Translate

રવિવાર, 29 ઑગસ્ટ, 2010

ગેસ્ટ બ્લોગ : શ્રાવણ મહિનો અને કોમનવેલ્થ ગેમ્સનું આયોજન

                                                                                             - લતા બક્ષી, બોરિવલી, મુંબઈ

શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે.હવે પર્વના દિવસો ચાલુ થયા. દેવદિવાળી સુધી ઉમંગ તાજો રહેવાનો.જો કે મન ખુશ અને આનંદિત હોય તો સદાયે આનંદ જ છે! દેવ દર્શન,પૂજા અર્ચના,દાન પુણ્યના મહિમાનો આ સમય છે.વર્તમાન સમયમાં ધર્મના ક્ષેત્રમાં માણસનો ભૌતિક દેખાવ,અહમ વૃત્તિ અને આડંબર સાત્વિક્તા અંગે વિચાર માગી લે છે.મારા નમ્ર મતે ધર્મ એ અંગત બાબત છે.જે ભગવાન સાથે આપણે તાર જોડવા પ્રયત્ન કરીએ તેને કરોડોના દાગીના-મુગટથી લાદીએ તો શું એમાંથી એવો સૂર નથી નિકળતો કે જો મેં તને કેટલું આપ્યું!ભૌતિકતામાં ભક્તિ અને ભાવ વિસરાઈ જાય છે.માણસ અજાણતામાં પણ જો બીજાનું શુભ કરે તો તે ધર્મને આત્મસાત કરે છે. હું માણસ મટીને માનવ થાઉં એ જ મારે માટે અર્થપૂર્ણ છે.


હાલમાં આગામી ઓક્ટોબરમાં ભારતમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સના આયોજન વિષે ઘણું વાંચવા-જાણવા મળ્યું છે.તેમાં ગેમ્સ સિવાય સર્વ ચીજો ખેલાઈ રહી છે! બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર પછી યુદ્ધ અંગેના ગુનાઓનો ખટલો જે વ્યક્તિઓ સામે નોંધાયો હતો તેઓના બચાવમાં મુખ્ય મુદ્દો એ હતો કે અમુક નિર્ણય તેઓનો ન હતો, તેમણે માત્ર તે નિર્ણયનો અમલ કર્યો હતો - આવો જ કંઈક સૂર હાલમાં રમતના આયોજન અંગેના કથિત કૌભાંડમાં સંડોવાયેલ વ્યક્તિઓનો જોવા મળે છે.આવી અયોગ્ય સરખામણી માટે માફી ચાહું છું પણ આથી વધુ સચોટ સરખામણી મને અત્યારે યાદ આવતી નથી.પ્રજાના ધનનો અમર્યાદ બેફામ વ્યય થતો જોઈને કવિશ્રી ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ - ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે’ - યાદ આવે છે.

ચાલીના રહેણાંક અંગે આજ કટારમાં અગાઉ વિકાસભાઈએ લખેલા સ્વાનુભવના પ્રતિભાવમાં એટલું જ કહીશ કે આવી ચાલીઓમાં રહેનારાઓની જગા નાની હોય છે પણ મન મોટાં હોય છે. આ લેખનકાર્ય માટે મીઠા આગ્રહ અને પ્રોત્સાહન માટે વિકાસભાઈનો આભાર માનતા માનતા મારો આ પ્રથમ બ્લોગ અહિં પૂરો કરું છું.

- લતા બક્ષી, બોરિવલી, મુંબઈ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો