Translate

મંગળવાર, 23 જુલાઈ, 2013

પ્રજાની એકતાની તાકાત


ગયા સપ્તાહે એક સમાચાર વાંચવામાં આવ્યા. દાદરના એક જાહેર સભાગૃહ જ્યાં નિયમિત મરાઠી નાટકો ભજવાય છે, ત્યાં એક નેતાએ એક જાહેર સભા અને પ્રજા સાથે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજ્યા. બપોરે બાર વાગે આ કાર્યક્રમ શરૂ થવાનો હતો અને ત્રણેક કલાક ચાલવાના અંદાજ સાથે તે ત્રણ વાગે પૂરો થયા બાદ દોઢેક કલાકના અંતરાય પછી ત્યાં નિયત મરાઠી નાટકનો શો ભજવાવાનો હતો. રજાનો દિવસ અને નાટક હીટ હોવાથી પહેલેથી બૂકીંગ થઈ ગયું હતું  અને લોકો દૂર દૂર થી વરસાદની ઋતુમાંયે ઉત્સાહ સાથે, રસપૂર્વક નાટક માણવા સમયસર પહોંચી ગયાં.

હવે બન્યું એમ કે પેલા નેતા બાર વાગ્યાની જગાએ આવ્યાજ દોઢ કલાક મોડા અને સભા બાદ પ્રશ્નોત્તરીનું  સત્ર એવું જામ્યું કે નેતાએ નક્કી કરી નાંખ્યું કે કાર્યક્રમની અવધિ લંબાવવી અને પ્રશ્નોત્તરી ચાલુ  રાખવી. નેતા છે ને,એને કોના બાપનો ડર? ભલે ને પોતે મોડો પડ્યો, ભલે ને બીજા કોઈનો પૂર્વાયોજિત કાર્યક્રમ તે સ્થળે નક્કી હતો, ભલેને દૂર દૂરથી રસિક પ્રજા કાર્યક્રમ માણવા વરસાદમાં પલળીને આવી હોય. નેતાજી પોતાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો. નાટક શરૂ થવાનો સમય,સાડા ચાર વિતી ગયો.પબ્લિક બહાર ધૂંવાપૂંવા થઈ ગઈ. નાટકના નિર્માતાની મનોસ્થિતી અતિ ક્ષોભજનક હતી. તેણે જાહેરમાં મેદની સમક્ષ માફી માગી અને ટિકીટના પૈસા પાછા આપવા તૈયારી દાખવી. ત્યાં રોષે ભરાયેલી જનતાએ હવે આગળની ગતિવિધીનો દોર પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો અને મહિલાઓનું ટોળું અંદર પહોંચી ગયું કોઈની પરવા કર્યા વગર. હોબાળો મચતા નેતાજી ની સાન ઠેકાણે આવી અને તેમણે ત્યાંથી ઉભી પૂંછડીએ નાસી જવાનું મુનાસીબ માન્યું! અંતે પ્રજાશક્તિની જીત થઈ અને મોડો મોડો પણ વાગે મરાઠી નાટકનો શો તે સભાગૃહમાં ભજવાવાનો શરૂ થયો!

આખા પ્રસંગે મને વિચાર કરતો કરી મૂક્યો. આપણા નેતાઓની ઢીઢતા તો અહિં છતી થતી હતી પણ તેમને જનતાના કિમતી સમયની, તેમના કમિટમેન્ટની કોઈ પરવા નથી. પ્રજાની સેવા માટે ચૂંટાયેલા નેતાને પ્રજાના હિતની જરીયે ચિંતા નહિ! પણ પ્રસંગે પબ્લિક જેમ એક થઈ અને તેમણે નેતાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું કાબેલે તારીફ છે! જો આમ દરેક પ્રસંગે આપણે થોડી હિંમતપૂર્વક અડચણ કે સમસ્યા કે બદી નો સામનો કરીશું તો ખરેખર ઘણા અનિષ્ટોનો નાશ થઈ શકે એમ છે. એકતામાં તાકાત છે. ઝાઝી કીડીઓ સાપને તાણે. હું પણ તે દિવસે પેલા મરાઠી નાટકના ઓડિયન્સમાં હોત તો કેટલી મજા પડત! ગુજરાતી પ્રજા પણ આવું કૌશલ્ય અને ઐક્ય દાખવે તો મજા પડી જાય!

રવિવાર, 14 જુલાઈ, 2013

ગેસ્ટ બ્લોગ : ટેલીગ્રામ સેવાનો અંત

 - જ્યોતિ લાઈજાવાલા

            આજે  વૈજ્ઞાનિક ક્ષેત્રે માનવીએ હરણફાળ ભરીને વિશ્વને જાણે મુઠ્ઠીમાં લઇ લીધું છે. આધુનિક તંત્રજ્ઞાન ને લીધે વિશ્વમાં પરસ્પર સંપર્ક સાધવો સહજ બન્યો છે. પરંતુ વર્ષો પૂર્વે, ગામડામાં રહેતા સ્વજનો,મિત્રો નો સંપર્ક સાધવો મુશ્કેલ હતો .એ વખતે ઘરોઘર ટેલીફોનની સુવિધા પણ નહોતી .પોસ્ટ દ્વારા જ કાગળપત્ર ,મનીઓર્ડર અને અત્યંત મહત્વના સંદેશાઓ ટેલીગ્રામ એટલે કે તાર દ્વારા મોકલી શકાતા.ગામડામાં કોઈ ખાસ સુવિધા નહોતી .નાના  નાના બે-પાંચ ગામડાઓ વચ્ચે એક પોસ્ટ ઓફીસ અને અઠવાડિયામાં એક-બે વખત જ પોસ્ટમેન ટપાલ વહેંચવા નીકળતો .લોકો આતુરતાથી પોસ્ટમેનની રાહ જોતા ,પરંતુ જો કસમયે પોસ્ટમેન ઘરનું બારણું ખખડાવે તો નક્કી અશુભ સમાચાર હશે એમ સમજતાં .
             આજના આધુનિક યુગમાં પોસ્ટ -કાર્ડ સ્થાન કુરીયરે લીધું છે, ટેલીગ્રામનું સ્થાન ફેક્સે ,ફેક્સનું  સ્થાન ઈ-મેલે અને તેને બદલે એસ.એમ.એસ. મોકલવાનું વધુ સરળ બન્યું છે .અને હવે તો  ટવીટર અને ફેસબુકે  એસ.એમ.એસ નું સ્થાન ક્યારે લીધું એની જાણ આપણને ન થઈ. રોજિંદા  જીવનમાં સમયની બચત અને વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેલ વ્યક્તિ સાથે સહજરીતે સંપર્ક સાધી આપનાર સાધનો તંત્રજ્ઞાન ને જ આભારી છે .સ્માર્ટ ફોન અને વિડીઓ ચેટીંગ ના જમાનામાં આજથી દોઢ સદીથી પણ વધુ સમય જૂની ટેલીગ્રામ સેવા યુવકોને બાબા આદમના જમાનાની લાગે. હાલમાં એસ.એમ.એસ. માં વાપરવામાં આવતાં you  ને બદલે u , thanks  ને બદલે tnx  ,pictures માટે pix  જેવા ટુંકા શબ્દો વાંચી વિચાર આવે છે ને કે આજના યુવકો અંગ્રેજી ભાષાનો દાટ  વાળે છે પરંતુ આ ચિંતાનો વિષય નથી .આ શોર્ટ-કટ શબ્દો તો ટેલીગ્રાફના જમાનાના છે. ટેલીગ્રાફ એટલે તારથી જોડાયેલ બે મથકો વચ્ચે સાંકેતિક ભાષામાં ,વિદ્યુત પ્રવાહ દ્વારા સંદેશો મોકલવાની ટેકનોલોજી .દોટ અને ડેશ જેવા સાંકેતિક શબ્દો દ્વારા મોકલવામાં આવેલ સંદેશ એટલે ટેલીગ્રામ .અંગ્રેજીમાં તેને કેબલ અને ગુજરાતીમાં તેને તાર કહેવામાં આવે છે . સન ૧૮૩૮માં ટેલીગ્રાફ ની  શોધ સેમ્યુઅલ  મોર્સે કરી હતી. તેઓ એક જાણીતા ચિત્રકાર પણ હતા .ટેલીગ્રાફ ને સંબંધિત સંશોધન અને ટેલીગ્રામ લખવા માટે વાપરવામાં આવતા કોડની રચના પણ તેમણે કરી હતી જે મોર્સ કોડ ને નામે પ્રસિદ્ધ થયો. આમ ટેલીગ્રાફ ની સેવાને લીધે દુનિયા નાની બની ગઈ .ફક્ત સંદેશાઓ જ નહિ પણ ઉદ્યોગધંધા અંગે પણ આદાન પ્રદાન થવા લાગ્યું .જેથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર મેળવવાનું શક્ય બન્યું .ભારતમાં આમ તો ટેલીગ્રાફ ની શરૂઆત સન ૧૯૫૧માં  થઇ હતી .ભારતમાં ૧૮૫૭નો સંગ્રામ શરૂ થયો ત્યારે અંગ્રેજોને ટેલીગ્રાફ સેવા ખુબ જ ઉપયોગી નિવડી .અંગ્રજ સેનાપતીઓ પરસ્પર સંદેશાઓ મોકલી વ્યુહરચના ગોઠવતા .ટેલીગ્રામમાં લખાતાં સદેશા માટે શબ્દ દીઠ પૈસા ચુકવવા પડતા. આથી ઓછા શબ્દોમાં લખી શકાય એ માટે બે શબ્દો જોડીને લખવામાં આવતું .આ ટેલીગ્રામ કેબલ તરીકે ઓળખાતા અને તેમાં વાપરવામાં આવતી શૈલી કેબલીસ  તરીકે ઓળખાઈ. ભારતમાં તારમાં  લખવામાં આવતા વાક્યોમાં શબ્દો બચાવવા માટે ક્રિયાપદ  વગરના વાક્યો લખવામાં આવતા .પણ જોડાક્ષરનો વપરાશ થતો નહિ .કહેવાય છે કે આઝાદીની લડત  વખતે ગાંધીજી અને બીજા નેતાઓ સંદેશાઓ ઝડપથી મોકલવા માટે તારનો ઉપયોગ કર્યો હતો .ભારતમાં વિદેશી તાર સેવા થોડાક વર્ષો પૂર્વે જ બંધ થઇ . ઓસ્ટ્રેલીયામાં ૨૦૧૧ ની સાલમાં ,અમેરિકામાં ૨૦૦૬માં, ઇંગ્લેન્ડમા ૨૦૦3માં આ સેવા એક પ્રાઈવેટ કંપનીને વેચી દીધી .નેપાળે ચાર વર્ષ પૂર્વે ટેલીગ્રાફ સેવા બંધ કરી .જ્યારે એક જમાનામાં ચોવીસ કલાક કાર્યરત રહેતી મુંબઈની સેન્ટ્રલ ટેલીગ્રાફ ઓફીસમાં હવે પંદરમી જુલાઈથી સોપો પડી જશે . ૧૭૫ વર્ષ જૂની તાર સેવા બંધ કરવાનો નિર્યણ પોસ્ટ કાર્યાલય દ્વારા લેવામાં આવ્યો છે. જોકે સમયાનુસાર વર્તવાનો તેમનો આ નિર્ણય મારા  મતે ઉચિત છે ,પણ ક્યારેક દિલ ધડકાવી દેનાર તો ક્યારેક ખુશીના સમાચાર આપનાર ટેલિગ્રામ સેવા આવતી કાલથી એક સંસ્મરણ માત્ર બનીને રહી જશે! આજની પેઢીએ વૈશ્વિકરણ ,ઉદારીકરણ અને ખાનગીકરણના ભરડામાં સિધ્ધી પ્રાપ્ત કરવા અને પોતાના સ્વપ્નાઓ પૂર્ણ કરવા પડકારોનો સામનો કરવાનો છે .એટલે વર્તમાન સમયને અનુસરીને ચાલવામાં જ ડહાપણ છે. જે પરિસ્થિતિ આજે તાર ની થઇ છે એવી જ પરિસ્થિતિ  અન્ય સેવાઓની પણ થાય એવી શક્યતા ખરી!
  
                                                                                                              - જ્યોતિ લાઈજાવાલા

રવિવાર, 7 જુલાઈ, 2013

દવાખાનામાં સંગીત!


થોડા સમય અગાઉ મારા શ્રીમતીજીને દહાપણની દાઢે દુ:ખાવો ઉપડતા ઘર નજીક જેમનું ક્લિનીક આવેલું છે એવા એક દંતચિકીત્સક પાસે લઈ ગયો.ડોક્ટરસાહેબની કેબિન નાની પણ સુઘડ અને વ્યવસ્થિત હતી.તેમનો ચહેરો પણ સસ્મિત મળતાવડો અને સૌથી સારી અને અગત્યની બાબત હતી કે કેબિનમાં બેકગ્રાઉન્ડમાં ધીમું ધીમું શાસ્ત્રીય સંગીત વાગી રહ્યું હતું.ધીમા અવાજે પણ સંભળાય અને મન બહેલાવે એવું કર્ણપ્રિય સંગીત મને ખૂબ ગમી ગયું. ઉપરોક્ત ત્રણેય બાબતો દર્દીનું અડધું દરદ ઓછું કરી નાખે!કોઈ પણ ડોક્ટર પાસે જતી વખતે દર્દીનું બ્લડપ્રેશર આમ પણ વધી ગયું હોય તેવામાં ધીમું શાસ્ત્રીય સંગીત ખરેખર મન પર જાદુઈ અસર કરે છે!ભલે કદાચ ડોક્ટર દર્દીને તપાસી રહ્યાં હોય કે ચિકિત્સા કે શસ્ત્રક્રિયા ચાલુ હોય, ત્યારે બેકગ્રાઉન્ડમાં વાગતું સંગીત દર્દીના મનનો બોજ તો પરોક્ષ રીતે હળવો કરે છે પણ મારા ધારવા પ્રમાણે ડોક્ટરના કામમાં પણ તે ચોક્કસ મદદ કરતું હશે!
સામી વ્યક્તિ કે ગ્રાહક વિશે તમે કેટલા સભાન છો,તેની સુવિધા માટે તમે કેટલું વિચારો છો તે સંગીત વાળી ચેષ્ટા પરથી સિદ્ધ થાય છે!માર્કેટીંગ કે કસ્ટમર ફોકસનો પાઠ પરથી ચોક્કસ શિખી શકાય.

સોમવાર, 1 જુલાઈ, 2013

દેવતાઈ ગુણો ધરાવતા મનુષ્યો


કેટલાક માણસોમાં ભગવાન વસતા હોય છે. હું બિલકુલ અંધશ્રદ્ધાળુ નથી. એટલે કોઈના શરીરમાં ભગવાન રૂપી પવન આવે છે કે કોઈ બાબા કે માનવદેહ ધારણ કરેલ કોઈ સંતમહાત્મા પરમેશ્વર હોવાનો દાવો કરતા હોય એવી એવી વાતોમાં હું વિશ્વાસ ધરાવતો નથી.પણ અહિં હું કેટલાક અસામાન્ય માનવતા ધરાવતા દૈવીગુણોથી સજ્જ  મનુષ્યોનો ઉલ્લેખ કરી રહ્યો છું જેવાકે મધર ટેરેસા. રસ્તે રઝળતા કુષ્ઠરોગીને ભલા કોણ અનુકંપાથી પ્રેરાઈ વહાલપૂર્વક ભેટી શકે?

આવા દૈવીગુણો ધરાવનાર ચાકો દંપતિની ગયા વર્ષે વાત કરી હતી જે મલાડ(પશ્ચિમ)માં દયાવિહાર અનાથાલય ચલાવે છે.ત્યાં મેં અને મારા પરિવારે મારી નાનકડી વ્હાલસોયી દિકરી નમ્યાની દ્વિતીય વર્ષગાંઠ ઉજવેલી. આ અનાથાલયમાં જેમ જોન અને મારિયા ચાકો પોતાના સગા પુત્રો સહિત વીસથી વધુ અનાથ છોકરાઓનો વહાલપૂર્વક ઉછેર કરે છે તેમજ મલાડ પૂર્વમાં પઠાણવાડી નજીક આવેલા દિંડોશી નગરમાં સ્થિત એક કન્યાલય સ્થાપી શ્રી વિજય કરાન્ડે અને તેમની પત્નીએ પોતાના પરિવારમાં ૨૬ અનાથ કે અતિ ગરીબ છોકરીઓનો સમાવેશ કર્યો છે. આ કન્યાલય નું નામ છે “સામાજિક વિકાસ કેન્દ્ર - ડ્રીમ્ઝ હોમ”. છેલ્લા દોઢ દાયકાથી પણ વધુ સમયથી સમાજસેવાના કાર્યોમાં જોડાયેલા છે.આજે આ બ્લોગમાં નમ્યાના ત્રીજા બર્થડેની ઉજવણી ડ્રીમ્ઝ હોમમાં અન્ય વીસેક હોંશિયાર અને સુસંસ્કારી કન્યાઓ સાથે કઈ રીતે કરી તેની વાત વિજયભાઈની અન્ય કેટલીક સામાજિક પહેલ અને સત્કાર્યો વિષેની વાત સાથે કરવી છે.

આ ડ્રીમ્ઝ હોમના  સ્થાપક અને સેક્રેટરી એવા વિજયભાઈ આ કન્યાલય સાથે જ કિશોરો અને યુવાન છોકરાઓ માટેનું પણ એક અલગ ગૃહ મલાડ પશ્ચિમ ખાતે ચલાવે છે અને વૃદ્ધો અને વૃદ્ધાઓ માટના પણ અલગ અલગ ગૃહોનું સુસંચાલન પોતાના સ્ટાફની મદદથી કરે છે.

નમ્યાની વર્ષગાંઠ આ વર્ષે પણ ચીલાચાલુ રીતે ન ઉજવવાનો નિર્ણય કર્યો અને ગૂગલ પર મલાડ નજીકના અનાથાલય તેમજ બાળગૃહોની શોધ આદરી અને મને ડ્રીમ્ઝ હોમ વિશે માહિતી મળી.ફોન પર તેમની પરવાનગી લઈ,ઓનલાઈન કેક નો ઓર્ડર આપી દીધો.સુરક્ષા કારણો સર ત્યાં તેઓ બહારનો નાસ્તો સ્વીકારતા ન હોઈ,માત્ર કેક અને બિસ્કીટ્સ લઈ જવાનો નિર્ણય કર્યો અને ૨૫મી જૂનની સાંજે મારા પરિવાર તેમજ મિત્રવર્તુળમાંથી થોડાં સ્વજનો સાથે પહોંચી ગયા અમે ડ્રીમ્ઝ હોમ.ત્યાં લગભગ પચ્ચીસેક છોકરીઓ હાજર હતી.ચાર થી માંડીને સોળેક વર્ષની વયની આ બાળાઓ એટલી સુસંસ્કારી હતી કે અમે બધાં તેમના થી ખૂબ પ્રભાવિત થઈ ગયાં.બધી બાળકીઓએ વારાફરતી પોતાના નામ અને કયા ધોરણમાં અભ્યાસ કરે છે તે જણાવ્યું.જ્યારે બે ત્રણ બાળાઓએ પોતાનો પરિચય આપતી વેળાએ જણાવ્યું કે પોતે પોલીસ,ડોક્ટર અને ટીચર બનવા ઇચ્છે છે ત્યારે અમે સૌ તાળી પાડી તેમને બિરદાવી રહ્યાં!પછી નમ્યા એ કેક કાપી અને તે સૌ બાળાઓએ શુભેચ્છા પ્રાર્થના ગાઈ.પછી તો અમે અંતાક્ષરી રમ્યાં અને અન્ન ગ્રહણ કરતાં પહેલા ગવાતી પ્રાર્થના ગાઈ બધાં એ કેક અને બિસ્કીટ્સ ખાધાં.બાળકીઓએ દોરેલા સુંદર ચિત્રો ભીંત પર લગાડ્યા હતાં તે જોયા અને પછી મેં  વિજયભાઈ સાથે વાતચીત કરી.



મને એ જાણવાનું કૂતુહલ થઈ આવ્યું કે આ પ્રવૃત્તિની શરૂઆત તેમણે કઈ રીતે કરી.એ પાછળનો રસપ્રદ કિસ્સો મને તમારા સૌ સાથે પણ વહેંચવો ગમશે.

વિજયભાઈ એક વાર અંધેરી સ્ટેશને ટિકીટ કઢાવવાની લાઈનમાં ઉભા હતા ત્યારે એક આઠનવ માસના બાળકનો મોટેથી રડવાનો અવાજ તેમણે સાંભળ્યો.

તેમણે જોયું કે ત્રીસેક વર્ષની એક યુવતિ આ બાળકને ખોળામાં લઈ બેઠી હતી અને બાળકના શરેર પર એક ઘા હતો તે ખોતરી બાળકને રડાવી રહી હતી.તેમને આ જોઈ એક વિચિત્ર લાગણી થઈ આવી.આ લાગણી ક્રોધમાં પરિવર્તિત થઈ ગઈ જ્યારે તેમણે એ યુવતિને યોગાનુયોગ   સાંજે અંધેરીના જ એક સિનેમા હોલમાં ફિલ્મ જોવા તેના બાળક વગર,કોઈ સખી સાથે આવેલી જોઈ.બીજે દિવસે સવારે વિજયભાઈએ નોંધ્યુ કે તે જ યુવતિ કોઈ અન્ય બાળકને ખોળામાં લઈ ભિખ માગી રહી હતી!તેમને એક આંચકો લાગ્યો.તપાસ કરતાં માલૂમ પડ્યું કે તે યુવતિ રોજ કોઈક બાળકને ૨૦૦-૩૦૦ રૂપિયા આપી ભાડે લેતી હતી અને ભિખ માગવા તેમનો ઉપયોગ કરતી હતી.આવા તો અનેક ઘ્રુણાસ્પદ કિસ્સાઓ વિજયભાઈના ધ્યાનમાં આવ્યા જ્યારે તેમણે આ અંગે વધુ સંશોધન કર્યું અને તેમણે ત્યારે જ નિર્ણય લઈ લીધો કે ફૂલ જેવા બાળકોને રસ્તાઓ પરથી ભિખ માગતા અટકાવી તેમને શિક્ષણ અને સન્માનભર્યું સારૂં જીવન પ્રદાન કરવા પોતાનાથી બની શકે એટલું કરવું અને તેમણે ડ્રીમ્સ હોમ - સામાજિક વિકાસ કેન્દ્રની સ્થાપના કરી.આજે તેઓ છોકરા છોકરીઓને અલગ અલગ ગૃહમાં ઉછેરી માનવસેવાનું અજોડ ઉમદા કાર્ય બજાવી રહ્યાં છે.તેમના આ ગૃહોની એક વાર ચોક્કસ મુલાકાત લેવા જેવી ખરી અને આ સત્કાર્યમાં જો ફૂલ નહિ ને ફૂલની પાંખડી દ્વારા પણ આપણે સહભાગી થઈ શકીએ એથી રૂડું બીજું શું હોઈ શકે?

સારા વિચાર આવવા એક વાત છે અને તેને અમલમાં મૂકવા બીજી . વ્યવહારીક મુશ્કેલીઓ સારા વિચારોને અમલમાં મૂકાવાનું કામ અઘરૂં બનાવી દે છે . જેને નાના છોકરા ઉછેર્યાં હશે તે કબૂલ કરશે કે બાળક ઉછેરવાનું કામ સહેલું નથી અને આપણે પોતાના સગા એક બાળકને મોટું કરતા નાક દમ આવી જવાનો અનુભવ કરતા હોઈએ ત્યારે પારકાં, અન્ય ધર્મ કે જાતિના 20-25 બાળકોને મોટા કરવા,ભણાવવા-ગણાવવા એ દેવતાઈ કાર્ય જ ગણી  શકાય . માણસ જ્યારે ઉત્તરાખંડમાં તાજેતરમાં સર્જાઈ તેવી હોનારત સમયે પણ આપત્તિમાં ફસાયેલા અન્ય મનુષ્ય પાસેથી ખાવાપીવાની કે જીવ બચાવવાની મસમોટી કિંમત વસૂલવા જેવો અધર્મ આચરી શકતો હોય ત્યારે બીજે છેડે ચાકો દમ્પતિ કે વિજય કરાન્ડે અને તેમના પરિવારજનો જેવા મનુષ્યોને મળીએ ત્યારે વર્તાય કે માનવતા હજી જીવે છે અને આવા દેવતાઈ ગુણો ધરાવતા મનુષ્યોને શત શત સલામ કરવાનું મન થઈ જાય!

(વિજય કરાન્ડે નો તમે 66824160 or 9702297223 નંબર પર સંપર્ક કરી શકો છો)

શુક્રવાર, 28 જૂન, 2013

ગેસ્ટ બ્લોગ : વસ્તીની પેલે પાર ....

         - ખેવના દેસાઈ


“જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં
લાગે છે તનેય દૂરના ચશ્માં છે ઈશ્વર….”

સૌમ્ય જોશીની આ પંક્તિઓમાં આવતી એ દૂર ની વસ્તી તરફથી જો ઈશ્વર પણ મોં  ફેરવી લેતો હોય તો આપણે? બારીના કાચ કે  નાકનું  ટીચકું ચડાવતાં  અધખુલ્લી આંખમાંથી કે હૃદયનાં પટ પરથી એ આખું દ્રશ્ય ભૂંસી નાખવા મથતા  હોઈએ છીએ. એ વસ્તી, ગંદવાડ, મંદવાડ કે  અંધકાર હંમેશા આપણી  આસપાસ છતાં આપણાંથી જોજન દુર હોય એવી ભ્રમણા છે . પણ એનું હોવું એ એક કટુ સત્ય છે. પણ આ કટુતા જો આકર્ષણનું કેન્દ્ર બની જાય તો? એ જોજન દુર એવા સત્ય ને નજીકથી અનુભવવા, કઈ કેટલાય જોજનોનું ભૌતિક  અંતર કાપવા આજે ધાડેધાડા તૈયાર છે એની જાણ  છે તમને?
ઝૂંપડપટ્ટી પર્યટન, સાંભળવામાં જેટલું અજુગતું લાગે છે એટલું જ આ પર્યટનનું ક્ષેત્ર પ્રખ્યાત છે, દક્ષિણ આફ્રિકા ના  રાયો- દ-જનારીઓ માં 15 વર્ષ પહેલા આ જુવાળ શરૂ  થયો હતો જે આજે  કૂદકે ને ભૂસકે વધતો લાખો  રૂપિયાનો  ઉદ્યોગ બની ગયો છે . આફ્રિકા જ્યાં કુદરત એની સોળે કળાએ ખીલી છે.  ત્યાંજ ગરીબી ને ભૂખમરો પણ ચોમેર પોતાનું સામ્રાજ્ય ધરાવે છે . આવા વિરોધાભાસી વાતાવરણ વચ્ચે વિક્ટોરિયા સફારી અને નૈરોબી ટુરીઝમ એડવેન્ચર જેવી સંસ્થાઓ એ ગરીબી ને ભૂખમરાનું પ્રદર્શન કરી રોકડો વેપલો કરી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે એકલા કેપ ટાઉન માં 2006 માં 3 લાખ  પર્યટકો એ આ ઝૂંપડપટ્ટી પર્યટનનો આનંદ માણ્યો હતો . અને આ જુવાળ હવે આફ્રિકા જ નહિ પણ દ .અમેરિકા નાં મેક્સિકો કે એશિયા નાં મનીલામાંય ધૂમ મચાવી રહ્યું છે .
પણ એ તો બધું ત્યાં  થાય છે પણ એમાં આપણે શું? પણ આમાં તો આપણું  લાડીલું શહેર પણ અપવાદ નથી . મુંબઈ ની 40% વસ્તી જ્યાં રહે છે તે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાંની એક ધારાવી તો આ ધંધાનું એક મુખ્ય કેન્દ્ર છે. ચામડાની પર્સ કે માટીના ઘડાની ખરીદી  સિવાય ક્યારેય ધારાવી જોયું છે? લગભગ 6 લાખ લોકો જ્યાં  1500 નાના મોટા ઉદ્યોગો કરી પેટીયું રળે છે એ વસ્તી પીવાના પાણી ની વાત જવા દો  સૂર્ય ના એકાદ કિરણથીયે વંચિત છે ..તો  એવી પ્રજા ને મળવાનું મન થાય ખરું? ખબર છે મને કે ગમે તેટલા પરદુઃખભંજન હશો તોય ના જ પાડશો તો પછી આ ઝૂંપડપટ્ટી પર્યટન કોને માટે? ચકચાર જગાવવા જાણીતી મીડિયા માટે કે બીજા ને દુઃખી જોઈ દુઃખી થતા સમાજ સેવકો માટે?. ..ના રે ના પર્યટન તો આનંદ પ્રમોદ માટે હોય, ખરું ને?
છેલ્લા 8 વર્ષથી ધારાવીનું પર્યટન કરાવતા "રીઆલીટી ટુર્સ  એન્ડ ટ્રાવેલ્સ"નાં  મતે  આ તો મુંબઈનાં પ્રવાસનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે. મુંબઈ આપણા  ભારતીયો માટે સ્વપ્નનગરી છો હોય દરિયા પાર ના પ્રવાસીઓ માટે તો એકમાત્ર ધારાવી જ સાહસ અને ઉત્તેજનાનું સરનામું છે . આ પર્યટનમાં ભાગ લેનારાઓ માં 95% પશ્ચિમ દેશોમાંથી આવતાં પ્રવાસીઓ છે જેને જીવનની  "રીઆલીટી" ને ખુબ નજીકથી જોવી છે. એમના દેશ માં ટીવી પર અવારનવાર દેખાડાતી ડોક્યુમેન્ટ્રીમાં દર્શાવાતી વરવી ગરીબી ની વાસ્તવિકતા જોવી છે . અને પોતે એ વાસ્તવિકતાથી પર,  ઘણે અંશે સમૃદ્ધ છે એનો છીછરો સંતોષ લેવો છે.
રીઆલીટી ટુર્સ વાળા આ કામ સુપેરે કરી જાણે છે .ધારાવી અને આસપાસના વિસ્તારની સાથે ધોબી ઘાટ અને ગ્રાન્ટ રોડનાં  કમાટીપુરા પણ તેમના "રિઅલ એક્સ્પિરીંયન્સ"નાં પેકેજ માં આવરી લેવામાં આવે છે. વૈભવી હોટેલમાંથી પીક અપ અને એ.સી. ગાડી માં પ્રવાસ જેવા ડીંડાણા સાથે આ ટુર્સ ગજવા ભરે છે. પ્રવાસીઓની જીજ્ઞાસા સંતોષવા  એકાદ 'ખોલી' ભાડે રાખી તેનું અવલોકન અને તેની પતરા ની છત પરથી આસપાસ નો નઝારો જોવાની વ્યવસ્થા પણ છે . ટુર ગાઈડનાં કહેવા પ્રમાણે આ તો 5-સ્ટાર સ્લમ છે અહીના ઘરોમાં ટીવી છે, ફ્રીજ છે ને વિસ્તારમાં પોતાનું જીમ પણ છે પણ એને કોઈ પૂછતું નથી કે સ્વચ્છતા, પાણી કે સૂર્યપ્રકાશ નો વૈભવ ક્યાં? પ્રવાસીઓ ક્યારેક નિરાશ પણ થાય છે કારણકે એ લોકો  તો ભૂખ્યા-નાગા છોકરા અને ગંદા ગોબરા માણસો જોવાની આશાએ  આવ્યા હોય છે અને એ ક્યાંક પૂરી ના થતા રંજ અનુભવે છે .
મારા દેશની, મારા શહેર ની ગરીબી એક વરવા મનોરંજનનું સાધન બની જાય એ મને માન્ય નથી. મારા દેશવાસીનાં  ઉઘાડા ઘરો માં ડોકિયા કરીને, ફોટા પાડીને એ વેચીને ખિસ્સા ભરવાની ધ્રુણાસ્પદ માનસિકતા અસહ્ય છે . એક આવીજ વસ્તીના રેહવાસીનું વેધક વિધાન કે "એ લોકો અમારો ફોટો પાડીને લઇ જાય છે ને છોગાં માં અમારું સ્વમાન પણ" કેટલું પીડાદાયી છે!   મૃત્યુ કે માંદગીની જેમ ગરીબીનો મલાજો રાખવો  જરૂરી નથી? અશ્લીલ દ્રશ્યો જ નથી હોતા માનસિકતા પણ હોય છે . વધુ ગરીબ કોણ છે વસ્તી ની પેલે પાર રહેતા કે પછી????
                                                                                                                                                                                                                                         - ખેવના દેસાઈ

મંગળવાર, 11 જૂન, 2013

પુષ્પોનું સુંદર વિશ્વ

     મને ઝાડછોડ વાવવાનો ઘણો શોખ છે. મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો નહિ,ત્યાં આંગણામાં બગીચો બનાવવાની તો કલ્પના જ કરવી રહી! આમ છતાં મારા ઘરની આસપાસ તેમજ ગેલેરીમાં મેં દસેક કુંડાઓમાં તુલસી, બારમાસી,મની પ્લાન્ટ,સુશોભન તેમજ વાસ્તુ માટે સારા ગણાતા બામ્બુ(વાંસ) પ્લાન્ટ્સ,એક નાનો લીમડો,પથરીના પાનનો છોડ,તીવ્ર સુગંધ વાળા અજમાના પાન ધરાવતો છોડ અને બીજા મને નામ નથી ખબર તેવા અન્ય ત્રણચાર છોડ વાવ્યાં છે અને તેમને હું ઘણાં પ્રેમથી ઉછેરું છું. હવે આમાં એક ઘાસ જેવો દેખાતો અંગ્રેજીમાં લીલી નામે ઓળખાતા સુંદર નાજુક ફૂલોનો છોડ છે જે મને વિશેષ પ્રિય છે. આ ફૂલોની ખાસિયત એ છે કે તેમનો વરસાદ સાથે કોઈક અનેરો સંબંધ છે.વર્ષારૂતુની શરૂઆતમાં જ ઘાસ જેવા દેખાતા આ છોડ પર ઘણાં બધાં ગુલાબી ફૂલો આવે છે જે અતિ નાજુક અને સુંદર હોય છે. દિવસ થતાં આ પુષ્પો ખીલે અને સાંજ સુધીમાં ફરી બિડાઈ જાય અને આ પુષ્પોનું આયુષ્ય એક જ દિવસનું. વર્ષારાણીનું આગમન થઈ ચૂક્યા બાદ એક નાના કૂંડામાં વાવેલા છોડને સતત સાત-આઠ દિવસ સુધી દસ-બાર ફૂલો રોજ આવે! અને એ કૂંડુ સુંદરતાથી ઘેરાઈ જાય!


 હવાની લહેરખી સાથે મંદ મંદ ઝૂમતાં આ ફૂલો જાણે આસપાસના અન્ય છોડવા અને ફૂલો સાથે વાતચીત કરતા દેવદૂત સમા લાગે! લીલીના ફૂલ સફેદ રંગના પણ હોય છે. લીલીના ફૂલનું કદ સાવ નાનું પણ તેની સુંદરતા અપાર! બારમાસીના ફૂલ જેવડું જ તેમનું કદ.તેને પાંચ-છ ગુલાબી પાંખડી અને વચ્ચે  નાજુક નાનકડી બે-ચાર દાંડીઓનાં અગ્ર ભાગ પર પીળા રંગના તંતુઓ જોવા મળે. આ ફૂલને ભગવાને સુગંધ નથી આપી પણ તેમનામાં અને કમળના પુષ્પોમાં ઘણી સામ્યતા લાગે. લીલી જાણે કમળની મીની આવ્રુત્તિ જોઈ લ્યો! લીલીના ફૂલ સફેદ રંગના પણ થાય છે.માત્ર ફરક એટલો કે ગુલાબી પાંખડીઓની જગાએ તેમની પાંખડીઓ સફેદ રંગની હોય છે. મારી ઓફિસની એક મિત્રને મેં ગુલાબી લીલીના છોડ આપી તેની પાસેથી સફેદ લીલીના છોડ મેળવ્યા છે પણ તેમાં હજી આ વર્ષારૂતુનાં ફૂલ આવ્યાં નથી અને હું મારા ગુલાબી અને સફેદ લીલી પુષ્પોને વધાવવા આતુર છું!

     પાડોશમાં એક જગાએ બ્રહ્મ કમળ નામનું એક સફેદ રંગનું પુષ્પ થાય છે જેની ખાસિયત એ છે કે તે પણ વર્ષમાં એક જ વાર ખીલે છે અને તે પણ મધ્યરાત્રિને સમયે!ગયા વર્ષે હું એ જોવામાં મોડો પડ્યો અને બીજે દિવસે રાત્રે ખબર પડી એ તે ફૂલ વર્ષમાં એક જ વાર એક રતે ખીલે છે અને તે તોડીને મંદિરમાં મહાદેવને ચડાવી દેવાયું હતું. હવે જોઇએ આ વર્ષે એ પુષ્પના દર્શન થાય છે કે કેમ!
કમળ બે પ્રકારના હોય છે એક રાત્રે ખીલનારા અને બીજાં દિવસે ખીલનારા.આ ફૂલનું સૌંદર્ય એટલું અદભૂત હોય છે કે પેલા એક સંસ્ક્રુત શ્લોકમાં કહ્યા મુજબ ભમરો ઉડી જવાને બદલે તેના મોહાકર્ષણમાં, તે બિડાઈ જવાનું હોય ત્યારે તેમાં કેદ થઈ મોત વહાલું કરે છે!
એક કમળનું ફૂલ એવા પ્રકારનું પણ થતું સાંભળ્યું છે જે બાર વર્ષે એક જ વાર ખીલે છે!
     પુણે પાસે 'કાસ' નામનો એક સપાટ મેદાન જેવો પ્રદેશ છે.જ્યાં ચોમાસું પૂરું થવા આવે તે સમયે ખાસ પ્રકારના ફૂલોની મખમલી ચાદરથી એ આખો પ્રદેશ છવાઈ જાય છે. જાંબલી અને ગુલાબી રંગના ફૂલો.જ્યાં સુધી દ્રષ્ટી જાય ત્યાં સુધી ફૂલો અને માત્ર ફૂલો! આ ચોમાસું પૂરું થયે આ પ્રદેશની મુલાકાત લેવા જેવી ખરી.પણ એક વાત યાદ રાખવી કે અહિં જતા પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અથવા તમે બી.એન.એચ.એસ. જેવી સંસ્થાનો સંપર્ક કરી શકો જે ત્યાંના પ્રવાસનું આયોજન કરતે હોય છે.( આ જગા વિશે વધુ માહિતા મેળવવા અને ત્યાંની કેટલીક સુંદર તસ્વીરો જોવા http://www.placesnearpune.com/2010/09/kaas-plateau-maharashtra-valley-of-flowers/   આ વેબસાઈટની મુઆકાત લો.)

     ઉત્તરાખંડ રાજ્યમાં તો ‘વેલી ઓફ ફ્લાવર્સ’ તરીકે ઓળખાતી આખી ફૂલોની ખીણ છે જેના વિષે મેં ફક્ત સાંભળ્યુ જ છે.મૈસૂરના વૃંદાવન ગાર્ડન અને ઊટીના ફૂલોના બગીચાઓ પણ મેં હજી સુધી જોયા નથી. આ પ્રદેશોની અને ઉદ્યાનોની મુલાકાત એક વાર તો ચોક્કસ લેવી જ છે અને કાશ્મીરમાં થતા કાળા ગુલાબ અને બાર વર્ષે એક જ વાર ખીલતા પેલા બ્રહ્મકમળને  પણ એક વાર પ્રત્યક્ષ નિહાળવાની ઇચ્છા ખરી!


May Flower picture shared by Dr. Bharat Palan (see comments of this blog for more details). This flower also blooms only once a month in May every year :