Translate

લેબલ 'blog' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'blog' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 5 નવેમ્બર, 2022

પ્રચાર અને પ્રસાર માધ્યમોની જવાબદારી

 લોકશાહીના ચાર આધારસ્તંભ છે : ન્યાયપાલિકા (Judiciary), કાર્યકારી મંડળ / અધિકારી વર્ગ (Executive), પ્રસારમાધ્યમ (Media) અને સંસદ / વિધાનસભા (Legislature). પ્રસારમાધ્યમ અને પ્રચારમાધ્યમની એક વિશેષ જવાબદારી છે. પત્રકારો વિશ્વભરના સમાચાર નિષ્ઠા પૂર્વક આપણાં સુધી પહોંચાડવાની પવિત્ર ફરજ બજાવે છે. પરંતુ દરેક ક્ષેત્રની જેમ અહીં પણ સ્પર્ધા મોજૂદ છે. સૌથી પહેલાં સમાચાર લોકો સુધી પહોંચાડવાની ઉતાવળમાં ક્યારેક પત્રકારો પોતાની નૈતિક જવાબદારી ભૂલી જાય છે. માત્ર ક્વોટા પૂરો કરવા કે ટાર્ગેટ પહોંચી વળવા સમાચાર સાચા છે કે ખોટા તેની ચકાસણી પણ કર્યા વગર એ લોકો સુધી પહોંચાડી દે છે. આ મુદ્દે આજે થોડી વાત કરવી છે.

  સેલિબ્રિટીઓનું જીવન ઘણી વાર મુશ્કેલ બની જતું હોય છે. તેમની અંગત વાતો પણ લોકો સુધી પહોંચાડવા પત્રકારો ચડસાચડસી કરતાં હોય છે. ઘણી વાર કોઈ સેલિબ્રિટી મુશ્કેલ દોર માંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે પણ તેની નાની મોટી, સાચી ખોટી અનેક વાતો પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં ચમકતી રહે છે. લોકોને પણ આવી વાતોમાં ખૂબ રસ પડતો હોય છે. કેટલીક વાર તો સેલિબ્રિટી ખુદ પણ લોકોની નજરમાં રહેવા માટે પોતાની વાતો ચગાવતા હોય છે. તો ઘણી વાર પત્રકારો હદ ઓળંગી જતા હોય છે અને કેટલીક વાર  ઔચિત્ય અને માનવતાની તમામ હદ ઓળંગીને માત્ર પોતાના કે પોતાના પ્રકાશન કે સંસ્થાના નામ અને સ્વાર્થ માટે થઈ સાવ વજૂદ વગરના સમાચાર જાહેર કરી દેતા હોય છે.

  પપ્પા છેલ્લાં નવેક મહિનાથી થોડા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે અમને સારા - માઠાં એમ બન્ને પ્રકારના અનુભવ થયાં છે. જન્મભૂમિ અખબારની મારી પોતાની કટાર દ્વારા હું તેમની તબિયતના અને હકારાત્મકતાનાં સમાચાર તમારા સૌ સાથે સમયાંતરે પહોંચાડતો રહ્યો છું. અન્ય પણ ઘણાં માધ્યમો દ્વારા ગત વર્ષે તેમની સર્જરી થઈ ત્યારે એ સમાચાર સારી અને સાચી રીતે પ્રકાશિત થયા હતા. કોરોનાના કપરા કાળમાં લોકોને ઉત્સાહ અને હકારાત્મકતા જાળવી રાખતાં પપ્પાના ઘણાં સંદેશાઓ અને તેમની જીવન યાત્રા અને સંઘર્ષની કહાણી પણ એક ગુજરાતી અખબારમાં છપાઈ અને પછી વાઈરલ થઈ.

પણ નવેક મહિના અગાઉ તેમની સર્જરી બાદ તેઓ સામેથી કેટલાક પત્રકારોને ગુજરાત ખાતે મળ્યાં જ્યાં અમે માતાજીના દર્શને ગયા હતા. ત્યારની તેમની તસ્વીરમાં તેઓ થોડાં અશક્ત જણાતાં હતાં એ તસ્વીર પ્રગટ કરી કેટલાકે એવી વાત ઉડાડી કે નટુકાકા એ તારક મહેતા શો છોડી દીધો છે. એ સમયે કેટલાક પાત્રોની સિરિયલમાં અદલાબદલી થઈ હશે અને આ સિરિયલ છેલ્લાં ઘણાં સમયથી ટોપ દસ કે પાંચમાં રહેતી આવી છે એટલે તેને લગતાં કોઈક ને કોઈક સમાચારો પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં ચમકતા જ રહે છે. પણ કોઈક પાત્ર તબિયત નાદુરસ્ત હોવાને લીધે સિરિયલમાં દેખાઈ ન રહ્યું હોય એટલે તેના વિશે ગપગોળા ફેંકવાના? પપ્પાની એ તસવીરો ચમકાવી એટલે કેટલાકે એમને ટ્રોલ કરવાનો પણ પ્રયાસ કર્યો. આ જ તસ્વીરો સાથે એક મરાઠી વેબ પોર્ટલે તો હદ કરી નાખી! તેમણે લખ્યું કે નટુકાકા ને ખાવાના સાં સાં છે અને તેઓ એક જ સમય નું ભોજન પામે છે! તેઓ બેકાર થઈ ગયા છે... એક અંગ્રેજી અખબારમાં છપાયેલ પપ્પાના ઇન્ટરવ્યૂનું અતિ નબળું, બેહુદું અને ખોટું ભાષાંતર આ પોર્ટલે કર્યું હતું. વળી એ લેખનું ટાઇટલ અતિ નકારાત્મક હતું પણ સમાચારની અંદર કંઈક ભળતી જ વાત લખી હતી. એ પત્રકાર કે પોર્ટલ સાથે સંકળાયેલી વ્યક્તિએ ટાઇટલ અને લેખ ના કન્ટેન્ટ ને મેચ કરવા જેટલી તસ્દી પણ લીધી નહોતી. થોડાં સમય બાદ એક અગ્રગણ્ય ગુજરાતી અખબારે પણ આ જ સૂર ધરાવતો અહેવાલ છાપ્યો જેમાં લખ્યું હતું કે ઘનશ્યામ નાયક બેકાર બેઠાં છે અને આર્થિક સંકટ માંથી પસાર થઈ રહ્યા છે. એ વાંચી કેટલાયે લોકોએ ફોન કર્યા. આ ગુજરાતી અખબાર ના પત્રકાર જેણે એ લેખ છાપ્યો એ એકાદ ફોન કરી તથ્ય ચકાસવાની જહેમત ઉઠાવી શક્યા હોત.

   બે સપ્તાહ અગાઉ મેં પપ્પાની હકારાત્મકતા બિરદાવતો એક બ્લોગ લેખ લખ્યો હતો તેના આધારે ફરી પપ્પાની તબિયતને લગતા સમાચાર ચર્ચાએ ચડ્યા અને કેટલાક બેજવાબદાર પત્રકારોએ જૂના કોઇક ઇન્ટરવ્યૂમાં પપ્પાએ કહેલી વાત કે 'તેમની ઈચ્છા તેમનું મૃત્યુ ચહેરા પર મેઇક અપ સાથે થાય' ને તેમની હાલની તબિયત સાથે જોડી એવાં ટાઇટલ સાથે સમાચાર વહેતા કર્યા કે નટુકાકાની અંતિમ ઈચ્છા તેમણે જાહેર કરી છે! આ વાંચી કંઈ કેટલાયે લોકો ના ફોન આવ્યાં છે અને તેનો જવાબ આપતાં આપતાં અમે થાકી ગયાં છીએ.

  અખબારો અને પત્રકારોએ તથ્યોની ચકાસણી કર્યા બાદ જ કોઈ પણ સમાચાર છાપવા જોઈએ. કારણ આજ ના ઇન્ટરનેટ ના યુગમાં કોઈ પણ સમાચાર વાઈરલ થઈ જતાં વાર નથી લાગતી, આવે સમયે પ્રસાર અને પ્રચાર માધ્યમોની જવાબદારી બેવડી થઈ જાય છે.  

શનિવાર, 26 નવેમ્બર, 2016

બ્લોગ... : પરિચય

બ્લોગ એટલે તમારી એવી 'ડાયરી' જે તમે ગમે ત્યારે,ગમે ત્યાંથી લખી શકો છો 'ઓનલાઈન' એટલે કે 'ઇન્ટરનેટ' પર.
તમારું એવું પોતીકું વિશ્વ છે, તમારી એવી પોતાની જગા છે જ્યાં તમે તમારા મનગમતા ગમે તે વિષય પર તમારા સ્વતંત્ર વિચારો વ્યક્ત કરી શકો છો. વિચારો જગતનાં ખૂણે ખૂણે પહોંચી જાય છે ઇન્ટરનેટ દ્વારા. અને તમારા બ્લોગના વાચકો તમારા બ્લોગ વિશે કે તમે રજૂ કરેલા મુદ્દા વિષે તેમના વિચારો પણ વ્યક્ત કરી શકે છે 'કમેન્ટસ' દ્વારા. 'કમેન્ટસ' તમે અન્ય વાચકો વાંચી શકે કે નહિં તે નક્કી કરવાની પણ સ્વતંત્રતા ધરાવો છો.
તમે અહિં ભારતમાં તમારે ઘેર બેઠા બેઠા વિશ્વમાં બનેલી કોઇક ઘટના વિશે તમારા વિચારોનો પડઘો પાડી શકો અને તેના વિશે અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના ખૂણે બેઠેલું કોઇક તરત તે વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, તરત ! છે ને મજા પડે તવું બ્લોગનું વિશ્વ?
તમારો પોતાનો બ્લોગ બનાવવા માટે આજે અનેક 'વેબસાઇટ' ઉપલબ્ધ છે.તમે ગમે તે વિષય પર બ્લોગ બનાવી કે લખી શકો છો. તમે તમારા બ્લોગમાં ફોટા પણ મૂકી શકો છો.ફક્ત તસ્વીરોનાં પણ બ્લોગ કેટલાક કલાકારો બનાવે છે. અમિતાભ બચ્ચન, આમિર ખાન જેવા કલાકારો પણ નિયમિત બ્લોગ લખે છે. રોજનાં લાખો નવા લોકો પોતાના બ્લોગ બનાવી બ્લોગ-વિશ્વમાં પ્રવેશે છે.
'બ્લોગને ઝરૂખેથી' દ્વારા હું પણ નિયમિત છેલ્લા સાત-આઠ વર્ષથી મારા વિચારો,અવનવી માહિતી અને ગેસ્ટબ્લોગ દ્વારા તમારા વાચકોના વિચારોને વાચા આપતો રહ્યો છું જેના પ્રોત્સાહક પ્રતિભાવ દેશ-વિદેશમાંથી મળતા રહે છે અને યાત્રા ચાલુ રાખવાનું પ્રેરક બળ પૂરું પાડતા રહે છે.
કટારમાં છપાતા દરેક બ્લોગ તમે http://blognezarookhethee.blogspot.com વેબસાઈટ પર જઈને પણ વાંચી શકો છો. તમે કંઈ પણ રસપ્રદ એવી બાબત કે વાત કટારના માધ્યમથી બીજાઓ સાથે વહેંચવા માગતા હોવ તો તમારા વિચારો સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખી જન્મભૂમિના સરનામે 'બ્લોગને ઝરૂખેથી' એવા મથાળા સાથે મોકલી શકો છો  અથવા ગુજરાતીમાં ટાઈપ કરી મારા ઇમેલ એડ્રેસ  vikas.nayak@gmail.com  પર પણ મને મોકલી શકો છો. જરૂરી સુધારાવધારા સાથે લેખ હું અહિં ગેસ્ટ્બ્લોગ તરીકે છાપવાનો પ્રયત્ન કરીશ, જે અહિં છપાયા બાદ બ્લોગ તરીકે ઉપર જણાવેલ વેબસાઈટ પર પણ પ્રકાશિત કરવામાં આવશે. તમને  કટાર વિશેના તમારા મંતવ્યો/અભિપ્રાય પણ જન્મભૂમિના સરનામે અથવા મારા ઇમેલ એડ્રેસ પર લખી મોકલાવવા આમંત્રણ છે.


- વિકાસ ઘનશ્યામ નાયક

રવિવાર, 14 ઑક્ટોબર, 2012

તમારો પોતાનો બ્લોગ કઈ રીતે બનાવશો?

પ્રતિભાવ:


ચિ. વિકાસભાઇ,

તમારા બ્લોગને ઝરુખે અવશ્ય ડોકિયુ કરું છું. તમને ચિરંજીવ સંબોધનથી કદાચ નવાઇ લાગશે, તમારા ફોટા ઉપરથી તમે ૩૦-૩૫ વયના લાગો છો એટલે તમને ચિ. નુ સંબોધન કર્યુ છે. મારી ઉમર ૭૫ વર્શની છે એટલે આમ સંબોધવાની છૂટ લીધી છે. તમારા હેતુલક્ષી હોય છે. જે લોકોને પ્રેરણા રુપ તેમજ જ્ઞાનવર્ધક બને છે.

હું અવારનવાર મુંબઇ સમાચાર તેમજ જન્મભૂમિમાં મારા, હાલની આમ આદમીની વ્યથાઓ બાબતે મત પ્રદર્શીત કરતો હોવછું. મારા વાચકો તેમજ ચાહકોનુ કહેવુ છે કે મારે પણ બ્લોગ બનાવી મારા વિચારોને વહેતા કરવા જોઇએ. મારા લખાણોથી પ્રભાવીત એક વાચકે મને કોંપ્યુટર ને પ્રિંટર ભેટ કર્યા છે. મારા મકાનના એક વ્યવસાયે સી.એ. છે તે તેમજ તેમની સુપુત્રીએ મને કોંપ્યુટર ચલાવાનુ જ્ઞાન આપ્યુ તેમજ જ્યારે જરૂર પડ્યે સહાય તે બાબતેની આજ લગી પણ આપે છે. તો આપશ્રીને પણ એક વિનંતી કરવાને પ્રેરાયો છું કે જો તમે બ્લોગને કેવીરીતે ઓપરેટ કરવો તે શિખવાડશો તો આભારી થઇશ.

લી. રમેશ મોતીલાલ બંગાળી શુભ આશિષ.

**************************

રમેશ કાકાનો પ્રથમતો પ્રતિભાવ લખી મોકલવા બદલ આભાર! તેમણે મારી ઉંમર સાચી કલ્પી છે! ૧૯મી ઓક્ટોબરે હું ચોત્રીસ વર્ષ પૂરા કરીશ!હવે તેમની બ્લોગ બનાવવાની ઇચ્છાને માન આપી આજે હું સર્વે વાચકમિત્રોના લાભાર્થે તમે પોતાનો બ્લોગ કઈ રીતે બનાવી શકો તેની માહિતી પૂરી પાડીશ.

- વિકાસ ઘનશ્યામ નાયક

બ્લોગ શું છે?

બ્લોગ એટલે તમારી એવી 'ડાયરી' જે તમે ગમે ત્યારે,ગમે ત્યાંથી લખી શકો છો 'ઓનલાઈન' એટલે કે 'ઇન્ટરનેટ' પર.

આ તમારું એવું પોતીકું વિશ્વ છે, તમારી એવી પોતાની જગા છે જ્યાં તમે તમારા મનગમતા ગમે તે વિષય પર તમારા સ્વતંત્ર વિચારો વ્યક્ત કરી શકો છો.આ વિચારો જગતનાં ખૂણે ખૂણે પહોંચી જાય છે ઇન્ટરનેટ દ્વારા. અને તમારા બ્લોગના વાચકો તમારા બ્લોગ વિશે કે તમે રજૂ કરેલા મુદ્દા વિષે તેમના વિચારો પણ વ્યક્ત કરી શકે છે 'કમેન્ટસ' દ્વારા. આ 'કમેન્ટસ' તમે અન્ય વાચકો વાંચી શકે કે નહિં તે નક્કી કરવાની પણ સ્વતંત્રતા ધરાવો છો.

તમે અહિં ભારતમાં તમારે ઘેર બેઠા બેઠા વિશ્વમાં બનેલી કોઇક ઘટના વિશે તમારા વિચારોનો પડઘો પાડી શકો અને તેના વિશે અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના ખૂણે બેઠેલું કોઇક તરત તે વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, તરત જ ! છે ને મજા પડે તવું બ્લોગનું વિશ્વ?

http://vikasgnayak.blogspot.com - આ વેબ-એડ્રેસ પર હું છેલ્લા થોડા વર્ષથી અંગ્રેજીમાં બ્લોગ લખું છું જેનું ગુજરાતી ભાષાંતર સ્વરૂપ એટલે જન્મભૂમિની આ 'બ્લોગને ઝરૂખેથી...' કટાર.અહિં છપાયેલ બ્લોગ http://blognezarookhethee.blogspot.com આ વેબ-એડ્રેસ પર પણ ગુજરાતીમાં પ્રકાશિત થશે. તમે પણ તમારાં વિચારો-પ્રતિભાવો વગેરે લખી મોકલી શકો છો.યોગ્ય લાગશે તો મહિનામાં એક વાર ગેસ્ટ-બ્લોગ સ્વરૂપે તે અહિં છપાશે.

તમારો પોતાનો બ્લોગ શરૂ કરવા www.blogger.com વેબસાઈટ પર જઈ નવું અકાઉન્ટ ખોલો એટલે કે રજિસ્ટ્રેશન કરી તમારું નવું આઈ.ડી. બનાવો.જો તમારૂં www.gmail.com www.orkut.com પર અકાઉન્ટ/આઈ.ડી. હોય તો તમારે બ્લોગર વેબસાઈટ પર ફરી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી.તમારા અકાઉન્ટમાં લોગ ઇન કરી 'More' મેનુ માંથી 'Blogger' ઓપ્શન પસંદ કરી તેના પર ક્લિક કરશો એટલે આપોઆપ તમને નવા વેબપેજ પર લઈ આવશે જ્યાં તમે નવો બ્લોગ શરૂ કરી શકશો.

જેવી જ બીજી પણ ઘણી વેબ્સાઈટ્સ ઉપલબ્ધ છે જેના પર તમે તમારો પોતાનો બ્લોગ બનાવી શકો છો.જેમકે 'www.wordpress.com'

તમારો પોતાનો બ્લોગ શરૂ કરવા www.blogger.com વેબસાઈટ પર જઈ નવું અકાઉન્ટ ખોલો એટલે કે રજિસ્ટ્રેશન કરી તમારું નવું આઈ.ડી. બનાવો.જો તમારૂં www.gmail.com www.orkut.com પર અકાઉન્ટ/આઈ.ડી. હોય તો તમારે બ્લોગર વેબસાઈટ પર ફરી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી.તમારા અકાઉન્ટમાં લોગ ઇન કરી 'More' મેનુ માંથી 'Blogger' ઓપ્શન પસંદ કરી તેના પર ક્લિક કરશો એટલે આપોઆપ તમને નવા વેબપેજ પર લઈ આવશે જ્યાં તમે નવો બ્લોગ શરૂ કરી શકશો.

એક વાર તમારો બ્લોગ બની જાય એટલે તેમાં 'New Post' ઓપ્શન પસંદ કરી તમે નવો લેખ લખી પોસ્ટ કરી શકો છો.પ્રાયવેસી સેટીંગ પબ્લિક રાખ્યું હોય તો તમે જેવો તમારો બ્લોગ પબ્લિશ કરો એવું આખું જગત એ વાંચી શકે એમ ઇન્ટરનેટ પર મૂકાઈ જાય છે.બ્લોગમાં તમે તસવીરો પણ અપલોડ કરી શકો છો.બ્લોગ સાથે જે વિષય પર તમે લખ્યું હોય તેને લગતાં કેટલાક મહત્વના શબ્દો 'લેબલ' તરીકે જોડો એટલે તમારા બ્લોગની પહોંચ અનેક ગણી વધી જાય છે કારણ આમ કરવાથી તે ઘણાં બધાં સર્ચ એન્જીન્સના રીઝલ્ટ પેજમાં દેખાવા માંડે છે.દા.ત.મારો ફ્લેશ મોબ ડાન્સ વાળો બ્લોગ હતો તેમાં મેં લેબલ્સ લખ્યા હતાં : 'blog ne zarookhe thee', 'flash mob', 'gujarati blog', 'janmabhoomi pravasi', 'mob dance', 'vikas ghanshyam nayak', 'vikas nayak'

બ્લોગની ડીઝાઈન પણ તમે પોતે પસંદ કરી શકો છો જે દ્વારા તમારો બ્લોગ પબ્લિશ થયા બાદ કેવો દેખાશે એ તમે નક્કી કરી શકો છો.બ્લોગ પેજ ઉપર તમે એડવર્ટાઈઝમેન્ટ્સથી માંડી,ડિક્ષનરી,રમત,સામાન્ય ગ્ન્યાનને લગતી માહિતી,તમારો અંગત સંક્ષિપ્ત પરિચય,ફોટો,અનુક્રમણિકા, અભિપ્રાય માટે બોક્સ/,વાચકો તમારા નવા બ્લોગ પબ્લિશ થયાની જાણ તેમના ઇન્બોક્સમાં ઇમેલ દ્વારા થાય તેવી સુવિધા માટેનું ઓપ્શન (જેને સબ્સ્ક્રાઈબ કર્યું કહેવાય) વગેરે અનેક ચીજ-વસ્તુઓ મૂકી શકો છો અને તમારો બ્લોગ વધુ લોકપ્રિય બનાવી શકો છો.વધુમાં વધુ હીટ્સ મેળવવાની મુખ્ય ચાવી છે નિયમિત લખતા અને પબ્લિશ કરતાં રહેવું.

ઘણાં લોકો પોતાના ખાસ હેતુલક્ષી બ્લોગ પણ બનાવે છે.જેમકે એક ગ્રુહિણી પોતાનો વાનગીનો બ્લોગ શરૂ કરી તેના પર રોજ કે દર અઠવાડિયે નવી નવી વાનગીની રીત લખી પબ્લિશ કરે છે.કોઈ કવિ પોતાનો બ્લોગ બનાવી પોતાની કવિતાઓ નિયમિત પોસ્ટ કરે છે.તો કોઈ ફોટોગ્રાફર પોતાની તસવીરો બ્લોગ પર રોજેરોજ પબ્લિશ કરે છે.

આજનો બ્લોગ વાંચીને તમને પણ તમારો બ્લોગ બનાવવાનું મન થઈ જાય અને તમે તમારો પોતાનો બ્લોગ બનાવો તો મને જાણ કરવાનું ભૂલતા નહિ!