Translate

લેબલ 'positivity' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'positivity' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

ગેસ્ટ બ્લોગ : આશા

      ગઈ વખતનાં લોકડાઉન અને અનલોક વખતે સકારાત્મક સિત્તેર જેટલાં લેખોની લોકડાઉન ડાયરી લખી હતી. આ વખતે પણ લખવાની ઈચ્છા થઈ. વિચારો પણ ઘણા આવે છે પણ જ્યારે એ વિચારોને કલમ દ્વારા કાગળ પર ઉતારવા જાઉં છું ત્યારે અચાનક જ કલમની સ્યાહી આંસુ બની જાય છે. મારી આંખ સામે હોસ્પિટલમાં પ્રવેશ મેળવવા માટે એમ્બ્યુલન્સની લાંબી કતારમાં તડપતાં દર્દીઓ દેખાય છે. દવા અને ઇંજેક્શન માટે વલખાં મારતાં દર્દીઓનાં પરિવારજનો દેખાય છે. જે ઓક્સિજનની પ્રકૃતિએ છૂટે હાથે લહાણ કરી છે તે ઓક્સિજન માટે હૈયું કંપાવી દે એવાં તરફડિયાં મારતાં દર્દીઓનાં ચહેરા દેખાય છે. જીવનની અંતિમ ક્ષણોમાં અંગત સ્વજનોની ગેરહાજરીમાં જીવ છોડતાં અકળામણ અનૂભવતાં દર્દીઓનાં ચહેરા દેખાય છે. સ્મશાનની બહાર મૃતદેહોની લાંબી કતાર દેખાય છે. મૃત્યુના ભયને અવગણીને દવા, ઇંજેક્શન અને ઓક્સિજનની કાળાબજારી કરતાં લોકોનાં ચહેરા દેખાય છે. સતાની સાઠમારીમાં વ્યસ્ત નેતાઓ દેખાય છે. અત્યંત કફોડી  સ્થિતિમાં જીવતાં લાખો ગરીબ અને નીચલા મધ્યમવર્ગના લોકોનાં દયામણા ચહેરાઓ દેખાય છે. કામધંધા વગર બેકાર ફરતાં યુવાનોના નિસ્તેજ ચહેરા દેખાય છે. મારી આંખ બોઝિલ થઈ જાય છે. મારે રડી લેવું છે પણ થીજી ગયેલા આંસુઓ આંખમાંથી બહાર નથી આવતાં. મને ચીસ પાડવાનું મન થાય છે પણ

અવાજ નીકળતો નથી. ના, ના મારે પરાકાષ્ઠાએ પહોંચેલા કળિયુગ વિષે નથી લખવું. કંઈ જ નકારાત્મક લખવું નથી પણ સકારાત્મક લખું તો કઈ રીતે? આ ગાઢ અંધકારમાં જયોત પ્રગટાવવી તો કઈ રીતે?

         જે જિંદગીને હું સો વર્ષ જીવવા માંગતો હતો. વૃદ્ધત્વને માણવા માંગતો હતો તે જિંદગી અચાનક જ કેમ નીરસ લાગવા માંડી? જીજીવિષા કેમ ઓસરી ગઈ? મોત કેમ વહાલું લાગવા માંડ્યું? કંઈક મોતનાં વિચારોમાં જ હું ઘરની બહાર નીકળ્યો. ચાલતાં ચાલતાં ઘૂઘવતા સાગરની સામે આવીને

ઊભો રહ્યો. મારાં મનમાં પણ ન સહન કરી શકાય એવો વિચારોનો ઉત્પાત ચાલી રહ્યો હતો. મારી નિરાશા, મારી ઉદાસી વધુ ગહરી થાય તે પહેલાં

કોઈએ મારી સામે આવીને કહ્યું "પ્રણામ. આપ મને નહીં ઓળખતાં હોવ પણ આપનો મારાં પર એક બહુ મોટો ઉપકાર છે. ગયા વખતની આપની લોકડાઉન ડાયરીએ મને આપઘાતનાં માર્ગથી

પાછો વાળ્યો હતો. આ વખતે પણ ડાયરી ચાલુ કરો

ને? એમનો આભાર માની હું સડસડાટ ઘરે પાછો આવ્યો. કાગળ અને પેન હાથમાં લઈને હું વિચારવા લાગ્યો - હવે મારી આંખની સામે મૃત્યુના ભયને અવગણીને પંદર પંદર કલાક કામ કરતાં ભગવાન સ્વરૂપ ડોકટરોનાં ચહેરા હતાં. દેવી સ્વરૂપ નર્સોનાં

ચહેરા હતાં. કોઈ પણ જાતની સૂગ વગર દર્દીનાં

મળ-મૂત્ર અને ઉલટી સાફ કરતાં દેવદૂત સ્વરૂપ સ્વાસ્થ્યકર્મીઓનાં ચહેરા હતાં. મફતમાં ગરીબોને

અનાજ અને ફળનું વિતરણ કરતાં, મફતમાં ઓક્સિજન ભરી આપતાં, કોઈ પણ જાતના સંબંધ

વગર લાશની અંતિમક્રિયા કરતાં, સતત ફરજ બજાવતા મેડીકલ સ્ટાફ, પોલીસ અને એવાં તો

કંઈક સેવાના સેંકડો ભેખધારી આત્માઓ જે

પરમાત્માનાં અંશ સ્વરૂપ છે તેમનાં ચહેરા હતાં. ગાઢ

અંધકારને પ્રગટાવતી જયોત મને જડી ગઈ. મેં લખવાનું ચાલુ કર્યું -

ઈશ્ચર, અમારા અક્ષમ્ય અપરાધોની સજારૂપ ચાલી

રહેલાં આ વિસર્જનનાં માહોલમાં પણ તેં તારૂં સર્જન ચાલુ જ રાખ્યું છે. હું પણ સકારાત્મક વિચારોની મારી લેખન શ્રેણી ચાલુ જ રાખીશ. આશાની જયોત સદૈવ પ્રજવલિત રાખીશ. 

બસ, પછી તો કલમ સડસડાટ ચાલવા લાગી. 

   —     રોહિત ખીમચંદ કાપડિયા

ગુરુવાર, 18 જૂન, 2020

કોરોનાને માત (ભાગ - ૧ અને ૨)

ભાગ - ૧
------------
   ૭મી મે સુધી મને એમ કે હું કોરોનાથી બિલ્કુલ સુરક્ષિત છું અને મને તો એ લાગી જ ના શકે કે પછી એમ કહો કે મેં સ્વપ્નેય એવો વિચાર નહોતો કર્યો કે મને કોરોના વિષાણુ અસરગ્રસ્ત કરશે. કદાચ કારણ એ હશે કે આટલી મોટી સંખ્યામાં મુંબઈમાં એ ફેલાવા છતાં હજી સુધી હું કોઈને પ્રત્યક્ષ જાણતો હોઉં એવી કોઈ વ્યક્તિને કે મારા વિસ્તારમાં, જ્યાં હું રહું છું ત્યાં આસપાસ કે પછી ઓફિસમાં જ્યાં હું ૭ મી મે સુધી મારા એક કલીગ સાથે તેની ગાડીમાં એક છોડીને એક દિવસે સતત જતો જ હતો, ત્યાં કોઈને હજી સુધી કોરોનાનો ચેપ લાગ્યો નહોતો. પણ મારો આ ભ્રમ ભાંગવા માટે હતો.
  ૮મી મે એ મમ્મી-પપ્પાની મેરેજ એનિવર્સરી હતી, જે બહારથી ખાવાનું મંગાવી ઉજવી. બધાએ ખાધું અને અતિ ઠંડી બરફવાળી કોકાકોલા પીધી. મને આમ પણ અતિ ઠંડુ કે ગળું ખાવા - પીવામાં આવે તો તે સદતું નથી અને તબિયત તેના કારણે ક્યારેક બગડતી પણ હોય છે. પણ એ રાતે ખ્યાલ જ નહી રહ્યો અને મેં ઠંડુ કોકાકોલા બિન્ધાસ્ત ગટગટાવ્યું.
૯મી મે ના શનિવારે નાકમાંથી પાણી પડવાનું શરૂ થયું અને તાવ ચડ્યો. બે થી ત્રણ ડિગ્રી તાવ અને શરદી રૂટીનમાં થાય છે એવા જ હતાં અને અમારા ફેમિલી ડૉક્ટર સોમ થી શુક્ર જ ક્લિનિક માં આવતા હોવાથી તેમનો મોબાઇલ પર સંપર્ક સાધ્યો અને એન્ટીબાયોટિક દવા શરૂ કરી. શરદી બંધ થઈ ગઈ પણ પછી ચાર-પાંચ દિવસ સખત માથું દુખ્યા કર્યું, અને નબળાઈ વર્તાયા કરી. સોમવારે, બુધવારે, શુક્રવારે ડૉક્ટરના ક્લિનિકની રૂબરૂ મુલાકાત લીધી અને તેમની ગોળીઓ લીધી. પણ આ આખા અઠવાડિયા દરમિયાન તાવનું પ્રમાણ વધુ ન હોવા છતાં અને તે ચડ - ઉતર કરતો હોવા છતાં, નબળાઈ ચાલુ રહી અને બીજી બે સમસ્યા શરૂ થઈ - ખાવાનું બિલ્કુલ ભાવવાનું બંધ થઈ ગયું, પહેલો જ કોળિયો મોં માં જાય અને ઉલ્ટી કરવાનું મન થાય એવી સ્થિતી ઉભી થઈ અને ઝાડા શરૂ થઈ ગયા. આ અઠવાડિયાના અંત ભાગ દરમિયાન એક નવી સમસ્યા અનુભવવાની શરૂઆત થઈ અને એ હતી શ્વાસમાં તકલીફ. અડધી રાતે ઉભા થઈ જવું પડે અને હાંફ ચડે, એ હાંફ પણ પહેલાં ક્યારેય ના અનુભવેલો હોય એવો. બુધ - ગુરુ સુધીતો મને કલ્પના પણ નહોતી કે કોરોના હોઈ શકે, પણ શ્વાસની સમસ્યાએ મારું મનોબળ ડગાવવા માંડ્યું અને છેવટે પરિવારજનોના આગ્રહથી ગુરુવારે કોરોના ટેસ્ટ માટેના ચક્રો ગતિમાન કર્યાં. ખ્યાલ આવ્યો કે આ ટેસ્ટ કરાવવો હું સમજતો હતો એટલો સહેલો નહોતો. થાયરોકેર લેબમાં ઓનલાઇન ફોર્મ ભર્યું અને તેમનો ફોન આવ્યો એ મુજબ ફેમિલી ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લખાવ્યું. એ સાથે બી. એમ. સી.ના એક ફોર્મનું પ્રિન્ટઆઉટ લઈ તેમાં ડૉક્ટર ની વિગતો ભરી તેમના સહી - સિક્કા લીધા અને પ્રાથમિક લક્ષણોની માહિતી ભરી. આ ફોર્મ સ્કેન કરી અપલોડ કર્યું અને ગુરુવારે રાતે તેમનું કન્ફર્મેશન આવ્યું કે તેઓ શુક્રવારે ટેસ્ટ માટે આવશે. પણ શુક્રવારે સવારે તેમનો ફોન આવ્યો કે તેમની પોલિસીમાં પરિવર્તન આવ્યું છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના જ ટેસ્ટ કરી શકે તેમ છે. બીજી અહીંની એક નજીકની લેબમાં પૃચ્છા કરી તો તેઓ પણ કોવિડ ટેસ્ટ માટે મના ફરમાવી દીધી. ત્રીજી એક લેબ મેટ્રોપોલીસનો સંપર્ક સાધ્યો અને તેઓ ઘેર આવી ટેસ્ટ માટે તૈયાર થયા. શનિવારે બપોરે ત્યાંથી એક યુવાન મારે ઘેર આવ્યો અને તેણે અવકાશયાત્રી જેવો સ્યૂટ પહેરી નાકમાં અને ગળામાં સ્વેબ (કાન ખોતરવા આપણે જે બડ વાપરીએ છીએ તેવા બે બડ) નાંખી નમૂના લઈ લીધા. બે દિવસ પછી પરિણામ આવશે એવી જાણ કરી તેણે વિદાય લીધી. આ છેલ્લાં બે - ચાર દિવસમાં શ્વાસની - હાંફ ની તકલીફ વધવા માંડી. સોમવારે સવારે ટેસ્ટ નું પરિણામ આવ્યું - કોવિડ નેગેટિવ. એટલે કે કોવિડ નથી. પણ રવિવારે મારી હાલત ખરાબ હતી આથી મને જ એવી ઈચ્છા થવા માંડી કે મારે હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ જેથી હવે ખોરાક શરીરમાં જાય અને શ્વાસ - હાંફની તકલીફમાંથી છૂટકારો મળે. સોમવારે સવારે ફેમિલી ડૉક્ટર ની સલાહ મુજબ લોહી અને એક્સરે રિપોર્ટ કઢાવવા હું નજીકની અલગ અલગ બે લેબ્સ માં ગયો. પણ ત્યાં યે મારી જે હાલત થઈ છે તે દયનીય હતી. મને ભયંકર શ્વાસ ચડી રહ્યો હતો. એક્સરે વાળો ભાઈ કહે ઊંડો શ્વાસ લો, હવે મારાથી શ્વાસ જ માંડ લેવાતો હતો ત્યાં ઊંડો શ્વાસ ક્યાંથી લઈ શકાય. તેણે ત્રણ - ચાર પ્રયત્નો પછી માંડ જેમ તેમ કરી એક્સરે કાઢ્યો અને ઘેર આવી હું બેઠો ત્યારે જરા શાંતિ થઈ પણ શ્વાસ - હાંફ માં બિલકુલ રાહત નહોતી. સાંજે ડોક્ટરને ઘરે બોલાવ્યાં અને તેમણે ચેક કર્યો, ઓક્સિજન નું સ્તર ચેક કર્યું અને કહ્યું ભલે રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય પણ આ લક્ષણ કોરોનાના જ જણાય છે અને તેમનું ભલું થજો, કે તેમણે મને હૉસ્પિટલમાં એડમિટ થવાની ચિઠ્ઠી લખી આપી. તાત્કાલિક હું એ અને સવારે કઢાવેલા રિપોર્ટસ લઈ તુંગા હોસ્પિટલમાં પહોંચ્યો. ત્યાં ચેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરે મને તપાસ્યો અને દાખલ કરી દીધો. સાંભળવામાં અને વાંચવામાં આવ્યું હતું કે લોકોને કોરોના હોય કે બીજી કોઈ સમસ્યા પણ હાલમાં હોસ્પિટલમાં પ્રવેશ મેળવવામાં ખૂબ તકલીફો પડે છે, પણ ભગવાનની કૃપા કે મને બિલકુલ તકલીફ વગર આસાનીથી તુંગા હોસ્પિટલમાં પ્રવેશ મળી ગયો અને મારી ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. મને અહીં ખૂબ પોસિટીવ ફીલ થઈ રહ્યું હતું, સમગ્ર હોસ્પિટલ નવી, ચોખ્ખી અને અદ્યતન લાગી રહી હતી અને મારું મેડીકલ ઇન્સ્યોરન્સ હોવાથી મેં અલાયદા રૂમમાં રહેવાનો વિકલ્પ પસંદ કર્યો. અહીં આ રૂમમાં હું ચાર - પાંચ દિવસ રહ્યો. એક ખૂબ સારું કામ કર્યું હતું. મારી તબિયત લથડી એ જ દિવસથી એટલે કે ૯મી મે થી બંને સંતાનો - દસ વર્ષની નમ્યા અને ત્રણ વર્ષના હિતાર્થ ને અમારા બીજા ઘેર મમ્મી-પપ્પા અને મારી બહેનો પાસે મોકલી દીધા હતાં. તેમનાથી દૂર રહેવું અઘરૂ હતું પણ એ બુદ્ધિ ભર્યું પગલું સાબિત થયું. હૉસ્પિટલમાં મારી પત્ની અમી મારી સાથે હતી અને બહેન તેજલ આવજાવ કરતી હતી. કારણ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો એટલે આ શક્ય બન્યું. એડમિટ થતાં જ હોસ્પિટલમાં મારી જરૂરી અને યોગ્ય એવી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. સતત ઓક્સિજન પહેરી રાખવો પડતો. પણ ખાવાનું હવે ભાવવા માંડ્યું અને શ્વાસની તકલીફ પણ થોડી થોડી ઘટવા માંડી હતી. રોજ લોહી લઈ જતાં રિપોર્ટ માટે અને બે વાર એક્સરે પણ કાઢી ગયાં. પાંચ દિવસ બાદ ફરી મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને ત્રેવીસમી તારીખે રિપોર્ટ આવ્યો જેમાં કોરોના મારા શરીરમાં હોવાનું સિદ્ધ થયું. આ સમગ્ર સમય ગાળા દરમિયાન હજી મને ઉંડે ઉંડે મનમાં હતું કે કોરોના નથી જ, પણ એ આવ્યા નું સિદ્ધ થયું અને અનેક નવી મથામણો શરૂ થઈ. હોસ્પિટલમાં તરત અમીને ત્યાંથી વિદાય લેવાનું કહી દેવામાં આવ્યું અને તેણે પણ હવે ચૌદ દિવસ આઈસોલેશન માં રહેવાનું ફરમાન થયું. આજ સુધી તે ક્યારેય એકલી રહી નહોતી અને હવે અમારા ઘરમાં તેણે એકલીએ રહેવું પડશે, રાત્રે એકલીએ સૂવું પડશે એ વિચાર એને તો ઠીક મનેય ધ્રુજાવી ગયો. તેને પણ કોરોના લાગ્યો હશે તો? એવી છૂપી આશંકા પણ ખરી. અત્યાર સુધી મને પણ કોરોના હોઈ જ ન શકે એમ માનતું મન હવે ડરવા માંડ્યું કે અમી અને તેજલને પણ મારી સાથે રહેવાથી ચેપ નહીં લાગ્યો હોય ને! ખૂબ રડતા રડતા અમીએ ત્યાંથી વિદાય લીધી. તેણે હવે બી. એમ. સી., પોલીસ વગેરે ને પણ હેન્ડલ કરવાના હતાં. ત્રેવીસમી નો એ આખો દિવસ ભારે ઉચાટમાં ગયો. સાંજે મારા ફેમિલી ડોક્ટર સાથે વાત કરી થોડી હળવાશ અનુભવી. મને બીજી પણ એક ચિંતા કોરી ખાતી હતી કે હવે મને કોરોના વોર્ડ માં શિફ્ટ કરશે અને તે કેવો હશે. અત્યાર સુધી દિવસમાં સતત સાત - આઠ વાર આંટા મારતી નર્સ અને જુનિયર ડૉક્ટર પણ ત્રેવીસમી એ ભાગ્યે જ મારા રૂમમાં આવ્યા હશે. મને ગમે તે ઘડીએ શિફ્ટ કરે એમ હતું. પણ રાત સુધી એવો કોઈ સંદેશ ન આવ્યો. જમી લીધા બાદ રાત્રે સૂવાની તૈયારી કરતો હતો ત્યારે મને જણાવવામાં આવ્યું કે મને શિફ્ટ કરી રહ્યા છે. મને એક પ્રકારનો અજ્ઞાત ભય સતાવી રહ્યો કે ક્યાં લઈ જશે અને ત્યાં સ્થિતિ - ચિત્ર કેવા હશે. સાતમા માળે થી શરૂ થયેલી લિફ્ટ છઠ્ઠા માળે જ અટકી અને મને એક મોટા રૂમમાં લાવવામાં આવ્યો જ્યાં બે જણના રહેવાની સગવડ હતી પણ બીજો બેડ ખાલી હતો. આ આખા ફ્લોર પર ભાગ્યે જ કોઈ દેખાતું હતું. અહીં ડૉક્ટર અને નર્સ થી માંડી સફાઈ કામદારો વગેરે પણ પી. પી. ઈ. સ્યૂટમાં જ હતાં. ખેર, આ રૂમમાં આવ્યા પછી મારો પેલો અજ્ઞાત ભય દૂર થઈ ગયો. ઓક્સિજન ની નળી તો પહેરી જ રાખવાની હતી. અમી સાથે વાત કર્યા બાદ સૂઈ જવાની તૈયારી કરી. ડોક્ટર આવી અને ગોળીઓ આપી ગયા. એક ભારે ઇંજેક્શન પેટ પર માર્યું. હું સૂઈ ગયો.

(ભાગ - ૨)
------------
ચોવીસ તારીખની સવારે એ રૂમ બરાબર જોયો. મારો બેડ બારી પાસે હતો અને બહારનું દ્રશ્ય સુંદર હતું. વળી આંખ સામે રૂમમાં પણ એક સુંદર પેઇન્ટિંગ લગાડેલું હતું. મને શાંતિ અનુભવાતી હતી કે અન્ય કોઈ દર્દીઓ સાથે ના હોઈ, હું અહીં એકલો હતો. એકલતા પણ ક્યારેક દુષ્કર લાગે, પણ મને અહીં એ ગમવા લાગી હતી. જો કે ઝાઝો સમય એ રૂમ અલાયદો મારો જ ન રહ્યો. મોડી સવારે એક મધ્યમ વયની મુસ્લિમ સ્ત્રીને બાજુના બેડ પર લાવવામાં આવી. તેની સાથે કોઈ પ્રકારની વાતચીત ના થઈ, પણ પચ્ચીસમી તારીખે ઈદ હતી અને આ દિવસે સવારે તેણે મોટેથી પોક મૂકી ને તે રડ્યા કરી. મેં તરત બેલ વગાડી ડોક્ટરને જાણ કરી અને તેને શાંત કરવા વિનંતી કરી. ડૉક્ટરે તેને પ્રેમ અને ઠપકો બંને આપી શાંત કરી. તે ફોનમાં કોઈક સાથે ન સમજાય તેવી શૈલીમાં વાતો કરતી. મને જાણ થઈ કે તેને ભારે ઉધરસ - ખાંસી આવતા અને તેમાં લોહી પડતું.
મને તેની સાથે બે દિવસ દરમિયાન નકારાત્મકતાનો અને ડરનો અનુભવ થયો, બાથરૂમમાં પણ તેના આવ્યા બાદ સ્વચ્છતા જળવાતી નહોતી પણ સમય બધી સમસ્યાઓ નો હલ લાવતો હોય છે એમ મનને મનાવ્યાં કરી મેં મારી વાંચનની અને ફોન પર સમય પસાર કરવાની પ્રવૃતિઓ ચાલુ રાખી. 'સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નીલકંઠધામનાં પ્રવાસે' બ્લોગ શ્રેણીના છેલ્લા બે ભાગ હૉસ્પિટલ વાસ દરમિયાન જ લખાયેલા! હું સતત પોઝીટીવીટી જાળવી રાખવા પ્રયત્નો કરતો. ફોન પર સ્નેહીજનો સાથે વાતચીત થતી, મારી પ્રિય 'પોકીમોન ગો' ની રમત અને અન્ય શબ્દરમતો મોબાઇલ પર રમવામાં, એક બે પુસ્તકો સાથે રાખ્યા હતાં એ વાંચવામાં અને મન થાય ત્યારે થોડું લખવામાં દિવસ પસાર થઈ જતો. સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે ચા સાથે બે 'મારી' બિસ્કિટ અને રાતનું જમવાનું આવે તેની હું આતુરતા પૂર્વક રાહ જોતો, ક્યારેક મોડું થઈ જાય તો બેલ મારી નર્સ કે ડૉક્ટરને એ યાદ કરાવતો અને ખૂબ મર્યાદિત માત્રામાં અને સામાન્ય હોવા છતાં હું આ બધું ખાતી પીતી વખતે એ એન્જોય કરતો. હોસ્પિટલમાં જ અગાઉ એક સાંજે અમીએ ટી.વી. ચાલુ કરી હનુમાનજી ની સીરિયલ ચાલુ કરી હતી, જેમાં બાળ હનુમાન ઘણું બધું ખાવાનું આરોગી જાય છે એવો સીન જોયેલો અને એમાં એ ખાતી વખતે તે જે રીતે સંતોષ અને આનંદથી મોઢું હલાવતા એ મારા મનમાં ઉતરી ગયેલું અને હું એ દરેક વેળાએ ખાતી વખતે એ રીતે મલકાતો અને મોઢું હલાવતો, ભલે ને સામે કોઈ જોવાવાળું નહોતું! દિવસમાં એક સિનિયર ડોક્ટર અને એક જુનિયર ડોક્ટર મારી તબિયત પૂછવા પી. પી.ઈ. સ્યૂટ માં સજ્જ થઈ આવતા અને મને સારું લાગતું પણ તેમના જાયંટ રોબોટ જેવા કે અવકાશ યાત્રી જેવા વાઘામાં તેમનું મોં જોવા ન મળતું. મોઢા પર પણ હેલ્મેટ જેવું કવચ અને આંખો પર પણ વિચિત્ર ગોગલ પહેરેલા હોઈ તે કેવા દેખાતા હશે તેની કલ્પના જ કરવી રહી! એક વાર મારી પાસે પડેલું સુંદર મુખપૃષ્ઠ વાળું તાણાવાણા પુસ્તક જોઈ તેમણે મને પૂછ્યું કે શું હું કલાકાર છું. મેં જવાબ આપ્યો હું આઈટી પ્રોફેશનલ છું પણ વાંચન - લેખનમાં ખૂબ રસ ધરાવું છું અને જન્મભૂમિની મારી કટારો વિશે મેં એમને જણાવ્યું. જ્યારે પપ્પા કલાકાર છે અને તારક મહેતા ના નટુ કાકા તરીકે ની તેમની ઓળખાણ છતી કરી ત્યારે તો એ થોડા કડક લાગતા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા એ જુનિયર ડોક્ટર ભાવ વિભોર થઈ મને હાથ મિલાવવા આગળ આવ્યા, પણ મેં નમસ્તે કરી તેમનું અભિવાદન કર્યું!
   તમે જે પણ પરિસ્થિતિમાં હોવ એમાં થોડી ખુશી, થોડો આનંદ ગોતી લેતા શીખવું જોઈએ. મને દિવસની દસ - બાર દવાની ગોળીઓ, એકાદ ઇંજેક્શન, એકાદ - બે સલાઇન, બે સિરપ ના ડોઝ આપવામાં આવતાં. તેમાં એક કેરી જેવા સ્વાદ વાળો સિરપ અને બે ગોળીઓ મને ખૂબ ગમતાં - એક નાનકડી પણ દિલ આકારની (નમ્લો નામની) અને બીજી પારદર્શક કેપસ્યુલ જેમાં લાલ અને તાપખીરિયા ઝીણાં ઝીણાં રંગબેરંગી દાણા વાળી (રેબેન્સીઆ નામની)! આ સિરપ અને ગોળીઓના કારણે મને દવા લેવી ગમતી!!
  આઈસોલેશન વોર્ડના એ રૂમમાં બે દિવસ મારી સાથે રહ્યાં બાદ ત્રીજી સવારે પેલી મુસ્લિમ બાઇને રજા આપવામાં આવી. બપોરે તો મને પણ શિફ્ટ કરવાનું જણાવવામાં આવ્યું. મેં થોડી અનિચ્છા વ્યક્ત કરી ત્યારે એક મહિલા ડોક્ટરે આવીને સમજાવ્યું કે નીચે સામાન્ય વોર્ડમાં પંદર-વીસ કોરોના દર્દીઓ ને એક સાથે રાખવામાં આવે છે પણ મને ત્યાં ન મોકલતા બાજુના જ એક રૂમમાં શિફ્ટ કરી રહ્યા છે અને ત્યાં જે મહિલા છે તેમનો પણ ડિસ્ચાર્જ એ જ દિવસે થવાનો હોવાથી તેમના ગયા બાદ મને બારીની બાજુમાં બેડ મળી શકશે. મેં શિફ્ટ કર્યું. મારો બેડ ભીંત પાસે હતો અને બારી તરફ જે મહિલાનો બેડ હતો તે ૬૬ વર્ષના એક વૈષ્ણવ માજી હતાં. બારેક દિવસ હોસ્પિટલમાં રહી, કોરોનાને હરાવી તેઓ ફરી ઘેર જઈ રહ્યા હતા. અતિ ઉત્સાહી અને પોઝીટીવ એવો તેમનો અભિગમ મને સ્પર્શી ગયો. ખૂબ બોલકણા! આખો દિવસ તેમની વાતો ફોન પર ચાલુ જ રહી, નાના બાળક સાથે તે પણ બાળક બની જઈ કાલી ઘેલી ભાષામાં વાત કરવા માંડતા એ સાંભળી મને હસવું આવી જતું. ફોન પર વાત ન કરતાં હોય ત્યારે એ ટેકનોસેવી ડોશી યુટ્યૂબ પર વૈષ્ણવ સંપ્રદાયના વિડિયો જોતાં, હવેલી સંગીત સાંભળતા. મને એ સંગીત ગમતું. તેમની ઇન્સ્યોરન્સ પોલીસી હોઈ, પેમેન્ટ માં કંઈક અડચણ ઉભી થતા આખો દિવસ પસાર થઈ જવા છતાં અને ડોક્ટર નો ડિસ્ચાર્જ માટે નો ગો અહેડ મળી જવા છતાં તેઓ છવ્વીસમી તારીખે ઘેર ના જઈ શક્યા. હરખ ઘેલા થઈ બપોરે જ તેમણે હોસ્પિટલના કપડાં પણ બદલી નાંખ્યા હતાં, પણ સાંજે ફરી તેમણે હોસ્પિટલના વાઘા પહેરી લીધા. આ ઘટના એમણે બહુ ગંભીરતાથી ના લીધી અને મને આ વાત ગમી. તેમની સાથે મેં ઘણી વાતો કરી. સત્યાવીસમીએ બપોરે તેઓ ઘેર જવા પામ્યાં. તેમના ગયા બાદ રૂમ ખાલી થઈ ગયો પણ મેં બારી પાસે શિફ્ટ ના કર્યું. અઠ્ઠાવીસમી એ સવારે એક તંદુરસ્ત લાગતા, ઇંગ્લીશ બોલતા વૃદ્ધ બારી પાસેના બેડ પર આવ્યાં. તેઓ અંતર્મુખી હશે એટલે એમણે બિલકુલ વાતચીત ન કરી.
  આ તરફ મારી પત્ની અમી ઘણી હિંમત કેળવી ચૂકી હતી અને તેણે એકલા રહેવા સાથે પોતાની દવા વગેરે લેવા માંડી હતી જેથી તેની રોગપ્રતિકારક શક્તિ વધે. બી. એમ. સી. અને પોલીસના કોલ્સ પણ તેણે હેન્ડલ કર્યા અને પાડોશીઓના, સગાવ્હાલાઓના પ્રશ્નો - ફોન વગેરે પણ. તેના મમ્મી-પપ્પા, ડૉક્ટર મામા, મારી હોમિયોપેથ ડૉક્ટર કઝિન જીગ્ના અને મારો પરિવાર તેનું પીઠબળ બની રહ્યાં. બીજી તરફ મારા બાળકો, માતા પિતા અને બહેનો પણ મારી તબિયતને લઈને સતત ચિંતિત હતાં, પણ હું દિવસમાં એકાદ વાર ફોન કરી તેમને મારી સુધરતી સ્થિતીની માહિતી આપતો રહેતો. છેલ્લાં ત્રણ ચાર દિવસ એક બીજી પ્રણાલિ અમે શરૂ કરી. પરવાનગી લીધા બાદ મેં સૂચના આપી કે મને ફળો, ઘેર બનાવેલો કાઢો વગેરે ઘેરથી હોસ્પિટલમાં મોકલાવે અને મારા સુધી પહોંચતા કરે. બહેન નીચે સિક્યુરીટી સ્ટાફને 'વિકાસ નાયક - છઠ્ઠો માળ' નામ લખેલી થેલી આપી દે એ છઠ્ઠા માળે મારા રૂમમાં મને ડૉક્ટર કે નર્સ આપી જાય. આ વ્યવસ્થા કામ કરી ગઈ. મને તાજા ફળ ખાવા મળતા અને 'કાઢો' નિયમિત પીવાથી મને ગમતું. ખજૂર - બદામ વગેરે મોકલાવેલા, તે ખાઈ પણ એક ખૂબ સારો ચેંજ મળ્યાનું અનુભવ્યું.
  દિવસમાં ત્રણ ચાર વાર ડૉક્ટર કે નર્સ સાથે વાતચીત થતી, એ ગોળી આપવા કે દવાનો બાટલો ચડાવવા આવે કે રાતે ઇંજેક્શન આપવા આવે ત્યારે. સારું લાગતું એ વેળાએ. આ ડૉક્ટર અને નર્સ ખરેખર પૃથ્વી પર જીવતા ભગવાનના અવતાર છે એમ કહેવું અતિશયોક્તિ ભર્યું નહીં ગણાય. એ આવા કપરા સમયે દર્દીઓને જોવાનું, તેમની સેવા કરવાનું છોડી દે તો કોણ બચાવી શકે આ દર્દીઓને?
  છેવટે ૨૮મી તારીખ સુધી મારી તબિયતમાં ખાસ્સો સુધારો થઈ ચૂક્યો હતો અને આમ અગિયાર દિવસના હોસ્પિટલ વાસ બાદ મને એ દિવસે ઘેર જવાની રજા મળી.
 હું બહેન સાથે ઘેર આવ્યો. અમી કાગડોળે મારી રાહ જોઈ રહી હતી અને ગૃહ પ્રવેશની એ ક્ષણે તેની આંખોમાં જે રાહતની લાગણી અનુભવી તે શબ્દોમાં બયાન નહીં થઈ શકે. થાળી વગાડી કે તાળીઓ પાડી મારું કોઈએ સ્વાગત તો ના કર્યું, પણ જે રીતે બહેન અને પત્નીએ કંકુ અને અક્ષતથી વધાવી મારું ભાવભીનું સ્વાગત કર્યું, એ માણી મારું હ્રદય ભરાઈ આવ્યું.
 હજી અમારે એક અઠવાડિયું આઈસોલેશનમાં રહેવાનું હતું, જે પ્રથમ ફોલો અપ બાદ ડોક્ટરે હજી એક અઠવાડિયું લંબાવ્યું અને ૧૦મી જૂને રિપોર્ટસ જોઈ તેમણે મને નોર્મલ લાઇફ ફરી શરૂ કરવાની, વર્ક ફ્રોમ હોમ કરવાની પરવાનગી આપી દીધી. એકાદ મહિના દૂર રહ્યાં બાદ હવે મારા બાળકો પણ મારી પાસે, મારી સાથે રહેવા આવી ગયા છે.     
      ભગવાનની દયા અને પરિવારજનો અને સ્નેહી મિત્રો-સગાઓ ની દુઆઓ થી હું આ આફત માંથી ઉગરી શક્યો છું. પપ્પાએ સ્વામી નારાયણ સંપ્રદાયના સંતોને મારી માંદગીની જાણ કરી હતી અને તરત તેમણે મારા માટે ખાસ પૂજા કરી, પ્રાર્થના કરી હતી અને મહંતસ્વામીના આશિર્વાદનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. અનેક મિત્રો પણ નિયમિત ફોન કરી મારા માટે પ્રાર્થના - દુઆ કરતા અને મને આ બધી દુઆઓએ પણ જલ્દી સાજો કરવામાં સિંહ ફાળો આપ્યો છે.
  હવે છેલ્લે થોડી ટિપ્સ શેર કરું સૌ સાથે, જેથી તમે વાચકો પણ આ ટિપ્સ ફોલો કરી તબિયતનું ધ્યાન રાખી શકો. અત્યારે આ મોસમ અને વાતાવરણમાં મહેરબાની કરી માંદા પડતાં નહીં. કારણ સામાન્ય માંદગી પણ તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરી નાખે છે અને કોરોના વિષાણુને તમારા શરીરમાં પ્રવેશવાનો મોકો મળી જાય છે. આથી વરસાદમાં પલળી કે અન્ય કોઈ પણ રીતે માંદા પડતાં નહીં કે તમારા પરિવારજનને માંદા પડવા દેતા નહી. માંદા પડ્યા કે અન્ય કોઈ કારણ ઉભું કરી ડોક્ટરને ત્યાં જવાનું ટાળજો. કારણ ત્યાં આવેલા અન્ય દર્દીઓનો ચેપ લાગી શકે છે. અનિવાર્ય હોય તો જ ડોક્ટર પાસે તેમના ક્લિનિકમાં જવાનું કરજો. બને ત્યાં સુધી ઘરની બહાર જવાનું, ખાસ કરીને ભીડભાડ વાળી જગાએ, મોલ, બજાર, પાર્ક જેવી જાહેર જગાઓએ જવાનું ટાળજો. બહાર ક્યાંય પણ જાવ તો ઘેર પાછા આવી અચૂક સાબુથી હાથ ધો જો, ગરમ પાણીથી નાહી લે જો. માસ્ક પહેર્યાં વગર બહાર નીકળવાનું વિચારતા પણ નહી. શક્ય હોય તો હાથ મોજા પહેરજો. સેનીટાઈઝરનો યથાયોગ્ય ઉપયોગ કરજો. બહારથી કોઈ વસ્તુ મંગાવી હોય તો તેને ઘરમાં લઈ આવ્યા બાદ સેનીટાઈઝ કરી દેજો, આઠ દસ કલાક પડી રહેવા દે જો પછી તેનું પેકેજીંગ ખોલજો. બહારથી ખાવાનું મંગાવવાનું ટાળજો. તમને એલર્જી હોય અથવા જાણ હોય કે કોઈક વસ્તુ કે ખાદ્ય પદાર્થ તમારા શરીરને માફક નથી આવતો તો તેનું સેવન ટાળજો. ગરમ પાણી જ પીવાનું રાખજો. હાલમાં મોસમ બદલાઈ રહી હોવાથી એ રીતે પણ તેનો ફાયદો મળશે. ગરમ પાણીમાં મીઠું કે બીટાડાઇન નાંખી બે વાર કોગળા કરજો. સૂંઠ- અજમા-હળદરનું સેવન વધારજો. અજમાનો નાસ (સ્ટીમ) પણ લઈ શકો. યોગા - પ્રાણાયામ કરજો. ફેફસાં મજબૂત બને - રહે એનું ધ્યાન રાખજો. રાતે હળદર નાખેલું ગરમ દૂધ પીજો. કોરોના ટેસ્ટ પાછળ ગાંડા થવાની જરૂર નથી. તેના લક્ષણો દેખાય તો ગભરાઈ જવાની પણ બિલકુલ જરૂર નથી. અન્ય શારીરિક રોગ કે તકલીફ ના હોય તો ઘેર રહીને પણ કોરોનાનો સંપૂર્ણ ઈલાજ યોગ્ય ડોક્ટરની સલાહ લઈ - અનુસરી શક્ય છે. હોમિયોપેથી દવા પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે, તેનું યોગ્ય ડૉક્ટરનો અભિપ્રાય લઈ સેવન કરજો. હકારાત્મકતા જીવન મંત્ર બનાવી લે જો. શક્ય એટલું બહાર જવાનું ટાળજો. સોશિયલ ડીસ્ટન્સિંગ જાળવજો. તમને થાય એટલે પરિવારજનોને પણ તેનો ચેપ લાગે જ એવું નથી, એટલે ડર રાખતા નહી અને પરિવારજનોના મનમાં પણ એવો ડર પેસાડતા નહીં. સંપર્ક વધારજો, હાથવગા રાખજો જેથી એવી પરિસ્થિતિ ઉભી થાય તો તેનો યોગ્ય ઉપયોગ કરી હોસ્પિટલમાં દાખલ થઈ શકાય, જો અનિવાર્ય હોય તો. ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખજો.
 પ્રાર્થનામાં ખૂબ તાકાત છે. આવો, આપણે સૌ સાથે મળી પ્રાર્થના કરીએ કે હે ઇશ્વર, હવે પૃથ્વી પરથી કોરોનાને જલ્દીમાં જલ્દી નાબૂદ કરી દે, સંપૂર્ણ રીતે ગાયબ કરી દે... ફરી જીવનને આનંદ પૂર્વક, ડર વગર જીવી શકીએ એવું બનાવી દે...

(સંપૂર્ણ)

રવિવાર, 22 માર્ચ, 2020

કોરોનાના કાળા કેર વચ્ચે ડોકાતી સોનેરી કિનાર

     આપણાં સૌના જીવનમાં આ અત્યારનો ઐતિહાસિક સમયગાળો છે જેમાંથી આપણે પસાર થઈ રહ્યાં છીએ. આપણાં જીવન કાળ દરમિયાન આ પહેલા ક્યારેય આખા વિશ્વને કોઈ મહામારીએ ભરડામાં લીધું હોય અને તેની આટલી ઘેરી અસર વિશ્વભરમાં સૌના જીવન પર પડી હોય એવું ક્યારેય બન્યું નથી. ઓફિસો અને દુકાનો બંધ થઈ ગયા છે. આઠમા ધોરણ સુધીમાં ભણતા વિદ્યાર્થીઓને વગર વાર્ષિક પરીક્ષાએ આગળના ધોરણમાં ચડાવ પાસ કરી દેવાયા છે. વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘેર થી કામ અનેક જગાએ ફરજિયાત બનાવી દેવાયું છે. શેર બજારો ગભરાટમાં તળિયું બતાવવા માંડ્યા છે. ફિલ્મનાં અને ટીવી સિરિયલોના શૂટિંગ બંધ થઈ ગયા છે. સિનેમા હોલ, નાટકો, સ્વિમિંગ પૂલ, મોલ વગેરે બધું બંધ છે. ફક્ત એક્ટિવ છે કોરોના વાયરસ. તેણે જાણે શક્ય એટલી વધુ ઝડપે વિશ્વભરમાં વધુ માં વધુ લોકો સુધી પહોંચવાની ટેક લીધી છે! આપણે તેને હંફાવવાનો છે, તેના પર કાબુ મેળવવાનો છે, તેના પર જીત હાંસલ કરવાની છે.
   અત્યારે મોટે ભાગે ડર અને શંકાનું સામ્રાજ્ય ફેલાયેલું છે, પણ તેમાં ક્યાંક સોનેરી કિનાર દેખાય છે તેની આ બ્લોગ થકી વાત કરવી છે. થોડી હકારાત્મકતા ફેલાવવાની છે. ઈટાલીમાં જ્યાં આ મહામારીની સૌથી વધુ અસર થઈ છે, જ્યાં સૌથી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓ મૃત્યુ પામ્યાં છે, ત્યાં વર્ષો પછી ડોલ્ફીન માછલી ત્યાંના દરિયામાં પાછી ફરી છે, હંસ પક્ષી ત્યાંના સરોવર અને તળાવમાં પાછા ફર્યા છે જ્યાં અત્યાર સુધી પ્રવાસીઓના ધાડા ના ધાડા જોવા મળતા હતાં. ગંડોલા બોટ, ક્રૂઝ શીપ બંધ થતાં, પ્રવાસીઓની અવરજવર બંધ થતાં પ્રકૃતિના આ મનુષ્ય જેટલાં જ પ્રિય સંતાન સમા પશુ પક્ષીઓ પોતાના આવાસોમાં પાછા ફર્યા છે. સિંગાપોરની શેરીઓમાં નોળિયા જેવા દેખાતા ઓટર પ્રાણીઓ દોડાદોડ કરતા જોવા મળ્યા છે. ઇજિપ્શિયન બતકોનું એક આખું કુટુંબ (નર - માદા અને તેમના દસ બાર બચ્ચાઓ) નિર્ભય પણે ઇઝરાએલના એક એરપોર્ટ પર વિહરી રહેલું એક વિડિયોમાં જોવા મળ્યું, કારણ અહીં ઉડતા વિમાનો અત્યારે બંધ છે! અન્ય એક વિડિયોમાં શિકાગોના એક ઝૂ માં પેંગ્વીન પક્ષીનું એક જોડલું બિન્ધાસ્ત આખા પ્રાણી સંગ્રહાલયમાં દોડાદોડ કરતું નજરે ચડે છે જ્યાં સામાન્ય રીતે મનુષ્યોની ભીડમાં ક્યારેક આ બધા કેદ પ્રાણીઓ અકળાઈ ઉઠતા હશે! રસ્તા પર વાહનોની ભીડ નથી. પ્રદૂષણનું પ્રમાણ આશ્ચર્યજનક કક્ષાએ નીચું ગયું છે. જળાશયો ચોખ્ખા થયા છે, દરિયા કિનારા અને અન્ય જાહેર સ્થળો સ્વચ્છ બન્યા છે. આ બધું જોતા એક વાત કહેવાની કે કોરોનાએ આપણને એક મહામૂલો પાઠ શીખવ્યો છે - સહ અસ્તિત્વનો. વિશાળે જગ વિસ્તારે, નથી માનવ એકલો... પશુ - પક્ષીઓ - જંતુઓ - વનસ્પતિ - ફૂલો આ બધું પણ પૃથ્વી પર એટલો જ હક્ક ધરાવે છે જેટલો આપણે મનુષ્યો. પણ આપણે બધાં પર અતિ ક્રમણ કરી રાજા બની બેઠાં છીએ. વિકાસના નામે પ્રકૃતિનો કચ્ચર ઘાણ કાઢી નાખવામાં આપણે બે વાર વિચાર કરતા નથી. આપણે જંગલનો બેફામ નાશ કર્યો છે, મહાસાગરોમાં કચરો ઠાલવી તેમનું પાણી પ્રદૂષિત કર્યું છે. અનેક જીવોની કતલ કરી અથવા ફક્ત પોતાનો વિચાર કરી તેમના જીવન માટે જરૂરી તત્વોનો નાશ કરી તેમનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું છે - આ મુદ્દે હવે વિચાર કરવાનો અવકાશ મળ્યો છે. આપણે સહ-અસ્તિત્વની વિચારધારા અપનાવી જીવન રીત બદલવાની છે.
   બીજું, પોતાના માટે જ સતત વિચારવાની વૃત્તિ ત્યજી અન્યો માટે થઈ પણ કંઈક કરતા શીખવાનું છે. કોરોના મહા ચેપી વિષાણુ છે. તેનાથી બચવા અને તેને અન્યો સુધી ના પહોંચાડવા પણ આપણે કેટલોક સમય ઘરમાં બેસવાનું છે, ફરાજિયાત. આ સમય અત્યાર સુધી ના કરી શકેલી ઘેર બેસી થઈ શકે એવી પ્રવૃત્તિઓ માટે વાપરવાનો છે. પરિવાર સાથે સુખદ સ્મૃતિઓ બનાવવાની છે. બાળકો સાથે રમવાનું છે. વાંચવાનું અને તેમને સારું વંચાવવાનું છે. ટીવી જોવાનું છે, સારી મિસ કરી લીધેલી ફિલ્મો જોવાની છે. લખવાનો શોખ હોય તો પેટ ભરીને લખવાની તરસ છીપાવવાની છે. પરિવારના અન્ય સભ્યો સાથે સમય અને વ્યસ્તતા ને કારણે ગુમાવી દીધેલી નિકટતા પાછી કેળવવાની છે.
   આપણાં પ્રધાનમંત્રી મોદી સાહેબે જે ચૌદ કલાકનો સમય માગ્યો છે, તે તેમને આપવાનો છે. સાંજે પાંચ વાગે પોતપોતાના ઘરની બારી કે ગેલેરી માં ઉભા રહી તાળી પાડી એ સૌ હીરોના પ્રયત્નો ને બિરદાવવાના છે જેઓ આપણાં માટે આવી વિકટ પરિસ્થિતિ માં પણ ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. જેમકે ડોક્ટર અને નર્સ ભાઈ બહેનો, કોરોનાનું પરીક્ષણ કરતી લેબ માં કામ કરતા ભાઈ બહેનો, આપણાં સફાઈ કામદારો, દૂધ અને છાપું નાખવા આવતા ભાઈબહેનો અને આવા તમામ લોકો જે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સેવા કરી આપણું જીવવું સરળ બનાવે છે. આ બધાં પ્રત્યે આભાર પ્રકટ કરવા આજે સાંજે પાંચ વાગે પાંચ મિનિટ સુધી તમારી બારી કે બાલ્કની માંથી તાળીઓ પાડજો, ઘંટ નાદ જેવો ધ્વનિ પેદા કરજો અને આ મોટી મુસીબતના સમયે આપણે સૌ એક બીજાની સાથે છીએ એ વાતની પ્રતીતિ કરાવજો.
  વિજ્ઞાન દ્વારા પણ સાબિત થયું છે કે તાળી પાડવી સ્વાસ્થ્ય માટે સારી સાબિત થાય છે અને ઘંટનાદમાં એવા સ્પંદનો છે જે નકારાત્મતાને મારી ભગાડે છે. ચૌદેક કલાક ઘરમાં જ રહીને કોરોના ને પણ વધુ ફેલાતો અટકાવવામાં ઘણી મોટી મદદ મળશે. તો ચાલો આ અભિયાનમાં સહભાગી થઈ આપણે આપણું નાનકડું યોગદાન આપીએ, આપણાં દેશ માટે, આપણી માનવ જાત માટે અને સમગ્ર પૃથ્વી માટે.