Translate

શનિવાર, 20 ઑગસ્ટ, 2011

ગેસ્ટ બ્લોગ : જુહુની ગલીઓના લીલા – પીળા ગાલીચા

- કિશોર દવે

સવારનો સમય છે....... સાતમા માળ પરની અગાસી માં બેઠો છું. હવાની મંદ મંદ લહેરખીઓ આવે છે. એક બાજુ “પવન હંસ” હેલીકોપ્ટરનું એરોડ્રામ છે, બીજી બાજુ મીઠીબાઈ કોલેજ ની મોટી ઈમારત. એક બાજુ દૂર દૂર જુહુ નો સમુદ્ર કિનારો અને સામે જા‌‍‌ણે પાતાળ માંથી પ્રાદુર ભાવ પામતી NMIMS ની નવી ઈમારત – અને અરે ! અગાસી પરથી નીચે જોતાં આ શું છે? લીલો પીળો ગાલીચો ? નીચે આવેલ વૃક્ષોના લીલા પાંદડા અને અસંખ્ય પીળાં ફૂલો નો જાણે સુંદર ગાલીચો, આખી ગલીમાં પાથરી દીધો છે, જાણે કે કોઈ મહાન વ્યક્તિ પધારવાની હોય, અને તેના સ્વાગત માટે લાલ જાજમ ને બદલે લીલી પીળી ડીઝાઈન નો ગાલીચો ના પાથર્યો હોય?

હવા જરા વધૂ પ્રમાણમાં આવે છે અને નીચે જોતાં એ લીલા પાંદડા અને પીળા ફૂલોનો સમૂહ કોઈ સંગીત સમ્રાટ ભીમસેન જોશી કે સંગીત સામ્રાજ્ઞી કિશોરી અમોનકર ની સંગીત મેહફીલ માં તેમનું સુરીલું સંગીત સાંભળી ને બે હાથ ઉંચા કરીને કે બાજુ માં બેઠેલ વ્યક્તિ ના ગળા માં હાથ નાખીને જાણે ગીતોના તાલ માં ઝૂમી ઉઠતા હોય.!

આવું કુદરત સર્જિત દ્રશ્ય કેટલું આનંદકારક હોચ છે? પરંતુ જો નીચે રસ્તા પર ઉભા હો તો આવું બધું જોવાની તક મળે નહિ. હા! મળે માત્ર બપોરના સૂર્ય ને ઢાંકતો શીતલ છાંયડો, ત્યારે એક વિચાર એવો આવે કે વતન માં જેમ વડલા ની ઘેઘૂર છાંયમાં ખાટલો નાખી ને પડ્યા હોઇએ તેમ અહિં પણ છાંયડામાં ખાટલો ઢાળી આડા પડવું જોઇએ, બપોરની ઉંઘ ખેંચી લેવી જોઇએ! પરંતુ અહીં તો એક બાજુ મોટરો કે ટૂ વ્હિલર પાર્ક કરી રાખ્યા છે. તેમને ખસેડી યે તો કદાચ એમ થઈ શકે! પરંતુ અહીં તો માત્ર આની કલ્પના જ કરવાની અને આનંદ માંણવાનો.. આવી રીતે ક્યાં ખાટલો લેવા જવું કે ક્યાં પાર્ક કરેલા વાહનો ને ખસેડવા?

જેમ અગાસીમાંથી લીલો પીળો ગાલીચો સુંદર લાગે પરંતુ તેના પર થોડું ચાલી શકવાના છો? અને કદાચ ચાલવાનો પ્રયાસ કરો તો પાંડવો ના પેલા માયાવી મહેલ માં જેમ દુર્યોધન ને પાણી ની જગ્યાએ જમીન તથા જમીન ની જગ્યાએ પાણી દેખાયું અને તેમ કરતા તે પડી ગયો તેમ તમે પણ એ ગાલીચા ઉપર પદાર્પણ કરવા જાશો તો ઉપર થી નીચેજ પડશો !

કહેવાનું તાત્પર્ય એટલું જ કે ઈશ્વરે જે સૌંદર્ય નિર્માણ કર્યું છે તેનો ઉપયોગ પ્રત્યક્ષ રીતે કદાચ ના થઇ તો માત્ર દર્શન થીજ તેનો આનંદ તમે માણી શકો છો. એક સુંદર દ્રશ્ય – દાખલા તરીકે જુહુ ના સાગર માં ક્ષિતિજ ની કિનારી એ ડૂબી જતો સૂર્ય પણ જોતાં તમોને આનંદ ની અનુભૂતિ થશે જ. એટલે ઈશ્વરે આપણ ને આનંદમાં રાખવા એવી અનેક વસ્તુઓનું સર્જન કર્યું છે કે તમે તેમાંથી આનંદ મેળવવા નીકળી પડો, શહેરમાં – ગામડામાં કે જંગલોમાં તો તમારા થેલા કે કોથળા ભરાય એટલું સૌંદર્ય પ્રભુ એ આ સૃષ્ટીમાં વેર્યું છે. તેનો તમે ઉપભોગ કરી શકો છો. તમારા જીવન ની નિરાશા ની પળો માં કે કોઈ દુઃખદ ઘટના વખતે તમે માણેલાં એ સૌંદર્યને વાગોળી પ્રભુની અગાધ શક્તિ ના દર્શન કરી શકશો, બધું ભૂલીને પ્રભુમય થઇ જશો અને આ પ્રભુ ની શક્તિનું દર્શન એજ તમારી ખરી પૂજા છે અને આ પૂજા ને આ શક્તિ ને અપનાવી લેતા દર્શન કરી તમારા જીવન માં સમાધાન લાવી શકો તો પછી તમારે બીજે ભટકવાની શું જરૂર છે? માળા કરવાથી કે પ્રભુ સ્મરણ કરતાં કરતાં પ્રભુ ની આવી અગાધ શક્તિનું દર્શન કરતા રહેશો તો તમારું જીવન સફળ થઇ શકે. એ માટે અગાસી માંથી દેખાતા વ્રુક્ષોના ફૂલો તથા પાંદડાઓનો સર્જિત લીલા પીળા ગાલીચા તો માત્ર એક ઉદાહરણ છે જો કે એવું સૌંદર્ય માણવાની પ્રત્યેક મનુષ્ય માં તમન્ના હોવી જોઇએ. કવિ કલાપીએ પણ કહયું છે કે –

“સૌંદર્ય વેડફી દેતા ના, ના સુંદરતા મળે,

સૌંદર્ય પામતા પહેલાં, સૌંદર્ય બનવું પડે”

ઈશ્વર ના પ્રત્યેક સર્જન માં તમે એક પ્રકાર ની પરિપૂર્ણતા નિહાળશો, તો એ કુદરતના કરિશ્મા ને જોતાંજ તમે બધાં દુન્યવી દુઃખ ભૂલી જશો અને એક વિરાટ શક્તિના સર્જન નો આનંદ માણતા થશો. એટલે જીવન માં ક્યારેય પણ – નિર્ભેળ આનંદ – અવિરત આનંદ મેળવવો હોચ ત્યારે આવા ઈશ્વરના અનોખા સર્જનોનો સહારો લેશો તો તમારે સુખની શોધ માં બીજે ક્યાંય ભટકવું નહિ પડે એ નિઃશંક છે.


- કિશોર દવે

શનિવાર, 13 ઑગસ્ટ, 2011

આઝાદી

ગયા અઠવાડિયે સ્ત્રીઓને પુરૂષોની સંકુચિત માનસિક્તામાંથી આઝાદી મળે એવી ઝંખના વ્યક્ત કર્યા બાદ આજે મારે બીજા એક પ્રકારની આઝાદીની વાત માંડવી છે.


હમણાં થોડા સમય અગાઉ અમોલ ગુપ્તે દિગ્દર્શીત-અભિનીત એક બાળકોની હળવી પણ ભારે એવી ફિલ્મ 'સ્ટેનલી કા ડબ્બા' જોઈ. અતિ હ્રદય સ્પર્શી એવી આ ફિલ્મને બાળકોની કહી, બાળકો માટેની નહિં કારણ મોટા ભાગના કલાકારો બાળકો હોવા છતાં એમાં મોટાઓ માટે બે-ત્રણ સંદેશ હતાં, કોઈ જાતના ઉપચાર કે વધારે પડતી નાટ્યાત્મક્તા વગર, અપ્રત્યક્ષ રીતે. આ ફિલ્મ માટે હળવી અને ભારે બંને વિરોધાભાસી વિશેષણોનો પ્રયોગ પણ મેં જાણી જોઈને કર્યો છે એ દર્શાવવા કે બાળકોના સુંદર, સાહજિક અભિનયને કારણે કંઈક હલ્કુ-ફુલ્કુ જોઈ રહ્યાનો અહેસાસ થવાની સાથે જ સમાજને જે સંદેશ અમોલજી એ પહોંચાડ્યો છે તે ભારે છે. ફિલ્મ જોયા બાદ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિની આંખ ભીની થયા વગર ન રહે.સંદેશ છે બાળકોને આઝાદી આપવાનો.

બીજાઓના ડબ્બામાંથી જ ચોરી કે માગીને ખાવાની કુટેવ ધરાવતો એક 'ખડ્ડૂસ' શિક્ષક સ્ટેનલી નામના એક અતિ હોંશિયાર,સર્જનાત્મક ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને, ડબ્બો ન લાવવાને કારણે શાળામાંથી કાઢી મૂકે છે, તે જ્યારે ડબ્બો લાવી શકે ત્યારે જ ફરી પાછા શાળાએ આવવાની ધમકી સાથે. અહિં શિક્ષકો માટે સંદેશ છે કે તેમણે કુમળી વયના બાળકો સાથે જવાબદારી ભર્યા વર્તન દ્વારા તેમનામાં સારા અને સાચા સંસ્કારો આપી તેમનું ચારિત્ય ઘડતર કરવાનું છે.વિદ્યાર્થીઓને દોસ્ત જેવા બનાવી તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનું છે તેમનામાં રસ લઈને,તેમના વિષે પૂરતી માહિતી મેળવીને.પેલા લોલુપ શિક્ષકે સ્ટેનલીને સજા તો ફટકારી ડબ્બો ન લાવવા બદલ, પણ એ હકીકત જાણ્યા વગર કે સ્ટેનલી માબાપ વગરનો હોટલમાં મજૂરી કરીને પેટિયું રળનારો અને ત્યાં આશ્રય પામનારો કમનસીબ બાળમજૂર છે.આ હકીકત સ્ટેનલીએ કોઈ શિક્ષક કે વિદ્યાર્થી સાથે પૂરી ફિલ્મ દરમ્યાન ક્યારેય શેર નથી કરી.એ દુ:ખ આ બાળક તેને સાચો પ્રેમ અને પ્રોત્સાહન આપનારી શિક્ષિકાથી પણ છૂપાવી એકલો જ સહન કરે છે. શિક્ષકો એ દરેક વિદ્યાર્થીની મનોદશા સમજી તેના વ્યક્તિગત જીવનમાં પણ રસ લઈ તેની મુશ્કેલીઓ,તેની નબળાઈઓ દૂર કરવા પ્રયાસ કરવા જોઇએ અને તેની શક્તિઓ,લાયકાત પિછાણી તેને વધુ ઉજાગર કરવાના પ્રયત્નો કરવા જોઇએ.

આ બ્લોગનો મુખ્ય મુદ્દો હવે ચર્ચીએ. સ્ટેનલી કા ડબ્બામાં સ્ટેનલી દ્વારા ફિલ્મસર્જકે હજારો-લાખા બાળમજૂરોનું પ્રતિનિધિત્વ કર્યું છે.ફૂલ જેવા કોમળ બાળકોને પેટ ભરવા કે રહેવા માટે જગા મળી રહે એ માટે મજૂરી કરવી પડે એ દુ:ખદાયક,શરમજનક અને ધિક્કારપાત્ર ઘટના છે.જે બાળકો પાસે વેઠ કરાવવાનું આ ઘૃણાસ્પદ કામ કરાવડાવે છે એ ગુનાને પાત્ર ઠરવું જોઇએ અને તેને કડક માં કડક સજા થવી જોઇએ.આપણાં મુંબઈ શહેરમાં અનેક જગાએ 'કામા સાંઠી મુલે પાહિજે' ના પાટિયા લગાડેલા જોવા મળે છે એટલું જ નહિં કેટલાંય કારખાનાઓ અને ફેક્ટરીઓમાં અનેક બાળકો કામ કરે છે અને તેમનું શોષણ થાય છે.આ બાળકોને ક્યારે આઝાદી મળશે? આ બાળકોને તેમનું બાળપણ પાછું મળશે? આ બ્લોગ વાંચનાર દરેક રીડરને મારી વિનંતી છે કે આવા કોઈ બાળકને તમે કામધંધા પર રાખ્યો હોય કે તમે આવા કોઈ તમે આવા કોઈ બાળકને મજૂરી કરતા જુઓ તો તેને મુક્ત કરવાનો કે કરાવવાનો પ્રયાસ કરજો.તેના માટે કંઈક ઘટતું કરજો.ઇશ્વરની પુજા મૂર્તિ કે તસવીરને ભજવામાં નથી,મનુષ્ય માત્રના કલ્યાણમાં છે. જનસેવા એ જ પ્રભુ સેવા છે.



ભારત દેશની આઝાદીનો ૬૫મો સ્વાતંત્ર્ય દિન આપણે આ વર્ષે ભલે ઉજવીએ પણ જ્યાં સુધી રાષ્ટ્રનો દરેક માનવી પછી ભલે એ સ્ત્રી હોય, પુરૂષ હોય કે બાળક, ખરાં અર્થમાં આઝાદ નહિં હોય, એક સારું માનવી માટે યોગ્ય એવું ગૌરવભર્યું જીવન જીવવા માટે આઝાદ નહિં હોય ત્યાં સુધી દેશના આઝાદીદિનનો કોઈ અર્થ નથી. આપણે સૌ આ આઝાદીદિનના પર્વે ખરી આઝાદી માટે કંઈક કરવાનો સંકલ્પ કરીએ...





(સંપૂર્ણ)

રવિવાર, 7 ઑગસ્ટ, 2011

આઝાદી

છેલ્લા ૬૪ વર્ષથી ૧૫મી ઓગષ્ટે ભારતનો આઝાદી દિન ઉજવાય છે પણ આજે મારે આ બ્લોગ થકી એક જુદા પ્રકારની આઝાદીની વાત કરવી છે...




૩૧મી જુલાઈએ દિલ્હીની સડક પર એક નવા પ્રકારનું સરઘસ જોવા મળ્યું જેમાં હજારેક યુવતિઓ અને કેટલાક યુવાનો 'Believe it or Not!! My Short Skirt has nothing To Do with You…' ,'A Gentleman is Never Provoked! A Sexual Offender Does Not Need Any “Provocation” ','बुरी नज़रवाले तेरा मुह काला..’, ‘छेड़छाड़ पर रोक लगाओ …' જેવા સ્લોગન્સ લખેલા પ્લાકાર્ડ્સ લઈને સ્ત્રીઓને લગતા એક સંવેદનશીલ મુદ્દા અંગે વિરોધ નોંધાવવા રસ્તા પર ઉતરી આવ્યાં! પ્રશંસનીય બાબત એ હતી કે સ્ત્રીઓને લગતો વિષય અને વિરોધ પણ કેટલાંક પુરૂષોની સડેલી માનસિકતા સામે જ પ્રદર્શિત કરવાનો હોવા છતાં આ રેલીમાં સારી સંખ્યામાં યુવાનો પણ જોવા મળ્યા. આ હતો ‘બેશરમી મોર્ચો’ જેને વિદેશમાં ‘સ્લટ વોક’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ સ્લટ વોકની શરૂઆત કેનેડાના ટોરન્ટોમાં ૨૦૧૧ની ત્રીજી એપ્રિલે થઈ.જેનું મૂળ કારણ ત્યાંના એક પોલિસ ઓફિસરનું બેજવાબદારી ભર્યું અવિચારી વિધાન હતું. તેણે કહ્યું હતું કે સુરક્ષિત રહેવા માટે સ્ત્રીઓએ સ્લટ જેવાં કપડાં પહેરવાં ન જોઇએ.અંગ્રેજીમાં સ્લેંગ ‘સ્લટ’નો અર્થ વેશ્યા કે ચરિત્રહીન સ્ત્રી જેવો થાય છે.કેટલી નફ્ફટાઈથી આ પોલિસ ઓફિસરે પુરૂષોની બદદાનત કે કુકર્મ કરવાની વૃત્તિ પાછળ સ્ત્રીઓની કપડા પહેરવાની આદતને જવાબદાર ઠેરવી પોતાનાં દોષનો ટોપલો સ્ત્રીઓ પર ઢોળી દીધો! પરિણામ એ આવ્યું કે આવા બેહૂદા વિધાનનો વિરોધ નોંધાવવા માત્ર ટોરન્ટોમાં જ નહિં પણ જગતભરના અનેક દેશોમાં એ દિવસ બાદ આવા સ્લટ વોક કે બેશરમી મોર્ચા યોજાયા અને ભારતમાં પ્રથમ વાર તે દિલ્હીમાં નહિં પણ જુલાઈ મહિનામાં મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાયો!

વિદેશોમાં તો સ્ત્રીઓએ વિરોધ પણ કઈ રીતે નોંધાવ્યો? ટૂંકા ટૂંકા વસ્ત્રો પરિધાન ધારણ કરી રસ્તા પર ઉતરી આવીને જ! આવકારદાયક બાબત એ છે કે આ મોર્ચામાં કેટલાક સમજુ પુરૂષો પણ ભાગ લઈ રહ્યાં છે.

મોટા ભાગના પુરૂષો સ્ત્રીઓને હજી પણ પોતાનાથી ઉતરતી અને ભોગવવાના સાધન તરીકે જ જુએ છે.આજે પણ સ્ટેશન પર ગાડી પસાર થાય ત્યારે લેડીઝ ડબ્બા પાસેથી પસાર થતી વખતે કેટલાક હવસખોર પુરુષો હલ્કી કોમેન્ટ્સ કરતા કે ક્યારેક હાથ અડાડી લેવા જેવી હલ્કી હરક્તો કરતા જોવા મળે છે.આવે વખતે સ્ત્રીઓ ચૂપ બેસી રહેવું જોઇએ નહિં.'નો વન કિલ્ડ જેસિકા' ની અતિ બોલ્ડ રાની મુખર્જીની જેમ ગંદી ગાળ ન આપીને, પણ સામો હાંકોટો કરી કે હાથ ખેંચી એવા મવાલી પુરુષને ગાડીમાંથી નીચે કે બહાર પાડવાનો પ્રયત્ન તો કરી જ શકાય!

બળાત્કાર એ પુરુષના મનની વિકૃતિનું જ પરિણામ છે એની પાછળ ટૂંકા વસ્ત્રોને કોઈ રીતે જવાબદાર ઠેરવી શકાય નહિં.તમને ડાયાબિટીઝ હોય અને સામે મીઠાઈ પડી હોય અને એ તમે ખાવ તો વાંક મીઠાઈનો નહિં તમારો, તમારી અસંયમની વૃત્તિ નો જ ગણાય!

અહિં હું સ્ત્રીઓ ટૂંકા કપડા પહેરવા જોઇએ એવો પ્રચાર નથી કરી રહ્યો. કેવા અને કયા કપડા પહેરવા એ દરેકની પસંદગીની,વ્યક્તિગત સ્વતંત્રતાની બાબત છે પણ પુરુષો પોતાની કાબૂમાં ન રાખી શકાતી વાસના પાછળ સ્ત્રીઓના વસ્ત્રોને કારણ ગણાવે એ તો બિલકુલ સ્વીકર્ય ન ગણાય.જો એમ હોત તો ભારત જેવા દેશમાં બળાત્કારનો દર આટલો ઉંચો જોવા ન મળત જ્યાં મોટા ભાગની સ્ત્રીઓ ગામડાંઓમાં વસે છે અને શહેરોમાં પણ મોટા ભાગની સ્ત્રીઓ મર્યાદાપૂર્ણ વસ્ત્રોમાં સજ્જ જોવા મળે છે.વિશ્વમાં દર ચાર મિનિટે એક બળાત્કાર થાય છે.આ એક ચોંકાવનારી હકીકત છે. શું વિશ્વની આ બધી સ્ત્રીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે? અરે કેટલાક કિસ્સઓમાં તો બળાત્કારનો ભોગ બનનાર મહિલા આધેડ વયની ડોશી કે ક્યારેક તો કેટલાક મહિનાની વય ધરાવતી બાળકી પણ હોય છે.આવા પાશવી અધમ કૃત્ય બદલ મોટા ભાગના કિસ્સાઓમાં પૂરતા પુરાવાઓના અભાવે દોષી છૂટી પણ જાય છે અને કેટલીયે વાર નિર્દોષ મહિલા આત્મહત્યા કે પછી હત્યાનો ભોગ બનતી હોય છે.

મને નવાઈ લાગે છે કે મુંબઈમાં હજી કેમ આવો મોર્ચો યોજાયો નથી! એ જ્યારે પણ યોજાય ત્યારે મારું એક સૂચન છે કે સ્લટ વોક મોર્ચા અંતર્ગત ખાસ ટ્રેનિંગ સેશન્સ પણ રાખવા જોઇએ જેમાં મહિલાઓને શિખવવામાં આવે કે વાસનાઅંધ બનેલા પુરૂષપશુનો બળાત્કાર જેવી પરિસ્થિતીમાં હિંમત કેળવી,તેના ગુપ્તાંગ પર જોરપૂર્વક લાત ફટકારી કે ચીસાચીસ કરી મૂકીને કે આવી બીજી કઈ કઈ યુક્તિઓ દ્વારા સામનો કરી શકાય.

જરૂર છે પુરુષોએ માનસિક્તા બદલવાની. સ્ત્રીઓને પુરુષોની આ બંધિયાર ,સંકુચિત માનસિક્તામાંથી આઝાદી મળશે ત્યારે જ તેઓ સાચા અર્થમાં મુક્ત થઈ ગણાશે.

બીજી પણ એક આઝાદીની વાત કરવી છે એ આવતા સપ્તાહે...


(ક્રમશ:)