Translate

લેબલ Ecofriendly સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Ecofriendly સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 25 સપ્ટેમ્બર, 2013

આસ્થા કે અંધશ્રદ્ધા


સર્વ કાર્યોના શુભારંભ વખતે સ્મરવામાં આવે છે એવા શ્રી ગણેશ ભગવાનનાં ગણેશોત્સવ દ્વારા તહેવારોની  કતાર શરૂ થઈ ગઈ છે! ટૂંક સમયમાં નવરાત્રિ પછી દિવાળી,નાતાલ,ઉતરાણ વગેરે વગેરે. આપણે ભારતીયો આમ પણ મૂળથી ઉત્સવપ્રિય પ્રજા છીએ. રજા મળે! નવા નવા વસ્ત્રો પહેરી, નવી નવી વાનગીઓ આરોગવા મળે, સગા-સ્નેહી-મિત્રોને મળવાનું થાય, પાર્ટી થાય, ઉજાણી થાય, ઘોંઘાટ ભર્યું સંગીત - બેન્ડબાજા અને નાચગાન પણ હવે તો તહેવાર ઉજવણીના અવિભાજ્ય અંઅગ સમાન બની ગયા છે. બધું ઠીક પણ આજે બ્લોગ દ્વારા એક બીજો અગત્યનો મુદ્દો ચર્ચવો છે. આસ્થાનો કે અંધશ્રદ્ધાનો મુદ્દો.

તહેવારોની ઉજવણીમાં કંઈ ખોટું નથી પણ કઈ રીતે ઉજવવી એમાં ક્યારેક આપણે થાપ ખાઈ જઈ છીએ. કેટલીક રૂઢીઓ વર્ષોથી ચાલી આવતી હોય તેનું વગર વિચાર્યે આંધળું અનુકરણ મોટી સમસ્યા છે. ગણપતિને આજે ઘેર લાવી પૂજન કરતાં લોકોની સંખ્યા સેંકડો નહિં, હજારોમાં વધી છે. મૂળતો એક સાર્વજનિક તહેવાર અને મંડપ કે સમૂહ તેનું પૂજન કરે અને એકતા અને સામીપ્ય વધે તેનો મૂળ હેતુ પણ ઘરે લાવીને પણ પૂજન થાય, બહાને ઘરમાં ભક્તિભાવ ભર્યું વાતાવરણ ભલે ને દોઢ દિવસ તો માત્ર દોઢ દિવસ માટે સર્જાય,પોઝીટીવીટી ફેલાય અને આનંદ-ઉત્સાહ ભર્યો માહોલ સર્જાય તો આવકાર્ય ગણાય. પણ હવે લોકોની સંખ્યા વધે તેમ ઘેર લવાતી મૂર્તિઓની સંખ્યા પણ વધે. અને મૂર્તિઓ જો માટી જેવા ઈકો-ફ્રેન્ડલી પદાર્થમાંથી બનતાં પ્લાસ્ટર ઓફ પેરીસ જેવા હાનિકારક દ્રવ્યમાંથી બનાવેલી હોય (જે મોટે ભાગે આજે પણ બને છે) તો વિસર્જન બાદ દરિયા કે કુદરતી તળાવ વગેરેમાં વસતા માછલી, કાચબા, દરિયાઈ વનસ્પતિ વગેરે નો જીવ તો  જોખમાય પણ કુદરતી જૈવિક સાંકળનું સંતુલન ખોરવાતાં પર્યાવરણને મોટું નુકસાન થવાની ભીતિ રહે છે.

ગયા વર્ષ કરતાં વર્ષે ઈકોફ્રેન્ડલી કૃત્રિમ તળાવોમાં થયેલા વિસર્જનની સંખ્યામાં નજીવો જ વધારો થયો છે જે ખૂબ સારી બાબત નથી. હવે લોકોએ ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ ઘેર કે મંડપમાં લાવવાનો આગ્રહ રાખવો જોઇએ. પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી મૂર્તિ બનાવતી વખતે ઓછી મહેનત પડે છે અને તે પ્રમાણમાં સસ્તી પડે છે તેથી મૂર્તિ બનાવનારા કારીગરો પ્રકારે મૂર્તિ બનાવવાનું પસંદ કરે છે પણ જો સરકાર માટીની મૂર્તિ બનાવવાનો કાયદો લાવે અને પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ પર પ્રતિબંધ લાદે કે લોકોમાં જાગૃતિ આવે ને તેઓ માટીની મૂર્તિ લેવાનું પસંદ કરે તો પરિવર્તન આવે.બીજું વિસર્જન માટે તો સુધરાઈ અનેક કૃત્રિમ તળાવો ઠેર ઠેર બનાવે છે પણ લોકોએ તેનો ઉપયોગ કરવો જોઇએ. પર્યાવરણનો પ્રચાર કરનાર મુંબઈના સુધરાઈ વિભાગે વખતે પણ ગણેશોત્સવ સ્પર્ધામાં ૯૦ ટકા ઇનામો પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનેલી મૂર્તિઓને આપ્યાં છે જેમાં બદલાવ જરૂરી છે. પ્રત્યક્ષ - અપ્રત્યક્ષ દરેક રીતે સરકાર કે સરકારી સંસ્થાઓએ ઈકો-ફ્રેન્ડલી જીવનશૈલીને પ્રોત્સાહન આપવું જોઇએ.

વિસર્જન એક પ્રતીકાત્મક વિધિ છે. નામ તેનો નાશ. જે આવે તે જાય ભાવના પરિપૂર્ણ કરવા ગણેશની મૂર્તિનું ખરું જોતા તો ઘરે ડોલમાં કે આંગણે ખાડો કરી પણ વિસર્જન કરી શકાય પણ ભણેલા ગણેલા લોકો પણ આસ્થાના ભ્રમ હેઠળ કેવી જડ માનસિકતા ધરાવતા હોય છે તેનો અનુભવ મને થોડા દિવસ અગાઉ ગણેશોત્સવ દરમ્યાન થયો.મારા એક વેલ-એડ્યુકેટેડ મિત્ર સાથે મેં ઈકોફ્રેન્ડલી વિસર્જન અંગે વાત કરી ત્યારે કહે "ના ભાઈ વિસર્જન તો કુદરતી તળાવમાં શાસ્ત્રોક્ત રીતે થવું જોઇએ નહિતર ગણપતિ બાપ્પાનો કોપ વેઠવો પડે(!)" તેની બહેને પણ વાતમાં સૂર પુરાવ્યો અને તેમના ઘરની નજીકમાં સુધરાઈ દ્વારા બનાવાયેલ કૃત્રિમ તળાવને તેણે ગંદો ખાડો ગણાવી પ્રકારે વિસર્જનની હાંસી ઉડાવી.વધુ નવાઈ મને ત્યારે લાગી જ્યારે તેઓ દોઢ દિવસના ગણપતિનું વિસર્જન આ વર્ષે મંગળવાર આવતો હોઈ રાતે બાર વાગ્યા પછી કરવાની વાત કરતા હતાં! હવે અડધી રાત પછી તો બે દિવસ થઈ ગયા ગણાય? અને દ્રષ્ટીએ તો બેકી સંખ્યાના દિવસે બે દિવસ પછી પણ મૂર્તિનું વિસર્જન થવું જોઇએ. પાછો બીજો એક મુદ્દો તેમણે ચર્ચ્યો જે મને હાસ્યાસ્પદ લાગ્યો. જો મંગળવારે સાંજે તમારે દોઢ દિવસનું વિસર્જન કરવું હોય તો સોનુ કે કોઈ મોંઘી ધાતુ સાથે તમે ગણેશની મૂર્તિ વિસર્જીત કરી શકો! આની પાછળ શો તર્ક હોઈ શકે તે મને સમજાયું!
હવે આવી રૂઢિચુસ્ત માન્યતા ધરાવતા ભણેલા ગણેલા વર્ગની માનસિકતામાં ક્યારે પરિવર્તન આવશે?
            બીજો એક મુદ્દો દેખાદેખીનો છે જે અંગે વિચારી ક્યારેક વ્યથા અનુભવાય છે.સાર્વજનિક મંડળો ઘેર ઘેર મસમોટી રકમ (ક્યારેક પરાણે) ગણપતિને નામે ઉઘરાવે પછી તોતિંગ ઉંચામાં ઉંચી મૂર્તિ લાવવાની સ્પર્ધા કરે,બેન્ડબાજા પાછળ મસમોટો ખર્ચ ગણપતિની મૂર્તિ લાવતી અને પધરાવતી બંને વખતે કરે - એ દ્વારા અને પછીથી મંડપમાં આખો દિવસ અને મોડી રાત સુધી લાઉડ સ્પીકરમાં મોટા અવાજે સંગીત વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવે, મંડપ ઝાકઝમાળ લાગે તે માટે લાઈટીંગ પાછળ ખર્ચો તો કરે જ અને વિજળીનો વ્યય કરે આ બધું સહન નથી થતું. ઉત્સવની ઉજવણીનો વિરોધ નથી પણ સંયમ તો હોવો જોઇએને?

મંગળવાર, 21 સપ્ટેમ્બર, 2010

ઈકોફ્રેન્ડલી ગણપતિબાપ્પા

વાતાવરણમાં સર્વત્ર ઉત્સાહ અને ખુશાલી પ્રવર્તી રહી છે. પર્વોનો મેળો જામ્યો છે - પર્યુષણ, ઈદ અને ગણેશોત્સવ. નવરાત્રિ પછી દિવાળી જેવા બીજા તહેવારો પણ જાણે હવે લાઈનમાં રાહ જોઈને જ ઉભા રહેશે! આપણે સૌએ બધા તહેવારો હર્ષોલ્લાસભેર ઉજવવા જોઈએ પણ વિવેકભાન સાથે.


હું ખુશ છું.કારણ આ બ્લોગ છપાશે ત્યારે સુમુખ(ગણેશ)મારે ઘેર પધાર્યા હશે.હું ખુશ છું એનું બીજું કારણ એ પણ છે કે આ વર્ષે પણ મારા ગણપતિબાપ્પા ઈકોફ્રેન્ડલી છે! આ વર્ષે છાપાઓમાં ઘણી જગાએ ઈકોફ્રેન્ડલી એકદંત(ગણેશ)ની મૂર્તિઓનો ઉલ્લેખ વાંચવા મળ્યો હોવા છતાં લોકોમાં આ વિષે જોઇએ એવી જાગ્રુતિ આવી નથી.મારે જ મલાડમાં કપિલ(ગણેશ)ની ઈકોફ્રેન્ડલી મૂર્તિ શોધવા ઠેર ઠેર ફરવું પડ્યું હતું. કેટલાક દુકાનદારો અને મૂર્તિકારોને તો ઈકોફ્રેન્ડલી શબ્દનો અર્થ પણ ખબર ન હતો. ગજકર્ણક(ગણેશ)ના ઈકોફ્રેન્ડલી અવતાર વિષે જાણ હોય કે ન હોય પણ મૂર્તિકારોને લંબોદર(ગણેશ)ને વિવિધ રૂપ આપવા બેહદ પસંદ હોય એમ લાગે છે! કેટકેટલા અવનવા મોહક અને સુંદર રૂપોમાં વિકટ(ગણેશ) તમને જોવા મળશે!

કોઈ મૂર્તિકાર વિઘ્નનાશ(ગણેશ)ને શંકર ભગવાન સ્વરૂપે કંડારશે તો કોઈ વિનાયક(ગણેશ)ને સાંઈબાબાનું સ્વરૂપ આપશે તો કોઈક વળી તેમને હનુમાનદાદા બનાવી દેશે! હદ તો ત્યારે થઈ જાય જ્યારે કોઈક ધૂની મૂર્તિકાર ધૂમ્રકેતુ (ગણેશ)ને માણસનું સ્વરૂપ આપી દે છે!ગયાં વર્ષે જ મેં એક ગણપતિની મૂર્તિ ચડ્ડી-બૂશર્ટ પહેરેલ વિદ્યાર્થીના સ્વરૂપમાં જોઈ અને બીજી એક શિવાજી મહારાજના સ્વરૂપમાં! હવે આ મને જરા વધુ પડતું લાગે છે.ભગવાનને તેમનું મૂળ સુંદર સ્વરૂપ મૂકીને પામર મનુષ્યના સ્વરૂપમાં મૂકવાની વાત મારે ગળે ઉતરતી નથી.ગણાધ્યક્ષ(ગણેશ)ને આપણે તેમના અસલ સ્વરૂપે જ ન પૂજી શકીએ?હા, મને ગોટીઓમાંથી કે ચોકલેટ કે શ્રીફળ કે શાકભાજી કે સૂકામેવા કે આવી અવનવી વસ્તુઓમાંથી બનાવેલ ભાલચંદ્ર(ગણેશ)ની સર્જનાત્મક મૂર્તિ ગમે છે! ગજાનન(ગણેશ) એક જ ભગવાન છે જે, લોકોને અલગ અલગ હજાર સ્વરૂપમાં જોવા ગમે છે!

વળી પાછા ઈકોફ્રેન્ડલી મૂર્તિની વાત પર આવીએ તો આ મૂર્તિની કિંમત સામાન્ય (પ્લાસ્ટર ઓફ પેરિસની) મૂર્તિઓ કરતાં મોંઘી હોય છે કારણ આ પ્રકારની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસ (જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે) ને બદલે માટીમાંથી કે બીજા પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવા તત્વોમાંથી બનાવવામાં આવે છે.તેના પર રંગ પણ પર્યાવરણ મિત્ર પદાર્થમાંથી બનાવાયો હોય તેવો જ વપરાય છે જે સામાન્ય પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પર કરાતા ભડક રાસાયણિક પદાર્થોમાંથી બનેલા રંગો જેવો આકર્ષક હોતો નથી.આપણને ભડક અને ભપકાદાર વસ્તુઓનો જ મોહ હોય છે આથી લોકો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદતા નથીં. લોકોમાં પર્યાવરણ વિષે પૂરતું જ્ઞાન કે પ્લાસ્ટર ઓફ પેરિસ અને રાસાયણિક રંગો પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડે છે તે વિષેની સાચી ને સચોટ માહિતિનો પણ અભાવ છે. હવે જ્યારે લોકો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓની સરખામણીમાં સસ્તી અને વધુ આકર્ષક પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ મળતી હોય તો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ શા માટે ખરીદે?આખરે મૂર્તિકારો પણ એવી જ મૂર્તિ બનાવે ને જે વધુ વેચાય? આથી આપણે જાગ્રુત થઈ ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.

ઘેર શણગાર માટે પણ જે પદાર્થોનો ઉપયોગ કરીએ તે ઈકોફ્રેન્ડલી જ હોય એવો આગ્રહ રાખવો જોઈએ જેમકે થર્મોકોલ કે પ્લાસ્ટીકને બદલે સાચા ફૂલો, રંગબેરંગી દુપટ્ટાઓ, લોટ, લીલાંછમ છોડ-વેલા વગેરેનો ઉપયોગ કરવા વિષે વિચારી શકાય.

બીજો પણ એક મુદ્દો અતિ મહત્વનો છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મોટી મોટી મૂર્તિઓ જ્યારે દરિયામાં કે બીજા જળાશયોમાં પધરાવવામાં આવે ત્યારે ત્યાં વસતા જળજીવોને હદ બહારનું નુકસાન થાય છે.આપણે વગર વિચાર્યે જૂનો પૂજાનો સામાન વગેરે પણ પ્લાસ્ટિકની થેલીમાં ભરી તેને દરિયામાં પધરાવતા હોઈએ છીએ જેમ ન કરવું જોઇએ.હવે તો સરકાર ગણેશોત્સવ બાદ ગજાનન(ગણેશ)ની મૂર્તિઓના વિસર્જન માટે પણ ખાસ પ્રકારના કૃત્રિમ તળાવ બનાવે છે.બધાએ આ તળાવોનો ઉપયોગ કરવો જોઇએ. મારા એક મિત્રે અમેરિકામાં તેના ઘેર ગણપતિની મૂર્તિ લાવી હતી અને તેણે આ મૂર્તિનું વિસર્જન પોતે જ તેના ઘરના કંપાઉન્ડમાં નાનકડો ખાડો ખોદી તેમાં સ્વચ્છ પાણી ભરી વિધિવત તેમાં કર્યું હતું અને આ પ્રસંગના ફોટા અમે સૌએ જોયા હતાં અને આશ્ચર્ય પણ અનુભવ્યું હતું.

ગણેશોત્સવ શ્રદ્ધાનું પર્વ છે તેમાં દેખાદેખી કે બીજાને આંજી નાંખવા કે બીજા સાથે સ્પર્ધા કરવા બેફામ ખર્ચ જેવા તત્વો ન ઉમેરાવા જોઈએ. વિનાયક(ગણેશ)ની મૂર્તિને વિસર્જન માટે લઈ જતી વખતે પણ લોકો મોટામોટા બેન્ડ અને હવે તો ડી.જે. પાછળ મસમોટો ખર્ચ કરે છે.દારુ પીને બેહૂદા નાચ કરે છે.ગુલાલ સાથે કૃત્રિમ ફીણ અને કોલ્ડડ્રીંકની છોળો ઉડાડે છે. આ બધું ગણેશોત્સવના પવિત્ર પર્વને કલુષિત કરે છે.આ રીતે ભગવાનને યાદ કરવાના ન હોય.

આજે આપણે ગ્લોબલ વોર્મિંગ, ઋતુઓની અનિયમિતતા, ક્યાંક સુકો દુકાળ તો ક્યાંક લીલો દુકાળ જેવી અનેક પર્યાવરણ સંબંધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે જીવનમાં ડગલે ને પગલે આપણે કઈ રીતે પર્યાવરણને થોડું પણ નુકસાન થતાં અટકાવી શકીએ એ વિષે વર્તવુ જોઈએ અને સમજણપૂર્વક કુદરતી સ્રોતોનો ઉપયોગ કરવો જોઇએ.ગ્લોબલ વોર્મિંગ જેવા પરિબળોની પર્યાવરણ પર થઈ રહેલી વિપરીત અસરોને ધ્યાનમાં લઈ આપણે દરેક પર્વની ઉજવણી કરવી જોઈએ કારણ એમ કરીશું તો જ આપણે આવનારા ઘણાં વર્ષો સુધી એમ કરવા જીવતા રહી શકીશું અને આપણી આવનારી પેઢીઓને પણ એમ કરવાની તક પૂરી પાડી શકીશું.

હે વક્રતુંડ, ક્રુષ્ણપિંગાક્ષ, ગજ્વકત્ર, વિઘ્નરાજ, ધૂમ્રવર્ણ ગણપતિ બાપ્પા અમને સૌને સદબુદ્ધિ આપો જેથી અમે આપનો આ તહેવાર તથા બીજા બધાં તહેવારો 'યથાયોગ્ય' રીતે ઉજવી શકીએ!!!