Translate

લેબલ birds સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ birds સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 12 મે, 2018

બળબળતા ઉનાળામાં અબોલ પશુઓની સેવા

ઉનાળાની આગ ઝરતી ગરમીમાં આપણે ગરમીથી બચવાના અનેક ઉપાયો કરી લઈએ છીએ - જેમ કે એર કન્ડિશન્ડ ઓરડામાં ભરાઈ રહેવું,ઠંડુ ઠંડુ પાણી જ્યારે જોઇએ ત્યારે અને જેટલી માત્રામાં જોઇએ એટલું પીવું, આઈસ્ક્રીમ ખાવો, સુતરાઉ કપડા પહેરવા વગેરે વગેરે. પણ વિચાર કરો નદી-નાળા સુકાઈ જાય, પાણીની કમી હોય ત્યારે રસ્તે રઝળતાં કે માત્ર કુદરતી સ્રોતો પર આધાર રાખનારાં પશુ-પંખીઓ કાળઝાળ ગરમીથી બચવા શું કરે?
૧૨મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે મારી મુંબઈ - વાંદ્રાના બી.કે.સી. વિસ્તારમાં આવેલી ઓફિસમાં સાંજે પાંચેક વાગે મને મારી ઓફિસના સિક્યુરીટી ગાર્ડ તરફથી ફોન આવ્યો  કે  ઓફિસના ગેટ પાસે એક મોટી સમડી જમીન પર પડી ગઈ છે અને તેને મદદની જરૂર છે. મેં તેને સૂચના આપી કે હું યોગ્ય વ્યક્તિ કે સંસ્થાનો સંપર્ક કરું ત્યાં સુધી તેને એક ખાલી ખોખામાં ઉપાડીને મૂકી રાખે. તેણે તેમ કર્યું અને મેં બર્ડ-એનિમલ હેલ્પલાઈન સંસ્થાનો સંપર્ક કર્યો ૮૬૫૫૩૭૦૦૦૫ નંબર પર. તરત સંસ્થા સાથે સંકળાયેલા સોનલ બહેને મને પ્રતિભાવ આપ્યો કે તેઓ કોઇકને મારી ઓફિસ સુધી મોકલી આપશે અને મારે પક્ષીને જે આવે તેને સોંપી દેવું. બદલામાં એક પણ પૈસાની અપેક્ષા રાખ્યા વગર સંસ્થા સાથે સંકળાયેલા અબોલ પશુઓના સેવક યુવામિત્રો અને  કાર્યકરો જે - તે જગાએ મદદની જરૂર હોય તેવા પ્રાણી કે પક્ષી પાસે નિસ્વાર્થ ભાવે પહોંચી જાય છે અને તેમને બચાવી લે છે. મારી ઓફિસ સુધી દોઢેક કલાકમાં એક યુવા કાર્યકર મિત્ર સાંજે પેલી સમડીને બચાવવા આવી પહોંચ્યો અને જે ખોખામાં સમડીને મૂકી રાખી હતી તે સાથે તેને સારવાર અર્થે લઈ ગયો. પ્રાથમિક દ્રષ્ટીએ જોતા તેણે જણાવ્યું કે સમડીને ઉનાળાની સખત ગરમીને કારણે પાણી પીવા મળતા ડીહાયડ્રેશનને કારણે ગળે શોષ પડ્યો હશે અને ચક્કર આવતા તે જમીન પર પડી ગઈ હશે.
                ઉનાળાની શેકી નાખે તેવી ભયંકર ગરમીમાં મોટા ભાગના પશુ-પક્ષીઓ આવી સમસ્યાનો શિકાર બને છે. તેમને પીવાનું પાણી ઓછું મળે છે કે ક્યારેક તો કલાકો સુધી મળતું નથી. તેઓ તો ફરીયાદ કરવા પણ કોને જાય? સમસ્યાનો કંઈક અંશે હલ લાવવાનું બીડું ઝડપ્યું છે મુંબઈના કાંદિવલીમાં રહેતા ૭૧ વર્ષના જીવદયા પ્રેમી ધનસુખલાલ વિઠ્ઠલજી મહેતાએ. તેઓ પોતાના ઘરનાં પૈસામાં તેમને લોકો તરફથી દાનમાં મળતી રકમ ઉમેરી પશુ-પંખીઓ માટે પાણીના માટી-સિમેન્ટ કે પ્લાસ્ટીકના કૂંડા બનાવે છે અને મફતમાં તેનું વિતરણ કરે છે.
રીટાયર્ડ એવા ધનસુખભાઈનું માનવું છે કે મૂર્તિપૂજા કરતા લોકો જીવ-પૂજા (અર્થાત અન્ય જરૂરિયાતમંદ મનુષ્યો કે અબોલ પશુ-પંખીઓની સેવા) કરતાં થાય તો પૃથ્વી પરથી ઘણું દુ: ઓછું થઈ જાય. છેલ્લાં ૩૫ વર્ષથી તેઓ સમજ સેવા-કાર્ય સાથે સંકળાયેલા છે. વર્ષો પહેલા તેમણે એક કૂતરાને ફીનાઈલ વાળું પાણી પી જતાં તરફડીને મરી જતા જોયું ત્યારથી તેમને અબોલ પશુ-પક્ષીઓની તૃષા છિપાવવા કંઈક કરવાનો વિચાર આવ્યો.આજે ઘણાં વર્ષોથી તેઓ પોતાને ખર્ચે રંગબેરંગી ફરફરીયા છપાવે છે અને દુકાનોમાં, મંદીરોમાં કે જાહેર જગાએ તેને લગાડવા કહે છે જેમાં સમજ સેવાની પ્રેરણા આપતા સંદેશાઓ લખેલા હોય છે.
                વખતે પણ તેમણે સિમેન્ટના લગભગ દોઢસો,પ્લાસ્ટીકના બસ્સો અને માટેના ત્રણસો જેટલાં કૂંડા પશુપક્ષીઓની તરસ છિપાવવા બનાવડાવ્યાં છે અને તેઓ લોકોને મફતમાં લઈ જવા તથા પોતપોતાના ઘરની આસપાસ કે યોગ્ય સ્થળે મૂકવા વિનંતી કરે છે. તમારે પણ જો આવું કુંડૂ જોઇતું હોય તો તમે સ્થળોએથી તે પ્રાપ્ત કરી શકો છો : મલાડ રેલવે સ્ટેશન બહાર પશ્ચિમ તરફ આવેલ મોટું જૈન દેરાસર ; બોરિવલીના સાંઈબાબા નગર - સાંઈબાબા રોડ પર પંચરત્ન બિલ્ડીંગ ખાતે રહેતા હસમુખભાઇ શાહના નિવાસસ્થાન, કાંદિવલી પૂર્વમાં ચિલ્ડ્રન્સ એકેડેમી સ્કૂલની ગલીમાં અશોક ચક્રવર્તિ ક્રોસ રોડ પાસે શાંત મનોર બિલ્ડીંગમાં ધનસુખભાઈના નિવાસસ્થાનેથી.
                ધનસુખભાઈ એ લાખો રુપિયાનું દાન એકઠું કરી ગુજરાતના ધોરાજી પાસે આવેલા જામ કંદોણા ગામમાં ૧૮૦૦ ગાયો માટે ગૌશાળા બંધાવી ઘણું ઉમદા કાર્ય કર્યું છે, આ જ ગામમાં તેમણે ૪૦૦ જેટલા લીમડાના વૃક્ષો રોપાવ્યાં છે તેમજ દહાણુ પાસે આવેલા વૃદ્ધાશ્રમ તેમજ માનસિક રીતે અસ્થિર લોકોના આશ્રમ સાથે પણ તેઓ સંકળાયેલા છે અને જીવસેવાનું ઉદાહરણીય અને અનુકરણીય કામ તેઓ કરે છે. ઘરની બહાર નીકળે એટલે પાર્લે-જી બિસ્કીટના પાકીટ્સ તેમની પાસે હોય જ જે તેઓ રસ્તે ભિખ માગતા બાળકો કે મૂગા પશુઓને ખવડાવે છે. ક્યારેક તેઓ પોતાની ઘેર રાખેલા પશુઓ માટેના સ્ટીલના પાણીના કૂંડામાં સાકર ભેળવે છે જેથી પશુઓને પણ શરબત જેવું પાણી પીધાનો આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય!
               ધનસુખભાઈ મહેતાનો તમે ૮૧૦૮૮૩૬૯૪૯ આ નંબર પર સંપર્ક કરી શકો છો.
               બીજી એક વાત સાથે આજનો બ્લોગ લેખ પૂરો કરીશ. થોડા મહિના અગાઉ પણ રસ્તે ચાલતા મને એક ચામાચિડીયાનું બચ્ચું દિવસ દરમ્યાન એક ઝાડ નીચે પડેલું મદદ માટે હવાતિયા મારતું નજરે પડ્યું. રસ્તા વચ્ચે તેને કઈ રીતે મદદ કરવી? ચામાચિડીયાને દિવસે દેખાતું નથી અને આ તો વળી નાનકડું બચ્ચું. જો હું ઓફિસ જવામાં મોડું થશે એમ વિચારી તેને હતું ત્યાંનુ ત્યાં મૂકી ચાલ્યો જાત તો કાગડો કે અન્ય પંખી તેને હેરાન કરત અથવા મારી નાખત કે પછે તે કોઈના પગ નીચે આવી કચડાઈ મરત આથી મેં તેની મદદ કરવાનો નિર્ણય કર્યો. બાજુમાં એક મોટી ઓફિસના બિલ્ડીંગનો ગેટ હતો અને તેના સિક્યુરીટી ગાર્ડને મેં એકાદ ખાલી ખોખાની વ્યવસ્થા કરી આપવા વિનંતી કરી પણ તેણે નિસહાયતા દર્શાવી. હવે શું કરવું? તરત મને વિચાર સ્ફૂર્યો. મારી ઓફિસની બેગમાં પ્લાસ્ટીકના ડબ્બામાં સૂકો નાસ્તો હતો તે મેં એક કોથળીમાં ખાલી કરી નાખ્યો અને ડબ્બો લૂછી ચોખ્ખો કરી બાજુમાં પડેલી સળી અને ચમચીની મદદથી ચામાચિડીયાના બચ્ચાને ડબ્બામાં મૂકી દીધું. પછી ઓફિસ જઈ બર્ડ - એનિમલ હેલ્પલાઈનને ફોન કર્યો અને તેના કાર્યકર્તા થોડી વાર રહીને ચામાચિડીયાના બચ્ચાને લઈ ગયાં. તેઓ પશુ-પંખીને લોઅર પરેલ ખાતે આવેલી પ્રાણીઓની હોસ્પિટલમાં લઈ જાય છે અને યોગ્ય સારવાર બાદ તેને તેના કુદરતી રહેઠાણમાં મુક્ત મુકી દે છે. આ પ્રસંગ શેર કરવાનો આશય એટલો કે જો તમે પશુ-પંખીઓની ખરા હ્રદયથી મદદ કરવા ઇચ્છતા હશો તો માર્ગ અને સાધન ઘણાં જડી આવશે. બસ યાદ રાખવાની જરૂર છે કે ધનસુખભાઈના કહ્યાં પ્રમાણે જીવ સેવા એ જ પ્રભુ સેવા છે.
           

રવિવાર, 17 એપ્રિલ, 2011

જીવો અને જીવવા દો...

આજે છાપામાં બે એવાં સમાચાર ઉપરાઉપરી વાંચવામાં આવ્યા કે હચમચી જવાયું. છ મહિનાના દીપડાના બચ્ચાનું તાડોબા પાસે લાકડી અને લોખંડના સળિયા મારવાથી મોત નિપજ્યું. આ સમાચાર સાથે તે દીપડાના બચ્ચાની લોહીલુહાણ હાલતમાં રહેલી લાશની તસ્વીર જોઈ પોચા હ્રદયના માણસનું હૈયું તો થોડી ક્ષણો માટે ધડકવાનું ચૂકી જાય. બીજા સમાચાર એવા હતાં કે એક યુવાને રાતે એક કૂતરાને પોતાના ઘરમાં પૂરી દઈ ઢોર માર માર્યો. કૂતરાની ચીસો સાંભળી પાડોશીઓએ પોલિસમાં ફરિયાદ તો કરી પણ પોલિસ આવે એ પહેલા તે ઘાતકી યુવાને કૂતરાના શરીરને ત્રણ ટુકડામાં કાપી નાંખ્યું હતું. આજ પ્રકારની બીજી એક ખબર પણ થોડા સમય અગાઉ વાંચવામાં આવી હતી. એક દારૂડિયા ગુજરાતી માણસે, રોજ રાતે તે દારૂ પીને મોડેથી પોતાના ઘેર પાછો ફરતો ત્યારે તેની સામે ભસતી એક કૂતરીને ઘરમાં પૂરી દઈ એટલી બેરહેમીથી મારી કે તે કૂતરીની એક આંખ ફૂટી ગઈ અને તે કોમામાં સરી પડી.

આવા સમાચાર વાંચીને આપણને આટલી કંપારી છૂટે છે તો વિચારો આ અમાનવીય અત્યાચાર જ્યારે આ અબોલ પશુઓ પર ગુજારવામાં આવ્યો હશે ત્યારે તેમની શી સ્થિતી થઈ હશે?

પ્રાચીન કાળથી માણસ પ્રાણીઓનો દુરૂપયોગ પોતાના અંગત સ્વાર્થ માટે કરતો આવ્યો છે.પણ મૂંગા પ્રાણીઓ તેમના પર થતા અત્યાચાર સહન કરતા આવ્યાં છે.પણ જ્યારે માણસ હદ પાર વગરની ક્રૂરતા આચરી અન્ય સજીવો પર અમાનુષી અત્યાચાર કરે છે ત્યારે પ્રશ્ન થાય કે શું મનુષ્યને ભગવાનનો પણ ડર નહિં લાગતો હોય? કોઈ ભલે તેના આવા હિચકારા કૃત્યનું સાક્ષી ન હોય પણ તેનો અંતરાત્મા અને ઇશ્વર તો બધું જોતા જ હોય છે.

આ પૃથ્વી પર માનવ પહેલાં અન્ય જીવસ્રુષ્ટિની રચના થઈ હતી અને માત્ર બુધ્હિને કારણે મનુષ્ય બીજા જીવો કરતાં જુદો પડ્યો અને ઉત્ક્રાંતિ દ્વારા તેણે શ્રેષ્ઠ જીવન જીવવાની સિદ્ધી હાંસલ કરી પણ તેણે એ હકીકત ભૂલવી ન જોઇએ કે પૃથ્વી પર કંઈ તેના એકલાનો અધિકાર નથી.અન્ય જીવો પણ અહિં વસવાટનો એટલો જ હક ધરાવે છે જેટલો મનુષ્ય.આથી મનુષ્યે વિવેક્બુદ્ધિ વાપરી અન્ય જીવોના અસ્તિત્વને પણ સાદર સ્વીકારવું જ રહ્યું. આજકાલ દીપડા તથા અન્ય પ્રાણીઓ માનવ વસાહતોમાં ઘૂસી આવ્યા હોવાની ખબરો ઘણી વાર અખબારોમાં વાંચવા મળે છે.પણ અહિં નોંધવું રહ્યું કે આ કિસ્સાઓમાં પ્રાણીઓએ મનુષ્યના વિસ્તારમાં નહિં પણ મનુષ્યોની વન્ય વિસ્તારમાં ઘૂસણખોરીને પગલે આવા બનાવો બનવા પામે છે.મનુષ્ય વસ્તિ અને મોંઘવારી વધતા તથા જગાની અછતના પગલે જંગલની હદમાં રહેવા માંડ્યો છે અને પછી તે વન્ય પશુઓ આકર્ષાય એ પ્રકારનું જીવન જીવી દીપડા જેવા રાની પશુઓને પોતાના રહેઠાણ સુધી આમંત્રે ત્યારે વાંક કોનો કાઢવો?

બધાં મનુષ્યો પ્રાણીઓ સાથે આવી જ રીતે વર્તે છે એવું નથી.પોતાના સંતાનની જેમજ કૂતરા,બિલાડી કે ઘોડા જેવા પ્રાણીઓને પાળનારા લોકો પણ અસંખ્ય છે.ઘણાં પોતાના ઘરમાં પંખી,કાચબા કે માછલી ઉછેરીને પણ પ્રકૃતિ સાથે એક જાતનું જોડાણ બનાવે છે,જાળવે છે.તો ગાયો માટે ગમાણ બંધાવનારા,કબૂતરોને ચણ નાંખનારા અને પંખી-પ્રાણીઓ માટે ઘર બાંધનારાઓની પણ કમી નથી.ગયા મહિને જ મેં વિશ્વ ચકલી દિન નિમિત્તે જે બ્લોગ લખ્યો હતો તેના અનેક સારા પ્રતિભાવ મળ્યા અને એક ભાઈએ આ બ્લોગ વાંચી ચકલી રહી શકે તેવા ૨૫ તૈયાર ઘર પણ ખરીદ્યા.ઉનાળામાં આપણે પંખીઓની તરસ છીપાવવા એકાદ વાસણમાં કે કૂંડામાં પાણી ભરી પંખીઓ મુક્ત રીતે એ પી શકે એવી જગાએ રાખવા જોઈએ.પ્રાણીઓ કે પંખીઓ માટે રાહત કાર્યની પ્રવૃત્તિ જ્યાં પણ ચાલી રહી હોય તેમાં પોતાનાથી બની શકે એટલી નાણાંકિય કે પોતે પ્રત્યક્ષ સહભાગી થઈ મદદ કરવી જોઈએ. મૂગા પ્રાણીઓ પર જ્યાં પણ અને જ્યારે કોઈ અત્યાચાર થતો નજરે ચડે કે તરત તે અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ અને તેની જાણ પોલિસ કે યોગ્ય વ્યક્તિ કે સંસ્થાને કરવી જોઈએ.સાપ દેખાય કે બીજા કોઈ પ્રકારનું જંતુ કે અજાણ્યું જાનવર દેખાય તો તરત તેને મારી નાંખવાનો વિચાર કરવો જોઈએ નહિં અને કોઈ આમ કરી રહ્યું હોય તો તેને અટકાવવું જોઈએ.સાપ કે કોઈ પણ પ્રાણી તેમના પર હૂમલો ન થાય કે તેમને મનુષ્ય તરફથી કોઈ પ્રકારનો ભય ન જણાય ત્યાં સુધી મનુષ્ય પર હૂમલો કરતા નથી.આ વાત યાદ રાખો.આપણને મનુષ્યો ને પૃથ્વી પર રહેવાનો જેટલો હક છે તેટલો જ હક બીજા બધા જીવો ને પણ છે.ઘર આંગણે ઝાડછોડ વાવી ને પણ તમે તમારું નાનકડું યોગદાન અન્ય જીવોના સંવર્ધન માટે નોંધાવી શકો છો.

છેલ્લે ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ ટાંકીને આ બ્લોગ પૂરો કરું છું:

વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.

…અને બીજી પણ એક સરસ મજાની ગુજરાતી કવિતાના ચોક્કસ શબ્દો યાદ નથી પણ તેનો ભાવાર્થ કંઈક આ મુજબ છે:

વિશાળે જગ વિસ્તારે નથી માનવ એકલો
પ્રાણીઓ ને પંખીઓ છે ફૂલો ને છે વનસ્પતિ...