Translate

સોમવાર, 31 ડિસેમ્બર, 2012

તમસો મા જ્યોતિર્ગમય...

જગતમાં અપાર સુંદરતા છે. રંગીન પુષ્પો જુઓ કે પાંખો ફફડાવતા ચંચળ પતંગિયા, જંગલોની અને પાકથી લહેરાતા ખેતરોની લીલોતરી જુઓ કે અફાટ રણ કે ઉત્તુંગ શિખરો ધરાવતા કે હિમાચ્છાદિત પર્વતો,સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે આકાશમાં રચાતી રંગલીલા જુઓ કે ચોમાસામાં જોવા મળતું મેઘધનુષ,રંગબેરંગી નાના મોટા જીવજંતુઓ જુઓ કે કલશોર કરી ઉડાઉડ કરતાં નાના મોટા પંખીઓ,તહેવારો દરમ્યાન કરાતી રોશની,રંગોળી કે અવનવા ઝાકઝમાળ વસ્ત્રપરિધાન જુઓ કે કુદરતી નદી,ઝરણાં,સમુદ્રો,મહાસાગર કે માનવ સર્જિત સરોવર,તળાવ કે બાગબગીચાઓનું સૌંદર્ય જુઓ. વાંચતા પણ મન પ્રસન્ન થઈ ગયું ને? ભગવાનનો લાખ લાખ આભાર માનો કે આ બધું તમે જોઈ શકો છો, જોઈને માણી શકો છો. કારણ ભગવાને તમને બે મહામૂલ્ય રત્નો આપ્યા છે - નેત્રરત્નો...


હવે કલ્પના કરો કે તમારી આંખ સામે પાટા બાંધી દેવાયા છે,એવી સજ્જડ રીતે કે પ્રકાશનું નાનું સરખું એક કિરણ પણ તેમાં ન પ્રવેશી શકે.તમને શું દેખાશે?માત્ર એક જ રંગ - કાળો. અંધારપટનું સામ્રાજ્ય છવાઈ જશે તમારા નેત્રવિહિન જગતમાં. ઉપર જણાવેલી કે અન્ય કોઈ પણ સુંદર વસ્તુ તમે ક્યારેય જોઈ શકશો નહિં. જન્મથી અંધકારનો અભિશાપ લઈ જન્મનાર વ્યક્તિએ તો આ બધી સુંદર વસ્તુઓની માત્ર કલ્પના જ કરવી રહી અને એ કલ્પના પણ કેવી હશે તે આપણાં જેવા દ્રષ્ટી ધરાવતા મનુષ્ય માટે અકલ્પનીય છે.તો એવી વ્યક્તિ જેણે એક વાર આ બધું જોઈ લીધા બાદ કોઈ રોગ કે સંજોગવશ દ્રષ્ટી ગુમાવી દીધી હોય તેના માટે આ બધુ ફરી ન જોઈ શકવાની વેદના કેટલી દુષ્કર અને દુ:ખદાયી હશે તે સમજી શકાય એવી વાત છે.

પણ આપણે આ અંગે કંઈક કરી શકીએ તેમ છીએ. નેત્રદાન દ્વારા.

મ્રુત્યુ બાદ આંખો પણ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય અને તેનો કોઈ ઉપયોગ ન થતા તે વેડફાઈ જાય છે. લાશ માટે આંખો કોઈ ઉપયોગની રહેતી નથી.આથી જો મૃત્યુ બાદ ચાર-પાંચ કલાકમાં આંખો નિષ્ણાત ડોક્ટર દ્વારા કાઢી લેવાય તો એક વ્યક્તિની બે આંખો દ્વારા છ દ્રષ્ટીવિહીન આંખો જોતી થઈ શકે. હા! છ દ્રષ્ટીવિહીન આંખો. અહિં છપવામાં કોઈ ભૂલ નથી થઈ. કઈ રીતે? આવો વૈજ્ઞાનિક ઢબે સમજીએ.

આપણી આંખોમાં કીકી ઉપર એક અતિ પાતળો પડદો હોય છે. જેને કોર્નિયા કહે છે. તે કાચ જેવો પારદર્શક હોય છે. તે ક્યારેક ધૂંધળો થઈ જાય તો વ્યક્તિને ધૂંધળું દેખાવા લાગે જેને આપણે મોતિયો આવ્યો એમ કહીએ છીએ. જ્યારે કોઈ કારણ સર આ કોર્નિયા અપારદર્શક બની જાય કે તેને નુકસાન પહોંચે ત્યારે વ્યક્તિ આંશિક કે સંપૂર્ણ રીતે જોવાની શક્તિ ગુમાવી બેસે છે, અંધ બની જાય છે. પણ જો નેત્રદાન દ્વારા મળેલી આંખના કોર્નિયાનો યોગ્ય ઉપયોગ થાય તો તબીબ બે આંખોના કોર્નિયા ત્રણ ભાગમાં કાપી અન્ય છ આંખોને જોતી કરી શકે છે. આમ જો સંપૂર્ણ અંધ એવી વ્યક્તિને એક આંખે જોતી કરવામાં આવે તો મૃત વ્યક્તિના બે નેત્રો દ્વારા કુલ છ અંધ વ્યક્તિ દ્રષ્ટી પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પામી શકે.

વિશ્વમાં લગભગ ચાર કરોડ દ્રષ્ટીવિહીન મનુષ્ય છે જેમાંથી એક કરોડ જેટલાં ભારતમાં છે.આમાંથી ૨૫ લાખ લોકો કોર્નિયાની પારદર્શકતા ગુમાવવાથી દ્રષ્ટી ખોઈ બેઠાં છે.એ લોકોની કોર્નિયા જો બીજી મૃત વ્યક્તિના સારા કોર્નિયાથી બદલી શકાય તો તેઓ ફરી દેખતા થઈ શકે. કૃત્રિમ કોર્નિયા હજી સુધી શોધી શકાયો નથી તેથી માનવ કોર્નિયાનો ઉપયોગ એકમાત્ર ઉપાય છે.કોર્નિયાનું આયુષ્ય ૧૫૦ વર્ષ હોવાથી રોપાયેલા કોર્નિયા ફરી ઉપયોગમાં લઈ શકાય છે. ભારતમાં દર વર્ષે બે કરોડ લોકો મૃત્યુ પામે છે પણ ફક્ત પાંચહજાર મૃતદેહોની આંખો જ દાનમાં મળે છે.બાકીની આંખો અગન કે દફન દ્વારા વેડફાઈ જાય છે. જો દરેક વ્યક્તિ પોતાના મૃત્યુ પૂર્વે પોતાના ચક્ષુ દાનમાં આપી દેવા માટે રજિસ્ટ્રેશન કરાવે તો માત્ર ૧૧ દિવસમાં ભારતના તમામ અંધજનોને દ્રષ્ટી મળી શકે.

આપણે જીવતેજીવ અન્ય કોઈ દાનપુણ્યનું કાર્ય કર્યું હોય કે ન કર્યું હોય પણ નેત્ર દાનનું મહાદાન મૃત્યુ બાદ ચોક્કસ કરીને અઢળક પુણ્ય કમાઈ શકીએ. આમાં કોઇ નુકસાન થતું નથી.

જીવતે જીવ આપણે નેત્રદાન માટે રજિસ્ટ્રેશન કરાવી શકીએ છીએ અથવા આપણી આવી ઇચ્છા આપણા પરિવારજનો તેમજ મિત્રો સમક્ષ વ્યક્ત કરી શકીએ છીએ.આપણા ફેમિલી ડોક્ટરને પણ આ અંગે જાણ કરી શકીએ છીએ. મૃત્યુ બાદ પરિવાર જનો નેત્રદાન સ્વીકરતી સંસ્થાનો સંપર્ક કરી પરવાનગી આપતા ફોર્મ પર સહી કરી આપે એટલે માત્ર પંદર મિનિટમાં શસ્ત્રક્રિયા દ્વારા ચક્ષુ મૃતકના દેહમાંથી કાઢી લેવાય છે. તેનાથી ચહેરો બિલકુલ વિકૃત થતો નથી.ચશ્મા કે મોતિયો ધરાવતી વ્યક્તિ પણ નેત્રદાન કરી શકે છે.મારા વ્રુદ્ધ ગામે રહેતા ફોઈ મુંબઈ આવેલા, તેમને નેત્રદાન વિશે વાત કરી તો કહે જો આંખો દાનમાં આપી દઈએ તો આવતા જન્મે અંધાપો આવે. તર્ક વિનાની આ દલીલ સાંભળી પહેલા તો હસવું આવ્યું. પછી મેં તેમને સમજાવ્યું કે તેઓ જે ભજન ગાતા "કાલ કોણે દીઠી છે..." તે ન્યાયે આવતી કાલે શું થવાનું છે તેની જો આપણને ખબર ન હોય તો આવતા ભવની અટકળો કરવાનો કોઈ અર્થ? નશ્વર દેહ સાથે બળી કે દટાઈને નષ્ટ થઈ જવા કરતા બે આંખો દ્વારા જો અન્ય છ નેત્રવિહીન વ્યક્તિઓ જોવાનું સુખ પામી શકવાની હોય તો એનાથી રૂડૂં બીજું કંઈ ન હોઈ શકે એમ હું આખરે તેમને મનાવી શક્યો! હવે તે નેત્રદાન કરે છે કે નહિં તે તો રામ જાણે પણ મેં અને મારા પિતાએ નિર્ધાર કર્યો છે કે અમે ચોક્કસ નેત્ર દાન કરવાના છીએ.

હવે થોડી ઉપયોગી માહિતી આપી દ ઉં.જો તમારે કોઈ સ્વજનનાં નેત્રોનું દાન કરવું હોય તો ટોલ ફ્રી નંબર ૧૯૧૯ ઉપર ફોન કરી મ્રુત્યુના ચાર કલાકની અંદર જાણ કરવી જેથી નિષ્ણાત ડોક્ટર તમારા ઘેર આવી વિનામૂલ્યે મ્રુતકની આંખો સંભાળીને લઈ જશે અને નજીકની ચક્ષુબેન્કમાં જમા કરી દેશે.ત્યાંથી એ આંખો સમયસર અને જરૂરિયાત મુજબ કેટલીક ચોક્કસ નિયત હોસ્પિટલમાં મોકલી આપવામાં આવશે જ્યાં જરૂરિયાતમંદની આંખોમાં ઓપરેશન દ્વારા કોર્નિયા વિનામૂલ્યે બેસાડવામાં આવશે અને આમ તે આંખો મ્રુત્યુ બાદ પણ આ જગતને જોતી રહેશે!

આંખને કાઢ્યા પછી તેની આંકણી કરવામાં આવે છે અને તેની પર અનેક પ્રક્રિયાઓ કરી તેની યોગ્યતા માપ્યા પછી જ તેને ડોક્ટરને પહોંચાડવામાં આવે છે.જે કોર્નિયા કોઈ કારણસર આરોપણ માટે વાપરી ન શકાય તેમ હોય તેને અમૂલ્ય અભ્યાસ અને શોધખોળ (રિસર્ચ) માટે ઉપયોગમાં લેવામાં આવે છે.આમ નેત્રદાન ક્યારેય એળે જતું નથી.

તમે જો કાંદિવલી કે તેની આસપાસ રહેતા હોવ તો ત્યાં સ્થિત નેત્રદાન જાગ્રુતિ કેન્દ્રમાં મૂળરાજભાઈ કાપડીઆને મળી શકો જેમણે પોતાનું જીવન નેત્રદાન પ્રવૃત્તિને સમર્પિત કરી દીધું છે. તેમનો ૯૩૨૨૨૩૭૩૨૩ નંબર પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકશો. અહિં નેત્રદાન માટે રજિસ્ટર કરવાનો એક ફાયદો એ પણ છે કે તેઓ તમને એક ‘Eye Donor’નું ટેટૂ શરીર પર વિનામૂલ્યે કરાવી આપવાની સવલત આપે છે. ટેટૂ હોય તો માણસ હોસ્પિટલમાં હોય તો ડોકટરની કે ઘેર હોય તો પરિવારજનોની નજરે ટેટૂ ચડે અને નેત્રદાન યાદ આવે. નેત્રદાનની પ્રવ્રુત્તિમાં મૂળરાજભાઈને કાંદિવલીના ડો. દિલીપ રાયચૂરા અને બિગ બોસ બ્યુટી પાર્લરના હરીશ ભાટીયા તેમજ અન્યોનો અમૂલ્ય સહકાર પણ મળ્યો છે જેના થઈ નેત્રદાનની પ્રવ્રુત્તિને સારો વેગ મળ્યો છે.

વર્ષ ૨૦૧૨ની વિદાય વેળાએ અથવા વર્ષ ૨૦૧૩ને વધાવતી વેળાએ નેત્રદાનનો સુસંકલ્પ કરવાનો અવસર ગુમાવવા જેવો નથી!

શનિવાર, 22 ડિસેમ્બર, 2012

ગેસ્ટ બ્લોગ : કાગડો

- મૈત્રેયી મહેતા


કાગડા કાગડા કઢી પીવા આવ,

શેર કંકુ લેતો આવ.......

બહુ નાના હતા ત્યારે આવું કંઈ રમતા હતા, નહિ ? યાદ છે ? એ જ, એ જ કાગડા વિષે આજે વાત માંડવી છે. કાળો કાળો કાગડો , કા કા કા કા કરીને કર્કશતા માટે પ્રખ્યાત કાગડો. અને તેની સાથે જ કોયલ અને હંસ ,એ બન્ને ના વિરોધાત્મક પ્રતિક તરીકે જાણીતો કાગડો.. પણ બીજા કોઈ વિષે નહિ અને કાગડા વિષે જ કેમ એવો પ્રશ્ન સ્વાભાવિક છે .થયું એવું કે અમારા ઘરની આસપાસ ઘણાં ઘટાદાર વૃક્ષો છે, કબૂતરો ઓછા પણ કાગડા વધારે છે. અને અચાનક આજુબાજુ વસતા કાગડામાંથી એક કાગડાને બાલ્કનીમાં જતા દરેક સાથે શી ખબર શું વાંકું પડ્યું કે દરેકને ચાંચ મારે ! બહાર બાલ્કનીમાં ગયા નથી કે ચાંચ મારી નથી...! અને ક્યાંથી ઉડીને આવી જાય કે ખબર જ ના પડે, ચાંચ મારે એટલે માથામાંથી લોહી નીકળે.. એની ચાંચ કડક હોય... ! આ બધું બહુ ચાલ્યું... છેવટે બાલ્કની પર રાજ જમાવી બેઠા છે કાગડા ... બાલ્કનીમાં બહાર જવાતું નથી... પછી પાણી મુકવાનું શરુ કર્યું છે... જોકે ડર તો ચાલુ જ છે.

આમ કાગડાભાઈ વાતનો વિષય બની બેઠા. એક બાળ વાર્તા યાદ આવે છે. નાનકડો બચુડીયો

બાલ્કનીમાં બેઠો બેઠો પૂરી ખાતો હતો. કાગડાભાઇ આવીને પૂરી ઝૂંટવી ગયા.આમ તીવ્ર નજર રાખતા કાગડા ચતુર ગણાય છે. ચતુર કાગડાએ કંકર નાખી પાણી પીધું... એ વાત હવે સ્ટ્રો વડે પાણી પીતો કાગડો તરીકે જાણીતી છે.

મૂળ એશિયન એવા આ કાગડા હાઉસ ક્રો કે કોલંબો ક્રો તરીકે જાણીતો છે અને માનવ વસ્તીની આજુબાજુ બધે જોવા મળે છે. સામાન્ય રીતે ૪૦ સે.મી. લાંબો હોય છે. નેપાળ, બંગલા દેશ, પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ્સમાં અને લેકેદીવ ટાપુઓ પર પણ જોવા મળે છે. ગુગલ પરથી મળતી માહિતી મુજબ ૧૮૯૭ ની આસપાસ સુદાન, ઝાંઝીબારની આજુબાજુ પૂર્વ આફ્રિકામાં લઇ જવામાં આવ્યો. ઓસ્ટ્રેલીયામાં તો તે વહાણ દ્વારા પહોંચી ગયો. હવે તો કાગડાભાઇ યુરોપ પણ પહોંચી ગયા છે.

ફ્લોરીડાના સેન્ટ પીટર્સબર્ગની આજુબાજુ કાગડાએ વસવાનું શરુ કર્યું છે. આ કાગડા સર્વ ખાદ્ય પદાર્થ ખાય છે. જોકે સફાઈ કામગીરી સારી રીતે બજાવે છે. તે માનવ વસ્તીની આજુબાજુ વસે છે, અને માણસે ફેંકી દીધેલી બધી ખાદ્ય ચીજો આરોગી જાય છે. તે ઉપરાંત જીવ જંતુ, જીવડા,ઈંડા , અનાજ અને ફાળો પણ ખાય છે. અરે આકાશમાંથી ઉડતાં ઊડતાં ચીલ ઝડપથી નીચે આવીને નાનકડા ખિસકોલીના બચ્ચા કે ઉંદરને પણ ઉઠાવી જઈ શકે છે.

અમેરિકન કાગડા પ્રમાણમાં મોટા હોય છે. મેં જોયું કે જાપાનમાં પણ વિશેષ ધ્યાન ખેંચે તેવા મોટા મોટા કાગડા હોય છે. ખાસ કરીને ઉત્તર અમેરિકામાં મોટા કાગડા જોવા મળે છે. તે ૪૦ થી ૫૩ સે.મી. લાંબા હોય છે. તેની એક પાંખ ૨૭ થી ૩૪ સે.મી. લાંબી હોય છે.

કાગડા ખુબ ચતુર હોય છે ,તે માણસોના અને પંખીઓના અવાજ ને ઓળખે છે. સંશોધકોએ માણસો અને પક્ષીઓના અવાજને રેકોર્ડ કરીને કાગળના પ્રતિભાવો ચકાસ્યા છે. ડો. વોશરે BBC ને કહ્યું કે શહેરોમાં કાગડાઓ, જેક ડૉ, મેગી , સીગલ અને માણસો ની આસપાસ વસે છે. કાગડા અજાણ્યો અવાજ સાંભળતાં જ સાવધાન થઇ જાય છે. જાણીતા માણસો કે પક્ષીઓના અવાજને ઓળખે છે અને પ્રતિભાવ પણ આપે છે.

કાગડા બહુ જ ચતુર હોય છે , એ વાત આપણે સહુ જાણીએ છીએ.એક કાગડો, પશુ-પક્ષીઓ માટે મુકવામાં આવેલા પાણીના પત્રમાં મેગીના ટુકડા નાખી તેને થોડી વાર પલાળવા દે અને પછી તે પોચા થાય પછી તેની મઝા માણે છે, લો બોલો..! કાગડા બદામ પ્રકારની કડક ખાદ્ય ચીજોને વાહન વ્યવહાર વાળા ભરચક રસ્તા પર ફેંકે છે મોટર-ગાડીઓના પૈડાંદ્વારા તેને તોડીને પછી તે ખાય છે ? ખરેખર, સાચું નથી લાગતું ? ગુગલ પર તેનો વિડીયો જોઈ લો ! વાહ ખરેખર કાગડાભાઇ બહુ ચતુર તો છે જ, તેમાં ના નહીં જ !પણ કાગડા ચતુર છે તો કોયલ તેનાથી પણ ચતુર છે, તે પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી દે છે ... અને કાગડો પોતાના ઈંડાની સાથે કોયલના ઈંડાને પણ સેવે છે અને બચ્ચાંને પોષે છે...

નર કાગડો ૫ વર્ષ અને માદા કાગડો ૩ વર્ષ જીવે છે. કેટલાક કાગડા ૨૦ વર્ષ પણ જીવે છે. અમેરિકાનો એક કાગડો ૩૦ વર્ષ સુધી જીવ્યાના પણ દાખલા છે.

* આઈરીશ માયથોલોજીમાં, કાગડો યુદ્ધ અને મૃત્યુની દેવી , મોરીગન સાથે સંકળાયેલો છે.

*નોર્સ માયથોલોજીમાં કાગડાનું જોડું - Huginn અને Munnin , વિશ્વ પર ઉડે છે, અને ભગવાન Odin ને પૃથ્વી પરની માહિતી આપે છે.

* હિંદુ માન્યતા મુજબ કાગડો કાગભુશંડીનું પ્રતિક છે. મૃત્યુ પછી જીવને કાગડા મારફતે પીંડ ખવડાવવામાં આવે છે. અને શ્રાદ્ધ પક્ષમાં કાગ વાસ નાખવામાં આવે છે , જે દ્વારા નવો જનમ ના લેનાર પિતૃ, કાગડા દ્વારા ખીર ખાઈને તૃપ્ત થઇ કુટુંબીજનોને આશિષ આપી પોતાની ગતિ પામે છે, એમ મનાય છે.

હિંદુ શાસ્ત્રો અને દર્શનોમાં કાગડા અને હંસ દ્વારા ઇષ્ટ અને અનિષ્ટ ની સરખામણીનું વર્ણન કરાયું છે.

જાપાનના પુરાણોમાં ત્રણ પગ ધરાવતા કાગડા "યાતાગારાસુ " નું વર્ણન આવે છે.

કાગડો કદી યે એકલો ખાતો નથી, વહેંચીને ખાવાનો સદગુણ તે ધરાવે છે, ચતુર પણ છે પણ અભીષ્ટ પણ આરોગે છે તેથી નિમ્ન કક્ષામાં તેની ગણતરી થાય છે.

આમ તો આપણે કહીએ છીએ કે કાગડા તો બધે પણ કાળા , પણ અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં સાવ સફેદ કાગડો મેં જોયો છે.

કાગડો દહીંથરું લઇ ગયો, કૌઆ ચલા હંસ કી ચાલ, જૂઠ બોલે કૌઆ કાટે , કાગારોળ મચાવી, કાગ ડોળે રાહ જોવી વગેરે વગેરે કહેવતો આપણે જાણીએ છીએ .

* માઈ રી માઈ મુંડેર પે તેરે બોલ રહા રે કાગા...

* કાગા ચૂન ચૂન ખાઈઓ...

* ઉડ જા રે કાગા ....

* અરે હા, દોસ્તો, કાગવાણી ની વાત કરવાની તો રહી જ ગઈ.... ગુજરાતી લોક સાહિત્યના સરતાજ સમા દુલાભાયા કાગના કવન... "કાગવાણીની" વાત ના કરીએ તો કેમ ચાલે ? દુલા ભાયા કાગનું સાહિત્ય એ તો ગુજરાતી લોકસાહિત્યનું અમૂલ્ય નજરાણું છે. સચોટ અને કડવું સત્ય કાગવાણીને નામે સરળતાથી વર્ણવ્યું છે એમણે....

કાગડા વિષે નવું કંઈ જાણવા મળે તો દોસ્તો જરૂર જણાવજો...

અને હા, કાગડા કાગડા કાઢી પીવા આવ પછી શું આવે છે તે હું ભૂલી ગઈ છું... તમને યાદ છે ? તો જરૂર જણાવજો, મારી email id છે : mainakimehta@ yahoo .co .in

કા.... કા.... ના.... ના .... કુહુ...કુહૂઉ ....કુહૂઉ ....

બરાબર ને ?

- મૈત્રેયી મહેતા

શનિવાર, 15 ડિસેમ્બર, 2012

ભાગો ભાગો પુલીસ આઈ…

ગયા અઠવાડિયે રોજની જેમજ સવારે હું ઓફિસ જતી વખતે વાંદ્રા સ્ટેશનના પુલ પર ચાલી રહ્યો હતો ત્યાં અચાનક ગજબની હલચલ મચી ગઈ. આ પુલ પર પણ મુંબઈના ઘણાં બધાં સ્ટેશનો પરના પુલ પર હોય છે તેમ બંને બાજુએ ફેરિયાઓ જાતજાતનો માલસામાન સસ્તા ભાવે વેચવા મિની-બજાર ભરી બેઠાં હતાં. આ બધુ અનધિક્રુત હોવા છતાં તેઓ રોજ આ રીતે સવારથી સાંજ સુધી અહિં માલસામાન વેચી પેટિયુ રળતા હોય છે. તે સવારે બન્યું એવું કે પોલીસ અધિકારીઓ સ્ટેશન પર આવી ચડ્યા હશે એટલે ફેરિયાઓના ખબરીએ દૂર થી જ તેમને ચેતવી દીધા અને થોડી જ ક્ષણોમાં આ ફેરિયાઓ પોતપોતાના હંગામી સ્ટોલ્સ તથા ફેલાવીને ગોઠવેલા માલસામાનને જેમતેમ પોટલામાં બાંધી પુલ પરથી રફૂ ચક્કર થઈ ગયાં. જો કે થોડા દિવસો પછી (કે પછી કોને ખબર થોડા કલાકોમાં જ ) ફરી તેઓ આ જગાએ પોતાનો હક(!) જમાવી હંગામી સ્ટોલ્સ ઉભા કરી દેશે અને તેમનો ધંધો ફરી શરૂ!


મને વિચાર આવ્યો કે શું સરકાર આ લોકો માટે કંઈ ન કરી શકે? તેમને કમાવું છે પેટિયુ રળવા. પણ ધંધો કરવા પુલ તો યોગ્ય જગા નથી ને? સરકાર તેમને એવા ખાસ બજારો પૂર ન પાડી શકે, જ્યાં તેઓ પોતાનો આ માલસામાન વેચી શકે? સ્ટેશન પરથી પસાર થતાં હજારો ગ્રાહકો કદાચ એ ખાસ બજારોમાં જાય તેની એમણે રાહ જોવી પડે (કદાચ એટલે જ તેમણે આ જગા અને સમય પસંદ કર્યા હોય ધંધો કરવા એવું બની શકે!) પણ તેઓ આમ પુલ પર જગા રોકી લઈ અસુવિધા કે ભય-જોખમ ઉભા કરે એ તો યોગ્ય ન જ ગણાય ને?

બીજો પણ આવો જ અનુભવ મને એક વાર હું રહું છું ત્યાં નજીકના વિસ્તારમાં થયેલો જ્યારે હું ત્યાં નાસ્તો કરવા ગયો હતો. અહિં એસ.વી.રોડ પર એક બાજુએ કેટલાક ફેરિયાઓ લાઈનમાં ઉભા રહે અને કોલેજિયનોથી માંડી પરિવારો અને સામાન્ય આર્થિક સ્થિતીના લોકોથી માંડી ગાડી વાળાઓ નાસ્તો કરવા,રાતનું ડીનર કરવા તેમની પાસે રીતસરની લાઈન લગાડે! વર્ષોથી આ જગા આ રીતના બુફે જેવા ઉભા રહીને ખાઈ શકાય તેવા ઓપન, ઇન્ફોર્મલ રેસ્ટોરન્ટ તરીકે પ્રખ્યાત છે. મેં પણ તે દિવસે અહિં આવી સેન્ડવીચનો ઓર્ડર આપ્યોપણ ત્યાંતો અચાનક ભાગાભાગી મચી ગઈ! મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી આવી હશે તેની દૂરથી જ ખબર પડી જતા બધા રેકડી વાળાઓ ખાવા પધારેલા કે ખાઈ રહેલા ગ્રાહકોની પરવા કર્યા વગર જીવ બચાવવા નાસતા હોય તેમ ત્યાંથી પોતપોતાની રેકડીઓ સહિત ભગવા લાગ્યા! નજીકની એક ગલીમાં કેટલાક રેકડીઓ વાળા પોતાની લારીઓ લઈ ઘૂસી ગયા.હું સેન્ડવીચ વાળા સાથે શું બન્યું તેની વાતો કરતો કરતો આ ગલીમાં આવ્યો અને પછી મારી સેન્ડવીચ તેણે બનાવી ત્યારથી માંડીને, મેં તે પૂરી કરી ત્યાં સુધી મેં એ સેન્ડવિચ વાળા સાથે ગપ્પાગોષ્ટિ કર્યા અને આ ઘટના વિશે માહિતી મેળવી. દર પંદર દિવસે કે મહિને આ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી આવતી અને ખાવાની લારીઓ વાળાઓએ આરીતે ભાગવું પડતું થોડા કલાક કે દિવસ તેઓ ત્યાં પાછા ન દેખાય પણ ત્યાર બાદ ફરી તેઓ આ જગાએ જ અનેકોના પેટની ભૂખ મટાડવા - જીભને ચટાકો ચડાવવા હાજર થઈ જતાં આ ઘટના ક્રમ વર્ષોથી આમ જ ચાલ્યો આવે છે.

એક રીતે જોઇએ તો આ ફેરિયાઓને કારણે એસ.વી. રોડનો અડધો ભાગ રોકાઈ જાય છે અને ટ્રાફીક પણ સારો એવો જામ થઈ જાય છે પણ ત્યાં ગાડીઓ લઈને આવનારાઓ પણ વર્ષોથી ત્યાં નિયમિત ખાવા આવે જ છે! આ ફેરિયાઓ માટે પણ સરકાર કોઈ ખુલ્લા મેદાન જેવી કે બીજી કોઈ જગા પૂરી ન પાડી શકે જ્યાં રેકડીઓ લગાડી આ ફેરિયાઓ આજીવિકા રળી શકે?

રવિવાર, 2 ડિસેમ્બર, 2012

ગેસ્ટ બ્લોગ : રાષ્ટ્રીય પીણું ‘ચા’

- સ્મિતા જાની


ચા નો ઇતિહાસ રોમાંચક છે. ચાની શોધ ચીનમાં થઈ છે. ઇ.સ. પૂર્વે. ૨૭૩૭ માં ચીનના સમ્રાટ ‘સુમારસ શેનતુંગ’ એક ઝાડની નીચે બેસીને પાણી ગરમ કરી રહ્યા હતા, ત્યારે અનાયાસ એક વનસ્પતિના પાન એમાં પડી ગયા. તે એક જંગલી ચા વૃક્ષનું પત્તુ હતુ. થોડીવાર પછી તેમાંથી મીઠી સુંગધ આવવા લાગી. સમ્રાટે આ પીણું પીધું અને તેણે સ્ફૂર્તિ અને તાજગી અનુભવી. ત્યારબાદ આ પાંદડાને ઉકાળીને પીવાની શરૂઆત થઈ, તે આપણી ચા. ભારતીય પ્રજાનું સૌથી માનીતું ગરમ પીણું "ચાય" ના હૂલામણા નામે પણ ઓળખાય છે.

જનસંખ્યાની દ્રષ્ટીએ કોફી કરતાં ચા પીનારાઓની સંખ્યા વધુ હશે તેથી ભારત સરકારે ચાને રાષ્ટીય પીણું જાહેર કરવાનો નિણ્રય લીધો છે. ઇ.સ. પૂર્વે.ત્રીજી સદીમં ચા "તુ" અથવા "ટુ" તરીકે ઓળખાતી હતી. ઇ.સ. ૨૦૬ થી ૨૨૦ ના વર્ષમાં હેન સામ્રાજ્ય દરમ્યાન તેનુ નામાંકરણ કરી "ટુ" ને બદલે "ચા" કહેવાનું શરૂ થયું.

ચા આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયેલું એક પીણું છે અને તે બધાને પરવડી શકે તેમ પણ છે. મહેમાનોની આગતા સ્વાગતા તેનાથી કરાય છે. તાજગી બક્ષતી ચા સ્વાસ્થ્યપ્રદ, સ્ફૂર્તીદાયક છે અને અમુક અંશે ઔષધીય ગુણ પણ ધરાવે છે.

આજે વિશ્વમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કરતા દેશોમાં ભારત મોખરે છે. બીજા નંબરે ચીન છે. ‘કમેલીયા સાયનેન્સિસ’ કુળની વનસ્પતિ ‘ચા’ ના બંધારણમાં એન્ટિ ઓક્સિડન્ટ તત્વો સમાયેલાં છે જે હ્રદયરોગ અને કેન્સર અટકાવવામાં મદદરૂપ બને છે તેમજ ચરબી અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

જાપાનમાં ચા પીવાનો આરંભ ઇ.સ. ૮૦૦ ની સાલમાં થયો અને ચીન અને જાપાન બંને દેશોમાં તે રાષ્ટ્રીય પીણું બની ગયું. ચીન અને જાપાન માં લોકપ્રિયતાના શિખરે પહોચ્યાં પછી ઇ.સ ૧૫૬૦માં ચાએ યુરોપખંડમાં પ્રવેશ કર્યો. આમ ચા પોર્ટુગલ, ફ્રાંસ, હોલેન્ડ આને બાલ્ટીક દેશોમાં પીવાવા લાગી. ૧૮મી સદીમાં ચા ઈંગ્લેન્ડમાં રાષ્ટ્રીય પીણા તરીકે માન્યતા પામી તો શેતાનની સોબત કરાવે એવા ઉકાળા તરીકે ચા નો વિરોધ પણ થયો હતો. વળી બ્રિટનના વડાપ્રધાન ગ્લેડસ્ટન ચાના મોટા બંધાણી હતા. તેઓ રાત્રે સુતી વખતે ચા ભરેલું થર્મોસ પોતાની પાસે રાખતા હતા.

પશ્ચિમી દેશોમાં ‘પોટ ટી’ પીવાની પ્રથા પ્રચલિત છે. અસલ તિબેટ ના લોકો રોજના ૩૦થી ૭૫ કપ ચા ગટગટાવી જતા હતાં. તો આજે પણ ચાના શોખીન ચોવીસ કલાકમાં ગમે ત્યારે ચા પી શકે છે.

અત્યારે લગભગ ત્રણ હજાર જાતની ચા બજારમાં ઉપલબ્ધ છે છતાં આ તમામ જાત મુખ્ય છ જાતમાંથી જ તૈયાર કરવામાં આવે છે. ચા ની મુખ્ય છ જાતમાં સફેદ , લીલી, સુંગધી, કોમ્પ્રેસ્ડ કરેલી, કાળી અને ચીની જાતની ઓલોંગનો સમાવેશ થાય છે. ચા ના પાંદડા ચૂંટી લીધા પછી તેના પર વિવિધ પ્રક્રિયા કરવામાં આવે છે જેના કારણે તે અલગ અલગ જાતની બને છે.

વિશ્વમાં દરેક સ્થળે ચા બનાવવાની પધ્ધતિ જુદી જુદી છે. તિબેટમાં ચા પીરસવાને પવિત્ર માનવામાં આવે છે. જાપાનમાં "ચા નો થું" એટલે ગરમ પાણીની ચા એવો તહેવાર ઉજવાય છે.

ચા વિવિધ પ્રકારની કિંમતની હોય છે. તે રૂ. ૭૦થી લઇને રૂ. ૬૦૦૦ કીલોના ભાવની પણ હોય છે. અને સોનેરી પત્રીની ચા તો રૂ. ૧૮૦૦૦ થી રૂ. ૨૦૦૦૦ની કીલોના ભાવે પણ વેચાય છે. ચાના બગીચાઓમાં આધુનિક પધ્ધતિ દ્વારા ગુણવત્તાવાળી ચાનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરત છે.

ચા માં કોઇ પોષક તત્વ નથી. ચા ના પ્રશંસકો કહે છે કે ચા શરીરના દરેક અવયવોમાં લોહી પહોંચાડે છે. મૂત્ર સાફ લાવે છે, જેથી કીડનીનો ચેપ થતો અટકે છે. ચામાં રહેલ ટેનિન થી પાચનશક્તિ નબળી પડે છે. કડક ચા માં ટેનિન વધારે હોવાથી તે એસીડીટી કારક પણ છે.

ઇ.સ. ૧૮૩૪ માં લોર્ડ વિલિયમ બેન્ટિકના પ્રયત્નથી ચાનું પ્રથમ વાવેતર આસામમાં થયું. ત્યાર પછી દક્ષિણ ભારતમાં ચાની ખેતીની શરૂઆત થઈ. એક સમય એવો હતો કે કંપનીઓ ચાના પ્રચાર માટે ભારતીયોને એક કપ ચા મફતમાં આપતી હતી. તે વખતે ચાને બનાવવા માટે ક્લાસ પણ લેવાતાં હતાં. આમ દુનિયાની લોકપ્રિય ચા નો પ્રચાર અને પ્રસાર થયો.

- સ્મિતા જાની