Translate

રવિવાર, 28 ડિસેમ્બર, 2014

અક્સ્માત કરી ભાગી જશો નહિ...

૧૮મી ડિસેમ્બર ૨૦૧૪ ના ગુરુવારને બપોરે બે વાગે મલાડ પશ્ચિમના સદાયે ટ્રાફિકથી ધમધમતા એસ.વી.રોડ પર એન.એલ.હાઈસ્કૂલ પાસે મારા પિતા ઘનશ્યામ નાયક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.બોરિવલી તરફથી ગોરેગામ પૂરપાટ વેગે જઈ રહેલા એક સ્કૂટરે તેમને જોરથી ટક્કર મારી. કોમેડી ટી.વી.સિરિયલ તારક મહેતા કા ઊલ્ટા ચશ્માના તેમના લોકપ્રિય નિવડેલા નટુકાકાના પાત્રે તેમને બક્ષેલી ખ્યાતિને પરિણામે સડક પર સારી એવી ભીડ જમા થવા લાગી. નહિતર રસ્તા પર અક્સ્માત થાય ત્યારે પોલીસકેસની જંજાળથી બચવા લોકો લોહીલૂહાણ હાલતમાં પડેલી વ્યક્તિનો જીવ બચાવવા તેને નજીકની હોસ્પિટલ સુધી લઈ જવાનું પસંદ કરતા નથી અને અક્સ્માત થયો હોય ત્યાં ટોળું જમા થતું નથી. સ્કૂટર પર સવાર બે નવયુવાન ભીડ જોઈ ગભરાઈ ગયા કે પછી તેમના સ્કૂટરે મારેલી જોરદાર ટક્કરને કારણે બેહોશ થઈ સડક વચ્ચે ઢળી પડેલા નટુકાકાના કાનમાંથી વહેવા માંડેલા લાલ લોહીના રંગે તેમને ડરાવી મૂક્યા કારણ જે હોય તે પણ તેઓ એ દૂર્ઘટના સ્થળે કોઈ તેમને પકડી મેથીપાક ચખાડે એ પહેલા નટુકાકાને એ જ હાલતમાં પડતા મૂકી ત્યાંથી રફૂચક્કર થઈ ગયાં.

મારા પિતાના પુણ્યપ્રતાપે અને સદનસીબે અહિ બે-ત્રણ વાત એવી બની જેણે મારા પિતાને નવજીવન બક્ષ્યું.એક આ અકસ્માત બન્યો ત્યારે સામાન્ય રીતે ટ્રાફીકથી ભરેલા રહેતાં એ માર્ગ પર અન્ય કોઈ વાહન તે સમયે સ્કૂટરની પાછળ નહોતું આવી રહ્યું.બીજું એ અકસ્માત અમારા પાડોશમાં ઓફિસ ધરાવતાં દિલીપ છાટબારે નજરે નિહાળ્યો અને તેઓ સમયસૂચકતા વાપરી મારા પિતાને રીક્ષામાં બેસાડી હોસ્પિટલ વેળાસર પહોંચાડી શક્યાં.

આવી કોઈ ઘટના જીવનમાં બને ત્યારે જ સમજાય કે ઇશ્વર જેવું કંઈક ચોક્કસ અસ્તિત્વ ધરાવે છે અને તે આપણને ઘણી વાર મસમોટી આફતમાંથી ઉગારી લે છે. પપ્પા એ સમયે બેન્કમાંથી રોકડ રકમ ઉપાડી ઘેર પાછા ફરી રહ્યા હતા.એ રકમ પણ દેવદૂત બનીને આવેલા દિલીપભાઈએ મારા ઘર સુધી સુરક્ષિત રીતે પહોંચાડી દીધી અને અમારા માથે આવેલી એ શૂળીની ઘાત સોયથી ગઈ.પપ્પાને ગંભીર બ્રેન હેમરેજ થતાં થતાં રહી ગયું.કાનમાંથી પુષ્કળ લોહી વહી જતાં તેમને ભારે અશક્તિ આવી ગઈ હ તી અને આ બ્લોગ લખાઈ રહ્યો છે ત્યારે એ દૂર્ઘટનાના એક સપ્તાહ બાદ પણ તેઓ હોસ્પિટલના બિછાને મગજ પર થયેલ અસરને કારણે વેદના સહી રહ્યા છે પણ માત્ર આ વિશે લખી સહાનુભૂતિ મેળવવા હું આ અનુભવ નથી વર્ણવી રહ્યો.

રોડ અકસ્માતની ઘટના વખતે મોટેભાગે કોઈ તો અક્સ્માત સર્જનાર વાહનનો નંબર નોંધી લેતું જ હોય છે.મારા પિતાને ટક્કર મારનાર સ્કૂટરનો નંબર પણ ત્રણ-ચાર જણે નોંધી લીધેલો અને મારા સુધી પહોંચાડેલો અને મેં એ નંબર પોલીસ સાથે શેર કરી ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો પણ મારા પિતાની એ દિશામાં આગળ વધવાની બિલકુલ ઇચ્છા ન હોવાના નિર્ણયને મેં માન આપ્યું છે અને હું હવે એ અંગે આગળ કોઈ કાર્યવાહી કરવાનો નથી.

પણ મારે સંદેશ પહોંચાડવો છે એ બે યુવકો સુધી જેઓ મારા પિતાને રસ્તા પર તેમના કોઈ વાંકગુના વગર તેમને આટલી મોટી સજા આપી એ મરે છે કે જીવે છે તેની પણ દરકાર કર્યા વગર કાયરતાપૂર્વક ભાગી ગયાં.

પહેલો સંદેશ તો એ કે તમે પરીપક્વતા દાખવી વાહન અતિ ઝડપે ન હંકારશો. Speed thrills but it also kills. અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિની જગાએ વાહન સામે તમારા પરિવારની કે અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિ પણ હોઈ શકે છે એ યાદ રાખો. બીજો સંદેશ એ કે તમારા વાહન દ્વારા અકસ્માત થાય ત્યારે ભાગી જવાની બદલે અક્સ્માતનો ભોગ બનેલ વ્યક્તિને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવાની સૌજન્યતા દાખવો.સમયસર મળેલી સારવાર એ વ્યક્તિનો જાન બચાવી શકે છે.એમ કરીને તમે તમારાથી થયેલ અપરાધનું પ્રાયશ્ચિત કરી શકો છો.પણ જો તમે ભાગી જવાની કાયર વ્રુત્તિ દાખવશો તો એટલું યાદ રાખજો કે કદાચ એ ઘટના સમયે તમે સફળતાપૂર્વક ભાગી જઈ શકશો પણ ઇશ્વરના ન્યાયથી તમે ક્યારેય ક્યાંય નહિ ભાગી શકો અને તમને તમારો પોતાનો અંતરાત્મા જીવનભર ડંખ્યા કરશે અને ચેનથી જીવવા નહિ દે.

ત્રીજો સંદેશ મારે સમાજમાં માતાપિતાઓને આપવો છે કે તમે તમારા નવયુવાન પુત્ર કે પુત્રીને તે પરિપક્વ ન થાય ત્યાં સુધી વાહન ન અપાવશો.જુવાનીના જોશમાં તે ક્યારે વાહન ચલાવવાની સુરક્ષિત સ્પીડલિમિટ ઓળંગી પોતાનો કે અન્ય કોઈનો મૂલ્યવાન જીવ જોખમમાં મૂકી દેશે તે કહી શકાય નહિ.

છેલ્લો સંદેશ, જ્યારે પણ તમે રસ્તા પર કે ગમે ત્યાં કોઈ અકસ્માત જુઓ ત્યારે માત્ર તમાશો જોનાર મૂક સાક્ષી બની રહેતાં,પોલીસકેસની જંજાળથી ડર્યા વગર, મારા પિતાને હોસ્પિટલ સુધી લઈ જનાર દિલીપભાઈની જેમ અક્સ્માતનો ભોગ બનેલી વ્યક્તિને નજીકની હોસ્પિટલભેગી કરજો. શક્ય છે તમારી મદદને કારણે કોઈનો જીવ બચી જાય. આનાથી મોટી પુણ્ય કમાવાની તક જીવનમાં બીજી નહિ મળે.

ભગવાનની સદકૃપા અને મહેરબાનીથી કદાચ તમે આ બ્લોગ વાંચતા હશો ત્યાં સુધી તો મારા પિતા હોસ્પિટલમાંથી ઘરે પાછા આવી ચૂક્યા હશે એ માટે ઇશ્વરનો અને તેમના ચાહકવર્ગની દુઆઓનો આભાર પ્રગટ કરવા મારી પાસે શબ્દો નથી પણ હું આશા રાખું છું કે જે શબ્દો મેં આ બ્લોગમાં લખ્યા છે તે જરૂર પેલાં બે યુવકો અને તેમનાં પરિવારો સુધી પહોંચે અને તેઓ એમાંથી બોધપાઠ લે.

સોમવાર, 22 ડિસેમ્બર, 2014

ખરી પરિપક્વતા


રોજ સવારે ઓફિસ જતી વેળાએ વાંદ્રા સ્ટેશનના પૂર્વ છેડા તરફથી બસ કે રીક્ષા પકડી ત્રણેક કિલોમીટરને અંતરે વાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી મારી ઓફિસે જવાનો નિત્યક્રમ છે. રીક્ષાવાળાઓ મોટે ભાગે લાંબા ભાડાની આશાએ મારી ઓફિસ સુધી આવવાની ના પાડતા હોય છે એટલે બસ મા જવું પડે. સવારના પહોરમાં દ્રષ્ય જોવા જેવું હોય છે. મોટા મોટા ઓફિસર જેવા લોકો પણ રીક્ષાની લાંબી કતાર હોવા છતાં રીતસર તેમને થોડા ઓછા અંતરે આવેલી તેમની ઓફિસો સુધી લઈ જવા રીતસર કરગરતાં જોવા મળે પણ રીક્ષા વાળાઓ રૂઆબ ભેર તેમને ના પાડે અને પરીણામે નોકરીયાત લોકોની સારી એવી ભીડ સવારે નવથી દસના ગાળામાં અહિ જોવા મળે. બસ સ્ટોપ પર પણ લાંબી કતાર છેક અડધા એક કિલોમીટર સુધી રચાયેલી જોવા મળે! કારણ જરૂરિયાતના સમયે બસની ફ્રિક્વન્સી ઓછી થઈ જાય ને?! મોટે ભાગે બેસ્ટના ઓફિસરો બસ સ્ટોપ પર ભીડને અને કતારને નિયંત્રણમાં રાખવા મોજૂદ હોય પણ જે દિવસે લોકો હાજર હોય દિવસે અવ્યવસ્થાનું પૂછવું શું? ભૂલેચૂકે જો આવે વખતે કંડક્ટર બસના દરવાજે લોકોને વચ્ચેથી ચડવા દેવા ઉભો હોય તો ચાર-પાંચ જણ રસ્તા પરથી બસમાં ઘૂસવાનો પ્રયત્ન કરે અને પછી તો અન્યોએ પણ અમેય શો ગુનો કર્યો છે એવી માનસિકતાથી કતારની ઐસી કી તૈસી કરી બસમાં ઘૂસી જવાની ધક્કામુક્કીમાં લાગી જાય.

            શા માટે આપણે આવા છીએ? શા માટે આપણને સતત કોઈ નિયમનકર્તા કે નિરીક્ષકની જરૂર છે?આપણાં ભારતીયોની માનસિક આપણાં લોકોની સૌથી મોટી નબળાઈ છે.

            ધક્કામુક્કી કરી બસમાં વચ્ચે ઘૂસી જનારા લોકો કેમ અસહ્ય ગરમીમાં કલાકો સુધી કતારમાં ઉભા રહેનાર લોકોનો વિચાર નહિ કરતાં હોય? શિસ્ત પાળી સદવર્તન કરનાર કતારમાં ઉભા રહેનાર લોકો એક તો સાચું અને યોગ્ય વર્તન કરી રહ્યા હોય છે પણ એની તેમને જાણે સજા મળે છે. લોકો કતાર પૂરી થયા બાદ પણ પછીથી બસમાં ચડી શકે છે. પણ તો તેમને બેસવા મળે ને? વચ્ચે ઘૂસીને પણ તેમને આરામપૂર્વક બેસીને બસમાં મુસાફરી કરવી હોય છે. નિયમો ને નિતીમત્તાની શી વિસાત?

            આપણે ક્યારે સંદર્ભે પરિપક્વ થઈશું? વિદેશોમાં એમ્બ્યુલન્સ જતી હોય તો લોકો તેને સામેથી પોતે આઘા ખસી જઈ માર્ગ કરી આપે જેથી જીવનું જોખમ હોય તેવા દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચી જવા મળે. ત્યાં માણસની, માણસના જીવનની કિંમત છે. જ્યારે અહિ?



એમ્બ્યુલન્સ અથવા અગ્નિશામક દળના વાહનને પણ આગળ જવા દેવાની સૌજન્યતા લોકો દાખવતા નથી.અરે કેટલાકતો નફ્ફટાઈની હદ વટાવી એમ્બ્યુલન્સનો રસ્તો કાપી કે તેની લગોલગ પહોંચી જઈ પોતાને ઝડપથી આગળ જવા મળે તેવી હરકત કરતાંયે ખચકાતા નથી. લાલ બત્તી તોડવી, ટ્રાફીકના નિયમો પાળવા તો જાણે આપણો જન્મસિદ્ધ અધિકાર! જ્યારે વિદેશોમાં હોર્ન વગાડવું પણ અતિ ભયંકર પરિસ્થીતીમાં માન્ય ગાણય છે. ત્યાં રસ્તો ક્રોસ કરી રહેલા માણસને પ્રાથમિકતા અપાય છે.આપણે ક્યારે આવું સદવર્તન શિખીશું? ભણેલા-ગણેલા લોકો પણ નિયમો તોડવાની સ્પર્ધામાં સામેલ હોય છે અને રસ્તા વચ્ચે પોતાની મોંઘીડાટ ગાડીનું બારણું ખોલી થૂંકની પિચકારી મારતા શરમાતા નથી.

            શું બધી વાતો આપણને શાળા-કોલેજમાં શિખવવામાં આવતી નથી? આવે છે પણ બાળક ઘરમાં જુએ એવું વર્તન કરતાં શીખે છે.આથી મોટાઓએ પહેલા સુધરવાની જરૂર છે.સદ આચરણ દ્વારા આપણે નવી પેઢીને સારી રીતે જીવતા શિખવી શકીશું. યોગ્ય વર્તન કરવાની સાથે તેને કોઈ દ્વારા આચરાતું ચલાવી લેવાની પણ જરૂર છે.'મારે એમાં શું?' આવી માનસિકતા બદલવાની જરૂર છે.સ્વાર્થપરાયણતા કે પોતાનું ને પોતાના નિકટના-પરિવારજનોનું સારૂં વિચારવાની ભાવના ત્યજી શહેર ને દેશ માટે વિચારતા થવાની જરૂર છે. ચાલો આપણે સૌ રીતે જીવવાની શરૂઆત કરી 'મેરા ભારત મહાન'ને યથાર્થ બનાવીએ.