Translate

રવિવાર, 26 ઑગસ્ટ, 2012

ઝોફિયાને સલામ!

ગયા સપ્તાહે જ લંડન ખાતે યોજાયેલ ઓલિમ્પિક ૨૦૧૨માં મેડલ્સ મેળવનાર ભારતીય એથ્લીટો પર થયેલ ઇનામોની વર્ષા વિશે વાત કરી હતી તેવામાં આ એક ખબર વાંચવામાં આવી અને તેની બ્લોગમાં ચર્ચા કરવાનું મન થયું.


પોલેન્ડની ૨૬ વર્ષીય ખેલાડી ઝોફિયા નોસેટી - ક્લેપાચાએ સર્ફીંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો અને તે હવે આ કાંસ્ય ચંદ્રકની હરાજી કરવા જઈ રહી છે. તમે બીજું કોઈ અનુમાન કરો એ પહેલાં આમ કરવા માટેનું કારણ તમને જણાવી દઉં.ચોક્કસ એ જાણી તમને આ ખેલાડી માટે માન ઉપજ્યા વગર નહિં રહે.

ઝોફિયા આ હરાજી તેની પાડોશમાં રહેતી પાંચ વર્ષીય બાળકી ઝૂઝિયા માટે યોજી રહી છે.ઝૂઝિયા ક્રિસ્ટીક ફાઈબ્રોસીસ નામના ગંભીર રોગથી પીડાઈ રહી છે અને તેના ઇલાજ માટે નાણાં એકઠાં કરવા ઝોફિયા પોતાના સ્વપ્ન-સિદ્ધી સમાન ઓલિમ્પિક મેડલની હરાજી કરવા જઈ રહી છે.

ઝોફિયા ને તેની પાડોશમાં રહેતી નાનકડી ઝૂઝિયા સાથે દોસ્તી બંધાઈ ગઈ હતી અને જ્યારે તેને ઝૂઝિયાની બિમારી અંગે જાણ થઈ ત્યારે તેણે ભારે આઘાત અનુભવ્યો હતો અને લંડન ઓલિમ્પિકમાં જતા પહેલા ઝોફિયાએ તેને વચન આપ્યું હતું કે જો હું આ વખતે મેડલ જીતીશ તો તારી સારવારના નાણાં ઉભા કરવા તેની હરાજી કરીશ.હવે ઝોફિયા આ વચન ખરેખર નિભાવવા જઈ રહી છે!

આજે પરિવારમાં પોતાના સહોદર માટે પણ ખર્ચ કરતાં વ્યવહારૂ (કે સ્વાર્થી?) માનવી વિચાર કરે છે ત્યારે પોલેન્ડની ઝોફિયા પાડોશીની બાળકી માટે પોતાનો કાંસ્ય ચંદ્રક વેચવા તૈયાર થઈ છે એ માનવતાનું અજોડ,અનુપમ અને અનુકરણીય ઉદાહરણ છે.ઝોફિયા તને લાખો સલામ!

રવિવાર, 19 ઑગસ્ટ, 2012

શ્રી સુરેશ દલાલને સાદર શ્રદ્ધાંજલિ, ઓલિમ્પિક ૨૦૧૨ અને મુંબઈ મેરેથોન ૨૦૧૩

૧૦મી ઓગષ્ટ ૨૦૧૨ના શુક્રવારે ગુજરાતી ભાષાનો એક વિરલ સિતારો ગુજરાતી સાહિત્યના આકાશમાંથી ખરી પડ્યો અને જન્માષ્ટમીના એ પવિત્ર દિને કૃષ્ણપ્રેમી અને શબ્દપ્રેમી સુરેશ દલાલ સરના સ્વર્ગારોહણ સાથે જાણે ગુજરાતી કવિતાના એક યુગનો અંત આવી ગયો. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એમને યોગ્ય ભાવાંજલિ આપતા કહ્યું કે ગુજરાતી ભાષાનો એકે એક શબ્દ તેમના દેહવિલયને કારણે રડી રહ્યો છે. મારા ગુરૂ,મારા પ્રિય લેખક, કવિ એવા તેમણે મારા પ્રથમ પુસ્તકની પ્રસ્તાવના લખી આપી મને ઋણી બનાવ્યો હતો. તેમને વર્ષોથી વાંચતા રહીને મારામાં રહેલી સંવેદનશીલતા બરકરાર રહેવા પામી છે અને તેમણે લખેલા હ્રદયસ્પર્શી ગદ્ય-પદ્ય વાંચીને જ હું પણ થોડુંઘણું લખતા શીખ્યો છું. મહાન સાહિત્યકાર એવા શ્રી સુરેશ દલાલ સરનો આત્મા પરમકૃપાળુ પરમેશ્વર પરમાત્મામાં એકાકાર પામે અને પરમ શાંતિ,મોક્ષ પામે એવી અભ્યર્થના સાથે તેમને મારી ભાવભીની આદરાંજલિ,શ્રદ્ધાંજલિ...

* * * * * * * * * * * * * *

૧૨મી ઓગષ્ટે પખવાડિયાથી ચાલી રહેલા ઓલિમ્પિક રમતોત્સવનું સમાપન થયું.બસો કરતાં પણ વધુ દેશોએ જેમાં ભાગ લીધો હતો એવો દર ચાર વર્ષે યોજાતો આ મહા રમતોત્સવ આ વર્ષે ઇંગ્લેન્ડના લંડન શહેરમાં યોજાયો હતો અને તેમાં સોથીયે વધુ જુદી જુદી શ્રેણીમાં બે ડઝન કરતા વધુ પ્રકારની રમતગમત સ્પર્ધામાં કુલ દસહજાર કરતાં પણ વધુ રમતવીરોએ ઉત્સાહ,જોશ અને જોમભેર ભાગ લીધો હતો.

આ વર્ષે ભારતમાં પણ આ રમતોત્સવને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. મિડીયાએ પણ આ વખતે ઓલિમ્પિક્સને સારા એવા કવરેજ દ્વારા શ્રીલંકા સાથે હાલમાં રમાઈ રહેલી ભારતની ક્રિકેટ મેચ કરતાં પણ વધુ મહત્વ આપ્યું જે આવકારદાયક પહેલ ગણી શકાય !

આ વર્ષે ભારતે બે રજત અને ચાર કાંસ્ય એમ કુલ છ મેડલ્સ પ્રાપ્ત કર્યા અને એમ જાહેર થયું કે આ ભારતનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ હતો.ભારતનો ક્રમ મેડલ્સ મેળવનાર દેશોની યાદીમાં મેડલ્સની સંખ્યા લેખે પંચાવનમો રહ્યો.અમેરિકા કુલ ૧૦૪ મેડલ્સ (કુલ ૪૬ સુવર્ણચંદ્રક) મેળવી પ્રથમ ક્રમે રહ્યું. વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનનો ક્રમ સૌથી વધુ મેડલ્સ મેળવનાર રાષ્ટ્રોમાં (કુલ ૮૮ મેડલ્સ અને ૩૮ સુવર્ણચંદ્રક) બીજું રહ્યું. ભારતના શ્રેષ્ઠ દેખાવ છતાં એક પણ સુવર્ણ ચંદ્રક તો મેળવી ન શક્યું પણ તેનો ક્રમ પણ બીજા વધુ મેડલ્સ મેળવનારાં રાષ્ટ્રોની યાદીમાં ૫૫ મો રહ્યો . શું આ એક ખુશ થવા જેવી વાત છે?

હું ઓલિમ્પિક શરૂ થઈ ત્યારથી રોજ ઓફિસમાં વારેઘડિયે ભારતને મળેલા મેડલ્સની સંખ્યામાં વધારો થયો કે નહિં તે ચકાસતો હતો. મને આમ તો સ્પોર્ટ્સમાં ખાસ રૂચિ નથી છતાં દેશપ્રેમની ભાવનાથી પ્રેરાઈ હું રોજ પ્રાર્થના કરતો કે ભારતને વધુ મેડલ્સ પ્રાપ્ત થાય અને તેનો ક્રમ વધુ મેડલ્સ મેળવનાર રાષ્ટ્રોની યાદીમાં ઉંચો આવે. ગગન નારંગ, વિજય કુમાર, સાનિયા નેહવાલ, મેરી કોમ, યોગેશ્વર દત્ત અને સુશીલકુમારને મેડલ્સ મળ્યા ત્યારે મને મેડલ મળ્યા હોય એટલી ખુશી મેં અનુભવી હતી. આ દરેક રમતવીર સો ટકા ઉત્કૃષ્ટ ક્ષમતા ધરાવનાર હોવાં છતાં ભારતને મળેલા બે મેડલ્સ નસીબ જોગે હાથ આવ્યા છે એ હકીકત છે. સાનિયા સામે રમી રહેલી ચીનની શ્રેષ્ઠ ખેલાડીઓમાંની એક, મેચમાં આગળ હોવા છતાં ઘાયલ થતાં , તેણે પીછેહઠ કરી અને સાનિયા મેડમને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયું. યોગેશ્વર દત્ત ને પણ સામેના ખેલાડીઓની એકબીજા સામેની રમતમાં હારેલ ખેલાડીના નબળા દેખાવને લીધે બ્રોન્ઝ માટેની સ્પર્ધામાં રીપેચેજ રાઉન્ડમાં અનાયાસે સદનસીબે તક મળી અને તે વધુ એક મેડલ ભારતને અપાવી શક્યો. અહિં મારો ઇરાદો સાનિયા કે યોગેશ્વર દત્ત ને નીચા દેખાડવાનો કે તેમની ક્ષમતા સામે સવાલ ઉઠાવવાનો નથી પણ વિશ્વની બીજા ક્રમની સૌથી વધુ વસ્તી ધરાવતાં હોવા છતાં ભારતની રમતગમત ક્ષેત્રે સારા ખેલાડીઓ પેદા ન કરી શકવાની ક્ષમતા સામે જરૂર પ્રશ્ન કરવાનો છે.ભારતના ખેલાડીઓમાં અન્ય રાષ્ટ્રોના ખેલાડીઓમાં જોવા મળતી ‘કિલર ઇન્સ્ટિન્ક્ટ’નો અભાવ જોવા મળે છે. શા માટે ભારત ખેલાડીઓને પૂરતી ટ્રેનિંગ મળે એ પ્રત્યે ઉદાસીન વલણ સેવે છે?ભારતના નેતાઓ ભ્રષ્ટાચારમાંથી ઉપર આવે તો અન્ય બાબતો પર ધ્યાન આપે ને? કોમનવેલ્થ રમતોત્સવ ભારતમાં યોજાયો ત્યારે કલમાડી સાહેબે કરેલા કરોડો રુપિયાના કૌભાંડના પડઘા હજી શમ્યા નથી. અન્ય રાષ્ટ્રો ખેલાડીઓને પદ્ધતિસરની તાલિમ નાનપણથી મળે એવું પ્રોત્સાહક વાતાવરણ ખડું કરે છે.

અન્ય એક બાબત મને વ્યથિત કરી રહી છે એ છે ભારતનો વિજેતા નિવડેલા ખેલાડી પર વધુ પડતા ઓવારી જઈ અધધધધ ગણી શકાય એવડી મસમોટી ઇનામોની વર્ષા. જે ખેલાડીઓ વિજેતા નિવડ્યા છે તેઓ અસાધારણ ક્ષમતા ધરાવે છે અને તેમણે પોતપોતાના શ્રેષ્ઠ દેખાવ સાથે ભારતને ગૌરવ બક્ષ્યું છે એમાં શંકાને લેશમાત્ર સ્થાન નથી કે એ માટે તેઓએ આપેલા ભોગ કે કરેલી અથાગ મહેનત અને લીધેલ કડક પ્રશિક્ષણ અને તનતોડ પ્રેક્ટીસ પણ ખરેખર અતિ અતિ પ્રશંસનીય છે એ ચોક્કસ, પણ આ ખેલાડીઓને એક જ મેડલ બાદ અલગ અલગ રાજ્ય સરકારોએ કરોડો રુપિયા આપવાની જાહેરાત કરી દીધી અને તેમને મફતમાં આજીવન સેવા,અનેક એકરની જમીન વગેરે વધારામાં. શું આ વધુ પડતુ નથી? હવે આ ખેલાડીઓને એડવર્ટાઈઝીંગ કંપનીઓ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી કરોડો રૂપિયાની આવક કરાવશે તે તો વધારામાં!

મારા મતે વિજેતા ખેલાડીઓને અપાતી રકમ કરોડો રૂપિયાની જગાએ થોડી ઘટાડી વધે એ રકમ અન્ય આશાસ્પદ ખેલાડીઓને અદ્યતન સુવિધાઓ અને પ્રશિક્ષણ પૂરાં પાડવા માટે ફાળવવી જોઇએ. મેડલ લાવનાર ખેલાડીઓ જરૂર મહાન છે પણ તેમના પર ગાંડા ઘેલા થઈ ઇનામોની લહાણી વરસાવવાની જગાએ યોગ્ય રકમ નવા ખેલાડીઓ વધુ મેડલ મેળવી શકે તે માટે તેમને પ્રશિક્ષણ પૂરું પાડવા માટે વપરાય તો તે લેખે લાગ્યું ગણાય. નહિતર ભરતામાં વધુ ભરી સરકાર જ આર્થિક અસમાનતા ઉભી કરવામાં કારણ રૂપ બને છે.

ભારતમાં ક્રિકેટ સિવાય અન્ય કોઈ રમતને ગંભીરતાથી લેવામાં આવતી જ નથી.ઓલિમ્પિકની વાત કરીએ તો તેમાં જ જિમનાસ્ટીક્સ,સ્વિમીંગ,દોડ,રીલે દોડ,હર્ડલ રેસ,હાઈ જમ્પ, તીરંદાજી,બાસ્કેટબોલ,કેનોઈંગ,જુડો,હેન્ડબોલ,તરણ સ્પર્ધા વગેરે જેવી વિવિધ પ્રકારની છવ્વીસેક જુદી જુદી રમતો (૩૯ શાખાઓમાં) યોજાય છે જે દરેક માટે ભારત ખેલાડીઓ તૈયાર કરી શકે અને વધુ મેડલ્સ મેળવવાની નેમ રાખી શકે.

હાલના રમતમંત્રીએ એવી આગાહી કરી છે કે વર્ષ ૨૦૨૦માં યોજાનારા ઓલિમ્પિકમાં ભારત પચ્ચીસેક મેડલ મેળવી શકશે. આપણે એવી આશા સેવીએ કે એટલે લાંબે ગાળે નહિં,પણ વર્ષ ૨૦૧૬માં બ્રાઝિલના રિયો-ડી-જાનેરો શહેરમાં યોજાનારા આગામી ઓલિમ્પિક રમતોત્સવમાં જ ભારત પચ્ચીસ કરતાં વધુ મેડલ મેળવી સૌથી વધુ મેડલ મેળવનારા દેશોની યાદીમાં એકથી પચ્ચીસમાં સ્થાન પામે!

* * * * * * *

૨૦૧૨ના મુંબઈ મેરેથોન વિષેનો મારો બ્લોગ વાંચ્યા બાદ ઘણાં વાચકોએ વર્ષ ૨૦૧૩માં જાન્યુઆરીમાં યોજાનારા મુંબઈ મેરેથોનમાં ભાગ લેવામાં રસ દાખવ્યો હતો અને મને એ માટેનું રજિસ્ટ્રેશન શરૂ થાય તેની જાણ કરવા કહ્યું હતું. ૪૨ કિલોમીટરની ફુલ મેરેથોન અને (જેમાં આ વર્ષે હું ભાગ લેવાનો છું એવી) ૨૧ કિલોમીટરની હાફ મેરેથોન માટેના રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે અને ૭ કિલોમીટરની ડ્રીમ રન શ્રેણીમાં ભાગવા માટેની નોંધણી ઓગષ્ટની ૨૧મી થી ઓનલાઈન http://www.procamrunning.in/scmm/ આ વેબસાઈટ પર શરૂ થશે. ઓફલાઈન નોંધણી માટેનું અરજી પત્ર અને અન્ય માહિતી પણ આપ આ જ વેબસાઈટ પર મેળવી શકશો. તો થઈ જાઓ દોડવા માટે તૈયાર! સી યુ ઓન 20-Jan-2013 @ 10th Mumbai Marathon!

ગુરુવાર, 16 ઑગસ્ટ, 2012

ગેસ્ટ બ્લોગ : ત્રિરંગો

- મૈત્રેયી મહેતા


થોડાં દિવસો અગાઉ, રથયાત્રાને દિવસે મહારાષ્ટ્રના મંત્રાલયમાં આગ લાગી અને તેમાં ઘણાં ઓરડાઓ બળીને રાખ થઇ ગયા. ઘણું નુકસાન થયું , જાનહાની પણ થઇ અને કેટલાક લોકો દાઝી પણ ગયા. તે વખતે મંત્રાલયની ઈમારત પર ફરકાવાયેલા ત્રિરંગાને નીચે ઉતાર્યા વગર નીચે જવાની ના પાડી, પાંચ કર્મચારીઓએ.પોતાના જાનના જોખમે, આટલી કટોકટીપૂર્ણ પરિસ્થિતિમાં પણ ત્રિરંગાના માન-સન્માનને ખાતર અડગ રહેલા એ પાંચ કર્મચારીઓને સલામ.. ! શત શત સલામ !

મંત્રાલયના PWD વિભાગના ચોથી શ્રેણીના કર્મચારીઓની ટુકડી દરરોજ સવારે લગભગ ૬ વાગે ત્રિરંગો ફરકાવે અને સાંજે આશરે સવા સાત વાગે ત્રિરંગો ઉતારીને યોગ્ય ઠેકાણે મૂકી દે.આ ક્રમ દરરોજ બારેય મહિના સતત ચાલ્યા કરે. એવો નિયમ છે.

બપોરે લગભગ ૨ વાગીને ૪૦ મિનિટે ચોથા માળે આગ લાગ્યા પછી, કેટલાક કર્મચારીઓ ધ્વજ સંરક્ષણ વિભાગમાં ગયા અને વહેલામાં વહેલી તકે ઈમારત છોડી જવાની તાકીદ કરી. પણ, સુરેશ બારિયા, દીપક અડ્સુલ, વિશાલ રાણે , ગણેશ ગુંજ અને પ્રેમજી રોજ નામના એ પાંચ કર્મચારીઓએ પોતાના વરિષ્ઠ અધિકારીઓના આદેશ વગર ધ્વજ ને છોડીને નીચે જવાની ધરાર ના પાડી. આગ વધતી ગઈ, જાનનું જોખમ વધતું ચાલ્યું છતાં પણ તેમાંથી એક પણ જણ ધ્વજ ને છોડીને તસુ જેટલું પણ ના ખસ્યું. તેના નિયત સમય પહેલા ધ્વજ ને ઉતારી ના શકાય, પ્રોટોકોલ નો સવાલ છે...હા, આપાતકાલીન સમયે વરિષ્ઠ અધિકારીઓના આદેશ મુજબ આ નિયમમાં ફેરફાર કરી શકાય અને આ કર્મચારીઓ તે આદેશ વગર પોતાની ફરજ છોડીને ના ખસ્યા. છેવટે ૪ વાગીને ૫ મિનિટે આદેશ મળતા જ ત્રિરંગાને ઉતારીને યોગ્ય રીતે વાળીને તેને માટે મુકર્રર કમરામાં મુકવામાં આવ્યો પછી જ તે ફરજપરસ્ત કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા આગળ થયા. તે પાંચેય કર્મચારીઓને શાબાશી આપવી જ ઘટે.

વાચકમિત્રો આ વાત પરથી સ્વતંત્રતાની લડાઈ યાદ આવે છે. કંઈ કેટલાયે દેશવાસીઓએ આ જ ધ્વજ ને ખાતર હસતા હસતા પોતાના પ્રાણની આહુતિ આપી હતી. કેટકેટલા શહીદોના ખૂન વહ્યા છે આ ધ્વજ ફરકાવવાની આઝાદી માટે...!

એ ત્રિરંગો, આપણાં દેશની શાન, આપણી આબરૂ, સ્વતંત્રતાનો વિશ્વભરમાં બુલંદીથી ગાજતો, ફરકતો સ્વર....ત્રિરંગો...

હા દોસ્તો, રાષ્ટ્રધ્વજ ની વાત આવે ત્યારે આપણને ઘણાં લોકોને ખબર જ નથી અને જાણે અજાણ્યે , આપણે રાષ્ટ્ર ધ્વજ નું અપમાન કરી દેતા હોઈએ છીએ...

આપણાં ત્રિરંગામાં ત્રણ રંગ છે, કેસરી , સફેદ અને લીલો. કેસરી રંગ, સાહસ અને બલિદાન, સફેદ રંગ સત્ય અને પવિત્રતા, તેમ જ લીલો રંગ શાંતિ અને સમૃદ્ધિના પ્રતિક છે.

તેમાં અશોક ચક્ર પણ છે, તે ચક્ર વાદળી રંગનું છે અને ૨૪ પાસા ધરાવે છે. ૨૨ મી જુલાઈ ,૧૯૪૭ ના રોજ મળેલી બંધારણીય વિધાનસભાની બેઠકમાં આ ધ્વજ ને મંજુરી અપાઈ હતી. પૂજ્ય ગાંધીજીએ સૌથી પહેલા ૧૯૨૧ માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ના ધ્વજ માટે પ્રસ્તાવ મુકેલો. તેની ડીઝાઇન પીંગલી વેન્કૈયાએ તૈયાર કરી હતી. પણ દેશના બધાજ વર્ગ અને ધર્મ ના લોકો માન્ય રાખે તેવા રાષ્ટ્ર ધ્વજ ની જરૂર હતી, તેથી અંતે આપણા રાષ્ટ્રધ્વજ ની પસંદગી કરવામાં આવી.

રાષ્ટ્ર ધ્વજ બનાવવાના ધારાધોરણો, ૧૯૬૮ માં ઘડવામાં આવ્યા અને ૨૦૦૮ માં તેમાં સુધારા કરવામાં આવ્યા.

રાષ્ટ્ર ધ્વજ માત્ર ખાદી કે હાથશાળના કાપડ પર જ બનાવી શકાય છે. તેમાં પણ ત્રણ રંગ ના જુદા જુદા પટ્ટાનું પણ વિશેષ માપ છે.

રાષ્ટ્રધ્વજની બનાવટ, તેને પ્રદર્શિત કરવામાં , કે તેને ઉતારીને મુકવામાં પણ નિયમોનું ઉલ્લંઘન થાય તો ૩ વર્ષ ની કેદ , કે દંડ કે બન્ને ની સજા થઇ શકે છે.

સત્તાવાર નિયમ મુજબ રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ જમીન ને કે પાણી ને અડવો ના જોઈએ. કે કોઈ પણ રીતે કોઈ ચીજ વીંટાળવા માટે તેનો ઉપયોગ ના થવો જોઈએ. જાણી જોઇને ધ્વજ ને કદી એ તેને ઉંધો ના ફરકાવી શકાય. મૂળ નિયમ મુજબ ધ્વજ ને ગણવેશ પર કોશચ્યુમ્સ પર કે અન્ય કપડા પર ના લગાડી શકાય. પણ ૨૦૦૫ ની જુલાઈ પછી સરકારે કેટલાક ફેરફારો કર્યાં. પણ રાષ્ટ્ર ધ્વજ કમરની નીચેના ભાગમાં કે આંતરવસ્ત્રો પર ધારણ ના કરી શકાય. રાષ્ટ્રીય દિન સિવાય કોઈ પણ દિવસે ધ્વજ ફરકાવી તો શકાય પણ તેની ગરિમા અને તેના માન સન્માન નું પુરતું ધ્યાન રાખવું પડે .

અન્ય કોઈ દેશના રાષ્ટ્રધ્વજની સાથે કે કોર્પોરેટ જગતના ધ્વજ ની સાથે રાષ્ટ્રધ્વજ મુકવાનો હોય તો તેના ખાસ નિયમો છે.

રાષ્ટ્રીય સ્તરે કોઈ મોટા નેતાનું અવસાન થતા રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. તે માટેનો નિર્ણય રાષ્ટ્રપતિ લે છે. અને તે શોકના સમયની મર્યાદા પણ તેઓ જ નક્કી કરે છે. જોકે (સ્વતંત્રતા દિને ૧૫ મી ઓગસ્ટે, ),પ્રજાસત્તાક દિને ( ૨૬ મી જાન્યુઆરી ) ગાંધી જયંતી (૨ જી ઓક્ટોબરે ), રાષ્ટ્રીય સપ્તાહ (૬ થી ૧૩ એપ્રિલ ) કે રાજ્યોના સ્થાપના દિને રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ના ફરકાવી શકાય.

દેશના, લશ્કરના જવાનોના કે અર્ધ લશ્કરી દળોના જવાનોની શહાદત બાદ તેમના કોફીનને રાષ્ટ્ર દવજમાં લપેટીને લઇ જવામાં આવે છે. તેમાં પણ કેસરી ભાગ માથા ની બાજુએ હોય છે અને ધ્વજ ને અંતિમ સંસ્કાર પહેલા કોફીન પરથી લઇ લેવામાં આવે છે. ધ્વજ ને કબરમાં કે અગ્નિને સમર્પિત ના કરી શકાય.

કાયદા મુજબ રાષ્ટ્રધ્વજ, ખાદીનો બનેલો હોવો જોઈએ. સુતરાઉ કે રેશમી ખાદીના કાપડમાંથી જ બનેલો હોવો જોઈએ. રાષ્ટ્ર દવજ બનાવવાનો અધિકાર, માત્ર ખાદી વિકાસ અને ગ્રામોદ્યોગ પંચને જ અપાયેલો છે. રાષ્ટ્રધ્વજ ના ઉપયોગ અંગેના નિયમો ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા અને રાષ્ટ્રીય ચિન્હો ને લગતા અન્ય કાનુન હેઠળ સમાવિષ્ટ છે.

સામાન્ય જનતા , માત્ર રાષ્ટ્રીય દિન જેમ કે સ્વતંત્રતા દિન કે પ્રજાસત્તાક દિનના રોજ જ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે.

પરંતુ ૨૦૦૨ માં નવીન જીન્દાલ નામના નાગરિકે કરેલી અરજીને પગલે સર્વોચ્ચ અદાલતે ભારત સરકારને ખાનગી નાગરીકો દ્વારા ધ્વજ ફરકાવવા અંગેના કાયદાની કલમોમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો અને તે પછી ભારત સરકારે , કાનુનની કલમમાં સુધારા કર્યાં અને નાગરિકોને મર્યાદિત રીતે છૂટ આપવામાં આવી. ૨૦૦૫માં ફરી વાર એ કાનુનમાં સુધારા કરવામાં આવ્યા. અને તે ખાદી અને રેશમ ઉપરાંત અન્ય કેટલાક કપડા પર પણ ધ્વજ બનાવવાની છૂટ અપાઈ.

આપણી જેમ બીજા લગભગ ૬૦ જેટલા દેશો પણ ત્રણ રંગનો રાષ્ટ્રધ્વજ ધરાવે છે. તેમાં ગ્રીસ, સ્લોવેકિયા , નોર્વે, આયરલેન્ડ,ફ્રાંસ, સાયપ્રસ, ચેક પ્રજાસત્તાક, જર્મની, ઇટલી, ન્યુઝીલેન્ડ, વગેરેનો સમાવેશ થાય છે. તે જ રીતે અન્ય દેશોના બે રંગ ધરાવતા રાષ્ટ્રધ્વજ પણ છે.

મિત્રો યાદ છે, સ્વતંત્રતા દિને કે પ્રજાસત્તાક દિને બહાર સડકો પર ૧, ૫, કે ૧૦ રૂપિયા માં રાષ્ટ્રધ્વજ મળે છે? તમે લો છો કે નહિ ? દેશભક્તિની ભાવનાનો સવાલ છે ભાઈ, લેવા જ પડે ને ? ઓ.કે. પણ સાંજ પડતાં પડતાં તો દેશભક્તિની ભાવના હવામાં ઉડી જાય છે અને રસ્તા પર ઠેકઠેકાણે ધ્વજ રખડતા જોવા મળે છે... પગ નીચે પણ આવે છે, કચરામાં સડે છે, ફાટી તૂટી જાય છે... ક્યાંક વળી ગાય પણ ચાવતી હોય છે... આવી આપણી દેશ દાઝ ? અમેરિકામાં દરેક ઘરની બારી ની બહાર રાષ્ટ્રધ્વજ સંપૂર્ણ સન્માન સહિત ફરકાવાય છે...વાત અમેરિકાના ગાણા ગાવાની નથી પણ સારી વાત શીખવાની છે.

મહારાષ્ટ્ર મંત્રાલય ના એ પાંચ કર્મચારીઓએ ભલે પોતાની ફરજ બજાવી છે પણ તેઓ પાંચેય જણા શાબાશીના હકદાર તો છે જ, શું કહો છો ? મારી દ્રષ્ટીએ તો તેમણે કંઈ નહિ તો રાજ્ય તરફથી કંઈ ઇનામ અપાવું જ જોઈએ.... બરાબર ને ?

મારી વાતો સાથે સહમત થતાં હોવ તો હવેથી રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા ઘટતું સઘળું કરજો...

- મૈત્રેયી મહેતા mainakimehta@yahoo.co.in

રવિવાર, 5 ઑગસ્ટ, 2012

ટ્વિટર

ચાલો આજે બ્લોગને ઝરૂખેથી ટ્વિટરની દુનિયામાં ડોકિયું કરીએ !

જે વાચકમિત્રો 'ઇન્ટરનેટ સેવી' એટલે કે ઇન્ટરનેટની દુનિયાથી વિશેષ પરિચિત નથી એમના માટે સર્વ પ્રથમ ટૂંકા પરિચયથી શરૂઆત કરીએ. ટ્વીટર એક એવી વેબસાઈટ છે અથવા તો કહો કે સોશિયલ નેટવર્કીંગનું એક શક્તિશાળી માધ્યમ છે જેના દ્વારા તમે દુનિયાને તમારા વિશે સતત કંઈક ને કંઈક કહેતા રહી શકો,પણ માત્ર ૧૪૦ અક્ષરોની મર્યાદામાં રહીને! છે ને રસપ્રદ?! આજે ટ્વીટર માત્ર તમારા પોતાના વિચારો વ્યક્ત કરવાનું એક માધ્યમ ન બની રહેતા માર્કેટીંગનું કે પ્રચારનું પણ એક સશક્ત સાધન બની ગયું છેં

નવા ઉત્પાદનો કે નવી સેવા કે નવી ફિલ્મ વિશેની માહિતી કે નવા વિચારો દુનિયાભરમાં વિના મૂલ્યે વહેતા કરવાનું હાથવગું સાધન. લગભગ દરેક સેલીબ્રીટી પોતાના લાખો ફોલોવર્સ સાથે આખો દિવસ કંઈક ને કંઈક લખ્યા કરી, ટ્વીટ અપડેટ્સ દ્વારા સતત સંપર્કમાં રહેવાનું શીખી ગયા છે યાતો કહો કે તેમને એમ કરવાની આદત પડી ગઈ છે. ફોલોવર્સ એટલે શું એ જાણવા ટ્વીટર કઈ રીતે કામ કરે છે તે થોડું વધુ વિગતમાં સમજીએ.

બીજી કોઈ પણ વેબસાઈટની જેમજ ટ્વીટર પર રજિસ્ટર કર્યા બાદ તમારા એ ઓનલાઈન અકાઉન્ટમાં લોગ-ઇન કરી તમે વધુમાં વધુ ૧૪૦ અક્ષરોમાં કંઈ પણ લખી શકો અને એ લખ્યા બાદ ‘ટ્વીટ’ બટન પર ક્લીક કરો એટલે તમારો સંદેશો પહોંચી જાય ઇન્ટરનેટના મહાસાગરમાં! ફેસબુક પર તમે જેમ ‘મિત્રો’ બનાવો છો તેમ અહિં ‘ફોલોવર્સ’ હોય છે.તમારું આઈડી (રજિસ્ટર કરતી વેળા તમે જે નામ પસંદ કરો છો તે દા.ત. @VikasNayak) ક્લીક કરી તમારા મિત્રો, સ્વજનો કે કોઈ પણ તમને ‘ફોલો’ કરવા કે અનુસરવાની સ્વતંત્રતા ધરાવે છે. એ તમને ‘ફોલો’ કરવાનું શરૂ કરે એટલે તમે જે કંઈ લખો એ તેના હોમપેજ પર દેખાય કે પબ્લીશ થાય.આમ તમે શાહરૂખ ખાનને કે સલમાન રશ્દીને કે ટોમ ક્રૂઝને કે લેડી ગાગાને ફોલો કરતા હોવ તો એ લોકો જે કંઈ પણ ટ્વીટ કરે એ વાંચી તમે સતત જાણતા રહી શકો કે એ જે તે વ્યક્તિએ શું ખાધુ, શું પીધુ, તે શું કરી રહી છે, ક્યાં છે, કેવા મૂડમાં છે અને એવું બધું તમે તેના ટ્વીટ્સ દ્વારા જાણી શકો! આ બધું તમે તમારા પોતાના વિષે પણ ટ્વીટ કરી તમારા ફોલોવર્સને જણાવી શકો! કોઈના ટ્વીટને તમે જવાબ પણ આપી શકો અથવા કોઈનો ટ્વીટ તમને ગમી જાય તો તમે તેને રીટ્વીટ પણ કરી શકો છો.

૧૪૦ અક્ષરોની મર્યાદાને કારણે ક્યારેક એમ લાગે કે ટ્વીટર દ્વારા લાગણી વ્યક્ત કરવી ખૂબ અઘરૂં કામ છે પણ એટલે જ અંગ્રેજી સ્પેલિંગ્ઝનો અને ગ્રામરનો કચ્ચરઘાણ વાળી ટ્વીટરપ્રેમીઓએ જાણે એક નવી ભાષા શોધી કાઢી છે જે કોઈ નવાસવાને તો સમજાય જ નહિ! વધુમાં વધુ વાત માત્ર ૧૪૦ અક્ષરોમાં કહેવી હોય તો એટલી તો છૂટ લેવી જ પડે! દા.ત. ૮૮ અક્ષરો ના મેસેજ ‘I am a great fan of Sanjay Leela Bhansali and I am looking forward to see his new movie’ ની વાત ટ્વીટર ની નવી ભાષામાં ‘I m grt fan of Snjy Leela Bhnsli & lukin fwd to his new movie’ એમ ૬૬ અક્ષરોમાં પતી ગઈ! કદાચ ભાષા કે વ્યાકરણ પ્રેમીઓને આ ન રૂચે પણ આજકાલની પેઢીતો હવે સામાન્ય લેખિત વ્યવહારમાં પણ આ મિતાક્ષરી ભાષાનો ઉપયોગ કરવા માંડી છે!

સેલીબ્રીટીઓ, ચાહકો કે પોતાના ઓડિયન્સના સતત ટચમાં રહી પોતાની લોકપ્રિયતા જાળવી રાખવા ટ્વીટરનો ઉપયોગ કરે છે તો ક્યારેક જાણી જોઈ ચર્ચાસ્પદ ટ્વીટ કરી કે અન્ય સેલીબ્રીટીને ટાર્ગેટ બનાવી ઓનલાઈન ટ્વીટર યુદ્ધ ચલાવી મિડીયામાં મોખરે રહે છે! ચેતન ભગત જેવા સેલેબ્રીટી યુવા લેખકના ટ્વીટર પર ૬ લાખ ફોલોવર્સ છે. તે પોતાના નવા પુસ્તકની તારીખ કે પોતાના પુસ્તક પરથી ફિલ્મ બનવાની કે તે ફિલ્મમાં કોણ કલાકાર કામ કરવાના છે તેવી અગત્યની જાહેરત ટ્વીટર પર કરે છે. અમિતાભ બચ્ચન કે માધુરી દિક્ષિતથી માંડી સચિન તેંડુલકર કે પછી આપણા વડાપ્રધાન મનમોહન સિંહ કે શશિ થરૂર જેવા રાજકારણી નેતાઓ પણ પોતપોતાના ખાસ ચાહક-ફોલોવર્સનો આગવો વર્ગ ધરાવે છે. ટ્વીટર પર તમે તસવીરો પણ મૂકી શકો છો. ચર્ચાસ્પદ તસવીરો અપલોડ કરી લોકોનું ધ્યાન ખેંચવાના પ્રયાસ કરનાર પૂનમ પાંડે જેવા લોકો પણ ટ્વીટરનો ભરપૂર ઉપયોગ કરે છે.

ટ્વીટરના સદુપયોગ થયાના પણ અનેક ઉદાહરણ ટાંકી શકાય એમ છે.મુંબઈમાં છેલ્લા આતંકવાદી બોમ્બ ધડાકા થયાં ત્યારે દાદરમાં બોમ્બ વિસ્ફોટ થયેલો ત્યારે બસ સ્ટોપ પાસે ફસાયેલ એક નાગરિકે ટ્વીટ કરી મદદ મેળવી હતી અને તે હેમખેમ ઘરે પહોંચ્યાના અહેવાલ અખબારમાં મેં વાંચ્યાનું મને યાદ છે.કોઈ જગાએ આગ લાગે કે દુર્ઘટના સર્જાય ત્યારે પણ ટ્વીટર દ્વારા એની જાણ લોકોને સૌ પ્રથમ થઈ જાય છે અને આ ટ્વીટ જો સમય સર વાંચવામાં આવે અને ત્વરીત પગલાં લેવાય તો મોટું નુકસાન કે મોટી જાનહાનિ નિવારી શકાય છે. ટ્વીત કરીને માનસિક રીતે બિમાર વ્યક્તિ પોતાનું દુ:ખ દુનિયા સાથે શેર કરી હળવું કરી લે છે અને તેને રાહત મળે છે. કોઈ પ્રેરણાત્મક સેલેબ્રીટીના ફોલોવર બની તમે દૈનિક જીવનમાં પ્રેરણા મેળવી સારી રીતે જીવી શકો છો.

ટ્વીટરના પ્રચાર અને પ્રસાર વિશે તો ઓલરેડી આપણે વાત કરી. હવે ટ્વીટર અસરકારક રીતે યુઝ કરવાની બીજી પણ એક અગત્યની ટીપ અંતમાં જણાવી દ ઉં.કમ્પ્યુટર કીબોર્ડની 'હેશ' (#) કી પાછળ તમે તમારા ટ્વીટના સાર સમો શબ્દ કે શબ્દસમૂહ (જેને 'ટ્વીટર'ની ભાષામાં 'હેન્ડલ' કહે છે)મૂકી તમારા ટ્વીટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકો છો.જેમકે આમિર ખાનના સત્યમેવ જયતે કાર્યક્રમ વિષે ટ્વીટ કરતી વેળાએ શરૂઆતમાં ,અંતમાં કે ટ્વીટ સંદેશમાં વચ્ચે કોઈ પણ જગાએ #SMJ લખો એટલે તમારો ટ્વીટ સંદેશ વર્ગીકૃત થઈ જાય અને પછી કોઈ પણ ટ્વીટર કે ગૂગલ પર શબ્દો દ્વારા સર્ચ કરે એટલે તમારો સંદેશ પણ એ સર્ચ રીઝલ્ટમાં ટોપ પર દેખાય!

ટ્વીટર પર ઘણાં લોકો પોતાના અંગત જીવનની વાતો શેર કરતાં હોય છે તો ઘણાં લોકો માત્ર જોકસ,સુવાક્યો કે મહાન વ્યક્તિઓ દ્વારા કહેવાયેલી વાતો ટ્વીટ કરતાં હોય છે.તમારી મનપસંદ સેલીબ્રીટીઝ કે મિત્રો વગેરેને ફોલો કરી તમે તેમનાં સતત સંપર્કમાં રહી શકો છો તો તમારા પોતાના વિચારો પણ જગત સાથે અતિ ટૂંકાણમાં સરળતાથી શેર કરી શકો છો.આ બ્લોગ વાંચીને તમે ટ્વીટર પર આઈડી બનાવો તો મને ચોક્કસ જાણ કરજો!