Translate

મંગળવાર, 3 ઑગસ્ટ, 2010

શા માટે ?

મને ઘણી વાર વિચાર આવે છે આ સૃષ્ટિના સર્જનહારે શા માટે સૃષ્ટિનું સર્જન કર્યું હશે?


બ્રહ્માંડ,આકાશગંગા,તારાઓ,ગ્રહો,ધૂમકેતુઓ,આપણી પૃથ્વી વગેરેના સર્જન પાછળ તેનો ઉદ્દેશ શો હશે?શા માટે તેણે પૃથ્વી પર જીવનનું સર્જન કર્યુ હશે? આપણે તો પૃથ્વી સિવાય બીજી કોઈ જગાએ જીવનના અસ્તિત્વ વિષે કંઈ જાણી શક્યા નથી.પણ પૃથ્વી પર જ જીવનનું જે વૈવિધ્ય જોવા મળે છે તેના અભ્યાસ માટે આખું આયખુંયે ઓછું પડે એમ છે.

શા કારણે પહાડો આટલા ઉંચા અને મહાસાગરોના તળિયા અગાધ ઉંડા હશે? તમે આવા કોઈ ડુંગરાની ટોચે કે મહાસાગરના તળિયે પહોંચી પણ જાવ તો ત્યાં અનેરી વિશેષતા અને સુંદરતા ધરાવતા જીવો જોવા મળશે.કેટલું અદભૂત!

મારા ઘેર મેં ઘાસ જેવા દેખાતા 'લીલી' નામના છ કે આંઠ પાંખડી ધરાવતા અતિ સુંદર અને નાજુક ગુલાબી રંગના ફૂલો જેને ફક્ત ચોમાસા દરમ્યાન જ આવે છે તેવી વનસ્પતિ વાવી છે જે મને બેહદ પ્રિય છે. પણ શા માટે આ વનસ્પતિને ફૂલ ફક્ત પહેલો વરસાદ પડી ગયા બાદ જ આવે છે અને પછી આઠ આઠ મહિના સુધી તેને એક પણ ફૂલ આવતુ નથી. આવા જ બાર વર્ષે એક જ ફૂલ આપતા બ્રહ્મકમળ વિષે પણ મેં સાંભળ્યુ છે. શા માટે તેને પણ બાર વર્ષે એક જ વાર ફૂલ આવે છે?

તમને ખબર છે આપણી આ પૃથ્વી પર જ ફક્ત કેટલીક મિનિટોના આયુષ્ય થી માંડી હજારો વર્ષનું આયુષ્ય ભોગવનારા જીવો વસે છે.કેટલાક સૂક્ષ્મ જીવો માત્ર થોડી જ ક્ષણો માટે જીવે છે. સુંદરતાના બેનમૂન દાખલા સમા નાજૂક પતંગિયાનું સરેરાશ આયુષ્ય થોડાં મહિનાઓનું હોય છે તો અચરજકારી ઘટનાની જેમ પતંગિયાઓનો જેમનામાંથી ઉદભવ થાય છે એવી ઇયળ કે પછી કીડી-મંકોડા જેવા અસંખ્ય નાનકડાં જીવો માત્ર ગણ્યાંગાંઠ્યા દિવસો જ જીવે છે તો બીજે છેડે હજારો વર્ષોની વય સુધી જીવનારા કાચબા અને કેટલાંક વૃક્ષો પણ આપણી પૃથ્વી પર જ અસ્તિત્વ ધરાવે છે.આ ભેદ પાછળ પણ સર્જનહારાનો કોઈ આશય ખરો?

દરિયાનું પાણી ખારુ અને નદી-ઝરણાનું પાણી મીઠું શા માટે? આખરે ઝરણાઓ મળીને જ નદી અને નદીઓ ભેગી થઈને જ સાગર બનતા હોય છે ને?

મધમાખીઓ શા માટે મધ ભેગુ કરતી હોય છે? ફૂલોનો રસ ચૂસી ખાલી પૂડો બનાવીને પણ તે રહી શકે ને? પણ તેઓ તો આખું જીવન મધ બનાવવામાં જ પૂરું કરી નાંખે છે!

શા માટે જીવો કે નિર્જીવ વસ્તુઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજોમાં વિવિધતા જોવા મળે છે? કેટલાક અવાજો એટલા ધીમા હોય છે (ચામાચિડિયા જેવા જીવો દ્વારા પેદા કરાતા સૂક્ષ્મ અવાજો) કે તે મનુષ્ય તો સાંભળી પણ ન શકે તો કેટલાક અવાજો એટલા ઘોંઘાટિયા અને કર્કશ હોય કે તે સાંભળી કાન ફૂટી જાય! કેટલાક અવાજો એટલા મધુરા હોય કે મન તે સાંભળી પ્રસન્નતાસભર બની જાય તો કેટલાક અવાજો અરૂચિકર પણ જોવા (સોરી સાંભળવા !) મળે. શા માટે તેમાં પણ આટલું વૈવિધ્ય?

આજ રીતે પાંચે પ્રકારની શરીરને થતી અનુભૂતિઓ (જોવું,સાંભળવું,સૂંઘવું,સ્વાદ ચાખવો અને સ્પર્શ કરવો)માં શા માટે આટઆટલી વિવિધતા અસ્તિત્વ ધરાવતી હશે? ઇશ્વર ગૂઢ છે, ગહન છે તે જ રીતે તેના બધાં જ સર્જનો અને તેમાં જોવા મળતી વિવિધતાઓ પણ એટલાં જ ગૂઢ અને ગહન છે.આપણે આ રહસ્યોનો તાગ પામી શકીશું ખરા?

સાથે જ બીજો પણ એક વિચાર તંતુ મારા મનમાં આકાર લે છે.શા માટે કેટલાક મનુષ્યો દયાના દરિયા જેટલા ઉદાર હોય છે તો બીજે છેડે કેટલાંક સાવ ટૂંકા મનના અને સંકુચિત વૃત્તિ ધરાવતા?બધા સારા જ ન હોઈ શકે?શા માટે મનુષ્યના મનમાં લાલચ,ઇર્ષ્યા,માલિકીભાવ,વિકૃતીઓ વગેરે જેવી દુવૃત્તિઓ જન્મતી હશે?બધાને હંમેશા સારા જ વિચારો ન આવી શકે?બધામાં સારા ગુણો જ શા માટે જોવા નહિં મળતા હોય? શા માટે આપણે મનુષ્યો એ પ્રુથ્વી પર સરહદો બનાવી તેના ભાગલા પાડી નાંખ્યા હશે? જેને જ્યાં મન ફાવે ત્યાં વિના બંધન-રોકટોક તે જઈ ન શકે.ગોરા લોકો કાળા લોકો સામે નીચી દ્રષ્ટીએ જુએ.શા માટે આવા ભેદભાવ?શા માટે માણસ યુદ્ધ કરતો હશે?શા માટે આતંકવાદ, માઓવાદ, નક્સલવાદ જેવા વાદો અસ્તિત્વમાં આવતા હશે? શું આખી પ્રુથ્વી પર સુખ અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત ન થઈ શકે?

હે ઇશ્વર મારા આ સ્વપ્નને તું ક્યારેય પૂરું કરશે ખરો?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો