Translate

શનિવાર, 27 નવેમ્બર, 2010

વાંચન : એક ઉમદા અને ઉત્તમ શોખ

થોડા સમય અગાઉ મધૂવન પૂર્તિની અપૂર્વભાઈ લિખિત આંખમાં પીળુ કટારમાં વાંચે ગુજરાત શીર્ષક હેઠળ સરસ લેખ વાંચ્યો અને વાંચનને આટલી હદે પ્રોત્સાહન આપતા મોદી સાહેબ પ્રત્યે વધુ એક વાર માન ઉપજ્યું.


મને કોઈ મારા શોખ વિષે પૂછે તો પ્રથમ નામ 'વાંચન' નું આપું.હું દ્યઢપણે માનું છું કે સારું વાંચન તમારા વ્યક્તિત્વ પર ખૂબ ઉંડી અને સારી અસર કરે છે.

જ્યારે આપણે ફિકશન એટલે કે કલ્પિત નવલકથા કે નવલિકા,ટૂંકી વાર્તા વાંચીએ ત્યારે આપણે એક જુદાં જ વિશ્વમાં પહોંચી જતા હોઈએ છીએ - કલ્પનાજગતમાં. વાંચન તમને જકડી લઈ શકવાની જાદૂઈ તાકાત ધરાવે છે.વાંચન તમને ખુશીના સર્વોચ્ચ શિખરે લઈ જવાથી માંડી દુ:ખની ઉંડી ગર્તામાં લઈ જવાનો અહેસાસ કરાવી શકે છે.તમે નવલકથા વાંચો ત્યારે તેના પાત્રો સાથે હસો છો અને તેમના રડવા સાથે આંસુ પણ વહાવો છો.તમે જાણે એ નવલકથા કે કલ્પનાજગતનાં જ એક પાત્ર બની જાઓ છો.ઘણી વાર વાંચતી વખતે મારા રૂંવાડા ઉભા થઈ જતા મેં અનુભવ્યા છે.કોઈક સારી વાર્તા કે વાત વાંચીએ એટલે ત્યારે જ એ આપણાં કોઈ સંવેદનશીલ સહ્રદયી મિત્ર કે સગાને પણ વંચાવવાની અદમ્ય ઇચ્છા આપણને થઈ આવે છે ખરૂં ને?તમે જેટલો સમય વાંચનના કલ્પના જગતમાં વિહરતા હોવ એટલી ક્ષણો પૂરતા તમે તમારા સઘળાં ટેન્શન-ચિંતાઓથી મુક્ત થઈ જાઓ છો. કેટલીક વાર તો સમયનું ભાન પણ ભૂલી બેસો છો. રસપ્રદ નવલકથાનાં પાનાં એક પછી એક વંચાતા જ જાય અને આવી રીતે એકી બેઠકે નવલકથા વાંચી જનારા કેટલાંક મિત્રોને પણ હું ઓળખું છું.તમે ઘણી વાર વાંચનના બંધાણી થઈ જાઓ છો.

નોન-ફિકશન એટલે કે વાસ્તવિક કે વિચારાત્મક, સ્વમદદ કે વ્યક્તિત્વ વિકાસ માટેનું વાંચન પણ તમારા સંપૂર્ણ જીવનને બદલી દઈ શકે છે.આવું વાંચન તમારા ચરિત્ર અને વ્યક્તિત્વનું ઘડતર કરી શકે છે.આવા વાંચનથી તમારો જીવન જીવવાનો દ્રષ્ટીકોણ - અભિગમ હકારાત્મક થઈ જાય છે,તમે આશાવાદી બની જાઓ છો. સારા પુસ્તકો તમારા સૌથી શ્રેષ્ઠ મિત્રો છે અને તે તમને કઈ રીતે સુખી અને સફળ થવું તે શીખવી શકે છે.મારા કોલેજ કાળ દરમ્યાન મેં વાંચેલા આવા ઘણાં પ્રેરણાત્મક પુસ્તકોની અસર મેં પ્રત્યક્ષ અનુભવી છે.આવાં પુસ્તકો રોગીઓને પણ માનસિક રોગમાંથી મુક્તિ અપાવી શકે છે અને તેના સતત વાંચનથી તમે વ્યક્તિગત લક્ષ્યાંકો બનાવી તેનેસફળતાપૂર્વક પાર પાડતા શીખો છો. સારૂં વાંચન તમને દુનિયા સામે કઈ રીતે ઝઝૂમવું અને આવનારી વિકટ પરિસ્થિતીનો કઈ રીતે સામનો કરવો,પ્રતિકૂળ સંજોગોમાં કઈ રીતે ટકી રહેવું એ શીખવે છે.સારા વાંચનથી તમારો દ્રષ્ટિકોણ બહોળો થાય છે.

વાંચનની શરૂઆત બાળપણથી થવી જોઈએ.તો એ આગળ જતા ટેવ કે શોખ બની શકે.જો બાળક સારી વાર્તાઓ વાંચશે તો તેને સારા સંસ્કાર મળશે અને તે મોટો થઈ એક સારો મનુષ્ય બની શકશે.તે સર્જનાત્મક,વિચારશીલ અને સાચો નિર્ણયકર્તા બની શકશે.ઈસપની બાળવાર્તાઓ,જાતકકથાઓ કે પંચતંત્રની પ્રાણી કથાઓ બાળક માટે રસપ્રદ તો બની જ રહે છે તદુપરાંત તેમને જીવન સાચી અને સારી રીતે જીવવાના બોધપાઠ પણ નાની વયથી જ શીખવે છે.સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગર્ભવતી સ્ત્રી ગર્ભાવસ્થા દરમ્યાન સારા પુસ્તકો વાંચે તો તેની સારી અસર આવનારા સંતાન પર પડે છે અને તે હોંશિયાર અને સારા ગુણો ધરાવનારું બને છે. માતાપિતાઓ તમારા બાળકોને ખૂબ વંચાવો.તેમને એકાદ નવી વિડીઓગેમ કે રમકડાને બદલે સારા પુસ્તકોની ભેટ આપો.આપણે સૌ જાણીએ છીએ કે બાળકોને વાર્તાઓ સાંભળવી કેટલી ગમતી હોય છે તો પછી આ વાર્તાઓ લખતાવાંચતા શીખ્યા બાદ તેઓ પોતે વાંચે એવું ન કરી શઈએ?

વ્રુદ્ધજનોને પણ વાંચન ગમે છે.ક્યારેક તેઓ સમય પસાર કરવા ખાતર વાંચતા હોય છે. તમારા દાદાદાદી કે ઘરડા સગાને તમે ભાગવત ગીતા કે બીજા કોઈક ધાર્મિક પુસ્તકો વાંચતા જોયા હશે.જ્યારે તેમના સંતાનો તેમને જાકારો આપે ત્યારે પુસ્તકો જ વયોવ્રુદ્ધ વ્યક્તિઓનો સહારો,તેમના મિત્રો બની રહેતા હોય છે.

સારુ વાંચન તમારા આત્મવિષ્વાસને દ્રઢ બનાવે છે.એ તમને બહારની દુનિયામાં કઈ રીતે વર્તવું,કઈ રીતે ઇન્ટરવ્યૂઝમાં તમારી જાતને રજૂ કરવી,ગ્રુપ ડીસ્કશન્સ કે ડીબેટ્સમાં કઈ રીતે સહભાગી થવું એ બધું પણ શીખવે છે.વધુ વાંચીને તમે ફક્ત તમારો શબ્દભંડોળ જ નથી વધારતા પણ એ દ્વારા તમને વાતચીતના વધુ વિષયો મળે છે,તમે બીજાઓ સાથે ચર્ચાવિચારણા કરી શકો છો.અખબારનું નિયમિત વાંચન પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.એનાથી તમે વર્તમાનના વ્હેણ સાથે તાલ મિલાવી શકો છો.તમે સમાચાર વાંચી સજાગ રહેતા અને બીજાએ કરેલી ભૂલોમાંથી પાઠ શીખી શકો છો.આજકાલ વર્તમાનપત્રોમાં ફક્ત સમાચાર જ નહિં પણ મહાન વ્યક્તિઓના ઇન્ટરવ્યૂઝ,આધ્યાત્મિક કે પ્રેરણાત્મક લેખો,સ્પર્ધાઓ અને અનેક રસથી ભરપૂર કટારો છપાય છે.મને રોજ એક ગુજરાતી અને એક અંગ્રેજી છાપું વાંચવા જોઈએ જ છે! છાપા સાથે આવતી પૂર્તિઓ આખું અઠવાડિયું મને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સરસ કંપની આપે છે! ટ્રેનમાં સરખા ઉભા રહેવાની પણ જગા ન હોય તેવી સ્થિતીમાં પણ ગડી વાળેલું અખબાર તો હાથ ઉપર-નીચે-ડાબે-જમણે જ્યાં જગા મળે ત્યાં પકડી કે ફેરવી વાંચીજ શકાય! વાંચનનો આવો ગાંડો શોખ કેળવો તો પણ એમાં ખોટું નથી જ..!

રવિવાર, 14 નવેમ્બર, 2010

ઓબામા ભારતમાં...

મારા મિત્ર દર્શન દોડિયા(@DarshanDodia)એ થોડા દિવસો પહેલાં ઓબામાની ભારતની મુલાકાતને લગતાં ખૂબ મજાના, રમૂજી છતાં વિચારપ્રેરક ટ્વીટ્સ ટ્વીટર (http://www.twitter.com/) ઉપર કર્યા હતાં:


* ભગવાનના નામે આપણે હ્રદય ચોખ્ખું કરીએ છીએ,તહેવારોના નામે આપણે આપણા ઘર સ્વચ્છ કરીએ છીએ અને 'ઓબામા'ના નામે આપણે આપણું શહેર ચોખ્ખું કરીએ છીએ!

* છેવટે કોલાબાની કાયાપલટ થઈ ખરી!ઝાડછોડ વવાયા,શેરીઓ સ્વચ્છ કરાઈ,ભંગાર-કાટમાળ દૂર કરાયો,રસ્તાઓ પરના ડિવાઈડર્સ ફરી રંગાયા.થેન્ક યુ @ઓબામા!

* ઓબામાએ દર વર્ષે એક વાર ભારત યાત્રાએ આવવું જોઈએ.આ રીતે તો સરકાર સુરક્ષાને લઈને ખડે પગે સજાગ રહેશે!

ભલે આ રમૂજી લાગતું હોય પણ આપણે એવાં જ છીએ! પેલી કહેવત છે ને : 'આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા બેસીએ.' તેને આપણે જાણે અનુસરતા હોઈએ છીએ.આપણે કામ મોટે ભાગે પાછું ઠેલીએ છીએ.આપણો સ્વભાવ જ બેદરકારીભર્યો થઈ ગયો છે.આપણે મોટે ભાગે દરેક વસ્તુને ગણકારતાં જ નથી.મોટા ભાગની ચીજોની આપણને પડી હોતી નથી.

બીજી એક બાબત એ છે કે આપણે કોઈ જોતું હોય ત્યારે જ કામ યોગ્ય રીતે કરીએ છીએ.ઓફિસમાં ઘણાં લોકો મેનેજર કે સુપરવાઈઝર ધ્યાન આપતો હોય તો જ કામ વ્યવસ્થિત રીતે કરે છે નહિંતર તેઓ કામચોરી કરે છે.મેં ક્યાંક વાંચ્યું હતું : ગુણવત્તા જ્યારે કોઈ જોઈ ન રહ્યું હોય ત્યારે પણ તમારો શ્રેષ્ઠ દેખાવ જાળવી રાખવામાં છે.

ઓબામા આવી રહ્યા હોવાને કારણે આપણે શહેરને ચોખ્ખુંચણાક બનાવી દીધું.જો પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ કે કોઈ મોટા નેતા આવવાના હોય તો તે સ્થળ ચકાચક બનાવી દેવાય છે,રોડની મરામત કરી દેવામાં આવે છે.આસપાસની જગાએ સુશોભીકરણ કરી તેને સુંદર બનાવી દેવાય છે.આવો દેખાડો શા માટે?આવું વલણ શા માટે?ફક્ત V.I.P.ઓ આવવાના હોય ત્યારે જ નહિં પણ હંમેશા આપણી આસપાસની વસ્તુઓ સારી રીતે ન રાખી શકાય?જાળવી શકાય?

આપણી બીજી એક ખાસિયત એ છે કે આપણે ઘેલાં છીએ!આપણે ખૂબ જલ્દી અંજાઈ જઈએ છીએ.સેલીબ્રીટી(ખ્યાતનામ વ્યક્તિ)ને આપણે દેવની જેમ પૂજીએ છીએ.તેમને આપણે અતિ નમ્ર બની જઈ ખૂબ માન આપીએ છીએ (અને ક્યારેક આપણી સૌથી વધુ દરકાર કરનારી વ્યક્તિનું માન આપણે બિલકુલ જાળવતા હોતા નથી)આપણે સ્વમાન જાળવતાં શીખવું જોઇએ.આપણાંથી મોટા હોદ્દાની કે લાયકાત ધરાવતી વ્યક્તિ આગળ ક્યારેક આપણે આપણી જાતને તુચ્છ ગણી સ્વમાન જાળવતા નથી.પણ આપણે દરેક વ્યક્તિને સમાન સમ્માન અને આદર આપતા શીખવું જોઈએ.
સમાજમાં ઘણો દંભ પ્રવર્તે છે અને આપણે પોતાની ખરી જાતને ભૂલી જઈ જીવતા હોઈએ છીએ. ઇશ્વરને પ્રાર્થના કે આ વૃુતિમાંથી બહાર કાઢી અમને સાચી અને સારી રીતે જીવતાં શીખવ.

શનિવાર, 6 નવેમ્બર, 2010

ગેસ્ટ બ્લોગ : આજ દિવાળી...

આજ દિવાળી, આજ દિવાળી,


દિવાળી નું મેરીયું ,....

ફટ ફટ ફટ ફટ ફૂટે ફટકા ,

ધન ન ન ધૂમ, ધન ન ન ન ન ધૂમ..

થાય ધડાકા ...

સ ર ર , સ ર ર ફૂટતી ફૂલ ઝ ડીયું,

દિવાળી નું મેરીયું...

સહુ વાચક મિત્રોને દિવાળી નિમિત્તે શુભકામના અને આવતાં નુતન વર્ષ નિમિત્તે અભિનંદન...

મિત્રો,

ઉપર લખેલું દિવાળી -ગીત મને મારા માં એ હું સાવ નાની હતી ત્યારે શીખવેલું, ત્યારે નાંનાં નાનાં છોકરાંઓ દિવાળી ને દિવસે શેરડી ના સાંઠા ઉપર કોડિયું બાંધી, કપાસ મૂકી, પ્રગટાવતા અને દિવાળીનું મેરીયું, દિવાળીનું મેરીયું કહી શેરી માં ઘૂમતા....
દિવાળી ની વાત કરવી એટલે એ તો બહુ જ મોટો, ના ના , વિશાળ વિષય કહેવાય.. દિવાળી એટલે વીતેલા વર્ષ નું સરવૈયું... જીવન ના આનંદ અને આત્માના ઉજાસનું પર્વ...બ્રહ્માંડમાં થી ... અવકાશમાંથી પણ કાળીચૌદશ ની વિશેષ કાળરાત્રીએ પ્રગટેલા દીપની આભા , ઉજાસ પામી શકાય.. આપણાં આત્માના દીપને પ્રગટાવી વિશ્વ ને ઉજાસ આપનારા ઉર્જસ્રોતમાં મેળવવાનું પર્વ, એટલે દિપાવલી પર્વ..

દિવાળી એટલે, જાતજાતના કોડિયા, દિપક પ્રગટાવવા, પહેલાના જમાનામાં શુદ્ધ ઘી તેલ ના દીપ પ્રગટાવવામાં આવતાં, પર્યાવરણ સંરક્ષણ નો દેકારો કરવાની જરૂર જ નહોતી.. આજે મીણબત્તીઓ પણ મૂકી દેવાય છે.

ફૂલ, પાન ના હાર- તોરણ બંધાતા..

 નવરાત્રી જાય એટલે તરત જ દિવાળીની તૈયારીઓ શરુ થઇ જતી... પહેલું કામ તાંબા -પિત્તળના વાસણો મન્જાવવાનું થતું. છાજલીઓ ઉપરથી મસમોટા તાંબા પિત્તળના વાસણો ઉતારીને તેને સોના જેવા ચકચકાટ કરાતા.. તેને માટે આંબલી અને નાળીયેરના છુન્છા અને ઈંટના પત્થરનો ભૂકો વપરાતો. મારવાડણો વાસણો માંજવા આવતી... પાછા તે વાસણોને મંજાઇ જાય એટલે લુછી ને તડકે સુકવતા. ઘરની છાજલી પર સજાવેલા સોના જેવા ચળકતા વાસણો તે ઘરની શાન ગણાતી . તે જોઇને ઘર કેવું સુખી છે તે મપાતું. હવે તો આ વાસણો એન્ટીક સંગ્રહાલયોમાં જોવા મળે છે.

જાતજાતની ભાતભાતની રંગોળી પુરવામાં આવતી...જો કે રંગોળી તો આજે પણ પુરીએ છીએ. રંગોળી પૂરવાની કલા વહુને સાસરામાં ખાસ સ્થાન અપાવતી, વહુ, દિયર, નણંદ, દેરાણી - જેઠાણી બધા સાથે મળીને રંગોળી પૂરતા, કૌટુંબિક ભાવના . વધતી... .. ફેમીલી બોન્ડ મજબુત થતું, રંગોળી ને ગાય, કુતરાથી બચાવવા તેની ઉપર પાટલા મુકવામાં આવતાં. કે પછી, કાથીના ખાટલા મુકતા. કોઈ અટકચાળા વળી કોઈએ પોણી રાત મહેનત કરીને પૂરેલી રંગોળી ને ચુપચાપ બગાડી પણ જતું ! ! અને રંગોળી બનાવનારના મોઢેથી ખુબ સ્વસ્તી વચન સાંભળવા મળતા. ...!

દિવાળી એટલે સેવ, સુંવાળી , મઠીયા, ઘૂઘરા, ચકરી, ચેવડો, મગસ, મોહનથાળ, કાજુ કતલી, ચોળાફળી ...વગેરે વગેરે ઢગલાબંધ મીઠાઈઓ..ફરસાણ ...ઘરમાં બનતા... શેરી મહોલ્લા, પોળ,ફળિયાના લોકો એકબીજાને આ બધું બનાવવામાં મદદ કરતાં.

( પહેલાના જમાનામાં આ બધી વાનગીઓ સામાન્ય રીતે દિવાળીમાં જ ખવાતી, આજના જમાનાની જેમ ઠેર ઠેર વેચાતી પણ નહોતી મળતી અને બહારથી લવાતી પણ નહોતી.. રોજ રોજ ખવાતી નહીં એટલે એનું મહત્વ ઘણું હતું. ).

પૂજા ઉપરાંત ટોટકા પણ નિભાવતા. કાળી ચૌદશને દિવસે માથા ધોવાના, સાંજે કકળાટ કાઢવાનો - અડદના વડા અને પૂરી ચાર રસ્તે જઈને મૂકી આવવાના, પાછું વાળીને નહીં જોવાનું.... વગેરે વગેરે...

હનુમાનજી ને તેલ ચડાવવાનું...શ્રીફળ વધેરવાનું...


ફટાકડામાં તારામંડળ, બપોરિયા, (રંગીન દીવાસળી) સાપ, ચકરડી, લૂમ, બોમ્બ, જલેબી, કોઠી .... ક્યારેક વળી હવાઈઓ ઉડીને કાકાના ધોતિયામાં પણ ઘુસી જતી....અને યુવાનીયાઓને જોણું થતું તો કાકાને ભારે થતી....કોઈ વાર આ મુદ્દે લડાઈ ઝઘડાઓ પણ થતાં...


ગુજરાતમાં દિવાળી પછીના દિવસને બેસતું વર્ષ ગણે છે.. દિવાળીની રાત મહત્વની. બેસતા વર્ષ ને દિવસે વહેલી સવારે નાનાં નાનાં છોકરાંઓ સબરસ એટલે કે મીઠુ લઈને આવતાં.. તે ચુપચાપ લઇ લેવાનું, જે આપવું હોય તે આપીને ,એટલે કે ૪ આના, દસ પૈસા કે જે મન થાય તે આપીને ચપટી મીઠુ ખરીદી લેવાનું.. શુકન ગણતા . પછી વહેલા દેવ દર્શન અને પછી તરત ઘરના -કુટુંબના વડીલોના આશીર્વાદ લેવાના... લોકો સવારથી દોડતા હોય..નવા નવા કપડાં.પહેર્યા હોય..લોકો હારણ દોરણ દોડતા હોય..

અગીયારશથી માંડીને લાભ પાંચમ સુધીના દિવસો અતિ શુભ મનાય છે. કહે છે કે જેણે દિવાળી જોઈ તો જોઈ... કોને ખબર આવતા વર્ષે કોઈ ક્યાં હશે ? એટલે સહુ દિવાળી નિમિત્તે એકબીજાને ખુબ પ્રેમથી મળે, સ્નેહમિલનો યોજાય... પાછલું બધું ભૂલીને નવા વર્ષે નવેસરથી એકડો ઘૂંટવાનો નિર્ધાર કરે.

અને બાળકો માટે તો સૌથી મહત્વનું, દિવાળીની બોણી મળતી તે ...! પહેલાં તો એક રૂ . કે બહુ બહુ તો બે રૂ, ની બોણી મળતી... તેમાં સહુ ખુશ... વેપારી વર્ગ સિવાય ગિફ્ટો આપવાનો કંઈ રીવાજ થોડો હતો ?


મને કોઈ પૂછે , દિવાળીની યાદો.... તો કહીશ કે આજથી વર્ષો પહેલાં મારા ઘરમાં એટલે કે નડિયાદમાં અમારા ઘરમાં દિવાળી માણી છે તેવી ક્યારે ય નથી માણી..મને હજુયે નડિયાદના નારણદેવ ના મંદિરની દીપમાળ યાદ છે, આજે પણ અંબિકા માતાના મંદિરના દર્શન યાદ છે..ડભાણ ભાગોળે આવેલા સાઠોદરા નાગરના હાટકેશ્વર મંદિરમાં બેસતા વર્ષે સવારના છ વાગતામાં યોજાતું સ્નેહમિલન અને પ્રાર્થના યાદ છે...દાદા -દાદી, માં -પપ્પા , કાકા - કાકીના આશીર્વાદ અને નાનાં ભાઈના વહાલભરી દિવાળી એ જ ખરી દિવાળી.. ઘરના બધા જ સભ્યો સાથે મળીને માણેલો દિવાળીનો આનંદ આજે પણ હૈયે સ્વર્ગ જેવો જ વસેલો છે. તેને ઝૂરું છું..કાશ સમય પાછો આવે અને ફરી તે દિવાળી માણવા મળે...પણ મને પણ ખબર છે કે સમય પાછો નહીં આગળ વધે છે..



આજના વૈશ્વિકરણના જમાનામાં બાળકો પોતાની કારકિર્દી ઘડવા પરદેશ ઉડી જાય છે , ત્યારે ઘર, બાળકો વગર સુના માળા જેવું ભાસે છે, એટલે જ કહું છું કે આજની ઘડી રળિયામણી. કાલની કોને ખબર છે ? .ચાલો આજે આપણે સહુ આજની ઘડીને માણીએ અને આજે આપણે સહુ સાથે છીએ તે ઘડીને દિવાળી મનાવીએ..મતભેદોને મનભેદો ના બનવા દઈએ, કોઈને સાથ આપીએ, સહારો દઈએ, નીતિમત્તાના મૂલ્યોનું જતન કરીએ, હૈયાના આનંદને આત્માના ઉજાસના પર્વમાં બદલી નાખીએ કે ઘેર ઘેર દીપ પ્રગટે, અને સહુના આત્માનો ઉજાસ દિપાવલી બનીને બ્રહ્માંડમાં છવાય ..... અસ્તુ..


મૈત્રેયી મહેતા,
mainakimehta@yahoo.co.in

શુભ દિવાળી, નુતન વર્ષાભિનંદન .....

રવિવાર, 31 ઑક્ટોબર, 2010

સ્વિમીંગ (ગોલ્ડન જ્યુબિલી સ્પેશ્યલ)

[
વ્હાલા વાચકમિત્રો,


આજે ‘બ્લોગને ઝરૂખેથી…’ની ગોલ્ડન જ્યુબિલી છે એટલે કે આજે આ કટારનો પચાસમો લેખ તમારી સમક્ષ રજૂ કરતા એક ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું.આ કટારમાં આપણા જીવનમાં, આપણી આસપાસ બનતા બનાવો કે કંઈક ખાસ હોય કે હ્રદયને સ્પર્શી ગઈ હોય એવી વાત આપણે બીજાઓ સાથે શેર કરીએ છીએ.’આપણે’ એટલા માટે લખ્યું છે કારણ મહિનામાં એક બ્લોગ તમારામાંના એક વાચકનો હોય છે, જે ગેસ્ટ બ્લોગ તરીકે અહિં છપાય છે.મને ખૂબ સારું લાગે છે જ્યારે તમે પણ અહિં કંઈક લખી તમારી ભાવનાઓ, તમારા વિચારો બ્લોગના માધ્યમથી બીજાઓ સાથે શેર કરો છો. અહિં છપાયા બાદ દરેક બ્લોગ http://blognezarookhethee.blogspot.com પર પણ પબ્લિશ કરવામાં આવે છે જે ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના લાખો લોકો સુધી પહોંચે છે.


શનિવારે જન્મભૂમિની ‘મહેક’ પૂર્તિમાં છેલ્લા સાત વર્ષથી નિયમિત રજૂ થતી મારી કટાર 'ઇન્ટરનેટ કોર્નર' (જેના પાંચ પુસ્તકો કથાકોર્નર,મહેક,કરંડિયો,આભૂષણ અને ઝરૂખો ગૂર્જર ગ્રંથરત્ન દ્વારા પ્રકાશિત થઈ ચૂક્યા છે) જેટલો જ પ્રેમ તમે મારી આ કટારને પણ આપ્યો છે એ વાતની મને બેહદ ખુશી છે અને એ માટે હું તમારા સૌનો આભાર માનું એટલો ઓછો છે.બસ, આ કટાર વાંચતા-વંચાવતા રહેજો, તમારા વિચાર - અભિપ્રાય મારી સાથે અને બીજા વાચકો સાથે આ કટારના માધ્યમથી શેર કરતા રહેજો એવી નમ્ર વિનંતી સાથે તમને સૌને હ્રદયપૂર્વકના વંદન!

- વિકાસ ઘનશ્યામ નાયક

]
 
છેલ્લાં ઘણાં સમયથી મારી એક અતિ મનપસંદ પ્રવ્રુત્તિ હું મિસ કરું છું - સ્વિમીંગ. મારા ઘર નજીક આવેલ કાંદિવલીના સ્વિમીંગ પુલમાં ત્રણેક વર્ષ નિયમિત તર્યા બાદ જાણે મને એની આદત પડી ગઈ હતી.પણ મુંબઈમાં પાણીની ઉદભવેલી તંગીને કારણે બી.એમ.સી એ બધાં જ સ્વિમીંગ પુલ બંધ કરાવી દીધા અને મારી આ મનપસંદ પ્રવ્રુત્તિ પર અનિચ્છાએ બ્રેક લાગી ગઈ.મેં સ્વિમીંગ કંઈ ફક્ત કસરત કે શરીર સ્નાયુબદ્ધ બનાવવાના આશયથી જ નહોતું શરૂ કર્યુ. પણ આ એક એવી પ્રવ્રુત્તિ હતી જે મારા મનને સાચો આનંદ આપતી હતી, આપે છે! સ્વિમીંગ એક ઉમદા શોખ છે.


ઉનાળા દરમ્યાન સ્વિમીંગથી વધુ સારી કસરત બીજી કઈ હોઈ શકે?શિયાળામાં આમેય ઠંડી હોય અને ઉપરથી સ્વિમીંગ પુલનું ઠંડુ પાણી જો સંપર્કમાં આવે તો તબિયત બગડવાની શક્યતાને કારણે સ્વિમીંગ થોડો સમય બંધ થઈ જાય, પણ ફરી ચોમાસામાં સ્વિમીંગની મજા જ કંઈક ઓર હોય છે! ચોમાસામાં સ્વિમીંગ એટલે ઉપર-નીચે આજુબાજુ બધે પાણી જ પાણી! ચોમાસુ શરૂ થતા પહેલા પણ સાંજે જ્યારે વાતાવરણ વાદળિયું હોય અને સંધ્યા ખિલવાને કારણે આકાશમાં કેસરી,પીળા અને લાલ જેવા રંગોની મનમોહક રંગોળી રચાઈ હોય એ વખતે સ્વિમીંગની આહલાદક મજા તો ત્યારે જેણે સ્વિમીંગ કર્યુ હોય તે જ અનુભવી શકે!અને પછી ધીમે ધીમે વર્ષાના છાંટણા શરૂ થાય.પહેલા આછાં આછાં અને નાના નાના અને ધીરે ધીરે તેમનું કદ વધતું જાય અને પછી જ્યારે વરસાદ પૂર જોશમાં શરૂ થઈ જાય ત્યારે તમે સ્વિમીંગ પુલમાં જ હોવ તો સ્વર્ગીય સુખ જેવી અનુભૂતિ થાય!

યોગામાં જેમ વિવિધ વિવિધ યોગાસનો હોય છે તેમ સ્વિમીંગ પણ જુદી જુદી રીતે કરી શકાય છે: દેડકાની જેમ (ફ્રોગ સ્ટાઈલ), પતંગિયાની જેમ(બટરફ્લાય સ્ટાઈલ), પાણીમાં અંદર/નીચે તળિયે(અન્ડરવોટર), ઉંધા (બેક સ્ટ્રોક) વગેરે વગેરે.ઉંધા એટલેકે પાણીને પથારી બનાવી આંખો આકાશ તરફ રહે એમ તરવું મને સૌથી વધુ પસંદ છે.આ રીતે તરતી વખતે તમે બન્ને હાથ એક સાથે માથા પરથી શરૂ કરી કમર તરફ લાવી હળવા ઝટકા સાથે આગળ વધતા તરી શકો અથવા એક હાથ માથાથી કમર તરફ અને બીજો કમરથી માથા સુધી લઈ જઈ તરી શકો.આંખો આકાશ તરફ હોવાથી તમે ઉપરનું દ્રષ્ય જોતા જોતા તરી શકો. મને આ રીતે પાણીની પથારી પર ઉંધા સૂતા સૂતા શાંતિથી તર્યા કરવું બેહદ પસંદ છે.મને આ રીતે તરતી વેળાએ કુદરત સાથે પ્રત્યક્ષ જોડાયાની લાગણીનો અનુભવ થાય છે - આકાશ નિરખતા, વાદળાં કે ઉપર ઉડતાં પંખીઓ સાથે કે ક્યારેક વિમાન સાથે સ્પર્ધા કરતા, તેમની સાથે વાતચીત કરતા કરતા હું પણ કુદરતનો જ એક અંશ હોઉં એવી લાગણી મને થાય છે...ક્યારેક તો પેલા વાણિયા નામના જંતુ (બાળકો જેને 'હેલિકોપ્ટર' તરીકે બોલાવતા હોય છે) પણ મારી સાથે કે બાજુમાં ઉડે અને હું તેની સાથે પણ વાત કરું! બેક સ્ટ્રોકની આ સ્ટાઈલ એક જાતના મુક્તપણાનો પણ અહેસાસ કરાવે છે.થોડી ક્ષણો માટે દુન્યવી ચિંતાઓ, પરેશાનીઓથી આઝાદીનો અનુભવ તમે ચોક્કસ કરી શકો છો આ સ્ટાઈલમાં તરીને. આ પ્રકારે સ્વિમીંગ કરતી વખતે એમ પણ લાગે કે જાણે સમગ્ર ધરાની ગતિ ધીમી પડી ગઈ છે. પણ જ્યારે પુલમાં બીજું પણ કોઈ આ જ સ્ટાઈલની મજા માણી રહ્યું હોય તમારી વિરુદ્ધ દિશામાં અને તમારી જ સીધી રેખામાં,અને એ તમને ભટકાય ત્યારે તમે પાછા એ સ્વપ્નવત સ્થિતીમાંથી ભાનમાં આવી જાઓ છો.(પાછા પ્રુથવી પર તો કહેવાય નહિં કારણ તમે પાણીમાં હોવ છો !)અને ત્યારે જો યોગ્ય સંતુલન તરત જાળવી ન લો તો ડૂબી જવાના પૂરા ચાન્સીસ!

સ્વિમીંગ સાથે જ ડાઈવિંગ અને જંપિંગ પણ સંકળાયેલા છે.ડાઈવિંગ એટલે પાણીમાં એ રીતે ધુબાકો મારવો કે તમારું માથું પહેલા પાણીમાં પ્રવેશે અને આખું શરીર પછી. જ્યારે જંપિંગમાં આનાથી ઉંધુ એટલે કે કૂદકો મારતી વખતે પહેલા તમારા પગ પાણીમાં જાય અને છેલ્લે માથુ.મેં એકાદ માળ જેટલી ઉંચાઈએ થી ડાઈવ મારવાની મજા ઘણી વાર અનુભવી છે.આ રીતે પાણીમાં કૂદવું ખૂબ રોમાંચકારક છતાં ભયજનક, પણ મજેદાર હોય છે!જ્યારે એક-બે માળ જેટલી ઉંચાઈએ તમે ડાઈવ બોર્ડ પર ઉભા હોવ ત્યારે ભયનું લખલખું તમારા શરીરમાંથી પસાર થયા વિના રહે નહિં પણ એક વાર હિંમત કરી કૂદી પડો ત્યારે તમને તો આ સાહસ બદલ ગૌરવ મિશ્રિત હર્ષની લાગણી થાય જ પણ તમને ડાઈવ કરી,પાણીમાં પડતા જોનારને પણ ચોક્કસ મજા પડે છે!ડાઈવ બોર્ડ પર થી હાથ ઉંચા કરી શરીર ધનુષાકારે વાળી તમે તીર છૂટે એમ પાણીની દિશામાં જંપ લાવો છો અને ક્ષણવારમાં જ ધબાક કરતા અવાજ સાથે પાણીની છોળો ઉડે છે.તમે જેટલી વધુ ઉંચાઈએ થી કૂદો છો,પાણીમાં એટલા વધુ ઉંડા જઈ પહોંચો છો અને ત્યાં પાણીમાં ઉંડે ઉંડે થોડી ક્ષણો માટે તો તમે સમય,સ્થળ,દિશા વગેરે બધાનું ભાન ગુમાવી બેસો છો!પણ જલ્દી જ પાછા સામાન્ય સ્થિતીમાં આવી જઈ તમારે પાણીની સપાટી તરફ પ્રયાણ કરી ઉપર આવતા રહેવું પડે છે,બીજો ધુબાકો મારવા!ખરેખર આ એક ખૂબ મજાનો અનુભવ છે!

અન્ડરવોટર સ્વિમીંગમાં પણ જુદા જ પ્રકારની મજા આવે છે.માછલીઓ સતત પાણીની અંદર રહીને જેવું અનુભવતી હશે તેવો અનુભવ તમે અન્ડરવોટર સ્વિમીંગ વખતે કરી શકો. આ પ્રકારે તરવા માટે ખાસ પ્રકારના પાણીની નીચે પહેરી તમે ચોખ્ખુ જોઈ શકો તેવા ગોગલ પણ બજારમાં મળે છે. મારે હજી સ્વિમીંગની આ રીત બરાબર શીખવાની બાકી છે.

આપણા શહેરી જીવનની દોડધામમાં આપણે મનપસંદ શોખ કે પોતાના સ્વાસ્થ્ય માટેય થોડો ઘણો સમય ફાળવી શક્તા નથી પણ આપણે સ્વિમીંગ જેવી કોઇ પ્રવૃત્તિ માં જોતરાઈ શરીર અને મન બન્ને ને થોડો ચેન્જ આપવો જ જોઈએ.સુખથી જીવવાનો એ સાચો અને સરળ ઉપાય છે.

કોઈ સાથે ખરાબ વર્તન કરશો નહિં...(પ્રતિભાવો)

[ગયા અઠવાડિયાના બ્લોગમાં મને થયેલા એક સારા અને બીજા ખરાબ અનુભવની વાત

કરી અને લોકોનું આપણી સાથેનું વર્તન કેવી અસર કરે છે એ વિષે વાત કરી. મૂળ
અંગ્રેજીમાં મેં લખેલા આ બ્લોગ પર મારા ઘણા વાચક મિત્રોએ ઘણી રસપ્રદ
કમેન્ટ્સ લખી હતી જે આજે અહિં ગુજરાતીમાં વાંચીએ.]

કમેન્ટ્સ:


માનવીય વર્તન પરનો બ્લોગ સરસ હતો.આપણામાંના દરેક રોજબરોજ ખરાબ વર્તન
કરતાં લોકોના સંપર્કમાં આવતા હોઈએ છીએ. મારા અંગત મતે,ખાસ કરીને શહેરોમાં
લોકો પોતાની અંગત અને વ્યવસાયિક જિંદગી વચ્ચે ભેદરેખા જાળવી શક્તા
નથી.એમાં વળી ઓછું હોય એમ કામકાજ તેમજ તે માટે કરવી પડતી રોજબરોજની
મુસાફરીનો તણાવ,લોકોની અંગત તેમજ વ્યવસાયિક નિષ્ફળતાઓ દ્વારા ઉદ્ભવતો
અસંતોષ વગેરે વગેરે જેવી પળોજણોને લીધે માણસ તેના સહકર્મચારી કે તેના હાથ
નીચે કામ કરતા માણસો કે ગ્રાહકો સાથે સામાન્ય સૌજન્યશીલતા પણ દાખવવાનું
ભૂલી જઈ ક્યારેક ઉદ્ધતાઈથી વર્તી બેસે છે.જ્યારે આપણો પનારો આવી વ્યક્તિ
અને પરિસ્થિતિ સાથે પડે ત્યારે મોટે ભાગે આપણે તેમની કે તેમના વર્તનની
દરકાર ન કરવી જોઈએ.ઘણી વાર તો આપણે તેમની પાસેથી આપણું કામ પણ કઢાવવાનું
હોય છે.જો તેમનો સામનો કરવા જઈએ તો આપણું કામ પણ અટકી જઈ શકે છે.ઘણા લોકો
જ્યાં સુધી તેમનું કામ થઈ રહ્યું હોય ત્યાં સુધી સામે વાળાની ગમે તેવી
વર્તણૂંક ચલાવી લેતા હોય છે.પણ એક વાર તેમનું કામ પતી ગયા પછી પેલી
વ્યક્તિ તેમને ફરી ક્યારેય ક્યાંય ન ભટકાય એમ મનોમન ઇચ્છે છે.આમ ઘણી વાર
આંખ આડા કાન કરવા એ જ સૌથી વ્યવહારુ ઉપાય બની રહેતો હોય છે.
હું માનું છું કે આ બધા અસભ્ય વર્તન કરતા લોકો પાસે એ રીતે વર્તવા
માટેનું વ્યાજબી કારણ હોય છે.પણ તેઓ સમજતા નથી કે પોતાનો રોષ બીજાઓ પર
ઠાલવી કે ખરાબ રીતે વર્તી તેમની મૂળ સમસ્યા કંઈ ઉકેલાઈ જવાની નથી.
મને લાગે છે સમય સાથે આ વલણ વધતું જ જવાનું જેમ જેમ ગળાકાપ સ્પર્ધા
વધવાની, લોકોની મહત્વકાંક્ષાઓ વધવાની અને પરિણામે જેમ જેમ તણાવ વધતો
જવાનો...

અને આપણામાંના મોટા ભાગના આ મુશ્કેલી અને તેના ઉપાયો જાણીએ છીએ...

ફરી એક વાર આવા સુંદર મુદ્દા પર બ્લોગ લખવા અભિનંદન...બ્લોગ લખતો રહે...

- જયેશ જોશી (મલાડ - મુંબઈ)



એક મહત્વના મુદ્દા વિષે ચર્ચા છેડીને આ બ્લોગ થકી તે ખૂબ સારો પ્રયાસ
કર્યો છે, વિકાસ. મને તારી આ પોસ્ટ ખૂબ ગમી છે. હું તે જે સૂચન કર્યું છે
તે સમજી શકું છું.આપણે બીજાઓ આપણો સંપર્ક સહજતા અને સરળતાથી કરી શકે
તેવું વ્યક્તિત્વ વિકસાવવું જોઈએ. જ્યારે આપણે કોઈ સમસ્યા લઈ બીજી
વ્યક્તિ પાસે જઈએ ત્યારે સામે વાળી વ્યક્તિ ખૂબ સારા અને ઉત્સાહી મૂડમાં
હોય એ જરૂરી બની રહે છે.અથવા એ તમને પ્રેમથી બોલાવે અને સાંભળે એમ થાય તો
સારું. તમે જ્યારે આવી વ્યક્તિ પાસે જાઓ ત્યારે તમને માન આપી તેણે તમારી
કદર કરી તમને સમય આપવો જોઈએ અને તેણે તમે જે કહો છો તેના પર ધ્યાન આપી
તમને મદદ કરવાના તમામ પ્રયત્નો કરવા જોઈએ.
પણ તારા ડોક્ટર સાથેના અનુભવની વાત વિષે મારું એમ માનવું છે કે કદાચ તે
પોતાના અંગત કે વ્યવસાયિક જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા
હશે.કોઈ સમસ્યા કે ચિંતાને કારણે તે તારી સાથે સૌજન્યતા પૂર્વકનો વ્યવહાર
કરવાનું ચૂકી ગયા હશે.હંમેશા કોઈ જાણી જોઈને આવું વર્તન નથી કરતું.દરેક
માણસ પોતાનાથી બનતા સારા બનવાના પ્રયત્ન કરતો જ હોય છે પણ બધાં કંઈ
'પરફેક્ટ' નથી હોતાં...ઘણી વાર બધાં માટે એક સાથે એક કરતા વધારે કામ કે
પ્રવૃત્તિ કરવી શક્ય કે સરળ નથી હોતું. આવે વખતે આપણે સામે વાળાને સમજી
તેને થોડી છૂટ આપવી જોઈએ.
કદાચ તું મારા મત સાથે સંમત ન પણ થાય.પણ મારી સાથે થયેલા અનુભવ પરથી હું
આમ વિચારું અને કહું છું..!

- અમૃતા (પુણે)



ખૂબ સરસ લેખ વિકાસ! તમે હંમેશા સરસ મજાના વિષયો પસંદ કરતા હોવ છે અને આ
વખતનો ટોપિકતો ખૂબ મહત્વનો પણ છે જે આપણને યાદ અપાવે છે કે આપણી
રોજબરોજની અતિ વ્યસ્ત જિંદગીમાં આપણે કેટલી વસ્તુઓ કરવાની ભૂલી જતા હોઈએ
છીએ અને કેટલીયે ભૂલો પણ અજાણતા કરતા હોઈએ છીએ.
હું તમારી સરકારી કચેરીઓની વાત સાથે સંપૂર્ણ સહમત થાઉં છું. માન્યું કે
તેમને તેમની અનેક મુશ્કેલીઓ હશે પણ એનો અર્થ એમ નથી થતો કે તેઓ તેમનું
ફ્રસ્ટ્રેશન (હતાશા અને ગુસ્સો) બીજાં ઉપર ઉતારે.જો તેમને ખરેખર જ ખૂબ
મુશ્કેલીઓ હોય તો તેમણે સરકારી નોકરી છોડી ખાનગી ખાતામાં નોકરીએ લાગી
જવું જોઈએ! પણ એ તો તેઓ ક્યારેય નહિં કરે કારણ:
અનામત, નોકરીની સુરક્ષિતતા, લાંચ દ્વારા થતી વધારાની આવક,તેમને મળતી
સુવિધાઓ (જેવી કે રેલવેમાં આરક્ષણ,શાળાઓમાં તેમના બાળકોનું
એડમિશન,કોલેજોમાં તેમને મળતું પ્રાધાન્ય) અને આવા તો બીજા અનેક લાભો
તેમને મળતા હોય છે તેમના તરફથી રખાતી કામની અપેક્ષા તેઓ સંતોષતા ન હોવા
છતાં.આ બધું શું તેમને ખાનગી કંપનીમાં મળી શકે?ના...કદાપિ નહિં.તમે જો
સરકારી કર્મચારી તેમના નિયત કાર્યો સારી રીતે કરે છે કે નહિં એ જાણવા
અંગે મત લો તો તમને ચોક્કસ નિરાશા જ સાંપડશે.
આમ શા માટે?લોકો વચ્ચે રહેલી અસમાનતાને લીધે, તેમના સમાજે પાડેલા ભાગલાને
લીધે.આપણે સાચા અર્થમાં પ્રગતિ ત્યારે જ કરી શકીશું જ્યારે સમાજમાંથી બધા
દૂષણો નાશ પામશે.આ માટે આપણે જાતિ, વર્ગ અને ધર્મ વચ્ચેના ભેદભાવોને ભૂલી
જવા પડશે.

મને પેલી 'આઈડિયા' મોબાઈલની ખૂબ મજાની એડ યાદ આવે છે જેમાં લોકોને તેમના
નામ, અટક,જાતિ વગેરેથી નહિં પણ એક અલાયદા ફોનનંબર જેવી ખાસ ઓળખથી બોલાવવા
જોઈએ!

ઘણાં લોકોને એવી આદત હોય છે કે તરત તેઓ સામેવાળાને પૂછશે: તમે કઈ જાતના?
મને નથી સમજાતું શા માટે તેઓ આવી મનોવૃત્તિ ધરાવતા હશે? આપણે ચોક્કસ
બદલાવું પડશે.

ચાલો આપણે શરૂઆત કરીએ સ્મિત આપીને અને બધાં સાથે નમ્રતાપૂર્વક વર્તવાનો
નિયમ બનાવીને!

- સુનિલકુમાર મૌર્ય (અંધેરી - મુંબઈ)

શનિવાર, 23 ઑક્ટોબર, 2010

કોઈ સાથે ખરાબ વર્તન કરશો નહિં...

ક્યારેય કોઈ સાથે ખરાબ વર્તન કરશો નહિં કારણ તમે કોઈને કેવી રીતે ટ્રીટ કરો છો એ તે વ્યક્તિને સદાય યાદ રહેતું હોય છે.અને કોઈ સાથે ખરાબ રીતે વર્તવું પણ શા માટે જોઈએ?આજે દરેકનું જીવન પૂરતા તણાવ,મુશ્કેલીઓ,ચિંતાઓથી ભરેલું હોય જ છે તો પછી સરસ મજાના સચ્ચાઈપૂર્વકના સ્મિત દ્વારા થોડી ખુશી શા માટે ન ફેલાવવી કે કોઈની સાથે સારું વર્તન કરી તેનો મૂડ સુધારી કેમ ન શકીએ?કોઈને સારુ મહેસૂસ કરાવી આપણે કેટલું સારુ અનુભવીએ છીએ એનો અખતરો ક્યારેક કરી જોજો!


કેટલાક લોકો એવું સોગિયુ મોઢુ લઈને ફરતા હોય કે તેમની સાથે વાત કરવાનું મન જ ન થાય.તો કેટલાક ચહેરા તો વળી એટલા ઉદાસી ભર્યા અને ગમગીન હોય કે તેમની સાથે વાત કરવી તો દૂરની વાત, તેમની સામે જોવાનું પણ મન ન થાય.આવા બોસના હાથ નીચે કામ કરતા બિચારા માણસની દુર્દશાની તો કલ્પના જ કરવી રહી!

બીજે છેડે એવા પણ કેટલાક લોકો હોય છે જેમના ચહેરા પર સુંદર મજાનું સ્મિત સદાય રમતું જોવા મળે જેના કારણે તેઓ 'ક્યૂટ' દેખાય છે!આવા લોકો વ્યસ્ત હોય છતાં આપણને મુશ્કેલી સમયે તેમનો સંપર્ક કરવામાં સંકોચનો અનુભવ ન થાય.તેઓ વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી તમને સસ્મિત આવકારશે.જેને આવો બોસ મળે તેવી વ્યક્તિના સદનસીબનું તો પૂછવું જ શું?

આ બ્લોગ થકી મને થોડા સમય પહેલા થયેલાં બે અનુભવો મારે વર્ણવવા છે,એક સારો અને એક ખરાબ.આ બન્ને અનુભવો પરથી આપણે જોઈ શકીશું કે તમે બીજા સાથે કરેલું વર્તન તેમના પર કેવી અસર કરે છે.

પહેલા સારો અનુભવ.સાત-આઠ વર્ષ પહેલા એન્જિનિયરીંગ ડીગ્રી અભ્યાસ પૂરો કર્યો હતો એ કોલેજમાં એક કામ પડતા જવાનું થયું.જેને સરકારી ઓફિસમાં કંઈક કામ પડ્યું હશે તેમને મોટા ભાગે અતિ ઉદ્ધત અને અમાનવીય વ્યવહાર કરનારા સરકારી કર્મચારીનો અનુભવ થયો હશે.તેઓ સામે વાળા સાથે એવું વર્તન કરે છે કે તેમને ધિક્કારવાનું મન થાય.તેઓના આવા વ્યવહાર અને વર્તનને કારણે જ સરકારી ખાતાની છાપ તદ્દન બગડી ચૂકી છે.તમારું કામ કઢાવવા તમારે કેટલા ભાઈ-બાપા કરવા પડે અને ક્યારેક તો લાંચ વગર તમારું કામ થાય જ નહિં.ભગવાન કરે ને આવ લોકો સાથે આપણો પનારો ક્યારેય ન પડે.

મારી કોલેજમાં ક્લાર્ક તરીકે એક યુવતિ કામ કરતી જે દેખાવે ભલે સુંદર ન હતી પણ તેના ચહેરા પર સદાય રમતું મોટુ સ્મિત અને વાચાળ સ્વભાવને કારણે મને અને તેની સાથે કામ પડ્યુ હોય એવા સૌને તેની સાથે વાતો કરવી ગમતી.તેની સદાય હસતા રહેવા સિવાયની બીજી એક લાક્ષણિકતા એ હતી કે તે બધા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને નામથી બોલાવતી.જ્યારે જ્યારે અમારે કંઈક ઓફિસનું કામ પડે - રેલવે પાસનું કન્શેસન લેવાનું હોય કે નવા સેમિસ્ટરની ફી ભરવાની હોય,અમારે મંજુમેડમ પાસે જવાનું થાય અને લાંબો સમય કતારમાં ઉભા રહ્યા બાદ જ્યારે અમારો નંબર આવે એટલે સૌને તેમના પોતપોતાના નામથી સંબોધન કરી એ ફોર્મમાં જરૂરી વિગતો ભરવામાં મદદ પણ કરે અને સાથે સાથે બીજી થોડી ઘણી સામાન્ય વાતો કરવાનું પણ ચૂકે નહિં.મંજુમેડમના ચહેરા પરનું સરળ મોટું સ્મિત અને પહેલા નામથી બોલાવી પ્રદર્શિત કરેલી આત્મિયતા સૌને ખૂબ ગમતી અને કતારમાં લાંબા સમય ઉભા રહ્યાનો થાક કે બીજી મુશ્કેલીઓ પણ તેટલા સમય પૂરતી તો ભૂલાઈ જ જતી.તેમનો પોતાનું કામ કરતા કરતા (જેમકે ફોર્મ પર કોલેજનો સ્ટેમ્પ મારતા,ફોર્મમાં અમે કરેલી ભૂલો શોધી તે સુધરાવતા કે પૈસા ગણતાં ગણતાં) સામે વાળા સાથે થોડી વાતચીત કરી તેને સારુ લાગે તેવું વર્તન કરવાનો આ ગુણ આપણે શિખવા જેવો ખરો.

હવે જ્યારે સાત-આઠ વર્ષ પછી મારે કોલેજની ઓફિસમાં જવાનું થયું કે સૌ પહેલા મને મંજુ મેડમ યાદ આવ્યા અને વિચાર આવ્યો શું હજી તે કોલેજની ઓફિસમાં નોકરી કરતા હશે?સાત-આઠ વર્ષનો ગાળો કંઈ ટૂંકો ન કહેવાય!પણ મંજુમેડમ ત્યાં હતાં!અને જેવો હું તેમની પાસે ગયો કે તરત તેઓ તેમના સરળ ટ્રેડમાર્ક સાથે બોલી ઉઠ્યા ,"કેમ છે વિકાસ?" મને એક સુખદ આંચકો લાગ્યો!આટલાં વર્ષો પછી પણ તેમને મારું નામ યાદ હતું!મારા કોલેજ છોડ્યા બાદ હજારો નવા વિદ્યાર્થીઓ એ કોલેજમાંથી પાસ થઈ ચૂક્યા હશે,પણ હજી મંજુ મેડમને મારું નામ યાદ હતું!મેં તેમને સ્મિત આપ્યું અને મારું કામ પતાવી આપવા બદલ તેમનો આભાર માની કોલેજમાંથી વિદાય લીધી,પણ એ દિવસે મને એટલું સારું લાગ્યું કે હું આ નાનકડી સામાન્ય ઘટના ક્યારેય ભૂલી શકીશ નહિં.ક્યારેક તમારી નાનકડી એવી કોઈક વર્તણૂંક દ્વારા તમે સામેની વ્યક્તિને દર્શાવો છો કે તમને તેના પ્રત્યે લાગણી છે,તમે તેમને માન આપો છો,તમને તેની પરવા છે.અને આ એક ઉમદા બાબત છે.તમે કોઈકને સારુ લાગે એવું કંઈક કરો અને જુઓ તમને પણ કેટલું સારુ લાગે છે.

હવે બીજા પ્રસંગની વાત કરું.મારે એક વાર એક ઈ.એન.ટી. (કાન,નાક,ગળાના) ડોક્ટરની મુલાકાત લેવાનું થયું.ક્લિનિકમાં એકાદ કલાક બેઠાંબેઠાં કોઈક કાનના તો કોઈક નાક તો કોઈક ગળાના દર્દીને જોતા જોતા જેમતેમ સમય પસાર કર્યો અને જ્યારે મારો નંબર આવ્યો ત્યારે ડોક્ટરની કેબિનમાં પ્રવેશ્યો ત્યાં જ તેમણે મારી સામે એવી દ્રષ્ટીએ નાંખી કે જે જોઈ મને સારી લાગણી ન થઈ.એક ડોક્ટર જો દર્દીને સ્મિત આપી તેને આવકાર આપે તો તેનું અડધુ દરદ ત્યાં જ ઓછું થઈ જાય.પણ આ ડોક્ટરના તંગ ચહેરા પર એવા કોઈ આવકારના ભાવ નહોતા.મેં મારા દરદ વિષે કહેવું શરૂ કર્યું પણ ડોક્ટરે તેમાં રસ દાખવવોતો દૂર રહ્યું,મારી વાત પણ ધ્યાનથી પૂરે પૂરી ન સાંભળી.તેમણે મને ઉતાવળે એક-બે દવા લખી આપી.મને બે ઘડી માટે તો વિચાર આવ્યો કે મને કંઈક પ્રોબ્લેમ છે કે તે ડોક્ટરને?મેં તે ડોક્ટરની કેબિન છોડી કંઈક અંશે એક અણગમા ભરી લાગણી સાથે.મારો મૂડ બગડી ગયો.આ દિવસ અને ઘટના પણ હું ક્યારેય ભૂલી શકીશ નહિં.હું આ ડોક્ટર પાસે જવાની સલાહ ક્યારેય કોઈને નહિં આપું(બીજા સાથે ખરાબ વર્તન દ્વારા તમે ધંધો પણ ગુમાવો છો!) કે ન તો હું કોઈ સાથે આવું રૂક્ષ વર્તન કરીશ એવો નિર્ણય મેં ત્યારે લઈ લીધો.બીજો પણ એક મહત્વનો પાઠ હું એ દિવસે શીખ્યો.ક્યારેય કોઈની અવગણના કરશો નહિં.ડોક્ટરે મને નિગ્લેક્ટ કર્યો અને મને જે રીતે ખરાબ લાગ્યું તેમ તમે કોઈને નિગ્લેક્ટ કરો છો ત્યારે પણ સામેવાળી વ્યક્તિ ખૂબ દુ:ખની લાગણી અનુભવે છે.

તમારા મિત્ર,સહકર્મચારી,ઘરની વ્યક્તિ,ગ્રાહક કે અન્ય કોઈ પણ વ્યક્તિ તમારી સાથે વાત કરે ત્યારે તેમાં રસ લો અને તેને ધ્યાનથી સાંભળો.દરેક વ્યક્તિને માન આપો.લોકોને હંમેશા યાદ રહે છે કે તમે તેમની સાથે કેવું વર્તન કરો છો.અને યાદ રાખો તમે જે કંઈ આપો છો એ જ ફરીને ક્યારેક તમારી પાસે પાછું આવે છે.



કમેન્ટ્સ:
----------
ખૂબ સાચી વાત કરી છે આ બ્લોગ થકી.આપણે ક્યારેક જીવનમાં આવી નાની નાની વાતો ભૂલી જતા હોઈએ છીએ.

- દેવેન્દ્ર પુરબિયા (બેંગ્લોર)



[મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ બ્લોગ પર દેવેન્દ્ર સિવાય પણ બીજા ત્રણ-ચાર મિત્રોએ રસપ્રદ,સ્વતંત્ર બ્લોગ બની શકે એટલી લાંબી અને સારી તેમજ એકાદ વિરોધાભાસી ગણી શકાય એવી કમેન્ટ્સ પોસ્ટ કરી હતી.તે આવતા સપ્તાહે આ કટારમાં વાંચીશું.]

સદાય હસતા રહો...

મુંબઈની લોકલ ટ્રેનમાં મારા જેવા લાખો પ્રવાસીઓ રોજ સવારે ચિક્કાર ગર્દી અને ગરમી વચ્ચે ભીંસાઈને ઓફિસ જવા નિકળતા હશે.અડધો કલાકની મુસાફરી હોય કે એક કલાકની સમય કાપવા માટે જુદા જુદા લોકો જુદી જુદી તરકીબ અપનાવતા હોય છે.મારા જેવું કોઈક સંગીત સાંભળતું હોય કાનમાં આઈપોડ કે મોબાઈલના ઈયર ફોન ભરાવીને કે પછી મોબાઈલ પર ફટાફટ આંગળા ફેરવી SMS (કે મારી જેમ બ્લોગ!) ટાઈપ કરતા હોય.કેટલાક છાપાની નાનામાં નાની ગડી વાળી તાજા ખબરો,શેરોના ભાવ કે ફિલ્મી ગપશપ વાંચતા હોય તો કેટલાક કોઈક નવલકથાનું રસપ્રદ પ્રકરણ વાંચવામાં મશગૂલ હોય. લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં તો ડબ્બો ખાલી હોય ત્યારે સ્ત્રીઓ શાક સમારતી હોવાનું અને ઊન ગૂંથતી હોવાની પ્રવ્રુત્તિમાં વ્યસ્ત હોવાનું પણ સાંભળ્યું છે!ટ્રેનમાં મુસાફરી કરતી વખતે દિવસભરનું પ્લાનિંગ પણ થઈ શકે!આજકાલ તો કેટલાંય લોકો ટ્રેનમાં બેસવાની જગા હોય ત્યારે લેપટોપમાં ડૂબેલા પણ જોવા મળે છે.ટ્રેન ભરેલી હોય કે ખાલી,મારી મનપસંદ પ્રવ્રુત્તિ છે વાંચન અને મારા મોબાઈલ પર મ્યુઝિક સાંભળવું.


મોબાઈલ પર કે આઈપોડમાં મ્યુઝિક સાંભળવાના અનેક ફાયદા છે. એક તો આ સાધનો કદમાં નાના (તમારા ખિસ્સામાં સમાઈ જાય એવડાં) હોવાથી ટ્રેન ભરેલી હોય તો પણ તમે આરામથી બીજાને ખલેલ પહોંચાડ્યા વગર કાનમાં ઈયરપ્લગ્સ ભેરવી તમારું મનપસંદ સંગીત સાંભળી શકો. કેટલાક યુવાનિયાઓ ખૂબ મોટા અવાજથી ગીત-સંગીત સાંભળતા હોય છે જે તેમના કાન માટે તો નુકસાનકારક સાબિત થાય છે જ પણ આજુબાજુ ઉભેલા સહપ્રવાસીઓને પણ ડિસ્ટર્બ કરે છે. ઘણાં તો બીજાનો વિચાર કર્યા વગર મોટેથી પણ ગીતો વગાડવાના શરૂ કરી દેતા હોય છે. આ ખોટું છે. તમારો સાંગીતનો ટેસ્ટ ગમે તેટલો સારો કેમ ન હોય પણ તમે જાહેર જગાએ બીજાઓનો વિચાર કર્યા વગર આ પ્રમાણે વર્તો એ યોગ્ય નથી. સંગીત હંમેશા ઈયરફોન પહેરીને જ સાંભળવું જોઈએ.

મોબાઈલ કે આઈપોડ પર એક સાથે ઘણાં બધાં ગીતોનો સંગ્રહ થઈ શકે છે, એ પણ યોગ્ય વર્ગીકરણ સાથે. તમે આ ગીતો ક્રમબદ્ધ (એક પછી એક ક્રમમાં) કે આડાઅવળાં ક્રમમાં પણ સાંભળી શકો એવા વિકલ્પ હોય છે.ભજન હોય કે પ્રભાતિયા, તમારી ભાષામાં હોય કે પછી બીજી કોઈ ભાષામાં, ફિલ્મી હોય કે શાસ્ત્રીય સંગીત બધાં જ પ્રકારના ગીતો કે સંગીત તમે મોબાઈલ કે આઈપોડ પર સાંભળી શકો છો.

હજી એક વધુ ફાયદો એ છે કે તમારા સંગ્રહમાં ખૂબ સરળતાથી નવા ગીતો ઉમેરી શકો છો કે ન ગમતા ગીતો ભૂંસી શકો છો. કેટલાંક વધુ આધુનિક મોબાઈલ કે આઈપોડ પર તો એડ્વાન્સ સેટીંગ્સ બદલી એક જ ગીત અલગ અલગ ઈફેક્ટ સાથે સાંભળી શકો છો.

વિચાર કરો, ટ્રેન ખાલી હોય, તમે દરવાજે (એટ્લે કે ફૂટબોર્ડ પર) ઉભા હોવ, તમારું મનપસંદ ગીત તમારાં કાનમાં ફક્ત તમે પોતે સાંભળી રહ્યાં હોવ, વહેલી પરોઢનો સમય હોય કે મોડી સાંજ કે રાતનો સમય હોય ,ગાડી પૂર ઝડપે દોડી રહી હોય તમારા મોં પર હવા વિંઝણો ઢોળી રહ્યો હોય અને તમારી આંખ સામેથી સુંદર દ્રષ્ય પસાર થઈ રહ્યાં હોય!કેટલી સુખકારક કલ્પના છે નહિં!

થોડાં દિવસો અગાઉ હું મારી આદત મુજબ મોબાઈલ પર મારા મનપસંદ ગીતો સાંભળી રહ્યો હતો.તેમાં અચાનક એક ઘણાં લાંબા સમય પહેલા સાંભળેલી જાણીતી ધૂન વાગી.કેટલાક દિવસ પહેલાં જ કમ્પ્યુટર પરથી મેં મારા પ્રિય પણ ઘણાં જૂના ગીતો મોબાઈલ પર ઉમેર્યા હતા. તેમાંનું એક ગીત હતું આ.શબ્દો સાંભળ્યા બાદ યાદ આવ્યું કે એ મારા પ્રિય ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની પ્રથમ અને મારી ખૂબ પ્રિય એવી ફિલ્મ 'ખામોશી-ધ મ્યુઝિકલ' નું એક ગીત હતું - 'રે મોજ મે લે ચલો મિલ કે બાજા રે રાજા પોઢે સંભાલ...' ((આ ફિલ્મ આજે પણ કોઈ ચેનલ પર બતાવવામાં આવી રહી હોય તો રીમોટનું બટન એ ચેનલ પર જ અટકી જાય અને હું ફરી એક વાર એ ફિલ્મ

જોવાનું પ્રલોભન રોકી શકતો નથી અને અચૂક એ દરેક વેળાએ પેટ ભરીને રડું પણ આવે છે! અને એ ફિલ્મના દરેક ગીત પણ મને બેહદ પ્રિય છે)

અચાનક સાંભળવા મળેલા મારા આ મનપસંદ ગીતે મને વિચાર કરતો કરી મૂક્યો.કેટલો ઉમદા વિચાર આ ગીત દ્વારા રજૂ થયો છે!તમારામાંના જેમણે આ ફિલ્મ જોઈ હશે તેમને કદાચ આ ગીત ફિલ્મમાં કયા સંજોગોમાં આવે છે તે વિષે ખબર હશે. તમારામાંના જે વાચકોએ આ પ્રેક્ષણીય સંવેદનશીલ ફિલ્મ જોઈ નથી તેમના માટે હું આ ગીતની આસપાસની થોડી વાર્તા કહી દઉં. ફિલ્મમાં એક ખ્રિસ્તી કુટુંબ બતાવાયું છે જેમાં પાંચ સભ્યો હોય છે - એક મૂંગા-બહેરા પતિપત્ની,તેમના બે વહાલસોયા સંતાનો અને ઘરડી વહાલી લાગે તેવી સમજુ દાદીમા. આ પરિવારના બધા સભ્યોને સંગીત ખૂબ વહાલુ છે,પતિ-પત્ની તો બોલી કે સાંભળી પણ શક્તા ન હોવા છતા તેમના ઘરમાં વસાવેલા એક

મોટા પ્યાનોને પોતાની મહામૂડી ગણી તેનું ખૂબ જતન કરે છે.દાદી સૂરીલા મજાના ગીતો ગાઈ પ્યાનો વગાડી તેમાંથે સર્જાતા મધૂર સ્વરોથી પોતાના બન્ને નાનકડા પૌત્ર-પૌત્રીનું મન બહેલાવે છે અને તેમને પણ સુંદર ગીતો ગાતા શીખવે છે.પરિસ્થિતી એવી નિર્માણ થાય છે કે આર્થિક સ્થિતી વણસતા આ કુટુંબે પ્યાનો વેચવાનો મુશ્કેલ નિર્ણય લેવો પડે છે.બાળકો તો જીવનની વિષમતા અને મુશ્કેલી થોડી સમજી શક્તા હોય છે?તેઓ તો રોકક્કળ કરી મૂકે છે અને તેમના પ્યારા પ્યાનોને લઈ જતા રોકે છે.ત્યારે દાદી પોતાના

વહલુડા બાળકોને તેમની ભષામાં સમજાય એવી રીતે ગાઈને મનાવવાનો પ્રયાસ કરે છે અને આ મજાનું ગીત ફિલ્મમાં આવે છે.તે આ ગીત દ્વારા પ્યાનો લઈ જનાર મજૂરોને વિનંતી કરે છે કે તેઓ પ્યાનો રાજાને ધીરે ધીરે અને પ્રેમથી ઉંચકી લઈ જાય જેથી પોઢેલા પ્યાનો રાજાની ઊંઘમાં ખલેલ ન પડે!પછી તે નાનકડા બાળકોને પ્રેમથી ગાતા ગાતા ન રડવા જણાવે છે કારણ અત્યાર સુધી તે એકલી જ પ્યાનો વગાડતી અને ગાતી હતી પણ હવે પ્યાનોના મધુર સૂરો સમગ્ર વિશ્વ સમક્ષ રેલાશે અને આખું જગત સંગીતમય બની તેના તાલે ગાશે અને ડોલશે!આથી દુખી થયા વગર તે બાળકોને પોતાના પ્યારા પ્યાનો રાજાને હસીને ખુશીથી વિદાય આપવા સમજાવે છે.કેટલો ઉમદા અને ઉદાત્ત વિચાર!

કવિતા કૃષ્ણમૂર્તિએ આ હ્રદયસ્પર્શી ગીતને પોતાના કોકિલકંઠે ગાઈ સંપૂર્ણ ન્યાય આપ્યો છે!ગીતને અંતે સૂરોના આરોહ સાથે ગવાતો આલાપ દાદીના કાળજાને આકરી વેદનાનો સ્પષ્ટ ચિતાર આપે છે.અત્યાર સુધી તો તેણે ભૂલકાઓને સમજાવ્યા-હસીને પટાવ્યા પણ હવે તેને પોતાને કોણ સાંત્વન આપશે?પ્યાનો તો તેનો એક માત્ર સાથી હતો જેના દ્વારા તે પોતાના ભાવ વ્યક્ત કરતી.હવે તેને કોણ સાથ આપશે એ વિચારે તે બાળકોથી છાનું છાનું, પણ મન મૂકીને રડી લે છે.આ વેદના કવિતાજીએ ગીતને અંતે ગવાતા હાઈ પીચ આલાપમાં આબાદ રીતે ઝીલી છે.

આ બ્લોગ અહિં જ પૂરો કરતા હું પણ એટલું જ કહેવા ઇચ્છુ છું કે સદાય હસતા રહો...