Translate

લેબલ forest સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ forest સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

કુદરત સાથે કનેક્શન

   આખા બ્રહ્માંડમાં પૃથ્વી એવો ગ્રહ છે જેના પર જીવન ધબકે છે. તેનું કારણ અહીં જીવન ટકી શકે એવા પરિબળો અને સંયોગો મોજૂદ છે. આ પરિબળો અને સંયોગોનું જ એક નામ છે કુદરત. કુદરતને આસ્તિક ભગવાન કહેશે તો નાસ્તિક વિજ્ઞાન. પણ આ કુદરત એક એવી જોઈ, સ્પર્શી અને અનુભવી શકાય એવી હકીકત છે જે જીવન ના અસ્તિત્વ માટે કારણભૂત છે. જ્યાં સુધી આ કુદરત આપણાથી રૂઠેલ નથી ત્યાં સુધી જ આપણે સુરક્ષિત છીએ. કુદરત ક્યારેક રૂઠે ત્યારે થયેલી તારાજીના અનેક ઉદાહરણ આપણે તાજેતરમાં જોયેલા છે. કુદરત રૂઠે એ માટે જો કે મોટે ભાગે આપણે જ જવાબદાર પણ છીએ. લોભ ને ના હોય થોભ અને આંધળા અને સ્વાર્થી વિકાસ માટેના લોભે જ કુદરત ને આપણાથી રૂઠવાના સંયોગો ઉભા થયા છે.

   ખરું જુઓ તો આપણે પણ કુદરતનો જ એક અંશ છીએ, કુદરતનો જ એક ભાગ છીએ. માત્ર મનુષ્ય જ નહીં, બલ્કે આ પૃથ્વી પર નો પ્રત્યેક સજીવ - પશુ, પંખી, જંતુ, વનસ્પતિ વગેરે અને નિર્જીવ તત્વો જેવા કે માટી, પહાડ, ઝરણાં, નદી, સાગર, જંગલ વગેરે સૌ કુદરતના ભાગ છે અને તેઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક મેક પર આધાર પણ રાખે છે. આ હકીકત આપણે મનુષ્યોએ ખાસ સમજી લેવાની છે, કારણ તેના સિવાય ના અન્ય કોઈ જીવ કુદરતને જાણતા કે અજાણતા નુકસાન પહોંચાડતા નથી. પણ મનુષ્યે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાના વિકાસ માટે અન્ય જીવો અને કુદરતને નુકસાન પહોંચાડવા પાછું વળી જોયું નથી. જંગલો કાપી, દરિયા પૂરી તેણે ઊંચી ઈમારતો બાંધી છે. પ્રાણીઓ ને ગુલામ બનાવી તેમની પાસે થી પોતાનું કામ કઢાવ્યું છે, તેમનો કત્લેઆમ કરી ખોરાક તરીકે અથવા અન્ય ચીજ વસ્તુઓ બનાવી ઉપયોગ કર્યો છે. કચરો - ગંદકી ફેલાવ્યા છે. પ્રદૂષણમાં એટલો વધારો કર્યો છે કે એ જ તેના જીવનને જોખમમાં મૂકનાર રોગોનું કારણ બન્યું છે.

   કુદરત સાથે તાદાત્મ્ય સાધીએ તો તેના અનેક લાભ આપણને મળી શકે એમ છે. શહેરમાં વસતાં લોકો માટે તો ઘરની બારી બહારનું ઝાડ કે નજીકનો બાગ જ કુદરતનું સ્વરૂપ. પણ તેની સાથે પણ જો શહેરીજન તાદાત્મ્ય કેળવે, એક કનેક્શન બનાવે તો તેને ઘણાં લાભ મળી શકે એમ છે. રોજ જરૂર છે થોડો સમય આ માટે ખાસ ધ્યાન આપી ફાળવવાની.

   અત્યારે કોરોનાના કપરા કાળમાં આ કનેક્શનની ખાસ જરૂર છે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું જાળવી રાખવા કે સુધારવા. ઘરમાં ને ઘરમાં રહી આપણે કંઈક અંશે બહાવરા થઈ ગયા છીએ, કંટાળી ગયા છીએ, હતાશ - નિરાશ થઈ ગયા છીએ ત્યારે કુદરત આપણી વહારે આવી શકે એમ છે. દોઢ - બે વર્ષ પહેલાં આપણે મોટે ભાગે ઘરની બહાર રહેતાં કે જતા - આવતા, ત્યારે જાણ્યે અજાણ્યે આપણે કુદરત સાથે કનેક્શન જાળવી શકતા. પણ પેન્ડેમિકના કારણે આપણે ફરજીયાત ઘરમાં ગોંધાઈ રહેવાની ફરજ પડી છે ત્યારે આપણું કુદરત સાથેનું કનેક્શન તૂટી જવા પામ્યું છે. એક અભ્યાસ મુજબ, આ કનેક્શન તૂટી જવાને કારણે પણ આપણી હતાશા અને નિરાશામાં વધારો થયો છે. કુદરત સાથેનું કનેક્શન આપણી સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય માટે અતિ જરૂરી છે. જેટલા આપણે કુદરતની વધુ સમીપ જઈશું, એટલું વધુ તંદુરસ્ત અને સુખી આપણું જીવન બની રહેશે. જ્યારે તમે કુદરત સાથે જોડાઓ છો ત્યારે તમે જે જે અડો છો, જુઓ છો, સાંભળો છો, અનુભવો છો તેની સીધી અસર તમારા મૂડ પર થાય છે. એ તમારા ચેતાતંત્ર, મજ્જાતંત્ર અને રોગપ્રતિકાર ક્ષમતા પર સારી અસર કરી શકે છે. જો તમે સુંદર દ્રશ્ય જુઓ તો તમારી ધ્યાન ધરવાની અને કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સુધારો થાય છે. તેનાથી તમારું મન તાજગી અનુભવી નવા અને વધુ કાર્યો કરવા તૈયાર થઈ જાય છે. જો તમે હરિયાળી વચ્ચે કે આસપાસ વધુ લીલોતરી જગામાં રહેતા હોવ તો તમારી સર્જનાત્મકતા અને કાર્ય ઉત્પાદકતામાં નોંધનીય વધારો જોવા મળે છે. જો તમે આ ઈચ્છતા હોવ તો તમારે વચ્ચે વચ્ચે બ્રેક લઈ આવી વધુ કુદરતી સૌંદર્ય કે સામીપ્ય ધરાવતી જગાએ થોડાં સમય માટે જતાં રહેવું જોઈએ.

   કુદરતનું સાંનિધ્ય આપણને રોજબરોજની મુશ્કેલીઓ, તણાવ અને ઉચાટ વગેરે માંથી થોડા સમય માટે દૂર જવામાં મદદ કરે છે. એ તમને ક્રોધ પર નિયંત્રણ રાખવા માટે પણ મદદરૂપ સાબિત થાય છે અને માનસિક હકારાત્મકતા અને આનંદી લાગણીઓ વધારવામાં સહાય કરે છે. કુદરત સાથે નિકટતા બ્લડ પ્રેશર, હ્રદયના ધબકારા અને સ્નાયુઓમાં તાણ ઘટાડે છે જે તમારા શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો આણે છે. શાંત અને સુખી થવાની આ એક અતિ સરળ અને અસરકારક રીત છે. માત્ર પાંચ મિનિટ માટે કુદરત સાથે ગાળેલી ક્ષણો પણ તમારી ઉત્પાદકતા કલાકો માટે વધારી કે સુધારી શકે છે.

   પહાડો, નદીઓ કે જંગલો પાસે વારંવાર જવાનું શક્ય ન હોય તો કઈ રીતે કુદરત સાથે કનેક્શન ટકાવી શકાય? જવાબ છે તેને તમારી નજીક લઈ આવી! ઘરમાં નાનકડો બાગ બનાવો, જગાના અભાવે એ શક્ય ન હોય તો નાનકડા કૂંડામાં છોડ ઉગાડો, તેને ઉછેરો, તેની માવજત કરો, તેનો વિકાસ નિહાળો. તેમાં ફૂલ, ફળ કે શાક ઉગશે ત્યારે એ જોઈ, તેને સ્પર્શી પણ તમે કુદરત સાથે તાદાત્મ્ય કેળવ્યાની લાગણી પ્રત્યક્ષ અનુભવી શકશો. સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, તાજી હવા, કુમળો તડકો, માટી, લીલોતરી આ બધાં પણ કુદરતના સ્વરૂપ છે.


તે તમે ઘરે રહીને પણ માણી શકો છો. ઘાસ પર ચાલો. માટીમાં રમો, આંગળીઓને ભીની માટી નો સ્પર્શ થવા દો. વહેલા ઉઠો. વહેલી સવારે કે સાંજે ચાલવા જાઓ. માટીના વાસણો વસાવો. પંખીઓનો કલરવ, દરિયાના મોજાનો ઘૂઘવતો ધ્વનિ, નદીઓનો ખળખળ સ્વર વગેરે રેકોર્ડ કરી કે ઓનલાઈન જઈ સાંભળો. ઘરમાં છોડ - વેલા વગેરે વાવો. રોજ તેને પાણી પાઓ. ઉંડા શ્વાસ લો. તારા નિહાળો. બારી ખુલ્લી રાખો. સ્વચ્છ હવા અને સૂર્ય પ્રકાશ ઘરમાં આવવા દો. કુદરત સાથે કનેક્શન બનાવો અને જુઓ જીવનમાં કેવું પરિવર્તન આવે છે.

રવિવાર, 19 માર્ચ, 2017

મંગલમય જંગલ

હમણાં એક લેખ વાંચ્યો જંગલ પ્રત્યેના પ્રેમ વિશે. મનુષ્ય કાળક્રમે ઉત્ક્રાંતિ થતાં જંગલમાંથી આજની તેણે ઉભી કરેલી દુનિયા તરફ વળ્યો, પણ તેના મૂળિયા જંગલ સાથે જોડાયેલા છે.આદિમાનવ જંગલની ગુફામાં રહેતો અને આમ તેનું જંગલ સાથે,પ્રકૃતિ સાથે કુદરતી જોડાણ છે.આથી સંગીત થેરાપી, એક્યુપંક્ચર થેરાપી, સુગંધ થેરાપીની જેમ એક નવી થેરાપી ઉદભવી છે - જંગલ થેરાપી. જેમાં હઠીલા રોગ ધરાવતા દર્દીને જંગલમાં રહેવાનું સૂચન કરાય છે. ત્યાં મળતી ખુલ્લી ચોખ્ખી હવા, શુદ્ધ ભેળસેળ વગરના ખોરાક અને તાણમુક્ત વાતાવરણ વચ્ચે દર્દીનો રોગ ચોક્કસ ટૂંક સમયમાં સારો થઈ જાય છે.
હું જંગલનો પ્રેમી છું. મને જંગલની મુલાકાતે જવું, તેમાં રહેવું બેહદ પસંદ છે.પણ આપણા શહેરી જનોને જે બધું પસંદ હોય તે કંઈ થોડું સદાયે મળી રહેતું હોય છે? છતાં એક વાતનો દિલાસો છે કે આપણાં મુંબઈની આસપાસ સંજય ગાંધી નેશનલ પાર્ક, આરે કોલોની, ભાયખલા નો રાણી બાગ જેવા જંગલો મોજૂદ છે. ભલે ત્યાં લાંબો કે કાયમી વસવાટ થઈ શકે પણ એકાદ-બે દિવસ રહેવાની સગવડ તો નેશનલ પાર્કનાં જંગલમાં ઉભી પણ કરવામાં આવી છે.
જંગલની વાત નોખી! ત્યાંનું વાતાવરણ, લીલોતરી, આબોહવા, પૃષ્ઠભૂમિ, જળાશયો, વનરાજી - ફળફૂલ, પ્રાણીઓ,જંતુઓ,દિવસ,રાત, ઋતુઓ બધું નોખું.
જંગલની કેડીએ ચાલતા હોવ તો ધૂળીયે મારગ દિવસેય તમને અંધારું લાગવાની સંભાવના ખરી અને ભર ઉનાળેય તમને ગરમી પ્રકોપમય વર્તાતા, વનરાજીને લીધે ઠંડક વર્તાય એવી શક્યતા ખરી! ચોમાસામાં તો જંગલના સ્વરૂપનું પૂછવું શું? વનસ્પતિ અને જંગલનો જેમ અતૂટ નાતો છે એમ પ્રાણી-પંખી-જંતુઓનો પણ જંગલ સાથે અજોડ રિશ્તો છે. જંગલની કલ્પના સજીવો વગર અને સજીવોની કલ્પના જંગલ વગર કરવી અઘરી છે. સર્કસ કે પ્રાણીબાગમાં પણ તમને પ્રાણીઓ જોવા મળે પણ એની સરખામણી જંગલવાસી પશુઓ સાથે થઈ શકે ખરી?
                જંગલમાં કે જંગલમાં થઈને પ્રવાસે જવ ત્યારે  ભરદિવસે ઉંચા ઉંચા વૃક્ષોની ઘટાઓને કારણે સૂર્યપ્રકાશ જંગલની જમીન સુધી પહોંચી શકતો નહોય તેથી વાતાવરણ અંધારીયું પણ મનોગમ્ય - ઠંડુ હોય. ઘડીક ધીમી તો ઘડીક તેજ રફતારે આગળ વધતા, માર્ગમાં ઝાડ પર ચડતા તો ક્યાંક ઝરણાં-નદીમાં પગ પલાળતાં આગળ વધવાની મજા પ્રવાસની અન્ય કોઈ પ્રવૃત્તિમાંથી મળતા આનંદ કરતા ચોક્કસ વધારે હોય છે! માર્ગમાં ઝાડ પરથી તોડી તાજા ફળો ખાવાની કે ઝાડી-ઝાંખરા આઘાપાછા કરી આગળ વધવાની મજા તો જંગલના પ્રવાસમાં માણવા મળે. માર્ગમાં જો કોઈ પ્રાણીનો અવાજ કે પંખીનું શહેરમાં ક્યારેય સાંભળેલું ગીત કાને પડી જાય તો ત્યારે ઉભા થતા મનોભાવ રોમાંચક તો ક્યારેક ભય ઉત્પન્ન કરનારા પણ બની રહેતા હોય છે! એમાંયે જો પ્રાણી કે પંખી નજરે ચડી જાય તો - તો મારા જેવા પ્રકૃતિપ્રેમીને તો જાણે સ્વર્ગ મળ્યા જેવી અનુભૂતિ થાય!
જંગલમાં ઉગેલું લીલુંછમ ઘાસ કે લતામંડપ કે પછી તેમાં થઈને વહેતી નદીનો ખળ ખળ ખળ ખળ મધુરો નાદ મનમાં એવા સ્પંદન જગાડે છે કે અનુભવ તમને સંપૂર્ણ રીતે રીલેક્સ કરી દે છે - તમે જાણે એક જુદી દુનિયામાં પહોંચી જાવ છો, તમારા સઘળા ટેન્શન્સ-તાણનો સમૂળગો નાશ થઈ જાય છે.
જંગલમાં જો કોઈ મંદીર કે ગુફા જડી જાય તો ત્યાં રાતવાસો કરવાની કેવી મજા પડે!
દિવસ કરતા તદ્દન જુદું એવું જંગલનું બીજું સ્વરૂપ તમને રાતવાસો કરો તો જોવા મળે.અંધારું ભયંકર હોય અને તમરાં અને અન્ય વન્ય જીવોના અવાજ ભયમાં વધારો કરી શકે પણ પ્રકૃતિ પ્રેમીને મન તો ભયનીયે પ્રિતી હોય! ઘણી વાર જંગલમાં ઉંચા ઝાડ પર માંચડો બનાવી પ્રકૃતિપ્રેમીઓ તેમાં રાતવાસો કરતા હોય છે જેથી રાતે તરસ છિપાવવા ટોળામાં નિકળેલા પ્રાણીઓને નિહાળી શકાય,તેમની સંખ્યાની ગણતરી કરી શકાય. નેશનલ પાર્કમાં આવા કૃત્રિમ જળાશય ચોક્કસ સ્થાને ઉભા કરાયા છે અને તેમની નજીક ઉંચા મચાન ઉભા કરાયા છે.
ભીમાશંકરના જ્યોતિર્લિંગના દર્શને આજથી કદાચ બે દસકા અગાઉ જંગલને રસ્તે થઈને મિત્રો સાથે ગયેલો તે દિવસનો અનુભવ આજે પણ મનની સ્મૃતિમાં લીલોછમ - તાજો છે! તો લોહગઢ કે હરીશ્ચંદ્રગઢ પર જવા માટે ઓવરનાઈટ ટ્રેકીંગ કરતી વેળાએ આખી રાત જંગલનો સહવાસ માણતા માણતા કરેલી યાત્રા વેળાએ મનમાં જન્માવેલી અવિસ્મરણીય અનુભૂતિ જીવનપર્યંત એટલી તાજી રહેશે જેટલી તાજી હોય છે જંગલની વહેલી સવારની શુદ્ધ હવા! ગુજરાતનાં વિરેશ્વર મહાદેવનું ઇડર નજીકનું જંગલમાં આવેલું શિવાલય હોય કે પછી કોરાઈગઢ પર આવેલું મહારાષ્ટ્રનું કોરાઈદેવીનું મંદીર; મહારાષ્ટ્રના પેબ, નાખિંડ, વાંગણી, માથેરાન, વિસાપુર, પ્રબલગઢ  વગેરે જેવા સ્થળોએ કરેલા ટ્રેકીંગનો અનુભવ; મનાલી-ધરમશાલા-ચંબા-ડેલહાઉસી જેવા વિસ્તારોની હનીમૂનની ખાસ યાત્રા વખતે લીધેલી મુલાકાત; કેરળના મુન્નાર અને ઠેકડી જેવા વિસ્તારોમાં કે આસામના કોર્બેટ નેશનલ પાર્ક કે માજુલી જેવા નદી પરના ટાપુ જેવા પ્રદેશની ગલીઓમાં પરીવાર સાથે કરેલી સહેલગાહ; વિદેશ ફર્યાનો તો વિશેષ અનુભવ નથી પણ સ્વીત્ઝરલેન્ડ ગયેલો ત્યારે હાર્દર કુલ્મ નામની ત્યાંની એક પર્વતની ટોચે આવેલી જગાની મુલાકાત - બધી યાત્રાઓ અવિસ્મરણીય બની રહી છે દરેક વેળાએ માણેલા જે-તે જંગલપ્રદેશના અનુભવને લીધે!
જંગલમાં સિંહ-વાઘ જેવા વિકરાળ પ્રાણીઓ પણ હોય અને મદમસ્ત હાથી કે લાંબા તાડ જેવા જીરાફ પણ હોય,નાભિમાં કસ્તૂરી સંતાડી પૂર ઝડપે ભાગતા હરણાં પણ હોય અને જમીનમાં બખોલ કરી તેમાં બચ્ચા સંતાડી કૂદકા મારી ચાલતાં સસલા પણ હોય. અહિં જાડાપાડા અજગર પણ હોય અને લાંબા ભયાનક એનાકોન્ડા જેવા સાપ પણ. અહિં સુંદર ખુશ્બુ દાર ફૂલોની મહેક પણ પ્રસરેલી જોવા મળે તો નાનકડા જંતુ-પ્રાણીઓને ભક્ષી જતી વનસ્પતિ પણ. બધાં અહિં સહજીવન માણે છે અને એક બહુ અગત્યનો પાઠ આપણે જંગલ પાસેથી શિખવાનો છે.
જે પોષતું તે મારતું ક્રમ દીસે છે કુદરતી... વિરોધાભાસી તત્વોને પોતાનામાં સમાવી લેતાં જંગલ પૃથ્વી પર જીવન ટકી રહે માટે એટલા જરૂરી છે જેટલા જરૂરી માટે આપણને હવા-પાણી અને પ્રકાશ લાગે છે.