Translate

રવિવાર, 31 ઑક્ટોબર, 2010

કોઈ સાથે ખરાબ વર્તન કરશો નહિં...(પ્રતિભાવો)

[ગયા અઠવાડિયાના બ્લોગમાં મને થયેલા એક સારા અને બીજા ખરાબ અનુભવની વાત

કરી અને લોકોનું આપણી સાથેનું વર્તન કેવી અસર કરે છે એ વિષે વાત કરી. મૂળ
અંગ્રેજીમાં મેં લખેલા આ બ્લોગ પર મારા ઘણા વાચક મિત્રોએ ઘણી રસપ્રદ
કમેન્ટ્સ લખી હતી જે આજે અહિં ગુજરાતીમાં વાંચીએ.]

કમેન્ટ્સ:


માનવીય વર્તન પરનો બ્લોગ સરસ હતો.આપણામાંના દરેક રોજબરોજ ખરાબ વર્તન
કરતાં લોકોના સંપર્કમાં આવતા હોઈએ છીએ. મારા અંગત મતે,ખાસ કરીને શહેરોમાં
લોકો પોતાની અંગત અને વ્યવસાયિક જિંદગી વચ્ચે ભેદરેખા જાળવી શક્તા
નથી.એમાં વળી ઓછું હોય એમ કામકાજ તેમજ તે માટે કરવી પડતી રોજબરોજની
મુસાફરીનો તણાવ,લોકોની અંગત તેમજ વ્યવસાયિક નિષ્ફળતાઓ દ્વારા ઉદ્ભવતો
અસંતોષ વગેરે વગેરે જેવી પળોજણોને લીધે માણસ તેના સહકર્મચારી કે તેના હાથ
નીચે કામ કરતા માણસો કે ગ્રાહકો સાથે સામાન્ય સૌજન્યશીલતા પણ દાખવવાનું
ભૂલી જઈ ક્યારેક ઉદ્ધતાઈથી વર્તી બેસે છે.જ્યારે આપણો પનારો આવી વ્યક્તિ
અને પરિસ્થિતિ સાથે પડે ત્યારે મોટે ભાગે આપણે તેમની કે તેમના વર્તનની
દરકાર ન કરવી જોઈએ.ઘણી વાર તો આપણે તેમની પાસેથી આપણું કામ પણ કઢાવવાનું
હોય છે.જો તેમનો સામનો કરવા જઈએ તો આપણું કામ પણ અટકી જઈ શકે છે.ઘણા લોકો
જ્યાં સુધી તેમનું કામ થઈ રહ્યું હોય ત્યાં સુધી સામે વાળાની ગમે તેવી
વર્તણૂંક ચલાવી લેતા હોય છે.પણ એક વાર તેમનું કામ પતી ગયા પછી પેલી
વ્યક્તિ તેમને ફરી ક્યારેય ક્યાંય ન ભટકાય એમ મનોમન ઇચ્છે છે.આમ ઘણી વાર
આંખ આડા કાન કરવા એ જ સૌથી વ્યવહારુ ઉપાય બની રહેતો હોય છે.
હું માનું છું કે આ બધા અસભ્ય વર્તન કરતા લોકો પાસે એ રીતે વર્તવા
માટેનું વ્યાજબી કારણ હોય છે.પણ તેઓ સમજતા નથી કે પોતાનો રોષ બીજાઓ પર
ઠાલવી કે ખરાબ રીતે વર્તી તેમની મૂળ સમસ્યા કંઈ ઉકેલાઈ જવાની નથી.
મને લાગે છે સમય સાથે આ વલણ વધતું જ જવાનું જેમ જેમ ગળાકાપ સ્પર્ધા
વધવાની, લોકોની મહત્વકાંક્ષાઓ વધવાની અને પરિણામે જેમ જેમ તણાવ વધતો
જવાનો...

અને આપણામાંના મોટા ભાગના આ મુશ્કેલી અને તેના ઉપાયો જાણીએ છીએ...

ફરી એક વાર આવા સુંદર મુદ્દા પર બ્લોગ લખવા અભિનંદન...બ્લોગ લખતો રહે...

- જયેશ જોશી (મલાડ - મુંબઈ)



એક મહત્વના મુદ્દા વિષે ચર્ચા છેડીને આ બ્લોગ થકી તે ખૂબ સારો પ્રયાસ
કર્યો છે, વિકાસ. મને તારી આ પોસ્ટ ખૂબ ગમી છે. હું તે જે સૂચન કર્યું છે
તે સમજી શકું છું.આપણે બીજાઓ આપણો સંપર્ક સહજતા અને સરળતાથી કરી શકે
તેવું વ્યક્તિત્વ વિકસાવવું જોઈએ. જ્યારે આપણે કોઈ સમસ્યા લઈ બીજી
વ્યક્તિ પાસે જઈએ ત્યારે સામે વાળી વ્યક્તિ ખૂબ સારા અને ઉત્સાહી મૂડમાં
હોય એ જરૂરી બની રહે છે.અથવા એ તમને પ્રેમથી બોલાવે અને સાંભળે એમ થાય તો
સારું. તમે જ્યારે આવી વ્યક્તિ પાસે જાઓ ત્યારે તમને માન આપી તેણે તમારી
કદર કરી તમને સમય આપવો જોઈએ અને તેણે તમે જે કહો છો તેના પર ધ્યાન આપી
તમને મદદ કરવાના તમામ પ્રયત્નો કરવા જોઈએ.
પણ તારા ડોક્ટર સાથેના અનુભવની વાત વિષે મારું એમ માનવું છે કે કદાચ તે
પોતાના અંગત કે વ્યવસાયિક જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા
હશે.કોઈ સમસ્યા કે ચિંતાને કારણે તે તારી સાથે સૌજન્યતા પૂર્વકનો વ્યવહાર
કરવાનું ચૂકી ગયા હશે.હંમેશા કોઈ જાણી જોઈને આવું વર્તન નથી કરતું.દરેક
માણસ પોતાનાથી બનતા સારા બનવાના પ્રયત્ન કરતો જ હોય છે પણ બધાં કંઈ
'પરફેક્ટ' નથી હોતાં...ઘણી વાર બધાં માટે એક સાથે એક કરતા વધારે કામ કે
પ્રવૃત્તિ કરવી શક્ય કે સરળ નથી હોતું. આવે વખતે આપણે સામે વાળાને સમજી
તેને થોડી છૂટ આપવી જોઈએ.
કદાચ તું મારા મત સાથે સંમત ન પણ થાય.પણ મારી સાથે થયેલા અનુભવ પરથી હું
આમ વિચારું અને કહું છું..!

- અમૃતા (પુણે)



ખૂબ સરસ લેખ વિકાસ! તમે હંમેશા સરસ મજાના વિષયો પસંદ કરતા હોવ છે અને આ
વખતનો ટોપિકતો ખૂબ મહત્વનો પણ છે જે આપણને યાદ અપાવે છે કે આપણી
રોજબરોજની અતિ વ્યસ્ત જિંદગીમાં આપણે કેટલી વસ્તુઓ કરવાની ભૂલી જતા હોઈએ
છીએ અને કેટલીયે ભૂલો પણ અજાણતા કરતા હોઈએ છીએ.
હું તમારી સરકારી કચેરીઓની વાત સાથે સંપૂર્ણ સહમત થાઉં છું. માન્યું કે
તેમને તેમની અનેક મુશ્કેલીઓ હશે પણ એનો અર્થ એમ નથી થતો કે તેઓ તેમનું
ફ્રસ્ટ્રેશન (હતાશા અને ગુસ્સો) બીજાં ઉપર ઉતારે.જો તેમને ખરેખર જ ખૂબ
મુશ્કેલીઓ હોય તો તેમણે સરકારી નોકરી છોડી ખાનગી ખાતામાં નોકરીએ લાગી
જવું જોઈએ! પણ એ તો તેઓ ક્યારેય નહિં કરે કારણ:
અનામત, નોકરીની સુરક્ષિતતા, લાંચ દ્વારા થતી વધારાની આવક,તેમને મળતી
સુવિધાઓ (જેવી કે રેલવેમાં આરક્ષણ,શાળાઓમાં તેમના બાળકોનું
એડમિશન,કોલેજોમાં તેમને મળતું પ્રાધાન્ય) અને આવા તો બીજા અનેક લાભો
તેમને મળતા હોય છે તેમના તરફથી રખાતી કામની અપેક્ષા તેઓ સંતોષતા ન હોવા
છતાં.આ બધું શું તેમને ખાનગી કંપનીમાં મળી શકે?ના...કદાપિ નહિં.તમે જો
સરકારી કર્મચારી તેમના નિયત કાર્યો સારી રીતે કરે છે કે નહિં એ જાણવા
અંગે મત લો તો તમને ચોક્કસ નિરાશા જ સાંપડશે.
આમ શા માટે?લોકો વચ્ચે રહેલી અસમાનતાને લીધે, તેમના સમાજે પાડેલા ભાગલાને
લીધે.આપણે સાચા અર્થમાં પ્રગતિ ત્યારે જ કરી શકીશું જ્યારે સમાજમાંથી બધા
દૂષણો નાશ પામશે.આ માટે આપણે જાતિ, વર્ગ અને ધર્મ વચ્ચેના ભેદભાવોને ભૂલી
જવા પડશે.

મને પેલી 'આઈડિયા' મોબાઈલની ખૂબ મજાની એડ યાદ આવે છે જેમાં લોકોને તેમના
નામ, અટક,જાતિ વગેરેથી નહિં પણ એક અલાયદા ફોનનંબર જેવી ખાસ ઓળખથી બોલાવવા
જોઈએ!

ઘણાં લોકોને એવી આદત હોય છે કે તરત તેઓ સામેવાળાને પૂછશે: તમે કઈ જાતના?
મને નથી સમજાતું શા માટે તેઓ આવી મનોવૃત્તિ ધરાવતા હશે? આપણે ચોક્કસ
બદલાવું પડશે.

ચાલો આપણે શરૂઆત કરીએ સ્મિત આપીને અને બધાં સાથે નમ્રતાપૂર્વક વર્તવાનો
નિયમ બનાવીને!

- સુનિલકુમાર મૌર્ય (અંધેરી - મુંબઈ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો