Translate

શનિવાર, 27 નવેમ્બર, 2010

વાંચન : એક ઉમદા અને ઉત્તમ શોખ

થોડા સમય અગાઉ મધૂવન પૂર્તિની અપૂર્વભાઈ લિખિત આંખમાં પીળુ કટારમાં વાંચે ગુજરાત શીર્ષક હેઠળ સરસ લેખ વાંચ્યો અને વાંચનને આટલી હદે પ્રોત્સાહન આપતા મોદી સાહેબ પ્રત્યે વધુ એક વાર માન ઉપજ્યું.


મને કોઈ મારા શોખ વિષે પૂછે તો પ્રથમ નામ 'વાંચન' નું આપું.હું દ્યઢપણે માનું છું કે સારું વાંચન તમારા વ્યક્તિત્વ પર ખૂબ ઉંડી અને સારી અસર કરે છે.

જ્યારે આપણે ફિકશન એટલે કે કલ્પિત નવલકથા કે નવલિકા,ટૂંકી વાર્તા વાંચીએ ત્યારે આપણે એક જુદાં જ વિશ્વમાં પહોંચી જતા હોઈએ છીએ - કલ્પનાજગતમાં. વાંચન તમને જકડી લઈ શકવાની જાદૂઈ તાકાત ધરાવે છે.વાંચન તમને ખુશીના સર્વોચ્ચ શિખરે લઈ જવાથી માંડી દુ:ખની ઉંડી ગર્તામાં લઈ જવાનો અહેસાસ કરાવી શકે છે.તમે નવલકથા વાંચો ત્યારે તેના પાત્રો સાથે હસો છો અને તેમના રડવા સાથે આંસુ પણ વહાવો છો.તમે જાણે એ નવલકથા કે કલ્પનાજગતનાં જ એક પાત્ર બની જાઓ છો.ઘણી વાર વાંચતી વખતે મારા રૂંવાડા ઉભા થઈ જતા મેં અનુભવ્યા છે.કોઈક સારી વાર્તા કે વાત વાંચીએ એટલે ત્યારે જ એ આપણાં કોઈ સંવેદનશીલ સહ્રદયી મિત્ર કે સગાને પણ વંચાવવાની અદમ્ય ઇચ્છા આપણને થઈ આવે છે ખરૂં ને?તમે જેટલો સમય વાંચનના કલ્પના જગતમાં વિહરતા હોવ એટલી ક્ષણો પૂરતા તમે તમારા સઘળાં ટેન્શન-ચિંતાઓથી મુક્ત થઈ જાઓ છો. કેટલીક વાર તો સમયનું ભાન પણ ભૂલી બેસો છો. રસપ્રદ નવલકથાનાં પાનાં એક પછી એક વંચાતા જ જાય અને આવી રીતે એકી બેઠકે નવલકથા વાંચી જનારા કેટલાંક મિત્રોને પણ હું ઓળખું છું.તમે ઘણી વાર વાંચનના બંધાણી થઈ જાઓ છો.

નોન-ફિકશન એટલે કે વાસ્તવિક કે વિચારાત્મક, સ્વમદદ કે વ્યક્તિત્વ વિકાસ માટેનું વાંચન પણ તમારા સંપૂર્ણ જીવનને બદલી દઈ શકે છે.આવું વાંચન તમારા ચરિત્ર અને વ્યક્તિત્વનું ઘડતર કરી શકે છે.આવા વાંચનથી તમારો જીવન જીવવાનો દ્રષ્ટીકોણ - અભિગમ હકારાત્મક થઈ જાય છે,તમે આશાવાદી બની જાઓ છો. સારા પુસ્તકો તમારા સૌથી શ્રેષ્ઠ મિત્રો છે અને તે તમને કઈ રીતે સુખી અને સફળ થવું તે શીખવી શકે છે.મારા કોલેજ કાળ દરમ્યાન મેં વાંચેલા આવા ઘણાં પ્રેરણાત્મક પુસ્તકોની અસર મેં પ્રત્યક્ષ અનુભવી છે.આવાં પુસ્તકો રોગીઓને પણ માનસિક રોગમાંથી મુક્તિ અપાવી શકે છે અને તેના સતત વાંચનથી તમે વ્યક્તિગત લક્ષ્યાંકો બનાવી તેનેસફળતાપૂર્વક પાર પાડતા શીખો છો. સારૂં વાંચન તમને દુનિયા સામે કઈ રીતે ઝઝૂમવું અને આવનારી વિકટ પરિસ્થિતીનો કઈ રીતે સામનો કરવો,પ્રતિકૂળ સંજોગોમાં કઈ રીતે ટકી રહેવું એ શીખવે છે.સારા વાંચનથી તમારો દ્રષ્ટિકોણ બહોળો થાય છે.

વાંચનની શરૂઆત બાળપણથી થવી જોઈએ.તો એ આગળ જતા ટેવ કે શોખ બની શકે.જો બાળક સારી વાર્તાઓ વાંચશે તો તેને સારા સંસ્કાર મળશે અને તે મોટો થઈ એક સારો મનુષ્ય બની શકશે.તે સર્જનાત્મક,વિચારશીલ અને સાચો નિર્ણયકર્તા બની શકશે.ઈસપની બાળવાર્તાઓ,જાતકકથાઓ કે પંચતંત્રની પ્રાણી કથાઓ બાળક માટે રસપ્રદ તો બની જ રહે છે તદુપરાંત તેમને જીવન સાચી અને સારી રીતે જીવવાના બોધપાઠ પણ નાની વયથી જ શીખવે છે.સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગર્ભવતી સ્ત્રી ગર્ભાવસ્થા દરમ્યાન સારા પુસ્તકો વાંચે તો તેની સારી અસર આવનારા સંતાન પર પડે છે અને તે હોંશિયાર અને સારા ગુણો ધરાવનારું બને છે. માતાપિતાઓ તમારા બાળકોને ખૂબ વંચાવો.તેમને એકાદ નવી વિડીઓગેમ કે રમકડાને બદલે સારા પુસ્તકોની ભેટ આપો.આપણે સૌ જાણીએ છીએ કે બાળકોને વાર્તાઓ સાંભળવી કેટલી ગમતી હોય છે તો પછી આ વાર્તાઓ લખતાવાંચતા શીખ્યા બાદ તેઓ પોતે વાંચે એવું ન કરી શઈએ?

વ્રુદ્ધજનોને પણ વાંચન ગમે છે.ક્યારેક તેઓ સમય પસાર કરવા ખાતર વાંચતા હોય છે. તમારા દાદાદાદી કે ઘરડા સગાને તમે ભાગવત ગીતા કે બીજા કોઈક ધાર્મિક પુસ્તકો વાંચતા જોયા હશે.જ્યારે તેમના સંતાનો તેમને જાકારો આપે ત્યારે પુસ્તકો જ વયોવ્રુદ્ધ વ્યક્તિઓનો સહારો,તેમના મિત્રો બની રહેતા હોય છે.

સારુ વાંચન તમારા આત્મવિષ્વાસને દ્રઢ બનાવે છે.એ તમને બહારની દુનિયામાં કઈ રીતે વર્તવું,કઈ રીતે ઇન્ટરવ્યૂઝમાં તમારી જાતને રજૂ કરવી,ગ્રુપ ડીસ્કશન્સ કે ડીબેટ્સમાં કઈ રીતે સહભાગી થવું એ બધું પણ શીખવે છે.વધુ વાંચીને તમે ફક્ત તમારો શબ્દભંડોળ જ નથી વધારતા પણ એ દ્વારા તમને વાતચીતના વધુ વિષયો મળે છે,તમે બીજાઓ સાથે ચર્ચાવિચારણા કરી શકો છો.અખબારનું નિયમિત વાંચન પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.એનાથી તમે વર્તમાનના વ્હેણ સાથે તાલ મિલાવી શકો છો.તમે સમાચાર વાંચી સજાગ રહેતા અને બીજાએ કરેલી ભૂલોમાંથી પાઠ શીખી શકો છો.આજકાલ વર્તમાનપત્રોમાં ફક્ત સમાચાર જ નહિં પણ મહાન વ્યક્તિઓના ઇન્ટરવ્યૂઝ,આધ્યાત્મિક કે પ્રેરણાત્મક લેખો,સ્પર્ધાઓ અને અનેક રસથી ભરપૂર કટારો છપાય છે.મને રોજ એક ગુજરાતી અને એક અંગ્રેજી છાપું વાંચવા જોઈએ જ છે! છાપા સાથે આવતી પૂર્તિઓ આખું અઠવાડિયું મને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સરસ કંપની આપે છે! ટ્રેનમાં સરખા ઉભા રહેવાની પણ જગા ન હોય તેવી સ્થિતીમાં પણ ગડી વાળેલું અખબાર તો હાથ ઉપર-નીચે-ડાબે-જમણે જ્યાં જગા મળે ત્યાં પકડી કે ફેરવી વાંચીજ શકાય! વાંચનનો આવો ગાંડો શોખ કેળવો તો પણ એમાં ખોટું નથી જ..!

રવિવાર, 14 નવેમ્બર, 2010

ઓબામા ભારતમાં...

મારા મિત્ર દર્શન દોડિયા(@DarshanDodia)એ થોડા દિવસો પહેલાં ઓબામાની ભારતની મુલાકાતને લગતાં ખૂબ મજાના, રમૂજી છતાં વિચારપ્રેરક ટ્વીટ્સ ટ્વીટર (http://www.twitter.com/) ઉપર કર્યા હતાં:


* ભગવાનના નામે આપણે હ્રદય ચોખ્ખું કરીએ છીએ,તહેવારોના નામે આપણે આપણા ઘર સ્વચ્છ કરીએ છીએ અને 'ઓબામા'ના નામે આપણે આપણું શહેર ચોખ્ખું કરીએ છીએ!

* છેવટે કોલાબાની કાયાપલટ થઈ ખરી!ઝાડછોડ વવાયા,શેરીઓ સ્વચ્છ કરાઈ,ભંગાર-કાટમાળ દૂર કરાયો,રસ્તાઓ પરના ડિવાઈડર્સ ફરી રંગાયા.થેન્ક યુ @ઓબામા!

* ઓબામાએ દર વર્ષે એક વાર ભારત યાત્રાએ આવવું જોઈએ.આ રીતે તો સરકાર સુરક્ષાને લઈને ખડે પગે સજાગ રહેશે!

ભલે આ રમૂજી લાગતું હોય પણ આપણે એવાં જ છીએ! પેલી કહેવત છે ને : 'આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા બેસીએ.' તેને આપણે જાણે અનુસરતા હોઈએ છીએ.આપણે કામ મોટે ભાગે પાછું ઠેલીએ છીએ.આપણો સ્વભાવ જ બેદરકારીભર્યો થઈ ગયો છે.આપણે મોટે ભાગે દરેક વસ્તુને ગણકારતાં જ નથી.મોટા ભાગની ચીજોની આપણને પડી હોતી નથી.

બીજી એક બાબત એ છે કે આપણે કોઈ જોતું હોય ત્યારે જ કામ યોગ્ય રીતે કરીએ છીએ.ઓફિસમાં ઘણાં લોકો મેનેજર કે સુપરવાઈઝર ધ્યાન આપતો હોય તો જ કામ વ્યવસ્થિત રીતે કરે છે નહિંતર તેઓ કામચોરી કરે છે.મેં ક્યાંક વાંચ્યું હતું : ગુણવત્તા જ્યારે કોઈ જોઈ ન રહ્યું હોય ત્યારે પણ તમારો શ્રેષ્ઠ દેખાવ જાળવી રાખવામાં છે.

ઓબામા આવી રહ્યા હોવાને કારણે આપણે શહેરને ચોખ્ખુંચણાક બનાવી દીધું.જો પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ કે કોઈ મોટા નેતા આવવાના હોય તો તે સ્થળ ચકાચક બનાવી દેવાય છે,રોડની મરામત કરી દેવામાં આવે છે.આસપાસની જગાએ સુશોભીકરણ કરી તેને સુંદર બનાવી દેવાય છે.આવો દેખાડો શા માટે?આવું વલણ શા માટે?ફક્ત V.I.P.ઓ આવવાના હોય ત્યારે જ નહિં પણ હંમેશા આપણી આસપાસની વસ્તુઓ સારી રીતે ન રાખી શકાય?જાળવી શકાય?

આપણી બીજી એક ખાસિયત એ છે કે આપણે ઘેલાં છીએ!આપણે ખૂબ જલ્દી અંજાઈ જઈએ છીએ.સેલીબ્રીટી(ખ્યાતનામ વ્યક્તિ)ને આપણે દેવની જેમ પૂજીએ છીએ.તેમને આપણે અતિ નમ્ર બની જઈ ખૂબ માન આપીએ છીએ (અને ક્યારેક આપણી સૌથી વધુ દરકાર કરનારી વ્યક્તિનું માન આપણે બિલકુલ જાળવતા હોતા નથી)આપણે સ્વમાન જાળવતાં શીખવું જોઇએ.આપણાંથી મોટા હોદ્દાની કે લાયકાત ધરાવતી વ્યક્તિ આગળ ક્યારેક આપણે આપણી જાતને તુચ્છ ગણી સ્વમાન જાળવતા નથી.પણ આપણે દરેક વ્યક્તિને સમાન સમ્માન અને આદર આપતા શીખવું જોઈએ.
સમાજમાં ઘણો દંભ પ્રવર્તે છે અને આપણે પોતાની ખરી જાતને ભૂલી જઈ જીવતા હોઈએ છીએ. ઇશ્વરને પ્રાર્થના કે આ વૃુતિમાંથી બહાર કાઢી અમને સાચી અને સારી રીતે જીવતાં શીખવ.

શનિવાર, 6 નવેમ્બર, 2010

ગેસ્ટ બ્લોગ : આજ દિવાળી...

આજ દિવાળી, આજ દિવાળી,


દિવાળી નું મેરીયું ,....

ફટ ફટ ફટ ફટ ફૂટે ફટકા ,

ધન ન ન ધૂમ, ધન ન ન ન ન ધૂમ..

થાય ધડાકા ...

સ ર ર , સ ર ર ફૂટતી ફૂલ ઝ ડીયું,

દિવાળી નું મેરીયું...

સહુ વાચક મિત્રોને દિવાળી નિમિત્તે શુભકામના અને આવતાં નુતન વર્ષ નિમિત્તે અભિનંદન...

મિત્રો,

ઉપર લખેલું દિવાળી -ગીત મને મારા માં એ હું સાવ નાની હતી ત્યારે શીખવેલું, ત્યારે નાંનાં નાનાં છોકરાંઓ દિવાળી ને દિવસે શેરડી ના સાંઠા ઉપર કોડિયું બાંધી, કપાસ મૂકી, પ્રગટાવતા અને દિવાળીનું મેરીયું, દિવાળીનું મેરીયું કહી શેરી માં ઘૂમતા....
દિવાળી ની વાત કરવી એટલે એ તો બહુ જ મોટો, ના ના , વિશાળ વિષય કહેવાય.. દિવાળી એટલે વીતેલા વર્ષ નું સરવૈયું... જીવન ના આનંદ અને આત્માના ઉજાસનું પર્વ...બ્રહ્માંડમાં થી ... અવકાશમાંથી પણ કાળીચૌદશ ની વિશેષ કાળરાત્રીએ પ્રગટેલા દીપની આભા , ઉજાસ પામી શકાય.. આપણાં આત્માના દીપને પ્રગટાવી વિશ્વ ને ઉજાસ આપનારા ઉર્જસ્રોતમાં મેળવવાનું પર્વ, એટલે દિપાવલી પર્વ..

દિવાળી એટલે, જાતજાતના કોડિયા, દિપક પ્રગટાવવા, પહેલાના જમાનામાં શુદ્ધ ઘી તેલ ના દીપ પ્રગટાવવામાં આવતાં, પર્યાવરણ સંરક્ષણ નો દેકારો કરવાની જરૂર જ નહોતી.. આજે મીણબત્તીઓ પણ મૂકી દેવાય છે.

ફૂલ, પાન ના હાર- તોરણ બંધાતા..

 નવરાત્રી જાય એટલે તરત જ દિવાળીની તૈયારીઓ શરુ થઇ જતી... પહેલું કામ તાંબા -પિત્તળના વાસણો મન્જાવવાનું થતું. છાજલીઓ ઉપરથી મસમોટા તાંબા પિત્તળના વાસણો ઉતારીને તેને સોના જેવા ચકચકાટ કરાતા.. તેને માટે આંબલી અને નાળીયેરના છુન્છા અને ઈંટના પત્થરનો ભૂકો વપરાતો. મારવાડણો વાસણો માંજવા આવતી... પાછા તે વાસણોને મંજાઇ જાય એટલે લુછી ને તડકે સુકવતા. ઘરની છાજલી પર સજાવેલા સોના જેવા ચળકતા વાસણો તે ઘરની શાન ગણાતી . તે જોઇને ઘર કેવું સુખી છે તે મપાતું. હવે તો આ વાસણો એન્ટીક સંગ્રહાલયોમાં જોવા મળે છે.

જાતજાતની ભાતભાતની રંગોળી પુરવામાં આવતી...જો કે રંગોળી તો આજે પણ પુરીએ છીએ. રંગોળી પૂરવાની કલા વહુને સાસરામાં ખાસ સ્થાન અપાવતી, વહુ, દિયર, નણંદ, દેરાણી - જેઠાણી બધા સાથે મળીને રંગોળી પૂરતા, કૌટુંબિક ભાવના . વધતી... .. ફેમીલી બોન્ડ મજબુત થતું, રંગોળી ને ગાય, કુતરાથી બચાવવા તેની ઉપર પાટલા મુકવામાં આવતાં. કે પછી, કાથીના ખાટલા મુકતા. કોઈ અટકચાળા વળી કોઈએ પોણી રાત મહેનત કરીને પૂરેલી રંગોળી ને ચુપચાપ બગાડી પણ જતું ! ! અને રંગોળી બનાવનારના મોઢેથી ખુબ સ્વસ્તી વચન સાંભળવા મળતા. ...!

દિવાળી એટલે સેવ, સુંવાળી , મઠીયા, ઘૂઘરા, ચકરી, ચેવડો, મગસ, મોહનથાળ, કાજુ કતલી, ચોળાફળી ...વગેરે વગેરે ઢગલાબંધ મીઠાઈઓ..ફરસાણ ...ઘરમાં બનતા... શેરી મહોલ્લા, પોળ,ફળિયાના લોકો એકબીજાને આ બધું બનાવવામાં મદદ કરતાં.

( પહેલાના જમાનામાં આ બધી વાનગીઓ સામાન્ય રીતે દિવાળીમાં જ ખવાતી, આજના જમાનાની જેમ ઠેર ઠેર વેચાતી પણ નહોતી મળતી અને બહારથી લવાતી પણ નહોતી.. રોજ રોજ ખવાતી નહીં એટલે એનું મહત્વ ઘણું હતું. ).

પૂજા ઉપરાંત ટોટકા પણ નિભાવતા. કાળી ચૌદશને દિવસે માથા ધોવાના, સાંજે કકળાટ કાઢવાનો - અડદના વડા અને પૂરી ચાર રસ્તે જઈને મૂકી આવવાના, પાછું વાળીને નહીં જોવાનું.... વગેરે વગેરે...

હનુમાનજી ને તેલ ચડાવવાનું...શ્રીફળ વધેરવાનું...


ફટાકડામાં તારામંડળ, બપોરિયા, (રંગીન દીવાસળી) સાપ, ચકરડી, લૂમ, બોમ્બ, જલેબી, કોઠી .... ક્યારેક વળી હવાઈઓ ઉડીને કાકાના ધોતિયામાં પણ ઘુસી જતી....અને યુવાનીયાઓને જોણું થતું તો કાકાને ભારે થતી....કોઈ વાર આ મુદ્દે લડાઈ ઝઘડાઓ પણ થતાં...


ગુજરાતમાં દિવાળી પછીના દિવસને બેસતું વર્ષ ગણે છે.. દિવાળીની રાત મહત્વની. બેસતા વર્ષ ને દિવસે વહેલી સવારે નાનાં નાનાં છોકરાંઓ સબરસ એટલે કે મીઠુ લઈને આવતાં.. તે ચુપચાપ લઇ લેવાનું, જે આપવું હોય તે આપીને ,એટલે કે ૪ આના, દસ પૈસા કે જે મન થાય તે આપીને ચપટી મીઠુ ખરીદી લેવાનું.. શુકન ગણતા . પછી વહેલા દેવ દર્શન અને પછી તરત ઘરના -કુટુંબના વડીલોના આશીર્વાદ લેવાના... લોકો સવારથી દોડતા હોય..નવા નવા કપડાં.પહેર્યા હોય..લોકો હારણ દોરણ દોડતા હોય..

અગીયારશથી માંડીને લાભ પાંચમ સુધીના દિવસો અતિ શુભ મનાય છે. કહે છે કે જેણે દિવાળી જોઈ તો જોઈ... કોને ખબર આવતા વર્ષે કોઈ ક્યાં હશે ? એટલે સહુ દિવાળી નિમિત્તે એકબીજાને ખુબ પ્રેમથી મળે, સ્નેહમિલનો યોજાય... પાછલું બધું ભૂલીને નવા વર્ષે નવેસરથી એકડો ઘૂંટવાનો નિર્ધાર કરે.

અને બાળકો માટે તો સૌથી મહત્વનું, દિવાળીની બોણી મળતી તે ...! પહેલાં તો એક રૂ . કે બહુ બહુ તો બે રૂ, ની બોણી મળતી... તેમાં સહુ ખુશ... વેપારી વર્ગ સિવાય ગિફ્ટો આપવાનો કંઈ રીવાજ થોડો હતો ?


મને કોઈ પૂછે , દિવાળીની યાદો.... તો કહીશ કે આજથી વર્ષો પહેલાં મારા ઘરમાં એટલે કે નડિયાદમાં અમારા ઘરમાં દિવાળી માણી છે તેવી ક્યારે ય નથી માણી..મને હજુયે નડિયાદના નારણદેવ ના મંદિરની દીપમાળ યાદ છે, આજે પણ અંબિકા માતાના મંદિરના દર્શન યાદ છે..ડભાણ ભાગોળે આવેલા સાઠોદરા નાગરના હાટકેશ્વર મંદિરમાં બેસતા વર્ષે સવારના છ વાગતામાં યોજાતું સ્નેહમિલન અને પ્રાર્થના યાદ છે...દાદા -દાદી, માં -પપ્પા , કાકા - કાકીના આશીર્વાદ અને નાનાં ભાઈના વહાલભરી દિવાળી એ જ ખરી દિવાળી.. ઘરના બધા જ સભ્યો સાથે મળીને માણેલો દિવાળીનો આનંદ આજે પણ હૈયે સ્વર્ગ જેવો જ વસેલો છે. તેને ઝૂરું છું..કાશ સમય પાછો આવે અને ફરી તે દિવાળી માણવા મળે...પણ મને પણ ખબર છે કે સમય પાછો નહીં આગળ વધે છે..



આજના વૈશ્વિકરણના જમાનામાં બાળકો પોતાની કારકિર્દી ઘડવા પરદેશ ઉડી જાય છે , ત્યારે ઘર, બાળકો વગર સુના માળા જેવું ભાસે છે, એટલે જ કહું છું કે આજની ઘડી રળિયામણી. કાલની કોને ખબર છે ? .ચાલો આજે આપણે સહુ આજની ઘડીને માણીએ અને આજે આપણે સહુ સાથે છીએ તે ઘડીને દિવાળી મનાવીએ..મતભેદોને મનભેદો ના બનવા દઈએ, કોઈને સાથ આપીએ, સહારો દઈએ, નીતિમત્તાના મૂલ્યોનું જતન કરીએ, હૈયાના આનંદને આત્માના ઉજાસના પર્વમાં બદલી નાખીએ કે ઘેર ઘેર દીપ પ્રગટે, અને સહુના આત્માનો ઉજાસ દિપાવલી બનીને બ્રહ્માંડમાં છવાય ..... અસ્તુ..


મૈત્રેયી મહેતા,
mainakimehta@yahoo.co.in

શુભ દિવાળી, નુતન વર્ષાભિનંદન .....