Translate

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

કુદરત સાથે કનેક્શન

   આખા બ્રહ્માંડમાં પૃથ્વી એવો ગ્રહ છે જેના પર જીવન ધબકે છે. તેનું કારણ અહીં જીવન ટકી શકે એવા પરિબળો અને સંયોગો મોજૂદ છે. આ પરિબળો અને સંયોગોનું જ એક નામ છે કુદરત. કુદરતને આસ્તિક ભગવાન કહેશે તો નાસ્તિક વિજ્ઞાન. પણ આ કુદરત એક એવી જોઈ, સ્પર્શી અને અનુભવી શકાય એવી હકીકત છે જે જીવન ના અસ્તિત્વ માટે કારણભૂત છે. જ્યાં સુધી આ કુદરત આપણાથી રૂઠેલ નથી ત્યાં સુધી જ આપણે સુરક્ષિત છીએ. કુદરત ક્યારેક રૂઠે ત્યારે થયેલી તારાજીના અનેક ઉદાહરણ આપણે તાજેતરમાં જોયેલા છે. કુદરત રૂઠે એ માટે જો કે મોટે ભાગે આપણે જ જવાબદાર પણ છીએ. લોભ ને ના હોય થોભ અને આંધળા અને સ્વાર્થી વિકાસ માટેના લોભે જ કુદરત ને આપણાથી રૂઠવાના સંયોગો ઉભા થયા છે.

   ખરું જુઓ તો આપણે પણ કુદરતનો જ એક અંશ છીએ, કુદરતનો જ એક ભાગ છીએ. માત્ર મનુષ્ય જ નહીં, બલ્કે આ પૃથ્વી પર નો પ્રત્યેક સજીવ - પશુ, પંખી, જંતુ, વનસ્પતિ વગેરે અને નિર્જીવ તત્વો જેવા કે માટી, પહાડ, ઝરણાં, નદી, સાગર, જંગલ વગેરે સૌ કુદરતના ભાગ છે અને તેઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક મેક પર આધાર પણ રાખે છે. આ હકીકત આપણે મનુષ્યોએ ખાસ સમજી લેવાની છે, કારણ તેના સિવાય ના અન્ય કોઈ જીવ કુદરતને જાણતા કે અજાણતા નુકસાન પહોંચાડતા નથી. પણ મનુષ્યે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાના વિકાસ માટે અન્ય જીવો અને કુદરતને નુકસાન પહોંચાડવા પાછું વળી જોયું નથી. જંગલો કાપી, દરિયા પૂરી તેણે ઊંચી ઈમારતો બાંધી છે. પ્રાણીઓ ને ગુલામ બનાવી તેમની પાસે થી પોતાનું કામ કઢાવ્યું છે, તેમનો કત્લેઆમ કરી ખોરાક તરીકે અથવા અન્ય ચીજ વસ્તુઓ બનાવી ઉપયોગ કર્યો છે. કચરો - ગંદકી ફેલાવ્યા છે. પ્રદૂષણમાં એટલો વધારો કર્યો છે કે એ જ તેના જીવનને જોખમમાં મૂકનાર રોગોનું કારણ બન્યું છે.

   કુદરત સાથે તાદાત્મ્ય સાધીએ તો તેના અનેક લાભ આપણને મળી શકે એમ છે. શહેરમાં વસતાં લોકો માટે તો ઘરની બારી બહારનું ઝાડ કે નજીકનો બાગ જ કુદરતનું સ્વરૂપ. પણ તેની સાથે પણ જો શહેરીજન તાદાત્મ્ય કેળવે, એક કનેક્શન બનાવે તો તેને ઘણાં લાભ મળી શકે એમ છે. રોજ જરૂર છે થોડો સમય આ માટે ખાસ ધ્યાન આપી ફાળવવાની.

   અત્યારે કોરોનાના કપરા કાળમાં આ કનેક્શનની ખાસ જરૂર છે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું જાળવી રાખવા કે સુધારવા. ઘરમાં ને ઘરમાં રહી આપણે કંઈક અંશે બહાવરા થઈ ગયા છીએ, કંટાળી ગયા છીએ, હતાશ - નિરાશ થઈ ગયા છીએ ત્યારે કુદરત આપણી વહારે આવી શકે એમ છે. દોઢ - બે વર્ષ પહેલાં આપણે મોટે ભાગે ઘરની બહાર રહેતાં કે જતા - આવતા, ત્યારે જાણ્યે અજાણ્યે આપણે કુદરત સાથે કનેક્શન જાળવી શકતા. પણ પેન્ડેમિકના કારણે આપણે ફરજીયાત ઘરમાં ગોંધાઈ રહેવાની ફરજ પડી છે ત્યારે આપણું કુદરત સાથેનું કનેક્શન તૂટી જવા પામ્યું છે. એક અભ્યાસ મુજબ, આ કનેક્શન તૂટી જવાને કારણે પણ આપણી હતાશા અને નિરાશામાં વધારો થયો છે. કુદરત સાથેનું કનેક્શન આપણી સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય માટે અતિ જરૂરી છે. જેટલા આપણે કુદરતની વધુ સમીપ જઈશું, એટલું વધુ તંદુરસ્ત અને સુખી આપણું જીવન બની રહેશે. જ્યારે તમે કુદરત સાથે જોડાઓ છો ત્યારે તમે જે જે અડો છો, જુઓ છો, સાંભળો છો, અનુભવો છો તેની સીધી અસર તમારા મૂડ પર થાય છે. એ તમારા ચેતાતંત્ર, મજ્જાતંત્ર અને રોગપ્રતિકાર ક્ષમતા પર સારી અસર કરી શકે છે. જો તમે સુંદર દ્રશ્ય જુઓ તો તમારી ધ્યાન ધરવાની અને કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સુધારો થાય છે. તેનાથી તમારું મન તાજગી અનુભવી નવા અને વધુ કાર્યો કરવા તૈયાર થઈ જાય છે. જો તમે હરિયાળી વચ્ચે કે આસપાસ વધુ લીલોતરી જગામાં રહેતા હોવ તો તમારી સર્જનાત્મકતા અને કાર્ય ઉત્પાદકતામાં નોંધનીય વધારો જોવા મળે છે. જો તમે આ ઈચ્છતા હોવ તો તમારે વચ્ચે વચ્ચે બ્રેક લઈ આવી વધુ કુદરતી સૌંદર્ય કે સામીપ્ય ધરાવતી જગાએ થોડાં સમય માટે જતાં રહેવું જોઈએ.

   કુદરતનું સાંનિધ્ય આપણને રોજબરોજની મુશ્કેલીઓ, તણાવ અને ઉચાટ વગેરે માંથી થોડા સમય માટે દૂર જવામાં મદદ કરે છે. એ તમને ક્રોધ પર નિયંત્રણ રાખવા માટે પણ મદદરૂપ સાબિત થાય છે અને માનસિક હકારાત્મકતા અને આનંદી લાગણીઓ વધારવામાં સહાય કરે છે. કુદરત સાથે નિકટતા બ્લડ પ્રેશર, હ્રદયના ધબકારા અને સ્નાયુઓમાં તાણ ઘટાડે છે જે તમારા શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો આણે છે. શાંત અને સુખી થવાની આ એક અતિ સરળ અને અસરકારક રીત છે. માત્ર પાંચ મિનિટ માટે કુદરત સાથે ગાળેલી ક્ષણો પણ તમારી ઉત્પાદકતા કલાકો માટે વધારી કે સુધારી શકે છે.

   પહાડો, નદીઓ કે જંગલો પાસે વારંવાર જવાનું શક્ય ન હોય તો કઈ રીતે કુદરત સાથે કનેક્શન ટકાવી શકાય? જવાબ છે તેને તમારી નજીક લઈ આવી! ઘરમાં નાનકડો બાગ બનાવો, જગાના અભાવે એ શક્ય ન હોય તો નાનકડા કૂંડામાં છોડ ઉગાડો, તેને ઉછેરો, તેની માવજત કરો, તેનો વિકાસ નિહાળો. તેમાં ફૂલ, ફળ કે શાક ઉગશે ત્યારે એ જોઈ, તેને સ્પર્શી પણ તમે કુદરત સાથે તાદાત્મ્ય કેળવ્યાની લાગણી પ્રત્યક્ષ અનુભવી શકશો. સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, તાજી હવા, કુમળો તડકો, માટી, લીલોતરી આ બધાં પણ કુદરતના સ્વરૂપ છે.


તે તમે ઘરે રહીને પણ માણી શકો છો. ઘાસ પર ચાલો. માટીમાં રમો, આંગળીઓને ભીની માટી નો સ્પર્શ થવા દો. વહેલા ઉઠો. વહેલી સવારે કે સાંજે ચાલવા જાઓ. માટીના વાસણો વસાવો. પંખીઓનો કલરવ, દરિયાના મોજાનો ઘૂઘવતો ધ્વનિ, નદીઓનો ખળખળ સ્વર વગેરે રેકોર્ડ કરી કે ઓનલાઈન જઈ સાંભળો. ઘરમાં છોડ - વેલા વગેરે વાવો. રોજ તેને પાણી પાઓ. ઉંડા શ્વાસ લો. તારા નિહાળો. બારી ખુલ્લી રાખો. સ્વચ્છ હવા અને સૂર્ય પ્રકાશ ઘરમાં આવવા દો. કુદરત સાથે કનેક્શન બનાવો અને જુઓ જીવનમાં કેવું પરિવર્તન આવે છે.

ગેસ્ટ બ્લૉગ : સાત દિવસ સેવન હિલ્સમાં...

    ગયા ફેબ્રુઆરી મહિનામાં આયુષ્યના ૫૦ વર્ષ પૂરા કરી  'વન પ્રવેશ' કર્યો. નિયમિત યોગ, સમુદ્ર કિનારે રોજ ચાલવુંસાદો ખોરાક, પૂરતી  ઊંઘ, શાંત જીવન , આધ્યાત્મિક વાંચન - બધી દિનચર્યાને કારણે એક ભ્રમ ઉભો થયો હતો કે કોરોના મને નહિ અડી શકે. કોરોના સામે લડવાનાં  મારા પોતાના ઉપાય - અખતરા કરતો રહ્યો. મિત્રો અને  શુભેચ્છકોની સલાહ અવગણી મેં રસ્સી લીધી.

   કોરોનાનો ભય હોવા છતાંય, એપ્રિલ 2021ની  શરૂઆતમાં બેંકની ત્રણ  શાખાઓમાં જઈને ઓડિટ પૂરું કર્યું. મે મહિનાની પાંચમી તારીખે દીકરીની  સૂંઘવાની શકિત ગાયબ થઇ ગઈ. બીજા દિવસે કુટુંબના ચારે સભ્યોએ કોવિડ ટેસ્ટ કરાવી  લીધો. મારો, પત્નીનો અને દીકરીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો, એક માત્ર ૧૩ વર્ષના દીકરાનો રિપોર્ટ નેગેટિવ  આવ્યો. તરત દીકરા

ને અમારા જૂના ઘરે મોકલી દીધો.

    હવે કોરોના વિરૂદ્ધ અમારી લડાઈ શરુ થઈ. પત્ની અને દીકરીને ખાસ લક્ષણો દેખાયા નહિ, પરંતુ ડોકટરના કહેવા પ્રમાણે દવાઓ ચાલુ કરી. મને તાવ આવ્યો હતો, જે -સાત દિવસ પછી પણ ૯૯ થી ૧૦૦ ની વચ્ચે રહ્યા કરતો હતો. છાતીના HRCT Score અને CRP લેવલના આધારે મને  હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ  આપવામાં આવી.

    શુભેચ્છકો તરફથી એવી સલાહ મળી કે પ્રાઇવેટ હોસ્પિટલ કરતા સરકારી હોસ્પિટલમાં દાખલ થજે, કારણ માત્ર એટલું કે સરકારી  હોસ્પિટલમાં દવા અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે. અંધેરી-પૂર્વમાં આવેલી સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિટ થવાની ખાસ ભલામણ કરવામાં આવી હતી.

૧૩મી મે ની રાતે એડમિશન નિશ્ચિત થતા, એમ્બ્યુલન્સ માં એકલો હિન્દી ફિલ્મોના જૂના  ગીતો ગણગણતો સેવન હિલ્સ હોસ્પિટલ પહોંચી  ગયો. એમ્બ્યુલન્સમાંથી ઉતરતા સિક્યુરીટી સ્ટાફે હોસ્પિટલમાં રેજીસ્ટ્રેશન છે કે નહિ તે ચકાસી લીધું. કોઈ મોટા ઇવેન્ટમાં આવ્યો હોઉં  એવો અહેસાસ થતો હતો. મારા જેવા અનેક કોવિડ દર્દીઓની સેવા માટે આખી ફોજ ઉભી હતી. દિવસે, યુદ્ધના સૈનિકો માટે જે આદર થાય, એવો આદર હોસ્પિટલના સેવકો માટે થયો કારણકે પોતાની જાનની પરવા કર્યા વિના તેઓ અમારી સેવા માટે ઉભા હતાં.

  મારી પાસે રહેલ રોકડા, ક્રેડિટ  કાર્ડ અને ડેબિટ કાર્ડ સિક્યુરીટી પાસે જમા કરાવવા પડ્યા, હોસ્પિટલમાં ઉપર બધી વસ્તુ  લઇ જવાની  પરવાનગી હતી. આધાર કાર્ડ, ફોર્મ અને બીજી વિગતો લીધા બાદ મને સાતમા માળે, બ્લોક નંબર ૧૫ માં એડમિશન આપવામાં આવ્યું. એક રૂમમાં ચાર પલંગો હતા. રાતે ૧૦ વાગે મારા પલંગ પર પહોંચતા મને રાત્રિ જમણ માટે વિનંતી કરવામાં આવી, પરંતુ હું જમીને આવ્યો હોવાથી મેં ના પાડી.

   બીજે  દિવસે લગભગ બધી  ટેસ્ટ કરી  લેવામાં આવી અને  રિપોર્ટના આધારે દવાઓ નક્કી કરી લેવામાં આવી. સવારથી ચા, નાસ્તો, બપોર નું જમણ, સાંજની ચા, નાસ્તો, સૂપ, રાતનું જમણ અને રાતે દૂધ  આપવામાં આવતું હતું. ખરું કહું તો  પાણી માંગો તો  દૂધ મળે  એવી વ્યવસ્થા  હતી. મીનરલ વોટરની અડધા લિટરની બાટલીઓ જથ્થામાં સહુની રૂમની બહાર રાખવામાં આવી  હતી. કોઈ નિયંત્રણ નહીં.

    ડૉક્ટર, નર્સ અને સહાયકો સહુનો ગંભીર વાતાવરણમાં પણ હસમુખો ચહેરો, ના કોઈ અપેક્ષા, માત્ર સેવા.

    મારા ધાર્યા  પ્રમાણે સહુની વય ૨૦ થી ૩૦ વર્ષ હતી. ક્યારેય કોઈ નર્સ કે સહાયકે કોઈ દર્દી સાથે ઉંચા અવાજે વાત નહોતી કરી. દર્દીઓને હોસ્પિટલના પેસેજમાં ફરવાની છૂટ હતી. કોઈ બંધન નહિ, દર્દી ચાહે ત્યારે પોતાની રૂમમાંથી બહાર નીકળી શકતો .

    એક દર્દીએ ખાવાનું નહિ ખાવાની જીદ પકડી ત્યારે, એક સેવિકાએ પોતાના હાથેથી દર્દીને જમાડ્યો. ત્યારે મને થયું કે આવા સંજોગોમાં પણ સેવિકા પોતાની જાતની ફિકર કર્યા વિના, દર્દી  ભૂખ્યો ના રહે તેનું ધ્યાન રાખતી હતી. મને વિચાર આવ્યો કે કદાચ કારણ હશે નર્સ મોટે ભાગે સ્ત્રી હોવાનું. માનવતાનો ઉત્તમ અનુભવ થયો.

    સેવક પાસેથી જાણવા મળ્યું કે BMC ના કુલ ૧૮૦૦ પલંગો હોસ્પિટલના ત્રીજા થી છઠ્ઠા માળ સુધી ફેલાયલા છે. મેં જોયું કે અમારા વોર્ડના કુલ ૪૫ દર્દીઓમાંથી રોજ સાત થી આઠ દર્દીઓને ઘરે જવાની પરવાનગી આપવામાં આવતી હતી. દર્દીઓ સાજા થઇ રાજી ખુશીથી ઘરે જવા નીકળતા હતા.

મારી દવાનો ડોઝ પૂરો કર્યા પછી મને પણ સલાહ સૂચન સાથે રજા આપવામાં આવી. રજા મળ્યા પછી BMC દ્વારા ફ્રી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દેવામાં આવી.(ટોલ  ફ્રી નંબર:૧૮૦૦૧૨૦૯૯૭૪)

    સાત દિવસનું હોસ્પિટલ રોકાણ,ડોક્ટર,નર્સ  અને સેવકોએ આપેલી ઉત્તમ સેવા , વિવિધ રિપોર્ટ, દવાઓ , જમવાનું આદિ ખર્ચ છતાં હોસ્પિટલે મારી ચિકિત્સા વિનામૂલ્યે કરી. સાવ  મફત કે જેનો હું હક્કદાર નથી. પણ પછી સમજાયું કે મફત નથી, સરકારે આપણને આપેલું  કર્જ છે જે આપણે આપણી રીતે આજુબાજુના જરૂરિયાત વાળા લોકો, હોસ્પિટલના કર્મચારીઓ વગેરેને મદદ કરીને  ઉતારવાનું છે.

   સ્વાભાવિક રીતે આપણે હંમેશા સરકારી નેતાઓ અને સરકારી બાબુઓની ટીકા કરીએ છીએ. પણ સેવન હિલ્સ હોસ્પિટલના મારા અનુભવથી કહી શકું  કે આટલી સફળ રીતે વ્યવસ્થા કરવામાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, મહાપૌર, ધારાસભ્યો, વિધાનસભ્યો, નગરસેવકની દીર્ઘદ્રષ્ટિ અને ડોક્ટર્સ, નર્સ, સેવકો સહુનો મોટો ભાગ - ભોગ છે.

કોવિડ દર્દીઓ માટે સેવન હિલ્સ હોસ્પિટલ જેવી સુવિધા ઉભી કરવા અને ત્યાં સેવા આપનાર  સહુને મારા શત શત પ્રણામ!

- રૂપેશ કજારિયા

ગેસ્ટ બ્લોગ : તમે ક્યારેય સ્મિત વેચાતું લીધું છે?

                 આજે આંખો બહુ જલદી ખૂલી ગઈ હતી. સવારના છ વાગ્યા હતા. હજુ શહેરની આળસ  પૂરીપૂરી ઊડી નહોતી. આ ગામડું ઓછું હતું કે લોકો પરોઢિયે શિરામણ પતાવીને ખેતરે પહોંચતા થઈ જાય! રસ્તો સુમસામ હતો. એકલદોકલ રાહદારી અને છાપાવાળા  કે દુધવાળા સિવાય ભાગ્યે જ કોઈ ચહલપહલ હતી. ચોમાસું નજદીક આવી રહ્યું હતું એટલે ગલીના વૃક્ષોને ટ્રીમ કરવાનું  કામકાજ હજુ ગઈકાલે જ પત્યું હતું. એમની દુનિયા ડિસ્ટર્બ થઈ ગઈ હતી એટલે ઘણાખરી ખીસકોલીઓ અને પક્ષીઓ પણ બીજી ગલીઓમાં હિજરત કરી ગયા હતાં. તેમાં આ સમયે માથે ટોપલી લઈને ધીમે પગલે ચાલતા જતા આ ફેરિયાને જોઈને મને આશ્ચર્ય થયું. ગઝબ મીઠો અવાજ હતો!  શાંત વાતાવરણમાં એ અવાજના પડઘા વધુ મીઠા લાગી રહ્યા હતાં. દિવસનો અન્ય કોઈ સમય હોત તો કદાચ ઘોંઘાટમાં એનો અવાજ સંભળાત નહીં. મેં ફરી ધ્યાનથી સાંભળવાનો  પ્રયત્ન કર્યો કે એ શું વેચી રહ્યો છે, એ સ્મિત અને સ્માઇલ જ બોલ્યો હતો કે એ મારો ભ્રમ હતો! મેં આંખો ખેંચીને એની ટોપલીમાં જોવાનો પ્રયત્ન કર્યો પણ ત્રીજા માળેથી કશું સ્પષ્ટ કળાયું નહીં.  બરાબર એ જ ક્ષણે એણે પણ ઉપર જોયું અને અમારી આંખો મળી. એની  દ્રષ્ટિમાં કંઈક અજબ ભાવ હતો, કદાચ એ આત્મવિશ્વાસ હતો કે હવે બોણી ચોક્કસ થશે. 'સ્મિત લઈલો,  સ્માઇલ લઈલો..' ફરી અવાજ રણક્યો. 

'ક્યા બેચ રહે હો ભૈયા?' શહેરમાં બધા જ ફેરિયા લગભગ હિન્દીભાષી જ હોય એથી આદતવશ મારાથી હિન્દીમાં પૂછાઈ ગયું.   

'સ્મિત છે બેનબા.' એણે શુદ્ધ ગુજરાતીમાં જવાબ આપ્યો.

મારા ગળે હજુ વાત ઊતરી નહોતી! હું ગુજરાતી છું એની એને કઈ રીતે ખબર પડી હશે! અને  સ્મિત તે કંઈ વેચાતું મળતું હશે? પણ  એનો અવાજ એટલો સંમોહિત કરનારો હતો  કે હું એને સ્પષ્ટપણે ના ન પાડી શકી. આપણે શોપિંગના નામે ઘરમાં કેટલીય વણજોઈતી વસ્તુઓના ઢગલા કરી દેતા હોઈએ એ વાત યાદ આવી ગઈ. એને ઉપર  આવવાનો ઈશારો કરી ચાનો કપ રસોડામાં મૂકી છુટ્ટા વાળમાં ક્લિપ ભરાવતાં ભરાવતાં મેં  દરવાજો ખોલ્યો. એ દાદરા પાસે પોતાની ટોપલી સાથે મંદ મંદ સ્મિત રેલાવતો બેઠો હતો. મને આશ્ચર્ય થયું કે આટલી જલ્દી ત્રીજા માળે પહોંચી પણ ગયો!

'બેનબા, મારી પાસે દરેક રંગનું સ્મિત છે. તમને જે જોઈએ એ જાતે છાંટી લો.' ટહુકો કરતાં એણે ટોપલીને મારી તરફ ખસેડી.

'કોઈ બીજાનું  સ્મિત મારે શું કામનું? આવી વસ્તુ ખરીદે કોણ?  આમાંથી તારું ઘર ચાલે છે? બીજું કશુંક વેચતો હોય તો.' મેં બેચાર પ્રશ્ન સામટાં પૂછી લીધા.

'વાત માત્ર પૈસાની નથી, આ અરજનો કારોબાર છે.  જેમણે જેમણે પોતાનાં સ્મિત વેચાણ માટે આપ્યા છે એમની અરજ હું લઈને આવ્યો છું. આપ ખરીદશો તો એમના ઘરમાં ખુશીની પધરામણી થશે તો  મને અને તમને બન્નેને એમના આશીર્વાદ મળશે.  આવી ચીજ ખરીદનારા રોજેરોજ ન પણ મળે. પણ ક્યારેક તમારા જેવું કોઈ ને કોઈ મળી જ જાય છે બેનબા."

'મારા જેવા એટલે?' મારાથી પૂછાઈ ગયું.

'એટલે મોટા શહેરોમાં રહેવાવાળા લોકો. જાહેરમાં કાયમ ચહેરા પર પ્લાસ્ટિકીયું સ્મિત ચોંટાડીને ફરતા લોકો. ક્યારેક આવું સાચુંકલું લઈ જુઓ. કોઈ પણ  ભેળસેળ વગરનું. તદ્દન નિર્મળ.'

'સ્મિત  જેનું છે એની પાસે જ હોવું જોઈએ. હું કેવી રીતે લઈ શકું?'

'તમારા નમણા ચહેરા પર શોભી ઊઠશે બેનબા. દરેક ચહેરો આવા નિર્મળ સ્મિતને લાયક નથી હોતો.  સ્પર્શીને જુઓ, ટેરવા પરથી સીધું હ્રદયમાં ઊતરી જશે. આની અસર  ખાળી ન શકાય એવી છે. ઘણા દિવસથી કશું વેચાણ નથી થયું. તમે ખરીદી લો તો મારા બચ્ચા આશીર્વાદ આપશે.'

'ક્યાંથી લઈ આવ્યો છે આ ટોપલું ભરીને સ્મિત?'

તમે પણ બેનબા, મજાક કરો છો! આ દુનિયામાં સ્મિતની કમી ઓછી છે! તમે એક ખરીદશો તો એ બે જણાના ચહેરા પર જઈ વસી જશે. એક તો તમારા પોતાના અને બીજા એવા કેટલાય ચહેરાઓ પૈકીના એક પર જે કાળઝાળ તકલીફમાં પણ  હસતાં રહે છે. અસહ્ય પીડામાં પણ મલકતાં રહે છે. ઘેરી ઉદાસી પણ એક હળવા સ્મિત સાથે ગળા નીચે ઉતારી દેતા હોય છે.'

'ઠીક છે.  કોઈ એવું સ્મિત જે તારી પાસે  ઘણા વખતથી પડ્યું રહ્યું હોય એ આપી દે.'

'ના બેનબા, એ સ્મિતની સાથે તો મારું મન હળી ગયું છે. તમે બીજું કોઈ પસંદ કરી લો.'

'ભલે. તું જ તારે હાથે આપી દે જે તને યોગ્ય લાગે એ.'

'તમે આ લઈલો.' એની વાત કરવાની સ્ટાઇલ પણ કમાલની હતી. મેં એ સ્મિત ખરીદી લીધું.

બોણી થતાં જ એ તાનમાં આવી ગયો. મેં એને અડધો કપ ચા આપી. એણે દાદરા પર બેઠાબેઠા ચા સાથે વાર્તા માંડી. જુદજુદા સ્મિત વિશે એ એક પછી એક વાર્તા કરતો ગયો. દરેક વાર્તા આગલીથી જુદી હતી. હા, વાર્તા.. પોતાનું સ્મિત વેચીને કોઈ ડોક્ટર બન્યું અને કોઈ એન્ન્જિનીયર બન્યું એની વાર્તા! કોઈએ હોટેલમાં વાસણ માંજવાથી  શરૂ કરેલી સફર આજે પોતાની નાનકડી હોટેલ ખોલવા સુધી પહોંચી  છે એની વાર્તા. કોઈ  પોતાના ટ્રેક્ટરથી ખેતી કરીને જમીનમાં સોનું ઉગાડે છે એની વાર્તા.  દરેક સ્મિતની વાર્તા એક નાનકડી  અપેક્ષા પર આવીને ઉભી રહેતી હતી. 

મેં મારી પાસે જેટલા પૈસા હતાં એ આપીને એની આખી ટોપલી ખરીદી લીધી. હવે એની પાસે ઘર ચલાવવા પૈસા હતાં અને મારી પાસે હતાં ટોપલો ભરીને સ્મિત.

આ ટોપલીવાળા કાંડ પછી મારે ત્યાં ટપાલીની અવરજવર વધી ગઈ છે. એ વારેતહેવારે મને પત્રો  અને થેંક્યુ કાર્ડ આપી જાય છે. હું એ બધું મોકલનારમાંથી કોઈનેય પ્રત્યક્ષ મળી નથી છતાં  એમનાં મોકલેલા વહાલભર્યા સંદેશા વાંચીને મારા ચહેરા પર સ્મિત આવી જાય છે. પેલો ફેરિયો આ રીતે મને દરેક સ્મિતની રસીદ મોકલાવતો તહે છે.  પાક્કી રસીદ!

મારા મિત્રો અને પરિવારજનો કહે છે કે હું બહું જ ભોળી છું. મને સહેલાઈથી ઉલ્લુ બનાવી શકાય છે. કોઈક અજાણ્યા માણસની ખોટી વાર્તાઓમાં આવી જઈને મેં બહુ બધા પૈસા ગુમાવી દીધા છે. આવા લોકો તો પગ પગ પડ્યા છે જે ખોટી વાતો બનાવીને પૈસા કઢાવી જાય. એ બધાને મેં ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ હવે પડતું મૂકી દીધું છે.

થોડાક દિવસોથી વૃક્ષો પર ફરી ચકલીઓ અને ખિસકોલીઓ ફરી દેખાવા લાગી છે. હું બાલ્કનીની પાળી પર સફરજનની ફાડ મુકું તો ખીસકોલી આસ્તેકથી આવીને લઈ જાય છે.  પરદા પાછળ છુપાઈને  મોઢામાં ફાડ લઈને દોડી જતી ખીસકોલીને જોવાની બહુ જ મજા પડે છે. હું મુક્ત મને હસી પડું છું. સવારના ચાનો કપ લઈને બાલ્કનીમાં બેઠી હોઉં ત્યારે મારા કાન આપોઆપ સરવા થઈ જાય છે કે ક્યારેક ફરી પેલા ફેરિયાનો અવાજ સંભળાઈ જાય. એવું નક્કી કર્યું છે કે  આ વખતે  તો પેલું જે સૌથી ફિક્કું સ્મિત હતું એ જ ખરીદી લેવું છે.

હા, હવેથી મારી આંખો રોજ જલદી જ ખૂલી જાય છે  અને મારી ગુલ્લક પણ આખી ભરાઈ ગઈ છે. એ પૈસાથી ઘણા બધાં સ્મિત ખરીદી શકાશે.

તમે ધ્યાન આપશો તો કોઈક ફેરિયો તમનેય  દેખાશે. ખેતરમાં કામ કરનારા, મજૂરી કરનારા, કારીગરી કરનારાઓના નાનાનાના સ્મિતને લઈને ઉભેલો. તમે  એક સ્મિત ખરીદશો તો એ બે ચહેરાની શોભા વધારશે. ખરુંને?

~ રાજુલ ભાનુશાલી


શોભાજી અને તેમની દીકરીની અનોખી લગ્ન કંકોત્રી

     શોભા એમનું નામ. રઘુનાથ એમના પતિ અને તેમને એક ની એક દીકરી જેનું નામ સ્વાતિ. જો કે શોભાજી એ તો સ્વાતિના ઘણાં પિતરાઈ ભાઈ બહેનોને પણ સ્વાતિ સાથે જ ઉછેર્યા છે - કોઈને અમુક મહિનાઓ સુધી તો કોઈકને પંદરેક વર્ષ જેટલાં લાંબા ગાળા સુધી.શોભાજીનું વ્યક્તિત્વ જ એટલું પ્રેમાળ અને આકર્ષક કે તેમની સાથે રહેવું બધાં ને ગમે! માત્ર માણસો ને જ નહીં, બિલાડીઓને પણ! મુંબઈ માહિમના માળા જેવા મકાનમાં જ્યાં તેઓ રહે છે, તેમણે અત્યાર સુધી ઘણી બધી બિલાડીઓ પાળી છે.

  શોભાજી સ્નાતક, તેમના પતિ પણ સ્નાતક અને સ્વાતિ અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક. 

ઘણાં વર્ષોથી શોભાજી પહેલાંથી દસમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિતનું ટયુશન આપે છે. શોખ ખાતર. સમય પસાર કરવા ખાતર. એમાંથી કેટલાંક વિદ્યાર્થીઓ ફી ભરે અને કેટલાંક જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તે કંઈ ના પણ આપે. 

  ભણાવવા સિવાય શોભાજીને ઊનની વસ્તુઓ બનાવવાનો અને કથીરમાંથી કંચન બનાવવાનો એટલે કે નકામી વસ્તુઓ, કચરામાંથી ઉપયોગી સુંદર વસ્તુઓ બનાવવાનો પણ શોખ. 

 મારી ઓળખાણ શોભાજી સાથે વોટ્સ એપ પરના 'નેચર વર્લ્ડ' ગ્રુપ પર થઈ. અમે બંને પ્રકૃતિને ખૂબ ચાહીએ. એટલે પ્રકૃતિ પ્રેમી અનેક સભ્યો ધરાવતા આ ગ્રુપ પર દસેક વર્ષ અગાઉ મળ્યાં બાદ આજે પણ અમે સંપર્કમાં રહીએ. અગાઉ એકાદ બ્લોગ લેખમાં મારી બારી બહારના ઉંબર ના ઝાડ વિશેની રસપ્રદ માહિતી મને શોભાજી એ જ આપી હતી. હું કે ગ્રુપનો અન્ય કોઈ પણ સભ્ય કોઈક નવું પક્ષી, પ્રાણી, જંતુ કે વનસ્પતિ જોઈએ અને તેનું નામ જાણવું હોય કે તેના વિશે માહિતી જોઈતી હોય તો તેનો ફોટો કે વર્ણન ગ્રુપ પર પોસ્ટ કરીએ એટલે તરત કોઈક નિષ્ણાત મેમ્બર તે પક્ષી, પ્રાણી, જંતુ કે વનસ્પતિ વિશેની માહિતી જવાબમાં મોકલી આપે. એ નિષ્ણાત લોકોની પેનલમાં એક અગ્રેસર સભ્ય એટલે શોભાજી! 

   પર્યાવરણ પ્રત્યે પ્રેમ સાથે જ તેની કાળજી અને જતન પણ શોભાજી એટલાં જ રાખે. પર્યાવરણ પ્રેમ, જાળવણી અને સંવર્ધન દાખવતી તેમની એક ચેષ્ટા મને એટલી ગમી ગઈ કે એની માહિતી તમારા સૌ સાથે શેર કરવા આજનો આ બ્લોગ લખ્યો છે. 

તેમની એકની એક દીકરી સ્વાતિના લગ્નની આમંત્રણ પત્રિકા તેમણે પરિવાર સાથે મળી હાથે તૈયાર કરી હતી. છે ને મજેદાર અને રસપ્રદ વાત? ચાલો વિગતે જણાવું. 

  આ લગ્ન તેઓ ખૂબ અંગત પરિવારજનો ને જ આમંત્રણ આપી સાદાઈથી ઉજવવા ઈચ્છતા હતા. તેમનું મિત્ર-વર્તુળ ખૂબ બહોળું હોવા છતાં તેઓ લગ્નમાં ઝાઝી ભીડ નહોતા ઈચ્છતા. કોરોના નો ઓછાયો ત્યાં સુધી સદનસીબે પડ્યો નહોતો! પણ તેઓ માને છે કે લગ્ન મૂળભૂત રીતે એક કૌટુંબિક પ્રસંગ છે અને તેમાં અંગત પરિવારજનોની હાજરી જ હોવી જોઈએ. 

તેઓ તમિળ બ્રાહ્મણ કુટુંબમાં ઉછર્યા હતા જેમાં જૂના જમાનામાં લગ્નો દિવસો સુધી ચાલતા. એ જમાનામાં જ્યારે વર વધૂ એ એકમેક ને જોયા પણ ન હોય! પણ અહીં તેમની પાંત્રીસ વર્ષની પુત્રી પરણવા જઈ રહી હતી તેના કરતાં ઉંમરમાં નાના એવા મલયાલી છોકરાને, જેને તે ચારેક વર્ષથી ઓળખતી હતી. આમ તો સ્વાતિ ની વિચાર ધારા એવી હતી કે તે લગ્ન પ્રથામાં માનતી જ નહોતી. પણ છેવટે વિનીત તેના જીવનમાં આવ્યો અને અંતે તેણે લગ્ન ગાંઠે બંધાવવા મન મનાવી જ લીધું. 

   લગ્નની તૈયારીઓ શરૂ થઈ. એક પણ એ. સી. હોલ ખાલી નહોતો ત્યારે એવી લગ્નોની મોસમ હતી. પણ વર્ષો પહેલાં ૧૯૭૬ માં જ્યાં શોભાજી પોતે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં એ હોલ તપાસ કરતાં ખાલી હોવાનું જણાયું અને એ બુક કરી લેવાયો. 

ઐયંગર કુટુંબની લગ્ન પ્રણાલિ મુજબ તો લગ્ન દિવસો સુધી ચાલે આથી શોભાજીના પરિવારે વિનીતના નાયર પરિવાર મુજબની લગ્ન રીત અનુસરવાનું નક્કી કર્યું. માત્ર દસ મિનીટમાં લગ્ન પૂરાં! ભપકાદાર સજાવટ માટે ફૂલો અને અન્ય વસ્તુઓનો બગાડ નહીં. સાદાઈથી લગ્ન. 

   આમંત્રિત મહેમાનો ખૂબ ઓછાં હોવાથી પહેલાં તેમણે વિચાર્યું હતું કે આમંત્રણ પત્રિકા સીડ પેપર (ઝાડછોડનાં બીજમાંથી બનાવેલ કાગળ) પર છપાવવી. મુંબઈના હોર્નિમાન સર્કલ પાસે આવા કાગળ ઘણી જાતના મળી રહે - ગલગોટા, તુલસી વગેરેના બીજ મિશ્રિત કાગળ. શોભાજી ઉત્સાહ ભેર એ લઈ તો આવ્યા અને નજીક માં એક જગા એ તેમણે આ કાગળ બરાબર માપ મુજબ કપાવી પણ રાખ્યાં. પણ હવે તેના પર છાપ કામ કરવા પ્રેસ શોધી ના જડી. એક જણ તૈયાર થયો આ ખાસ પ્રકારના કાગળ પર કંકોત્રી છાપવા, પણ તેણે શરત મૂકી કે બે જ રંગ નો છપાઈ માટે ઉપયોગ થઈ શકશે. સ્વાતિ અને શોભાજીને એ ન રૂચ્યું. સ્વાતિ ચિત્રકલામાં નિપુણ અને શોભાજીના અક્ષર સારા. આથી મા-દિકરીએ નક્કી કર્યું કે પોતે જ લગ્નની આમંત્રણ પત્રિકાઓ હાથે તૈયાર કરશે. 

ઓનલાઇન જઈ થોડી ઘણી આઈડિયા મેળવી અને જુદીજુદી ડિઝાઇનના ગણતરીના કાર્ડ પોતે જ તૈયાર કરી નાખ્યાં બંનેએ! મર્યાદિત પરિવારોને હાથોહાથ એ પત્રિકાઓ વહેંચી પણ આવ્યાં. 

દૂર વસતાં પરિવારજનોને વોટ્સ એપ પર આમંત્રિત કરી દીધાં. 







  સામાન્ય રીતે આપણને મળતી લગ્નની આમંત્રણ પત્રિકાઓ પસ્તી ભેગી કે કચરામાં જતી હોય છે. પણ શોભાજીએ હાથે તૈયાર કરેલાં કાર્ડ કૂંડામાં નાખો એટલે એમાંથી છોડ ઊગે અને પર્યાવરણ તમારા ઘરમાં પ્રવેશે, તેની તમને માયા બંધાય. આ હતો તેમનો શુભાશય. 

તેમણે ઘણી વાર મિત્રો અને પર્યાવરણ કાર્યકર્તાઓ સાથે ખાસ વિસ્તારોમાં જઈ પર્યાવરણ અંગે અને વૃક્ષારોપણ વિશે જાગૃતિ ફેલાવવાનું શુભ કાર્ય કર્યું છે. આસપાસનાં બાળકોને તે હજી પણ જીવન, પર્યાવરણમિત્ર બની કઈ રીતે જીવવું તે અંગે શીખવે છે. આ બાળકો એ ટિપ્સ તેમના જીવનમાં અનુસરે ત્યારે એ જોઈ શોભાજી ભારે આનંદ અને પરમ સંતોષની લાગણી અનુભવે છે.

ગેસ્ટ બ્લોગ : આશા

      ગઈ વખતનાં લોકડાઉન અને અનલોક વખતે સકારાત્મક સિત્તેર જેટલાં લેખોની લોકડાઉન ડાયરી લખી હતી. આ વખતે પણ લખવાની ઈચ્છા થઈ. વિચારો પણ ઘણા આવે છે પણ જ્યારે એ વિચારોને કલમ દ્વારા કાગળ પર ઉતારવા જાઉં છું ત્યારે અચાનક જ કલમની સ્યાહી આંસુ બની જાય છે. મારી આંખ સામે હોસ્પિટલમાં પ્રવેશ મેળવવા માટે એમ્બ્યુલન્સની લાંબી કતારમાં તડપતાં દર્દીઓ દેખાય છે. દવા અને ઇંજેક્શન માટે વલખાં મારતાં દર્દીઓનાં પરિવારજનો દેખાય છે. જે ઓક્સિજનની પ્રકૃતિએ છૂટે હાથે લહાણ કરી છે તે ઓક્સિજન માટે હૈયું કંપાવી દે એવાં તરફડિયાં મારતાં દર્દીઓનાં ચહેરા દેખાય છે. જીવનની અંતિમ ક્ષણોમાં અંગત સ્વજનોની ગેરહાજરીમાં જીવ છોડતાં અકળામણ અનૂભવતાં દર્દીઓનાં ચહેરા દેખાય છે. સ્મશાનની બહાર મૃતદેહોની લાંબી કતાર દેખાય છે. મૃત્યુના ભયને અવગણીને દવા, ઇંજેક્શન અને ઓક્સિજનની કાળાબજારી કરતાં લોકોનાં ચહેરા દેખાય છે. સતાની સાઠમારીમાં વ્યસ્ત નેતાઓ દેખાય છે. અત્યંત કફોડી  સ્થિતિમાં જીવતાં લાખો ગરીબ અને નીચલા મધ્યમવર્ગના લોકોનાં દયામણા ચહેરાઓ દેખાય છે. કામધંધા વગર બેકાર ફરતાં યુવાનોના નિસ્તેજ ચહેરા દેખાય છે. મારી આંખ બોઝિલ થઈ જાય છે. મારે રડી લેવું છે પણ થીજી ગયેલા આંસુઓ આંખમાંથી બહાર નથી આવતાં. મને ચીસ પાડવાનું મન થાય છે પણ

અવાજ નીકળતો નથી. ના, ના મારે પરાકાષ્ઠાએ પહોંચેલા કળિયુગ વિષે નથી લખવું. કંઈ જ નકારાત્મક લખવું નથી પણ સકારાત્મક લખું તો કઈ રીતે? આ ગાઢ અંધકારમાં જયોત પ્રગટાવવી તો કઈ રીતે?

         જે જિંદગીને હું સો વર્ષ જીવવા માંગતો હતો. વૃદ્ધત્વને માણવા માંગતો હતો તે જિંદગી અચાનક જ કેમ નીરસ લાગવા માંડી? જીજીવિષા કેમ ઓસરી ગઈ? મોત કેમ વહાલું લાગવા માંડ્યું? કંઈક મોતનાં વિચારોમાં જ હું ઘરની બહાર નીકળ્યો. ચાલતાં ચાલતાં ઘૂઘવતા સાગરની સામે આવીને

ઊભો રહ્યો. મારાં મનમાં પણ ન સહન કરી શકાય એવો વિચારોનો ઉત્પાત ચાલી રહ્યો હતો. મારી નિરાશા, મારી ઉદાસી વધુ ગહરી થાય તે પહેલાં

કોઈએ મારી સામે આવીને કહ્યું "પ્રણામ. આપ મને નહીં ઓળખતાં હોવ પણ આપનો મારાં પર એક બહુ મોટો ઉપકાર છે. ગયા વખતની આપની લોકડાઉન ડાયરીએ મને આપઘાતનાં માર્ગથી

પાછો વાળ્યો હતો. આ વખતે પણ ડાયરી ચાલુ કરો

ને? એમનો આભાર માની હું સડસડાટ ઘરે પાછો આવ્યો. કાગળ અને પેન હાથમાં લઈને હું વિચારવા લાગ્યો - હવે મારી આંખની સામે મૃત્યુના ભયને અવગણીને પંદર પંદર કલાક કામ કરતાં ભગવાન સ્વરૂપ ડોકટરોનાં ચહેરા હતાં. દેવી સ્વરૂપ નર્સોનાં

ચહેરા હતાં. કોઈ પણ જાતની સૂગ વગર દર્દીનાં

મળ-મૂત્ર અને ઉલટી સાફ કરતાં દેવદૂત સ્વરૂપ સ્વાસ્થ્યકર્મીઓનાં ચહેરા હતાં. મફતમાં ગરીબોને

અનાજ અને ફળનું વિતરણ કરતાં, મફતમાં ઓક્સિજન ભરી આપતાં, કોઈ પણ જાતના સંબંધ

વગર લાશની અંતિમક્રિયા કરતાં, સતત ફરજ બજાવતા મેડીકલ સ્ટાફ, પોલીસ અને એવાં તો

કંઈક સેવાના સેંકડો ભેખધારી આત્માઓ જે

પરમાત્માનાં અંશ સ્વરૂપ છે તેમનાં ચહેરા હતાં. ગાઢ

અંધકારને પ્રગટાવતી જયોત મને જડી ગઈ. મેં લખવાનું ચાલુ કર્યું -

ઈશ્ચર, અમારા અક્ષમ્ય અપરાધોની સજારૂપ ચાલી

રહેલાં આ વિસર્જનનાં માહોલમાં પણ તેં તારૂં સર્જન ચાલુ જ રાખ્યું છે. હું પણ સકારાત્મક વિચારોની મારી લેખન શ્રેણી ચાલુ જ રાખીશ. આશાની જયોત સદૈવ પ્રજવલિત રાખીશ. 

બસ, પછી તો કલમ સડસડાટ ચાલવા લાગી. 

   —     રોહિત ખીમચંદ કાપડિયા

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...

    આજે મધર્સ ડે છે. માતાનો મહિમા કરવાનો દિવસ... આ દિવસની સર્વે માતાઓને હ્રદયપૂર્વક ની શુભેચ્છાઓ!!!

જો કે માતાની કદર કંઈ એક દિવસ પૂરતી જ ન કરવાની હોય. જેમ આજની બ્લોગપોસ્ટના શિર્ષક  માટે જેની પ્રથમ પંક્તિનો ઉપયોગ કર્યો છે એવા કવિ શ્રી બોટાદકર રચિત અતિ પ્રખ્યાત કાવ્યમાં જેમ વાંચવા મળે છે તેમ જગ થી જુદી છે જેની જાત રે, તેવી માતાની કદર તો કરવા આખો જન્મારો ઓછો પડે. તેની મહિમા કરવા તો એક કાવ્ય તો શું આખું પુસ્તક પણ ઓછું પડે. આ કાવ્યમાં જ કવિ એ લખ્યું છે તેમ ગંગાના નીરમાં વધ - ઘટ થઈ શકે પણ માતાના પ્રેમનો પ્રવાહ એક સરખો જ રહે છે. તેમ સંતાનની માતા પ્રત્યેની કાળજી, પ્રેમ, આદર વગેરેમાં પણ તસુ ભાર જેટલો ઘટાડો ન થવો જોઈએ. માતા પ્રત્યે સંતાને પણ મમતા સદાકાળ જાળવી રાખવી જોઈએ.

એક નાનકડી કથા વોટ્સ એપ પર વાંચી.

ભણવા માટે દૂર ગયેલા દિકરાએ માતાને પત્ર લખ્યો કે અહિં મારાં જમવાની સારી સગવડ છે, તું ચિંતા કરીશ નહીં. પણ પત્ર વાંચીને મા એ એક વખતનું ભોજન બંધ કર્યું કારણ કે પત્રના અંતમાં પુત્રનાં આંસુથી શાહી ખરડાયેલી હતી.

   અહીં તો જો કે મા માટે પુત્રની ખરી સ્થિતી કળી જવા નિશાની મોજૂદ હતી - ખરડાયેલી શાહી. હકીકતમાં આવી કોઈ નિશાની મોજૂદ ન હોય તો પણ કોઈ અકથ્ય, અદ્રશ્ય જોડાણ થી મા ને જાણ થઈ જ જતી હોય છે જ્યારે તેનું સંતાન મુશ્કેલીમાં હોય. આવે ટાણે મા એ કરેલી દુઆ અને પ્રાર્થનાને લીધે સાચે સંતાનની મુશ્કેલી દૂર થઈ ગયા ના વાસ્તવિક કિસ્સા નોંધાયા છે.

   સંતાન ખરાબ પાકે પણ મા ની મમતા તેના સંતાન પ્રત્યે ક્યારેય ઓછી થતી નથી. મધર ઈન્ડિયા ફિલ્મના અંતમાં નરગીસ જેમ તેના વંઠેલ પુત્રની હત્યા કરી નાંખે છે તેવું કદાચ ફિલ્મ માં જ બનતું હશે, બાકી હકીકતમાં તો ચોર ની મા ક્યારેય પોતાના ચોર પુત્ર ને પણ ચોર નહીં ગણાવે!

   મધર્સ ડે સૌ પ્રથમ વાર વર્ષ ૧૯૦૮માં અમેરિકા માં ઉજવાયો હતો. અન્ના જાર્વિસ નામની મહિલાએ તેની માતા એન રીસ જાર્વિસની સ્મૃતિમાં વેસ્ટ વર્જિનિયા ખાતે આવેલ સેન્ટ એન્ડ્રુસ્ મેથોડિસ્ટ ચર્ચમાં એક સ્મારક બંધાવ્યું હતું જે આજે આંતરરાષ્ટ્રીય મધર્સ ડેનું મંદિર બની ચૂક્યું છે. એન રીસ જાર્વિસ એક શાંતિ કાર્યકર્તા હતી. તેની પુત્રી અન્ના જાર્વિસનું સ્વપ્ન હતું કે તેની માતાની સ્મૃતિમાં અને આખા જગતની માતાઓનાં સન્માનમાં એક ખાસ દિવસ ઉજવાય અને ત્યારે જાહેર રજા પાળવામાં આવે. માતાના મૃત્યુના ત્રણ વર્ષ બાદ અન્ના જાર્વિસનું આ સ્વપ્ન પૂર્ણ થયું. પછી તો જગત ભરમાં માતાનું સન્માન કરવા આ દિવસની ઉજવણી શરૂ થઈ. લંડનમાં આ દિવસ માર્ચ ના ચોથા રવિવારે તો ભારતમાં એ મે મહિના ના બીજા રવિવારે ઉજવાય છે. ગ્રીસમાં એ બીજી ફેબ્રુઆરી એ ઉજવાય છે.

   અત્યારે લોક ડાઉન જેવી સ્થિતીમાં તો તમને માતા સાથે મને - કમને મા સાથે રહેવાની તક મળી છે તો તેને માટે આજે કંઈક વિશેષ કરો! તેને ભેટ આપો, ભરપૂર વહાલ કરો, તેના માટે કંઈક બનાવો, તેની સાથે જુની યાદો વાગોળો અને આજનો દિવસ તેની સ્મૃતિમાં કાયમ રહી જાય એવી રીતે એ ઉજવો.

ગેસ્ટ બ્લોગ : વિસરાતું જતું એક અસ્તિત્વ.... પુસ્તક

            હમણાં  23 એપ્રિલના વિશ્વ પુસ્તકદિન ગયો. મનમાં જરા વિષાદની લાગણી થઈ  આવી.. શું ખરેખર આ દિવસ એક દિન પૂરતો જ સીમિત થઈ જશે? વાચકવર્ગની ઘટતી સંખ્યા જોતાં લાગે છે કે પુસ્તકનું , સાહિત્યનું અસ્તિત્વ કેટલું ટકશે? અત્યારના ટેક્નોલોજી યુગમાં પુસ્તક આંગળીના ટેરવે એટલે કે મોબાઈલ અને કમ્પ્યુટર ની સ્ક્રીન પર સ્થાન પામ્યું છે . નવા આવિષ્કારને આવકારવું પણ જરૂરી છે જ એને નકારી ન શકાય, પણ પુસ્તકરૂપે વાચનની મજા અલગ જ છે . પુસ્તક નવું ખરીદ્યું હોય ત્યારે એની એ મહેક, પુસ્તકના એક એક પાનાંને ટેરવાના સ્પર્શથી ફેરવવાનો આનંદ ... આવી અનુભૂતિનો અહેસાસ મોબાઇલ  કે કોમ્પ્યુટરમાં ક્યાં માણવા મળે?! જો કે આજની આવી  પરિસ્થિતિમાં જ્યારે છાપાં - અખબાર ઘરે નહોતાં  પહોંચતાં  ત્યારે આ ટેક્નોલોજીની મદદથી જ આપણે મોબાઇલ પર વિશ્વભરનાં સમાચારો જાણી શકતાં.

            આજનું જનરેશન આપણા સાહિત્યથી, માતૃભાષાથી વિમુખ  થતું જાય છે ત્યારે બીજી બાજુ એને બચાવવાનાં પણ ભરપૂર પ્રયત્નો ચાલી રહ્યાં છે . આપણું સાહિત્ય વૈવિધ્યસભર છે , સમૃદ્ધ છે. ગુજરાતી  સાહિત્યને વાંચનાર વર્ગ ધીમે ધીમે લુપ્ત થતો જાય છે. આજનું જનરેશન જે ઇંગ્લિશ મિડીયમમાં ભણી રહ્યું છે તે કદાચ ગુજરાતી ભાષા લખી કે વાંચી શકે પણ માત્ર ખપપૂરતું , સામાન્ય . એ લોકો હરીન્દ્ર દવે , મેઘાણી કે મુનશી જેવા અનેક સાહિત્યકારની કૃતિઓ ક્યાં સમજી શકે કે એનો વૈભવ માણી  શકે?? પુસ્તકની સાથે સાથે લાઇબ્રેરીનું અસ્તિત્વ પણ જોખમમાં છે. પહેલા લોકો લાઇબ્રેરીની મેમ્બરશીપ લેતાં . નવા નવા , અલગ અલગ પુસ્તકો લે, વાંચે અને પરત કરી દેતાં. કેટલાક લોકો  તો ઘરમાં લાઈબ્રેરી બનાવતાં પણ હવે પુસ્તક વાંચનારાંની સંખ્યા ઓછી થતી જાય છે ત્યાં લાઇબ્રેરી પણ નામશેષ થતી જાય છે. 

              વિશ્વ પુસ્તકદિનનો ઉદ્દેશ એક જ હોઈ શકે કે વધુ ને વધુ  લોકો પુસ્તક પ્રત્યે રુચિ કેળવે . પુસ્તકવાંચનની આદત- શોખને રોજિંદા જીવનમાં સ્થાન આપે . અત્યારનાં  મહામારીના સમયમાં તો શિક્ષણ પણ ઓનલાઇન થઈ  ગયું છે. આજનાં  ડીજીટલ યુગમાં પુસ્તકો , આખું સાહિત્ય કમ્પ્યુટર ને મોબાઇલમાં સમાઈ ગયું છે .છતાં ય એક વાંચકવર્ગ ભલે કદાચ લઘુમતીમાં જોવા મળે, પણ છે ખરો જેને માટે પુસ્તકો , છાપાંઓ એક અનિવાર્ય  જરૂરિયાત છે.પુસ્તક જેવી ઉત્તમ ભેટ બીજી કોઈ નથી તો એના જેવો ઉમદા મિત્ર બીજો કોઈ હોઈ ન શકે . ખાસ કરીને આજનાં કપરા સમયમાં તો તે એક સારો સાથી પુરવાર થયો છે . 

             પુસ્તક આપણી અમૂલ્ય સંપત્તિ છે અને કદાચ દુર્લભ પણ . તેના થકી આપણી સંસ્કૃતિ,આપણો ઇતિહાસ જીવંત છે . તેનું જતન થવું જ જોઈએ .ખરેખર આજે  જરૂર છે એવા પ્રયાસોની જે  પાછા લોકોને પુસ્તક તરફ વાળી શકે, લોકોમાં પુસ્તકપ્રેમ જગાવી શકે.                                                                                      

        -  નેહલ દલાલ


મંગળવાર, 4 જાન્યુઆરી, 2022

સાચો સુપર હીરો - મયૂર શેળકે

     "મયૂર શેળકે એ કોઈ કોશ્ચ્યૂમ નહોતું પહેર્યું કે નહોતો પહેર્યો કોઈ જાદુઈ તાકાત ધરાવતો કોટ પણ તેણે દાખવેલી હિંમત સૌથી તાકાતવાન એવા કોઈ ફિલ્મી સુપરહીરો કરતાં પણ અનેક ગણી વધુ છે. અત્યારના મુશ્કેલી ભર્યા સમયમાં મયૂરે આપણને સૌને શીખવ્યું છે કે આપણે આપણી આસપાસ જ નજર દોડાવવાની છે અને આપણને તેના જેવા લોકોમાંથી આ જગતને એક બહેતર જગા બનાવવાની પ્રેરણા મળી રહેશે." - આ શબ્દો છે મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાના, જે તેમણે એક ટ્વીટ દ્વારા શેર કર્યા છે ચાર દિવસ પહેલા.

   ચારેકોર નકારાત્મકતા અને ભયના સામ્રાજ્ય વચ્ચે સાચી માનવતાના દર્શન કરાવતી એક સુખદ ઘટના અઠવાડિયા પહેલા ઘટી. તેની વાત આજના બ્લોગ લેખ થકી કરવી છે.

    સેન્ટ્રલ રેલવેના માથેરાન પાસે આવેલા વાંગણી સ્ટેશન પર આ દિલધડક, હ્રદયંગમ અને પ્રેરણાદાયી ઘટના સત્તરમી એપ્રિલની સાંજે પાંચેક વાગે બની. પૂરપાટ ઝડપે આવતી એક્સપ્રેસ ટ્રેનને સિગ્નલ આપવા રેલવે ટ્રેક પર ઉભેલા પોઈન્ટ્સ મેન તરીકે ફરજ બજાવતા મયૂર શેળકે નામના યુવાને જોયું કે એક અંધ મા નો પાંચ - છ વર્ષનો દીકરો અચાનક રેલવે પ્લેટફોર્મ પરથી નીચે પડી જાય છે અને ટ્રેન તેનાથી સાવ નજીવા અંતરે છે અને કાળની જેમ તેની દિશામાં ધસી રહી છે. મયૂર પાસે વિચારવાનો સમય જ નથી, આથી તે બાળકને બચાવવા સામેથી ધસમસતી ટ્રેન સામે દોડે છે. એક સ્પ્લીટ સેકંડ માટે તેને એવો વિચાર પણ સ્પર્શી જાય છે કે આમા તો એ પોતે મરી જશે... પણ આ વિચાર આવ્યો તેના કરતાં પણ વધુ ઝડપે ધસમસતી ટ્રેન તેને એ વિચાર ઉડાડી દેવા મજબૂર કરી દે છે, માનવતા જીતી જાય છે. મયૂરની આ દ્વિધા રેલવે પ્લેટફોર્મ પર રહેલા કેમેરામાં આબાદ ઝિલાઈ છે, તેના માનવતા મહેકાવતા આ ઉદાત્ત પરાક્રમને પણ રેકોર્ડ કરતી વખતે. પેલા સ્વાર્થી, પોતાનો જીવ બચાવવાનો માર્ગ સૂઝવતા વિચારનો ઘડીના છઠ્ઠા ભાગમાં છેદ ઉડાડી મયુર ફરી બાજુમાં ખસી જવા કે બીજી બાજુ કૂદી પડવાને બદલે ટ્રેનની કે કહો કે મોતની સામે દોડે છે, બાળકને ઉપાડી પ્લેટફોર્મ પર મૂકે છે અને પોતે પણ પ્લેટફોર્મ પર ચડી જાય છે અને એ પછીની માત્ર ગણતરીની પળોમાં પેલી વાયુ વેગે ધસી આવતી ટ્રેન મયુર, પેલા બાળક અને તેની અંધ મા ની સાવ નજીકથી પસાર થઈ જાય છે.

આ અતિ રોમાંચક, સાહસી વિડિયો મેં જ્યારે યૂટ્યુબ પર જોયો ત્યારે મારી આંખોના ખૂણાં ભીના થઈ ગયા. હ્રદયમાં ઊંડે ઊંડે તેની આ અતિ મહાન, માનવતા છલકતી ચેષ્ટા સ્પર્શી ગઈ. જેને ઓળખતા પણ ન હોઇએ એવી વ્યક્તિ માટે પોતાનો જીવ દાવ પર લગાવી દેવાની હરકત કોઈ અસાધારણ માનવી જ કરી શકે!

   આપણાં સૌ માં બે જણ વાસ કરતા હોય છે - એક સારો જણ અને એક ખરાબ જણ. સતત આપણે સૌ આ આપણી અંદર વસતા બંને જણની વચ્ચેનું યુધ્ધ સાક્ષી ભાવે જોતા - અનુભવતા હોઈએ છીએ. ક્યારેક પેલો ખરાબ જણ જીતી જતો હોય છે તો ક્યારેક સારો જણ. મયૂરના ઉપરોક્ત વર્ણવેલા કિસ્સામાં તેની અંદર વસતાં સારા જણની જીત થઈ અને તે પેલી અંધ મા ના દીકરાનો મસીહા બની ગયો. તેના આ સાહસથી છલકતા મર્દાનગી ભર્યા કૃત્યના ભારોભાર વખાણ થયાં. રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટર પર આ કિસ્સો ચર્ચી મયુરને બિરદાવ્યો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ પોતે ફોન કરી મયુરની પીઠ થાબડી. સેન્ટ્રલ રેલવેએ તેને પચાસ હજાર રૂપિયાનું ઈનામ આપ્યું અને સાહેબ આ મહા માનવની માનવતા જુઓ! આ રકમમાંથી અડધી રકમ તેણે પેલા ગરીબ બાળકને આપી દીધી જેનો જીવ તેણે બચાવ્યો હતો! મયુર પોતે પણ કંઈ ગર્ભ શ્રીમંત વ્યક્તિ નથી, પોઈન્ટ્સ મેન તરીકે ફરજ બજાવતો એક સાધારણ આર્થિક સ્થિતી ધરાવતો મહારાષ્ટ્રીયન યુવાન છે. પણ તેની વિચારધારાએ તેને મહા માનવ બનાવી દીધો છે. પહેલા જીવ બચાવ્યો અને પછી પોતાને મળેલા ઈનામમાંથી અડધી રકમ એક અંધ મા ના બાળક ના ભવિષ્ય - ભણતર માટે આપી દેવી આ ઉમદા કાર્ય માટે સોનાનું હ્રદય જોઈએ. આવું માનવતા ભર્યું ઉચ્ચ કાર્ય દેવદૂત જ કરી શકે. મયૂર શેળકે ખરેખર એક દેવદૂત છે. તેને લાખો સલામ!

    મહિન્દ્રાના જાવા બાઈક યુનિટે મયૂર શેળકેને એક બાઈક ઈનામમાં આપવાની જાહેરાત કરી છે. આ બહાદુરી ભર્યા કિસ્સાની વિગતો અને વિડિયો વાઈરલ થયા બાદ મયૂર પર પ્રશંસા અને ઈનામો નો વરસાદ વરસ્યો છે. પણ મને ખાત્રી છે કે એનાથી મયૂર ચલાયમાન થશે નહીં, બલ્કે ઓર વધુ સારા કાર્યો કરશે.


અમી સ્પંદન

સંકલન એટલે સારી સારી કૃતિઓ ભેગી કરી તેનો તૈયાર કરેલો ગુલદસ્તો. એક ફૂલનું પોતાનું આગવું સૌદર્ય હોય તો ગુલદસ્તામાં આવા અનેક સુંદર ફૂલો ભેગા હાજર હોય! કાવ્ય, પ્રાર્થના /ભજન, બાળકાવ્ય, દેશભક્તિ ગીત, ગરબા /રાસ, દુહા /સુભાષિત અને આરતી એવા સાત સાહિત્ય પ્રકારોની સવાસોથી વધુ કવિઓની નીવડેલી સવા સાતસો જેટલી જૂની - નવી રચનાઓનાં અપૂર્વ સંગ્રહ સમાન એક સુંદર પુસ્તક 'અમી સ્પંદન' થોડાં સમય અગાઉ ભેટમાં મળ્યું. સ્વ. પ્રવિણચંદ્ર ચુનીલાલ દવે આ પુસ્તકના સંકલન કર્તા. સન ૧૯૫૦માં પાંચ વર્ષની વયે ઉઘાડે પગે ને પહેરેલે કપડે તેમના જ્યેષ્ઠ બંધુ સાથે અભ્યાસાર્થે મુંબઈ આવ્યા અને પછી તો નસીબ તેમને ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા પણ લઈ ગયું. સત્તાવીસ વર્ષની ઉંમરે વિદેશમાં નોકરીનો પણ અનુભવ લીધા બાદ ભારત પરત ફર્યા અને અહીં સ્થાયી થયા. સાહિત્ય પ્રત્યેની અદમ્ય લાગણીને લઈને ૧૯૯૩થી અમી સ્પંદનના સંકલનનું કાર્ય હાથ ધર્યું અને અનેક વિટંબણાઓ વટાવી છેક જાન્યુઆરી, ૨૦૦૧માં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ. જો કે પછી તો આ પુસ્તક એટલું લોકપ્રિય બન્યું કે અત્યાર સુધી તેનું ૨૮૦૦૦ કરતાં વધુ પ્રત સાથે સત્તર વાર પુનઃ મુદ્રણ થઈ ચૂક્યું છે.

    આ પુસ્તકનું મુખપૃષ્ઠ અતિ કલાત્મક અને આકર્ષક છે. તેના ઉપરના ભાગમાં છ રાગિણીઓનું કોલાજ છે જેમાં રાગ હિંડોળ, દિપક, કુમકુમ, મેઘમલ્હાર, વસંત તથા ગોડકરી છે. ગીત /સંગીતને પ્રદર્શિત કરવાનો આ ભારતીય અભિગમ છે. કોલાજ ચિત્રની નીચેના ભાગમાં પિઆનોની સાત ચાવીઓનું સપ્તક છે. આ સપ્તકના માધ્યમથી અમીસ્પંદનમાં સામેલ કરવામાં આવેલ સાત જુદા જુદા વિભાગોને વાચા આપી છે. પિઆનો પશ્ચિમી ગીત /સંગીતનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આમ પૂર્વ - પશ્ચિમની એકરૂપતા અભિપ્રેત છે. એકવીસમી સદીમાં પૂર્વની પદ્યરચનાઓ પશ્ચિમી વાદ્યો દ્વારા ગુંજી ઉઠે એ ભાવના સાંકળવાનો સંકલનકર્તાનો નમ્ર પ્રયાસ છે.

   આ પુસ્તક સંકલન કર્તા માટે અતિ ખાસ રહ્યું હશે કારણ તેમાં તેમની આઠેક વર્ષના અથાગ પરિશ્રમનો સમન્વય છે. તેમણે એ તેમની સ્વર્ગસ્થ પુત્રી અમી ને અર્પણ કર્યું છે જેણે તેમના જીવનને કિલ્લોલમય કર્યું અને અકળ કારણોસર કિશોરાવસ્થા માં જ જીવન સંકોરી લીધું હતું. અમી ના નામ ને જ એટલે એમણે પુસ્તકના શિર્ષકમાં પણ સમાવિષ્ટ કર્યું છે.

   વર્ષ ૨૦૦૭માં દિવાળીમાં ભેટ આપવા લાયક    ૧૦૦ પુસ્તકોમાં અમી સ્પંદનનો સમાવેશ થયો હતો. પુસ્તકથી શ્રેષ્ઠ ભેટ બીજી કઈ હોઈ શકે? ઘણાં લોકો સ્વજન ગુમાવ્યા બાદ, તેની સ્મૃતિમાં પણ સારા પુસ્તકની લહાણી કરે છે જે એક આવકાર દાયક બાબત છે. મને લાગે છે અમી સ્પંદન પણ ઘણાં લોકો દ્વારા આ રીતે સ્વજનો અને પરિવારજનો સાથે વહેંચાયું હશે.

   સ્વ. કવિ શ્રી મકરંદ દવે એ પ્રથમ આવૃત્તિ વેળાએ અમી સ્પંદનને આનંદ સાથે આવકાર્યું હતું આ શબ્દોમાં : આપણે ત્યાં એવી રચનાઓ છે જે કાવ્યત્વથી સભર હોય પણ ગેયતાને નામે એમાં લયનો મરોડ ન હોય. અને ગેયતા સુગમ હોય ત્યાં કાવ્યત્વની ઉણપ વર્તાઈ આવે જેની સામે સાક્ષર વર્ગ અને સામાન્ય જનતાને ભાવે એવી વાનગી પીરસવાની દૃષ્ટિ છે. તેનું કાર્ય કઠિન બની જાય છે. ઊંડો કવિતા પ્રેમ અને પરિશ્રમ ઉઠાવવાની ક્ષમતા વિના આવો સર્વ ભોગ્ય સંગ્રહ ન થઈ શકે. પ્રવીણચંદ્ર ભાઈ નું સહસ્ત્ર વીણા ના તાર છેડવાનું પ્રાવીણ્ય આપણને સૌને એમાં વધુ સ્પંદનો ઝીલવાની પ્રેરણા આપે એવી શુભેચ્છા પાઠવું છું. દરેક કવિની એકાદ રચના આપીને એવી બીજી રચનાઓ વાંચવાની ભૂખ ઊઘડે એવી ભાવના પણ આ સંગ્રહમાં જોવા મળે છે. પુસ્તકોની અપૂર્ણ સંદર્ભ સૂચિ તરફ નજર કરતાં જ ખ્યાલ આવે છે કે કેટકેટલી નદીઓનાં પાણીથી તેમણે આ મંગળ કુંભ ભર્યો છે! આ સંગ્રહમાંથી ખોબલે જળપાન કરી મૂળ સ્ત્રોત ભણી યાત્રા કરવાની વાચકને પ્રેરણા મળશે તો સંકલનકર્તાએ પ્રસ્તાવના માં જે કલ્યાણકારી ભાવના સેવી છે તે ફળીભૂત થશે.

    પ્રિયકાંત મણિયારનું 'આ નભ ઝૂકયું તે કાનજી ને ચાંદની તે રાધા રે...' , ઈંદુલાલ ગાંધીનાં આંધળી માનો કાગળ અને દેખતા દીકરાનો જવાબ, ઉમાશંકર જોશીનું ગીત અમે ગોત્યું ગોત્યું, જયંત પાઠકનું દીકરીના લગ્ન પછી ઘરમાં, કલાપીનું ગ્રામ્યમાતા, સ્નેહરશ્મિ ના હાઈકુ વગેરે જેવા ગુજરાતી માધ્યમમાં શાળાજીવનમાં બાલભારતીમાં ભણેલા અનેક કાવ્યો અમી સ્પંદન માં વાંચવા મળ્યાં ત્યારે જાણે શૈશવ ની ગલીઓમાં ફરી ભમવાની એક તક સાંપડી! આવા તો સવાસો થી વધુ કાવ્યો અહીં સમાવિષ્ટ છે. કૃષ્ણ દવે, સ્વ સુરેશ દલાલ વગેરે કવિઓની અદ્યતન કવિતાઓ પણ આ સંગ્રહમાં સમાવવામાં આવી છે તો બાળકાવ્ય વિભાગમાં તો અમેરિકન લોકગીત પણ મોજૂદ છે. શાળા જીવનમાં ગાયેલાં- સાંભળેલાં આઓ બચ્ચો તુમ્હે.., તૈયાર થઈ જજો, વિજયી વિશ્વ તિરંગા, સારે જહાં સે અચ્છા.., હમ હોંગે કામયાબ... જેવાં દેશ ભક્તિ ગીતો અને ૐ તત્સત્, અખિલ બ્રહ્માંડમાં..., એક જ દે ચિનગારી... વગેરે પ્રાર્થનાઓ પણ વાંચી મન પુલકિત થઈ જાય! પ્રખ્યાત ગુજરાતી ગરબા અને આરતીના શબ્દો વાંચવાનું મન થાય તો એ અમી સ્પંદનમાં મળી રહેશે.

  અમી સ્પંદનના સર્જકના પુત્ર પિનાકિનભાઈ દવે નો આટલી સુંદર અનોખી ભેટ મને આપવા બદલ આભાર! ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ ધરાવતાં અને કાવ્યો - ગીતોમાં રસ ધરાવતાં સૌ કોઈ માટે આ પુસ્તક એક શ્રેષ્ઠ ભેટ સાબિત થશે.