Translate

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2009

'બ્લોગને ઝરૂખેથી...' : પ્રથમ પરિચય

બ્લોગ...

બ્લોગ એટલે તમારી એવી 'ડાયરી' જે તમે ગમે ત્યારે,ગમે ત્યાંથી લખી શકો છો 'ઓનલાઈન' એટલે કે 'ઇન્ટરનેટ' પર.

આ તમારું એવું પોતીકું વિશ્વ છે, તમારી એવી પોતાની જગા છે જ્યાં તમે તમારા મનગમતા ગમે તે વિષય પર તમારા સ્વતંત્ર વિચારો વ્યક્ત કરી શકો છો.આ વિચારો જગતનાં ખૂણે ખૂણે પહોંચી જાય છે ઇન્ટરનેટ દ્વારા. અને તમારા બ્લોગના વાચકો તમારા બ્લોગ વિશે કે તમે રજૂ કરેલા મુદ્દા વિષે તેમના વિચારો પણ વ્યક્ત કરી શકે છે 'કમેન્ટસ' દ્વારા. આ 'કમેન્ટસ' તમે અન્ય વાચકો વાંચી શકે કે નહિં તે નક્કી કરવાની પણ સ્વતંત્રતા ધરાવો છો. તમે અહિં ભારતમાં તમારે ઘેર બેઠા બેઠા વિશ્વમાં બનેલી કોઇક ઘટના વિશે તમારા વિચારોનો પડઘો પાડી શકો અને તેના વિશે અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના ખૂણે બેઠેલું કોઇક તરત તે વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, તરત જ ! છે ને મજા પડે તવું બ્લોગનું વિશ્વ?

તમારો પોતાનો બ્લોગ બનાવવા માટે આજે અનેક 'વેબસાઇટ' ઉપલબ્ધ છે.તમે ગમે તે વિષય પર બ્લોગ બનાવી કે લખી શકો છો. તમે તમારા બ્લોગમાં ફોટા પણ મૂકી શકો છો.ફક્ત તસ્વીરોનાં પણ બ્લોગ કેટલાક કલાકારો બનાવે છે. અમિતાભ બચ્ચન, આમિર ખાન જેવા કલાકારો પણ નિયમિત બ્લોગ લખે છે. રોજનાં લાખો નવા લોકો પોતાના બ્લોગ બનાવી બ્લોગ-વિશ્વમાં પ્રવેશે છે.

જન્મભૂમિમાં આવતા અઠવાડિયાથી આપણે શરૂ કરીશું બ્લોગની સફર...'બ્લોગને ઝરૂખેથી' દ્વારા.

હવે હું મારો પણ થોડોઘણો પરિચય આપી દઉં. હું વિકાસ ઘનશ્યામ નાયક ૩૦ વર્ષનો એક યુવાન વ્યવસાયે સોફ્ટ્વેર એન્જીનીયર. મને ઘણાં બધાં શોખ છે. હું જન્મભૂમિમાં છેલ્લાં પાંચ વર્ષથી દર શનિવારે મહેક પૂર્તિમાં 'ઇન્ટરનેટ કોર્નર' નામની કટાર લખું છું. આ ઉપરાંત મને વાંચન, લેખન અને અભિનયનો પણ શોખ છે. હું ગુજરાતી નાટક 'ૐ શ્રીમદ ભાગવત અક્ષરદેહ રૂપે' માં હાલમાં અભિનય કરું છું.છેલ્લાં દોઢ વર્ષથી આકાશવાણી પર ગુજરાતી સમાચાર વાંચુ છું.સ્વીમીંગ, ટ્રેકિંગ અને ફરવાનો પણ મને ખૂબ શોખ. આ બધાં શોખ વિશે અને જીવનમાં થતાં રોજબરોજનાં અનુભવો વિષે મને ચર્ચા કરવાનો પણ ભારે શોખ અને તેમાંથી જ જન્મ થયો મારા બ્લોગનો.

http://vikasgnayak.blogspot.com - આ છે મારું બ્લોગ-સરનામું જ્યાં હું છેલ્લા અઢી-ત્રણ વર્ષથી મારા વિચારો, મારાં શોખ, મારી પ્રવૃત્તિઓ, મારા અનુભવો બીજાઓ સાથે વહેંચુ છું. અલબત્ત આ બ્લોગ પર હું અંગ્રેજીમાં લખું છું પણ મૂળ ગુજરાતી હોઈ મારું વિચારવું ગુજરાતીમાં જ ચાલે! તો વિચાર આવ્યો કે શા માટે આ બ્લોગ પર લખેલાં મારા લેખોનો હું મારી માતૃભાષામાં અનુવાદ કરી જન્મભૂમિ દ્વારા મારા વાચકમિત્રો સમક્ષ રજૂ ન કરું? 'ઇન્ટરનેટ કોર્નર' કટારને તો તમે એટલો બધો પ્રેમ આપ્યો કે તેનાં બધાં લેખો-વાર્તાઓનાં ચાર પુસ્તકો 'કથાકોર્નર','મહેક','કરંડિયો' અને 'આભૂષણ' ની બે આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. તો હવે 'બ્લોગને ઝરૂખેથી...' ને પણ તમારો આવો ઉત્સાહ અને ઉમળકાભર્યો પ્રતિભાવ જ સાંપડશે એવી આશા સાથે આ નવી કટાર તમારી સમક્ષ રજૂ કરતાં અતિ હર્ષની લાગણી અનુભવું છું.

અહિં છપાયેલ બ્લોગ http://blognezarookhethee.blogspot.com આ વેબ-એડ્રેસ પર પણ પ્રકાશિત થશે.

બીજી એક મહત્વની વાત. આ કટાર દ્વારા હું ફક્ત મારા જ વિચારો રજૂ કર્યા કરીશ એવું નથી. પણ અહિં તમારે પણ સક્રિય ભાગ ભજવવાનો છે. જે કામ બ્લોગના વાચકો 'કમેન્ટ' લખીને કરે છે તે કામ તમારે પ્રતિભાવ લખીને કરવાનું છે જે આ જ કટારમાં નિયમિત રીતે બ્લોગ સાથે છપાશે. અહિં છપાયેલ બ્લોગ વિષે, તેના અનુમોદનમાં કે તેના વિરુદ્ધ કંઈક વિચાર આવે તો તરત જન્મભૂમિના સરનામે ટપાલ દ્વારા કે પછી મને મારા ઈમેલ - vikas.nayak@gmail.com પર લખી મોકલાવો અને તે પણ આપણે અહિં છાપીશું. તદુપરાંત તમે પણ કોઈ રસપ્રદ બ્લોગ લખ્યો હોય અને તે તમને બીજા વાચકો સાથે વહેંચવાનું મન થાય તો તે બ્લોગના વેબએડ્રેસ સાથે મોકલી આપશો જે અહિં મહિનામાં એક વાર કે જે પ્રમાણે અમને મળશે તે મુજબ 'ગેસ્ટ-બ્લોગ' તરીકે છપાશે.

તો મિત્રો આવતા અઠવાડિયાથી શરુ કરીએ આપણી બ્લોગ-પરિક્રમા 'બ્લોગને ઝરૂખેથી...'

- વિકાસ ઘનશ્યામ નાયક

રવિવાર, 16 ઑગસ્ટ, 2009

ભેદભાવ

હું મારા ઘરની નજીક આવેલાં રિદ્ધી-વિનાયક મંદીરે ગયો હતો.આ સુંદર એવા મંદીરનાં પ્રાંગણમાં વિશાળ ખુલ્લી જગ્યા છે જ્યાં ભક્તો દર્શન કરી લીધા બાદ બેસવા માટે બનાવેલ બેઠક પર બેસતાં હોય છે.ઘરડાં દાદા-દાદી સાથે કે પોતાના માતાપિતા સાથે આવેલ નાનાનાના ભૂલકાંઓને આ વિશાળ ખુલ્લી જગામાં રમવાની ખૂબ મજા પડે છે.હું પણ દર્શન કર્યા બાદ થોડી વાર માટે બેઠક પર જઈ સવારનો સુકોમળ તડકો માણી રહ્યો હતો.
થોડે દૂર વચ્ચે એક થાંભલો હતો.ત્રણ નાનકડી સુંદર બાળકીઓ થાંભલાની આસપાસ રમી રહી હતી.તેઓ થાંભલાને પકડી તેની ફરતે ગોળગોળ ઘૂમી રહી હતી. મને વિચાર આવતો હતો કે તેમને ચક્કર ન આવી જાય!એટલામાં એક શ્યામવર્ણી ચોથી બાળકી ત્યાં જઈ પહોંચી.તેણે પણ પેલી ત્રણ પહેલેથી થાંભલા ફરતે ઘૂમી રહેલી છોકરીઓ સાથે જોડાઈ જવા પ્રયત્ન કર્યો.ત્યાંતો તરત પેલી ત્રણ ગોરી બાળકીઓ અટકી ગઈ અને તેમણે પેલી ચોથી શ્યામવર્ણી છોકરીને હડસેલો મારી તેને પોતાનાથી દૂર રહેવા જણાવ્યું.તેમનામાંની એકે તો પેલીને 'કાળી' કહી તેનો તિરસ્કાર પણ કર્યો અને કહ્યું કે તેઓ ક્યારેય તેની સાથે રમશે નહિં.હું આ ઘટના જોઇ સ્તબ્ધ બની ગયો.હું તરત ઉભો થઈ તેમની નજીક ગયો અને મેં તેમને સમજાવવા પ્રયત્ન કર્યો કે તે શ્યામવર્ણી છોકરી પણ તેમના જેવી જ નાનકડી ભગવાનની દૂત હતી, ફક્ત તેનો રંગ બીજાઓ કરતા સહેજ જૂદો, થોડો વધારે કાળો હતો; તેમની વચ્ચે બીજો કોઇ જ ફરક નહોતો. મેં તે શ્યામવર્ણી બાળાને પાસે બોલાવી પેલી ત્રણ ગોરી છોકરીઓ ભેગી જોડાઈ જવા કહ્યું અને તેણે તેમ કર્યું. પણ જેવી તે થાંભલા પાસે ગઈ અને પેલી ગોરી છોકરીઓ ભેગી રમવા થાંભલાને પકડવા લાગે કે તરત તેઓ ત્રણે ત્યાંથી દૂર ભાગી ગઈ.
મને ખૂબ દુ:ખ થયું.છતાં પેલી શ્યામવર્ણી છોકરીને ખરાબ ન લાગે એ હેતુથી હું તેની સાથે ત્યાં રમવા લાગ્યો.મારું મન ખિન્ન થઈ ગયું હતું અને વિચારી રહ્યું હતું કે પેલી સાવ નાની એવી ગૌરવર્ણી બાળકીઓના મનમાં કોણે એવું ઠસાવ્યું હશે કે તેઓ વધુ ગોરી છે અને તેમણે કાળી દેખાતી છોકરી સાથે રમવું જોઇએ નહિં? તેમણે પેલી શ્યામવર્ણી કન્યા સાથે કેટલું ઉધ્ધત અને ખરાબ વર્તન કર્યું હતું.પેલી ગરીબડી શ્યામવર્ણી છોકરીને કેટલું દુ:ખ થયું હશે?મને એવો પણ વિચાર આવ્યો કે આપણો આ સમાજ કાળા લોકો સાથે સામાન્ય રીતે ભેદભાવભર્યુ વર્તન દાખવે છે,આજ ના જમાનામાં પણ છૂત-અછૂતમાં માને છે તેના કારણે જ ગૌરવર્ણી એવી આ નાનકડી છોકરીઓને આવા સંસ્કાર મળ્યા હશે.તેમનાં કુમળા મન પર કેટલી ખરાબ અસર પડી હશે જેમણે તેમને આવું ભેદભાવભર્યું વર્તન કરવા પ્રેરી હશે??
કહ્યું છે ને બાળકો તો મોટાઓનાં વર્તનનાં પડઘાં પાડતાં હોય છે...