Translate

રવિવાર, 27 નવેમ્બર, 2011

ન્યાયતંત્રમાં સુધારો

ગઈ કાલે ૨૬મી નવેમ્બર હતી.આ તારીખ મુંબઈના ઇતિહાસમાં લખાઈ ગઈ છે.૨૦૦૮ની એ ગોઝારી રાતના આતંકવાદી હૂમલાની દુર્ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા છે.આ આતંકવાદી હૂમલામાં સંડોવાયેલો જીવંત પકડાઈ ગયેલો એક માત્ર આતંકવાદી અજમલ કસાબ હજી ભારતની જેલમાં કેદ ભોગવી રહ્યો છે. એ પાકિસ્તાનનો નાગરિક હોવા છતાં પાકિસ્તાન સુદ્ધાએ તેને ફાંસીએ ચડાવી દેવાનું સૂચન કર્યા બાદ પણ ભારત સરકાર ભગવાન જાણે કોની રાહ જોઈ રહ્યું છે?અરે અજમલ કસાબને તો હજી ત્રણ વર્ષ થયા છે ભારતની જેલમાં પણ સંસદ પર હૂમલો કરનાર અફઝલ ગુરૂનેતો જેલમાં દસકો વીતી જવા છતાં હજી સુધી દેહાંતદંડની સજા થયા બાદ પણ હજી સુધી ફાંસીને માંચડે ચડાવાયો નથી.


આ એક હાસ્યાસ્પદ છતાં દુ:ખદ બાબત છે કે ભારતમાં ન્યાય પ્રક્રિયા ગોકળગાય કરતાં પણ ધીમી ગતિએ ચાલે છે.સાત વર્ષ પહેલાં થયેલું ઇસરત ઝા એન્કાઉન્ટર નકલી હતું એ જાહેર કરતાં ઉચ્ચ ન્યાયાલયને સાત વર્ષ જેટલો લાંબો સમય લાગે છે. ગોધરાકાંડ જેવા હત્યાકાંડનો ફેંસલો સુણાવતા પણ ન્યાયાલયને નવ-નવ વર્ષ જેટલો સમય લાગે છે.લગભગ વીસેક વર્ષ અર્થાત બે દાયકા જેટલો સમય વીતી જવા છતાં મુંબઈના કોમી રમખાણોનો ચુકાદો હજી સુધી સંપૂર્ણ થઈ શક્યો નથી. તો ત્રણેક દાયકા પહેલા ઘટેલી ભોપાલ ગેસ દુર્ઘટનાનો ચુકાદો પણ સાવ અન્યાયી લાગે એ રીતે આટલાં વર્ષો બાદ થોડાં સમય અગાઉ સુણાવાયો હતો.

હમણાં થોડા સમય અગાઉ એક સમાચાર વાંચવામાં આવ્યા. 'જેસિકા લાલ' નામની મહિલાની દિલ્હીના એક ડિસ્કોક્લબમાં સેંકડો લોકોની હાજરીમાં માત્ર એક ડ્રિન્ક સર્વ કરવાની ના પાડવા બદલ બંદૂકની ગોળી મારી હત્યા કરી નાંખનાર અતિ વગ ધરાવનાર પરિવારના નબીરો મનુ શર્મા (આ અતિ ચર્ચાસ્પદ કિસ્સા પર 'નો વન કિલ્ડ જેસિકા' નામની વિદ્યા બાલન અને રાણી મુખર્જી અભિનીત એક ફિલ્મ પણ પ્રદર્શિત થઈ ચૂકી છે) હાલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે. આ સડેલા મગજ ધરાવતા ગુનાખોરને સરકારે તેના ભાઈના લગ્નમાં હાજરી આપી શકે એ માટે પેરોલ પર કેટલાક દિવસની છૂટ આપી છે, જે મુજબ તેને થોડા દિવસ જેલમાંથી મુક્તિ મળશે અને તેના ઘેર જવા મળશે જેથી તે પોતાના ભાઈના લગ્ન-જલસામાં ભાગ લઈ મોજ મજા કરી શકે. જો કે એક વાતનું સરકારે ધ્યાન રાખ્યું છે તેની નોંધ લેવી જોઇએ! આ પહેલા પણ એક વાર આ મનુ શર્માને પેરોલ પર છોડવામાં આવ્યો હતો અને ત્યારે તેણે ફરી એક ડિસ્કોબારમાં જઈ ધમાલ કરી હતી અને પોલિસે વચ્ચે પડવાની ફરજ પડી હતી. આથી આ વખતે પેરોલ ગાળા દરમ્યાન તેને કોઈ પણ ડાન્સબારમાં જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે! અરે ભાઈ એ ગુનેગાર છે, એને પૂરેપૂરા જલસા થોડા કરવા દેવાય?

બીજો એક ચોંકાવનારો કિસ્સો સાંભળો. જેસિકા લાલ મર્ડર કેસમાં મનુ શર્માના સાગરિત એવા વિકાસ યાદવ (બીજો એક રાજકીય વગ ધરાવનાર છકેલ નબીરો) (મને તેની સાથે સરખું જ નામ ધરાવવા બદલ પસ્તાવો થાય છે!) ને પણ આ અગાઉ એક વાર પેરોલ પર છોડવામાં આવ્યો હતો અને ત્યારે તેણે એક જણની હત્યા કરી નાંખી હતી.

અહિં એક પ્રશ્ન થાય.આવા ખૂંખાર સમાજ માટે ખતરા રૂપ ગુનેગારોને પેરોલ પર ગમે તે કારણ હોય, રજા આપવાની કોઈ જરૂર ખરી? તેઓ કોઈ ગુના માટે જ સજા કાપી રહ્યા હોય ત્યારે તેમના પર દયા ખાઈ તેમને ગમે તે કારણ સર જેલમાંથી મુક્તિ મળવી જ શા માટે જોઇએ? મહારાષ્ટ્રમાં આ રીતે પેરોલ પર છૂટી ભાગી જનારા કે ગુમ થઈ જનારા કેદીઓનો આંકડો ચોંકાવનારી હદે વધી ગયો છે એવા એક સમાચાર પણ વાંચ્યા. શા માટે ન્યાય પ્રક્રિયામાં લોકો ગેરલાભ લઈ શકે એવી જોગવાઈઓ રાખવી જ જોઇએ?

જામીનની વ્યવસ્થાનો પણ સૌથી વધુ ગેરલાભ ઉઠાવાય છે.પૈસા ભરો અને ગુનો કરી છટકી જાઓ. દેશમાં લાખો બેકાર યુવાનો નોકરી માટે ટળવળે છે ત્યારે તેમાંના મોટા ભાગનાને જો યોગ્ય ટ્રેઇનિંગ આપી ન્યાયવ્યવસ્થાનું જ્ઞાન અપાય અને તેમની મદદથી વર્ષો સુધી ચાલતા કેસોનો ઝડપી ફેંસલો લવાય તો દેશની એક મોટી સમસ્યા એવી બેરોજગારીનો ઉકેલ તો આવે અને સાથે સાથે ન્યાય વ્યવસ્થા અને ન્યાય તંત્રમાં પણ ખૂબ સારો સુધારો જોવા મળે!સરકારે પેરોલ, જામીન જેવી અન્યાયી છૂટછાટ બંધ કરી,કસાબ-અફઝલ ગુરુ જેવાને જલ્દી ફાંસીને માંચડે ચડાવી,મોટા ભાગના બેરોજગાર યુવકો માટે ન્યાયતંત્ર ક્ષેત્રે નોકરીની વિપુલ તઓ ઉભી કરવી જોઇએ.

શનિવાર, 19 નવેમ્બર, 2011

માર્કેટીંગનો યુગ


આજે જમાનો માર્કેટીંગનો છે. ‘જે દેખાય એ વેચાય’ - એ સફળતાનો મંત્ર છે. જાહેરાતો કે એડવર્ટાઈઝીંગ પાછળ મોટી મોટી કંપનીઓમાં તો કરોડો રૂપિયાનું બજેટ હોય છે. વધતી જતી સ્પર્ધાત્મકતાનું આ પરિણામ છે.

ઘણી વાર જાહેરાતની દુનિયામાં જાણે હરિફ કંપનીઓ એક મેક સામે યુદ્ધ છેડે છે. એક કંપની બીજી કંપનીને નીચી દેખાડવા કે તેના ગ્રાહકો છીનવી લેવા ગમે તે હદ સુધી જાય છે. આ તંદુરસ્ત અભિગમ નથી. તમારી પ્રોડક્ટના તમે જોઇએ એટલા ગુણ ગાઓ (એ માટે તમારે સારી ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ બનાવવી પડશે જે જનતાના ફાયદામાં જ છે!) પણ બીજાની પ્રોડક્ટને ખરાબ ચિતરો કે અન્ય હરીફ કંપનીની પ્રોડક્ટની ખામીઓ ઉજાગર કરો એ બિરબલની પેલી વાર્તામાં હતું એમ બીજાની લીટી નાની કરીને તમે પોતાની લીટી મોટી કરો એ બરાબર છે. બીજાની લીટીને અડ્યા વિના તમારી લીટી મોટી કરવા પ્રયત્ન કરો એ નૈતિક દ્રષ્ટીએ સાચું અને યોગ્ય ગણાય.

આ વિચાર મને તાજેતરમાં જ એક કાર કંપનીની એડ જોઇને આવ્યો. ટાટા મોટર્સે બહાર કાઢેલી નવી વિસ્ટા ગાડીની એ એડમાં તેમણે પોતાની આ નવી ગાડીની સરખામણી મારુતિ કંપનીની નવી ગાડી સ્વિફ્ટ સાથે કરી હતી. આ કમ્પેરિઝન ગાડી વેચનારના શો રૂમમાં વેપારી ગ્રાહકને બતાવે (ગ્રાહકના પૂછ્યા બાદ) તો મારા મતે કોઈ વાંધો નહિં પણ પોતાની ગાડી વધુ સારી બતાવવા હરીફની ગાડીના પોતાની ગાડીની સરખામણીએ નબળા પાસા દર્શાવવા એ ટાટા જેવી કંપનીએ કર્યું એ મને ન રૂચ્યું.

જો હરિફના પ્રોડક્ટ સાથે તમારા ખરેખરી ગુણવત્તા ધરાવતા પ્રોડક્ટની સરખામણી કરવી જ હોય તો હરિફનું નામ લીધા વગર પણ એ થઈ જ શકે છે. પ્રખ્યાત કરમચંદ ટી.વી. સિરિયલમાં તેની સેક્રેટરી કીટી બનતી સુસ્મિતા મુખર્જીની પેલી કેપ્ટન કૂક નમક વાળી એડ યાદ છે? ભલે એ મીઠુ બજારમાં નિષ્ફળ ગયું હોય પણ તેની એ એડ લાજવાબ હતી! તેમાં સુસ્મિતા મુખર્જીના એક્સ્પ્રેશન્સ કેટલા સરસ મજાનાં હતાં! હરિફનું નામ લીધા વગર ઘણી સારી રીતે આ એડમાં કેપ્ટન કૂક નમકે પોતાની સરખામણી હરિફ સાથે કરી હતી અને પોતાના મીઠાના પ્લસ પોઇન્ટ્સ અસરકારક રીતે રજૂ કર્યા હતાં.

ફિલ્મ લાઈનમાં જે માર્કેટીંગ વ્યૂહ અને અભિગમ અપનાવાય છે તે પણ ક્યારેક અતિ મજાનો અને રસપ્રદ તો ક્યારેક અતિ નિમ્ન કક્ષાનો હોય છે. આજકાલ દરેક ફિલ્મોનું પ્રમોશન કરવા જે તે ફિલ્મના કલાકાર ટી.વી. પર પ્રસારિત થતી સિરિયલો કે રિયાલીટી શોઝમાં જોવા મળે છે.પહેલાના સમયમાં તો ફિલ્મી દુનિયાના સિતારા ભાગ્યે જ ટી.વી. ના માધ્યમમાં જોવા મળતાં. અને હવે? કોઈ પણ ચેનલ ફેરવો, તમને રૂપેરી પડદાના કલાકારો જજ સ્વરૂપે કે હોસ્ટ તરીકે કે મહેમાન તરીકે કે પછી પોતાની આવનારી ફિલ્મનું પ્રમોશન કરી રહેલા નજરે પડશે! શાહરૂખ ખાને રા.વનની પબ્લિસીટી કરવામાં તો હદ જ કરી નાંખી! હમણાં એક હોરર ફિલ્મના પોસ્ટરે પણ જબરો હોબાળો મચાવ્યો. આ પોસ્ટરમાં શેતાન કે વિલનને ક્રોસ પર ઉભેલા જિસસ ક્રાઈસ્ટ (ખ્રિસ્તીઓના ભગવાન) પર ચાકુ ઘૂસાડતા બતાવાયો હતો. હવે આ પ્રકારના ગતકડા જાણી જોઈને વિવાદ ઉભો કરવા માટે થઈને જ કરવામાં આવે છે જેથી જે હલ્કી પબ્લિસીટી છાપે ચડીને મેળવી શકાય. પણ આજે પ્રેક્ષકો અને વાચકો પણ સ્માર્ટ થઈ ગયા છે. ફિલ્મ જો સારી હશે તો ઓછી પબ્લિસીટી કર્યા છતાં ચાલશે જ! છાપાઓમાં ફિલ્મી કલાકારોના ફિલ્મની રીલીઝ થવાની તારીખ પહેલા અફેર કે લિન્ક અપ્સના ખબર પણ માર્કેટીંગ સ્ટ્રેટેજીનો જ એક ભાગ હોય છે.

અમુલ જેવી બ્રાન્ડ દર સપ્તાહે કે કોઈ મહત્વના પ્રસંગ વખતે જે તે સમયને અનુરૂપ જે હોર્ડીંગ્સ તૈયાર કરી પોતાની બ્રાન્ડની પબ્લિસીટી કરે છે એ કાબેલેતારીફ છે.(મેં ક્યાંક વાંચ્યું હતું કે આ પાછળ કોઈક ગુજરાતીનું ભેજું જ કામ કરે છે) આને કહેવાય સર્જનાત્મકતા. બાકી તમારી બ્રાન્ડમાં દમ હોય કે ન હોય છતાં તમે બીજા હરિફોના પ્રોડક્ટ્સની ઠેકડી ઉડાવી તમારા ઉત્પાદનની પબ્લિસીટી કરો એવું પણ સ્પ્રાઈટ,કોકા કોલા અને પેપ્સીના કેસમાં આપણે સૌએ જોયું જ છે!

ખેર, વાચકો તમે સાચા ખોટાનો ભેદ પારખી શકો એટલાં હોશિયાર તો બનજો જ અને સાથે એટલી જ અપેક્ષા સાથે આ બ્લોગ પૂરો કરું છું કે માર્કેટીગના આ યુગમાં આપણને શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા ઉત્પાદનો વાપરવા મળે!

શનિવાર, 12 નવેમ્બર, 2011

આપણે ક્યારે કાયરતા છોડીશું?

[વ્હાલા વાચકમિત્રો,



આજે આપની આ લોકપ્રિય કટાર 'બ્લોગને ઝરૂખે થી...' ૧૦૦ સપ્તાહ પૂરા કરે છે.મને બેહદ ખુશી છે કે આપે આ કટારને અને તેમાં પ્રગટ થતાં મારા વિચારો તેમજ ગેસ્ટબ્લોગમાં પ્રગટ થતાં અન્ય વાચક અને બ્લોગર મિત્રોના વિચારોને આવકાર્યા છે,પસંદ કર્યા છે.હું સતત કંઈક નોખું લખી વિવિધ વિષયોને તમારી સમક્ષ પ્રગટ કરવાના પ્રયત્ન કરતો રહ્યો છું અને તેમ કરતાં પોતે પણ ઘણું શીખ્યો છું.આ બ્લોગયાત્રામાં સહભાગી થવા બદલ તમારા સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું.ભવિષ્યમાં પણ તમારો સહકાર કાયમ રહેશે એવા વિશ્વાસ સાથે તમારા વિચારો,પ્રતિભાવો લખી મોકલવા વિનંતી.


- વિકાસ ઘનશ્યામ નાયક ]


સાત મિત્રો પાનના ગલ્લે રાતનું ખાવાનું પતાવી પાન ખાવા આવે છે. તેમાં ત્રણ યુવતિઓ અને ચાર યુવકો છે. પાનના ગલ્લે એક દારૂડિયો પેલા સાત મિત્રોના ગ્રુપમાંની એક યુવતિ ઉપર બિભત્સ કમેન્ટ કરે છે અને તે ગ્રુપના યુવાનો ઉશ્કેરાઈ જાય છે. તેમની પેલા દારૂડિયા સાથે બોલાચાલી વધુ ઉગ્ર બની જાય છે અને ગ્રુપમાંનો એક યુવાન પેલા દારૂડિયાને ગાલે તમાચો લગાવી દે છે. દારૂડિયો યુવાન ધમકી આપી ચાલ્યો જાય છે અને પાંચ જ મિનિટમાં બીજા વીસેક યુવાનો સાથે હાથોમાં હોકી,ચાકુ,સાંકળ અને એવા શસ્ત્રો લઈ પાછો ફરે છે અને પેલા ગ્રુપમાંના બે યુવાનો પર તૂટી પડે છે. બેમાંથી એક યુવાનતો ઘટનાસ્થળે જ મૃત્યુ પામે છે.અને બીજો યુવાન પણ ખૂબ ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટનાના દસેક દિવસ બાદ તે બીજો યુવાન પણ હોસ્પિટલમાં મૃત્યુ પામે છે.


આ ખૂંખાર, અરેરાટીભરી અને કમનસીબ ઘટના મુંબઈના અંધેરી પરામાં રાતે સાડા નવની આસપાસ એકાદ મહિના પહેલાં જ બનેલી સાચી દુર્ઘટના છે. પાનનો ગલ્લો એક પ્રખ્યાત એવી રેસ્ટોરન્ટની બહાર જ આવેલો છે જ્યાં ઘણાં લોકોની અવર જવર હોય છે. ઉપરાંત અહિંથી થઈને ઘણી રિક્ષા, ટેક્સી, બસો પસાર થાય છે. વીસ યુવાન ગુંડાઓ પેલા સાત મિત્રોના ગ્રુપ ઉપર તૂટી પડ્યા ત્યારે અનેક લોકો આ દુર્ઘટનાના મૂક સાક્ષી બની રહ્યાં. થોડી ઘણી રીક્ષાઓ, એકાદબે બસો અને થોડાં ખાનગી વાહનો પણ તમાશો જોવા અટક્યા હોય એમ થોડી વાર ઉભા રહ્યાં અને પછી કંઈજ પગલું લીધા વિના પોતપોતાના માર્ગે આગળ વધી ગયાં. પાનના ગલ્લા વાળાએ કે રેસ્ટોરન્ટના માલિક કે સ્ટાફે કે આજુબાજુની દુકાનો વાળાઓએ કે રાહદારીઓએ કે ત્યાંના આજુબાજુના રહીશો જે સૌ આ દુર્ઘટના ના મૂક સાક્ષી જ બની રહ્યાં, તેઓ જો એ સમયે એક થઈ એ વીસેક ગુંડાઓનો સામનો કરવા રસ્તા પર ઉતરી આવ્યા હોત તો કદાચ બે આશાસ્પદ હિંમતવાન યુવાનો પોતાનો જીવ ન ગુમાવી બેસત.

આપણાં દેશમાં મોટાં ભાગના લોકોનો એટીટ્યુડ એવો હોય છે કે આપણે કોઈના જમેલામાં શા માટે વચ્ચે પડવું? આપણું પોતાનું અંગત ક્યાં કોઈ મુશ્કેલીમાં છે? શા માટે કોઈ અજાણ્યાને બચાવવા વણનોતરી મુસીબત માથે લેવી? રસ્તે પણ ઘણી વાર કોઈક સાવ સામાન્ય ઘટના પણ બનશે તો તરત લોકોનું મોટું ટોળું જમા થઈ જશે પણ કોઈ ખરી મદદ કરવા આગળ નહિં આવે.

હજી તો પોતાના ગ્રુપમાંની યુવતિ પર અણછાજતી કમેન્ટ કરનારનો સામનો કરનાર આ બે હિંમતવાન કમનસીબ યુવાનોની હત્યાના આ કેસની છાપામાં ચર્ચા ચાલે જ છે ત્યાં બીજી બે દુર્ઘટનાઓ બની છે જે ફરી એક વાર આપણી કાયરતાની ચાડી ખાય છે. ગુજરાતમાં એક આર.ટી.આઈ એક્ટીવીસ્ટની અમદાવાદના ભરચક વિસ્તારમાં શસ્ત્રધારી બે-ત્રણ ગુંડાઓએ ઉપરાઉપરી ઘા કરી હત્યા કરી નાંખી અને બીજા એક કેસમાં મુંબઈમાં એક યુવાનને બે દુશ્મનોએ પ્રોપર્ટીના ઝઘડામાં જીવતો સળગાવી મારી નાંખ્યો. આ યુવાનનો સાત વર્ષનો પુત્ર રડી રડી ચીસો પાડી લોકોની મદદ માંગતો રહ્યો પણ કોઈ વચ્ચે ન પડ્યું અને સળગતો યુવાન વીસેક મિનિટ સુધી બળી ભડથું થઈ મરી ગયો.

શું માનવતા મરી પરવારી છે? દુર્ઘટના કાલે આપણી સાથે કે આપણાં પરિવારના કોઈ એક સભ્ય સાથે પણ બની શકે છે. કોઈક દુર્ઘટના બની ગયા પછી કેન્ડલમાર્ચ યોજી સરઘસો કાઢી કંઈ હાંસલ થવાનું નથી. જરૂર છે આપણે સૌએ થોડી હિંમત કેળવવાની. જરૂર છે કાયરતા ત્યજી દેવાની. જરૂર છે થોડાં જવાબદાર નાગરિક બનવાની. એકલા કદાચ હીરો કે હીરોઈન ન બની શકીએ પણ ટોળું ભેગું થઈ ચોક્કસ અસામાજિક તત્વોનો સામનો કરી જ શકે.આજુબાજુના લોકોને મદદ માટે હાકલ પાડી તો જુઓ. કદાચ એ તમારી જ કે કોઈ બીજાના આગળ આવવાની રાહ જોતો હોય! કદાચ પોતે એકલા હોઈએ ત્યારે પણ પોલીસને કે મદદ કરી શકે એમ હોય તેવી વ્યક્તિ કે સંસ્થાને પ્રેસેન્સ ઓફ માઈન્ડ વાપરી તરત આવી કોઈ ઘટના વિષે જાણ કરીને પણ આપણે કદાચ મોટી દુર્ઘટના બનતા અટકાવી શકીએ.પણ સાવ નિષ્ક્રીય બની રહી માત્ર મૂંગા સાક્ષી બની રહીશું તો ઇશ્વર પણ આપણને માફ નહિં કરે.