Translate

સોમવાર, 11 જાન્યુઆરી, 2021

ગેસ્ટ બ્લૉગ - દીપાવલી આવી!

      ભારત વર્ષનો અતિ પ્રિય અને સનાતન હિન્દુ  ધર્માવલંબીઓનો અત્યંત મહત્વપૂર્ણ તહેવાર દીપાવલી  .  રઘુકુળ શિરોમણી શ્રીરામ ,  દશાનનને પરાસ્ત કરીને    અને   14 વર્ષ નો વનવાસ  વિતાવ્યા પછી  અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં મનાવવામાં આવતો   તહેવાર દીપાવલી , અંતરમાંથી  અનિષ્ટ તત્વો અને અજ્ઞાનના  તિમિરને દૂર કરી ઇષ્ટ અને જ્ઞાનજ્યોત પ્રાજવલ્યનો  તહેવાર  છે  .  અને આ દીપાવલી તો હિન્દૂ સમુદાય માટે અતિ વિશિષ્ઠ  છે.અને ના કેમ હોય ? સદીઓના  વનવાસ પછી શ્રીરામ જન્મભૂમિ સ્થાનક,   વિદેશી આક્રાંતાઓના  અતિક્રમણ બાદ કાયદેસર ધોરણે અને સત્તાવાર   રીતે  યોગ્ય  વ્યવસ્થાપકોના  હાથમાં  આવ્યું  છે    શ્રીરામ જન્મભૂમિ પર  ભવ્યાતિભવ્ય મંદિર  ના નિર્માણ માટે  શિલાન્યાસ વિધિ પણ  થઇ ગઈ છે .. ત્યારે   દીપાવલીની  ભવ્ય   ઉજવણી થાય તે સહજ અને આવશ્યક છે. 

      અરે, નવરાત્રી ગઈ અને હવે દશેરાને વિસમે દિવસે રુમઝુમ કરતી દીપાવલી  આવી પહોંચશે  ! ! !  દીપાવલી તહેવારના આગમનની ખુશી,, અત્યંત ખુશી દરેક જણને  હોય જ ! એ સર્વવિદિત હકીકતનું વિવરણ કરી વાચકમિત્રોને કંટાળો  આપવાનો કોઈ  ઈરાદો નથી જ  . 

           દશેરા  જાય પછી  ઘરની  સાફસફાઈ  હોય કે  નવા ફર્નિચર  કે રાચરચીલાની ખરીદી હોય  , કે રસોડામાં વપરાતા  ઇલેક્ટ્રોનિક  સાધનો  કે વાસણો નું  શોપિંગ  હોય... કબાટો  .. માળીયાની  સફાઈ હોય  કે જાતજાતનું સુશોભન કરવાના  આયોજનો હોય  , નવા કપડાં, મીઠાઈ  ,  નાસ્તા, ફટાકડા ની   ખરીદી  હોય  !   દીપાવલી   નિમિત્તે  અત્યંત આનંદપૂર્વક  થતું જ હોય  ! ગરીબમાં ગરીબ માણસથી  માંડીને સાધનસંપન્ન  શ્રીમંત વર્ગ પોતપોતાની હેસિયત મુજબ ખર્ચ કરે જ ! 

      ચોમાસાના ચાર મહિનાના ભેજયુક્ત વાતાવરણ  બાદ આહલાદક  શરદ ઋતુના  આગમનને પગલે  વિધ વિધ  વાનગીઓ આરોગાવી , એકબીજાને મળવું , સ્નેહમિલનો કે મેળાવડાના  આયોજનો  કરવા।.........ઘરે પધારેલા  મહેમાનોનું  સેવ, સુંવાળી ,  જાડા કે પાતળા  મઠિયા ,  ચોળાફળી, ચકરી , ચેવડા,  ઘૂઘરા ,  મગસ ,  મોહનથાળ  ,  કોપરાપાક , કાજુ કતરી, દૂધીનો હલવો,  વગેરે વગેરે  ઘરે જાતે બનાવેલ વાનગીઓ દ્વારા  સ્વાગત  કરવું।  અનેરા અને આગવા  આનંદ,,  ઉત્સાહ સહીત  ! ફૂલોના હાર,  દીવડા,  રંગોળી,,,,,,,

         દીપાવલીના તહેવાર થકી સહુ કોઈને બે પૈસા વધારે કમાવાની તક મળે,   પછી એ કુંભાર હોય કે માળી  !  દરેક ઋતુ ઋતુ પ્રમાણે વિવિધ વસ્તુઓ વેંચતા  નાના વેપારી હોય કે મોચી હોય કે કંદોઈ હોય... 

                 દીપાવલી એ બાર મહિનાનો તહેવાર લેખાય  . કહે છે ને કાલ  કોણે  દીઠી  ?  કાલની   કોને ખબર છે ?  આવતી દીપાવલી કોણે  દીઠી ???  એટલે દરેકે દરેક દીપાવલીનું આગવું જ મહત્વ  . 

     જો કે  આ વર્ષે   આખું વિશ્વ  કોરોના વાયરસના   મહા  ત્રાસથી   પીડિત  છે   . એ અદ્રશ્ય  વાયરસ કોની પર  કઈ વખતે ત્રાટકશે   એ કોઈ  જાણતું  નથી  . તેથી  હંમેશા    વારંવાર   સાબુ કે સેનિટાઇઝર  વડે   હાથ   ધોવા  ,  બહાર  જતા માસ્ક અવશ્ય  પહેરી , સોશિયલ  ડિસ્ટર્ન્સિંગ    જાળવી  પોતાની અને પોતાના સ્વજનો ની સુરક્ષા  અંગે સાવચેતી અનેસાવધાની      રાખવી  પછી જ દીપાવલી   મનાવવી  . બહારથી ઘરમાં  પાછા ફરીએ ત્યારે   સેનિટાઇઝરથી હાથ  પગ  ધોવા , બને તો સ્નાન કરી લેવું અને કપડા ધોવા જ નાખી દેવા  . વાચકમિત્રો  ,  કોરોના કાળમાં કઈ કેટલાય  જાણીતા  કે અજાણ્યા  લોકોની  વસમી વિદાય   સહેવાનો વારો  આવ્યો !! તેથી જ સાવચેતી  અને સાવધાની સાથે જ  મિલન મુલાકાત , મેળાવડા યોજવા  . જરા જેટલી પણ  બેદરકારી કેટલી ઘાતક અને કરું નીવડે છે  એ આપણે  સહુ જાણીએ  છીએ  .   હા,  જો કે  આ વાત બધા જાણે જ છે  એટલે એકની એક  વાત  વારેવારે   કહેવાનો અર્થ નથી.

આ  દીપાવલી  આપણે જોઈ શક્યાં  તે માત્ર પ્રભુની કૃપા જ કહી શકાય  . તેથી તેની આનંદપૂર્વક  ,  ભક્તિભાવપૂર્ણ  હૃદય    સાથે  પરમ  કૃપાળુ પરમાત્માને સાદર  વંદન  કરીએ  કે સમગ્ર  વિશ્વ પર ત્રાટકેલા  આ કોરોના  પાતકને  સમૂળગું દૂર કરે ,  સહુને  સુખ, આરોગ્ય  અને   આનંદ બક્ષે.  

આપણે  સહુ પણ  પર્યાવરણ રક્ષણ  , આરોગ્ય રક્ષણ  અંગેના  બધા નિયમો અને સલાહ સૂચનો નું પાલન   કરીએ અને સુખી અને નિરોગી રહીએ  .  આ કપરા  કાળમાં  સહુ પ્રત્યે  સહાનુભૂતિ  રાખીએ અને સહુને સહાય અને મદદ કરીએ ...

સર્વે સંતુ નિરામયા  :

દીપાવલી ની શુભકામના ......

નૂતન  વર્ષાભિનંદન  .........

- મૈત્રેયી  મહેતા  

mainakimehta @gmail .com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો