Translate

રવિવાર, 25 જુલાઈ, 2010

ફિલ્મ દ્વારા સમાજને ખોટો સંદેશ

થોડા સમય અગાઉ 'જન્નત' નામની એક હિન્દી ફિલ્મ જોઈ (જેમા ઇમરાન હાશ્મી અને સોનલ મુખ્ય ભૂમિકામાં હતા).મને વિવિધ વિષ્યો પરની ફિલ્મો માણવી ગમે છે.આ ફિલ્મના વિષયવસ્તુ પણ કંઈક નોખા - ગેમ્બ્લિંગ હોઈ મને આ ફિલ્મ રસપ્રદ લાગી. એ ખરૂં કે આ ફિલ્મ કંઈ એટલી બધી સારી નહોતી કે તેના પર મારે આખો એક બ્લોગ લખવો પડે પણ આ ફિલ્મ જોતા એક અહેસાસ થયો તે લાગણી મારે આ બ્લોગ થકી શેર કરવી છે.


આપણી ફિલ્મોમાં ફિલ્મને અંતે ભલે સંદેશ સારો અપાયો હોય પણ ફિલ્મમાં વચ્ચે કેટલાક દ્રષ્યો એવી રીતે ફિલ્માવાયા હોય છે કે તેની બૂરી અસર યુવા માનસ કે સમાજ પર પડે છે. આ મુદ્દો વધુ સારી રીતે સમજવા ફિલ્મ 'જન્નત' નું જ ઉદાહરણ વિસ્તારપૂર્વક ચર્ચીએ.આ ફિલ્મનો હીરો એક ગરીબ, સિદ્ધાંતવાદી અને પ્રમાણિક પિતાને ઘેર જન્મ્યો હોય છે આથી તેની બધી ભૌતિક જરૂરિયાતો તેમજ તેના મોજશોખ પિતાને ઘેર પૂરા ન થઈ શક્તા હોવાને કારણે તેમજ પોતાનો સ્વભાવ પણ અતિ લાલચુ હોવાને કારણે પિતા સાથે થતા સતત મતભેદોને લીધે તે ગ્રુહ ત્યાગ કરે છે અને તે જેમાં અતિ પાવરધો હોય છે તેવા ગેમ્બ્લિંગને વ્યવસાય તરીકે અપનાવી લે છે.તે માને છે કે ગેમ્બ્લિંગ જેવો વ્યવસાય જેમાં તે કોઇને પ્રત્યક્ષ ઇજા પહોંચાડતો નથી કે જેની સમાજપર કોઈ પ્રત્યક્ષ બૂરી અસર પહોંચતી નથી, તેના દ્વારા અઢળક ધન કમાવું કોઈ રીતે ખોટું નથી.(હું માનું છું કે જુગારીના કુટુંબીજનો પર તો તેના જીવન કે કર્મોની પ્રત્યક્ષ અસર પહોંચે જ છે.) હીરો ગેમ્બ્લિંગ કરતો હોય ત્યારે તેને હારવાનો બિલકુલ ડર લાગતો નથી,પછી ભલે એ લાખો રૂપિયાની રકમ કેમ હારી જવાનો ન હોય.એવું બને પણ છે કે તે મહામોટું ભયંકર રિસ્ક લે છે અને એક જ રમતમાં લાખો રૂપિયા હારી જાય છે. હીરો પાસે ક્રિકેટના કયા દડે કેટલા રન થશે કે કોણ આઉટ થશે તેનું સચોટ ભવિષ્ય ભાખવાની અદભૂત અને આગવી સૂઝ હોય છે જેના દમ પર બૂકીઓના વર્તુળમાં ખૂબ નામના મેળવી તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સાઉથ આફ્રિકા સુધી પહોંચી જાય છે.ધન અને એશોઆરામના ઢગ વચ્ચે સુખસાહ્યબીની છોળો ઉડાડતા જીવનમાં એક દિવસ તેનો ભેટો ત્યાંના અન્ડરવર્લ્ડ ડોન સાથે થઈ જાય છે.તેઓ વચ્ચે સાંઠગાંઠ સર્જાય છે અને તેમની જોડી મેચ-ફિક્સીંગ ક્ષેત્રે અપૂર્વ સફળતા મેળવી સિદ્ધીઓના નવા શિખરો સર કરે છે.હવે હીરો જાણતો હોય છે કે આ રીતે થયેલ ધનની બધી કમાણી ડોન ડ્રગ્સ,કોકેન અને આંતંકવાદને પ્રોત્સાહન આપવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વાપરે છે પણ તે આ પાસા પ્રત્યે સદંતર દુર્લક્ષ સેવે છે.પોતે ભાગીદારીમાં કમાયેલા કાળા ધન દ્વારા લાખો નિર્દોષ લોકોની હત્યા થતી હોવાની જાણ છતા હીરો આ કૃત્યોની નૈતિક જવાબદારી સ્વીકારતો નથી એવા વિચારને અપનાવીને કે પોતે તો ફક્ત પેટિયુ રળવા કામ કરે છે અને પોતે પ્રત્યક્ષ રીતે થોડો કંઈ જાનહાનિમાં સંડોવાયેલો છે?
                  એક દ્રષ્યમાં હીરોઈન જ્યારે હીરો પાસે તેના ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી અંગે ખુલાસો માંગે છે ત્યારે હીરો એવી દલીલ કરે છે કે એમ તો ભારત સરકાર પણ લોકો પાસેથી લાખો રૂપિયા કરપેટે વસૂલી તેમાંથી પરમાણુ શસ્ત્રો અને બંદૂકો અને બોમ્બ જેવા પ્રાણઘાતક અને વિનાશક શસ્ત્રો બનાવે છે.આ પોઇન્ટ મને જરા ખૂંચ્યો.આવો સંવાદ ફિલ્મસર્જક કઈ રીતે હીરોના મોઢે બોલાવી જ શકે?સરકાર કદાચ કરપેટે વસૂલેલા રૂપિયામાંથી થોડો ઘણો હિસ્સો શસ્ત્રસરંજામ અર્થે ખર્ચતી પણ હોય તેમ છતાં તેનો આ પાછળનો ઉદ્દેશ તો નાગરિકોની સુરક્ષા જ હોય છે,નહિં કે લાખો નિર્દોષ લોકોની હત્યાનો.તો પછી ફિલ્મમાં હીરો પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ઢાંકપિછોડો આમ સરેઆમ સરકારને બદનામ કરીને કઈ રીતે કરી શકે?


આજ ફિલ્મના અન્ય એક દ્રષ્યમાં,હીરો પોતાના નાનપણના દિવસો યાદ કરી ફરિયાદ કરતો બતાવવામાં આવ્યો છે જ્યાં તે બળાપો કાઢે છે કે કઈ રીતે શ્રીમંતોના બાળકોને મળતી બધી સુખ-સગવડોથી પોતે વંચિત રહ્યો અને તેના પિતા ક્યારેય તેને આઈસક્રીમ પાર્લર કે રમકડાની દુકાન હોય તે રસ્તા પરથી લઈ જતા નહિં જેથી પોતે આઈસક્રીમ ખાવાની કે રમકડા ખરીદવાની જીદ કરે નહિં.પોતે એટલા ગરીબ હતા કે આ બધું ખરીદી શકવાની તેમની આર્થિક શક્તિ નહોતી. હીરો કહે છે તે નથી ઇચ્છતો કે તેના સંતાનો પણ એ જ પરિસ્થિતીમાંથી પસાર થાય.એ તેમને સઘળા સુખો આપવાની ખેવના રાખે છે.પણ કયા રસ્તે? શેના ભોગે? પોતાના અનિતીના માર્ગે કમાયેલા ધનથી? હીરો અતિ સંવેદનાત્મક ઢબે અને બીજા સહેલાઈથી તેની વાતમાં આવી જાય એ રીતે વિશ્વાસપૂર્વક આ ડાયલોગ્ઝ બોલે છે જે જોઇને ઇમેચ્યોર યુવાન સહેલાઈથી તેના અનિતી આચરીને પણ પોતાના સંતાનોને સુખ આપવાની ગેરદોરવણી કરતી વાતમાં આવી જાય. ફિલ્મનો સાચો સંદેશ તો ફિલ્મના અંતે આવે છે પણ આવા મનપર ઘેરી અસર કરનારા દ્રષ્યો કે સંવાદો ફિલ્મમાં અધવચ્ચે આવતા હોવાથી ફિલ્મ ખોટો સંદેશ જ સમાજ સુધી પહોંચાડી બેસે છે. ઉપરોક્ત દ્રષ્ય જોયા બાદ ઇન્ટરવલ દરમ્યાન બે યુવાનો આ મુદ્દા વિષે વાતચીત કરી રહ્યા હતા જે મારા કાને પડી અને એ સાંભળી મને ઝટકો લાગ્યો અને ત્યારે જ મને આ બ્લોગ લખવાનો વિચાર સ્ફુર્યો. એક યુવાન બીજાને કહી રહ્યો હતો કે હીરોની વિચારધારા સાથે તે પૂરી રીતે સહમત છે અને જ્યારે કોઈ પોતા માટે અને પોતાના કુટુંબ માટે કમાઈ રહ્યો હોય ત્યારે તેણે શા માટે સમાજ વિષે કે બીજા કોઈ પણ વિષે વિચારવું જોઇએ? થોડા અનૈતિક કે સ્વાર્થી બની જઈએ તેમાં કંઈ ખોટુ નથી આવો તેમની વાતચીતનો સૂર હતો જે સાંભળી મને ખેદ થયો.
             ફિલ્મનો અંત યોગ્ય જ દર્શાવાયો છે.અસત્યનું આયુષ્ય અતિ લાંબુ હોતું નથી અને હીરોની પોલિસના હાથે હત્યા થાય છે.આમ ફિલ્મને અંતે સાચો સંદેશ એ જ અપાયો છે કે બૂરે કા અંજામ બૂરા ઔર સચ કી હી આખિર મે જીત હોતી હૈ. પણ આ સંદેશ આવે છે ફિલ્મના અંતે, જ્યારે મારે મતે મોડું થઈ ગયું હોય છે.પેલા બે ફિલ્મ વિષે ચર્ચા કરી રહેલા યુવાનોની જેમ અધકચરું માનસ ધરાવતા અનેક આ ફિલ્મમાંથી અનેક ખોટી વસ્તુઓ ફિલ્મ પૂરી થયા પહેલાં જ ગ્રહણ કરી ચૂક્યા હોય છે.હિંસા ન આચરવી જોઇએ એવો સંદેશ આપવા માગતી ફિલ્મમાં જ એટલા બધા હિંસાપ્રચૂર ક્રૂરતા ભર્યા દ્રષ્યો દર્શાવાતા હોય છે કે તેની ભયંકર અસર યુવા કુમળા માનસ પર પડી શકે છે. ફિલ્મો અને ટી.વી. જેવા મગજ પર ગહન છાપ છોડી જનાર સઘળા પ્રસાર માધ્યમોની સામાજિક જવાબદારી છે કે તેઓ ખોટો સંદેશ સમાજ સુધી ન પહોંચાડી બેસે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો