Translate

લેબલ 'married woman protecting act' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'married woman protecting act' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 22 માર્ચ, 2020

ગેસ્ટ બ્લોગ - તમારી પત્ની અને બાળકો આર્થિક રીતે સુરક્ષિત છે?

     આજે આ બ્લોગ ની શરૂઆત વેદ વ્યાસ રચિત મહાભારતની એક વાર્તા થી કરીશ. આ વાર્તા આપણા જીવનની અનિશ્ચિતતા પર પ્રકાશ પાડે છે.

યુધિષ્ઠિર જ્યારે ઇન્દ્રપ્રસ્થ ના રાજા હતા ત્યારની વાત છે. એક દિવસ એક ભિક્ષુક એમની પાસે ભિક્ષા માંગવા આવ્યો. યુધિષ્ઠિર કોઈ કાર્યમાં વ્યસ્ત હતા, એટલે એમણે ભિક્ષુકને બીજા દિવસે આવવા કહ્યું. ભીમ ને આ વાત ની ખબર પડી એટલે એણે નગર માં ઢંઢેરો પિટાવ્યો કે મોટાભાઈ ત્રિકાળદર્શી થઇ ગયા. યુધિષ્ઠિરે પૂછ્યું, આ શું કરે છે? ભીમે કહ્યું મારી ખુશી જાહેર કરું છું. તમે ત્રણેય કાળનું દર્શન કરી શકો છો. તમે ભિક્ષુક ને કાલે આવવા કહ્યું એટલે તમે જાણો છો કે કાલે તમે હશો. તમે આવતી કાલને આજે જોઈ લીધી. યુધિષ્ઠિરને પોતાની ભૂલ સમજાઈ. એમણે ભિક્ષુકને બોલાવીને ભિક્ષા આપી અને માફી માંગી.

આપણે બધા જાણીએ છીએ કે રાજા રામ પણ નહોતા જાણતા કે બીજે દિવસે એમનો રાજ્યાભિષેક થવાનો છે કે એમને વનવાસ મળવાનો છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!

વાર્તાનો સાર : આપણે ભવિષ્યની ગર્તામાં શું ધરબાયું છે એ નથી જાણી શકતા. મિત્રો, એક બાજુ આપણે નિશ્ચિતપણે ભવિષ્ય નથી જાણી શકતા અને બીજી બાજુ આ જ અનિશ્ચિતતા આપણને દોડતા રાખે છે.

આવતીકાલ ની અનિશ્ચિતતા આપણને વધુ ને વધુ કાર્ય કરવા માટે અને વધુ કમાણી કરવા માટે, વધુ બચત કરવા માટે અને વધુ  જોડવા માટે પણ ભાગતા રાખે છે. ક્યારેય વિચાર કર્યો છે કે આપણે શા માટે આવી રીતે એક એટીમ (એની ટાઈમ મની) મશીનની જેમ કામ કરીએ છીએ? અને કોના માટે કરીએ છીએ? તમે તરત જ ચોક્કસપણે કહેશો કે પરિવાર માટે, જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ અને જેની આપણને પરવાહ અને ચિંતા છે.

માની લીધું કે તમે તમારા પરિવાર માટે જ કમાવો છો અને ભેગું કરો છો. પણ કેટલી ખાતરી સાથે તમે કહી શકો કે કોઈ પણ પ્રકારની અસાધારણ પરિસ્થિતિમાં પણ આ કમાયેલું ધન એમના હાથમાં જ આવશે?  અસાધારણ પરિસ્થિતિ જેમ કે ડિસએબીલીટી, (disability) મૃત્યુ કે પછી રિટાયરમેન્ટ.

આપણે દરેકે  ક્યારેક ને ક્યારેક આ અનુભવ કર્યો હશે કે આપણા કોઈ પરિચિત ના જીવનમાં જોયું હશે કે પૈસેટકે ગમે એવા સદ્ધર હોય તો પણ એમના બૈરી છોકરાં એ અસાધારણ અને ઓચિંતી પરિસ્થિતિમાં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવાનો વારો આવ્યો હોય.

આવી અણધારી પરિસ્થિતિમાંથી ઉગરવા અને પત્ની અને બાળકોને એક સન્માનપૂર્વક જીવન આપવા માટે ભારત સરકારે એક એવો કાયદો બનાવ્યો છે જેના થકી વ્યક્તિ પોતાના ઇન્વેસ્ટમેન્ટ ને કોઈપણ પ્રકારના લીગલ અટેચમેન્ટ થી સુરક્ષિત રાખી શકે છે.

તમે કોઈ આવા પ્રકારના કોઈ કાયદા વિશે જાણો છો? આવો કોઈ કાયદો આપણે ત્યાં છે એ વિશે કોઈ જાણકારી છે તમને? મને ખબર છે તમે તરત જ કહેશો, હાં પીપીફ (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) છે ને. તમારી જાણ ખાતર કહી દઉં કે પીપીફ સેવિંગ સ્કીમ છે. પીપીફ માં જયાં સુધી પૈસા પડયા છે ત્યાં સુધી અટેચ ના થાય. તમારી વાત સાચી. એક વખત એમાંથી પૈસા ઉપાડવા માં આવે એટલે એ તમારા સેવિંગ બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર થાય. જે એકાઉન્ટ અટેચેબલ છે. ઉપરથી ભારત સરકારે પીપીફમાં 1.50 લાખ ની હાયર લિમિટ રાખી છે.

અત્યારે હું જે કાયદા ની વાત કરું છું એ બ્રિટિશ ના સમયથી છે અને ભારત સરકારે પછીથી એમાં ફેરફાર કર્યા છે, જેની જાણ બહુ જ ઓછા લોકોને છે. જે તમારી પત્ની અને બાળકોને ફિનાન્સીઅલ કવચ પૂરું પાડે છે.

આ કાયદા દ્વારા તમારા પત્ની અને બાળકો ન માત્ર તેમનાં સપનાં જેમ કે હાયર એડયુકેશન કે એના જેવા બીજા સપનાં પુરા કરી શકે. ન કરે નારાયણ, તમારી હયાતી ન હોય તો પણ તેઓ સ્વમાનપૂર્વક નું પોતાનું જીવન કોઈના પર આધાર રાખ્યા વગર સારી રીતે જીવી શકે.

આ કાયદો એટલે મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ ૧૮૭૪, અમેન્ડેડ એક્ટ ૧૯૫૯.

આ કાયદાના સેક્શન ૬ વડે કોઈપણ પરિણિત પુરુષ, વિધુર કે છૂટાછેડા લીધેલ પુરુષ પોતાના જીવન પર ઇનસ્યુરન્સ કરાવે. ટર્મ કે એન્ડોમેન્ટ કે માર્કેટ સાથે જોડાયેલ કોઈપણ પ્રકારના પ્લાન લઈ શકે. એમાં એ માત્ર પોતાની પત્ની, માત્ર સંતાનો કે પછી પત્ની અને સંતાનો ને બેનેફિસયરી બનાવી શકે.

આ એકટ માં કોઈ હાયર લિમિટ નથી પણ વ્યક્તિને એમની ઇન્કમ વગેરે ના આધાર પર વીમા રાશિ મળે.
આ એક ખૂબ જ સુરક્ષિત અને સચોટ ઉપાય છે. જેમાં પૈસા માત્ર ને માત્ર જે બેનેફિસયરી નક્કી કર્યા હોય એમનાં જ હાથમાં જાય. એકવાર આ મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ નીચે આવે એટલે એ પુરુષ ની મિલકતનો હિસ્સો ન ગણાય. અને એટલે જ પતિ/પિતા ઇનસોલ્વન્ટ (દેવાળું ફૂકે) થઈ જાય તો પણ આ પૈસાને કોઈ હાથ ન લગાડી શકે. પછી એ તમારા લેણિયાત હોય, કોર્ટ કે ટેક્સ ઓથોરિટી હોય.

ડિસેમ્બર ૨૦૧૯ માં આબીસી, ઇનસોલ્વનસી એન્ડ બેંકરપસી એક્ટ નીચે વ્યક્તિગત બાંહેધરી આપનારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી લોન લેનાર જો પૈસા પાછા ના આપી શકે તો બાંહેધરી આપનાર વ્યકિત પાસેથી રકમ વસુલ કરી શકાય અને એની મિલકત જપ્ત થઈ શકે, એવી જોગવાઈ આ નવા સુધારા માં કરવામાં આવી છે. દરેક ધંધાધારી વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના રિસ્ક સાથે જ ધંધો કરતા હોય છે અને એ રિસ્ક પરિવાર પર ન આવે એની સાવચેતી રખાવી જોઈએ.

આ એક્ટ ની એક બીજી બાજુ પણ છે. કોઈ કારણસર વ્યક્તિ કમાણી કરતી અટકી જાય, અપંગ બની જાય કે  કોઈપણ જાતના બદઈરાદા વગર બધું જ ગુમાવી દે ત્યારે આ મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ તેની વ્હારે આવે છે.

મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ ની પોલિસી દ્વારા વારસો પણ બનાવી શકાય. એક સંતાનને બીસનેસ સોંપાય અને બીજાને એજ વેલ્યુ ની પોલિસી વારસા માં આપીને વસિયત બનાવી શકાય. તમારી ગેરહાજરી માં કોઇ સક્સેસન માટે દાવો કરે તો પણ આ પૈસા તમારા નક્કી કર્યા મુજબ માત્ર ને માત્ર પત્ની અને બાળકોને જ જાય.

સમાપન કરતી વખતે; મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ નીચે ઝીરો કોસ્ટ પર નોન એટેચેબલ ટ્રસ્ટ ઉભું કરવું એ શાણપણ અને ખૂબ જ મહત્વનું કાર્ય છે.

મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ તમારા કોઈપણ ઇન્વેસ્ટમેંન્ટની લીગલ ઓથોરિટી થી સુરક્ષા માટે જરૂરી છે.

તમારા એન્યુઅલ ટર્નઓવર ના ૩-૪% કોસ્ટ થી એટલી જ રકમ ઉભી કરી શકાય જે સંતાનો વચ્ચે સરખે ભાગે વહેંચણી કરવામાં સારું પડે.

આ એક બહુ જ મહત્વનું હાથવગું સાધન છે જેના થકી તમે તમારી પત્ની અને બાળકોને એક સુરક્ષિત, ઉજ્જવળ અને ફાનાન્સિયલી સબળ જીવનની ઉમદા ભેંટ આપી શકો છો.

તમને નથી લાગતું કે આ મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ તમને મનની શાંતિ આપી શકે.

તો પછી રાહ શેની છે?

આજે જ મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ વાંચો, જાણો, સમજો અને ડહાપણભર્યો નિર્ણય આજે જ લ્યો અને  શાંતિ ભરી આવતીકાલને આવકારો.

- છાયા કોઠારી