Translate

સોમવાર, 3 જાન્યુઆરી, 2022

ગેસ્ટ બ્લૉગ : સાપુતારા ટેન્ટસીટીના સર્જન પાછળના પ્રેરક પરિબળો

                      મારો જન્મ – ઉછેર કૃષક પરિવારમાં થયો. માતા – પિતા આજે પણ ખેતી કરે છે. એટલે સ્વાભાવિક રીતે કુદરત – પ્રકૃતિ પ્રત્યે એક પ્રકારનો આત્મીય લગાવ પહેલેથી જ. સંજોગોવશાત આર્થિક કારણોસર અધૂરા ભણતરે સુરત જેવા શહેરમાં રત્ન કલાકાર તરીકે કામગીરી શરૂ કરી. પણ ભણી નહી શકાયું તેનો રંજ – અજંપો કોઈ કોઈ વાર સતાવતો હતો. ધીમે ધીમે ઘરે બેઠા પરીક્ષા આપી એમ. કોમ. બી.એડ. અભ્યાસ કર્યો. સુરતમાં ટ્યુશન આપવા શરૂ કર્યા. ત્યાર બાદ એક પરમ ગુરુ સમાન સાહેબ હરેશભાઈ મોરાડિયાનો સંપર્ક થયો અને તેમની સાથે ભાગીદારીમાં ટ્યુશન ક્લાસ શરૂ કર્યા. અમે દર વર્ષે અમારાં ટ્યુશનનાં બાળકોને પ્રવાસે લઈ જતા. અમારી મોટા ભાગની પ્રવાસની જગાઓ નૈસર્ગિક સૌંદર્ય ધરાવતાં સ્થળ રહેતી. વર્ષ ૨૦૧૬માં અમે મનાલીના પ્રવાસનું આયોજન ગોઠવેલું. ત્યાં એક ટેન્ટ સીટીમાં રોકાયા ત્યારે પહેલી વાર મને મારી માતૃભુમિ ગુજરાતમાં ટેન્ટ સીટી બનાવવાનો વિચાર મનમાં સ્ફૂર્યો. પરંતુ ટેન્ટ સીટી બનાવવા માટે મોટા પાયે નાણાંની જરૂર પડે, જે મારી પાસે નહોતા એટલે આ નવા સાહસ વિશે વિચારવાનું છોડી પાછા ટ્યુશનમાં કાર્યમાં લાગી ગયા. 

     થોડા સમય બાદ મને સુરતથી થોડે દૂર ગ્રામીણ વિસ્તારમાં નોકરી મળી, જે સંપૂર્ણ કુદરતી વાતાવરણ વચ્ચે જ હતી. વર્ષો બાદ ફરી ટેન્ટ સીટીનો વિચાર મનમાં ઘોળાવા લાગ્યો. તે સમયથી મારા મને એક નવી જ ઉમ્મીદ સાથે એક મક્કમ નિર્ણય કર્યો કે હવે કોઈ પણ ભોગે આ નવું સાહસ ખેડવું.     

        ૨૦૧૬માં મારા ટ્યુશનની મનાલી ટુરમાં મારા  મિત્ર ડોક્ટર રાકેશ જે પટેલ પણ આવ્યા હતા, તેમને મેં વાત કરી કે મારી પાસે એક નવા બિઝનેસનો વિચાર છે. પરંતુ મારી પાસે નાણાં નથી, અને મેં મારા મનમાં સંતાયેલા વિચારને સૌથી પહેલા તેમની સમક્ષ રજૂ કર્યો. એમને મારા નવા વિચારમાં રસ પડ્યો અને અમે એક નવા બિઝનેસનું પ્લાનિંગ શરૂ કરી દીધું.

         અમે સાથે મળી જમીન શોધવા લાગ્યા. જમીન શોધતી વખતે પણ મનમાં જે આયોજન રમતું હતું તેમાં પણ કુદરતનું સાનિધ્ય અને શાંતિ મોખરે હતા. એક એવી જગ્યા જે ચડતી ઊતરતી ટેકરીઓની વચ્ચે હોય, આજુ બાજુ ખુલ્લાં ખેતરો હોય, બાગ પણ હોય અને વિવિધ વૃક્ષો જેમાં ફળાઉ ઝાડ પણ હોય, સમગ્ર પરિસરમાં કૃત્રિમ સિસ્ટમને બદલે એક સહજ, સરળ ભાવનાત્મક – આવનાર લોકોને આત્મીયતાનો અનુભવ કરાવે એવું વાતાવરણ હોય એવું સ્વપ્ન જોયેલું.

              ત્યાર બાદ હરેશભાઈ, રાકેશભાઈ અને અમારા મિત્ર સમા એક બિઝનેસ અગ્રણી વિરલકુમાર કાકડિયા પણ એમાં જોડાયા અને અમે સાથે મળી નવા સોપાન માટે કુદરતી સૌંદર્ય ધરાવતી જગ્યા શોધવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં અમે ધરમપુર પાસે આવેલ બિલપૂડી ગામે એક ધોધ પાસે જગ્યા જોઈ પરંતુ તે જગ્યામાં કુદરતી સૌંદર્ય ઘટતું દેખાયું, એટલે ત્યાંથી અમે સહ્યાદ્રિ  ગિરિમાળામાં ગુજરાતનું એકમાત્ર ગિરિમથક આવેલું છે તે સાપુતારા બાજુના વિસ્તારમાં કુદરતી સૌંદર્ય ધરાવતી જગ્યા જોવાનું શરૂ કર્યું. એવામાં  અમારો સંપર્ક ડાંગ જિલ્લામાં શિક્ષણ સેવા આપતા લોહપુરુષ સમાન એવા પી. પી. સ્વામીજી સાથે થતાં, તેમણે અમારો મેળાપ માલેગામના એક ખેડૂત સાથે  કરાવ્યો અને અમને કુદરતી સૌંદર્ય ધરાવતી એક ખૂબસૂરત જગ્યા મળી. જ્યારે અમે એ જગ્યા લીધી ત્યારે ત્યાં ભારે જંગલ વિસ્તાર હતો. તે જગ્યા પર અમે બધા ભાગીદારોએ સ્વપ્રયત્ને, લેન્ડ સ્કેપ તથા આર્કિટેકટ પ્લાનિંગ કરી અને ડેવલપમેન્ટનું કાર્ય શરૂ કર્યું. અમારા પરિવારના સભ્યોએ પણ ખૂબ મોટો ફાળો આપ્યો અને બન્યું સાપુતારા ટેન્ટસીટી! 

 આજે અહીં ઘણાં પ્રવાસીઓ આવે છે અને તેમને આ જગા ગમે છે ત્યારે લાગે છે કે આ સાહસમાં અમે થોડે-ઘણે અંશે સફળ થયા છીએ. એનો આનંદ છે, રાજીપો છે. આ આનંદમાં કુદરતની મહેર સહભાગી છે. લોકો જ્યારે અભિનંદે ત્યારે ઉત્સાહ બેવડાય છે. 

         હજી આવું એક સંકૂલ નર્મદા કિનારે સર્જવાનો વિચાર છે. વિચાર છે તો ક્યારેક ધરતી પર અવતરશે એ ચોક્કસ! 

- ભરત જસરાજભાઈ માંગુકિયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો