Translate

લેબલ Ganapati સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Ganapati સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 22 ઑગસ્ટ, 2020

ગણપતિ બાપ્પાને પ્રાર્થના

  “એ આઈ.... દેવ બાપ્પા આલે!! “ એક સાવ નાનકડા બાળકનો સાદ સંભળાય છે અને ગણપતિબાપ્પાની સુંદર વિશાળ પ્રતિમાઓના ફોટા એક પછી એક સ્ક્રીન પર બદલાય છે આવો એક વિડિયો વોટ્સ એપ પર જોયો અને મુખ પર સ્મિત છવાઈ ગયું! આબાલવૃદ્ધ સૌને ગમતો તહેવાર એટલે ગણેશચતુર્થીથી શરૂ થતો ગણેશોત્સવ... આબાલવૃદ્ધ સૌને ગમતા દેવ ગણપતિબાપ્પાની મૂર્તિની સાર્વજનિક મંડપમાં કે ઘેર પધરામણી કરવાનો અને તેમનું પૂજન કરી ધન્યતા અનુભવવાનો પાવન ઉત્સવ. આ વખતે જો કે કોરોનાના કેરના કારણે સાર્વજનિક મંડપ અને

બાપ્પાની મૂર્તિ ની ઉંચાઈમાં ઘટાડો જોવા મળશે, પણ ભક્તોની બાપ્પા પ્રત્યેની શ્રદ્ધામાં ઓટ નથી આવી. લોકોમાં ગણેશોત્સવ પ્રત્યેનો ઉત્સાહ અને ઉમંગ અકબંધ છે. 

    આ વખતે ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ચલણ વધુ જોવા મળશે અને પર્વ બાદ લોકોની ઉજવણીની ખોટી રીતને લીધે ફેલાતા પ્રદૂષણમાં પણ ઘટાડો જોવા મળશે એ મોટો ફાયદો. લોકો સ્થાપના અને વિસર્જન માટે મહારાજની મદદ પણ ઓનલાઇન લેતા જોવા મળશે. વિસર્જનમાં પણ રસ્તાઓ પર ભીડ નહીં હોય અને કૃત્રિમ તળાવ કે પોતપોતાના ઘેર વિસર્જનમાં વધારો જોવા મળશે.

  ગણપતિ બાપ્પા સાચા હ્રદયથી કરેલી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. તો ચાલો આજથી શરૂ થઈ રહેલા આ મંગલ ઉત્સવ દરમ્યાન સૌ સાથે મળી પ્રાર્થના કરીએ કે હે ગણપતિ બાપ્પા.... 

 ~ કોરોનાનો જડમૂળથી જલ્દી જ નાશ કરી દો.

~ અમારું જીવન ફરી પહેલા જેવું નિર્ભય અને સુંદર બનાવી દો, જ્યાં અમે છૂટથી એકબીજા સાથે હળી મળી શકીએ.

~ લોકોના મનમાં લોકડાઉનને લીધે જે નિરાશા, નકારાત્મકતા પ્રવેશી ગયા છે તેનો સમૂળગો નાશ કરી દો. 

~ ઘણાં લોકોના નોકરી ધંધા મંદ કે બંધ પડ્યા છે, તેમને ફરી ધમધમતા કરી દો.

~ અર્થતંત્ર ને જે ખોટ પડી છે તે ભરપાઈ કરી દો.

~ બાળકોની શાળાઓ, યુવાનોની કોલેજો, મોટેરાઓની ઓફિસો ચાલુ કરી દો.

~ બજારો, મોલ, દુકાનો, સભાગૃહો વગેરે ફરી ધમધમતા કરી દો.

~ લોકોની પરિવારજનો સાથે નિકટતા વધી છે, પર્યાવરણ પ્રત્યે સંવેદન શીલતા વધી છે તે કાયમી કરી દો.

~ પ્રદૂષણમાં ઘટાડો થયો છે, સ્વચ્છતામાં વધારો થયો છે તે પણ કાયમી કરી દો.

 સાચા મનથી, સાથે જોડાઈને કરેલી સમૂહ પ્રાર્થનામાં ઘણી તાકાત હોય છે. આવો આપણે સૌ ગણરાયાને સાચા દિલથી ઉપર જણાવેલી પ્રાર્થના કરીએ... એ ચોક્કસ સાંભળશે અને તેને પૂરી કરશે. ગણપતિ બાપ્પા મોરિયા!!!





રવિવાર, 24 ઑગસ્ટ, 2014

ગણેશોત્સવની ઈકો-ફ્રેન્ડલી ઉજવણી


દર વર્ષની જેમ વર્ષે પણ આપણા સૌના પ્રિય ગણપતિ બાપ્પાની સવારી પધારવાનો સમય આવી ચૂક્યો છે! ગણેશોત્સવના પડઘમ હવામાં ગૂંજી રહ્યા છે. મંડપો બંધાઈ ગયા છે. જે લોકો બાપ્પાની પધરામણી ઘરે કરાવવાના છે તેમણે પણ જોરશોરથી માટેની તૈયારીઓ પ્રારંભી દીધી છે.

માત્ર એક નાનકડી અપીલ સૌને કરવાની કે વખતે ઉત્સવને બની શકે એટલો ઈકો-ફ્રેન્ડલી રીતે ઉજવશો તો ગણપતિ બાપ્પા તો પ્રસન્ન થશે પણ પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધનની દિશામાં પોતાનો નાનકડો ફાળો નોંધાવવાનું પુણ્ય તમે કમાઈ શકશો.

અપીલ કરવાનું કારણ એક  કે જગત આજે અનેક વિકટ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ,ઓઝોનમાં ગાબડા,પર્યાવરણનમાં વિષમતા વગેરે. ભારતમાં પણ ઘણી જગાએ ભારે વર્ષાને કારણે પૂર તો કેટલાક ભાગોમાં ભીષણ દુકાળના સમાચાર તમે આજકાલ રોજેરોજ વાંચતા હશો. બધી મસમોટી આફતો આપણી નાની નાની જાણ્યે અજાણ્યે કરેલી ભૂલોનું   પરિણામ છે.

ગણેશોત્સવનો દાખલો લઈએ. મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસની બનેલી હોય અને તેનું તળાવ, નદી, કૂવા કે દરિયામાં વિસર્જન થાય ત્યારે તેમાં વસતાં જળચર જીવો (પ્રાણી તેમજ વનસ્પતિ)ને ઘણું નુકસાન થાય છે. હવે એમાં આપણને પ્રત્યક્ષ રીતે શું નુકસાન થાય એવો સ્વાર્થી માનવ જાત ને પ્રશ્ન થાય.પણ યાદ રાખો સમગ્ર સજીવ સૃષ્ટિ એક અદ્રષ્ય સાંકળથી જોડાયેલી છે. જેમાં એક સજીવનું અસ્તિત્વ સીધી કે આડકતરી રીતે અન્ય સજીવ પર આધારીત હોય છે.એક આશ્ચર્યજનક હકીકતથી વાત સમજવાનો પ્રયાસ કરીએ. જો પૃથ્વી પરની બધી મધમાખીઓ ગાયબ થઈ જાય તો માત્ર ચાર વર્ષમાં આખી પૃથ્વી પરથી મનુષ્ય જાતિનું નિકંદન નિકળી જાય! દેખીતું પ્રત્યક્ષ કારણ સમજાવા છતાં એક સત્ય હકીકત છે. (તમારા માટે એક ક્વિઝ! ચાલો આમ બનવાના કારણ લખી જણાવો!)

ગણપતિની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસને બદલે માટીમાંથી બનેલી હોય તેવી પસંદ કરી શકાય.મોટા ભાગની ગણપતિની મૂર્તિ વેચતી દુકાનોમાં હવે પ્રકારની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનું ખાસ અલગ સેકશન હોય છે.આવી માટીમાંથી બનેલી મૂર્તિ પર્યાવરણ માટે બિલકુલ હાનિકારક હોતી નથી વળી તેના પર કરેલા રંગો પણ રસાયણ માંથી નહિ પરંતુ પ્રાક્રુતિક રીતે બનાવેલા હોય છે.

દર વર્ષે ગણપતિ ઘરે કે મંડપોમાં પધરાવનારાઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. એટલું નહિ સાર્વજનિક મંડળોમાં પણ જાણે ઉંચામાં ઉંચી મૂર્તિ લાવવાની હોડ લાગે છે. જેટલી મૂર્તિઓ સંખ્યા અને  ઉંચાઈમાં વધારે એટલો વધારે પ્લાસ્ટર ઓફ પેરીસ વપરાશમાં લેવાય અને બધી મૂર્તિઓનું કુદરતી જળાશયોમાં વિસર્જન કરાતા પર્યાવરણને થતા નુકસાનનું પ્રમાણ પણ વધારે. આથી મહેરબાની કરી શેંદુ માટી માંથી બનતી ઇકોફ્રેન્ડલી મૂર્તિ લાવવાનો આગ્રહ રાખશો અને જો પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ  લાવવી પડે તેમ હોય તો બને એટલી નાની મૂર્તિ લાવવી જેથી એનાથી પર્યાવરણ ને થતું નુકસાન ઘટે.



ઘરે કે મંડપમાં સજાવટ માટેની થીમ પણ ઇકોફ્રેન્ડલી રાખી શકાય. જેમકે ઝાડછોડ કે પુષ્પલતાઓનો માટે ઉપયોગ કરી શકાય. થર્મોકોલના તૈયાર મંદિર લાવવાને બદલે ફૂલોથી સજાવેલા બાજઠ પર ગણપતિ બાપ્પાની મૂર્તિને આરૂઢ કરાવી શકાય.ચૂંદડીઓ કે રંગબેરંગી કપડા કે વપરાશમાં હોય તેવી વસ્તુઓનો ઉપયોગ કરી સુશોભન કરી શકાય.

મોટે અવાજે લાઉડ સ્પીકરમાં ગીતો વગાડી કે બેન્ડ બાજાના ઘોંઘાટ દ્વારા ધ્વનિપ્રદૂષણ ફેલાવાનું અટકાવી શકાય. વિસર્જન વેળાએ ભપકા કરી, ગંદકી ફેલાવી, બિભત્સ ચેનચાળા કરી નાચવાની જગાએ સરસ મજાના સંદેશા લખેલા બોર્ડ્સ પકડી રેલી કે સરઘસ કાઢી પર્યાવરણ અંગે જાગૃતિ આણી શકાય. પાલિકા દરેક વોર્ડ્સમાં કૃત્રિમ જળાશયો તૈયાર કરે છે તેમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ પધરાવી શકાય. એમ કરતાં પર્યાવરણને થતું નુકસાન તો અટકશે જ સાથે સાથે તમે પોતે પ્રત્યક્ષ તમારી મૂર્તિનું વિસર્જન થતા જોઈ શકશો અને ગર્દીમાં ધક્કામુક્કીની હાલાકી ભોગવ્યા વગર શાંતિથી ઓછા સમયમાં વિસર્જન વિધિ પતાવી શકશો.

બ્લોગ એક અઠવાડિયા અગાઉ લખવાનું કારણ એક છે કે હજી સમય છે તમે વાંચીને વખતની તમારી ગણેશોત્સવની ઉજવણી બને એટલી ઇકો-ફ્રેન્ડલી રીતે કરવાનો વિચાર અમલમાં મૂકી શકો છો.એકાદ વાચક પણ એમ કરશે તો મારો પ્રયત્ન લેખે લાગ્યો ગણાશે.

મંગળવાર, 21 સપ્ટેમ્બર, 2010

ઈકોફ્રેન્ડલી ગણપતિબાપ્પા

વાતાવરણમાં સર્વત્ર ઉત્સાહ અને ખુશાલી પ્રવર્તી રહી છે. પર્વોનો મેળો જામ્યો છે - પર્યુષણ, ઈદ અને ગણેશોત્સવ. નવરાત્રિ પછી દિવાળી જેવા બીજા તહેવારો પણ જાણે હવે લાઈનમાં રાહ જોઈને જ ઉભા રહેશે! આપણે સૌએ બધા તહેવારો હર્ષોલ્લાસભેર ઉજવવા જોઈએ પણ વિવેકભાન સાથે.


હું ખુશ છું.કારણ આ બ્લોગ છપાશે ત્યારે સુમુખ(ગણેશ)મારે ઘેર પધાર્યા હશે.હું ખુશ છું એનું બીજું કારણ એ પણ છે કે આ વર્ષે પણ મારા ગણપતિબાપ્પા ઈકોફ્રેન્ડલી છે! આ વર્ષે છાપાઓમાં ઘણી જગાએ ઈકોફ્રેન્ડલી એકદંત(ગણેશ)ની મૂર્તિઓનો ઉલ્લેખ વાંચવા મળ્યો હોવા છતાં લોકોમાં આ વિષે જોઇએ એવી જાગ્રુતિ આવી નથી.મારે જ મલાડમાં કપિલ(ગણેશ)ની ઈકોફ્રેન્ડલી મૂર્તિ શોધવા ઠેર ઠેર ફરવું પડ્યું હતું. કેટલાક દુકાનદારો અને મૂર્તિકારોને તો ઈકોફ્રેન્ડલી શબ્દનો અર્થ પણ ખબર ન હતો. ગજકર્ણક(ગણેશ)ના ઈકોફ્રેન્ડલી અવતાર વિષે જાણ હોય કે ન હોય પણ મૂર્તિકારોને લંબોદર(ગણેશ)ને વિવિધ રૂપ આપવા બેહદ પસંદ હોય એમ લાગે છે! કેટકેટલા અવનવા મોહક અને સુંદર રૂપોમાં વિકટ(ગણેશ) તમને જોવા મળશે!

કોઈ મૂર્તિકાર વિઘ્નનાશ(ગણેશ)ને શંકર ભગવાન સ્વરૂપે કંડારશે તો કોઈ વિનાયક(ગણેશ)ને સાંઈબાબાનું સ્વરૂપ આપશે તો કોઈક વળી તેમને હનુમાનદાદા બનાવી દેશે! હદ તો ત્યારે થઈ જાય જ્યારે કોઈક ધૂની મૂર્તિકાર ધૂમ્રકેતુ (ગણેશ)ને માણસનું સ્વરૂપ આપી દે છે!ગયાં વર્ષે જ મેં એક ગણપતિની મૂર્તિ ચડ્ડી-બૂશર્ટ પહેરેલ વિદ્યાર્થીના સ્વરૂપમાં જોઈ અને બીજી એક શિવાજી મહારાજના સ્વરૂપમાં! હવે આ મને જરા વધુ પડતું લાગે છે.ભગવાનને તેમનું મૂળ સુંદર સ્વરૂપ મૂકીને પામર મનુષ્યના સ્વરૂપમાં મૂકવાની વાત મારે ગળે ઉતરતી નથી.ગણાધ્યક્ષ(ગણેશ)ને આપણે તેમના અસલ સ્વરૂપે જ ન પૂજી શકીએ?હા, મને ગોટીઓમાંથી કે ચોકલેટ કે શ્રીફળ કે શાકભાજી કે સૂકામેવા કે આવી અવનવી વસ્તુઓમાંથી બનાવેલ ભાલચંદ્ર(ગણેશ)ની સર્જનાત્મક મૂર્તિ ગમે છે! ગજાનન(ગણેશ) એક જ ભગવાન છે જે, લોકોને અલગ અલગ હજાર સ્વરૂપમાં જોવા ગમે છે!

વળી પાછા ઈકોફ્રેન્ડલી મૂર્તિની વાત પર આવીએ તો આ મૂર્તિની કિંમત સામાન્ય (પ્લાસ્ટર ઓફ પેરિસની) મૂર્તિઓ કરતાં મોંઘી હોય છે કારણ આ પ્રકારની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસ (જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે) ને બદલે માટીમાંથી કે બીજા પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવા તત્વોમાંથી બનાવવામાં આવે છે.તેના પર રંગ પણ પર્યાવરણ મિત્ર પદાર્થમાંથી બનાવાયો હોય તેવો જ વપરાય છે જે સામાન્ય પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પર કરાતા ભડક રાસાયણિક પદાર્થોમાંથી બનેલા રંગો જેવો આકર્ષક હોતો નથી.આપણને ભડક અને ભપકાદાર વસ્તુઓનો જ મોહ હોય છે આથી લોકો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદતા નથીં. લોકોમાં પર્યાવરણ વિષે પૂરતું જ્ઞાન કે પ્લાસ્ટર ઓફ પેરિસ અને રાસાયણિક રંગો પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડે છે તે વિષેની સાચી ને સચોટ માહિતિનો પણ અભાવ છે. હવે જ્યારે લોકો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓની સરખામણીમાં સસ્તી અને વધુ આકર્ષક પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ મળતી હોય તો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ શા માટે ખરીદે?આખરે મૂર્તિકારો પણ એવી જ મૂર્તિ બનાવે ને જે વધુ વેચાય? આથી આપણે જાગ્રુત થઈ ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.

ઘેર શણગાર માટે પણ જે પદાર્થોનો ઉપયોગ કરીએ તે ઈકોફ્રેન્ડલી જ હોય એવો આગ્રહ રાખવો જોઈએ જેમકે થર્મોકોલ કે પ્લાસ્ટીકને બદલે સાચા ફૂલો, રંગબેરંગી દુપટ્ટાઓ, લોટ, લીલાંછમ છોડ-વેલા વગેરેનો ઉપયોગ કરવા વિષે વિચારી શકાય.

બીજો પણ એક મુદ્દો અતિ મહત્વનો છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મોટી મોટી મૂર્તિઓ જ્યારે દરિયામાં કે બીજા જળાશયોમાં પધરાવવામાં આવે ત્યારે ત્યાં વસતા જળજીવોને હદ બહારનું નુકસાન થાય છે.આપણે વગર વિચાર્યે જૂનો પૂજાનો સામાન વગેરે પણ પ્લાસ્ટિકની થેલીમાં ભરી તેને દરિયામાં પધરાવતા હોઈએ છીએ જેમ ન કરવું જોઇએ.હવે તો સરકાર ગણેશોત્સવ બાદ ગજાનન(ગણેશ)ની મૂર્તિઓના વિસર્જન માટે પણ ખાસ પ્રકારના કૃત્રિમ તળાવ બનાવે છે.બધાએ આ તળાવોનો ઉપયોગ કરવો જોઇએ. મારા એક મિત્રે અમેરિકામાં તેના ઘેર ગણપતિની મૂર્તિ લાવી હતી અને તેણે આ મૂર્તિનું વિસર્જન પોતે જ તેના ઘરના કંપાઉન્ડમાં નાનકડો ખાડો ખોદી તેમાં સ્વચ્છ પાણી ભરી વિધિવત તેમાં કર્યું હતું અને આ પ્રસંગના ફોટા અમે સૌએ જોયા હતાં અને આશ્ચર્ય પણ અનુભવ્યું હતું.

ગણેશોત્સવ શ્રદ્ધાનું પર્વ છે તેમાં દેખાદેખી કે બીજાને આંજી નાંખવા કે બીજા સાથે સ્પર્ધા કરવા બેફામ ખર્ચ જેવા તત્વો ન ઉમેરાવા જોઈએ. વિનાયક(ગણેશ)ની મૂર્તિને વિસર્જન માટે લઈ જતી વખતે પણ લોકો મોટામોટા બેન્ડ અને હવે તો ડી.જે. પાછળ મસમોટો ખર્ચ કરે છે.દારુ પીને બેહૂદા નાચ કરે છે.ગુલાલ સાથે કૃત્રિમ ફીણ અને કોલ્ડડ્રીંકની છોળો ઉડાડે છે. આ બધું ગણેશોત્સવના પવિત્ર પર્વને કલુષિત કરે છે.આ રીતે ભગવાનને યાદ કરવાના ન હોય.

આજે આપણે ગ્લોબલ વોર્મિંગ, ઋતુઓની અનિયમિતતા, ક્યાંક સુકો દુકાળ તો ક્યાંક લીલો દુકાળ જેવી અનેક પર્યાવરણ સંબંધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે જીવનમાં ડગલે ને પગલે આપણે કઈ રીતે પર્યાવરણને થોડું પણ નુકસાન થતાં અટકાવી શકીએ એ વિષે વર્તવુ જોઈએ અને સમજણપૂર્વક કુદરતી સ્રોતોનો ઉપયોગ કરવો જોઇએ.ગ્લોબલ વોર્મિંગ જેવા પરિબળોની પર્યાવરણ પર થઈ રહેલી વિપરીત અસરોને ધ્યાનમાં લઈ આપણે દરેક પર્વની ઉજવણી કરવી જોઈએ કારણ એમ કરીશું તો જ આપણે આવનારા ઘણાં વર્ષો સુધી એમ કરવા જીવતા રહી શકીશું અને આપણી આવનારી પેઢીઓને પણ એમ કરવાની તક પૂરી પાડી શકીશું.

હે વક્રતુંડ, ક્રુષ્ણપિંગાક્ષ, ગજ્વકત્ર, વિઘ્નરાજ, ધૂમ્રવર્ણ ગણપતિ બાપ્પા અમને સૌને સદબુદ્ધિ આપો જેથી અમે આપનો આ તહેવાર તથા બીજા બધાં તહેવારો 'યથાયોગ્ય' રીતે ઉજવી શકીએ!!!