Translate

લેબલ gujarati સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ gujarati સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 16 સપ્ટેમ્બર, 2017

ગેસ્ટ બ્લોગ : માતૃભાષાનું મહત્વ

                       આજે આપણે એકવીસમી સદીમાંથી પસાર થઈ રહ્યા છીએ. છેલ્લા ત્રણ ચાર દાયકામાં વિશ્વમાં ઘણું બદલાયું છે. આપણા દેશમાં પણ ઘણા બધા બદલાવ થતા રહે છે અને હજી ઘણા પરિવર્તનો જોવા મળશે. આધુનિક યુગમાં ટેક્નોલોજીએ માનવીના વિકાસને અદભુત વેગ આપ્યો છે. આ પ્રગતિનો આવિષ્કાર ઠેર ઠેર જોવા મળે છે. કહેવાય છે પરિવર્તન એ સંસારનો નિયમ છે. અભ્યાસીઓ તથા અનુભવીઓ પણ એક વિધાન સાથે સંમત થયા છે કે પરિવર્તન આવશ્યક છે ને આવકાર્ય પણ છે.પ્રશ્ર એ છે કે શું આધુનિકતાને પરંપરાને ભોગે અપનાવવી યોગ્ય છે? જ્ઞાનીઓના મતે પરંપરાનો મલાજો જાળવી આધુનિકતાને અપનાવવી ઉચિત છે.
                           વિવિધ ક્ષેત્રોની માફક શિક્ષણના ક્ષેત્રમાં પણ આમુલ પરિવર્તન જોવા મળે છે. શિક્ષણનો વ્યાપ વિસ્તૃત થયો છે, પણ સાત્વિકતા ઘટી ગઈ છે. શૈક્ષણિક મૂલ્યો પણ બદલાતા જાય છે. ઉચ્ચ ગુણાંકો સાથે ઉત્તિર્ણ થવું સહજ થઈ ગયું છે. વ્યવસાયમાં પ્રવેશ્યા પછી, મેળવેલા શિક્ષણનું મૂલ્ય નથી રહેતું,કારણ કે ભણતર છે, પણ ગણતર નથી.
                            આજ કાલ શિક્ષણના માધ્યમ વિશે ઉહાપોહ થાય છે, પરંતુ વિરોધનું કોઈ પરિણામ નથી દેખાતું. શાળાઓમાં હવે અંગ્રેજી ભાષાનો અમલ થયો છે. આ પવિત્ર ધામમાંથી ગુજરાતી ભાષા લુપ્ત થતી જાય છે.અંગ્રેજીનો વિકલ્પ નથી તે સાચું છે, પણ શું ગુજરાતી પારિવારિક વાતાવરણમાં ગુજરાતી ભાષાનો સમાંતર વિકલ્પ હોવો જરૂરી નથી? અમે ભણતા ત્યારે માધ્યમ તો ગુજરાતી હતું,પણ અંગ્રેજી એક અલગ વિષય હતો આ અંગ્રેજી ભાષાને એકસરખું પ્રાધાન્ય અપાતું. શાળા જીવનથી જ અંગ્રેજીનો પાયો મજબુત હતો, તેથી કોલેજમાં અને વ્યવસાયમાં કોઈ મુશ્કેલી નડી નહીં.  
                            અહીં એવો કોઈ આગ્રહ નથી કે શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. અંગ્રેજી ભાષાના માધ્યમને સ્વીકારવું જ રહ્યું, કારણ નોકરી કે વ્યવસાયમાં તે જ કામનું છે, પણ ગુજરાતી ભાષાને એક વિષય તરીકે તો અપનાવવી જ જોઈએ.ગુજરાતી ભાષાનું અવમૂલ્ય થતું અટકાવવા માટે તાકિદે કેટલાક પગલાં લેવાનું અત્યંત આવશ્યક છે. અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકને ઘરના સભ્યોએ ગુજરાતી આપણી માતૃભાષા છે અને તે આપણી જાતનું પ્રતિબિંબ પાડે છે એમ કહી આ ભાષાનું મહત્વ સમજાવવું જોઈએ. અંગ્રેજી શબ્દ “બટર” ને ગુજરાતીમાં “માખણ”  કહેવાય તે તેને ખબર નથી, કે આંકડાઓને અંગ્રેજીમાં ભાષાંતર કરી સમજાવવું પડે,તે ગુજરાતી પરિવારની દુ:ખદ કરૂણતા છે.
                            ઘરમાં ગુજરતી ભાષાનું ચલણ રહે તેની જવાબદારી માતા પિતાની છે. ગુજરાતી સંગીતના કાર્યક્રમો, ગુજરાતી નાટકો તથા ગુજરાતીપુસ્તકોવાંચવા માટે પ્રોત્સાહિત કરવું અત્યંત જરૂરી છે. ઓછામાં ઓછું એક ગુજરાતી અખબાર વાંચવાની સંતાનને આદત પાડવી આવશ્યક છે. આમ અંગ્રેજી માધ્યમમાં ભણતા દરેક વિધ્યાર્થી ગુજરાતી વાંચતા લખતા અને સમજતા થઈ જાય તો આપણી ભાષાને કોઈ આંચ આવે એમ નથી.આખરે તો હેતુ માતૃભાષાનો અનાદર નહીં, પણ આદર કરવાનો છે તથા તેની ગરિમાને જાળવવાનો છે. પ્રત્યેક ગુજરાતીના હ્રદયમાંથી આ ઉદગારો સરે તો ગુજરાતી ભાષાનું ભાવિ અપેક્ષા કરતાં વધુ ઊજળું બનશે
                              “હું ચાહું મુજ માતૃભાષાને, જેમ ચાહું મુજ માતા
                              હું ગુજરાતી ગૌરવવંતો, જેનો શબ્દ મને દે શાતા”. 
 
                                                                              - નીતિન વિ મહેતા.  

સોમવાર, 25 નવેમ્બર, 2013

ગુજરાતી-અંગ્રેજી દેશી-વિદેશી


થોડા સમય અગાઉ એક કાર્યક્રમ માણ્યો.શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ પરફોર્મ કર્યું અને મજા આવી એ કાર્યક્રમ જોવાની.પણ એક મુદ્દા પર આ કાર્યક્રમમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.તેના પર થોડું મનન કરતાં જણાયું કે એ મુદ્દા સાથે હું સહમત નથી. મુદ્દો હતો ગુજરાતી અસ્મિતાની જાળવણી માટે અંગ્રેજી અને વિદેશી એવી સર્વ વસ્તુઓ અને બાબતોને જાકારો આપવાનો.
        કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતની ભવાઈની ઝાંખી જોવા મળી.સંત મહાત્માના વેષમાં વિદ્યાર્થીઓ આવે અને સામા પાત્રોને ઉપદેશ આપતાં સાથે જ પ્રેક્ષકોને સંદેશ આપે એ રજૂઆત પણ ગમી.કાર્યક્રમને અંતે યુવા વિદ્યાર્થીઓ મન ભરીને ગરબે ઘૂમ્યાં અને રાસ રમ્યાં એ પણ ગમ્યું પણ સમગ્ર કાર્યક્રમમાં એક મુદ્દા પર ખૂબ ભાર મૂકાયો કે ગુજરાતીની જાળવણી માટે અંગ્રેજીને જાકારો આપવો,પરદેશ જવું પાપ સમાન છે અને બધી જ પરદેશી વસ્તુઓનું સેવન તદ્દન અયોગ્ય છે આ બાબત મને જરા કઠી.
         આજનો યુગ ગ્લોબલાઇઝેશનનો છે.આજે સમગ્ર દુનિયામાં સામાન્ય હોય એવી એક ભાષાના જ્ઞાનની સખત જરૂર છે. ભારતની જ વાત કરી તો અહિં ઓગણત્રીસ જેટલા રાજ્યો છે અને એ બધાંની અલગ સંસ્કૃતિ અને વિવિધ ભાષાઓ છે. તમે દક્ષિણ ભારતમાં જાઓ અને અંગ્રેજી ન જાણતા હોવ તો તમે મુશ્કેલીમાં મુકાઈ જાવ કારણ ત્યાંના લોકોને હિન્દી રાષ્ટ્રભાષા હોવા છતાં તેનું જ્ઞાન હોતું નથી તેઓ પોતાની માતૃભાષા અને અંગ્રેજી જ જાણતાં હોય છે. આમ આપણને એક ગ્લોબલ લેંગ્વેજ સારી રીતે આવડે એ અનિવાર્ય છે.

અહિં હું એમ નથી કહી રહ્યો કે તમને અંગ્રેજી જ આવડવું જોઇએ અને ગુજરાતીને અભરાઈએ ચડાવી દો.પણ અંગ્રેજીને જાકારો આપી દો એ પણ તદ્દન અવ્યવહારૂ ગણાય.આજના યુગનું બાળક અતિ સ્માર્ટ હોય છે. તેને બે કરતા વધુ ભાષાઓનું જ્ઞાન એક સાથે ચોક્કસ આપી શકાય. અંગ્રેજી A B C D સાથે ગુજરાતી બારાખડી પણ શિખવો. તેને માતૃભાષા પ્રત્યે લગાવ પેદા થવો જ જોઇએ અને તેને એમાં લખતા-વાંચતા પણ આવડવું જ જોઇએ. ગુજરાતી માધ્યમની શાળામાં બાળકને મૂક્યું ન હોય તો પણ તેને ગુજરાતી ભાષાના વર્ગોમાં મોકલી કે ઘરે તેને ગુજરાતી શિખવી તેની માતૃભાષામાં રૂચિ ચોક્કસ પેદા કરી શકાય. તેને દરેક અંગ્રેજી શબ્દોનું ભાષાંતર કરી એ માટેનો ગુજરાતી શબ્દ આવડે એની ખાતરી કરો.આ માટે પહેલા તો એ ગુજરાતી શબ્દોની જાણકારી તેના માબાપને હોય એ જરૂરી છે આથી એ માટે અંગ્રેજી-ગુજરાતી અને ગુજરાતી-અંગ્રેજી શબ્દકોષ (ડિક્ષનરી) વસાવો.ગુજરાતી પુસ્તકો ખરીદો અને તે વાંચો અને તમારા બાળક પાસે વંચાવો.પણ અંગ્રેજી ભાષા પ્રત્યે સૂગ ન રાખો અને તેના પ્રત્યે પણ તમારા બાળકના મનમાં અણગમો પેદા ન કરો.ઉજ્જવળ ભવિષ્ય માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન આવશ્યક બની રહેશે.

        તાજેતરમાં જ એક સર્વેક્ષણ થયું અને તેમાં વિશ્વની શ્રેષ્ઠ વિદ્યાપીઠો,શાળાઓ-કોલેજોની યાદી તૈયાર થઈ. દુ:ખદ અને કમનસીબીભર્યું તથ્ય એ છે કે એમાં ક્યાંય દૂર દૂર સુધી ભારતની કોઈ શિક્ષણ સંસ્થાનું નામ નહોતું. નાલંદા - તક્ષશિલા, શાંતિનિકેતન જેવી શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓ જ્યાં હતી તેવા આપણાં ભારતમાં આજે શિક્ષણ માત્ર પૈસા કમાવાનું સાધન બની ગયું છે. ગુણવત્તાના નામે મીંડુ એવી ભારતીય શિક્ષણ સંસ્થાઓમાં જ વિદ્યાર્થીઓ ભણે એવો દુરાગ્રહ શા માટે? ઓક્સ્ફર્ડ,કેમ્બ્રિજ,માસાચ્યુસેટ્સ વગેરે જેવી વિદેશી શિક્ષણ સંસ્થામાં ઉચ્ચ શિક્ષણ લેવા જવું ચોક્કસ પાપ સમાન નથી જ. આપણે માત્ર વિદેશી વસ્તુઓની નિંદા કરવાને બદલે પહેલા આપણે ત્યાં રહેલી બદીઓને દૂર કરવા પર ધ્યાન આપવું જોઇએ. ભારત પાસે વિશ્વમાં દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ બને રહેવાની લાયકાત છે અને તેને ઉભારવાના પ્રયત્નો થવા જોઇએ.

        જ્યાં સુધી પિઝા અને પાસ્તા ખાવાનો પ્રશ્ન છે કે વિદેશી સંસ્કૃતિ અપનાવવાની વાત છે ત્યાં મારો મત એવો છે કે દરેક સારી વસ્તુ પ્રમાણ અને મર્યાદામાં કરી શકાય. ‘અતિ સર્વત્ર વિનશ્યતે’ નો નિયમ યાદ રાખીને ક્યારેક ચેન્જ માટે વિદેશી ખાણું ખાઈ લઈએ કે વેલેન્ટાઈન ડે કે ફ્રેન્ડશીપ ડે ઉજવી લઈએ કે સારા અંગ્રેજી ગીતો સાંભળી તેના પર ક્યારેક પાર્ટી વગેરેમાં ડાન્સ કરી લઈએ તો કોઈ ગુનો નથી થઈ જતો. સારા વિચારો અને સારી વાતો તો બધી જ દિશાઓમાંથી પ્રાપ્ત થવી જ જોઇએ - ગ્રહણ કરવી જ જોઇએ. હા,આપણાં મૂળ-આપણી સંસ્કૃતિને ભોગે નહિ એનો ખ્યાલ રાખવો જોઇએ.

રવિવાર, 12 મે, 2013

ગુજરાત / ગુજરાતી મારી માતા


થોડા દિવસો અગાઉ ગુજરાત જવાનું થયું.

કાળઝાળ ગરમી હોવા છતાં મને ગુજરાત જવું ગમે છે. ત્યાંની ગરમલૂ’ મુંબઈના પસીના પેદા કરતા બાફ કરતા વધુ સહ્ય લાગે છે. ત્યાંની, ઉનાળાની ધાબા પર વીતતી રાતનું તો પૂછવું શું! પવનની શીતળ લહેરો આખા દિવસના તાપ અને થાકને ભૂલાવી દે!

અને આમ પણ ગુજરાત પ્રત્યે મને એક અલગ  પ્રકારનું આકર્ષણ પહેલેથી  રહ્યું છે. મારા પિતા ઘણાં કાર્યક્રમોમાં કહે છે, ગાય છે તેમ 'ગુજરાત મારી માતા અને મહારાષ્ટ્ર મારી માસી' -  પ્રકારની લાગણી કદાચ હું  પણ  અનુભવું છું. માતા તો માસી કરતા વિશેષ વહાલી હોય ને !

વખતે ગુજરાતવાસ દરમ્યાન  થયેલા થોડા રસપ્રદ  અનુભવોની વાત કરવી છે.

ગુજરાતમાં મણીનગર સ્ટેશન ઉતરતા સામે બીઆરટીએસ કે જનપથ બસ સ્ટેશન પર ગયો અને અમદાવાદ જવા ત્યાં થી બસ પકડી. વર્ષો પહેલા આપણાં મુંબઈમાં જે ટ્રામ બસ દોડતી તેવી  જનપથ માર્ગ પર દોડતી બસો ગુજરાતનું એક જમા પાસું ગણી શકાય. ખૂબ સારો રહ્યો  બસમાં મુસાફરી નો અનુભવ . બસમાં ચડતા પહેલા  ટિકીટ લઈ લેવાનીદરેક સ્ટેશન પર ઓટોમેટિક દરવાજા ખુલી જાય.સ્ટેશન આવતા પહેલા ત્રણ ભાષામાં તે સ્ટોપનાં નામનું વ્યવસ્થિત અનાઉન્સ્મેન્ટ થાય. બેસવાની સીટો ઓછી, પણ વધુ યાત્રીઓ ઉભા રહી શકે તેવી મોકળાશ. કેટલીક જનપથ બસો તો વાતાનૂકુલિત એટલે કે . સી . પણ જોવા મળે! જનપથનો માર્ગ અલાયદો અને માત્ર બીઆરટીએસ ની બસો  તેના પર દોડે એટલે તેને ટ્રાફિકની સમસ્યા નડે  નહિ. મને તો જનપથની  સુવિધા ખૂબ ગમી.

અમદાવાદ જઈ ત્યાં 1મે થી 7મે સુધી યોજાયેલ ખરા અર્થ માં ભવ્ય એવા પુસ્તક મેળા -  'નેશનલ અમદાવાદ બુક ફેર 2013'ની મુલાકાત લીધી ગુજરાતી ભાષાના હજારો પુસ્તકો અનેક પ્રકાશકોના વિવિધ સ્ટોલ્સ પર જોવા અને ખરીદવા નો લહાવો લીધો ખૂબ સારું આયોજન હતું. ખ્યાતનામ લેખક, કવિ અને સાહિત્યકારોના પ્રવચનો ,સેમિનાર્સ  અને કાર્યક્રમો પણ  મેળાના ભાગ રૂપે સાતે દિવસ દરમ્યાન રાખવામાં આવ્યા હતાં. હું એક  દિવસની મુલાકાત લેવાની હોઈ, 'કોપી એડીટીંગ અને પ્રૂફ રીડીંગ' વિષય પરનું એક સેમીનાર અને લોકપ્રિય ગુજરાતી લેખક ગુણવંત શાહ નું 'ગુજરાતી મારી મા અને અંગ્રેજી મારી માસી' વિષય પરનું મનોમંથન જગાવતું પ્રભાવી વક્તવ્ય માણી શક્યોપણ જો શક્ય હોત તો સાતે દિવસ  પુસ્તક મેળા ની મુલાકાત લેવાનું અને તેમાં યોજાયેલા અન્ય રસપ્રદ કાર્યક્રમો માણવાનું  મને ગમ્યું હોત!

અમદાવાદથી મહેસાણા ગયો. ત્યાં હજી અમદાવાદ જેટલું મુંબઈ જેવું શહેરીકરણ થયું નથી અને તેથી મને વધુ  ગમે છે. મારા સાસુએ કોઈએ વ્રત કર્યું હતું અને તેથી તેમને માછલીઓને લોટ ની ગોળીઓ ખવડાવવાની હતી. તેમની સાથે ઘરની નજીક આવેલા એક તળાવ પાસે ગયા અને ત્યાં દૂર ઉભા રહી મનોહર કુદરતી દ્રશ્યની સુંદરતા માણી. મારા સાસુ સાથે મેં અને નાનકડી નમ્યાએ પણ માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવાનો સરળ આનંદ માણ્યો.  તળાવ માં અમે માછલીઓને ખવડાવતા હતા અને બે-ત્રણ બતક અમારી સામે માછલીઓને ખાવા પાણી માં ડૂબકી લગાવતા હતા! નમ્યાને  જોઈ ખૂબ આશ્ચર્ય થતું હતું પણ  તો કુદરત ની જૈવિક સાંકળ! અહીં દયા-માયા  જેવા ભાવો કામ લાગે .તળાવમાં કાચબા પણ જોયા.

તળાવ પાસે થોડો સમય પસાર કર્યા બાદ અમે પાંચોટ ગામ પાસે આવેલ ભૂવનેશ્વરી દેવીનાં મંદિરે દર્શન કરવા ગયા ત્યાં એક મોટું વડ નું ઝાડ જોયું ઘટાટોપ એવા વૃક્ષ ની ફરતે વિશાળ ગોળાકાર ઓટલો બનાવેલો હતો પણ મને જોઈએ નવાઈ લાગી કે ઓટલો ખાસ્સો  માણસની હાઈટ જેટલો ઉંચો હતો અને તેના પર બેસવા, ઉપર ચડવા વ્યવસ્થિત દાદરા બનાવેલા હતા અત્યાર સુધી જોયેલ વડની ફરતે બનાવેલા સામાન્ય ઓટલા કરતા ઓટલો ખાસ્સો અલગ દેખાતો હતો . મારા સાસુએ મારા મોઢા પર છવાયેલા પ્રશ્નાર્થાસૂચક ભાવો પામી જઈ હું પૂછું પહેલા મને જણાવ્યું કે માથે લાકડાનો ભારો લઈ ગ્રામજનો ભરબપોરે અહી થી પસાર થાય ત્યારે માથા પરનો ભારો નીચે ઉતારવા અને પછી પાછો માથે ચડાવવા કોઈ હાજર ના હોય તો તેમને તકલીફ પડે  માટે  ઓટલો આટલો ઉંચો બનાવાયો હતો. બપોર ની કાળઝાળ ગરમી થી બચવા બે ઘડી વડલાની છાયા માં આરામ કરવા થોભવું હોય તો કોઈની મદદ લીધા વગર સીધો ભારો પોતાની મેળે  ઓટલા પર  ઉતારી શકાય અને આરામ કરી લીધા પછી પાછા જતી વેળાએ પોતાની મેળે   પાછો માથે મૂકી આગળ વધી શકાય!

કેટલું  સુંદર વિચારપૂર્વકનું આયોજન!

મંદિરમાં માતાજીના અને મંદિરની  આસપાસનાં પ્રાકૃતિક સૌન્દર્યનાં ધરાઈ ને દર્શન કર્યા અને નમ્યાને કરાવ્યા બાદ ત્યાં પક્ષીઓને ચણ નાખી ,ગૌશાળામાં ગાયોને ઘાસ ખવડાવ્યું અને ઘેર પાછા ફર્યા. અજબનાં સંતોષ અને આનંદનાં અનુભવ સાથે.

રાતે ઘરની બહાર બગીચા પાસે બાળકો રમતા હતા ત્યાં એક બાળકને વિંછી કરડ્યો અને બધાનાં જીવ ઊંચા થઇ ગયા પણ ભાગવાનની  કૃપા થી સમયસર યોગ્ય સારવાર મળતા તે સાજો થઇ ગયો.

તે પછી, બે દિવસ નડીયાદ ફર્યો. ત્યાં પણ ખૂબ મજા આવી અને ચાર દિવસના ગુજરાત પ્રવાસ બાદ ફરી મુંબઈ પાછો આવ્યો અને Back to Routine !

જોગાનુજોગ આજેમધર્સ ડે’ છે તો બ્લોગ દ્વારા મારી બંને માતાઓ - એક મને જન્મ આપનાર મારી જનની 'નિર્મળા' અને બીજી ગુજરાત/ગુજરાતીને હૃદય પૂર્વક, ભાવપૂર્વક સલામ અને શુભેચ્છા  !!!