Translate

શનિવાર, 25 મે, 2013

જીવતીજાગતી વ્યક્તિ પર એસીડ ફેકાવાના કિસ્સા


जिससे प्रेम हो गया उससे द्वेष नहीं हो सकता चाहे वह हमारे साथ कितना ही अन्याय क्यों न करे - मुंशी प्रेमचंद

ટ્વીટર પર પ્રેમચંદની આ ઉક્તિ વાંચી તરત મને તાજેતરમાં બનેલા કેટલાક કિસ્સા યાદ આવી ગયા જેમાં પ્રેમી પ્રેમિકાના ચહેરા પર એસીડ નાંખી ભાગી ગયો .હવે આ વાંચી પ્રશ્ન એ થાય કે શું એવી વ્યક્તિને પ્રેમી કહી શકાય જે પોતાની પ્રેમિકા પર એસિડ નાંખી તેનો ચહેરો ખરાબ કરી નાંખે,માત્ર એટલા માટે જેથી પોતે તો તેને ન પામી શક્યો પણ અન્ય કોઈ પણ તેને હાંસલ ન કરી શકે.
પ્રેમીએ પોતાની પ્રેમિકા પર એસીડ છાંટ્યું હોય અથવા પ્રેમીએ પોતાની પ્રેમિકા પર ભાડુઆત ગૂંડા દ્વારા હૂમલો કરાવી તેનો ચહેરો ખરાબ કરી નાંખવાનું દુષ્ક્રુત્ય આચર્યું હોય - આવા અનેક કિસ્સાઓ અગાઉ પણ બની ગયાં છે અને દુ:ખદ બાબત એ છે કે બળાત્કારના કિસ્સાઓની જેમ આવા કિસ્સાઓનું પ્રમાણ પણ વધતું જાય છે.

મોટા ભાગના આવા કિસ્સાઓમાં ઝનૂની બની જનાર યુવકો એક તરફી પ્રેમમાં હોય છે યા તો કહો કે એકપક્ષી શારીરિક કે માનસિક ખેંચાણ,આકર્ષણ અનુભવતા હોય છે. તેમની લાગણીને પ્રેમ તો કઈ રીતે કહી જ શકાય?
 પ્રેમ તો એક સુંદર લાગણી છે,એક અવર્ણનીય હ્રદયસ્પર્શી અનુભૂતિ છે.એમાં સામેના પાત્રને જીવનમાં,વિશ્વમાં સૌથી અગ્રસ્થાને મૂકવાની ભાવના આવે છે.સામેના પાત્રના દોષો,ખામીઓ,નબળાઈઓ પણ પ્રેમમાં પડેલાને દેખાતા નથી.એટલે જ તો કદાચ પ્રેમાંધ એવો શબ્દ પ્રયોજવામાં આવે છે! પ્રેમમાં પડેલી વ્યક્તિ સામા પાત્રનું બુરૂ તો કઈ રીતે ઇચ્છી જ શકે?

મોટાભાગના અસીડ ફેંકાયા વાળા કિસ્સાઓમાં યુવકોને યુવતિઓ પસંદ કરતે નથી અથવા તેમને મચક આપતી નથી.આથી તે યુવકોનું પુરુષત્વ ઘવાય છે,તેમનો ભયંકર ઈગો હર્ટ થાય છે તેથી ઉશ્કેરાઈને તેઓ યુવતિને બરબાદ કરી નાંખવાના ચક્કરમાં આવું ઘાતકી પગલું ભરી બેસતા હોય છે.

બદનસીબે તેમની મેલી મુરાદ ફળે છે.કેટ્લાક કિસ્સાઓમાં યુવતિ મ્રુત્યુ પામે છે તો કેટલાક કિસ્સાઓમાં તે બચી તો જાય છે પણ તેમનો ચેહેરો એટલી હદે ખરાબ થઈ જાય છે કે બાહ્ય સૌંદર્યને જ સુંદરતા ગણતો આપણો સમાજ તે યુવતિને સ્વીકારતો નથી.આવી યુવતિ સાથે કોઈ જલ્દીથી પરણવા તૈયાર થતું નથી. આવી યુવતિને નોકરી પર રાખવા પણ મોટા ભાગની કંપનીઓ તૈયાર થતી નથી.

જરૂર છે આવી બદનસીબ યુવતિ પ્રત્યે ઘ્રૂણા કે જુગુપ્સા પૂર્વક જોવાને બદલે તેને સામાન્ય ગણી સમાજમાં સહજતાથી સ્વીકારવાની.આવી દુર્ઘટનાનો ભોગ બનેલી કેટલીક બહાદુર યુવતિઓએ સમાજમાં જાગ્રુતિ આણવાના એકાદબે કિસ્સા પણ મને વાંચ્યાનું યાદ આવે છે.

કેટલેક અંશે આવા કિસ્સાઓ બનવા પાછળ પુરુષપ્રધાન સમાજની સ્ત્રીઓને હલકી અને પોતાના કરતા નીચી ગણવાની વિક્રુત માનસિકતા પણ જવાબદાર છે.એક છોકરી મને કઈ રીતે જાકારો આપી જ શકે એમ વિચારી મોટા ભાગના યુવકો એસીડ ફેંકવા કે ફેંકાવવા જેવું હિચકારૂ ક્રુત્ય આચરતા હોય છે.આવા કિસ્સા બનતા રોકવા સમાજે સ્ત્રીઓ પ્રત્યે માનની દ્રષ્ટી કેળવવાની જરૂર છે.તેમને સમાન દરજ્જો,સરખું સ્થાન આપવાની જરૂર છે.

આવા કિસ્સાઓમાં પકડાઈ જનાર યુવાનોને કડકમાં કડક સજા અપાવી જોઇએ.આ સજા જાહેરમાં અપાવી જોઇએ અને સમયસર અપાવી જોઇએ જેથી સમાજમાં દાખલો બેસે.આ સજા એવી હોવી જોઇએ કે તે જોઇ અન્ય કોઇ આવું પગલું ભરવાની હિંમત ન કરે.એસીડ જેવી વસ્તુ સહેલાઈથી મળવી ન જોઇએ.સરકારે આવી વસ્તુ યોગ્ય ચકાસણી પછી જ જરૂરિયાતમંદ વ્યક્તિ કે કંપનીને મળી શકે તેવી ચુસ્ત વ્યવસ્થા કરવી જોઇએ.તે યોગ્ય પરવાનો ધરાવતી વ્યક્તિ કે દુકાન જ વેચી શકે તેવા કડક નિયમ બનાવવા જોઇએ.ગેરકાયદે આવા હાનિકારક પદાર્થ વેચવા માટે પણ અતિ સખત સજાની જોગવાઈ હોવી જોઇએ.
આવા કિસ્સાઓનો ભોગ બનેલી કમનસીબ યુવતિઓએ હિંમતપૂર્વક બાકીનું જીવન જીવવું જોઇએ.તેમણે દ્રઢ મનોબળ અને સ્વમાનભેર સમાજમાં પોતાની જગા બનાવવાના બધાં જ પ્રયત્નો ચાલુ રાખવા જોઇએ.આવી યુવતિઓને ઇશ્વર હિંમત અને આત્મવિશ્વાસ આપે અને સમાજને તેમને સહજતાથી સ્વીકારવાની સદબુદ્ધિ એ જ પ્રાર્થના...

શનિવાર, 18 મે, 2013

ગેસ્ટ બ્લોગ : લ્યો, ધરમ કરતાં ધાડ પડી ! પધરામણી પચ્ચીસ લાખમાં પડી !!


-દીનેશ પાંચાલ

‘વૈશ્વીક માનવવાદ’ નામના પાક્ષીકમાં પ્રગટેલો એક કીસ્સો જાણવા જેવો છે. ગણદેવી (નવસારી જીલ્લો)ના ખાપરીયા ગામના વતની દીપકભાઈ પટેલ વર્ષોથી અમેરીકાના ફ્રેંકલીનમાં રહે. બન્યું એવું કે ગુજરાતથી અમેરીકા ગયેલા સ્વામીનારાયણ સંસ્થાના એક સન્તે દીપકભાઈની મૉટેલમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. દીપકભાઈએ તેમને પોતાની મૉટેલમાં ઉતારો આપવા આમંત્ર્યા. સંતોની કાર પાર્કીંગ પ્લોટમાં આવી ત્યારે તેમની જોડેના સેવકે દીપકભાઈને કહ્યું, ‘સન્તો સ્ત્રીઓનું મોઢું જોતા નથી એથી કાઉન્ટર પરની સ્ત્રીઓને થોડીવાર માટે દુર જવા કહો.’ દીપકભાઈ જરા મુંઝાયા. પછી એમણે મૉટેલની ડેસ્ક ક્લાર્ક (અમેરીકન ગોરી સ્ત્રી)ને થોડો સમય માટે કાઉન્ટર પરથી દુર જવા વીનંતી કરી. તે સ્ત્રી ખુબ ગુસ્સે થઈ. તે મૉટેલ છોડીને જતી રહી. એટલેથી જ ના અટક્યું. તે સ્ત્રીએ ત્યારબાદ ‘હ્યુમન રાઈટ કમીશનમાં દીપકભાઈ પર કેસ કર્યો. કેસ ચાર વર્ષ સુધી ચાલ્યો. સ્વામીનારાયણ સંસ્થા તરફથી દીપકભાઈને કોઈ કાનુની મદદ કે આર્થીક સહાય મળી નહીં. દીપકભાઈને કુલ પંચાવન હજાર ડૉલર (આશરે 25 લાખ રુપીયા) નો ખર્ચ થયો.

દીપકભાઈ અમેરીકાથી નવસારી આવ્યા ત્યારે તેમણે સ્વામી નારાયણના મુખ્ય સન્ત અને આચાર્યને પોતાની સઘળી આપવીતી જણાવી; પરન્તુ તેમના તરફથી પણ કોઈ મદદ મળી ના શકી. (દીપકભાઈએ અમદાવાદના એક અખબારમાં પણ આ વીતક જાહેર કરી હતી).

અત્રે પ્રશ્ન એ ઉદભવે છે કે ધર્મના નીતીનીયમો શા માટે એવાં, સમાજવીરોધી હોવાં જોઈએ જેથી અન્ય માણસો મુશ્કેલીમાં મુકાઈ જાય ! બીજો પ્રશ્ન એ કે તમે ઘડી કાઢેલા નીયમો વીદેશી પ્રજા પર શી રીતે લાદી શકાય ? કાલ ઉઠીને કોઈ ધાર્મીક સમ્પ્રદાયની મુખ્ય મહીલા એવો નીયમ બનાવે કે જ્યાં અમે રહેતાં હોઈએ તેની આસપાસના બસો ફુટના એરીયામાં કોઈ પણ પુરુષની હાજરી ન હોવી જોઈએ તો કેવી મુશ્કેલી ઉભી થાય ? આપણે ત્યાં ધર્મને નામે આવી સરમુખત્યારી થતી રહે છે. ઝેરની શીશી પર ધર્મની પીંછી વડે અમૃત લખીને વેચવામાં આવે છે. લોકો તે પીએ છે અને મરે છે.

થોડા સમયપુર્વે આપણે સન્તકૃપાલુ મહારાજના આશ્રમમાં થયેલી ધક્કામુક્કીની ઘટના વીશે વાત કરી હતી. એમાં કૃપાલુ મહારાજે પોતાની સ્વર્ગસ્થ(!!!) પત્નીની શ્રાદ્ધક્રીયા માટે દશ હજાર માણસો ભેગાં કર્યા હતા. કાબુ બહારની જનમેદનીને કારણે દરવાજો તુટી પડતાં 65 વ્યક્તીનાં મોત નીપજ્યાં હતાં અને 200 માણસો ઘવાયા હતા. સરકારે ઘવાયેલાને પચાસ હજાર અને મરનારના વારસદારોને એક લાખની સહાય ચુકવવાની જાહેરાત કરી દીધી. ઝીટીવી પર તે સાંભળી બચુભાઈ બોલ્યા: ‘જોયું, કર્મકાંડોની આ કેવી ગોઝારી ફલશ્રુતી છે ?  એક માણસે સાવ અંગત કહી શકાય એવી શ્રાદ્ધક્રીયાનો કર્મકાંડ એવી રીતે કર્યો જેમાં દેશની તીજોરીમાં દોઢ પોણાબે કરોડનો ચુનો લાગી ગયો. જરા વીચારો, પ્રજાના પૈસાનો આ બગાડ ‘રુપાલની પલ્લી પર ઢોળી દેવાતા લાખો મણ ચોખ્ખા ઘીના બગાડ જેવો નથી શું ?’

બીજો મુદ્દો એ છે કે સાધારણ  માણસે  એક ઘર બનાવવું હોય તો તેના હાથ ટુંકા પડે છે. તો નીર્ધન કહેવાતા સન્તો પાસે એટલી માત્રામાં પૈસા ક્યાંથી આવે છે ? આનો સ્વાભાવીક ઉત્તર એ જ હોય શકે કે સ્વામીઓના પૈસાદાર અનુયાયીઓ અને તેમના વીશાળ ભક્તગણ તરફથી મળતાં દાનમાંથી એવા આશ્રમો સ્થપાય છે. ચાલો, ભલે સ્થપાતા. પણ પછી થાય છે એવું કે એવા આશ્રમોમાં યુવાન અને લંપટ સ્વામીઓ ઘુસી જાય છે ત્યારે સૌની આંખ પહોળી થઈ જાય એવાં સેક્સકૌભાંડો બહાર આવે છે. આવાં સેક્સ સ્કેન્ડલો પકડાય છે અને જગતભરમાં તેમની બદનામી થાય છે; છતાં ભોગ બનેલા અનુયાયીઓની આંખ ઉઘડતી નથી.

સત્યની ભીતરનું સત્ય એ છે કે લોકો ધર્માન્ધ બનીને મુર્ખતાની બધી બાઉન્ડ્રી લાઈન ક્રોસ કરી જાય છે. ક્યારેક તો એવા અન્ધશ્રદ્ધાળુઓ પોતાની પત્નીને પણ તેમના ચરણે ધરી દે છે. બાવટાઓને બગડવા માટે લોકો પુરી સવલત પુરી પાડે છે. આ બધામાંથી ઉગરવાનો એક માત્ર ઉપાય જનજાગૃતી છે. એ માટે સૌથી પહેલો પ્રહાર અન્ધશ્રદ્ધાનાં મુળીયાંમાં કરવો પડે. પરન્તુ કમનસીબી એ છે કે બહુધા અન્ધશ્રદ્ધા એક યા બીજી રીતે ધર્મ સાથે જોડી દેવામાં આવી છે. ચામડી પર જડબેસલાક ચોંટી ગયેલો બેન્ડેજ પટ્ટો ટીંક્ચર આયોડીન વગર ઉખડી શકતો નથી. અંધશ્રદ્ધાના પટ્ટાને પણ હેમખેમ ઉખેડવો હોય તો તે પર ‘રૅશનાલીઝમનું ટીંક્ચર આયોડીન છાંટવું પડે.

રૅશનાલીઝમ પોકારીને કહે છે કે કોઈ ભગવાધારી હાથમાં ધનુષ્ય લઈને તમારી સમક્ષ ઉપસ્થીત થાય તેટલા માત્રથી તેને રામ ન સમજી લો. તેની આંખના ખુણે રમતું ‘રાવણત્વ પકડી પાડો. સમાજ અને દુનીયાની સારપનો આદર કરો; પણ તેનાં અનીષ્ટો અને ભયસ્થાનો સામે પણ સજાગ રહો. કૃષ્ણની ભક્તી કરતા હો તો જરુર કરો; પણ બનાવટી સુદર્શન ચક્ર પરથી કોઈ દુર્યોધનને કૃષ્ણ ન માની લો. વીચારોને  હમ્મેશાં અપડેટ કરો અને નવી દૃષ્ટી કેળવો. પાંડવોની ન્યાયનીતી અને તેમના બાહુબળનું ગૌરવ કરો; પણ પત્ની દ્રૌપદીને જુગારમાં હારી જનારા પતી પાંચ હોય કે સો બધાં કૌરવોની કક્ષાના જ ગણાય એવું માપ તમારા અંદરના ધરમકાંટા પર ના નીકળે તો સમજો કે તમારો કાંટો ખોટો. સત્યની સમતોલ તોલણી કરવાની ટેવ રાખો. એવી તોલણીમાં રામની ભુલ જણાય તો શ્રદ્ધાની આડમાં બચાવ ના કરો અને રાવણ પાસે ચપટીક સદ્ ગુણ હોય તો તેની પણ જરુર નોંધ લો.

બધી વાતનો કુલ સરવાળો એટલો જ કે જીવનમાં રસોડાથી માંડી રાજ્યસભા સુધી અને મંદીરથી માંડી મોલ સુધી સર્વત્ર વીવેકબુદ્ધીથી વર્તો. સાચા, નીવડેલા સન્તો કે કથાકારોના સારા આચારવીચાર અને આચરણને પુરસ્કારો; પણ તેમનાં ચરણો પુજવાથી દુર રહો. તેમના વીચારોને વધાવો; પણ આચારોનું ઓડીટ કરો. તેમને ઉતારો ભલે આપો; પણ તેમની આરતી ના ઉતારો. ખાસ કરીને સ્ત્રીઓને કહેવાનું કહેવાનું મન થાય છે કે તમે મંદોદરી હો તે પાપ નથી; પણ રાવણે કરેલા સીતાહરણને છાવરો તે પાપ છે. તમારી આસ્તીકતાને અક્કલ જોડે બાર ગાઉનું છેટું ના હોવું જોઈએ. બજારમાંથી ખરીદેલા જુવાર, ચોખા કે ઘઉંને ચાળીને ઉપયોગમાં લેવાય છે. તેમ ધર્મના ઉપદેશોને પણ વીવેકબુદ્ધીની ચાળણીથી ચાળવા જરુરી છે. ઈશ્વર હોય કે નયે હોય; તોય તમારા મનની શાંતી ખાતર ઘર આંગણે તેને પુજતા રહેવામાં ખાસ નુકસાન નથી; પરન્તુ ઈશ્વરને હાંસીયામાં ધકેલી દઈ પાખંડી બાબાને પુજવા લાગો તે ચોવીશ કેરેટનું પાપ ગણાય. યાદ રહે કોઈ લંપટ શીયાળલુંટારાના હાથમાં મચ્છરની જેમ મસળાઈ જવામાં કોઈ ભક્તી નથી, કોઈ બુદ્ધી નથી, બલકે સમગ્ર નારીજાત માટે એ નીચાજોણું થાય તેવું શરમજનક કૃત્ય છે. બને તો બાબાને છોડી દઈ ઘરના વૃદ્ધ બાપાની સેવા કરો. તે સાચી કુટુમ્બભક્તી ગણાશે. ભક્તીમાં બુદ્ધી ભળવી જોઈએ દુર્બુદ્ધી નહીં. શાંતી મળવી જોઈએ; અશાંતી નહીં.
 
-દીનેશ પાંચાલ

 

રવિવાર, 12 મે, 2013

ગુજરાત / ગુજરાતી મારી માતા


થોડા દિવસો અગાઉ ગુજરાત જવાનું થયું.

કાળઝાળ ગરમી હોવા છતાં મને ગુજરાત જવું ગમે છે. ત્યાંની ગરમલૂ’ મુંબઈના પસીના પેદા કરતા બાફ કરતા વધુ સહ્ય લાગે છે. ત્યાંની, ઉનાળાની ધાબા પર વીતતી રાતનું તો પૂછવું શું! પવનની શીતળ લહેરો આખા દિવસના તાપ અને થાકને ભૂલાવી દે!

અને આમ પણ ગુજરાત પ્રત્યે મને એક અલગ  પ્રકારનું આકર્ષણ પહેલેથી  રહ્યું છે. મારા પિતા ઘણાં કાર્યક્રમોમાં કહે છે, ગાય છે તેમ 'ગુજરાત મારી માતા અને મહારાષ્ટ્ર મારી માસી' -  પ્રકારની લાગણી કદાચ હું  પણ  અનુભવું છું. માતા તો માસી કરતા વિશેષ વહાલી હોય ને !

વખતે ગુજરાતવાસ દરમ્યાન  થયેલા થોડા રસપ્રદ  અનુભવોની વાત કરવી છે.

ગુજરાતમાં મણીનગર સ્ટેશન ઉતરતા સામે બીઆરટીએસ કે જનપથ બસ સ્ટેશન પર ગયો અને અમદાવાદ જવા ત્યાં થી બસ પકડી. વર્ષો પહેલા આપણાં મુંબઈમાં જે ટ્રામ બસ દોડતી તેવી  જનપથ માર્ગ પર દોડતી બસો ગુજરાતનું એક જમા પાસું ગણી શકાય. ખૂબ સારો રહ્યો  બસમાં મુસાફરી નો અનુભવ . બસમાં ચડતા પહેલા  ટિકીટ લઈ લેવાનીદરેક સ્ટેશન પર ઓટોમેટિક દરવાજા ખુલી જાય.સ્ટેશન આવતા પહેલા ત્રણ ભાષામાં તે સ્ટોપનાં નામનું વ્યવસ્થિત અનાઉન્સ્મેન્ટ થાય. બેસવાની સીટો ઓછી, પણ વધુ યાત્રીઓ ઉભા રહી શકે તેવી મોકળાશ. કેટલીક જનપથ બસો તો વાતાનૂકુલિત એટલે કે . સી . પણ જોવા મળે! જનપથનો માર્ગ અલાયદો અને માત્ર બીઆરટીએસ ની બસો  તેના પર દોડે એટલે તેને ટ્રાફિકની સમસ્યા નડે  નહિ. મને તો જનપથની  સુવિધા ખૂબ ગમી.

અમદાવાદ જઈ ત્યાં 1મે થી 7મે સુધી યોજાયેલ ખરા અર્થ માં ભવ્ય એવા પુસ્તક મેળા -  'નેશનલ અમદાવાદ બુક ફેર 2013'ની મુલાકાત લીધી ગુજરાતી ભાષાના હજારો પુસ્તકો અનેક પ્રકાશકોના વિવિધ સ્ટોલ્સ પર જોવા અને ખરીદવા નો લહાવો લીધો ખૂબ સારું આયોજન હતું. ખ્યાતનામ લેખક, કવિ અને સાહિત્યકારોના પ્રવચનો ,સેમિનાર્સ  અને કાર્યક્રમો પણ  મેળાના ભાગ રૂપે સાતે દિવસ દરમ્યાન રાખવામાં આવ્યા હતાં. હું એક  દિવસની મુલાકાત લેવાની હોઈ, 'કોપી એડીટીંગ અને પ્રૂફ રીડીંગ' વિષય પરનું એક સેમીનાર અને લોકપ્રિય ગુજરાતી લેખક ગુણવંત શાહ નું 'ગુજરાતી મારી મા અને અંગ્રેજી મારી માસી' વિષય પરનું મનોમંથન જગાવતું પ્રભાવી વક્તવ્ય માણી શક્યોપણ જો શક્ય હોત તો સાતે દિવસ  પુસ્તક મેળા ની મુલાકાત લેવાનું અને તેમાં યોજાયેલા અન્ય રસપ્રદ કાર્યક્રમો માણવાનું  મને ગમ્યું હોત!

અમદાવાદથી મહેસાણા ગયો. ત્યાં હજી અમદાવાદ જેટલું મુંબઈ જેવું શહેરીકરણ થયું નથી અને તેથી મને વધુ  ગમે છે. મારા સાસુએ કોઈએ વ્રત કર્યું હતું અને તેથી તેમને માછલીઓને લોટ ની ગોળીઓ ખવડાવવાની હતી. તેમની સાથે ઘરની નજીક આવેલા એક તળાવ પાસે ગયા અને ત્યાં દૂર ઉભા રહી મનોહર કુદરતી દ્રશ્યની સુંદરતા માણી. મારા સાસુ સાથે મેં અને નાનકડી નમ્યાએ પણ માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવાનો સરળ આનંદ માણ્યો.  તળાવ માં અમે માછલીઓને ખવડાવતા હતા અને બે-ત્રણ બતક અમારી સામે માછલીઓને ખાવા પાણી માં ડૂબકી લગાવતા હતા! નમ્યાને  જોઈ ખૂબ આશ્ચર્ય થતું હતું પણ  તો કુદરત ની જૈવિક સાંકળ! અહીં દયા-માયા  જેવા ભાવો કામ લાગે .તળાવમાં કાચબા પણ જોયા.

તળાવ પાસે થોડો સમય પસાર કર્યા બાદ અમે પાંચોટ ગામ પાસે આવેલ ભૂવનેશ્વરી દેવીનાં મંદિરે દર્શન કરવા ગયા ત્યાં એક મોટું વડ નું ઝાડ જોયું ઘટાટોપ એવા વૃક્ષ ની ફરતે વિશાળ ગોળાકાર ઓટલો બનાવેલો હતો પણ મને જોઈએ નવાઈ લાગી કે ઓટલો ખાસ્સો  માણસની હાઈટ જેટલો ઉંચો હતો અને તેના પર બેસવા, ઉપર ચડવા વ્યવસ્થિત દાદરા બનાવેલા હતા અત્યાર સુધી જોયેલ વડની ફરતે બનાવેલા સામાન્ય ઓટલા કરતા ઓટલો ખાસ્સો અલગ દેખાતો હતો . મારા સાસુએ મારા મોઢા પર છવાયેલા પ્રશ્નાર્થાસૂચક ભાવો પામી જઈ હું પૂછું પહેલા મને જણાવ્યું કે માથે લાકડાનો ભારો લઈ ગ્રામજનો ભરબપોરે અહી થી પસાર થાય ત્યારે માથા પરનો ભારો નીચે ઉતારવા અને પછી પાછો માથે ચડાવવા કોઈ હાજર ના હોય તો તેમને તકલીફ પડે  માટે  ઓટલો આટલો ઉંચો બનાવાયો હતો. બપોર ની કાળઝાળ ગરમી થી બચવા બે ઘડી વડલાની છાયા માં આરામ કરવા થોભવું હોય તો કોઈની મદદ લીધા વગર સીધો ભારો પોતાની મેળે  ઓટલા પર  ઉતારી શકાય અને આરામ કરી લીધા પછી પાછા જતી વેળાએ પોતાની મેળે   પાછો માથે મૂકી આગળ વધી શકાય!

કેટલું  સુંદર વિચારપૂર્વકનું આયોજન!

મંદિરમાં માતાજીના અને મંદિરની  આસપાસનાં પ્રાકૃતિક સૌન્દર્યનાં ધરાઈ ને દર્શન કર્યા અને નમ્યાને કરાવ્યા બાદ ત્યાં પક્ષીઓને ચણ નાખી ,ગૌશાળામાં ગાયોને ઘાસ ખવડાવ્યું અને ઘેર પાછા ફર્યા. અજબનાં સંતોષ અને આનંદનાં અનુભવ સાથે.

રાતે ઘરની બહાર બગીચા પાસે બાળકો રમતા હતા ત્યાં એક બાળકને વિંછી કરડ્યો અને બધાનાં જીવ ઊંચા થઇ ગયા પણ ભાગવાનની  કૃપા થી સમયસર યોગ્ય સારવાર મળતા તે સાજો થઇ ગયો.

તે પછી, બે દિવસ નડીયાદ ફર્યો. ત્યાં પણ ખૂબ મજા આવી અને ચાર દિવસના ગુજરાત પ્રવાસ બાદ ફરી મુંબઈ પાછો આવ્યો અને Back to Routine !

જોગાનુજોગ આજેમધર્સ ડે’ છે તો બ્લોગ દ્વારા મારી બંને માતાઓ - એક મને જન્મ આપનાર મારી જનની 'નિર્મળા' અને બીજી ગુજરાત/ગુજરાતીને હૃદય પૂર્વક, ભાવપૂર્વક સલામ અને શુભેચ્છા  !!!