Translate

લેબલ freedom સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ freedom સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 12 ઑગસ્ટ, 2018

ગેસ્ટ બ્લોગ : આઝાદી


વર્ષો પૂર્વે ગુલામીની ઝંઝીર તોડીને આપણો દેશ આઝાદ થયો. ઐતિહાસિક દિવસની સ્મૃતિમાં દર વર્ષે ઠેર ઠેર દવજવંદન થાય. આપણો રાષ્ટ્ર ધ્વજ હવામાં લહેરાય. લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગું ભાષણ થાય. અનેક સાંસ્કૃતિક કાર્યોના આયોજન થાય. દિવસભર દેશ ભક્તિના ગીતો હવામાં ગૂંજતા રહે. શહીદોની યાદ તાજી થાય. ચાલો, પારંપારિક ઉજવણીની સાથે દેશને વિશાળ અર્થમાં આઝાદ બનાવવા થોડું અનોખું અભિયાન ચલાવીએ
સરહદ પર ફરજ બજાવતા સૈનિકો દેશની રક્ષા કરવા માટે પ્રાણની પણ પરવા કરતાં નથી. ભારતનાં અદના નાગરિક તરીકે આપણે પણ આઝાદીની પ્રજ્વલિત જયોતને વધુ તેજોમય બનાવવા થોડું યોગદાન આપીયે
1. લાંચ રૂશ્ચતની નાગચૂડમાંથી મુક્ત થઈને પ્રમાણિકતાનો       ઝંડો લહેરાવીએ
2. વ્યસનોની કેદમાંથી આઝાદ થઈને સ્વસ્થ જીવનનું
    ગૌરવ અનુભવીએ
3. ગંદકીની ગૂંગળામણથી છૂટીને સ્વચ્છ હવામાં મહાલીએ
4. નિરક્ષરતાની બેડી તોડીને સાક્ષરતાનો દીપ પ્રગટાવીએ
5. અંઘશ્રદધાની ઝંઝીરો તોડીને સંકુચિતતામાંથી બહાર 
    આવીએ
6.  વાસનાની આગની ઝપટમાંથી બહાર આવી પ્રેમનો
     પાવન પરિમલ પ્રસરાવીએ
7.  ધર્મઝનૂનનો ફાંસો ફગાવી દઇ સર્વધર્મ સમભાવનાં ગીતો 
     ગૂંજતા કરીએ
8.  આધુનિકતાની ચૂંગલમાંથી મુક્ત થઈને સાદગીનો વૈભવ 
     અપનાવીએ
9.  ટેક્નોલોજીની માયાવી જાળને તોડીને આપણી પ્રાચીન 
     સંસ્કૃતિને ઉજાગર કરીએ
10.  દરિદ્રતાની ભીંસમાંથી મુક્ત થઈને પરિશ્રમના બળે
       વિકાસના પંથે આગળ વધીએ
             ખુદથી શરૂઆત કરીને સ્વજનોમાં, મિત્રોમાં, સહકર્મચારીઓમાં, સમાજમાં અને શહેરમાં વિચારોનાં
બીજ વેરીને શ્રદ્ધાનાં જળથી એનુ સિંચન કરીએ. અબ્રાહમ 
લિંકનની વાત - - દેશ મારા માટે શું કરે છે તે પૂછતાં આપણે દેશ માટે શું કરી શકીએ છીએ તેનો વિચાર કરીએ
'મેરા ભારત મહાન'નાં નારાને 'ભારત સબસે મહાન' રીતે 
વિશ્વમાં ગૂંજતો કરીએ. ભારતને એક સુખી, સમૃદ્ધ, અને શક્તિશાળી દેશ તરીકે વિશ્વનાં ફલક પર મૂકવા આપણાં
યોગદાનની મંગલ શરૂઆત આજથી કરીએ

                       જયહિંદ ...

       -  રોહિત કાપડિયા 


શનિવાર, 13 ઑગસ્ટ, 2011

આઝાદી

ગયા અઠવાડિયે સ્ત્રીઓને પુરૂષોની સંકુચિત માનસિક્તામાંથી આઝાદી મળે એવી ઝંખના વ્યક્ત કર્યા બાદ આજે મારે બીજા એક પ્રકારની આઝાદીની વાત માંડવી છે.


હમણાં થોડા સમય અગાઉ અમોલ ગુપ્તે દિગ્દર્શીત-અભિનીત એક બાળકોની હળવી પણ ભારે એવી ફિલ્મ 'સ્ટેનલી કા ડબ્બા' જોઈ. અતિ હ્રદય સ્પર્શી એવી આ ફિલ્મને બાળકોની કહી, બાળકો માટેની નહિં કારણ મોટા ભાગના કલાકારો બાળકો હોવા છતાં એમાં મોટાઓ માટે બે-ત્રણ સંદેશ હતાં, કોઈ જાતના ઉપચાર કે વધારે પડતી નાટ્યાત્મક્તા વગર, અપ્રત્યક્ષ રીતે. આ ફિલ્મ માટે હળવી અને ભારે બંને વિરોધાભાસી વિશેષણોનો પ્રયોગ પણ મેં જાણી જોઈને કર્યો છે એ દર્શાવવા કે બાળકોના સુંદર, સાહજિક અભિનયને કારણે કંઈક હલ્કુ-ફુલ્કુ જોઈ રહ્યાનો અહેસાસ થવાની સાથે જ સમાજને જે સંદેશ અમોલજી એ પહોંચાડ્યો છે તે ભારે છે. ફિલ્મ જોયા બાદ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિની આંખ ભીની થયા વગર ન રહે.સંદેશ છે બાળકોને આઝાદી આપવાનો.

બીજાઓના ડબ્બામાંથી જ ચોરી કે માગીને ખાવાની કુટેવ ધરાવતો એક 'ખડ્ડૂસ' શિક્ષક સ્ટેનલી નામના એક અતિ હોંશિયાર,સર્જનાત્મક ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને, ડબ્બો ન લાવવાને કારણે શાળામાંથી કાઢી મૂકે છે, તે જ્યારે ડબ્બો લાવી શકે ત્યારે જ ફરી પાછા શાળાએ આવવાની ધમકી સાથે. અહિં શિક્ષકો માટે સંદેશ છે કે તેમણે કુમળી વયના બાળકો સાથે જવાબદારી ભર્યા વર્તન દ્વારા તેમનામાં સારા અને સાચા સંસ્કારો આપી તેમનું ચારિત્ય ઘડતર કરવાનું છે.વિદ્યાર્થીઓને દોસ્ત જેવા બનાવી તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનું છે તેમનામાં રસ લઈને,તેમના વિષે પૂરતી માહિતી મેળવીને.પેલા લોલુપ શિક્ષકે સ્ટેનલીને સજા તો ફટકારી ડબ્બો ન લાવવા બદલ, પણ એ હકીકત જાણ્યા વગર કે સ્ટેનલી માબાપ વગરનો હોટલમાં મજૂરી કરીને પેટિયું રળનારો અને ત્યાં આશ્રય પામનારો કમનસીબ બાળમજૂર છે.આ હકીકત સ્ટેનલીએ કોઈ શિક્ષક કે વિદ્યાર્થી સાથે પૂરી ફિલ્મ દરમ્યાન ક્યારેય શેર નથી કરી.એ દુ:ખ આ બાળક તેને સાચો પ્રેમ અને પ્રોત્સાહન આપનારી શિક્ષિકાથી પણ છૂપાવી એકલો જ સહન કરે છે. શિક્ષકો એ દરેક વિદ્યાર્થીની મનોદશા સમજી તેના વ્યક્તિગત જીવનમાં પણ રસ લઈ તેની મુશ્કેલીઓ,તેની નબળાઈઓ દૂર કરવા પ્રયાસ કરવા જોઇએ અને તેની શક્તિઓ,લાયકાત પિછાણી તેને વધુ ઉજાગર કરવાના પ્રયત્નો કરવા જોઇએ.

આ બ્લોગનો મુખ્ય મુદ્દો હવે ચર્ચીએ. સ્ટેનલી કા ડબ્બામાં સ્ટેનલી દ્વારા ફિલ્મસર્જકે હજારો-લાખા બાળમજૂરોનું પ્રતિનિધિત્વ કર્યું છે.ફૂલ જેવા કોમળ બાળકોને પેટ ભરવા કે રહેવા માટે જગા મળી રહે એ માટે મજૂરી કરવી પડે એ દુ:ખદાયક,શરમજનક અને ધિક્કારપાત્ર ઘટના છે.જે બાળકો પાસે વેઠ કરાવવાનું આ ઘૃણાસ્પદ કામ કરાવડાવે છે એ ગુનાને પાત્ર ઠરવું જોઇએ અને તેને કડક માં કડક સજા થવી જોઇએ.આપણાં મુંબઈ શહેરમાં અનેક જગાએ 'કામા સાંઠી મુલે પાહિજે' ના પાટિયા લગાડેલા જોવા મળે છે એટલું જ નહિં કેટલાંય કારખાનાઓ અને ફેક્ટરીઓમાં અનેક બાળકો કામ કરે છે અને તેમનું શોષણ થાય છે.આ બાળકોને ક્યારે આઝાદી મળશે? આ બાળકોને તેમનું બાળપણ પાછું મળશે? આ બ્લોગ વાંચનાર દરેક રીડરને મારી વિનંતી છે કે આવા કોઈ બાળકને તમે કામધંધા પર રાખ્યો હોય કે તમે આવા કોઈ તમે આવા કોઈ બાળકને મજૂરી કરતા જુઓ તો તેને મુક્ત કરવાનો કે કરાવવાનો પ્રયાસ કરજો.તેના માટે કંઈક ઘટતું કરજો.ઇશ્વરની પુજા મૂર્તિ કે તસવીરને ભજવામાં નથી,મનુષ્ય માત્રના કલ્યાણમાં છે. જનસેવા એ જ પ્રભુ સેવા છે.



ભારત દેશની આઝાદીનો ૬૫મો સ્વાતંત્ર્ય દિન આપણે આ વર્ષે ભલે ઉજવીએ પણ જ્યાં સુધી રાષ્ટ્રનો દરેક માનવી પછી ભલે એ સ્ત્રી હોય, પુરૂષ હોય કે બાળક, ખરાં અર્થમાં આઝાદ નહિં હોય, એક સારું માનવી માટે યોગ્ય એવું ગૌરવભર્યું જીવન જીવવા માટે આઝાદ નહિં હોય ત્યાં સુધી દેશના આઝાદીદિનનો કોઈ અર્થ નથી. આપણે સૌ આ આઝાદીદિનના પર્વે ખરી આઝાદી માટે કંઈક કરવાનો સંકલ્પ કરીએ...





(સંપૂર્ણ)