Translate

રવિવાર, 20 સપ્ટેમ્બર, 2015

ગણપતિપુલેની મજેદાર સફર (ભાગ - 3)

 ગણપતિપુલેમાં ત્રણ દિવસ જ રહ્યાં છતાં આ જગા અને તેની આબોહવાએ અમારો બધો થાક-તાણ ઉતારી નાંખ્યા અને અમે પૂર્ણપણે રીલાયક્સ્ડ થઈ ગયાં.એમ.ટી.ડી.સી. રીસોર્ટના રૂમમાં મોટી બાલ્કનીમાંથી સમે ઘૂઘવતો સમુદ્ર.અહિં બેઠા બેઠા પણ સહેજે એવો વિચાર આવી જય કે આપણું ઘર પણ આવું હોવું જોઇએ!રાતે પણ દરીયાનાં મોજાનો ધ્વનિ સંગીત સમો ભાસે!રૂમની બહાર પણ સુંદર બગીચમાં ઠેર ઠેર બેસવાનાં બાંકડા કે હેમોક ઝૂલા ગોઠવેલા જેના પર લંબાવી તમે આકાશમાં દોડી રહેલા વાદળો સાથે ગોઠડી માંડી શકો!
 
        રીસોર્ટ બહાર જ અન્ય ગેસ્ટહાઉસ અને હોટલો પણ કતારબદ્ધ.કોંકણ કિનારા પટ્ટી પર આવેલ હોવાથી એવો ડર હોય કે અહિં માછલી અને નોન-વેજ મોટા પ્રમાણમાં ખવાતા હોવાથી શાકાહારીઓને યોગ્ય ખાવા મળી રહે કે કેમ તો એ ખોટો સાબિત થાય.શુદ્ધ શાકાહારી ખાવાનું પીરસતી પણ ઢગલો હોટલો અહિં આસપાસ હતી.પણ અમે જ્યાં સૌથી વધુ વાર ભોજન લીધું એ ભોજનાલયની વાત મારે ચોક્કસ કરવી જોઇએ. આ શુદ્ધ શાકાહારી હોટલ કે ભોજનાલય એટલે ભાઉ જોશી'સ ભોજનાલય.અતિ ચોખ્ખું વાતાવરણ,સ્વાદિષ્ટ ખાવાનું અને રીસોર્ટથી સાવ નજીક.આ ભોજનાલયની દરેક બાબતમાં પોઝીટીવીટી અને ચીવટ છલકાય.ટીપીકલ મરાઠી વાનગીઓથી લઈ મુંબઈવાસી આપણને ફાવે એવી દરેક ડીશનું સીલેક્ટેડ મેનુકાર્ડ પણ વ્યવસ્થિત અને કોમ્પેક્ટ!ભોજનાલયની બહાર આવેલા હાથ ધોવાના વોશબેસીન પર પણ 'પાણી સાવકાશ વાપરા'એવી મતલબની નોંધ લખેલું પાટીયું વગેરે સૂચવે કે કેટલાક લોકો માત્ર બિઝનેસ નથી કરતાં પણ લોકોની સાચા અર્થમાં સેવા કરતે વેલ પોતાની એક અમીટ છાપ ઉભી કરે છે.કેશ કાઉન્ટર પર ક્યારેક ભાઉ કાકા તો એક-બે વાર બેઠેલા તેમના પુત્રવધૂને મેં તેમના ભોજનાલયમાં આરોગેલા રીંગણા-ભીંડા-સેવટામેટાના શાક,કોથીંબીર વડી,દાળભાત અને સાબુદાણાની ખિચડી વગેરે આહાર માટેતો કોમ્પ્લીમેન્ટ્સ આપ્યાં જ પણ તેમની દરેક ઝીણીઝીણી ચીવટ ભરી બાબતો માટે પણ ધન્યવાદ પાઠવ્યાં.
 
      ગણપતિપુલે પાસે આવેલા અન્ય દર્શનીય સ્થળોએ જવા રીક્ષા કરવાનું નક્કી કર્યું.રીસોર્ટની બહાર થી જ કતારબદ્ધ રીક્ષાઓ ઉભેલી.બેત્રણ જગાઓએ જવા માટે ભાવતાલ પૂછ્યો તો એક રીક્ષાવાળાએ બારસો રૂપિયાની રકમ ભાડા પેટે કહી.મને આ ભાડું થોડું વધારે લાગ્યું પણ પછી અનુભવ થયો કે અહિં રીક્ષાવાળાઓ અન્ય કેટલીક જગાઓએ હોય છે એવા લાલચુ કે કપટી નહોતાં. નાના ગામના સરળ માણસો. પહેલા ગણપતિપુલે નજીક એકાદ કિલોમીટર જ દૂર આવેલ માલગુંડ નામનાં નાનકડા ગામમાં જન્મેલા કવિ શ્રી કેશવસૂતના જન્મસ્થળે પ્રાચીન ઢબના ઘર અને ત્યાં બનાવાયેલા સંગ્રહસ્થાનની મુલાકાત લીધી.
 
 એક કવિના માનમાં સરકારે અને ગ્રામવાસીઓએ લીધેલા પગલાં જોઈ મનને ખુબ આનંદ થયો.ઘર લીંપણ કરેલું લાક્ષણિક ગામડાનું હોય તેવું હતું જેની જાળવણી કરાઈ છે અને તેમાં તથા આસપાસની જગાએ સમારકામ અને નવીનીકરણનું કામ ચાલું છે. સંગ્રહસ્થાનમાં કવિ વાપરતા હશે એ પ્રાચીન જમાનાની વસ્તુઓ તેમજ તેમણે લખેલી તથા અન્ય મરાઠી ભાષી કવિઓની રચનાઓ જોવા-વાંચવા મળ્યાં. અસપાસ એક બાગ પણ બનાવાઈ રહ્યો છે જ્યાં કવિ શ્રી કેશવસૂતની કેટલીક કવિતાઓ પત્થરની તક્તીઓ પર અંકિત કરી લગાડવાનું કામ ચાલુ હતું.આ જગાની મુલાકાત લઈ એક અજબ શાંતિનો અનુભવ થયો.ત્યાંથી રીક્ષાવાળો અમને જયગઢ કિલ્લા પાસે લઈ ગયો જ્યાંથી અમારી પાસે કિલ્લો જોવા જવાનો અથવા વેલણેશ્વર શિવધામ જવાનો વિકલ્પ હતો.સમયના અભાવે એકની જ પસંદગી અમારે કરવાની હતી.અમે ખાડીમાં બોટ ફેરીમાં બેસી બીજા કિનારે આવેલ વેલણેશ્વરના મંદિરે જવાનું પસંદ કર્યું.
પંદર-વીસ મિનિટની બોટ સવારી માણી બીજે કાંઠે ફરી રીક્ષા પકડી.ત્યાંથી વેલણેશ્વર મંદિર જવાનો પંદર-વીસ કિલોમીટર લાંબો પંથ શરૂઆતમાં થોડો ઉબડખાબડ હતો પણ આસપાસની લીલોતરીને કારણે મનભાવી બની રહ્યો.વચ્ચે વચ્ચે રીક્ષાવાળાએ અન્ય ગ્રામજનોને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડ્યા.વિચાર આવ્યો કે આટલે દૂર આ ગ્રામ્ય સ્થળોએ રહેતા લોકોનું જીવન ખાસ્સુ અઘરૂં હશે કારણ અહિ જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે પણ દૂર આવવું પડતું હશે એમ જણાયું. સાંજે મોડું થઈ જય તો પાછા ગણપતિપુલે જવાનો માર્ગ જ ન બચે એવી સ્થિતી હતી.કારણ છેલ્લી ફેરી બોટ સાંજે આઠ વાગ્યાની હતી તે પહેલા અમારે વેલણેશ્વર દર્શન કરી પાછા ફરવાનું હતું.આ મંદીર પણ ઘણું સુંદર હતું જેનું નવીનીકરણ અને રંગરોગાન થોડાં વર્ષ અગાઉ થયું હોય એમ જણાતું હતું.પ્રાંગણમાં દક્ષિણભારતનાં મંદીરોમાં વિશેષ જોવા મળે એવાં દીપકસ્તંભો.આજુબાજુ ચોમેર હરીયાળી,નાનો કૂવો,અપાર શાંતિ વગેરે મનને એક અનેરી શાંતિ અને પવિત્રતાનો અનુભવ કરાવતા હતા.અહિ શિવલિંગના દર્શન સાથે વિષ્ણુભગવાનનાં પણ દર્શન કર્યાં અને પાછા જવાનું મન જ નહોતું થતું. તેમ છતાં સમયના બંધનને અનુસરતા નાનકડી ટપરી પર ચા પી ત્યાંથી વિદાય લીધી. અહિં ટાટા નેઓન કારને કસ્ટમાઈઝ્ડ કરી નોખો આકાર આપી બનાવેલા દેડકા જેવા દેખાતાં ટમટમ રીક્ષા જેવા વાહનો જોઈ ખુબ નવાઈ લાગી. પાછા ફરતાં વધુ એક દશહસ્ત વિનાયક મંદીર દર્શનાર્થે રોકાયા.અહિ પણ ખુબ મજા આવી અને મનને ફરી એક વાર અજબ શાતા અને ધન્યતાનો અનુભવ થયો.રીક્ષા વાળાએ અમને સમયસર છેલ્લી ફેરીના સમય પહેલા પહોંચાડી દીધા અને મને તેમના અનેક કઠણાઈઓ ભર્યાં જીવન વિશે વિચાર કરતા તેના પ્રત્યે માનની લાગણી થઈ આવી. નિયત કરેલી રકમ કરતાં તેને પચાસ રૂપિયા વધુ આપી છેલ્લી ફેરી બોટમા બેસી ફરી સામા કિનારે આવ્યાં અને ત્યાંથી ફરી એક રીક્ષા લઈ ગણપતિપુલે પાછા ફર્યાં.
 
 
 
 
 
 
 
 રાતે ફરી એક વાર દરીયા સાથે ગોઠડી માંડી.વરસાદ આવ-જાવ કર્યાં કરતો હતો.અહિનું મનમોહક વાતાવરણ ધરાઈને માણ્યું.
        છેલ્લા દિવસે રીસોર્ટ નજીક આવેલા એક આયુર્વેદીક આરોગ્ય કેન્દ્રમાં ફુલ બોદે મસાજ લઈ શરીરને પણ ફરી તાજું કર્યું અને પછી ગણપતિપુલેથી વિદાય લીધી.સાંજે રત્નાગિરી સ્ટેશને મુંબઈ પરત ફરવા ટ્રેનની રાહ જોત હતા ત્યારે સ્ટેશન પર ટ્રેક પાસે એક થાંભલે બેસી જીવડાંનો શિકાર કરતા કિંગફીશર પક્ષીએ વિલંબીત ટ્રેનની પ્રતીક્ષા થોડી સહ્ય બનાવી અને છેવટે ટ્રેન આવી જેમાં બેસી દાદર પાછાં ફર્યાં ફરી એક વાર કોંકણ રેલવેની બોગદાં અને અપાર સુંદરતા ભર્યાં લીલાછમ પ્રવાસને માણતા માણતા.
(સંપૂર્ણ)

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2015

ગણપતિપુલેની મજેદાર સફર (ભાગ - ર)


 

 
બસની બારીમાંથી થઈ રહેલું એ ઘૂઘવતા વિશાળ સમુદ્રનું સુંદર દર્શન મનને અનેરી તાજગી અને શાંતિથી ભરી દેનારું હતું.ગણપતિપુલે ગામ આવ્યું એટલે અમે ઉતર્યાં અને ત્યાંથી અડધો-એક કિલોમીટર ચાલી એમ.ટી.ડી.સી.(મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન) રીસોર્ટ પહોંચી ગયાં.ત્યાં રહેવા માટે મેં બે દિવસ - બે રાતનું બુકીંગ ઓનલાઈન અગાઉ થી જ કરી રાખ્યું હતું.અહિની હવામાં ભીનાશ સાથે કંઈક અનોખી તાજગી હતી જે સ્ફૂર્તિ અને ખુશીનો અનુભવ કરાવતી હતી.એમ.ટી.ડી.સી. ની આ રીસોર્ટનું પરિસર અતિ સુંદર હતું.મોટા ભાગની રૂમ એ રીતે બાંધેલી કે જેમાં એક તરફનું બારણું ખોલતા જ સામે સમુદ્રનું દર્શન થાય.રીસોર્ટના પ્રવેશ દ્વારની સામે જ અહિના અતિ પ્રસિદ્ધ સુંદર ભવ્ય પ્રાચીન ગણપતિપુલેના સ્વયંભૂ ગણપતિ મંદિરનું પ્રવેશદ્વાર.તમારે જેટલી વાર મંદિરમાં જવું હોય એટલી વાર વિચાર કર્યા વગર પહોંચી જઈ શકો.અને જો આરામ થી રેતીમાં આળોટવાની ઇચ્છા હોય કે સમુદ્રમાં નહાવાની તો રીસોર્ટના રૂમમાંથી પણ સીધા ત્યાં પહોંચી જઈ શકો.

મંદિર આમ તો જૂનું હશે પણ તેનો જીર્ણોદ્ધાર કે નવીનીકરણ થયાં હોવા જોઇએ. લાલ પત્થરોનું બનેલું મંદીર ઘૂઘવતા સમુદ્રને કાંઠે ખુબ ભવ્ય અને સુંદર ભાસે. મંદીરની બંને બાજુએ પાંચ-પાંચ દીપકસ્તંભોની  હાર તેની છબીને ઓર વધુ સુંદર બનાવે. મંદીરની ફરતે એક કિલોમીટર લાંબો પત્થરોની લાદીનો બનેલો પ્રદક્ષિણા માર્ગ જે એક બાજુએ પાળી દ્વારા આસપાસનાં માર્ગથી જુદો પડે અને તેની બીજી બાજુએ લીલાછમ વ્રુક્શોની વનરાજી. માર્ગ ખાસ્સો લાંબો એટલે એમાં વચ્ચે નાનકડા અન્ય મંદીર પણ આવે અને માર્ગના મંદીર તરફના બીજા છેવાડે નાનકડી વાવ અને દરીયો પણ આવી જાય. ચાલવાનો જેમને મહાવરો હોય અને આનંદ આવતો હોય એને પ્રદક્ષિણા માર્ગ પર પ્રભુનું સ્મરણ કરતાં કરતાં આસપાસનાં દ્રષ્ય જોતાં જોતાં ચાલવાની મજા પડે. મેં મારા નિવાસ દરમ્યાન રોજ એક વાર પ્રદક્ષિણા કરી, ચાલવાની અને દરમ્યાન કુદરત સાથે અનુસંધાન સાધવાની મજા માણી. માર્ગ પર એક આબેહૂબ સળી જેવું   દેખાતું  જીવડું જોયું, ભાસ્કર પક્ષીનો લાક્ષણિક અવાજ સાંભળ્યો, ગણપતિને ચડાવવા કેવડાના કાંટાળા પાન તોડ્યા, વચ્ચે માર્ગની સફાઈ કરતી મહિલાઓને નમ્યાના હાથે નાનકડી બક્ષિસ આપી તેમનાં મુખ પર સ્મિત નિહાળ્યું, એક છોડવા પર દરજીડા પંખી-યુગલની રમત  નિહાળી, વાવને  થોડી ક્ષણો ઉભા રહી નિહાળી અને વચ્ચે આવતાં અન્ય નાના મંદીરમાં થોડી ક્ષણો બેસી મેડીટેશન પણ કર્યું - બધું પ્રદક્ષિણા કરતાં કરતાં! મંદીરમાં ગણપતિની સ્વયંભૂ પ્રતિમા અન્ય જોવા મળતી સામાન્ય મૂર્તિઓ જેવી નહિ. પરંતુ પત્થરમાંથી ઉપસી આવેલ આકાર પર સિંદૂરનો લેપ અને અન્ય શણગાર જોવા મળે  અહિ ગણેશજીની પ્રતિમા પર. મંદીરની બહાર આવો એવો સામે દરીયો.ભરતી ટાણે દરીયાના મોજા પણ મંદીરમાં પ્રવેશી ગણેશજીના દર્શન કરવા ધસી આવતા હોય એવું લાગે!મંદીરના પ્રાંગણમાં ભોજનશાળામાં બધાં ભક્તોને સ્વાદિષ્ટ ખિચડી અને અથાણા સાથે લાડવાના ચૂરમાનો પ્રસાદ પિરસાય.અન્ય પવિત્ર ધામો-મંદીરો કે જાત્રા સ્થળોએ જોવા મળતી ભીડ અમને જરાય નડી વાતનો પણ આનંદ હતો ઓફ - સિઝનમાં પ્રવાસ કરવાનો એક મોટો ફાયદો!








મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2015

ગણપતિપુલેની મજેદાર સફર (ભાગ - ૧)


વાચકમિત્રો, ગણેશ ઉત્સવ નજીકમાં છે ત્યારે એક વિનંતી વેળાસર કરવાની કે જો તમે ઘેર ગણપતિબાપાની પધરામણી કરાવવાના હોવ તો બને એટલી ઇકોફ્રેન્ડલી રીતે ઉત્સવ મનાવજો.ગણેશની મૂર્તિથી માંડી સુશોભનની વસ્તુઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે એવી વાપરી શકાય. વખતે તો માછલીઓ ખાઈ શકે એવા પદાર્થમાંથી બનતી ગણેશની મૂર્તિ પણ બજારમાં મળશે એવું વાંચવામાં આવ્યું છે.ગણેશ વિસર્જન પણ ઇકોફ્રેન્ડલી રીતે કરી શકાય.આમ કરી ગણપતિ બાપ્પાનાં આશિર્વાદ તો મેળવશો અને સાથે સાથે જવાબદાર નાગરિક તરીકે ફરજ બજાવી પર્યાવરણનાં જતન અને સંવર્ધનમાં તમારો ફાળો નોંધાવી અન્યો માટે ઉદાહરણરૂપ બની શકશો!ગણપતિ બાપ્પા મોર્યા!  

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ગણપતિ બાપ્પાની સવારી ટૂંક સમયમાં આવી રહી છે જેની ઉત્કંઠાપૂર્વક રાહ જોવાઈ રહી છે અને અત્યારે તેની ચર્ચા જોરશોરમાં છે ત્યારે  થોડા સમય અગા તેમના નામથી શરૂ થતા એક પર્યટનધામની મેં લીધેલી મુલાકાતનાં મીઠાં સંસ્મરણો ની યાદ તાજી થાય છે. આજનાં બ્લોગમાં સંસ્મરણો વાગોળવા છે. ધામ એટલે કોંકણના દરીયાકિનારે આવેલું પવિત્ર સુંદર શાંત રમણીય  - ગણપતિપુલે.

વર્ષમાં એક નાનો અને એક મોટો એમ બે પ્રવાસ સપરિવાર અચૂક ખેડવા એવું નક્કી કર્યુ છે! વર્ષનો નાનો પ્રવાસ જુલાઈ માસમાં ગણપતિપુલે જઈ ખેડ્યો.વરસાદનાં મોસમમાં જગાની મુલાકાત લેવાનો અનુભવ ખુબ મજેદાર રહ્યો.

મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં ત્રણ દિવસના પ્રવાસે પહેલી વાર જવાનું થયું.દાદરથી રાતની ટ્રેન પકડી સવારે રત્નાગિરી પહોંચ્યા.હું અમી અને નમ્યા ત્રણે રાતે બાર વાગે દાદર ટર્મિનસ પહોંચી ગયા જ્યાંથી ટ્રેન પકડવાની હતી.ગુજરાત તો ઘણી વાર ટ્રેનમાં જવાનું થાય પણ એક જુદી દિશામાં રેલવે પ્રવાસ કરવાનો નવો અનુભવ લેવા હું ઉત્સુક હતો.સહપ્રવાસીઓથી માંડી ટી.સી. બધાં બિન-ગુજરાતી, મોટે ભાગે મરાઠી. ભાષા ભલે અલગ હોય પણ આપણે બધાં ભારતીયો એક સામાન્ય સંસ્ક્રુતિ કે પરંપરાગત તંતુથી જોડાયેલા છીએ એવો અનુભવ થયો.અમારી સાથે એક કમ્પાર્ટમેન્ટમાં એક મરાઠી કુટુંબ (મા-બાપ અને તેમની યુવાન દિકરી) પ્રવાસ કરી રહ્યાં હતાં.થાણે થી તેમનાં પરીવારનો મોટો કાફલો જોડાયો અને તેમની સાથે પ્રવાસ કરવાની મજા આવી.ટીકીટ તપાસતી વખતે ટી.સી.ને તેમની સાથે મરાઠીમાં ગમ્મત કરતો જોવાની મજા પડી.સવારે સાડા- સાતે મારી આંખ ખુલી ગઇ.

બહાર મહારાષ્ટ્રનાં કોંકણ પટ્ટામાં આવેલા નાના નાના ગામ-સ્ટેશન્સ આવતાં જતાં હતાં.તે જોવાં હું ટ્રેનના દરવાજા પાસે ઉભો હતો.વરસાદ આછો આછો પડી રહ્યો હતો.લીલોતરી ભર્યાં વાતાવરણ અને પંખીઓનાં વહેલી સવારનાં કલબલાટે મનને પ્રસન્નતાથી ભરી દીધું.ગાડી થંભી ત્યારે એકાદ બે સ્ટેશન્સ પર તો લોકો ભેગો હું પણ ઉતર્યો અને ત્યાંના મનોહર વાતાવરણને મેં શ્વાસમાં ભર્યું.લીલાછમ ઝાડો,કલકલ કરતાં ઝરણાં,ક્યાંક વળી કાળા પથ્થરો વચ્ચે થી પસાર થતાં પાટા પર દોડી રહેલી તો ક્યાંક લાંબાલચક અંધારીયા બોગદાઓમાંથી પસાર થતી ટ્રેન અમને સાડા આઠની આસપાસ રત્નાગિરી લઈ આવી. કોંકણ રેલવેની સફર મજેદાર રહી.
ગણપતિપુલે રત્નાગિરી સ્ટેશનથી વીસ-પચ્ચીસ  કિલોમીટર અંતરે આવ્યું છે. બસ ડેપો લગભગ આઠ-નવ કિલોમેીટર દૂર હતો. રત્નાગિરી સ્ટેશનની બહાર રીક્શાઓ કતારબદ્ધ  ઉભી હતી. એકાદ રીક્શાવાળાએ અમને ગણપતિપુલે સીધા રીક્શામાં લઇ જવાની તૈયારી પણ બતાવી. પણ તેણે ભાડું કહ્યું તે યોગ્ય હશે કે એમ તેની અવઢવમાં મેં તેને બસ ડેપો સુધી લઈ જવા કહ્યું. અહિંની રીક્શાઓ મુંબઈની  રીક્શાઓ કરતાં  જરા જુદી અને મોટી હતી. વિસ્તારમાં વરસાદ વધુ પડતો હોવાને લીધે રીક્શામાં બંને બાજુએ સરસ મજાનાં ફોલ્ડીંગ દરવાજા બેસાડેલા હતાં.તેમાં નાની બારી પણ ખરી! રીક્શાની  છત ડામર કરી હોય તેવી કડક અને ખાસ  મટિરીયલ માંથી બનાવેલી.રીક્શામાં ડ્રાઈવરની સીટ અને  પ્રવાસીઓની સીટ વચ્ચે સરસ નાનો પડદો ખોલ-બંધ કરવાની નમ્યાને મજા પડી!વીસેક મિનિટમાં બસ ડેપો આવી ગયો.  ડેપો ઉતરી ત્યાંથી તરત  ગણપતિપુલેની  દિશામાં  જતી બસ મળી ગઇ. 
               બસની સફર પોણા કલાકની હતી. રત્નાગિરી શહેરની સીમાથી દૂર ગયાં અને જેવી ગણપતિપુલેના દરિયાની હદ શરૂ થઇ  કે બસની બારીમાંથી  બહાર દેખાતું  નયનરમ્ય  દ્ર્શ્ય જોઈ અવાચક  બની જવાયું. દૂર દૂર સુધી દ્રષ્યમાન થતી અપાર - અગાધ જળરાશીનું આવું અજોડ સુંદર સ્વરૂપ અગાઉ બીજે ક્યાંય જોયું નહોતું.
(ક્રમશ:)