Translate

લેબલ 'Rohit Kapadia' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'Rohit Kapadia' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

ગેસ્ટ બ્લોગ : આશા

      ગઈ વખતનાં લોકડાઉન અને અનલોક વખતે સકારાત્મક સિત્તેર જેટલાં લેખોની લોકડાઉન ડાયરી લખી હતી. આ વખતે પણ લખવાની ઈચ્છા થઈ. વિચારો પણ ઘણા આવે છે પણ જ્યારે એ વિચારોને કલમ દ્વારા કાગળ પર ઉતારવા જાઉં છું ત્યારે અચાનક જ કલમની સ્યાહી આંસુ બની જાય છે. મારી આંખ સામે હોસ્પિટલમાં પ્રવેશ મેળવવા માટે એમ્બ્યુલન્સની લાંબી કતારમાં તડપતાં દર્દીઓ દેખાય છે. દવા અને ઇંજેક્શન માટે વલખાં મારતાં દર્દીઓનાં પરિવારજનો દેખાય છે. જે ઓક્સિજનની પ્રકૃતિએ છૂટે હાથે લહાણ કરી છે તે ઓક્સિજન માટે હૈયું કંપાવી દે એવાં તરફડિયાં મારતાં દર્દીઓનાં ચહેરા દેખાય છે. જીવનની અંતિમ ક્ષણોમાં અંગત સ્વજનોની ગેરહાજરીમાં જીવ છોડતાં અકળામણ અનૂભવતાં દર્દીઓનાં ચહેરા દેખાય છે. સ્મશાનની બહાર મૃતદેહોની લાંબી કતાર દેખાય છે. મૃત્યુના ભયને અવગણીને દવા, ઇંજેક્શન અને ઓક્સિજનની કાળાબજારી કરતાં લોકોનાં ચહેરા દેખાય છે. સતાની સાઠમારીમાં વ્યસ્ત નેતાઓ દેખાય છે. અત્યંત કફોડી  સ્થિતિમાં જીવતાં લાખો ગરીબ અને નીચલા મધ્યમવર્ગના લોકોનાં દયામણા ચહેરાઓ દેખાય છે. કામધંધા વગર બેકાર ફરતાં યુવાનોના નિસ્તેજ ચહેરા દેખાય છે. મારી આંખ બોઝિલ થઈ જાય છે. મારે રડી લેવું છે પણ થીજી ગયેલા આંસુઓ આંખમાંથી બહાર નથી આવતાં. મને ચીસ પાડવાનું મન થાય છે પણ

અવાજ નીકળતો નથી. ના, ના મારે પરાકાષ્ઠાએ પહોંચેલા કળિયુગ વિષે નથી લખવું. કંઈ જ નકારાત્મક લખવું નથી પણ સકારાત્મક લખું તો કઈ રીતે? આ ગાઢ અંધકારમાં જયોત પ્રગટાવવી તો કઈ રીતે?

         જે જિંદગીને હું સો વર્ષ જીવવા માંગતો હતો. વૃદ્ધત્વને માણવા માંગતો હતો તે જિંદગી અચાનક જ કેમ નીરસ લાગવા માંડી? જીજીવિષા કેમ ઓસરી ગઈ? મોત કેમ વહાલું લાગવા માંડ્યું? કંઈક મોતનાં વિચારોમાં જ હું ઘરની બહાર નીકળ્યો. ચાલતાં ચાલતાં ઘૂઘવતા સાગરની સામે આવીને

ઊભો રહ્યો. મારાં મનમાં પણ ન સહન કરી શકાય એવો વિચારોનો ઉત્પાત ચાલી રહ્યો હતો. મારી નિરાશા, મારી ઉદાસી વધુ ગહરી થાય તે પહેલાં

કોઈએ મારી સામે આવીને કહ્યું "પ્રણામ. આપ મને નહીં ઓળખતાં હોવ પણ આપનો મારાં પર એક બહુ મોટો ઉપકાર છે. ગયા વખતની આપની લોકડાઉન ડાયરીએ મને આપઘાતનાં માર્ગથી

પાછો વાળ્યો હતો. આ વખતે પણ ડાયરી ચાલુ કરો

ને? એમનો આભાર માની હું સડસડાટ ઘરે પાછો આવ્યો. કાગળ અને પેન હાથમાં લઈને હું વિચારવા લાગ્યો - હવે મારી આંખની સામે મૃત્યુના ભયને અવગણીને પંદર પંદર કલાક કામ કરતાં ભગવાન સ્વરૂપ ડોકટરોનાં ચહેરા હતાં. દેવી સ્વરૂપ નર્સોનાં

ચહેરા હતાં. કોઈ પણ જાતની સૂગ વગર દર્દીનાં

મળ-મૂત્ર અને ઉલટી સાફ કરતાં દેવદૂત સ્વરૂપ સ્વાસ્થ્યકર્મીઓનાં ચહેરા હતાં. મફતમાં ગરીબોને

અનાજ અને ફળનું વિતરણ કરતાં, મફતમાં ઓક્સિજન ભરી આપતાં, કોઈ પણ જાતના સંબંધ

વગર લાશની અંતિમક્રિયા કરતાં, સતત ફરજ બજાવતા મેડીકલ સ્ટાફ, પોલીસ અને એવાં તો

કંઈક સેવાના સેંકડો ભેખધારી આત્માઓ જે

પરમાત્માનાં અંશ સ્વરૂપ છે તેમનાં ચહેરા હતાં. ગાઢ

અંધકારને પ્રગટાવતી જયોત મને જડી ગઈ. મેં લખવાનું ચાલુ કર્યું -

ઈશ્ચર, અમારા અક્ષમ્ય અપરાધોની સજારૂપ ચાલી

રહેલાં આ વિસર્જનનાં માહોલમાં પણ તેં તારૂં સર્જન ચાલુ જ રાખ્યું છે. હું પણ સકારાત્મક વિચારોની મારી લેખન શ્રેણી ચાલુ જ રાખીશ. આશાની જયોત સદૈવ પ્રજવલિત રાખીશ. 

બસ, પછી તો કલમ સડસડાટ ચાલવા લાગી. 

   —     રોહિત ખીમચંદ કાપડિયા

રવિવાર, 19 એપ્રિલ, 2020

ગેસ્ટ બ્લોગ : આશાની જ્યોત ; લોકડાઉન દિવસ-૧૭


આશાની જ્યોત
-----------------------
        બીજા વિશ્વયુદ્ધનાં દારૂણ અનુભવ પછી આજે એકવીસમી સદીમાં જગત આખાને પરેશાન કર્યું કોરોના વાયરસે. મેડીકલ ટર્મીનોલોજીમાં કોવિદ-૧૯ તરીકે ઓળખાતો વાયરસ ચીનના ઉદભવ સ્થાનેથી ઝડપભેર પ્રસરી, ભારત સહીત બીજા અનેક દેશોમાં ફેલાઈ ગયો. સમગ્ર માનવજાતિ પર અદ્રશ્ય કીટાણું કેટલું મોટું સંકટ નાખશે, તેની તો કોઈએ કલ્પના પણ નહી કરી હોય. આનું ગંભીર પરિણામ આવ્યું કે પ્રગતિશીલ દેશોની ગતિ ઓચિંતાની રૂંધાઈ ગઈ, જાણે વિશ્વ આખું થંભી ગયું.
           વૈશ્વિક મહામારિએ લોકોને પોતાના ઘરમાં પોતાને કેદ કરવા માટે મજબુર કરી દીધા. સંક્રમણનાં ડરને લીધે માણસ માણસ વચ્ચેનું અંતર વધી ગયું. આત્મીયતા કે લાગણી ભર્યા સંબધોમાં ઓટ આવી ગઈ. સોશિયલ ડીસ્ટન્સ જેવો શબ્દ માણસના કાને પહેલી વાર અથડાયો. કોઈએ ધાર્યું હતું કે કાતિલ કોરોના આટલી મોટી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરશે.વગર ગુનાની સજા મળી દરેકને કે ઘરનો ઉંબર પણ ઓળંગી શકાય. 
         દરેક દેશની સરકારે પ્રજાના હિતને ધ્યાનમાં રાખી અનેક પગલાં લીધા સરકારે લોકોને ઘરમાં રહેવાનું વિવિધ માધ્યમો દ્વારા એલાન કર્યું. એક કુશળ રાજ નેતા, અનુભવી, દીર્ઘ દ્રષ્ટા ગહન વિચારશીલ એવા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અદભૂત નૈતૃત્વને કારણે ભારતની જનતાને સંકટનો હિંમત ભેર સામનો કરવાનું બળ પૂરું પાડ્યું. લોકોના આત્મવિશ્વાસને મજબૂત કર્યો.
         બાવીસમી માર્ચે રવિવારે જનતા કરફ્યુનો અમલ કર્યો. મુશ્કેલ સંજોગોમાં પોતાના જીવના જોખમે સેવા ધર્મ બજાવતા ડોકટરો, પરિચારિકાઓ, પોલીસો, સફાઈ કામદારો પ્રત્યે કૃતઘ્નતા વ્યકત કરવા દીવસે સાંજે પાંચ વાગે થાળી ઘંટીના રણકાર કવાનું એલાન કર્યું, જેમાં પ્રજાએ ઉત્સાહ પૂર્વક વડા પ્રધાનના એલાંનને સમર્થન આપ્યું. ઋણ ચૂકવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ દુનિયા સમક્ષ પ્રદર્શિત કર્યું. ઉપરાંત તારીખ પાંચમી એપ્રિલના રવિવારે રાત્રે નવ વાગે નવ મિનીટ માટે ઘરની બત્તી બંધ કરી મીણ બતી કે કોડીયાનો દીવો કરવાનું સૂચન કર્યું.સમગ્ર દેશની જનતાએ એકતા દ્વારા પ્રકાશની શક્તિનો પરિચય કરાવ્યો
               ઘેરા અંધકારને પણ એક કોડિયું છેદી શકે છે.એટલે સમસ્યા રૂપી અંધકારમાં સકારાત્મક જ્યોત સમાધાન તરફ દોરી જાય છે. આમ નરેન્દ્ર ભાઈએ દરેક માણસના હ્રદયમાં આશાની જ્યોત પ્રગટાવી હકારત્મક વિચારોનું પ્રસ્થાપન કર્યું કોરોના જેવી મહા ભયંકર મુસીબત સામે જીત શક્ય છે એવો આશાવાદ દર્શાવ્યો. કવિવર્ય રવીન્દ્રનાથ ટાગોરના એક કાવ્યનો ઝવેરચંદ મેઘાણીએ કરેલો અનુવાદ તબક્કે સાંભરે છે,
                               અસ્ત જાતા રવિ પૂછતા અવનિને, “સારશે કોણ કર્તવ્ય મારા?”
                              સાંભળી પ્રશ્ન સ્તબ્ધ ઊભા સૌ, મોં પડ્યા સર્વના સાવ કાળાં
                              તે સમે કોડિયું એક માટી તણું, ભીડને કોક ખૂણેથી બોલ્યું,
                               મામૂલી જેટલી મારી ત્રેવડ,પ્રભુ,
                                એટલું સોંપજો તો કરીશ હું.”
          આવા સેંકડો કોડિયાં એક સૂરજનો પર્યાય બની શકે છે. એકતા હોય તો આશાનું એક કિરણ પૂરતું છે. ગંભીર સમસ્યાના નિવારણ માટે વડા પ્રધાને દેશના કરોડો લોકોના અંતરમાં સકારત્મક ઊર્જાનું અજવાળું પાથરી દીધું. સરકારને સહકાર આપવા માટે, આપણે આપણાં હ્રદયમાં પ્રગટેલી આશાની જ્યોતને અખંડ રાખવી રહી દીવસ જરૂર આવશે કે આપણે કોરોના સામેનો જંગ એક થઈ અવશ્ય જીતી લેશું.

 - નીતિન વિ મહેતા 

---------------------------------------------------
  લોકડાઉન દિવસ-૧૭
   - - - - - - - - - - - - - -
     રાતભરકા હૈ મહેમાં અંધેરા
     કિસકે રોકે રૂકા હૈ સવેરા
     રાત જીતની ભી ગમગીન હોગી
     સુબહ ઉતની હી રંગીન હોગી.
સમસ્ત વિશ્ચ આજે અંધકારનાં ઓછાયા હેઠળ છે. જિંદગીની અમૂલ્યતા જાણે મોતની સહજતા સામે ગૌણ બની ગઈ છે. સતત ફેલાઈ રહેલી મહામારી, સતત વધી રહેલાં મૃત્યુના આંકડા. માણસ જાણે સાવ લાચાર થઈ ગયો છે. ઉપરવાળાની ચાલ, કોઈ દાવ કે કોઈ ગણિત સમજમાં નથી આવતું.
ખેર! સમય જરૂરથી ખૂબ કપરો છે. પણ સમય હિંમત હારવાનો નથી કે ખુદમાં થી વિશ્વાસ ગુમાવવાનો નથી. રાત જેટલી અંધારી હશે સવાર એટલી પ્રકાશિત હશે. સવારને રંગીન બનાવવા આપણે સહુએ બદલાવું પડશે . પ્રકૃતિના સાદને સાંભળવો પડશે. પર્યાવરણની મહતાને સમજવી પડશે. ધર્મનું સાચું સ્વરૂપ જાણવું પડશે. માનવતાની મહેક પ્રસરાવતાં સાચા અર્થમાં માનવ બનવું પડશે. થઈ ગયેલી ભૂલોને સુધારવા હિંમત રાખીને ઉભા થવું પડશે. મહામારી ભૂતકાળમાં પણ આવી હતી. બબ્બે વિશ્ચ યુદ્ધનો કપરો કાળ પણ વિતી ગયો અને બધા માંથી માનવ ખુદમાં વિશ્વાસ રાખીને બહાર આવ્યો છે. આપણે પણ ડાહ્યા થઈ, સમજણા થઈ, અહંને ઓગાળીને અને ઉપરવાળાની સર્વોપરીતાને
સ્વીકારી બહાર આવવાનું છે.
એક એંસી વર્ષના વૃદ્ધ આંબાના ઝાડ માટે કેરીનો ગોટલો જમીનમાં રોપી રહ્યા હતાં. પસાર થતાં વટેમાર્ગુએ પૂછ્યું
"દાદા, તમે આંબો વાવી રહ્યા છો પણ એનાં ફળ તો તમને ખાવા નહીં મળે તો પછી શાના માટે મહેનત કરો છો?"
વૃદ્ધે હસીને કહ્યું "હું કદાચ એનાં ફળ ખાઈ શકું પણ મારા ગામનાં લોકો તો કેરીની મીઠાશ માણી શકશેને".
       આપણે પણ હવે પ્રકૃતિની સાથે રીતે કદમ મિલાવીને ચાલવાનું છે, પર્યાવરણની રીતે જાળવણી કરવાની છે, સરહદોને મિટાવી" વસુધૈવ કુટુમ્બકમ "ની ભાવના સાથે રીતે જીવવાનું છે કે આવનાર પેઢી શાંતિ, સલામતી અને સ્વસ્થતા સાથે જીવી શકે.
   રામ નવમી, મહાવીર જન્મ કલ્યાણક, હનુમાન જયંતી, ગઈકાલે શબે બરાત (કૃપાની રાત)
અને આજે 'ગુડ ફ્રાઈડે' જાણે આવનાર રંગીન દિવસોનો સંકેત આપી રહ્યાં છે.
મહામારી સામે જંગે ચઢેલા હરેક યોદ્ધાઓ અને એમનાં પરિવારને સલામ.

- રોહિત ખીમચંદ કાપડિયા

સોમવાર, 16 સપ્ટેમ્બર, 2019

ગેસ્ટ બ્લૉગ : વિસર્જન

       સંતાનનો જન્મ થતાં જ ચારેબાજુ આનંદની લહેરો ઉઠે. બરફી અને પેંડા વહેંચાય. ગીતો ગવડાવાય. અભિનંદનની વર્ષા થાય. એટલું જ નહીં, હર વર્ષે એ જન્મદિન અલગ અલગ રીતે ધામધૂમથી ઉજવાય. પણ મૃત્યુ દિન આવે ત્યારે બધાં જ વાંચેલું ભૂલી જાય. જન્મ છે તેનું મૃત્યુ છે. નામ છે તેનો નાશ છે. મૃત્યુ એ પૂર્ણવિરામ નથી પણ બીજા જીવનની શરૂઆત છે. મૃત્યુ એ જૂના કપડાં ત્યજીને નવા કપડાં ધારણ કરવાનો અવસર છે. આ સત્ય સમજવા હોવા છતાં પણ નાસમજ બની જઈએ. મૃત્યુ એ પણ મહોત્સવ છે ને એનો હસતાં હસતાં સ્વીકાર કરવાને બદલે આંસુઓ અને શોકથી વાતાવરણને ભારેખમ બનાવી દઇએ. આ ભારેખમતાને હળવાશમાં બદલવા માટે અને મૃત્યુના મર્મને સમજવા માટે ગણપતિ વિસર્જનની શરૂઆત થઈ. ગણપતિ બાપાનું આગમન ઘણાં જ ધામધૂમથી કરવામાં આવે. નાચતાં નાચતાં અને ઢોલ નગારા વગાડતાં ગણપતિ બાપાને ઘરે લાવવામાં આવે. ઘરે લાવેલા ભગવાનની અનન્ય શ્રદ્ધાથી પૂજા થાય. દસ દસ દિવસ સુધી આનંદની હેલી ઉઠે. ભક્તિ ભાવનાની મહેક પ્રસરે. દસ દિવસ બાદ એ જ ગણપતિ બાપાનું એટલી જ ધામધૂમથી વિસર્જન કરવામાં આવે.  પંચ મહાભૂતમાંથી બનેલો દેહ પંચ મહાભૂતમાં જ વિલીન થવાનો છે એ વાતનો સાક્ષાત્કાર ગણેશજીને જળરાશિમાં વિસર્જિત કરીને થાય. બાપાના વિસર્જન વખતે 'બાપા મોરિયા' અને પુઢચ્યા વર્ષી લવકર યા' નાં નારાઓ ગૂંજે. વિદાય આપતાં દિલ કદાચ રડતું હોય છે પણ બાપા ફરી પાછાં આવતા વર્ષે આવવાનાં છે એની ખુશી મુખ પર છલકતી હોય છે. ગણપતિનાં પુનરાગમન માટે તો વર્ષની રાહ જોવી પડે જ્યારે આ જીવને તો ફરી જન્મ લેવા માટે એક પળની પણ રાહ નથી જોવી પડતી. મૃત્યુ થતાંની સાથે જ જીવ બીજા રૂપે જન્મી જતો હોય છે. આમ મૃત્યુ એ માત્ર પરિવર્તન છે. આ પરિવર્તનની ઘટનાને અનેક રીતે અમર બનાવી શકાય. નેત્રદાન કરીને અન્ય વ્યક્તિને દ્રષ્ટિ આપી આપણે દુનિયાને ફરીથી નિહાળી શકીએ. ત્વચાદાન કરીને અન્ય વ્યક્તિ  દ્વારા ફરી સ્પર્શની દુનિયાનો અહેસાસ કરી શકીએ. દેહદાન કરીને  અન્ય વ્યક્તિ દ્વારા ફરી જીવંતતાની અનૂભુતિ કરી શકીએ. કદાચ કોઈ અકળ કારણસર આપણે જો આ દેહ કે દેહના અંગોનું દાન ન કરી શકતા હોઈએ તો મૃત્યુ પહેલાં સહુને એટલું તો જરૂરથી કહી શકીએ કે મારા મૃત્યુ પછી શોકસભા, પ્રાર્થના સભા કે જમણવાર એવા ખોટા ખર્ચા કરવાને બદલે મારો પૈસો સદુપયોગમાં વપરાય એવું કરજો.
૧.   કોઈ ભૂખ્યાને અન્ન આપજો .
૨.   કોઈ તરસ્યાની પ્યાસ બુઝવજો. 
૩.   કોઇ ગરીબને શિક્ષણ અપાવજો. 
૪.   કોઈ બિમારની દવા કરાવજો. 
૫.   કોઈ વિકલાંગ ને આધાર પૂરો પાડજો
૬.   પક્ષીને ચણ અને પાણી આપજો. 
૭.   ગાયને ઘાસ અને પાણી આપજો. 
૮.   એકાદ વૃક્ષનું રોપણ કરજો. 
            એ તૃપ્ત લોકોના હાસ્યમાં, પંખીઓના કલરવમાં, ગાયના ભાંભરવામાં ને વૃક્ષના નવ પલ્લવિત પર્ણમાં હું જીવંત રહીશ .વિસર્જનમાં જ સમાયેલ સર્જનની અનુભૂતિ કરાવી શકીશ. 
    -    રોહિત કાપડિયા

શનિવાર, 20 જુલાઈ, 2019

ગેસ્ટ બ્લોગ : મૃત્યુ

        જિંદગી એક કાચની બરણી જેવી છે. એનાં પર ' હેન્ડલ વીથ કેર' નું લેબલ લગાવેલું હોય અને ખૂબ જ કાળજીથી એનું જતન કર્યું હોય તો પણ ક્યારે એ બરણીમાં તડ પડી જાય, તિરાડો પડી જાય અને ક્યારે એ ભાંગીને ભુક્કો થઈ જાય તે કહેવાય નહીં. અંત નિશ્ચિત છે પણ ક્યારે તેની કોઈને જાણ નથી હોતી. નિશ્ચિત મૃત્યુની આ અનિશ્ચિતતાને સ્વીકારવી જ પડે છે. જવાનું નક્કી જ છે તો પછી એક વાર મનમાં એ નિર્ધાર કરી લઈએ કે ગમે તે સમયે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે સંજોગોમાં જવા ની વેળા આવે ત્યારે હસતાં હસતાં જ વિદાય લઈશું. મોતને એક અવસર ગણીને ઉજવશું ને એનું પ્રેમથી સ્વાગત કરીશું. અલબત, જેટલું લખવું, બોલવું, કહેવું, સાંભળવું કે વાંચવું સહેલું છે એટલું અમલમાં મૂકવું સહેલું નથી. ખેર, એક વાર જો સમજાય જાય કે મૃત્યુને સહજ રીતે સ્વીકારી લેવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે તો જિંદગી જીવંતતાથી જીવી શકાય. 

             ચાલો, આપણે પ્રેમથી કાળદેવતાને કહીએ કે - - - 

હે, મોત,  તું સાવ જ અચાનક અને અકાળે હ્રદયરોગ રૂપે ત્રાટકે તો હ્રદયની અસહ્ય પીડામાં પણ ઈશ્ચર સાથે આટલી સહજતાથી મિલાપ થશે એ વાતનો આનંદ હોય. 

હે, મોત,  તું કોઈ જીવલેણ અકસ્માત રૂપે ત્રાટકે અને મારા મુખમાંથી ચીસ નીકળી જાય તો તે ચીસની પરાકાષ્ઠાએ ઈશ્ચરની યાદ આવી જાય ને મારી અંતિમ પળો સુધરી જાય. 

હે, મોત,  તું કોઈ કુદરતી પ્રકોપ રૂપે આવે તો આફતથી સર્જાયેલી લાચાર અવસ્થામાં પણ ઈશ્ચરની અકળ્ય લીલાનો તાગ મેળવવા એની પાસે જ જઈ રહ્યાંનો આનંદ હોય.

હે, મોત  કોઈ બિમારી કીડીની ચાલે આવીને મારા દેહને ક્ષીણ કર્યા કરે ને એમ કરતાં અંતિમ ક્ષણ આવે ત્યારે  ઘણાં સમય પહેલાં ઈશ્ચરે મને તારા આગમનની જાણ કરી દીધી અને શેષ જીવનને અર્થસભર જીવવાની તક આપી તે  બદલ આભાર માનતાં સંતોષથી મારી આંખ મિંચાય. 

હે, મોત, તું કોઈ ભયંકર બિમારીનું રૂપ ધારણ કરીને આવે. દર્દ, પીડા ને વેદના અસહ્ય હોય. કંઈ જ ગમતું ન હોય. ક્યાંય ચેન પડતું ન હોય. અરે, ઈશ્ચરનું નામ લેવાનું પણ મન થતું ન હોય ત્યારે દર્દશામક અને નિંદ્રાદાયક ગોળીઓની અસર હેઠળ મિંચાયેલી મારી આંખો પર કોઈ અજાણ પ્રેમાળ હાથનો સ્પર્શ થાય મને થોડી શાતા મળે. એ શાતામાં મને મૃત્યુ પછીની  શાંતિનો અહેસાસ થાય ને મોત તને હું પ્રેમથી આવકારૂં. 

હે, મોત,  સહજ રીતે જીવન જીવતાં, કાળચક્રની ગતિને સ્વીકારતાં, ઈશ્ચરના ધ્યાનમાં લીન હોઈએ અને તું આવે તો એ ઘડી ઓચ્છવની ઘડી બની રહે. 

હે, મોત,  તડ પડે કે તિરાડો પડે ત્યારે પણ એમાં સંગીતની મીઠાશ અનુભવાય અને જ્યારે આ બરણી ભાંગીને ભુક્કો થઈ જાય ત્યારે પણ વિસર્જનના અફસોસના બદલે નવસર્જનની વેળા આવ્યાનો આનંદ હોય. 
    
 - રોહિત કાપડિયા

રવિવાર, 12 ઑગસ્ટ, 2018

ગેસ્ટ બ્લોગ : આઝાદી


વર્ષો પૂર્વે ગુલામીની ઝંઝીર તોડીને આપણો દેશ આઝાદ થયો. ઐતિહાસિક દિવસની સ્મૃતિમાં દર વર્ષે ઠેર ઠેર દવજવંદન થાય. આપણો રાષ્ટ્ર ધ્વજ હવામાં લહેરાય. લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગું ભાષણ થાય. અનેક સાંસ્કૃતિક કાર્યોના આયોજન થાય. દિવસભર દેશ ભક્તિના ગીતો હવામાં ગૂંજતા રહે. શહીદોની યાદ તાજી થાય. ચાલો, પારંપારિક ઉજવણીની સાથે દેશને વિશાળ અર્થમાં આઝાદ બનાવવા થોડું અનોખું અભિયાન ચલાવીએ
સરહદ પર ફરજ બજાવતા સૈનિકો દેશની રક્ષા કરવા માટે પ્રાણની પણ પરવા કરતાં નથી. ભારતનાં અદના નાગરિક તરીકે આપણે પણ આઝાદીની પ્રજ્વલિત જયોતને વધુ તેજોમય બનાવવા થોડું યોગદાન આપીયે
1. લાંચ રૂશ્ચતની નાગચૂડમાંથી મુક્ત થઈને પ્રમાણિકતાનો       ઝંડો લહેરાવીએ
2. વ્યસનોની કેદમાંથી આઝાદ થઈને સ્વસ્થ જીવનનું
    ગૌરવ અનુભવીએ
3. ગંદકીની ગૂંગળામણથી છૂટીને સ્વચ્છ હવામાં મહાલીએ
4. નિરક્ષરતાની બેડી તોડીને સાક્ષરતાનો દીપ પ્રગટાવીએ
5. અંઘશ્રદધાની ઝંઝીરો તોડીને સંકુચિતતામાંથી બહાર 
    આવીએ
6.  વાસનાની આગની ઝપટમાંથી બહાર આવી પ્રેમનો
     પાવન પરિમલ પ્રસરાવીએ
7.  ધર્મઝનૂનનો ફાંસો ફગાવી દઇ સર્વધર્મ સમભાવનાં ગીતો 
     ગૂંજતા કરીએ
8.  આધુનિકતાની ચૂંગલમાંથી મુક્ત થઈને સાદગીનો વૈભવ 
     અપનાવીએ
9.  ટેક્નોલોજીની માયાવી જાળને તોડીને આપણી પ્રાચીન 
     સંસ્કૃતિને ઉજાગર કરીએ
10.  દરિદ્રતાની ભીંસમાંથી મુક્ત થઈને પરિશ્રમના બળે
       વિકાસના પંથે આગળ વધીએ
             ખુદથી શરૂઆત કરીને સ્વજનોમાં, મિત્રોમાં, સહકર્મચારીઓમાં, સમાજમાં અને શહેરમાં વિચારોનાં
બીજ વેરીને શ્રદ્ધાનાં જળથી એનુ સિંચન કરીએ. અબ્રાહમ 
લિંકનની વાત - - દેશ મારા માટે શું કરે છે તે પૂછતાં આપણે દેશ માટે શું કરી શકીએ છીએ તેનો વિચાર કરીએ
'મેરા ભારત મહાન'નાં નારાને 'ભારત સબસે મહાન' રીતે 
વિશ્વમાં ગૂંજતો કરીએ. ભારતને એક સુખી, સમૃદ્ધ, અને શક્તિશાળી દેશ તરીકે વિશ્વનાં ફલક પર મૂકવા આપણાં
યોગદાનની મંગલ શરૂઆત આજથી કરીએ

                       જયહિંદ ...

       -  રોહિત કાપડિયા