું તો આ અકાઉન્ટ ઓલરેડી પંદર વર્ષનો સમય ગાળો પૂરો કરી ચૂક્યું છે અને મેં તેની મુદત બીજા પાંચ વર્ષ માટે લંબાવી છે. પણ મારા અઢી વર્ષના બચ્ચા માટે હું રોકાણનું એક સાધન શોધી રહ્યો હતો અને મને વિચાર આવ્યો કે પત્નીનું પી. પી. એફ. અકાઉન્ટ નથી ખોલાવ્યું  તો આ વિકલ્પનો ઉપયોગ કરવા દે. મારું અને પત્નીનું સેવિંગ્સ અકાઉન્ટ જે બેંકમાં છે ત્યાંજ પત્નીના નામે પી. પી. એફ. અકાઉન્ટ ખોલવાનો નિર્ણય કર્યો જેથી ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા હું પુત્ર માટે જે સેવિંગ્સ કરું તે એમાં જમા કરાવી શકાય. સરકારી ખાતાઓ જેવા કે પી. પી. એફ., એન. એસ. સી., પોસ્ટ ખાતું વગેરે અત્યાર સુધી ઓનલાઇન સુવિધા આપતા નહોતા પણ તપાસ કરતાં જાણવા મળ્યું કે હવે પી. પી. એફ. અકાઉન્ટ તો તમે ખાનગી બેંકમાં પણ ખોલાવી શકો છો અને ઘણી રાહત થઈ! કારણ બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં જઈ નાણાકીય વ્યવહારો કરવાનું ઘણું આકરું લાગે છે! એક તો ત્યાં લાંબી કતાર હોય, પાસ બુક અપડેટ કરાવવા જાવ તો પ્રિંટર કામ ન કરતું હોય, દીકરી નમ્યાના સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ ના મલાડની પોસ્ટ ઓફીસના ખાતામાં ચેક જમા કરાવવા જાઓ તો પંદરેક દિવસ પછી બોરીવલી હેડ ઓફિસમાં ચેક ક્લિયર થાય પછી જ તેની એંટ્રી પાસબુકમાં અપડેટ થાય - આ બધી સમસ્યાઓના કટુ અનુભવ પછી નિર્ણય જ કર્યો છે કે બને ત્યાં સુધી નાણાકીય વ્યવહારો ઓનલાઇન પતાવવા. આથી પી.પી. એફ. અકાઉન્ટ ઓનલાઇન ઓપન થઈ શકશે અને તેમાં નેટ બેન્કિંગ દ્વારા પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી શકાશે એ માહિતી એ ઘણી રાહત આપી! થોડી ઘણી ઔપચારીકતાઓ બાદ ખાતું ખૂલી ગયું અને પાસબુક વગેરે કુરિયર દ્વારા ઘેર આવી ગયા પણ પ્રથમ વાર પાસબુક અપડેટ કરાવવા એક વાર બેંક માં જવું જ પડે એવી સ્થિતી ઉભી થઈ અને હું નાનકડા હિતાર્થ ને લઈ જઈ પહોંચ્યો બેંકની ઘર નજીક આવેલી બ્રાંચ પર. આ એક આનંદ તમને બેંકમાં જવાથી મળી શકે ખરો - બચ્ચું હોય તો એને સાથે લઈ જવાનો! બેંકના કર્મચારીઓ સહિત કેટલાક ગ્રાહકોએ પણ એને રમાડ્યો, બેસવા ખુરશીની વ્યવસ્થા કરી આપી! બહાર કાળઝાળ ગરમી હતી પણ બેંક બ્રાંચમાં એ. સી. હતું એટલે થોડી રાહત થઈ. જો કે લાંબી કતાર હતી. એક સિનિયર સિટીઝન કતારમાં ઉભા હતાં, જે લાંબી લાંબી પ્રશ્નોત્તરી કરી બેંક કર્મચારીનો કંટાળો વધારી રહ્યા હતાં. તેમને નાણાં તેમના કોઈક પરિવારજનને વિદેશ મોકલવા હતાં અને તે માટે ની કોઈ માહિતી તેમની પાસે નહોતી. ખાસ્સી ધીરજ દાખવી આખરે બેંક કર્મચારીએ તેમની બધી શંકાઓ દૂર કરી. તેમની પાસબુક પણ અપડેટ કરી આપી. આ દરમ્યાન મને 'બેંકમાં પ્રત્યક્ષ જવું કે નેટ બેન્કિંગ' આ વિશે વિચાર આવ્યો અને આજના બ્લોગનું બીજ ત્યાં ત્યારે રોપાયું!
    બંને પદ્ધતિઓના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા છે. પ્રત્યક્ષ જાઓ ત્યારે તમે ત્યાં નવા સંપર્ક બનાવો છો, ચાલી ને જાઓ તો કસરત થાય એ ફાયદો, સમય પસાર ન થતો હોય તો વ્યસ્ત થઈ જવાનો એક સરસ વિકલ્પ. પણ જેને સમયની મારામારી હોય, વ્યસ્તતા કેડો ન મૂકતી હોય એને માટે નેટ બેંકિંગ ઉત્તમ વિકલ્પ છે. ઘેર બેઠા નાણાં ટ્રાન્સફર કરી શકો, ચેક બુક મંગાવી શકો, બિલ ભરી શકો, અન્ય નાણાકીય સાધનોમાં રોકાણ કરી શકો, ઘેર બેઠા અકાઉન્ટ સ્ટેટમેંટ પ્રિંટ કરી શકો વગેરે વગેરે. તમારું કામ સરળતાથી પતી જાય. થોડી સાવધાની રાખવી પડે જેમકે ખાનગી કમ્પ્યુટર પરથી જ લોગ ઈન કરવાનું, પાસવર્ડ કોઈ સાથે શેર નહીં કરવાનો, ઓનલાઇન ફ્રોડ થી બચવાનું વગેરે. આ બધું ધ્યાન રાખો તો ઘેર બેઠા બેંક ના વ્યવહારો પતાવી શકો. મને તો આ જ રીત ગોઠી ગઈ છે!
   દીકરી નમ્યાનું સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ પણ મારે તો ટ્રાન્સફર કરી નાખવું હતું જેથી ટિપિકલ સરકારી ઓફીસ જેવી પોસ્ટ ઓફીસ માં જવાની ઝંઝટમાંથી છૂટકારો મેળવી ઓનલાઇન બધા વ્યવહારો પતાવી શકાય પણ જાણ થઈ કે હજી આ અકાઉન્ટ ટ્રાન્સફર કરવું શકય નથી, નવું સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ ખાનગી બેંકમાં ખોલી શકો પણ જૂનું ટ્રાન્સફર કરવું હાલ માં શકય નથી. જેવું એ શક્ય બનશે કે હું વહેલામાં વહેલી તકે એ કરી નાખીશ!
 તમને કઈ પદ્ધતિ ગમે — પ્રત્યક્ષ જવાની કે નેટ બેન્કિંગ વાળી?

રવિવાર, 9 જુલાઈ, 2017

વર્ષગાંઠની અનોખી ઉજવણી

  જૂન મહિનો આવે એટલે મને ઉચાટ અને ઉત્સાહની મિશ્ર અનુભૂતિ થવા માંડે. કારણ મારી દિકરી નમ્યાનો જન્મદિવસ ૨૫મી જૂને આવે અને એ કઈ રીતે ઉજવવો એની વિચારમાળા - તાલાવેલી શરૂ થઈ જાય! અનોખી રીતે ઉજવાવો જોઇએ અને તેને પણ મજા પડે તેમજ અન્ય કોઈ એવા તત્વ ને સાંકળી લેવાનો પણ મારો આગ્રહ જેને લઈને અન્યો પ્રત્યે પણ અનુકંપા રાખવાના સુસંસ્કારનો તેનામાં સંચાર થાય. આ કટારના નિયમિત વાચકોને ખ્યાલ હશે કે અગાઉ મેં નમ્યાની વર્ષગાંઠની ઉજવણી જુદા જુદા અનાથાઆશ્રમ કે શેલ્ટરહોમમાં રહેતા બાળકો સાથે કરી છે પણ આ વખતે તેનો સાતમો જન્મદિવસ તદ્દન જુદી રીતે ઉજવવો એવી મને ઈચ્છા થઈ અને મેં નક્કી કર્યું કે હું આ વખતે સાતમા જન્મદિન નિમિત્તે  સાત જુદી જુદી બાબતોને નમ્યાના જન્મદિનની ઉજવણી સાથે સાંકળી લઈશ અને સદનસીબે હું એમ કરવામાં સફળ રહ્યો.આ સાત બાબતોની વાત આજે બ્લોગ થકી તમારા સૌ સાથે શેર કરીશ.
થાણામાં ‘કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ’ નામે એક એન.જી.ઓ. સંસ્થા અનાથાશ્રમ ચલાવે છે.લગભગ અઠ્ઠાવીસ છોકરા અને બત્રીસેક છોકરીઓ આ આશ્રમના બે જુદા જુદા ઘરોમાં નિવાસ કરે છે. પાંચથી અઢારેક વર્ષની ઉંમરના બધા બાળકો અભ્યાસ કરે છે. જૂનમાં તેમનું નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થાય એટલે તેમને યુનિફોર્મ, સ્ટેશનરી ,અભ્યાસ સામગ્રી વગેરેની જરૂર પડે. એક વોટ્સએપ ગ્રુપ પર આ વિશે માહિતી મળી અને મેં નક્કી કર્યું કે પહેલા-બીજા ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી બાળકોના યુનિફોર્મની બે જોડીનો ખર્ચ નમ્યાના જન્મદિવસ નિમિત્તે હું ઉપાડી લઈશ. થાણેમાં રહેતા એક મિત્ર  દ્વારા આ આશ્રમની મુલાકાત થકી સંસ્થાની વિશ્વસનિયતા ચકાસ્યા બાદ ત્યાંના સંચાલક સાથે ફોન પર વાત કરી તેમના બેન્ક અકાઉન્ટની માહિતી મેળવી લીધી અને બે જોડી યુનિફોર્મ્સની કિંમત જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી. આ હતું નમ્યાની વર્ષગાંઠ અનોખી રીતે ઉજવવાનું પ્રથમ પગલું. 9967794329 નંબર પર સંચાલક મહોદય જોનાથન સાથે વાત કરી તમે પણ આ સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી શકો છો.
‘રત્નનિધી ચેરીટેબલ ટ્રસ્ટ’ એક જાણીતી બિનસરકારી સંસ્થા છે જે અનેક ક્ષેત્રોમાં સમાજસેવાનું ઉમદા કાર્ય કરે છે. નમ્યાના પહેલા ધોરણના પુસ્તકો સહિત ઘણાં બાળવાર્તાઓના પુસ્તકો થોડા મહિના પહેલા જ તેમને ડોનેટ કર્યા હતા એટલે તેમની સઘળી પ્રવૃત્તિઓનો ચિતાર આપતી તેમજ તેમનો વાર્ષિક વિકાસ અહેવાલ ધરાવતી એક રંગીન સચિત્ર પુસ્તિકા તેમણે મને મોકલાવેલી. એમાં તેમની એક પ્રવૃત્તિની વાત હતી જેના હેઠળ તેઓ રોજ સવારે મુંબઈની ચાલીસેક કરતા વધુ શાળાઓમાં ગરીબ બાળકો માટે મિડ-ડે મિલ તરીકેનો પૌષ્ટીક નાસ્તો તૈયાર કરી મોકલાવે છે. તેમની વેબસાઈટ પર જઈ તમે આ નાસ્તો એક મહિના કે એક વર્ષ માટે એક કે વધુ બાળકોને તમારા તરફથી સ્પોન્સર કરી શકો છો એવી સુવિધા અપાઈ છે. મેં નમ્યાના જન્મદિન નિમિત્તે એક બાળકનો નાસ્તો એક મહિના માટે સ્પોન્સર કર્યો. આ હતું બીજું પગલું. તેમની વેબસાઈટ છે www.RatnaNidhi.org
ઓફિસના એક સહકર્મચારીના પિતાને કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ હોઈ તે સખત નાણાંભીડમાં હોવાથી ઓફિસના તેના બધા ઓળખીતાઓ પાસેથી આર્થિક સહાયતા માગતો હોવાની જાણ થઈ હતી. તેણે મને પણ આ અંગે થોડા સમય અગાઉ પૃચ્છા કરી હતી. નમ્યાના જન્મદિન નિમિત્તે મને, તેને મારી રીતે ફુલ નહિ તો ફુલની પાંખડી જેટલી સહાય કરવાનું મન થઈ આવ્યું અને મેં તેને થોડી સહાય રૂપે રકમ તેના બેન્ક અકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી. આ હતું ત્રીજું પગલું.
ચોથા પગલા રૂપે ત્રિશૂલ નામની એન.જી.ઓ.સંસ્થાને સહાય કરી. તેઓ ૨૬મી જૂને અંધેરીની તેમની હેડઓફિસ નજીકના ગરીબ બાળકો માટે પુસ્તકો અને રમકડાંની  લાઈબ્રરીનો શુભારંભ કરવાના હતા. તેમના ખજાનચી સાથે ફોન પર પોતે વાત કરી મેં થોડી રકમ બાળકોના પુસ્તકો માટે ફાળવવા ની ઇચ્છા પ્રગટ કરી અને એ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી. આ સંસ્થા અને તેમની પ્રવૃત્તિઓ અંગે વધુ માહિતી મેળવવા તમે તેમની વેબસાઈટ www.trishul-ngo.org ની મુલાકાત લઈ શકો છો.
પાંચમા પગલા રૂપે મેં નમ્યાને મારા તરફથી એક ટેરેરિયમ ભેટમાં આપ્યું. ટેરેરિયમ એટલે પારદર્શક કાચનો એક ચંબુ જેમાં નાનકડા છોડ ઉગાડેલા હોય અને અન્ય સુશોભનની વસ્તુઓ પણ સુંદર રીતે ગોઠવેલી હોય.
મેં નમ્યાને ભેટ આપેલ  ટેરેરિયમ સફરજનના આકારનું કાચનું પાત્ર હતું જેમાં બે જુદા જુદા પ્રકારના લીલાછમ છોડ સહિત રંગબેરંગી લીસ્સા ગોળ પથ્થર માટી પર સુંદર રીતે ગોઠવ્યા હતા. આ ભેટ નમ્યાને આપવા પાછળનું કારણ એ હતું કે તે જ્યારે રોજ આ ટેરેરિયમમાં એક-બે ચમચી પાણી નાંખી છોડને જીવંત રાખશે ત્યારે તેને પર્યાવરણના જતનનો સંદેશ આપોઆપ મળી રહેશે અને તેનો પ્રકૃતિ પ્રત્યેનો લગાવ વધશે.
છઠ્ઠા પગલા તરીકે મેં નમ્યાના ભવિષ્ય અંગે વિચારી ઓનલાઈન થોડું સોનામાં રોકાણ કર્યું. ભલે આ રકમ નજીવી હતી પણ 'ટીપે ટીપે સરોવર ભરાય' આ મહત્વનો સંદેશ અને પાઠ પણ તેને આ દ્વારા મળી રહેશે.
સાતમા અને અંતિમ પગલાની વાત આવતા સપ્તાહના ગેસ્ટબ્લોગ પછીના લેખમાં, જ્યાં હું તેના જન્મદિવસના ૨૫મી જૂનના રવિવારને કઈ રીતે નમ્યા અને મારા આખા પરીવાર સાથે મનોરીના મનોરમ્ય દરીયાકાંઠાની ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી રીસોર્ટમાં ઉજવ્યો તે શેર કરીશ.
(ક્રમશ:)

મંગળવાર, 27 ડિસેમ્બર, 2016

વોટ્સએપ ગૃપ માટે નિયમો



          વોટ્સ એપ આજે આપણા જીવનના એક અનિવાર્ય અંગ સમાન બની ગયું છે. દર થોડી મિનિટે આપણને એમાં આવતા મેસેજીસ તપાસ્યા વગર ચાલતું નથી. કંઈ કેટલાયે વોટ્સ એપ ગૃપ્સના પણ આપણે મેમ્બર કે એડમિન હોઇએ છીએ અને અગણિત સંદેશાઓની આપલે દિવસરાત ચાલતી રહે છે. આમાં ઘણી વાર સંદેશાઓ મોકલવાનો  કોઇ ચાર્જ લાગતો હોવાને લીધે પ્રમાણ ભાન રહેતું નથી અને ઘણા ખોટા કે અર્થનો અનર્થ કરનારા સંદેશાઓ પણ આપણે ઘણી વાર જાણ્યે-અજાણ્યે મોકલતા હોઇએ છીએ.
વર્ષ ૨૦૧૬ના અંતિમ બ્લોગમાં આજે વોટ્સ એપ દ્વારા પ્રાપ્ત થયેલ એક મહત્વનો સંદેશવોટ્સએપ ગૃપ માટે નિયમો”  નો ભાવાનુવાદ  કરી  અહિ રજૂ કરું છું એવી આશા સાથે કે વા વર્ષમાં વે પછી આપણે અતિ અગત્યના સાધનનો વિચારપૂર્ણ અને અસરકારક ઉપયોગ કરતા ઇએ.
વોટ્સ એપ ગૃપનો મૂળ હેતુ અને બનાવવા પાછળ નું મૂળ કારણ કે ઉદ્દેશ્ય હંમેશા કોઈ પણ સંદેશ મોકલતા પહેલા યાદ કરી લો. જે સોસાયટીમાં તમે રહેતા હોવ તે વિશેની બાબતો ચર્ચવા માટે બનાવાયેલા ગૃપમાં કે તમારા સંતાનોની સ્કૂલના અન્ય વાલીઓ સાથે સ્કૂલ અંગેની બાબતો ચર્ચવા બનાવાયેલા ગૃપમાં તમે જોક્સ મોકલો કે પોતાના ધંધાના માર્કેટીંગ કરતા સંદેશ મોકલો તો યોગ્ય ગણાય.
તમે જો કોઈ સમાચાર મોકલતા હોવ તો તે સાચા છે કે નહિ તેની ચકાસણી અવશ્ય કરી લો.તમે સંદેશો ગૃપમાં મોકલો ત્યારે તે એકસાથે અનેક ને અને તે અનેક મારફતે આગળ સેંકડો અને હજારો લોકો સુધી પળવારમાં પહોંચી જાય છે. આથી અતિ અગત્યનો મુદ્દો જરૂર યાદ રાખો.
જો તમે મોકલેલા સમાચાર સાચા હશે તો ગૃપના દરેક સભ્ય તમને આદરથી જોશે અને તમારું ગૃપમાં માન વધશે અને લોકો તમને એક વાબદાર વ્યક્તિ તરીકે જોશે. પણ જો એકાદ સંદેશો પણ ખોટો મોકલ્યો તો તમે વિશ્વસનિયતા તો ગુમાવી બેસશો અને સાથે સાથે અફવા ફેલાવવાના ગુનામાં પણ ભાગીદાર બનશો.
કોઈ એક મેમ્બર સાથે મતભેદ થાય તો ગૃપમાં ચર્ચા કે ઝઘ​ડો ટાળો. તે વ્યક્તિ સાથે ખાનગી કે વ્યક્તિગત  ચર્ચા કરો.
માત્ર અને માત્ર ઉપયોગી વાત કે સમાચાર ફોર્વર્ડ કરો.આનાથી લોકો તમારી પ્રત્યે માન ભરી નજરે જોશે.
આપણે એક કરતા વધુ ગૃપના મેમ્બર હોઇએ છીએ એટલે મેસેજ રીપીટ તો વાના ! જો એકાદ સંદેશ કે પિક્ચર કે વિડીઓ ફરી આવે તો તેને તરત ડીલીટ કરી નાંખો.
એક સાથે અનેક સંદેશા કે પિક્ચર્સ  કે વિડીઓ મોકલવાનું ટાળો. તમારા રીતે મોકલેલા સંદેશાઓ બીજાઓ માટે ઘણી વાર ભાર સમાન કે નકામા કચરા જેવા બની રહેતા હોય છે. જે ક્યારેક સામાના ફોનની મર્યાદીત મેમરી ભરી નાખતા હોય છે.
કોઈ પણ પિક્ચર કે વિડીઓ શેર કરતા પહેલા ચકાસી લો કે મોકલવા લાયક છે કે નહિ.જો તે પહેલા ગૃપ પર અન્ય કોઇ  મેમ્બરે શેર કર્યો હોય તો પણ તે ફરી મોકલવાનું ટાળવું જોઇએ.
ખોટી માહિતી, વા ને લગતી વિગત કે ઉપચાર વિશેની માહિતી ક્યારેય મોકલશો નહિ કે તેનો કોઈ ડોક્ટર સાથે ચકાસ્યા સિવાય પ્રસાર કરશો નહિ. અફવાઓ ફેલાવશો નહિ.
૧૦ હિંસાત્મક કે વિકૃત પિક્ચર્સ કે વિડીઓઝ આગળ પ્રસરાવશો નહિ. કદાચ સારી ભાવનાથી મોકલાવવામાં આવ્યા હોય તો પણ તેને આગળ મોકલાવી તેનો વધુ ફેલાવો કરશો નહિ.
૧૧ ગૃપમાં ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ કે શુભ બપોર જેવા સંદેશ મોકલાવશો નહિ.
૧૨ ગૃપમાં તમારો સંદેશ વ્યવહાર એવો રાખજો કે જેથી ગૃપ એડમિન ને તેની અસર થાય કે અથવા તમે કોઈની નફરતનો ભોગ બનવા પામો.
૧૩ જ્યારે ગૃપને ઉપયોગી એવો કોઇ સંદેશ મોકલતા હોવ ત્યારે તમારું નામ અને તારીખ પણ અચૂક સાથે લખી મોકલો જેથી ગૃપના અન્ય સભ્યોને વિશે માહિતી મળે.ક્યારેક કોઈ વૈદકીય કે અભ્યાસને લગતી કે કોઈ પણ ઉપયોગી માહિતી માટે તમારો ફરી સંપર્ક કરવાનું એનાથી આસાન બની રહેશે.
૧૪ હંમેશા ગૃપમાં મૂક પ્રેક્ષક બની રહેશો નહિ.
૧૫ ક્યારેય ક્યારેય ક્યારેય એવો કોઈ પણ સંદેશ પોતે મોકલશો નહિ કે ફોર્વર્ડ કરશો નહિ જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ વ્યક્તિ , જાતિ, ગૃપ, ધર્મ કે વંશ વગેરે વિરૂદ્ધ માં કે તેમને હાનિ પહોંચાડનારો હોય.
૧૬  મહેરબાની કરીને પ્રકારના સંદેશાઓ ક્યારેય ફોરવર્ડ કરશો:
- પોસ્ટ આગળ મોકલશો તો ફલાણી કંપની કે વોટ્સ એપ કોઈ વ્યક્તિના લાભાર્થે અમુક રૂપિયા કે પૈસા જમા કરશે કે દાનમાં આપશે.
- મેસેજ દસ જણને કે સો લોકોને મોકલશો તો સાઇ બાબા કે ગણપતિ બાપ્પા કે કોઈ અન્ય ભગવાન તમારૂ ભલુ કરશે.
- ફલાણી વ્યક્તિ ખોવાઈ છે કે ઢીકણી વ્યક્તિ ને લોહીની કે અન્ય મદદની જરૂર છે. (સિવાય કે તમે સંદેશમાં જે તે વ્યક્તિ નો ફોન આપ્યો હોય તેની સાથે પોતે વાત કરી જે તે બાબતની સત્યતાની ચકાસણી કરી હોય)
- સંદેશ પાંચ ગૃપ માં મોકલો અને જાદુ જુઓ.
- મેસેજ મોકલશો તો વોટ્સએપ નું બટન લીલુ જશે કે પ્રધાનમંત્રી તમને સો રૂપિયા મફત આપશે કે તમારા અકાઉન્ટમાં બસો રૂપિયાનો ટોક ટાઈમ જમા જશે કે ફલાણી કંપની તમને મફતમાં બૂટ કે કપડા કે અન્ય કોઈ ભેટ આપશે.