Translate

શનિવાર, 5 નવેમ્બર, 2022

એક યાદગાર દિવસ

     કેટલાં વર્ષોથી એક ઈચ્છા હતી કે ખુલ્લા ખેતરો વચ્ચે દોડવું છે! પપ્પાને કારણે એ ઈચ્છા ગઈ કાલે પૂરી થઈ. એમને સેન્દ્રિય ખાતરની એક જાહેરાતનું શૂટિંગ આવ્યું અને હું પણ તેમની સાથે જોડાયો. ગુજરાતમાં ગાંધીનગરથી આગળ થોડે દૂર એક ગામ. તેમાં વિશાળ ખેતરમાં શૂટિંગ હતું. ખેતરો વચ્ચે બે મોટાં બંગલા. ચૌધરીઓનો બે ભાઈનો પરિવાર એમાં રહે. બે બંગલા વચ્ચે લીલાછમ ખેતરો. બંગલાની આજુબાજુ પણ ખુલ્લા ખેતરો. મારું કામ પણ ચાલુ હતું - દૂરથી ફોન દ્વારા જોડાઈને. એટલે દિવસનો મોટો ભાગ બંગલાના ઓરડામાં બેસીને કામ કરતાં કરતાં પસાર કર્યો. પણ વચ્ચે વચ્ચે બહાર આવી શૂટિંગ અલપ ઝલપ જોઈ લેતો. પપ્પા મોજમાં હતાં. ધોતિયું, ઝભ્ભો, બંડી, માથે સાફો, મોટી મેકઅપની મૂછો અને પૂરા ગેટ અપ માં તેઓ રંગમાં આવી ગયા હતા અને જાણે તેમનું સંપૂર્ણ રૂપાંતરણ બીજી કોઈ વ્યક્તિ માં થઈ ગયું હતું - ગોપાલ કાકાના એક સમૃદ્ધ વયસ્ક ખેડૂતના પાત્રમાં. તેઓ ખરા અર્થમાં રંગમાં આવી ગયા હતા. બહાર ભારે તડકો અને ગરમી પણ તેમને આકરા તો લાગતા જ હશે, પણ તેમને સહ્ય લાગી રહ્યા હતાં. ઘણાં દિવસો બાદ તેઓ પોતાનું મનપસંદ એવું કામ કરી રહ્યા હતા. મને પણ એ જોઈ સંતોષ અને આનંદ થઈ રહ્યો હતો. કેટકેટલા લોકોને મળવાનું થયું, કેટલે વખતે! પપ્પાને મેકઅપ કરનાર અનુભવી મેકઅપ આર્ટિસ્ટ પહેલી વાર એક મહિલા હતા. પપ્પા ના જણાવ્યા મુજબ અત્યાર સુધી તેમણે માત્ર પુરુષોને જ મોટે ભાગે આ વ્યવસાયમાં જોયા છે, પણ ધનલક્ષ્મી નામના મળતાવડા મહિલા મેકઅપ-વુમનને મળી તેમની સાથે વાતો કરી આનંદ આવ્યો. અમે બધાંએ લંચ સાથે બેસી ને લીધું અને ત્યાં અલકમલકની વાતો કરી. બીજા એક મળવા જેવા વ્યક્તિને મળવાનું થયું - રાકેશ પૂજારાને. તેમના વિશે તો આખો એક સ્વતંત્ર બ્લોગ લેખ લખી શકાય એટલું બધું જાણવા લાયક અને પ્રેરણાત્મક વ્યક્તિત્વ છે તેમનું. ઘણી બધી વાતો થઈ આ કલાકાર સાથે, જેમણે ગુજરાતી હોવા છતાં, ગુજરાતી ભાષા કરતા વધુ ફિલ્મો, વિલન તરીકે ભોજપુરી ભાષામાં કરી છે! હાલ તેઓ ફિલ્મોના સેન્સર બોર્ડમાં પણ નિયુક્ત થયા છે જે આપણાં ગુજરાતીઓ માટે અને ગુજરાત રાજ્ય માટે ગર્વ લેવા જેવી વાત છે. લંચ પછી થોડી વાર બહાર ખેતરમાં લટાર મારવા નીકળ્યો, જ્યાં એક નોળિયો દૂર થી જોવા મળ્યો. હું બહાર જાઉં, ત્યારે મારી નજર સતત આવા નિતનવા અને ઓછા દેખાતા જીવોને શોધતી હોય! મોરના ટહુકાના અવાજ તો સતત સંભળાતા હતાં, પણ એ ક્યાંય નજીકમાં દેખાતા નહોતા. એ ઈચ્છા સાંજે પૂરી થવાની હતી!ખેતરમાં થોડે દૂર વચ્ચે એક પમ્પ જોયો જેમાંથી પાણીનો નાનો ધોધ પડી રહ્યો હતો. એવી વ્યવસ્થા હતી કે દૂર આવેલ એક બોર માંથી આ પમ્પમાં પાણી આવે અને તે આસપાસના બધાં ખેતરમાં પહોંચી રહે. બહારની ગરમી જાણે પાણીની એ ધારાને જોઈ ઓછી થઈ! ખળખળ કરતું, સ્વચ્છ પારદર્શક પાણી નાની નાની નહેરોમાં વહી દૂર દૂર જઈ આખા ખેતરમાં ફરી વળતું હતું. સામે એક વિશાળ વૃક્ષ જોઈ ખૂબ સારું લાગ્યું. થડ જાડું અને નાનું પણ એ વૃક્ષની ઘટા... અહાહા!

    બપોરે ગરમી હોવાથી વધુ વાર બહાર ના રહેતા ફરી બંગલામાં ઓરડામાં આવી કામ કર્યું અને બંગલાના માલકણ જેઠાણી - દેરાણીની વયસ્ક મહિલાઓની બેલડી સાથે વાતચીત કરી.

     સાંજે થોડી ઠંડક થઈ એટલે હું ફરી બહાર આવ્યો અને ખેતરમાં શૂટિંગ માટે વચ્ચે મૂકેલા ટ્રેકટર પર બેસી મેં થોડા ફોટા પડાવ્યા અને પછી ખેતરમાં થોડે વધુ અંદર, દૂર જવા પ્રયાણ કર્યું. ત્યારે જ ચાર-પાંચ યુવાનો કેમેરા મૂકવાનું ત્રણ પગ વાળું સ્ટેન્ડ, ખાટલો અને શૂટિંગ ની અન્ય સામગ્રી લઈ ખેતર વચ્ચે થઈ એક નવા લોકેશન તરફ જઈ રહ્યા હતા અને મારી આગળ હતા. તેમણે બૂમ પાડી મને આગળ ન આવવા સૂચવ્યું, કારણ તેમને માર્ગમાં એક સાપ નજરે ચડયો હતો! હું તો સાપ નું નામ સાંભળી રોમાંચિત થઈ ગયો અને એ ભાગી જાય એ પહેલાં તેની ઝાંખી મેળવવા રીતસર ત્યાં તરફ દોડ્યો! પણ સાપ ભાઈ તો બરાબર આરામ ના મૂડમાં હતાં. તેમના શરીરનો ઘાટ્ટો કાળો ભીંગડાયુક્ત ભાગ દ્રશ્યમાન થતો હતો. શ્વાસ-ઉચ્છવાસ લેતી વખતે જેમ ઊંચું નીચું થાય તેમ તેનું શરીર પ્રસરણ - સંકોચન પામતું જોવા મળ્યું. તેનું મોઢું કે પૂંછડી દેખાતા નહોતા. માત્ર શરીરનો વચ્ચેનો ભાગ દેખાઈ રહ્યો હતો. તેની લંબાઈ પણ કળવી મુશ્કેલ જણાઈ રહી હતી, પણ તેના શરીરની જાડાઈ પરથી લાગતું હતું કે તે યુવાન સાપ હોવો જોઈએ. થોડી વાર નિરીક્ષણ કર્યા બાદ મેં શૂટિંગની ટ્રાઇપોડ સ્ટેન્ડના ત્રણમાંથી એક પગ વડે સાપને સલામત અંતરેથી ઉંચો કર્યો, તેને વાગે નહીં એનું ધ્યાન રાખી. હવે એણે ડાબી બાજુના ખેતરના કાણાં માંથી પોતાનું મોઢું બહાર કાઢ્યું અને તે જમણી તરફ સરકી ગયો, મને અને આસપાસ ઉભેલા પેલા ચાર પાંચ યુવાનોને તેની નાનકડી, સુંદર ફેણના દર્શન કરાવ્યા બાદ! એ દ્રશ્ય અદ્ભુત હતું! એ સુંદર, યુવાન નાગ હતો કે કદાચ નાગણ! આ મારા માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો! તરત મેં તેનો મોબાઈલ માં ક્લીક કરેલો ફોટો ઓળખ માટે મારા વોટ્સ એપ નેચર ગ્રુપ પર મોકલી આપ્યો અને જાણવા મળ્યું કે એ કોબ્રા હતો.

   આ તરફ સાપનો ભય હોવાથી અન્યોને અહીં ના લાવતા, શૂટિંગ માટે થોડે દૂર સામે આવેલા બીજા બંગલાના પ્રાંગણમાં ખાટલો ઢાળી ત્યાં અન્ય સાધન સરંજામ લઈ ગયા. હું પણ ત્યાં ગયો અને સદનસીબે ત્યાં મને આખા દિવસની શ્રેષ્ઠ પળો માણવા મળી! બંગલાની છત પર વિશાળ ધાબું હતું, ત્યાં હું ચઢી ગયો. સાંજ ઢળવામાં હતી. ચારે તરફ ખુલ્લાં ખેતરો, ઉપર વાદળાં ની અનેરી ભાત ધરાવતું સુંદર ભૂરું આકાશ અને દૂર દેખાતા બંગલા પાછળ અને ઝાડોમાં જાણે અસ્ત પામવા જઈ રહેલો સૂર્ય. આ બધાં એ ભેગા મળી મારા મન પર જાદુઈ અસર કરી. એક બાજુએ ખુલ્લાં મેદાન જેવા ભાગમાં મેં ત્રણ તેતર જોયાં. આ પણ ભાગ્યે જ જોવા મળતું દ્રશ્ય હતું. એક તેતર તેની વિશિષ્ટ અદામાં દડબડ દડબડ દોડતું આગળ ભાગ્યું અને કોણ જાણે ક્યાં અલોપ થઈ ગયું! તેને જોવામાં પાછળના બીજા બે તેતર પણ અદ્રશ્ય! ત્યાં જ ભૂખરા રંગના ચાર પાંચ અન્ય પક્ષીઓ સાથે એક ઢેલ દ્રશ્યમાન થઈ. એમને જોયા બાદ ધાબાની બીજી તરફ, નાગ દેખાયો હતો એ તરફ નજર દોડાવી તો દાણા ચરી રહેલાં બે મોર દેખાયાં! શી એમની નજાકત અને શું એમનું સૌંદર્ય! મને એક ગજબની ધરપત નો અનુભવ થઈ રહ્યો હતો આટલું બધું કુદરતી સૌંદર્ય એક સાથે જોઈ, અનુભવતા. એમાં શ્રાવ્ય તત્ત્વ ભેળવવાનું મન થયું અને મોબાઈલ પર મેં મારા મનપસંદ ગીતો એક પછી એક વગાડવા માંડ્યા. સંગીતનો જાદુ ભળ્યો, સુંદર દ્રશ્યો સાથે અને મન એક અજબની શાંતિ નો અનુભવ કરી રહ્યું. સૂર્ય ઢળી જવા છતાં અજવાળું હતું. અંગ્રેજી વી આકારમાં ઉડતા પંખીઓ, આડી હારમાં ઉડતા પંખીઓ અને છૂટા છવાયા એકલ દોકલ પંખીઓ જોઈ મને પણ આકાશમાં ઊડવાની ઈચ્છા થઈ આવી! ચારે તરફ ફરી એ સુંદરતા હું જાણે ધરાઈ ધરાઈ શરીરમાં, મનમાં ભરવા મથી રહ્યો. એમ થતું હતું કે આ અનુભવ રોજ કરવા મળે તો કેટલું સારું! કેટલો નસીબદાર છે એ ચૌધરી પરિવાર જેના આ બે બંગલા હતાં અને જેમને રોજ આ કુદરતી સૌદર્ય વચ્ચે જીવન ગાળવા મળતું હતું! 

આખરે અંધારું ધીમે ધીમે ઉતરી આવ્યું આસપાસ અને મારે ક-મને નીચે ઉતરવું પડયું. પપ્પા પણ ખૂબ ખુશ હતાં આજનો દિવસ તેમની મનગમતી પ્રવૃત્તિ કરી અને હું પણ ખૂબ ખુશ હતો આ એક અતિ યાદગાર દિવસ પરિપૂર્ણતાની લાગણી સાથે પસાર કર્યા બાદ.  

પ્રચાર અને પ્રસાર માધ્યમોની જવાબદારી

 લોકશાહીના ચાર આધારસ્તંભ છે : ન્યાયપાલિકા (Judiciary), કાર્યકારી મંડળ / અધિકારી વર્ગ (Executive), પ્રસારમાધ્યમ (Media) અને સંસદ / વિધાનસભા (Legislature). પ્રસારમાધ્યમ અને પ્રચારમાધ્યમની એક વિશેષ જવાબદારી છે. પત્રકારો વિશ્વભરના સમાચાર નિષ્ઠા પૂર્વક આપણાં સુધી પહોંચાડવાની પવિત્ર ફરજ બજાવે છે. પરંતુ દરેક ક્ષેત્રની જેમ અહીં પણ સ્પર્ધા મોજૂદ છે. સૌથી પહેલાં સમાચાર લોકો સુધી પહોંચાડવાની ઉતાવળમાં ક્યારેક પત્રકારો પોતાની નૈતિક જવાબદારી ભૂલી જાય છે. માત્ર ક્વોટા પૂરો કરવા કે ટાર્ગેટ પહોંચી વળવા સમાચાર સાચા છે કે ખોટા તેની ચકાસણી પણ કર્યા વગર એ લોકો સુધી પહોંચાડી દે છે. આ મુદ્દે આજે થોડી વાત કરવી છે.

  સેલિબ્રિટીઓનું જીવન ઘણી વાર મુશ્કેલ બની જતું હોય છે. તેમની અંગત વાતો પણ લોકો સુધી પહોંચાડવા પત્રકારો ચડસાચડસી કરતાં હોય છે. ઘણી વાર કોઈ સેલિબ્રિટી મુશ્કેલ દોર માંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે પણ તેની નાની મોટી, સાચી ખોટી અનેક વાતો પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં ચમકતી રહે છે. લોકોને પણ આવી વાતોમાં ખૂબ રસ પડતો હોય છે. કેટલીક વાર તો સેલિબ્રિટી ખુદ પણ લોકોની નજરમાં રહેવા માટે પોતાની વાતો ચગાવતા હોય છે. તો ઘણી વાર પત્રકારો હદ ઓળંગી જતા હોય છે અને કેટલીક વાર  ઔચિત્ય અને માનવતાની તમામ હદ ઓળંગીને માત્ર પોતાના કે પોતાના પ્રકાશન કે સંસ્થાના નામ અને સ્વાર્થ માટે થઈ સાવ વજૂદ વગરના સમાચાર જાહેર કરી દેતા હોય છે.

  પપ્પા છેલ્લાં નવેક મહિનાથી થોડા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે અમને સારા - માઠાં એમ બન્ને પ્રકારના અનુભવ થયાં છે. જન્મભૂમિ અખબારની મારી પોતાની કટાર દ્વારા હું તેમની તબિયતના અને હકારાત્મકતાનાં સમાચાર તમારા સૌ સાથે સમયાંતરે પહોંચાડતો રહ્યો છું. અન્ય પણ ઘણાં માધ્યમો દ્વારા ગત વર્ષે તેમની સર્જરી થઈ ત્યારે એ સમાચાર સારી અને સાચી રીતે પ્રકાશિત થયા હતા. કોરોનાના કપરા કાળમાં લોકોને ઉત્સાહ અને હકારાત્મકતા જાળવી રાખતાં પપ્પાના ઘણાં સંદેશાઓ અને તેમની જીવન યાત્રા અને સંઘર્ષની કહાણી પણ એક ગુજરાતી અખબારમાં છપાઈ અને પછી વાઈરલ થઈ.

પણ નવેક મહિના અગાઉ તેમની સર્જરી બાદ તેઓ સામેથી કેટલાક પત્રકારોને ગુજરાત ખાતે મળ્યાં જ્યાં અમે માતાજીના દર્શને ગયા હતા. ત્યારની તેમની તસ્વીરમાં તેઓ થોડાં અશક્ત જણાતાં હતાં એ તસ્વીર પ્રગટ કરી કેટલાકે એવી વાત ઉડાડી કે નટુકાકા એ તારક મહેતા શો છોડી દીધો છે. એ સમયે કેટલાક પાત્રોની સિરિયલમાં અદલાબદલી થઈ હશે અને આ સિરિયલ છેલ્લાં ઘણાં સમયથી ટોપ દસ કે પાંચમાં રહેતી આવી છે એટલે તેને લગતાં કોઈક ને કોઈક સમાચારો પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં ચમકતા જ રહે છે. પણ કોઈક પાત્ર તબિયત નાદુરસ્ત હોવાને લીધે સિરિયલમાં દેખાઈ ન રહ્યું હોય એટલે તેના વિશે ગપગોળા ફેંકવાના? પપ્પાની એ તસવીરો ચમકાવી એટલે કેટલાકે એમને ટ્રોલ કરવાનો પણ પ્રયાસ કર્યો. આ જ તસ્વીરો સાથે એક મરાઠી વેબ પોર્ટલે તો હદ કરી નાખી! તેમણે લખ્યું કે નટુકાકા ને ખાવાના સાં સાં છે અને તેઓ એક જ સમય નું ભોજન પામે છે! તેઓ બેકાર થઈ ગયા છે... એક અંગ્રેજી અખબારમાં છપાયેલ પપ્પાના ઇન્ટરવ્યૂનું અતિ નબળું, બેહુદું અને ખોટું ભાષાંતર આ પોર્ટલે કર્યું હતું. વળી એ લેખનું ટાઇટલ અતિ નકારાત્મક હતું પણ સમાચારની અંદર કંઈક ભળતી જ વાત લખી હતી. એ પત્રકાર કે પોર્ટલ સાથે સંકળાયેલી વ્યક્તિએ ટાઇટલ અને લેખ ના કન્ટેન્ટ ને મેચ કરવા જેટલી તસ્દી પણ લીધી નહોતી. થોડાં સમય બાદ એક અગ્રગણ્ય ગુજરાતી અખબારે પણ આ જ સૂર ધરાવતો અહેવાલ છાપ્યો જેમાં લખ્યું હતું કે ઘનશ્યામ નાયક બેકાર બેઠાં છે અને આર્થિક સંકટ માંથી પસાર થઈ રહ્યા છે. એ વાંચી કેટલાયે લોકોએ ફોન કર્યા. આ ગુજરાતી અખબાર ના પત્રકાર જેણે એ લેખ છાપ્યો એ એકાદ ફોન કરી તથ્ય ચકાસવાની જહેમત ઉઠાવી શક્યા હોત.

   બે સપ્તાહ અગાઉ મેં પપ્પાની હકારાત્મકતા બિરદાવતો એક બ્લોગ લેખ લખ્યો હતો તેના આધારે ફરી પપ્પાની તબિયતને લગતા સમાચાર ચર્ચાએ ચડ્યા અને કેટલાક બેજવાબદાર પત્રકારોએ જૂના કોઇક ઇન્ટરવ્યૂમાં પપ્પાએ કહેલી વાત કે 'તેમની ઈચ્છા તેમનું મૃત્યુ ચહેરા પર મેઇક અપ સાથે થાય' ને તેમની હાલની તબિયત સાથે જોડી એવાં ટાઇટલ સાથે સમાચાર વહેતા કર્યા કે નટુકાકાની અંતિમ ઈચ્છા તેમણે જાહેર કરી છે! આ વાંચી કંઈ કેટલાયે લોકો ના ફોન આવ્યાં છે અને તેનો જવાબ આપતાં આપતાં અમે થાકી ગયાં છીએ.

  અખબારો અને પત્રકારોએ તથ્યોની ચકાસણી કર્યા બાદ જ કોઈ પણ સમાચાર છાપવા જોઈએ. કારણ આજ ના ઇન્ટરનેટ ના યુગમાં કોઈ પણ સમાચાર વાઈરલ થઈ જતાં વાર નથી લાગતી, આવે સમયે પ્રસાર અને પ્રચાર માધ્યમોની જવાબદારી બેવડી થઈ જાય છે.  

ગેસ્ટ બ્લોગ : નાટક પણ સાહિત્યનો પ્રકાર છે

      રંગભૂમિના મૂળ આપણને વેદ ઉપનિષદમાં જોવા મળે છે. સર્જનહાર આ રંગભૂમિનો સૂત્રધાર છે. માનવજાત એની પાત્ર સૃષ્ટિ છે. કલાકાર કાયમ ભીતરની રચના જુએ છે અને બહારની દુનિયાને આત્મસાત કરે છે. અભિનય કરવો એ કલાકાર માટે રંગમંચ ઉપર આપવાની પરીક્ષા છે. આખરે મનુષ્ય જે જીવન જીવે છે, તે પણ એક કલા છે. માટે વિદ્વાનો કહે છે કે જીવન જીવવાની કલા એ શ્રેષ્ઠ કલા છે. 

                    સાહિત્યના વિવિધ પ્રકારોના સર્જક સાથે હું નાટકનો શોખીન જીવ છું. ગુજરાતી નાટકને પણ સાહિત્યનો પ્રકાર ગણું છું. માતૃભાષાના પ્રસાર અને પ્રચાર માટે રંગભૂમિના પ્રદાનની પણ નોંધ લેવી આવશ્યક છે, એવું મારુ દ્રઢપણે માનવું છે. મારા શૈશવકાળથી જ હું નાટકો જોતો આવ્યો છું અને માણતો આવ્યો છું. આપણી આંખ સામે કલાકાર જ્યારે પોતાના મૂળ અસ્તિત્વની કાયાપલટ કરી પોતાને ભાગે આવેલા પાત્રમાં ઓતપ્રોત થઈ અભિનયની કલાને પ્રદર્શિત કરે છે, તેને દાદ આપવી ઘટે.    

                   વર્ષો પહેલાં કવિ શ્રી ઉમાશંકર જોષીએ એકાંકી નાટકોના વિવેચનમાં એવું વિધાન કરેલું કે આપણે ત્યાં જે નાટકો છે, તે ભજવાતા નથી અને ભજવાય છે તે નાટકો નથી. આજના સંદર્ભમાં જોઈએ , તો નબળી સ્ક્રીપ્ટ હોવા છતાં ઉત્તમ દિગદર્શન તથા શ્રેષ્ઠ અભિનયને કારણે નાટક સફળ થાય છે. તો ક્યાંક હૃદયસ્પર્ષી સંવાદો હોવા છતાં ભજવણીમાં કચાશ રહી જવાને લીધે નાટકની ગુણવત્તા જળવાતી નથી. નાટ્યવિદ શ્રી ચંદ્રવદન મહેતાએ કહેલું કે અંધ વ્યક્તિ સવાંદ દ્વારા અને બધિર વ્યક્તિ કલાકારના અભિનય દ્વારા નાટક માણી શકે તો નાટક સફળ થયું ગણાય. 

                     આઈ એન ટી જેવી માતબર સંસ્થા, પ્રવીણ જોષી, કાંતિ મડિયા, ગીરેશ દેસાઈ, અરવિંદ જોષી, ભારત દવે, શૈલેષ દવે, મધુકર રાંદેરિયા દીનકર જાની જેવા દીગજ્જ દિગદર્શકો અને કલાકારોને રંગભૂમિની ઊજળી કક્ષા જોવા મળી હતી. જેમ દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળે છે તેમાં આજની સવેતન રંગભૂમિ પણ બાકાત નથી. વિષય અનુરૂપ મંચ સજ્જા, પ્રકાશનું આયોજન સંગીત તથા આધુનિક ટેકનોલોજીએ પણ રંગભૂમિની કાયાપલટ કરી છે, તે નિર્વિવાદ બાબત છે. 

                      ભૂતકાળમાં અન્ય ભાષાના રૂપાંતરો જોવા મળતા હતા, પણ આજે આપણી ભાષામાં પણ ઉત્તમ નાટ્ય લેખકો છે તે બાબત સહર્ષ ગૌરવ લેવા જીવી છે. આજની યુવા પેઢીને ફિલ્મોનું આકર્ષણ વિશેષ છે, તેમને ગુજરાતી નાટકો જોવા માટે પ્રોત્સાહિત કરવાની તાતી જરૂર છે. માતૃભાષાને બચાવવાનું જે અભિયાન ચાલે છે, તેમાં રંગભૂમિનો પણ ફાળો હોવો આવશ્યક છે. નાટ્ય લેખકો, દિગદર્શકો, કલાકારો તથા પ્રેક્ષકોની સહિયારી જવાબદારી હશે તો શ્રેષ્ઠ નાટકોને શ્રેષ્ઠ પ્રેક્ષકો મળી રહેશે, એમ માનવું અસ્થાને નહી લેખાય. ગુજરાતી રંગમંચ જો સક્રીય હશે, તો ગુજરાતી ભાષા પણ શાશ્વત રહેશે. તેમાં કોઈ શંકા નથી. 

- નીતિન વિ મહેતા 

રવિવાર, 3 જુલાઈ, 2022

હેપ્પી ફાધર્સ ડે!

વ્હાલા પપ્પા, હેપ્પી ફાધર્સ ડે!

તમે ભવાઈનો વેશ ભજવતા ગાઓ છો :

" તન છોટું પણ મન મોટું

     મારી ખમીરવંતી જાતિ...."

રંગલા તરીકે પાત્ર ભજવતા રંગલીને સંબોધી

તમે એમ પણ ગાયું છે કે "તું ઉંચી ને હું બટકો પણ ભારે વટનો કટકો..."


  પંક્તિઓ તમે સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. છેલ્લાં એકાદ વર્ષમાં તમે શારીરિક રીતે કદાચ વધુ થોડાં કૃશ બન્યા છો. પણ તમારી આંતરિક તાકાત અને મજબૂત મનોબળના સાક્ષી બન્યા બાદ હું ચોક્કસ કહીશ કે તમે ભલે કદમાં છોટા રહ્યા, પણ મન, હ્રદય, કર્મ અને તમારા સદ્ગુણોથી સામાન્ય માનવીથી મુઠ્ઠી ઉંચેરા છો. મહામારીના કપરા કાળમાં કેન્સર જેવી મહામારીનો તમે જે રીતે સામનો કર્યો છે જોઈ

મારું તમારા પ્રત્યે માન અનેક ગણું વધી ગયું છે. મુશ્કેલીઓ દરેક જણના જીવનમાં આવે છે, પણ એનો સામનો કરવાની તમારી રીત ગજબ છે જેમાંથી હું તો ઘણું શીખ્યો છું પણ અન્ય અનેક લોકો પણ એમાંથી પ્રેરણા મેળવે માટે આજે અંગેની થોડી વાતો બ્લોગના માધ્યમથી શેર કરું છું.

   ગત વર્ષે સપ્ટેમ્બરમાં સર્જરી બાદ બે મહિના સુધી રેડીએશનના ત્રીસ અને કેમોથેરાપીના પાંચ સેશન સહ્યા બાદ આપણે ધાર્યું હતું કે હવે બધું સારું થઈ ગયું છે. પણ - એક મહિના બાદ ફરી આખા શરીરનું કેન્સર ડીટેક્ટ કરવા માટે કરાતું પેટસ્કેન કરાવતા માલુમ પડયું કે ગળા પાસેથી જે ભાગમાંથી આઠેક ગાંઠ કાઢી હતી, ત્યાં ફરી નાના એવા બે - એક સ્પોટ દેખાય છે. એટલું નહીં, ફેફસાંમાં પણ એક - બે નવા સ્પોટ શંકાસ્પદ માલૂમ પડે છે. નિષ્ણાતોના સેકંડ ઓપિનિયન બાદ ફરી કેમોથેરાપીના અમુક સેશન લેવા પડશે એવું નિદાન થયું. શરીર પર ફરી કાપાકાપી કરી બાયોસ્કોપી કરવી એવો નિર્ણય આપણે લીધો કારણ ચાલુ વર્ષના એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ સમયગાળો હતો ત્યારે. એટલે ખાટલો અને ઓક્સિજન બંને મળવા મુશ્કેલ થાત તો ખરું પણ તમારા શરીરને પણ ફરી પાછી કાપકૂપ કરી કષ્ટ આપવાનું મને કે ડોક્ટરને યોગ્ય ના લાગ્યું. આથી બીજા કેટલાક ટેસ્ટ કરાવી તાત્કાલિક કેમોથેરાપી ફરી શરૂ કરવાનું નક્કી કર્યું. છેલ્લાં થોડાં સમયમાં આપણાં સૌના જીવનમાં અને વ્યવહારમાં કેટલું બધું પરિવર્તન આવ્યું છે. સેકંડ ઓપિનિયનથી માંડી મહિના પહેલાં સર્જરીથી કાઢેલી ગાંઠોના નમૂનાના પુનઃ પરીક્ષણની સઘળી પ્રક્રિયા આપણે પોતે ક્યાંય પ્રત્યક્ષ ગયા વગર પતાવી. સઘળાં રિપોર્ટ અને નમૂના કૂરિયર દ્વારા મોકલવા, ઓનલાઇન પેમેન્ટ કરી દેવું બધું હવે નવા જીવનની અપનાવી લેવા જેવી રીત સમું લાગ્યું અને બધું સરળતાથી પાર પણ પાડયું. એક કેમો સેશન લીધા બાદ ડોક્ટરે, આગળના કેમો વારંવાર હાથમાં સોયો ખોસવાની ઝંઝટમાંથી બચી જવા અને દવા આખા શરીરમાં બરાબર પ્રસરે માટે કેમોપોર્ટ બેસાડવાની નાની સર્જરી કરવા સૂચવ્યું અને તમે હસતે મોઢે સ્વીકાર્યું અને ઓપરેશન કરાવ્યું. કેમોપોર્ટ શરીરમાં બેસાડાતી એવી નાની ડબ્બી હોય જેમાં ઈન્જેક્શનની સોય બેસાડી દવા આખા શરીરમાં અસરકારક રીતે પહોંચાડી શકાય. બોરીવલીની અપેક્સ હોસ્પિટલમાં સર્જરી કરી ત્યારે મોટી ઘટના પણ સાવ ક્ષુલ્લક લાગી. ઊલટું પણ એક યાદગાર પ્રસંગ જેવી ઘટના બની રહી. કદાચ તમે મને એક અતિ ઉપયોગી મહત્ત્વનો પાઠ શીખવ્યો છે. દરેક ઘટનાને ઉત્સવની જેમ ઉજવવી. આખો દિવસ તમારી સાથે ગાળ્યો અને આપણે કેટલી વાતો કરી! થોડું ઝગડ્યા પણ ખરા! જનરેશન ગેપ ભાઈ! તો રહેવાનો ... અને તમે ક્યાં તમારી તંગડી પડવા દો એવા છો!! હોસ્પિટલની જગા ખૂબ સુંદર અને હકારાત્મક હતી , જ્યાં બહાર સુંદર બગીચો બનાવી વચ્ચે ગણેશનું નાનું મંદિર બનાવ્યું હતું અને ખાસ આકર્ષણ સમું હતું કૈલાશપતિ ફૂલનું ઊંચું, સાંકડું વૃક્ષ! વૃક્ષ મૂળ તો વિદેશી વૃક્ષ છે પણ તેનું ફૂલ અતિ વિશિષ્ટ હોય છે - લાક્ષણિક સુંદર સુગંધ, પાંચ ઝાંખા લાલ રંગની પાંખડીઓ સાથે વચ્ચે અનેક તાંતણા ફૂલની મધ્યમાં રહેલા શિવલિંગનું જાણે રક્ષણ કરતાં હોય! આબેહૂબ શિવલિંગ જેવો આકાર ધરાવતા ભાગને લીધે ફૂલનું અને ઝાડનું નામ કૈલાશપતિ પડયું છે. અને ઝાડનું ફળ કેવું? ભારે મોટો તોપનો ગોળો જોઈ લો! જ્યારે જમીન પર પડે ત્યારે ભારે મોટો અવાજ થાય છે એટલે ઝાડના ફળનું અંગ્રેજી નામ છે - કેનનબોલ. જો કોઈ પ્રાણી કે મનુષ્યના માથા પર પડે તો તેના રામ રમી જાય. વૃક્ષ - ફૂલ - ફળ - બાગ વગેરેનું સૌંદર્ય માણી શકવા જેટલી સ્વસ્થતા કેળવતા, પપ્પા, તમે મને શીખવ્યું છે! હોસ્પિટલની રૂમમાં બાજુમાં એક બોલકા ગુજરાતી સન્નારી હતાં, તેમની સાથે પણ આખો દિવસ આપણે કેટલી બધી વાતો કરી! તેમની પાસેથી પણ ઘણું શીખવા મળ્યું. તેમણે કાજલ ઓઝા વૈધની કૃષ્ણાયન નવલકથા મને વાંચવા આપી, તેની પ્રસ્તાવના ખૂબ ગમી અને મને એક નાનકડો ટાર્ગેટ મળ્યો - પુસ્તક પૂરું વાંચવાનો! ઓપરેશનના એક અઠવાડિયા બાદ બારમી મે તમારો જન્મ દિવસ આવતો હતો માટે તમારા કલાકાર મિત્ર બાબુલ ભાઈ ભાવસાર નો ફોન પણ મેં હોસ્પિટલ બહારના બાગમાં બેઠા બેઠા અટેન્ડ કર્યો અને તમને સરપ્રાઇઝ આપવા વિડિયો સંદેશ તૈયાર કરવાની યોજના નક્કી કરી!

   હોસ્પિટલમાંથી સર્જરી પતાવી બીજે દિવસે ઘેર આવતાં, એક સારી જગાએથી ઘેર પરત ફરતી વખતે અનુભવાય એવી અકથ્ય લાગણી અનુભવાઈ! પછી તો કેમોપોર્ટ દ્વારા પણ પછીના ત્રણ કેમો સેશન થયાં અને દરેક દિવસ પણ આપણે બાપ - દીકરો જાણે સાથે ઉજવતા હોઈએ છીએ! સાંભળેલું કે કેમો તો ખૂબ પીડાદાયી હોય છે, પણ કાં તો તમારા નસીબ ખૂબ સારા છે કે પણ તમને પીડી નથી શકતો અને કાં તો તમે એટલાં મજબૂત છો કે પીડા તમારા વર્તન દ્વારા દેખાડતાં નથી.

  બીજી એક સરસ વાત કરું. કેમોના સેશન્સ વચ્ચે પણ સમય કાઢી તમે એક દિવસનું તારક મહેતાનું શૂટિંગ ગુજરાત - દમણમાં એક રિસોર્ટ ખાતે કરી આવ્યાં! મને પણ સાથે લઈ ગયા અને આપણને બંનેને એક સરસ ટૂંકો બ્રેક મળી ગયો! નાનકડું વેકેશન થઈ ગયું જાણે બે દિવસ! ત્યાં તમને મળીને તારક મહેતાની આખી ટીમને જે ખુશી થઈ છે જોઈ હું તો ગળગળો થઈ ગયો! ત્યાં પોપટલાલ બનતાં શ્યામભાઈ પાઠકનો જન્મ દિવસ ઉજવતી વેળાએ તમારા માટે પણ એક ખાસ કેક મંગાવવામાં આવી અને તમે કાપી ત્યારે સૌ કેટલી બધી ખુશી વ્યકત કરી અને તમે જલ્દી ફરી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાઓ એવી શુભેચ્છા વ્યકત કરી.

  હવે બે કેમો બાકી છે પહેલાં ફરી એક વાર પેટ સ્કેન કરવાનો છે એમાં કેન્સર સંપૂર્ણ નાબૂદ થઈ ગયાનું જાણવા મળે એવી પ્રાર્થના સાથે ફરી એક વાર તમને ફાધર્સ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!!

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

કુદરત સાથે કનેક્શન

   આખા બ્રહ્માંડમાં પૃથ્વી એવો ગ્રહ છે જેના પર જીવન ધબકે છે. તેનું કારણ અહીં જીવન ટકી શકે એવા પરિબળો અને સંયોગો મોજૂદ છે. આ પરિબળો અને સંયોગોનું જ એક નામ છે કુદરત. કુદરતને આસ્તિક ભગવાન કહેશે તો નાસ્તિક વિજ્ઞાન. પણ આ કુદરત એક એવી જોઈ, સ્પર્શી અને અનુભવી શકાય એવી હકીકત છે જે જીવન ના અસ્તિત્વ માટે કારણભૂત છે. જ્યાં સુધી આ કુદરત આપણાથી રૂઠેલ નથી ત્યાં સુધી જ આપણે સુરક્ષિત છીએ. કુદરત ક્યારેક રૂઠે ત્યારે થયેલી તારાજીના અનેક ઉદાહરણ આપણે તાજેતરમાં જોયેલા છે. કુદરત રૂઠે એ માટે જો કે મોટે ભાગે આપણે જ જવાબદાર પણ છીએ. લોભ ને ના હોય થોભ અને આંધળા અને સ્વાર્થી વિકાસ માટેના લોભે જ કુદરત ને આપણાથી રૂઠવાના સંયોગો ઉભા થયા છે.

   ખરું જુઓ તો આપણે પણ કુદરતનો જ એક અંશ છીએ, કુદરતનો જ એક ભાગ છીએ. માત્ર મનુષ્ય જ નહીં, બલ્કે આ પૃથ્વી પર નો પ્રત્યેક સજીવ - પશુ, પંખી, જંતુ, વનસ્પતિ વગેરે અને નિર્જીવ તત્વો જેવા કે માટી, પહાડ, ઝરણાં, નદી, સાગર, જંગલ વગેરે સૌ કુદરતના ભાગ છે અને તેઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક મેક પર આધાર પણ રાખે છે. આ હકીકત આપણે મનુષ્યોએ ખાસ સમજી લેવાની છે, કારણ તેના સિવાય ના અન્ય કોઈ જીવ કુદરતને જાણતા કે અજાણતા નુકસાન પહોંચાડતા નથી. પણ મનુષ્યે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાના વિકાસ માટે અન્ય જીવો અને કુદરતને નુકસાન પહોંચાડવા પાછું વળી જોયું નથી. જંગલો કાપી, દરિયા પૂરી તેણે ઊંચી ઈમારતો બાંધી છે. પ્રાણીઓ ને ગુલામ બનાવી તેમની પાસે થી પોતાનું કામ કઢાવ્યું છે, તેમનો કત્લેઆમ કરી ખોરાક તરીકે અથવા અન્ય ચીજ વસ્તુઓ બનાવી ઉપયોગ કર્યો છે. કચરો - ગંદકી ફેલાવ્યા છે. પ્રદૂષણમાં એટલો વધારો કર્યો છે કે એ જ તેના જીવનને જોખમમાં મૂકનાર રોગોનું કારણ બન્યું છે.

   કુદરત સાથે તાદાત્મ્ય સાધીએ તો તેના અનેક લાભ આપણને મળી શકે એમ છે. શહેરમાં વસતાં લોકો માટે તો ઘરની બારી બહારનું ઝાડ કે નજીકનો બાગ જ કુદરતનું સ્વરૂપ. પણ તેની સાથે પણ જો શહેરીજન તાદાત્મ્ય કેળવે, એક કનેક્શન બનાવે તો તેને ઘણાં લાભ મળી શકે એમ છે. રોજ જરૂર છે થોડો સમય આ માટે ખાસ ધ્યાન આપી ફાળવવાની.

   અત્યારે કોરોનાના કપરા કાળમાં આ કનેક્શનની ખાસ જરૂર છે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું જાળવી રાખવા કે સુધારવા. ઘરમાં ને ઘરમાં રહી આપણે કંઈક અંશે બહાવરા થઈ ગયા છીએ, કંટાળી ગયા છીએ, હતાશ - નિરાશ થઈ ગયા છીએ ત્યારે કુદરત આપણી વહારે આવી શકે એમ છે. દોઢ - બે વર્ષ પહેલાં આપણે મોટે ભાગે ઘરની બહાર રહેતાં કે જતા - આવતા, ત્યારે જાણ્યે અજાણ્યે આપણે કુદરત સાથે કનેક્શન જાળવી શકતા. પણ પેન્ડેમિકના કારણે આપણે ફરજીયાત ઘરમાં ગોંધાઈ રહેવાની ફરજ પડી છે ત્યારે આપણું કુદરત સાથેનું કનેક્શન તૂટી જવા પામ્યું છે. એક અભ્યાસ મુજબ, આ કનેક્શન તૂટી જવાને કારણે પણ આપણી હતાશા અને નિરાશામાં વધારો થયો છે. કુદરત સાથેનું કનેક્શન આપણી સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય માટે અતિ જરૂરી છે. જેટલા આપણે કુદરતની વધુ સમીપ જઈશું, એટલું વધુ તંદુરસ્ત અને સુખી આપણું જીવન બની રહેશે. જ્યારે તમે કુદરત સાથે જોડાઓ છો ત્યારે તમે જે જે અડો છો, જુઓ છો, સાંભળો છો, અનુભવો છો તેની સીધી અસર તમારા મૂડ પર થાય છે. એ તમારા ચેતાતંત્ર, મજ્જાતંત્ર અને રોગપ્રતિકાર ક્ષમતા પર સારી અસર કરી શકે છે. જો તમે સુંદર દ્રશ્ય જુઓ તો તમારી ધ્યાન ધરવાની અને કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સુધારો થાય છે. તેનાથી તમારું મન તાજગી અનુભવી નવા અને વધુ કાર્યો કરવા તૈયાર થઈ જાય છે. જો તમે હરિયાળી વચ્ચે કે આસપાસ વધુ લીલોતરી જગામાં રહેતા હોવ તો તમારી સર્જનાત્મકતા અને કાર્ય ઉત્પાદકતામાં નોંધનીય વધારો જોવા મળે છે. જો તમે આ ઈચ્છતા હોવ તો તમારે વચ્ચે વચ્ચે બ્રેક લઈ આવી વધુ કુદરતી સૌંદર્ય કે સામીપ્ય ધરાવતી જગાએ થોડાં સમય માટે જતાં રહેવું જોઈએ.

   કુદરતનું સાંનિધ્ય આપણને રોજબરોજની મુશ્કેલીઓ, તણાવ અને ઉચાટ વગેરે માંથી થોડા સમય માટે દૂર જવામાં મદદ કરે છે. એ તમને ક્રોધ પર નિયંત્રણ રાખવા માટે પણ મદદરૂપ સાબિત થાય છે અને માનસિક હકારાત્મકતા અને આનંદી લાગણીઓ વધારવામાં સહાય કરે છે. કુદરત સાથે નિકટતા બ્લડ પ્રેશર, હ્રદયના ધબકારા અને સ્નાયુઓમાં તાણ ઘટાડે છે જે તમારા શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો આણે છે. શાંત અને સુખી થવાની આ એક અતિ સરળ અને અસરકારક રીત છે. માત્ર પાંચ મિનિટ માટે કુદરત સાથે ગાળેલી ક્ષણો પણ તમારી ઉત્પાદકતા કલાકો માટે વધારી કે સુધારી શકે છે.

   પહાડો, નદીઓ કે જંગલો પાસે વારંવાર જવાનું શક્ય ન હોય તો કઈ રીતે કુદરત સાથે કનેક્શન ટકાવી શકાય? જવાબ છે તેને તમારી નજીક લઈ આવી! ઘરમાં નાનકડો બાગ બનાવો, જગાના અભાવે એ શક્ય ન હોય તો નાનકડા કૂંડામાં છોડ ઉગાડો, તેને ઉછેરો, તેની માવજત કરો, તેનો વિકાસ નિહાળો. તેમાં ફૂલ, ફળ કે શાક ઉગશે ત્યારે એ જોઈ, તેને સ્પર્શી પણ તમે કુદરત સાથે તાદાત્મ્ય કેળવ્યાની લાગણી પ્રત્યક્ષ અનુભવી શકશો. સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, તાજી હવા, કુમળો તડકો, માટી, લીલોતરી આ બધાં પણ કુદરતના સ્વરૂપ છે.


તે તમે ઘરે રહીને પણ માણી શકો છો. ઘાસ પર ચાલો. માટીમાં રમો, આંગળીઓને ભીની માટી નો સ્પર્શ થવા દો. વહેલા ઉઠો. વહેલી સવારે કે સાંજે ચાલવા જાઓ. માટીના વાસણો વસાવો. પંખીઓનો કલરવ, દરિયાના મોજાનો ઘૂઘવતો ધ્વનિ, નદીઓનો ખળખળ સ્વર વગેરે રેકોર્ડ કરી કે ઓનલાઈન જઈ સાંભળો. ઘરમાં છોડ - વેલા વગેરે વાવો. રોજ તેને પાણી પાઓ. ઉંડા શ્વાસ લો. તારા નિહાળો. બારી ખુલ્લી રાખો. સ્વચ્છ હવા અને સૂર્ય પ્રકાશ ઘરમાં આવવા દો. કુદરત સાથે કનેક્શન બનાવો અને જુઓ જીવનમાં કેવું પરિવર્તન આવે છે.