Translate

રવિવાર, 31 મે, 2015

ગેસ્ટ બ્લોગ : વેલાસ ખાતે દરિયાઈ કાચબા ઉછેરનો એક નવતર પ્રયાસ


                                                                        -  ડૉ.વંદનાચોથાણી

નિસર્ગ પાસે જવાથી મનુષ્યનું મન શાંત થાય છે.

ખળખળ વહેતું ઝરણું,દરિયાનો ઘુઘવાટ, જંગલનાંપક્ષીઓના કલરવથી માનસનું હ્રદય પુલકીત થાય છે. તણાવમુક્ત થવાનો સૌથી આસાન રસ્તો એટલે નિસર્ગનો સંસર્ગ કરવો. મૃદુતાનો ગુણ મનુષ્યમાં કેળવવાનો રાજમાર્ગ તેમની કિશોરાવસ્થામાં તેમને જીવંતસૃષ્ટિનાં ઉછેર, સંવર્ધન કે સુશ્રુષામાં રોકવામાં આવે તે છે. આવો જ એક પ્રયોગ વેલાસ-શ્રીવર્ધન અને તેના આજુબાજુનાં ગામોમાં થાય છે.

શનિ-રવિની રજાનો સદુપયોગ કરવા અમે શનિવારની સવારે શ્રીવર્ધન તરફ જવા નીકળ્યા. વેલાસ-શ્રીવર્ધન કોંક્ણમાં આવેલું અતિ સુંદર દરિયાકિનારાની નજીક આવેલું ગામ છે. જે મુંબઈથી લગભગ ૧૮૦ કિ.મી. દૂર છે. ત્યાં "સહ્યાદ્રિ નિસર્ગ મિત્ર મંડળ" નામની એક બિનસરકારી સંસ્થા છે જે  દરિયાઈ કાચબા(Turtle) ઉછેર કેન્દ્ર ચલાવે છે. તેમણે દરિયાકિનારે ૩૦x૩૦ ફુટની જગ્યામાં જાળી બાંધી છે. તેમાં ખાડો કરીને દરિયાઈ કાચબાનાં ઈંડાને સંભાળીને મૂકે છે. આ ઈંડા દરિયાકિનારાની અલગ-અલગ જગ્યાઓ પરથી શોધીને લાવવામાં આવે છે. માદા દરિયાઈ કાચબો એક વખતમાં લગભગ ૮૫ થી ૧૫૦ ઈંડા મૂકે છે. આ ઈંડા ભેગા કરીને તેઓ ત્યાં ખાડા ખોદીને સુરક્ષિત રીતે તેમાં મૂકે છે અને એના ઉપર કેટલા ઈંડા આ ખાડામાં મુક્યા છે અને કઈ તારીખે મુક્યા છે તેની કાપલી લાકડીમાં ભરાવે છે.  કુલ ઈંડામાંથી ૪૫-૫૦% બચ્ચા જન્મે છે. ૧૦૦૦ બચ્ચામાંથી એક જ બચ્ચુ પુખ્ત ઉંમર સુધી પહોંચે છે. તેમની પુખ્ત ઉંમર એટલે ૧૫ થી ૧૮વર્ષ. આ બાદ તે જ્યાં જન્મ્યું હોય એ જ જગ્યા પર આવીને પાછું ત્યાં જ ઈંડા મૂકે છે. તેમનો જીવતા રેહવાનો અને પુખ્ત ઉંમર સુધી પહોચવાનો દર ખૂબ જ ઓછો છે. તેથી તેમનું રક્ષણ કરવું જરૂરી બને છે. ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં વેલાસમાં એક ઉત્સવ ઉજવાય છે જેનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો, દરિયાઈ કાચબાનું રક્ષણ કરવાનો અને ઈંડાને સુરક્ષિત જગ્યામાં મૂકવાનો કે જ્યાંથી શિકારીઓ જેવા કે કુતરા, સાપ, નોળિયા, કાગડાઓ, બાજપક્ષી અને મનુષ્યથી તેમને બચાવી શકાય.  -૩ મહિનામાં ઇંડામાંથી  દરિયાઈ કાચબાનું બચ્ચુ બહાર આવે છે, જે તે ખાડામાંથી નીકળીને સપાટી પર આવે છે. નિસર્ગ મિત્ર મંડળના સ્વયંસેવકો ખાડા ઉપર સુંડલો ઢાંકે છે. જે સવારે ૭વાગ્યે અને સાંજનાં ૬ વાગ્યે ખોલે છે અને જુએ છે કે કેટલા બચ્ચા બહાર આવ્યા છે. આ સમયે મુલાકાતીઓ બહારથી જાળીમાંથી જોઈ શકે છે. જો બચ્ચા બહાર નીકળ્યા હોય તો સુંડલામાં નાખીને તેઓ દરિયાકિનારા પર પાણીથી ૧૦૦-૧૫૦ ફુટ બચ્ચાને બહાર મૂકે છે. જ્યાંથી નૈસર્ગિક રીતે જ બચ્ચાઓ દરિયા તરફ ચાલવાનું શરૂ કરે છે અને દરિયામાં જાય છે. મુલાકાતીઓ આજુબાજુથી આ સુંદર દ્રષ્ય-ઘટના જુએ છે,  ફોટો ક્લિક કરે છે અને વીડિયો રેકૉર્ડિંગ કરે છે.

આ ગામમાં પર્યટકોને રહેવા માટે હોમસ્ટે (સ્થાનિક રહેવાસીઓના ઘરમાં રહેવાની સગવડ) છે. એટલે ગામનાં રહેવાસીઓના ઘરે જ ૧૦-૧૫ પર્યટકો રહે છે. ત્યાં ૨ વખત જમવાનું, ૨ વખત ચા અને સવારનો નાસ્તો રૂ|.૪૫૦માંઆપેછે.   અભિનવ પ્રયાસને ટાટા કન્સલટન્સી સર્વીસીઝ સંસ્થાનો સારો એવો સહકાર સાંપડ્યો છે. 

- ડૉ.વંદનાચોથાણી

રવિવાર, 24 મે, 2015

મરણ પછીનું માન


"ઉગતા રવિ ને સૌ કોઈ પૂજે..." કહેવતને એક કદમ હજી આગળ લઈ જતા હું કહીશ આપણો સમાજ મનુષ્યની જીવતાજીવ યોગ્ય કદર કરતા તેના મૃત્યુ બાદ તેના માટે ઘણુંબધું કરી છૂટવા તત્પર બની જતો હોય છે.

૪૨ વર્ષ સુધી યાતનામય જીવન કોમામાં રહીને જીવનારી નર્સ અરુણા શાનબાગ આખરે થોડા દિવસ અગાઉ  પરમધામે  જવા રવાના થઈ. ઇશ્વરને ખરા હ્રદયપૂર્વક પ્રાર્થના કે હવે તેના આત્માને શાંતિ બક્ષજે... તેના પર ૧૯૭૩માં બળાત્કાર કરનાર સોહન વાલ્મિકી નામના નરપિશાચને દિવા જેવો સ્પષ્ટ મામલો હોવા છતાં તે સમયે માત્ર સાત વર્ષની સજા ફટકારી છોડી મૂકવામાં આવ્યો. તેના કરતા ગણી લાંબી સજા નિર્દોષ નર્સ અરુણાએ કોમામાં જીવતા રહી ભોગવી. તે સમયે પણ સ્પષ્ટ થઈ ગયું હતું કે અરુણા સાથે અનૈસર્ગિક સંભોગ થયો હતો છતાં સોહનલાલ પર બળાત્કારની કલમ લગાવાઈ નહોતી અને હવે આટલા વર્ષો બાદ અરુણા ગુજરી ગયા બાદ સોહનલાલને ફરી શોધી તેના પર મર્ડરની કલમ લગાવવાની વાતો ચાલે છે! જોકે એમ થાય તો પણ મને આપણાં ન્યાયતંત્રના કેટલાક તાજેતરના સલમાન ખાન , જયલલિતા, સત્યમના રામલિંગ રાજુ વગેરે નાં દાખલા જોતા લાગે છે સોહનલાલને જામીન મેળવવામાં મુશ્કેલી નહિ પડે! અથવા  નીચલી કોર્ટે તેને સજા ફટકારી તો પણ સર્વોચ્ચ ન્યાયાલયનો અંતિમ નિર્ણય આવતા સુધીમાં તે હજી સુધી કદાચ મરી ગયો નહિ હોય તો તેને કુદરતી મોત વહેલું  આવી જશે!

મહમ્મદ રફી સાહેબને આટલા વર્ષો બાદ મરણોત્તર ભારત રત્ન આપવાનું સૂચન થયું છે. તેમના પ્રત્યે અને તેમની અજોડ મહાન ગાયકી વિષે કોઈ બેમત હોઈ શકે પણ હવે આવા મરણોત્તર સન્માનનો કોઈ અર્થ ખરો? પણ તેમના મૃત્યુના આટલા વર્ષો બાદ? વ્યક્તિ જીવતી હોય ત્યારે તેની યોગ્ય કદર થયાનાં અગણિત દાખલા આજે સમાજમાં પ્રવર્તમાન છે. કેટલાક ઘરડા કલાકારોની સ્થિતી જુઓ. તેમની જીવતેજીવ યોગ્ય કદર કરવાની જગાએ મરણ પામેલી વ્યક્તિનું સન્માન કરવું મારે મત તદ્દન વ્યર્થ છે.

માબાપ જીવતા હોય ત્યાંસુધી તેમને હડધૂત કરી તેમના મરણ બાદ શ્રાદ્ધ વખતે કાગડાઓને ખીર-પુરી ખવડાવી પોતાની ફરજ પૂરી કર્યાં નો સંતોષ માનતા સંતાનો જીવતા જ તેમને સઘળાં સુખસાહ્યબી આપવાનું કેમ નહિ વિચારતો હોય?જો એમ થાય તો બધાં જ ઘરડાંઘર બંધ થઈ જાય.

એક વરવી વાસ્તવિકતા છે કે ઘણી બાબતો,વસ્તુઓ કે વ્યક્તિઓની કિંમત આપણને તેની ગેરહાજરીમાં કે તેને ગુમાવ્યાં બાદ જ સમજાય છે.પણ એ હકીકત જલદી સમજાઈ જાય તો જાગ્યા ત્યારથી સવાર સમજી સામેનાં દરેક પાત્રની વેળાસર કદર કરવામાં બિલકુલ ઢીલ કરવી જોઇએ નહિ.

આવા જ વિષયને લગતી ગુજરાતી કવયિત્રી લતા હિરાણી લિખીત એક અતિ સરળ પણ સચોટ અને અર્થસભર કવિતાઅત્યારે ...જે  મારી કટાર 'ઇન્ટરનેટ કોર્નર'માં હું થોડા સમય અગાઉ રજૂ કરી ગયો છું,  તે 'બ્લોગને ઝરૂખેથી...' ના વાચકો સાથે શેર કરી આજના બ્લોગનું સમાપન કરું છું :

હું મૃત્યુ પામીશ

અને તું ફૂલો મોકલીશ

જે હું જોઇ નહી શકું

તું હમણાં ફૂલો મોકલ ને!

 

હું મૃત્યુ પામીશ

 અને તારા આંસુ વહેશે

જેની મને ખબર નહી પડે

તું અત્યારે થોડું રડ ને!

 

હું મૃત્યુ પામીશ

અને તું મારી કદર કરીશ

જે હું સાંભળી નહી શકું

તું બે શબ્દો હમણાં બોલ ને !

 

હું મૃત્યુ પામીશ

અને તું મારા દોષો ભૂલી જઈશ

જે હું જાણી નહી શકું

તું મને હમણાં માફ કરી દેને!

 

હું મૃત્યુ પામીશ

અને તું મને યાદ કરીશ

જે હું અનુભવી નહી શકું

તું મને અત્યારે યાદ કર ને!

 

હું મૃત્યુ પામીશ

અને તને થશે...

મેં એની સાથે થોડો વધારે સમય વિતાવ્યો હોત તો...

તો તું અત્યારે એવું કર ને!

શનિવાર, 23 મે, 2015

ક્રોધ


"અરે દિખતા નહિ ક્યા..." બોલી અતિ ક્રોધમાં મરાયેલા ધક્કાને કારણે પાંસઠેક વર્ષનો વૃદ્ધ આદમી મુંબઈ લોકલના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં મારી અને અન્ય પ્રવાસીઓ પર પડતા પડતા રહી ગયો. મને ઝટકો લાગ્યો. કારણ હડસેલો મારનાર સોફેસ્ટીકેટેડ દેખાતો યુવાન વડીલ કરતા અડધી ઉંમરનો હશે. ધક્કો માર્યા બાદ પણ તેના મોઢા પર પસ્તાવાનો છાંટો યે દેખાતો નહોતો. મેં વડીલનો પક્ષ લઈ સહેજ ઉંચા અવાજે પેલા અસંસ્કારી યુવાનને ધમકાવતા કહ્યું કે આવું અમાનવીય વર્તન કરતા પહેલા તેણે સામે વાળી વ્યક્તિની ઉંમર જોવી જોઇએ. તેણે બચાવ કરતા ઉંચા અવાજમાં જ જવાબ આપ્યો કે પેલા માણસે તેના હાથ પર એટલા જોરથી દબાણ આપ્યું કે તેને ફ્રેક્ચર થઈ જાત. બોલતી વખતે પણ તેના ચહેરા પરના ભાવ જરા સરખા પણ બદલાયા નહોતા. ઝંખવાણા પડી ગયેલા પેલા વયસ્કે ધક્કો લાગ્યો કે તરત સામો પ્રતિકાર કરવા હાથ ઉગામવાની કોશિષ કરી હતી પણ ગરમ લોહી ધરાવતા યુવાનિયા સામે નમતુ ઝોખી આખરે તે ડબ્બામાં અંદર ચાલ્યા ગયા. આજુબાજુ ઉભેલા ઘણાં બધાં લોકો આ ઘટનાનાં મૂક સાક્ષી બની રહ્યાં પણ કોઈ વચ્ચે ન પડ્યું કે બોલ્યું.

મારા મિત્રે વર્ણવેલા બીજા એક કિસ્સામાં વિરાર જતી મુંબઈ લોકલમાં ચાલીસેક વર્ષનાં સ્થાનિક ગુંડા જેવા આદમીને ભૂલથી કોઈક તેનાથી દસેક વર્ષ મોટા માણસનો હાથ લાગી ગયો હશે અને તે અસામાજિક તત્વ જેવા જાનવરથીયે બદતર આદમીએ સતત સોળેક મિનિટ સુધી ભરચક ગિર્દી વચ્ચે ચાલુ ટ્રેને મીરારોડ થી નાલાસોપારા દરમ્યાન ઢોર માર માર્યો. આજુબાજુ ઉભેલા ઘણાં બધાં લોકો આ ઘટનાનાં મૂક સાક્ષી બની રહ્યાં પણ કોઈ વચ્ચે ન પડ્યું કે બોલ્યું.

દિલ્હીની સડક પર પાત્રીસ-ચાલીસ વર્ષનો એક માણસ બાઈક પર પોતાના આઠેક અને બારેક વર્ષના બે પુત્રો સાથે જઈ રહ્યો હતો અને તેનું બાઈક અન્ય કોઈ યુવાનિયાઓના બાઈક સાથે ટકરાયું અને તેમની વચ્ચેની સામાન્ય બોલાચાલી મારામારીમાં પરિવર્તીત થઈ ગઈ અને ક્રોધાંધ યુવાનોએ પેલા બે કુમળી વયનાં બાળકોની હાજરીમાં જ તેમની આંખ સામે તેમના પિતાની હત્યા કરી નાંખી.રસ્તા વચ્ચે આ બન્યું એટલે અન્ય લોકો પણ તમાશો જોઈ જ રહ્યા હશે. પણ એમાંથીયે કોઈ વચ્ચે ન પડ્યું કે બોલ્યું.

આજે ક્રોધ લોકોના જીવનનું અવિભાજ્ય અંગ બને ગયો છે અને એ સમાજ માટે ખુબ ભયજનક છે.એ પાછળ વધતી જતી વિકટ પરિસ્થીતી,મોંઘવારી,સમસ્યાઓ,ગિર્દી,ગરમી - વિષમ બનતી જતી રૂતુઓ,તાણ,પ્રદૂષણ વગેરે જેવી અનેકાનેક બાબતો કારણરૂપ હોઈ શકે છે. પણ એ ક્રોધને કારણે લેવાયેલ પગલા કે અપાયેલ પ્રતિક્રિયા બાણમાંથી છૂટેલા તીર સમાન છે.આવેશમાં લેવાયેલ પગલું કોઈની હત્યા પણ કરી શકે છે અને પછી પસ્તાવા સિવાય બીજું કંઈ કરી શકાતું નથી.આથી આપણે સૌએ ક્રોધને કાબુમાં રાખવાનું શિખવાની તાતી જરૂર છે અને સારા અને જવાબદાર નાગરિક તરીકે બે જણ વચ્ચે નજીવી બાબતે ક્રોધને કારણે ઝઘડો થઈ રહ્યો હોય ત્યારે મારે એમાં શું એવું વિચાર્યા વગર તેમને શાંત કરવાની જરૂર છે.અહિં એક જણ વચ્ચે પડશે તો સામાન્ય રીતે પછી બીજા પણ આગળ આવી મધ્યસ્થી કરી ઝઘડો શાંત પાડવાની ચોક્કસ કોશિશ કરશે.

તલવાર કે ધારીયા લઈ મારામારી કરતાં બદ-ઇસમોનાં ઝઘડામાં વચ્ચે પડવું તો મૂર્ખામી ભર્યું ગણાય અને એમાં પોતાનો જાન પણ જવાની શક્યતા રહેલી છે પણ ઉપર વર્ણવ્યાં મુજબના કિસ્સાઓમાં ચોક્કસ વચ્ચે પડી સુલેહ કરાવવાનો પ્રયત્ન ન કરી તો આપણે માણસ કહેવાવાને લાયક નથી.કદાચ એમ કરી આપણે મોટી કમનસીબ ઘટના બનતી રોકવામાં કે કોઈનો જીવ બચાવવામાં સહભાગી બની શકીએ.

એક ઘટનામાં વાંદરા સ્ટેશને બહાર એ.ટી.એમ મશીનમાંથી પૈસા ઉપાડવા જતી વખતે બે વીસ-પચ્ચીસ વર્ષનાં યુવાનોને એકબીજા પર હાથ ઉપાડતાં જોયાં.સાંજે કામેથી પોતપોતાને ઘેર પાછા ફરી રહેલાં મુંબઈ ગરાઓ વચ્ચે છડેચોક ગિર્દી વચ્ચે આમ હાથાપાઈ પર ઉતરી આવેલાં યુવાનોને જોઈ મારા સહીત ત્યાંના રીક્ષાવાળાઓ દોડી આવી વચ્ચે પડ્યાં અને તેમને પૂછ્યું કે તેઓ શા માટે મારામારી કરી રહ્યાં હતાં તો જાણવા મળ્યું કે તેઓ એકબીજાને ઓળખતા નહોતા પણ તેમાનાં એકે કોઈક વસ્તુ આપવા બીજાને મળવાનું હતું અને છેલ્લાં એક કલાકથી પેલો ફોન પર પહેલાને બસ આવું જ છું બસ આવું જ છું કહી ખોટી ખોટી રાહ જોવડાવી રહ્યો હતો અને મગજની નસ ખેંચી રહ્યો હતો.(મને તો નવાઈ લાગી કે એ બુદ્ધુને મગજ જેવી કોઈ વસ્તુ હતે કે?!)આવા ક્ષુલ્લક કારણ સર ઝઘડી રહેલા એ યુવાનો વચ્ચે જો અમે ન પડ્યા હોત તો એમાંનો એક કે કદાચ બંને ચોક્કસ હોસ્પિતલ ભેગા થયાં હોત એ ઝનૂનથી તેઓ મારામારી કરી રહ્યાં હતાં.

ખેર આવા કિસ્સાઓતો રોજેરોજ આપણે સૌ જોતા-અનુભવતા હોઈશું પણ બીજી એક ક્રોધને કાબુમાં રાખવા શિખવતા એક પુસ્તકની વાત સાથે આજનો બ્લોગ પૂરો કરીશ.એ પુસ્તક છે ઘર કરી ગયેલા ક્રોધને ધરમૂળથી ધમરોળી નાંખતી 'પોલિસી'.પંન્યાસ યશોવિજય દ્વારા લિખીત આ પુસ્તકમાં ક્રોધને કાબુમાં રાખતા શિખવતી ખુબ સરળ,રસપ્રદ અને અસરકારક રીત વર્ણવતી સિત્તેર પોલીસી વર્ણવેલી છે.સાથે સચોટ ઉદાહરણીય પ્રસંગો વર્ણવેલા છે જે વાંચવાની મજા પડે એવા છે. તદ્દન વ્યવહારૂ ટીપ્સ દ્વારા ક્રોધને નાથવાનું શિખવતું આ પુસ્તક વાંચીને ચોક્કસ આપણે ક્રોધને કાબુમાં રાખતા તો શીખી શકીશું જ પણ તેમાંથી જીવન જીવવની એક નવી દ્રષ્ટી પણ પ્રાપ્ત થઈ શકે એમ છે.પુસ્તકના પ્રકાશકની પરવાનગી માગવાની છે જો એ મળે તો આ પુસ્તકના કેટલાક અંશ આવતા સપ્તાહે બ્લોગમાં રજૂ કરીશ.