Translate

રવિવાર, 29 ઑગસ્ટ, 2010

ગેસ્ટ બ્લોગ : શ્રાવણ મહિનો અને કોમનવેલ્થ ગેમ્સનું આયોજન

                                                                                             - લતા બક્ષી, બોરિવલી, મુંબઈ

શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે.હવે પર્વના દિવસો ચાલુ થયા. દેવદિવાળી સુધી ઉમંગ તાજો રહેવાનો.જો કે મન ખુશ અને આનંદિત હોય તો સદાયે આનંદ જ છે! દેવ દર્શન,પૂજા અર્ચના,દાન પુણ્યના મહિમાનો આ સમય છે.વર્તમાન સમયમાં ધર્મના ક્ષેત્રમાં માણસનો ભૌતિક દેખાવ,અહમ વૃત્તિ અને આડંબર સાત્વિક્તા અંગે વિચાર માગી લે છે.મારા નમ્ર મતે ધર્મ એ અંગત બાબત છે.જે ભગવાન સાથે આપણે તાર જોડવા પ્રયત્ન કરીએ તેને કરોડોના દાગીના-મુગટથી લાદીએ તો શું એમાંથી એવો સૂર નથી નિકળતો કે જો મેં તને કેટલું આપ્યું!ભૌતિકતામાં ભક્તિ અને ભાવ વિસરાઈ જાય છે.માણસ અજાણતામાં પણ જો બીજાનું શુભ કરે તો તે ધર્મને આત્મસાત કરે છે. હું માણસ મટીને માનવ થાઉં એ જ મારે માટે અર્થપૂર્ણ છે.


હાલમાં આગામી ઓક્ટોબરમાં ભારતમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સના આયોજન વિષે ઘણું વાંચવા-જાણવા મળ્યું છે.તેમાં ગેમ્સ સિવાય સર્વ ચીજો ખેલાઈ રહી છે! બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર પછી યુદ્ધ અંગેના ગુનાઓનો ખટલો જે વ્યક્તિઓ સામે નોંધાયો હતો તેઓના બચાવમાં મુખ્ય મુદ્દો એ હતો કે અમુક નિર્ણય તેઓનો ન હતો, તેમણે માત્ર તે નિર્ણયનો અમલ કર્યો હતો - આવો જ કંઈક સૂર હાલમાં રમતના આયોજન અંગેના કથિત કૌભાંડમાં સંડોવાયેલ વ્યક્તિઓનો જોવા મળે છે.આવી અયોગ્ય સરખામણી માટે માફી ચાહું છું પણ આથી વધુ સચોટ સરખામણી મને અત્યારે યાદ આવતી નથી.પ્રજાના ધનનો અમર્યાદ બેફામ વ્યય થતો જોઈને કવિશ્રી ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ - ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે’ - યાદ આવે છે.

ચાલીના રહેણાંક અંગે આજ કટારમાં અગાઉ વિકાસભાઈએ લખેલા સ્વાનુભવના પ્રતિભાવમાં એટલું જ કહીશ કે આવી ચાલીઓમાં રહેનારાઓની જગા નાની હોય છે પણ મન મોટાં હોય છે. આ લેખનકાર્ય માટે મીઠા આગ્રહ અને પ્રોત્સાહન માટે વિકાસભાઈનો આભાર માનતા માનતા મારો આ પ્રથમ બ્લોગ અહિં પૂરો કરું છું.

- લતા બક્ષી, બોરિવલી, મુંબઈ

રવિવાર, 8 ઑગસ્ટ, 2010

સચીન તેંડુલકરના લોહી દ્વારા હસ્તાક્ષર???

થોડા દિવસો અગાઉ છાપામાં એક ખબર વાંચવા મળ્યા કે સચીન તેંડુલકરનું આત્મકથાસમું એક પુસ્તક પ્રકાશિત થવાનું છે જેમાં તેના જીવનની કેટલીક દુર્લભ અને યાદગાર તસ્વીરો પણ સમાવી લેવામાં આવશે. આ પુસ્તકમાં ઘણી આગવી વિશેષતાઓ હશે જેમકે આ પુસ્તકની ફક્ત દસ જ નકલ પ્રકાશિત થવાની છે જેની અંદાજિત કિંમત ભારતીય સાડત્રીસ લાખ રૂપિયા જેટલી હશે.( સારી બાબત એ હતી કે આ રૂપિયા ચેરિટી કાર્યો માટે વપરાશે એવી માહિતી પણ એ ખબર સાથે વાંચી ) પણ આ ખબરનો સૌથી આંચકા જનક ભાગ એ હતો કે સચિને તેના વિષેના આ પુસ્તકમાં પોતાના લોહીથી હસ્તાક્ષર કર્યા છે.


હવે આ વાંચીને તમે જ કહો વિચિત્ર લાગણી ન અનુભવાય?અજુગતુ ન લાગે?

મને વિચાર આવ્યો સચિન તેન્ડુલકર જેવી મહાન હસ્તિ આવા બાલિશ અને હિચકારીભર્યા ક્રુત્ય માટે શી રીતે તૈયાર થઈ હશે?

નથી મને કોઈ સ્પોર્ટ્સમાં ખાસ રસ કે નથી હું ક્રિકેટપ્રેમી,છતાં સચિન જેવા અજોડ ક્રિકેટ-નિષ્ણાત માટે મને ખાસ માન છે.તે ફક્ત એક મહાન ભારતીય રમતવીર જ નથી પણ ખૂબ સારો અને ઉમદા મનુષ્ય પણ છે.આથી સચિનના લોહિયાળ હસ્તાક્ષર વાળી વાત વાંચી મને એક નકારાત્મક અરેરાટીભરી લાગણી થઈ આવી અને બે ઘડી સચિન માટે પણ થોડા અણગમા અને રોષનો ભાવ ઉપજ્યો.

આ છે પ્રસાર અને પ્રચાર માધ્યમની તાકાત!તે તમારો કોઈક વ્યક્તિ કે વાત વિષેનો દ્રષ્ટિકોણ બદલી નાંખવાની તાકાત ધરાવે છે.

મને સચિન વિષેના, તેના પુસ્તક વિષેના આ સમાચાર વાંચી અણગમાની લાગણી થઈ આવી. છેવટે આ ખબર દરેક નાનામોટાં વર્તમાનપત્રમાં છપાઈ ચૂક્યા બાદ, સચિનનો આ બાબત અંગે ખુલાસો બે-ત્રણ દિવસ બાદ સમાચારપત્રોમાં વાંચવા મળ્યો કે તેણે કોઈ પુસ્તકમાં પોતાના લોહીથી હસ્તાક્ષર કર્યા નથી.હવે પુસ્તકના પ્રકાશકોનો ખુલાસો પણ આવ્યો કે તેમની વાત પ્રસાર માધ્યમોએ ફેરવી તોળીને છાપી છે જેની પાછળ કોઈક ગેરસમજ જવાબદાર છે.જો એમજ હતું તો તેમનો ખુલાસો સચિને કરેલી સ્પષ્ટતા બાદ શા માટે આવ્યો?તેઓ લોહી વાળી જૂઠ્ઠી વાત છપાયા પછી તરત બીજે જ દિવસે પણ આ અફવાનું ખંડન કરી શક્યા હોત ને? પણ તેમણે આ હલ્કા પબ્લિસીટી સ્ટંટનો લાભ ખાંટવો હોય એમ સ્પષ્ટ જણાય છે.

બીજો મુદ્દો પ્રસાર અને પ્રચાર માધ્યમોની નૈતિક જવાબદારીનો છે.શું કોઈ પણ સમાચાર છપતા પહેલાં તેની સચ્ચાઈ વિષે ખાતરી કરી લેવાની તેમની ફરજ નથી? પણ ગળાકાપ સ્પર્ધાના આ યુગમાં દરેક ન્યૂઝચેનલે કે અખબારે સમાચાર પ્રથમ જાહેર કરવાની જાણે ઘેલછા લાગી છે!

ખેર જે હોય તે,પણ એક વાતનું આશ્વાસન એ મળ્યું કે સચિને લોહીથી સહી કરવાનું નાદાની ભર્યું બાલિશ અને હલ્કું કૃત્ય કર્યું નહોતું!

મંગળવાર, 3 ઑગસ્ટ, 2010

શા માટે ?

મને ઘણી વાર વિચાર આવે છે આ સૃષ્ટિના સર્જનહારે શા માટે સૃષ્ટિનું સર્જન કર્યું હશે?


બ્રહ્માંડ,આકાશગંગા,તારાઓ,ગ્રહો,ધૂમકેતુઓ,આપણી પૃથ્વી વગેરેના સર્જન પાછળ તેનો ઉદ્દેશ શો હશે?શા માટે તેણે પૃથ્વી પર જીવનનું સર્જન કર્યુ હશે? આપણે તો પૃથ્વી સિવાય બીજી કોઈ જગાએ જીવનના અસ્તિત્વ વિષે કંઈ જાણી શક્યા નથી.પણ પૃથ્વી પર જ જીવનનું જે વૈવિધ્ય જોવા મળે છે તેના અભ્યાસ માટે આખું આયખુંયે ઓછું પડે એમ છે.

શા કારણે પહાડો આટલા ઉંચા અને મહાસાગરોના તળિયા અગાધ ઉંડા હશે? તમે આવા કોઈ ડુંગરાની ટોચે કે મહાસાગરના તળિયે પહોંચી પણ જાવ તો ત્યાં અનેરી વિશેષતા અને સુંદરતા ધરાવતા જીવો જોવા મળશે.કેટલું અદભૂત!

મારા ઘેર મેં ઘાસ જેવા દેખાતા 'લીલી' નામના છ કે આંઠ પાંખડી ધરાવતા અતિ સુંદર અને નાજુક ગુલાબી રંગના ફૂલો જેને ફક્ત ચોમાસા દરમ્યાન જ આવે છે તેવી વનસ્પતિ વાવી છે જે મને બેહદ પ્રિય છે. પણ શા માટે આ વનસ્પતિને ફૂલ ફક્ત પહેલો વરસાદ પડી ગયા બાદ જ આવે છે અને પછી આઠ આઠ મહિના સુધી તેને એક પણ ફૂલ આવતુ નથી. આવા જ બાર વર્ષે એક જ ફૂલ આપતા બ્રહ્મકમળ વિષે પણ મેં સાંભળ્યુ છે. શા માટે તેને પણ બાર વર્ષે એક જ વાર ફૂલ આવે છે?

તમને ખબર છે આપણી આ પૃથ્વી પર જ ફક્ત કેટલીક મિનિટોના આયુષ્ય થી માંડી હજારો વર્ષનું આયુષ્ય ભોગવનારા જીવો વસે છે.કેટલાક સૂક્ષ્મ જીવો માત્ર થોડી જ ક્ષણો માટે જીવે છે. સુંદરતાના બેનમૂન દાખલા સમા નાજૂક પતંગિયાનું સરેરાશ આયુષ્ય થોડાં મહિનાઓનું હોય છે તો અચરજકારી ઘટનાની જેમ પતંગિયાઓનો જેમનામાંથી ઉદભવ થાય છે એવી ઇયળ કે પછી કીડી-મંકોડા જેવા અસંખ્ય નાનકડાં જીવો માત્ર ગણ્યાંગાંઠ્યા દિવસો જ જીવે છે તો બીજે છેડે હજારો વર્ષોની વય સુધી જીવનારા કાચબા અને કેટલાંક વૃક્ષો પણ આપણી પૃથ્વી પર જ અસ્તિત્વ ધરાવે છે.આ ભેદ પાછળ પણ સર્જનહારાનો કોઈ આશય ખરો?

દરિયાનું પાણી ખારુ અને નદી-ઝરણાનું પાણી મીઠું શા માટે? આખરે ઝરણાઓ મળીને જ નદી અને નદીઓ ભેગી થઈને જ સાગર બનતા હોય છે ને?

મધમાખીઓ શા માટે મધ ભેગુ કરતી હોય છે? ફૂલોનો રસ ચૂસી ખાલી પૂડો બનાવીને પણ તે રહી શકે ને? પણ તેઓ તો આખું જીવન મધ બનાવવામાં જ પૂરું કરી નાંખે છે!

શા માટે જીવો કે નિર્જીવ વસ્તુઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજોમાં વિવિધતા જોવા મળે છે? કેટલાક અવાજો એટલા ધીમા હોય છે (ચામાચિડિયા જેવા જીવો દ્વારા પેદા કરાતા સૂક્ષ્મ અવાજો) કે તે મનુષ્ય તો સાંભળી પણ ન શકે તો કેટલાક અવાજો એટલા ઘોંઘાટિયા અને કર્કશ હોય કે તે સાંભળી કાન ફૂટી જાય! કેટલાક અવાજો એટલા મધુરા હોય કે મન તે સાંભળી પ્રસન્નતાસભર બની જાય તો કેટલાક અવાજો અરૂચિકર પણ જોવા (સોરી સાંભળવા !) મળે. શા માટે તેમાં પણ આટલું વૈવિધ્ય?

આજ રીતે પાંચે પ્રકારની શરીરને થતી અનુભૂતિઓ (જોવું,સાંભળવું,સૂંઘવું,સ્વાદ ચાખવો અને સ્પર્શ કરવો)માં શા માટે આટઆટલી વિવિધતા અસ્તિત્વ ધરાવતી હશે? ઇશ્વર ગૂઢ છે, ગહન છે તે જ રીતે તેના બધાં જ સર્જનો અને તેમાં જોવા મળતી વિવિધતાઓ પણ એટલાં જ ગૂઢ અને ગહન છે.આપણે આ રહસ્યોનો તાગ પામી શકીશું ખરા?

સાથે જ બીજો પણ એક વિચાર તંતુ મારા મનમાં આકાર લે છે.શા માટે કેટલાક મનુષ્યો દયાના દરિયા જેટલા ઉદાર હોય છે તો બીજે છેડે કેટલાંક સાવ ટૂંકા મનના અને સંકુચિત વૃત્તિ ધરાવતા?બધા સારા જ ન હોઈ શકે?શા માટે મનુષ્યના મનમાં લાલચ,ઇર્ષ્યા,માલિકીભાવ,વિકૃતીઓ વગેરે જેવી દુવૃત્તિઓ જન્મતી હશે?બધાને હંમેશા સારા જ વિચારો ન આવી શકે?બધામાં સારા ગુણો જ શા માટે જોવા નહિં મળતા હોય? શા માટે આપણે મનુષ્યો એ પ્રુથ્વી પર સરહદો બનાવી તેના ભાગલા પાડી નાંખ્યા હશે? જેને જ્યાં મન ફાવે ત્યાં વિના બંધન-રોકટોક તે જઈ ન શકે.ગોરા લોકો કાળા લોકો સામે નીચી દ્રષ્ટીએ જુએ.શા માટે આવા ભેદભાવ?શા માટે માણસ યુદ્ધ કરતો હશે?શા માટે આતંકવાદ, માઓવાદ, નક્સલવાદ જેવા વાદો અસ્તિત્વમાં આવતા હશે? શું આખી પ્રુથ્વી પર સુખ અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત ન થઈ શકે?

હે ઇશ્વર મારા આ સ્વપ્નને તું ક્યારેય પૂરું કરશે ખરો?