Translate

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

શોભાજી અને તેમની દીકરીની અનોખી લગ્ન કંકોત્રી

     શોભા એમનું નામ. રઘુનાથ એમના પતિ અને તેમને એક ની એક દીકરી જેનું નામ સ્વાતિ. જો કે શોભાજી એ તો સ્વાતિના ઘણાં પિતરાઈ ભાઈ બહેનોને પણ સ્વાતિ સાથે જ ઉછેર્યા છે - કોઈને અમુક મહિનાઓ સુધી તો કોઈકને પંદરેક વર્ષ જેટલાં લાંબા ગાળા સુધી.શોભાજીનું વ્યક્તિત્વ જ એટલું પ્રેમાળ અને આકર્ષક કે તેમની સાથે રહેવું બધાં ને ગમે! માત્ર માણસો ને જ નહીં, બિલાડીઓને પણ! મુંબઈ માહિમના માળા જેવા મકાનમાં જ્યાં તેઓ રહે છે, તેમણે અત્યાર સુધી ઘણી બધી બિલાડીઓ પાળી છે.

  શોભાજી સ્નાતક, તેમના પતિ પણ સ્નાતક અને સ્વાતિ અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક. 

ઘણાં વર્ષોથી શોભાજી પહેલાંથી દસમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિતનું ટયુશન આપે છે. શોખ ખાતર. સમય પસાર કરવા ખાતર. એમાંથી કેટલાંક વિદ્યાર્થીઓ ફી ભરે અને કેટલાંક જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તે કંઈ ના પણ આપે. 

  ભણાવવા સિવાય શોભાજીને ઊનની વસ્તુઓ બનાવવાનો અને કથીરમાંથી કંચન બનાવવાનો એટલે કે નકામી વસ્તુઓ, કચરામાંથી ઉપયોગી સુંદર વસ્તુઓ બનાવવાનો પણ શોખ. 

 મારી ઓળખાણ શોભાજી સાથે વોટ્સ એપ પરના 'નેચર વર્લ્ડ' ગ્રુપ પર થઈ. અમે બંને પ્રકૃતિને ખૂબ ચાહીએ. એટલે પ્રકૃતિ પ્રેમી અનેક સભ્યો ધરાવતા આ ગ્રુપ પર દસેક વર્ષ અગાઉ મળ્યાં બાદ આજે પણ અમે સંપર્કમાં રહીએ. અગાઉ એકાદ બ્લોગ લેખમાં મારી બારી બહારના ઉંબર ના ઝાડ વિશેની રસપ્રદ માહિતી મને શોભાજી એ જ આપી હતી. હું કે ગ્રુપનો અન્ય કોઈ પણ સભ્ય કોઈક નવું પક્ષી, પ્રાણી, જંતુ કે વનસ્પતિ જોઈએ અને તેનું નામ જાણવું હોય કે તેના વિશે માહિતી જોઈતી હોય તો તેનો ફોટો કે વર્ણન ગ્રુપ પર પોસ્ટ કરીએ એટલે તરત કોઈક નિષ્ણાત મેમ્બર તે પક્ષી, પ્રાણી, જંતુ કે વનસ્પતિ વિશેની માહિતી જવાબમાં મોકલી આપે. એ નિષ્ણાત લોકોની પેનલમાં એક અગ્રેસર સભ્ય એટલે શોભાજી! 

   પર્યાવરણ પ્રત્યે પ્રેમ સાથે જ તેની કાળજી અને જતન પણ શોભાજી એટલાં જ રાખે. પર્યાવરણ પ્રેમ, જાળવણી અને સંવર્ધન દાખવતી તેમની એક ચેષ્ટા મને એટલી ગમી ગઈ કે એની માહિતી તમારા સૌ સાથે શેર કરવા આજનો આ બ્લોગ લખ્યો છે. 

તેમની એકની એક દીકરી સ્વાતિના લગ્નની આમંત્રણ પત્રિકા તેમણે પરિવાર સાથે મળી હાથે તૈયાર કરી હતી. છે ને મજેદાર અને રસપ્રદ વાત? ચાલો વિગતે જણાવું. 

  આ લગ્ન તેઓ ખૂબ અંગત પરિવારજનો ને જ આમંત્રણ આપી સાદાઈથી ઉજવવા ઈચ્છતા હતા. તેમનું મિત્ર-વર્તુળ ખૂબ બહોળું હોવા છતાં તેઓ લગ્નમાં ઝાઝી ભીડ નહોતા ઈચ્છતા. કોરોના નો ઓછાયો ત્યાં સુધી સદનસીબે પડ્યો નહોતો! પણ તેઓ માને છે કે લગ્ન મૂળભૂત રીતે એક કૌટુંબિક પ્રસંગ છે અને તેમાં અંગત પરિવારજનોની હાજરી જ હોવી જોઈએ. 

તેઓ તમિળ બ્રાહ્મણ કુટુંબમાં ઉછર્યા હતા જેમાં જૂના જમાનામાં લગ્નો દિવસો સુધી ચાલતા. એ જમાનામાં જ્યારે વર વધૂ એ એકમેક ને જોયા પણ ન હોય! પણ અહીં તેમની પાંત્રીસ વર્ષની પુત્રી પરણવા જઈ રહી હતી તેના કરતાં ઉંમરમાં નાના એવા મલયાલી છોકરાને, જેને તે ચારેક વર્ષથી ઓળખતી હતી. આમ તો સ્વાતિ ની વિચાર ધારા એવી હતી કે તે લગ્ન પ્રથામાં માનતી જ નહોતી. પણ છેવટે વિનીત તેના જીવનમાં આવ્યો અને અંતે તેણે લગ્ન ગાંઠે બંધાવવા મન મનાવી જ લીધું. 

   લગ્નની તૈયારીઓ શરૂ થઈ. એક પણ એ. સી. હોલ ખાલી નહોતો ત્યારે એવી લગ્નોની મોસમ હતી. પણ વર્ષો પહેલાં ૧૯૭૬ માં જ્યાં શોભાજી પોતે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં એ હોલ તપાસ કરતાં ખાલી હોવાનું જણાયું અને એ બુક કરી લેવાયો. 

ઐયંગર કુટુંબની લગ્ન પ્રણાલિ મુજબ તો લગ્ન દિવસો સુધી ચાલે આથી શોભાજીના પરિવારે વિનીતના નાયર પરિવાર મુજબની લગ્ન રીત અનુસરવાનું નક્કી કર્યું. માત્ર દસ મિનીટમાં લગ્ન પૂરાં! ભપકાદાર સજાવટ માટે ફૂલો અને અન્ય વસ્તુઓનો બગાડ નહીં. સાદાઈથી લગ્ન. 

   આમંત્રિત મહેમાનો ખૂબ ઓછાં હોવાથી પહેલાં તેમણે વિચાર્યું હતું કે આમંત્રણ પત્રિકા સીડ પેપર (ઝાડછોડનાં બીજમાંથી બનાવેલ કાગળ) પર છપાવવી. મુંબઈના હોર્નિમાન સર્કલ પાસે આવા કાગળ ઘણી જાતના મળી રહે - ગલગોટા, તુલસી વગેરેના બીજ મિશ્રિત કાગળ. શોભાજી ઉત્સાહ ભેર એ લઈ તો આવ્યા અને નજીક માં એક જગા એ તેમણે આ કાગળ બરાબર માપ મુજબ કપાવી પણ રાખ્યાં. પણ હવે તેના પર છાપ કામ કરવા પ્રેસ શોધી ના જડી. એક જણ તૈયાર થયો આ ખાસ પ્રકારના કાગળ પર કંકોત્રી છાપવા, પણ તેણે શરત મૂકી કે બે જ રંગ નો છપાઈ માટે ઉપયોગ થઈ શકશે. સ્વાતિ અને શોભાજીને એ ન રૂચ્યું. સ્વાતિ ચિત્રકલામાં નિપુણ અને શોભાજીના અક્ષર સારા. આથી મા-દિકરીએ નક્કી કર્યું કે પોતે જ લગ્નની આમંત્રણ પત્રિકાઓ હાથે તૈયાર કરશે. 

ઓનલાઇન જઈ થોડી ઘણી આઈડિયા મેળવી અને જુદીજુદી ડિઝાઇનના ગણતરીના કાર્ડ પોતે જ તૈયાર કરી નાખ્યાં બંનેએ! મર્યાદિત પરિવારોને હાથોહાથ એ પત્રિકાઓ વહેંચી પણ આવ્યાં. 

દૂર વસતાં પરિવારજનોને વોટ્સ એપ પર આમંત્રિત કરી દીધાં. 







  સામાન્ય રીતે આપણને મળતી લગ્નની આમંત્રણ પત્રિકાઓ પસ્તી ભેગી કે કચરામાં જતી હોય છે. પણ શોભાજીએ હાથે તૈયાર કરેલાં કાર્ડ કૂંડામાં નાખો એટલે એમાંથી છોડ ઊગે અને પર્યાવરણ તમારા ઘરમાં પ્રવેશે, તેની તમને માયા બંધાય. આ હતો તેમનો શુભાશય. 

તેમણે ઘણી વાર મિત્રો અને પર્યાવરણ કાર્યકર્તાઓ સાથે ખાસ વિસ્તારોમાં જઈ પર્યાવરણ અંગે અને વૃક્ષારોપણ વિશે જાગૃતિ ફેલાવવાનું શુભ કાર્ય કર્યું છે. આસપાસનાં બાળકોને તે હજી પણ જીવન, પર્યાવરણમિત્ર બની કઈ રીતે જીવવું તે અંગે શીખવે છે. આ બાળકો એ ટિપ્સ તેમના જીવનમાં અનુસરે ત્યારે એ જોઈ શોભાજી ભારે આનંદ અને પરમ સંતોષની લાગણી અનુભવે છે.

ગેસ્ટ બ્લોગ : આશા

      ગઈ વખતનાં લોકડાઉન અને અનલોક વખતે સકારાત્મક સિત્તેર જેટલાં લેખોની લોકડાઉન ડાયરી લખી હતી. આ વખતે પણ લખવાની ઈચ્છા થઈ. વિચારો પણ ઘણા આવે છે પણ જ્યારે એ વિચારોને કલમ દ્વારા કાગળ પર ઉતારવા જાઉં છું ત્યારે અચાનક જ કલમની સ્યાહી આંસુ બની જાય છે. મારી આંખ સામે હોસ્પિટલમાં પ્રવેશ મેળવવા માટે એમ્બ્યુલન્સની લાંબી કતારમાં તડપતાં દર્દીઓ દેખાય છે. દવા અને ઇંજેક્શન માટે વલખાં મારતાં દર્દીઓનાં પરિવારજનો દેખાય છે. જે ઓક્સિજનની પ્રકૃતિએ છૂટે હાથે લહાણ કરી છે તે ઓક્સિજન માટે હૈયું કંપાવી દે એવાં તરફડિયાં મારતાં દર્દીઓનાં ચહેરા દેખાય છે. જીવનની અંતિમ ક્ષણોમાં અંગત સ્વજનોની ગેરહાજરીમાં જીવ છોડતાં અકળામણ અનૂભવતાં દર્દીઓનાં ચહેરા દેખાય છે. સ્મશાનની બહાર મૃતદેહોની લાંબી કતાર દેખાય છે. મૃત્યુના ભયને અવગણીને દવા, ઇંજેક્શન અને ઓક્સિજનની કાળાબજારી કરતાં લોકોનાં ચહેરા દેખાય છે. સતાની સાઠમારીમાં વ્યસ્ત નેતાઓ દેખાય છે. અત્યંત કફોડી  સ્થિતિમાં જીવતાં લાખો ગરીબ અને નીચલા મધ્યમવર્ગના લોકોનાં દયામણા ચહેરાઓ દેખાય છે. કામધંધા વગર બેકાર ફરતાં યુવાનોના નિસ્તેજ ચહેરા દેખાય છે. મારી આંખ બોઝિલ થઈ જાય છે. મારે રડી લેવું છે પણ થીજી ગયેલા આંસુઓ આંખમાંથી બહાર નથી આવતાં. મને ચીસ પાડવાનું મન થાય છે પણ

અવાજ નીકળતો નથી. ના, ના મારે પરાકાષ્ઠાએ પહોંચેલા કળિયુગ વિષે નથી લખવું. કંઈ જ નકારાત્મક લખવું નથી પણ સકારાત્મક લખું તો કઈ રીતે? આ ગાઢ અંધકારમાં જયોત પ્રગટાવવી તો કઈ રીતે?

         જે જિંદગીને હું સો વર્ષ જીવવા માંગતો હતો. વૃદ્ધત્વને માણવા માંગતો હતો તે જિંદગી અચાનક જ કેમ નીરસ લાગવા માંડી? જીજીવિષા કેમ ઓસરી ગઈ? મોત કેમ વહાલું લાગવા માંડ્યું? કંઈક મોતનાં વિચારોમાં જ હું ઘરની બહાર નીકળ્યો. ચાલતાં ચાલતાં ઘૂઘવતા સાગરની સામે આવીને

ઊભો રહ્યો. મારાં મનમાં પણ ન સહન કરી શકાય એવો વિચારોનો ઉત્પાત ચાલી રહ્યો હતો. મારી નિરાશા, મારી ઉદાસી વધુ ગહરી થાય તે પહેલાં

કોઈએ મારી સામે આવીને કહ્યું "પ્રણામ. આપ મને નહીં ઓળખતાં હોવ પણ આપનો મારાં પર એક બહુ મોટો ઉપકાર છે. ગયા વખતની આપની લોકડાઉન ડાયરીએ મને આપઘાતનાં માર્ગથી

પાછો વાળ્યો હતો. આ વખતે પણ ડાયરી ચાલુ કરો

ને? એમનો આભાર માની હું સડસડાટ ઘરે પાછો આવ્યો. કાગળ અને પેન હાથમાં લઈને હું વિચારવા લાગ્યો - હવે મારી આંખની સામે મૃત્યુના ભયને અવગણીને પંદર પંદર કલાક કામ કરતાં ભગવાન સ્વરૂપ ડોકટરોનાં ચહેરા હતાં. દેવી સ્વરૂપ નર્સોનાં

ચહેરા હતાં. કોઈ પણ જાતની સૂગ વગર દર્દીનાં

મળ-મૂત્ર અને ઉલટી સાફ કરતાં દેવદૂત સ્વરૂપ સ્વાસ્થ્યકર્મીઓનાં ચહેરા હતાં. મફતમાં ગરીબોને

અનાજ અને ફળનું વિતરણ કરતાં, મફતમાં ઓક્સિજન ભરી આપતાં, કોઈ પણ જાતના સંબંધ

વગર લાશની અંતિમક્રિયા કરતાં, સતત ફરજ બજાવતા મેડીકલ સ્ટાફ, પોલીસ અને એવાં તો

કંઈક સેવાના સેંકડો ભેખધારી આત્માઓ જે

પરમાત્માનાં અંશ સ્વરૂપ છે તેમનાં ચહેરા હતાં. ગાઢ

અંધકારને પ્રગટાવતી જયોત મને જડી ગઈ. મેં લખવાનું ચાલુ કર્યું -

ઈશ્ચર, અમારા અક્ષમ્ય અપરાધોની સજારૂપ ચાલી

રહેલાં આ વિસર્જનનાં માહોલમાં પણ તેં તારૂં સર્જન ચાલુ જ રાખ્યું છે. હું પણ સકારાત્મક વિચારોની મારી લેખન શ્રેણી ચાલુ જ રાખીશ. આશાની જયોત સદૈવ પ્રજવલિત રાખીશ. 

બસ, પછી તો કલમ સડસડાટ ચાલવા લાગી. 

   —     રોહિત ખીમચંદ કાપડિયા

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...

    આજે મધર્સ ડે છે. માતાનો મહિમા કરવાનો દિવસ... આ દિવસની સર્વે માતાઓને હ્રદયપૂર્વક ની શુભેચ્છાઓ!!!

જો કે માતાની કદર કંઈ એક દિવસ પૂરતી જ ન કરવાની હોય. જેમ આજની બ્લોગપોસ્ટના શિર્ષક  માટે જેની પ્રથમ પંક્તિનો ઉપયોગ કર્યો છે એવા કવિ શ્રી બોટાદકર રચિત અતિ પ્રખ્યાત કાવ્યમાં જેમ વાંચવા મળે છે તેમ જગ થી જુદી છે જેની જાત રે, તેવી માતાની કદર તો કરવા આખો જન્મારો ઓછો પડે. તેની મહિમા કરવા તો એક કાવ્ય તો શું આખું પુસ્તક પણ ઓછું પડે. આ કાવ્યમાં જ કવિ એ લખ્યું છે તેમ ગંગાના નીરમાં વધ - ઘટ થઈ શકે પણ માતાના પ્રેમનો પ્રવાહ એક સરખો જ રહે છે. તેમ સંતાનની માતા પ્રત્યેની કાળજી, પ્રેમ, આદર વગેરેમાં પણ તસુ ભાર જેટલો ઘટાડો ન થવો જોઈએ. માતા પ્રત્યે સંતાને પણ મમતા સદાકાળ જાળવી રાખવી જોઈએ.

એક નાનકડી કથા વોટ્સ એપ પર વાંચી.

ભણવા માટે દૂર ગયેલા દિકરાએ માતાને પત્ર લખ્યો કે અહિં મારાં જમવાની સારી સગવડ છે, તું ચિંતા કરીશ નહીં. પણ પત્ર વાંચીને મા એ એક વખતનું ભોજન બંધ કર્યું કારણ કે પત્રના અંતમાં પુત્રનાં આંસુથી શાહી ખરડાયેલી હતી.

   અહીં તો જો કે મા માટે પુત્રની ખરી સ્થિતી કળી જવા નિશાની મોજૂદ હતી - ખરડાયેલી શાહી. હકીકતમાં આવી કોઈ નિશાની મોજૂદ ન હોય તો પણ કોઈ અકથ્ય, અદ્રશ્ય જોડાણ થી મા ને જાણ થઈ જ જતી હોય છે જ્યારે તેનું સંતાન મુશ્કેલીમાં હોય. આવે ટાણે મા એ કરેલી દુઆ અને પ્રાર્થનાને લીધે સાચે સંતાનની મુશ્કેલી દૂર થઈ ગયા ના વાસ્તવિક કિસ્સા નોંધાયા છે.

   સંતાન ખરાબ પાકે પણ મા ની મમતા તેના સંતાન પ્રત્યે ક્યારેય ઓછી થતી નથી. મધર ઈન્ડિયા ફિલ્મના અંતમાં નરગીસ જેમ તેના વંઠેલ પુત્રની હત્યા કરી નાંખે છે તેવું કદાચ ફિલ્મ માં જ બનતું હશે, બાકી હકીકતમાં તો ચોર ની મા ક્યારેય પોતાના ચોર પુત્ર ને પણ ચોર નહીં ગણાવે!

   મધર્સ ડે સૌ પ્રથમ વાર વર્ષ ૧૯૦૮માં અમેરિકા માં ઉજવાયો હતો. અન્ના જાર્વિસ નામની મહિલાએ તેની માતા એન રીસ જાર્વિસની સ્મૃતિમાં વેસ્ટ વર્જિનિયા ખાતે આવેલ સેન્ટ એન્ડ્રુસ્ મેથોડિસ્ટ ચર્ચમાં એક સ્મારક બંધાવ્યું હતું જે આજે આંતરરાષ્ટ્રીય મધર્સ ડેનું મંદિર બની ચૂક્યું છે. એન રીસ જાર્વિસ એક શાંતિ કાર્યકર્તા હતી. તેની પુત્રી અન્ના જાર્વિસનું સ્વપ્ન હતું કે તેની માતાની સ્મૃતિમાં અને આખા જગતની માતાઓનાં સન્માનમાં એક ખાસ દિવસ ઉજવાય અને ત્યારે જાહેર રજા પાળવામાં આવે. માતાના મૃત્યુના ત્રણ વર્ષ બાદ અન્ના જાર્વિસનું આ સ્વપ્ન પૂર્ણ થયું. પછી તો જગત ભરમાં માતાનું સન્માન કરવા આ દિવસની ઉજવણી શરૂ થઈ. લંડનમાં આ દિવસ માર્ચ ના ચોથા રવિવારે તો ભારતમાં એ મે મહિના ના બીજા રવિવારે ઉજવાય છે. ગ્રીસમાં એ બીજી ફેબ્રુઆરી એ ઉજવાય છે.

   અત્યારે લોક ડાઉન જેવી સ્થિતીમાં તો તમને માતા સાથે મને - કમને મા સાથે રહેવાની તક મળી છે તો તેને માટે આજે કંઈક વિશેષ કરો! તેને ભેટ આપો, ભરપૂર વહાલ કરો, તેના માટે કંઈક બનાવો, તેની સાથે જુની યાદો વાગોળો અને આજનો દિવસ તેની સ્મૃતિમાં કાયમ રહી જાય એવી રીતે એ ઉજવો.

ગેસ્ટ બ્લોગ : વિસરાતું જતું એક અસ્તિત્વ.... પુસ્તક

            હમણાં  23 એપ્રિલના વિશ્વ પુસ્તકદિન ગયો. મનમાં જરા વિષાદની લાગણી થઈ  આવી.. શું ખરેખર આ દિવસ એક દિન પૂરતો જ સીમિત થઈ જશે? વાચકવર્ગની ઘટતી સંખ્યા જોતાં લાગે છે કે પુસ્તકનું , સાહિત્યનું અસ્તિત્વ કેટલું ટકશે? અત્યારના ટેક્નોલોજી યુગમાં પુસ્તક આંગળીના ટેરવે એટલે કે મોબાઈલ અને કમ્પ્યુટર ની સ્ક્રીન પર સ્થાન પામ્યું છે . નવા આવિષ્કારને આવકારવું પણ જરૂરી છે જ એને નકારી ન શકાય, પણ પુસ્તકરૂપે વાચનની મજા અલગ જ છે . પુસ્તક નવું ખરીદ્યું હોય ત્યારે એની એ મહેક, પુસ્તકના એક એક પાનાંને ટેરવાના સ્પર્શથી ફેરવવાનો આનંદ ... આવી અનુભૂતિનો અહેસાસ મોબાઇલ  કે કોમ્પ્યુટરમાં ક્યાં માણવા મળે?! જો કે આજની આવી  પરિસ્થિતિમાં જ્યારે છાપાં - અખબાર ઘરે નહોતાં  પહોંચતાં  ત્યારે આ ટેક્નોલોજીની મદદથી જ આપણે મોબાઇલ પર વિશ્વભરનાં સમાચારો જાણી શકતાં.

            આજનું જનરેશન આપણા સાહિત્યથી, માતૃભાષાથી વિમુખ  થતું જાય છે ત્યારે બીજી બાજુ એને બચાવવાનાં પણ ભરપૂર પ્રયત્નો ચાલી રહ્યાં છે . આપણું સાહિત્ય વૈવિધ્યસભર છે , સમૃદ્ધ છે. ગુજરાતી  સાહિત્યને વાંચનાર વર્ગ ધીમે ધીમે લુપ્ત થતો જાય છે. આજનું જનરેશન જે ઇંગ્લિશ મિડીયમમાં ભણી રહ્યું છે તે કદાચ ગુજરાતી ભાષા લખી કે વાંચી શકે પણ માત્ર ખપપૂરતું , સામાન્ય . એ લોકો હરીન્દ્ર દવે , મેઘાણી કે મુનશી જેવા અનેક સાહિત્યકારની કૃતિઓ ક્યાં સમજી શકે કે એનો વૈભવ માણી  શકે?? પુસ્તકની સાથે સાથે લાઇબ્રેરીનું અસ્તિત્વ પણ જોખમમાં છે. પહેલા લોકો લાઇબ્રેરીની મેમ્બરશીપ લેતાં . નવા નવા , અલગ અલગ પુસ્તકો લે, વાંચે અને પરત કરી દેતાં. કેટલાક લોકો  તો ઘરમાં લાઈબ્રેરી બનાવતાં પણ હવે પુસ્તક વાંચનારાંની સંખ્યા ઓછી થતી જાય છે ત્યાં લાઇબ્રેરી પણ નામશેષ થતી જાય છે. 

              વિશ્વ પુસ્તકદિનનો ઉદ્દેશ એક જ હોઈ શકે કે વધુ ને વધુ  લોકો પુસ્તક પ્રત્યે રુચિ કેળવે . પુસ્તકવાંચનની આદત- શોખને રોજિંદા જીવનમાં સ્થાન આપે . અત્યારનાં  મહામારીના સમયમાં તો શિક્ષણ પણ ઓનલાઇન થઈ  ગયું છે. આજનાં  ડીજીટલ યુગમાં પુસ્તકો , આખું સાહિત્ય કમ્પ્યુટર ને મોબાઇલમાં સમાઈ ગયું છે .છતાં ય એક વાંચકવર્ગ ભલે કદાચ લઘુમતીમાં જોવા મળે, પણ છે ખરો જેને માટે પુસ્તકો , છાપાંઓ એક અનિવાર્ય  જરૂરિયાત છે.પુસ્તક જેવી ઉત્તમ ભેટ બીજી કોઈ નથી તો એના જેવો ઉમદા મિત્ર બીજો કોઈ હોઈ ન શકે . ખાસ કરીને આજનાં કપરા સમયમાં તો તે એક સારો સાથી પુરવાર થયો છે . 

             પુસ્તક આપણી અમૂલ્ય સંપત્તિ છે અને કદાચ દુર્લભ પણ . તેના થકી આપણી સંસ્કૃતિ,આપણો ઇતિહાસ જીવંત છે . તેનું જતન થવું જ જોઈએ .ખરેખર આજે  જરૂર છે એવા પ્રયાસોની જે  પાછા લોકોને પુસ્તક તરફ વાળી શકે, લોકોમાં પુસ્તકપ્રેમ જગાવી શકે.                                                                                      

        -  નેહલ દલાલ


મંગળવાર, 4 જાન્યુઆરી, 2022

સાચો સુપર હીરો - મયૂર શેળકે

     "મયૂર શેળકે એ કોઈ કોશ્ચ્યૂમ નહોતું પહેર્યું કે નહોતો પહેર્યો કોઈ જાદુઈ તાકાત ધરાવતો કોટ પણ તેણે દાખવેલી હિંમત સૌથી તાકાતવાન એવા કોઈ ફિલ્મી સુપરહીરો કરતાં પણ અનેક ગણી વધુ છે. અત્યારના મુશ્કેલી ભર્યા સમયમાં મયૂરે આપણને સૌને શીખવ્યું છે કે આપણે આપણી આસપાસ જ નજર દોડાવવાની છે અને આપણને તેના જેવા લોકોમાંથી આ જગતને એક બહેતર જગા બનાવવાની પ્રેરણા મળી રહેશે." - આ શબ્દો છે મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાના, જે તેમણે એક ટ્વીટ દ્વારા શેર કર્યા છે ચાર દિવસ પહેલા.

   ચારેકોર નકારાત્મકતા અને ભયના સામ્રાજ્ય વચ્ચે સાચી માનવતાના દર્શન કરાવતી એક સુખદ ઘટના અઠવાડિયા પહેલા ઘટી. તેની વાત આજના બ્લોગ લેખ થકી કરવી છે.

    સેન્ટ્રલ રેલવેના માથેરાન પાસે આવેલા વાંગણી સ્ટેશન પર આ દિલધડક, હ્રદયંગમ અને પ્રેરણાદાયી ઘટના સત્તરમી એપ્રિલની સાંજે પાંચેક વાગે બની. પૂરપાટ ઝડપે આવતી એક્સપ્રેસ ટ્રેનને સિગ્નલ આપવા રેલવે ટ્રેક પર ઉભેલા પોઈન્ટ્સ મેન તરીકે ફરજ બજાવતા મયૂર શેળકે નામના યુવાને જોયું કે એક અંધ મા નો પાંચ - છ વર્ષનો દીકરો અચાનક રેલવે પ્લેટફોર્મ પરથી નીચે પડી જાય છે અને ટ્રેન તેનાથી સાવ નજીવા અંતરે છે અને કાળની જેમ તેની દિશામાં ધસી રહી છે. મયૂર પાસે વિચારવાનો સમય જ નથી, આથી તે બાળકને બચાવવા સામેથી ધસમસતી ટ્રેન સામે દોડે છે. એક સ્પ્લીટ સેકંડ માટે તેને એવો વિચાર પણ સ્પર્શી જાય છે કે આમા તો એ પોતે મરી જશે... પણ આ વિચાર આવ્યો તેના કરતાં પણ વધુ ઝડપે ધસમસતી ટ્રેન તેને એ વિચાર ઉડાડી દેવા મજબૂર કરી દે છે, માનવતા જીતી જાય છે. મયૂરની આ દ્વિધા રેલવે પ્લેટફોર્મ પર રહેલા કેમેરામાં આબાદ ઝિલાઈ છે, તેના માનવતા મહેકાવતા આ ઉદાત્ત પરાક્રમને પણ રેકોર્ડ કરતી વખતે. પેલા સ્વાર્થી, પોતાનો જીવ બચાવવાનો માર્ગ સૂઝવતા વિચારનો ઘડીના છઠ્ઠા ભાગમાં છેદ ઉડાડી મયુર ફરી બાજુમાં ખસી જવા કે બીજી બાજુ કૂદી પડવાને બદલે ટ્રેનની કે કહો કે મોતની સામે દોડે છે, બાળકને ઉપાડી પ્લેટફોર્મ પર મૂકે છે અને પોતે પણ પ્લેટફોર્મ પર ચડી જાય છે અને એ પછીની માત્ર ગણતરીની પળોમાં પેલી વાયુ વેગે ધસી આવતી ટ્રેન મયુર, પેલા બાળક અને તેની અંધ મા ની સાવ નજીકથી પસાર થઈ જાય છે.

આ અતિ રોમાંચક, સાહસી વિડિયો મેં જ્યારે યૂટ્યુબ પર જોયો ત્યારે મારી આંખોના ખૂણાં ભીના થઈ ગયા. હ્રદયમાં ઊંડે ઊંડે તેની આ અતિ મહાન, માનવતા છલકતી ચેષ્ટા સ્પર્શી ગઈ. જેને ઓળખતા પણ ન હોઇએ એવી વ્યક્તિ માટે પોતાનો જીવ દાવ પર લગાવી દેવાની હરકત કોઈ અસાધારણ માનવી જ કરી શકે!

   આપણાં સૌ માં બે જણ વાસ કરતા હોય છે - એક સારો જણ અને એક ખરાબ જણ. સતત આપણે સૌ આ આપણી અંદર વસતા બંને જણની વચ્ચેનું યુધ્ધ સાક્ષી ભાવે જોતા - અનુભવતા હોઈએ છીએ. ક્યારેક પેલો ખરાબ જણ જીતી જતો હોય છે તો ક્યારેક સારો જણ. મયૂરના ઉપરોક્ત વર્ણવેલા કિસ્સામાં તેની અંદર વસતાં સારા જણની જીત થઈ અને તે પેલી અંધ મા ના દીકરાનો મસીહા બની ગયો. તેના આ સાહસથી છલકતા મર્દાનગી ભર્યા કૃત્યના ભારોભાર વખાણ થયાં. રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટર પર આ કિસ્સો ચર્ચી મયુરને બિરદાવ્યો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ પોતે ફોન કરી મયુરની પીઠ થાબડી. સેન્ટ્રલ રેલવેએ તેને પચાસ હજાર રૂપિયાનું ઈનામ આપ્યું અને સાહેબ આ મહા માનવની માનવતા જુઓ! આ રકમમાંથી અડધી રકમ તેણે પેલા ગરીબ બાળકને આપી દીધી જેનો જીવ તેણે બચાવ્યો હતો! મયુર પોતે પણ કંઈ ગર્ભ શ્રીમંત વ્યક્તિ નથી, પોઈન્ટ્સ મેન તરીકે ફરજ બજાવતો એક સાધારણ આર્થિક સ્થિતી ધરાવતો મહારાષ્ટ્રીયન યુવાન છે. પણ તેની વિચારધારાએ તેને મહા માનવ બનાવી દીધો છે. પહેલા જીવ બચાવ્યો અને પછી પોતાને મળેલા ઈનામમાંથી અડધી રકમ એક અંધ મા ના બાળક ના ભવિષ્ય - ભણતર માટે આપી દેવી આ ઉમદા કાર્ય માટે સોનાનું હ્રદય જોઈએ. આવું માનવતા ભર્યું ઉચ્ચ કાર્ય દેવદૂત જ કરી શકે. મયૂર શેળકે ખરેખર એક દેવદૂત છે. તેને લાખો સલામ!

    મહિન્દ્રાના જાવા બાઈક યુનિટે મયૂર શેળકેને એક બાઈક ઈનામમાં આપવાની જાહેરાત કરી છે. આ બહાદુરી ભર્યા કિસ્સાની વિગતો અને વિડિયો વાઈરલ થયા બાદ મયૂર પર પ્રશંસા અને ઈનામો નો વરસાદ વરસ્યો છે. પણ મને ખાત્રી છે કે એનાથી મયૂર ચલાયમાન થશે નહીં, બલ્કે ઓર વધુ સારા કાર્યો કરશે.


અમી સ્પંદન

સંકલન એટલે સારી સારી કૃતિઓ ભેગી કરી તેનો તૈયાર કરેલો ગુલદસ્તો. એક ફૂલનું પોતાનું આગવું સૌદર્ય હોય તો ગુલદસ્તામાં આવા અનેક સુંદર ફૂલો ભેગા હાજર હોય! કાવ્ય, પ્રાર્થના /ભજન, બાળકાવ્ય, દેશભક્તિ ગીત, ગરબા /રાસ, દુહા /સુભાષિત અને આરતી એવા સાત સાહિત્ય પ્રકારોની સવાસોથી વધુ કવિઓની નીવડેલી સવા સાતસો જેટલી જૂની - નવી રચનાઓનાં અપૂર્વ સંગ્રહ સમાન એક સુંદર પુસ્તક 'અમી સ્પંદન' થોડાં સમય અગાઉ ભેટમાં મળ્યું. સ્વ. પ્રવિણચંદ્ર ચુનીલાલ દવે આ પુસ્તકના સંકલન કર્તા. સન ૧૯૫૦માં પાંચ વર્ષની વયે ઉઘાડે પગે ને પહેરેલે કપડે તેમના જ્યેષ્ઠ બંધુ સાથે અભ્યાસાર્થે મુંબઈ આવ્યા અને પછી તો નસીબ તેમને ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા પણ લઈ ગયું. સત્તાવીસ વર્ષની ઉંમરે વિદેશમાં નોકરીનો પણ અનુભવ લીધા બાદ ભારત પરત ફર્યા અને અહીં સ્થાયી થયા. સાહિત્ય પ્રત્યેની અદમ્ય લાગણીને લઈને ૧૯૯૩થી અમી સ્પંદનના સંકલનનું કાર્ય હાથ ધર્યું અને અનેક વિટંબણાઓ વટાવી છેક જાન્યુઆરી, ૨૦૦૧માં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ. જો કે પછી તો આ પુસ્તક એટલું લોકપ્રિય બન્યું કે અત્યાર સુધી તેનું ૨૮૦૦૦ કરતાં વધુ પ્રત સાથે સત્તર વાર પુનઃ મુદ્રણ થઈ ચૂક્યું છે.

    આ પુસ્તકનું મુખપૃષ્ઠ અતિ કલાત્મક અને આકર્ષક છે. તેના ઉપરના ભાગમાં છ રાગિણીઓનું કોલાજ છે જેમાં રાગ હિંડોળ, દિપક, કુમકુમ, મેઘમલ્હાર, વસંત તથા ગોડકરી છે. ગીત /સંગીતને પ્રદર્શિત કરવાનો આ ભારતીય અભિગમ છે. કોલાજ ચિત્રની નીચેના ભાગમાં પિઆનોની સાત ચાવીઓનું સપ્તક છે. આ સપ્તકના માધ્યમથી અમીસ્પંદનમાં સામેલ કરવામાં આવેલ સાત જુદા જુદા વિભાગોને વાચા આપી છે. પિઆનો પશ્ચિમી ગીત /સંગીતનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આમ પૂર્વ - પશ્ચિમની એકરૂપતા અભિપ્રેત છે. એકવીસમી સદીમાં પૂર્વની પદ્યરચનાઓ પશ્ચિમી વાદ્યો દ્વારા ગુંજી ઉઠે એ ભાવના સાંકળવાનો સંકલનકર્તાનો નમ્ર પ્રયાસ છે.

   આ પુસ્તક સંકલન કર્તા માટે અતિ ખાસ રહ્યું હશે કારણ તેમાં તેમની આઠેક વર્ષના અથાગ પરિશ્રમનો સમન્વય છે. તેમણે એ તેમની સ્વર્ગસ્થ પુત્રી અમી ને અર્પણ કર્યું છે જેણે તેમના જીવનને કિલ્લોલમય કર્યું અને અકળ કારણોસર કિશોરાવસ્થા માં જ જીવન સંકોરી લીધું હતું. અમી ના નામ ને જ એટલે એમણે પુસ્તકના શિર્ષકમાં પણ સમાવિષ્ટ કર્યું છે.

   વર્ષ ૨૦૦૭માં દિવાળીમાં ભેટ આપવા લાયક    ૧૦૦ પુસ્તકોમાં અમી સ્પંદનનો સમાવેશ થયો હતો. પુસ્તકથી શ્રેષ્ઠ ભેટ બીજી કઈ હોઈ શકે? ઘણાં લોકો સ્વજન ગુમાવ્યા બાદ, તેની સ્મૃતિમાં પણ સારા પુસ્તકની લહાણી કરે છે જે એક આવકાર દાયક બાબત છે. મને લાગે છે અમી સ્પંદન પણ ઘણાં લોકો દ્વારા આ રીતે સ્વજનો અને પરિવારજનો સાથે વહેંચાયું હશે.

   સ્વ. કવિ શ્રી મકરંદ દવે એ પ્રથમ આવૃત્તિ વેળાએ અમી સ્પંદનને આનંદ સાથે આવકાર્યું હતું આ શબ્દોમાં : આપણે ત્યાં એવી રચનાઓ છે જે કાવ્યત્વથી સભર હોય પણ ગેયતાને નામે એમાં લયનો મરોડ ન હોય. અને ગેયતા સુગમ હોય ત્યાં કાવ્યત્વની ઉણપ વર્તાઈ આવે જેની સામે સાક્ષર વર્ગ અને સામાન્ય જનતાને ભાવે એવી વાનગી પીરસવાની દૃષ્ટિ છે. તેનું કાર્ય કઠિન બની જાય છે. ઊંડો કવિતા પ્રેમ અને પરિશ્રમ ઉઠાવવાની ક્ષમતા વિના આવો સર્વ ભોગ્ય સંગ્રહ ન થઈ શકે. પ્રવીણચંદ્ર ભાઈ નું સહસ્ત્ર વીણા ના તાર છેડવાનું પ્રાવીણ્ય આપણને સૌને એમાં વધુ સ્પંદનો ઝીલવાની પ્રેરણા આપે એવી શુભેચ્છા પાઠવું છું. દરેક કવિની એકાદ રચના આપીને એવી બીજી રચનાઓ વાંચવાની ભૂખ ઊઘડે એવી ભાવના પણ આ સંગ્રહમાં જોવા મળે છે. પુસ્તકોની અપૂર્ણ સંદર્ભ સૂચિ તરફ નજર કરતાં જ ખ્યાલ આવે છે કે કેટકેટલી નદીઓનાં પાણીથી તેમણે આ મંગળ કુંભ ભર્યો છે! આ સંગ્રહમાંથી ખોબલે જળપાન કરી મૂળ સ્ત્રોત ભણી યાત્રા કરવાની વાચકને પ્રેરણા મળશે તો સંકલનકર્તાએ પ્રસ્તાવના માં જે કલ્યાણકારી ભાવના સેવી છે તે ફળીભૂત થશે.

    પ્રિયકાંત મણિયારનું 'આ નભ ઝૂકયું તે કાનજી ને ચાંદની તે રાધા રે...' , ઈંદુલાલ ગાંધીનાં આંધળી માનો કાગળ અને દેખતા દીકરાનો જવાબ, ઉમાશંકર જોશીનું ગીત અમે ગોત્યું ગોત્યું, જયંત પાઠકનું દીકરીના લગ્ન પછી ઘરમાં, કલાપીનું ગ્રામ્યમાતા, સ્નેહરશ્મિ ના હાઈકુ વગેરે જેવા ગુજરાતી માધ્યમમાં શાળાજીવનમાં બાલભારતીમાં ભણેલા અનેક કાવ્યો અમી સ્પંદન માં વાંચવા મળ્યાં ત્યારે જાણે શૈશવ ની ગલીઓમાં ફરી ભમવાની એક તક સાંપડી! આવા તો સવાસો થી વધુ કાવ્યો અહીં સમાવિષ્ટ છે. કૃષ્ણ દવે, સ્વ સુરેશ દલાલ વગેરે કવિઓની અદ્યતન કવિતાઓ પણ આ સંગ્રહમાં સમાવવામાં આવી છે તો બાળકાવ્ય વિભાગમાં તો અમેરિકન લોકગીત પણ મોજૂદ છે. શાળા જીવનમાં ગાયેલાં- સાંભળેલાં આઓ બચ્ચો તુમ્હે.., તૈયાર થઈ જજો, વિજયી વિશ્વ તિરંગા, સારે જહાં સે અચ્છા.., હમ હોંગે કામયાબ... જેવાં દેશ ભક્તિ ગીતો અને ૐ તત્સત્, અખિલ બ્રહ્માંડમાં..., એક જ દે ચિનગારી... વગેરે પ્રાર્થનાઓ પણ વાંચી મન પુલકિત થઈ જાય! પ્રખ્યાત ગુજરાતી ગરબા અને આરતીના શબ્દો વાંચવાનું મન થાય તો એ અમી સ્પંદનમાં મળી રહેશે.

  અમી સ્પંદનના સર્જકના પુત્ર પિનાકિનભાઈ દવે નો આટલી સુંદર અનોખી ભેટ મને આપવા બદલ આભાર! ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ ધરાવતાં અને કાવ્યો - ગીતોમાં રસ ધરાવતાં સૌ કોઈ માટે આ પુસ્તક એક શ્રેષ્ઠ ભેટ સાબિત થશે.


સોમવાર, 3 જાન્યુઆરી, 2022

ગેસ્ટ બ્લૉગ : સાપુતારા ટેન્ટસીટીના સર્જન પાછળના પ્રેરક પરિબળો

                      મારો જન્મ – ઉછેર કૃષક પરિવારમાં થયો. માતા – પિતા આજે પણ ખેતી કરે છે. એટલે સ્વાભાવિક રીતે કુદરત – પ્રકૃતિ પ્રત્યે એક પ્રકારનો આત્મીય લગાવ પહેલેથી જ. સંજોગોવશાત આર્થિક કારણોસર અધૂરા ભણતરે સુરત જેવા શહેરમાં રત્ન કલાકાર તરીકે કામગીરી શરૂ કરી. પણ ભણી નહી શકાયું તેનો રંજ – અજંપો કોઈ કોઈ વાર સતાવતો હતો. ધીમે ધીમે ઘરે બેઠા પરીક્ષા આપી એમ. કોમ. બી.એડ. અભ્યાસ કર્યો. સુરતમાં ટ્યુશન આપવા શરૂ કર્યા. ત્યાર બાદ એક પરમ ગુરુ સમાન સાહેબ હરેશભાઈ મોરાડિયાનો સંપર્ક થયો અને તેમની સાથે ભાગીદારીમાં ટ્યુશન ક્લાસ શરૂ કર્યા. અમે દર વર્ષે અમારાં ટ્યુશનનાં બાળકોને પ્રવાસે લઈ જતા. અમારી મોટા ભાગની પ્રવાસની જગાઓ નૈસર્ગિક સૌંદર્ય ધરાવતાં સ્થળ રહેતી. વર્ષ ૨૦૧૬માં અમે મનાલીના પ્રવાસનું આયોજન ગોઠવેલું. ત્યાં એક ટેન્ટ સીટીમાં રોકાયા ત્યારે પહેલી વાર મને મારી માતૃભુમિ ગુજરાતમાં ટેન્ટ સીટી બનાવવાનો વિચાર મનમાં સ્ફૂર્યો. પરંતુ ટેન્ટ સીટી બનાવવા માટે મોટા પાયે નાણાંની જરૂર પડે, જે મારી પાસે નહોતા એટલે આ નવા સાહસ વિશે વિચારવાનું છોડી પાછા ટ્યુશનમાં કાર્યમાં લાગી ગયા. 

     થોડા સમય બાદ મને સુરતથી થોડે દૂર ગ્રામીણ વિસ્તારમાં નોકરી મળી, જે સંપૂર્ણ કુદરતી વાતાવરણ વચ્ચે જ હતી. વર્ષો બાદ ફરી ટેન્ટ સીટીનો વિચાર મનમાં ઘોળાવા લાગ્યો. તે સમયથી મારા મને એક નવી જ ઉમ્મીદ સાથે એક મક્કમ નિર્ણય કર્યો કે હવે કોઈ પણ ભોગે આ નવું સાહસ ખેડવું.     

        ૨૦૧૬માં મારા ટ્યુશનની મનાલી ટુરમાં મારા  મિત્ર ડોક્ટર રાકેશ જે પટેલ પણ આવ્યા હતા, તેમને મેં વાત કરી કે મારી પાસે એક નવા બિઝનેસનો વિચાર છે. પરંતુ મારી પાસે નાણાં નથી, અને મેં મારા મનમાં સંતાયેલા વિચારને સૌથી પહેલા તેમની સમક્ષ રજૂ કર્યો. એમને મારા નવા વિચારમાં રસ પડ્યો અને અમે એક નવા બિઝનેસનું પ્લાનિંગ શરૂ કરી દીધું.

         અમે સાથે મળી જમીન શોધવા લાગ્યા. જમીન શોધતી વખતે પણ મનમાં જે આયોજન રમતું હતું તેમાં પણ કુદરતનું સાનિધ્ય અને શાંતિ મોખરે હતા. એક એવી જગ્યા જે ચડતી ઊતરતી ટેકરીઓની વચ્ચે હોય, આજુ બાજુ ખુલ્લાં ખેતરો હોય, બાગ પણ હોય અને વિવિધ વૃક્ષો જેમાં ફળાઉ ઝાડ પણ હોય, સમગ્ર પરિસરમાં કૃત્રિમ સિસ્ટમને બદલે એક સહજ, સરળ ભાવનાત્મક – આવનાર લોકોને આત્મીયતાનો અનુભવ કરાવે એવું વાતાવરણ હોય એવું સ્વપ્ન જોયેલું.

              ત્યાર બાદ હરેશભાઈ, રાકેશભાઈ અને અમારા મિત્ર સમા એક બિઝનેસ અગ્રણી વિરલકુમાર કાકડિયા પણ એમાં જોડાયા અને અમે સાથે મળી નવા સોપાન માટે કુદરતી સૌંદર્ય ધરાવતી જગ્યા શોધવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં અમે ધરમપુર પાસે આવેલ બિલપૂડી ગામે એક ધોધ પાસે જગ્યા જોઈ પરંતુ તે જગ્યામાં કુદરતી સૌંદર્ય ઘટતું દેખાયું, એટલે ત્યાંથી અમે સહ્યાદ્રિ  ગિરિમાળામાં ગુજરાતનું એકમાત્ર ગિરિમથક આવેલું છે તે સાપુતારા બાજુના વિસ્તારમાં કુદરતી સૌંદર્ય ધરાવતી જગ્યા જોવાનું શરૂ કર્યું. એવામાં  અમારો સંપર્ક ડાંગ જિલ્લામાં શિક્ષણ સેવા આપતા લોહપુરુષ સમાન એવા પી. પી. સ્વામીજી સાથે થતાં, તેમણે અમારો મેળાપ માલેગામના એક ખેડૂત સાથે  કરાવ્યો અને અમને કુદરતી સૌંદર્ય ધરાવતી એક ખૂબસૂરત જગ્યા મળી. જ્યારે અમે એ જગ્યા લીધી ત્યારે ત્યાં ભારે જંગલ વિસ્તાર હતો. તે જગ્યા પર અમે બધા ભાગીદારોએ સ્વપ્રયત્ને, લેન્ડ સ્કેપ તથા આર્કિટેકટ પ્લાનિંગ કરી અને ડેવલપમેન્ટનું કાર્ય શરૂ કર્યું. અમારા પરિવારના સભ્યોએ પણ ખૂબ મોટો ફાળો આપ્યો અને બન્યું સાપુતારા ટેન્ટસીટી! 

 આજે અહીં ઘણાં પ્રવાસીઓ આવે છે અને તેમને આ જગા ગમે છે ત્યારે લાગે છે કે આ સાહસમાં અમે થોડે-ઘણે અંશે સફળ થયા છીએ. એનો આનંદ છે, રાજીપો છે. આ આનંદમાં કુદરતની મહેર સહભાગી છે. લોકો જ્યારે અભિનંદે ત્યારે ઉત્સાહ બેવડાય છે. 

         હજી આવું એક સંકૂલ નર્મદા કિનારે સર્જવાનો વિચાર છે. વિચાર છે તો ક્યારેક ધરતી પર અવતરશે એ ચોક્કસ! 

- ભરત જસરાજભાઈ માંગુકિયા