૭મી ફેબ્રુઆરી ૨૦૧૨ના દિવસે મારી પત્ની,નાનકડી દોઢ વર્ષની દિકરી,મમ્મી અને બહેન ગુજરાતથી મુંબઈ આવી રહ્યાં હતાં અને મારે તેમને લેવા સવારે પાંચ વાગે બોરિવલી સ્ટેશન જવાનું હતું. સવારે સવા ચારે ઉઠીને મેં તેમને ફોન કર્યો અને જાણવા મળ્યું કે ટ્રેન મોડી હતી અને આગળ કોઈ માલગાડીના ડબ્બા ખડી પડવાના કારણે તેઓ હજી નવસારી પાસે પહોંચ્યા હતાં, ટ્રેન ત્યાં જ ઉભી હતી અને કેટલા વાગે ત્યાંથી ઉપડશે એ કંઈ નક્કી નહોતું. આખરે એ લોકો સવારે સાડા અગિયારે બોરિવલી ઉતર્યા અને આમ તેમને ટ્રેન સાડા છ કલાક જેટલી મોડી પડી.
હવે યોગાનુયોગ જુઓ. આ વાતના બરાબર એક વર્ષ પહેલાં ૬ઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૧૧ના દિવસે હું ગુજરાતથી મુંબઈ પાછો ફરી રહ્યો હતો અને આગળ એક મેલટ્રેનના ડબ્બા ખડી પડવાના કારણે મારી ટ્રેન પણ ગુજરાતમાં જ એક જગાએ કલાકો ઉભી રહી અને નવ-દસ કલાક મોડી પડી હતી.એ દિવસે મેં તે ઘટના વિષે બ્લોગ લખ્યો હતો જે આજે તમારી સાથે શેર કરું છું.
[નીચેનો બ્લોગ છ્ઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૧૧ના દિવસે લખાયો હતો. ]
ફ્લાઈંગ રાની ટ્રેનના છ ડબ્બા સૂરત સ્ટેશન પાસે ખડી પડ્યા અને મહેસાણાથી મુંબઈ પરત ફરી રહેલ મને એ નડી પડ્યા. નાની વહાલસોયી દિકરી સહિત મારા પત્નીશ્રી એક મહિના માટે મહેસાણા પધાર્યા હતા,પોતાને પિયર. આથી તેમના ગયા બાદ પંદર દિવસે તેમની યાદ આવતા અચાનક મેં પણ મહેસાણા જવાનો પ્રોગ્રામ નક્કી કરી નાંખ્યો. તત્કાલ ક્વોટામાં જવાની શુક્રવાર રાતની ટિકીટ બૂક કરેલી એટલે શનિવારે સવારે સમયસર મહેસાણા તો પહોંચી જવાયું પણ શનિવાર રાતની જ સવા ત્રણ વાગ્યાની જોધપુર-બાન્દ્રા એક્સ્પ્રેસની રીટર્ન ટિકીટ હતી એટલે સસરાજીને અડધી રાતે તકલીફ આપવી પડી મને સ્ટેશન સુધી મૂકવા આવવાની. જે પતિઓની પત્નીઓનું પિયર દૂર હોય તેમણે આ દુ:ખ તો સહેવું જ રહ્યું,પત્નીને પિયર મૂકવા-લેવા જવાનું અને એ દરમ્યાન ઉભી થતી તકલીફો સહન કરવાનું!
સસરાજી અઢી વાગે રાતે બાઈક પર મને મહેસાણા સ્ટેશન પર મૂકવા આવ્યા અને હજી ગાડીને પોણો-એક કલાકની વાર હોવાથી મેં તેમને ઘેર પાછા ફરવાનો ખૂબ આગ્રહ કર્યો છતાં તેઓ માન્યા નહિં.
ગુજરાતી બૈરાઓને દૂરના પ્રવાસ વખતે વધુ સામાન કરવાની કુટેવ તો જગતભરમાં પ્રખ્યાત છે! પછી એ મારી મમ્મી હોય કે ફઈ હોય કે મારી પત્ની! જતી વખતે મારી તો એક નાનકડી ખભે ભેરવી શકાય એવી બેગ જ હતી પણ ફઈબાના સંપેતરાની એક મોટી બેગ મને પકડાવી દેવામાં આવેલી! પાછા ફરતી વખતે પત્નીજીએ વધારાના થોડાઘણા કપડા વગેરે ભરેલો થેલો મને સોંપી દીધો! ભલુ થજો સાસુમાનું કે તેમણે સ્વાદિષ્ટ થેપલા,ગાંઠિયા અને ફૂલવડી ભરેલી બીજી એક નાની થેલી પણ તૈયાર કરી દીધી! (સામાનમાં ઓર વધારો થવા છતા અહિં સાસુમાનું ભલુ થજો એટલા માટે કહ્યું છે કારણકે આગળ જતા એ જ થેપલા-ગાંઠિયા ગાડી અટવાઈ પડતા મને સાકર જેવા લાગ્યા હતાં!)
ગાડી પ્લેટફોર્મ નંબર બે પર આવશે એવી માહિતી સ્ટેશન પર બધી શક્ય જગાઓએથી મેળવી પાદયાત્રી પૂલ ચઢી હું અને સસરાજી આવ્યા પ્લેટફોર્મ બે ઉપર. ત્રણ વીસના નિયત સમય કરતા દસ મિનિટ મોડી ગાડી આવી તો ખરા, રાતે સાડા ત્રણે, પણ પ્લેટફોર્મ નંબર એક ઉપર. હવે આ તો મુસીબત થઈ.અડધી રાતે એક તો ટ્રેનના મોટા ભાગના ડબ્બાઓના બારણા બંધ હોય તેમાં જો આમ ટ્રેન, ડબ્બાઓ સુદ્ધાની માહિતી ઇન્ડીકેટર્સ પર એક પ્લેટફોર્મ પર લાગી ગયા હોવા છતાં બીજા પ્લેટ્ફોર્મ પર આવી ચડે તો પ્રવાસીઓ કેટલી મુસીબતમાં મુકાઈ જાય. પ્લેટફોર્મ એક પર કોઈક બીજી જ ટ્રેનનો નંબર તથા તેના ડબ્બાઓની માહિતી ઇન્ડીકેટર્સ પર દર્શાવાઈ રહી હતી તેમ છતાં મારે પકડવાની ટ્રેન પ્લેટફોર્મ બે ના બદલે પ્લેટફોર્મ એક પર જઈ ચડી. અને આટલું ઓછું હોય એમ રેલવે સ્ટેશન પરથી થતા અનાઉન્સમેન્ટના છબરડાઓએ હદ કરી નાંખી! ટ્રેન પ્લેટફોર્મ એક પર આવીને ઉભી રહી ગઈ હોવા છતાં અનાઉન્સર બાઈ ટ્રેન પ્લેટફોર્મ બે પર આવશે એમ માઈકમાં જાહેર કરે છે! કદાચ એ ઉંઘમાં હશે અને કાં પછી રેલવે સ્ટેશન પર ડ્યુટી પરના પોલિસની જેમ એણે પણ એકાદ-બે પેગ લગાવ્યા હશે! અંગ્રેજીમાં અનાઉન્સમેન્ટ પૂરું થયા બાદ હિન્દી અને ગુજરાતીમાં તે ટ્રેન પ્લેટ્ફોર્મ એક પર આવ્યાની સાચી જાહેરાત કરે છે અને ફરી પાછી અંગ્રેજીમાં બોલતી વખતે છબરડો! પ્રવાસીઓ મૂંઝાઈ જ જાય ને? હવે આ ટ્રેન મહેસાણા પ્લેટ્ફોર્મ પર ફક્ત બે મિનીટ માટે જ થોભતી હોય છે પણ પ્લેટ્ફોર્મ બે ની જગાએ એક પર આવ્યાના ગોટાળા વખતે તો ટ્રેને પાંચ-દસ મિનીટ ઉભા જ રહેવું જોઈએ.પણ આ ટ્રેન તો બે જ મિનીટ માં ઉપડી. સારું થયું મેં પદયાત્રી પુલ નો ઉપયોગ કરવાના સૈદ્ધાંતિક વિચારને અમલમાં મૂકવાને બદલે પ્લેટફોર્મ બે પર થી પાટા પર કૂદકો મારી ઉંધી બાજુએથી એસ-૧૧ ડબ્બો પકડી લીધો. મારી મમ્મી સાથે હોત તો નક્કી આ ગાડી અમે ચૂકી ગયા હોત.એને પગે વાની સખત તકલીફ છે આથી ફટાફટ ચાલી શકવું પણ મુશ્કેલ હોય ત્યાં સામાન સાથે આમ પાટા પર કૂદીને ગાડી પકડવી તેના માટે તો શક્ય જ ન બનત. રેલવે વાળાઓએ આ બાબતે કંઈક કરવું જ જોઈએ.ગાડી પ્લેટ્ફોર્મ પર આવે તે પહેલા મોટરમેને સ્ટેશનનો સંપર્ક સાધી જાણી લેવું જોઈએ કે ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે એવું અનાઉન્સ થયું છે-ઇન્ડીકેટર્સ પર નિર્દેશિત થયું છે અને પછી જો ટેક્નિકલ મુશ્કેલી કે બીજા કોઈ પણ કારણ સર ટ્રેન કોઈ જુદા પ્લેટફોર્મ પર આવે તો તેના ત્યાં થોભવાના નિયત બે-ચાર મિનિટના સમય કરતા તેણે દસેક મિનિટ વધારે થોભવું જ જોઈએ. જેથી માલસામાન સાથે અટવાઈ ગયેલા પ્રવાસીઓ ટ્રેન ચૂકી ન જાય અને પ્લેટ્ફોર્મ યોગ્ય રીતે બદલી (પાટા પરથી કૂદી ને નહિં પણ પુલ દ્વારા યોગ્ય પ્લેટફોર્મ પર આવી) શકે.
હું તો ચડી ગયો જોધપુર-બાન્દ્રા એક્સપ્રેસમાં ઉંધી બાજુએ થી અને મારા સસરા પણ એ જ રીતે ટ્રેનમાં પ્રવેશી પ્લેટફોર્મ-૧ પર ઉતરી ગયા. અને બે જ મિનિટમાં ટ્રેન ચાલુ થઈ ગઈ. સારા નસીબે મેં જે ડબ્બાની ટિકીટ કઢાવેલી તે એસ-૧૧ ડબ્બાનાં જ બન્ને બાજુના બારણા ઉઘાડા હતા અને હું ગાડી પકડી શક્યો.
રમૂજી, પણ સત્ય નિયમ મુજબ જો કંઈ ખોટું થઈ શકે એમ હોય તો એ એમ થાય જ છે! અને બધી ખોટી વસ્તુઓ એક સાથે જ બને છે! અર્થાત મુસીબતો આવે ત્યારે એક સાથે ઘણીબધી આવે છે! હું ચારેક કલાક ઉંઘ્યા બાદ જાગ્યો ત્યારે ટ્રેન વડોદરા પછીના કોઈક નાનકડા સ્ટેશન પાસે ઉભેલી હતી.'વરણામા' હતું એ ગામનું નામ અને સ્ટેશનતો કેમ કહેવું? ન કોઈ પ્લેટફોર્મ ન કોઈ બાંકડો.. ફક્ત પીળા રંગનું મોટું કાળા અક્ષરે સ્ટેશનનું નામ લખેલું બોર્ડ હતું. ડબ્બામાંથી ઘણાં લોકો નીચે ઉતરી ગયેલા હતાં.સામે સરસ ખેતરો હતાં અને સૂર્યનો સુકોમળ તડકો હતો.બ્રશ વગેરે પતાવી મોં ધોઈ હું પણ નીચે ઉતર્યો અને સવારના સરસ વાતાવરણને મેં માણ્યું. થોડાઘણાં ફોટા પાડ્યા.અને એક-દોઢ કલાક બાદ ગાડી ત્યાંથી ઉપડી.થોડું આગળ વધ્યા બાદ ફરી અટકી. અહિં પણ તે લાંબો સમય પડી રહી.ખબર પડી કે આગળની કોઈક ગાડીને અકસ્માત નડ્યો હોવાથી અમારી ગાડી પણ અટકી હતી.મારે સાડાબાર સુધીમાં મુંબઈ પહોંચી જવાનું હતું અને આ તો એટલો સમય થવા આવ્યો હોવા છતાં હું સુરતથી પણ ખાસ્સો દૂર હતો. ઠીચૂક ઠીચૂક ચાલતી ગાડી સુરત નજીકના ઉતરણ સ્ટેશન નજીક પહોંચી અને અહિં તો તે ત્રણ-ચાર કલાક ઉભી રહી.મારા સહિતના બધાં પ્રવાસીઓ જબરદસ્ત કંટાળી ગયા.મારા ઘરેથી તેમજ સાસરેથી ફોન પર ફોન આવ્યે જતા હતા.મારા સસરાએ ટી.વી. પર જોઈ સમાચાર આપ્યા કે સુરત પાસે ફ્લાઈંગ રાની ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હતા. એટલે બધી ટ્રેનો અટવાઈ ગઈ હતી - મોડી પડી હતી.બપોરે સાડા બારે મુંબઈ પહોંચી જવાની જગાએ સાંજે છ વાગે હજી મારી ટ્રેન ઉતરણ પાસે ઉભી હતી - જડાઈ ગઈ હતી.ભયંકર કંટાળો કોને કહેવાય તેનો અનુભવ આ પાંચ-છ કલાક દરમ્યાન મને અને બીજા અનેક સહપ્રવાસીઓને થઈ ગયો. કેટલાકે તો માથે બિસ્તરાપોટલા લઈ ગાડીમાંથી ઉતરી સુરત તરફ જવા પ્રયાણ પણ કર્યું.મેં મારી સાથે લાવેલા જૂના છાપા વાંચી કાઢ્યા,સાસુમાએ પ્રેમથી સાથે મોકલી આપેલ થેપલા-ગાંઠિયા ખાધાં,ઇડલીચટણી,વડાપાવ અને પોપકોર્ન ખરીદ્યા અને ખાધા,ચાર-પાંચ વાર ચા પીધી, મોબાઈલમાં સંગીત સાંભળ્યું અને આ બ્લોગ લખી નાંખ્યો! અત્યારે પોણા આઠ વાગ્યા છે.ગાડીએ માંડ માંડ ઝડપ પકડી છે અને હું કદાચ સાડા દસ અગિયાર સુધી બોરિવલી પહોંચી જઈશ.
થોડા ઘણાં પાઠ હું આ અનુભવ પરથી શીખ્યો તે તમે પણ ધ્યાનમાં લેશો. એક તો બને ત્યાં સુધી અડધી રાત બાદની (બે-ત્રણ વાગ્યાની) ગાડીની ટિકીટ ન કઢાવવી. મુસાફરીમાં બને એટલો સામાન ઓછો રાખવો પણ થોડુંઘણું ખાવાનું સાથે લેવું. અટવાઈ પડીએ એવી સ્થિતી ઉભી થાય તો સમય કાપવા શોખ હોય એવી વસ્તુઓ સાથે રાખવી (પુસ્તકો,મ્યુઝિક પ્લેયર અને સી.ડી. અથવા મોબાઈલ-આઈપોડ,જૂન છાપા,પત્તાની કેટ વગેરે) ટ્રાવેલ કીટ સાથે રાખવી જેમાં દાઢી કરવાનો સામાન,ટૂથ બ્રશ,કોલ્ડક્રીમ,હેન્ડ સોપ વગેરે હોય.બને ત્યાં સુધી મહત્વની મુલાકાત કે પ્રવૃત્તિ મુસાફરીના પૂરા થયા બાદ તરત ન ગોઠવવી.કનેક્ટિંગ ફ્લાઈટ કે બીજી ટ્રેનની મુસાફરી તો બને ત્યાં સુધી ટાળવી જ. તમારું શેડ્યુલ જ પહેલેથી એવી રીતે પ્લાન કરવું કે મહત્વની કોઈ બાબત તમારી એક મુસાફરી ખોરવાઈ જતા અસર ન પામે. છેલ્લે, મને આજે આ ગાડીની મુસાફરી જેવી નડી તેવી તમને કોઈને ના નડશો એવી અભ્યર્થના સાથે આ બ્લોગ અહિં પૂરો કરું છું!
શનિવાર, 25 ફેબ્રુઆરી, 2012
શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012
સાધુ-સંતને ખોટો ક્રોધ શોભે?
વિશ્વ યુવા દિને સ્વામી વિવેકાનંદજી ની દોઢસોમી જન્મતિથી ઉજવવા અમદાવાદથી યુવાનોના એક ગૃપે આવીને સુંદર નાટક ભજવ્યું જેમાં સ્વામીજીના જીવનના કેટલાક અતિ સારા, પ્રેરણાત્મક અંશો તખ્તા ઉપર રજૂ થયાં. હિન્દી ભાષામાં રજૂ થયેલી આ ભજવણીમાં કેટલાક એવા પ્રસંગો સમાવિષ્ટ હતાં જે મેં ક્યારેય વાંચ્યા કે સાંભળ્યા નહોતાં. હજારેક કરતાં પણ વધુ સીટ ધરાવતો આખો સભાગૃહ હાઉસફુલ થઈ ગયો હતો,એ પણ રવિવારની રજાને દિવસે શિયાળાની વહેલી સવારે અને જેમાં મોટા ભાગના પ્રેક્ષકો કોલેજ જતાં યુવાન-યુવતિઓ હતાં,એ જોઈ મને ખૂબ ખુશી થઈ! સભાગૃહની આગળની ત્રણ હરોળ ખાસ સાધુ-સંત-મહંતો માટે ફાળવાઈ હતી. થોડો મોડો પડતા, મને બેસવા માટે સીટ ન મળી પણ વિવેકાનંદજીના જીવનના પ્રસંગો વાળા આ નાટક માણવાની ઉત્કંઠા એટલી હતી કે આખુ નાટક મેં સ્ટેજ પર એક બાજુએ, સાઈડમાં બેસીને જોયું!
હવે આ નાટક જોતી વખતે એક ઘટના બની જે આજના બ્લોગ થકી ચર્ચવી છે. વિવેકાનંદજીના જીવનનો એક અતિ રસપ્રદ પ્રસંગ ભજવાઈ રહ્યો હતો.તેઓ ટેકડી નામના સ્થળે સ્ટેશન બહાર એક ઝાડ નીચે બેસી કેટલાં પંડિતો સાથે ધર્મની- જ્ઞાનની ચર્ચા કરી રહ્યા હતા.ત્રણ દિવસ સુધી સતત તેમનો સત્સંગ ચાલ્યો પણ શ્રોતાઓમાંથી કોઈએ સ્વામીજીને ભોજન વિષે પૃચ્છા ન કરી. આ બધુ ત્યાં પાસે પોતાની દુકાનમાં બેઠેલો એક મોચી જોઈ રહ્યો હતો. સ્વામીજી અને બ્રાહ્મણોની ચર્ચા પૂરી થઈ અને જ્યારે બધાં વિખેરાઈ ગયાં, ત્યાર બાદ મોચી સ્વામીજી પાસે આવ્યો અને તેણે સ્વામીજીને ભોજન આપવાની ઇચ્છા વ્યક્ત કરી. વિવેકાનંદે તો મોચીને આગ્રહ કરીને પોતાની સાથે જ જમવા બેસાડ્યો. પોતે નીચા કુળનો હોવાને લીધે મોચી, ‘તેના હાથનું ખાવાનું સ્વામીજી કઈ રીતે ખાઈ શકે’ એવા ડર સાથે સ્વામાજીથી દૂર ભાગવા પ્રયત્ન કરતો રહ્યો પણ બ્રાહમણ પંડિતો તેને સ્વામીજી ભેગો જોઈ ગયા અને જાણે તેનાથી કોઈ મોટો અપરાધ કે મોટું પાપ થઈ ગયાં હોય એમ તેઓ 'શિવ શિવ શિવ...' કરતા તેને ધૂત્કારવા માંડ્યા. સ્વામીજી તેમને સાચી સમજણ આપી રહ્યા હતા કે બધાં મનુષ્યો સમાન છે અને વર્ણભેદના આવા વાડા ઉભા ન કરવાં જોઇએ - આ દ્રષ્ય મંચ પર ભજવાઈ રહ્યું હતું ત્યાં તો આગળની સાધુ-સંત-મહંતોની હરોળમાંથી એક લાંબા જટિયા અને દાઢી ધારી યુવાન સાધુ મંચની એકદમ નજીક ધસી ગયો અને મોટે મોટે થી બરાડા પાડવા માંડ્યો 'બંધ કરો...બંધ કરો નાટક...'
હું તો સ્ટેજ પર જ આગળ બેઠેલો હતો તેથી મને આ બધો ડ્રામા સ્પષ્ટ જોવા મળ્યો. હું વિચારી જ રહ્યો હતો કે શા માટે તે આવું વર્તન કરી રહ્યો હશે ત્યાં તેના મુખે જ બોલાયેલા આ શબ્દોએ મારી શંકા દૂર કરી નાંખી,'બ્રાહમણો કો નીચા ક્યું દિખાયા..? બંધ કરો ...' આમ બોલતા તેણે પોતાના હાથ માં રહેલ કાગળિયા અને પુસ્તક કલાકારો પર ફંગોળ્યા. સદનસીબે મંચ ખાસ્સુ મોટુ હતું તેથી એમાનું કંઈ કલાકારો સુધી પહોંચ્યું નહિં અને એ કલાકારોને પણ દાદ આપવી ઘટે કે આ સાધુના આવા અકલ્પ્ય અને અચાનક થયેલાં આક્રમક વિરોધ પ્રદર્શન છતાં જરાય વિચલિત થયા સિવાય તેમણે નાટકની ભજવણી ચાલુ જ રાખી. કેટલાક આયોજકો અને અન્ય સંતો તરત આગળ દોડી ગયાં અને બાવડું ઝાલી યુવાન સાધુને બહાર ખેંચી ગયા. એક સાધુ પુરુષને આવો ક્રોધ શોભે? ઘણાં લોકોને ઘટનાઓ કે સામાન્ય વાત કે પ્રસંગમાં વાંકુ જોવાની જ કુટેવ હોય છે. સ્વામીજી વાળા પ્રસંગમાં વર્ણભેદ મિટાવવાની સારી વાત સ્પષ્ટ દેખાતી હોવા છતાં પેલા યુવાન સંતે બ્રાહમણોને નીચા દેખાડ્યા હોવાનું જોઈ-વિચારી લીધું. સુખી થવું હોય તો ક્યારેક સહન કરીને કે કોઈકે કહેલી વાત ન ગણકારતાં પણ શીખવું જોઇએ તો અહિં તો આ સાધુએ જે કહેવાનો આશય જ નહોતો એ ગોતી કાઢી એક ઉમદા પ્રયત્નને બિરદાવવાની જગાએ આખું નાટક ખોરવવાનો પ્રયાસ કર્યો. મને આ જરા પણ ન ગમ્યું. આવી વ્યક્તિને તો સંત કે સાધુ કહી પણ કઈ રીતે શકાય?
હવે આ નાટક જોતી વખતે એક ઘટના બની જે આજના બ્લોગ થકી ચર્ચવી છે. વિવેકાનંદજીના જીવનનો એક અતિ રસપ્રદ પ્રસંગ ભજવાઈ રહ્યો હતો.તેઓ ટેકડી નામના સ્થળે સ્ટેશન બહાર એક ઝાડ નીચે બેસી કેટલાં પંડિતો સાથે ધર્મની- જ્ઞાનની ચર્ચા કરી રહ્યા હતા.ત્રણ દિવસ સુધી સતત તેમનો સત્સંગ ચાલ્યો પણ શ્રોતાઓમાંથી કોઈએ સ્વામીજીને ભોજન વિષે પૃચ્છા ન કરી. આ બધુ ત્યાં પાસે પોતાની દુકાનમાં બેઠેલો એક મોચી જોઈ રહ્યો હતો. સ્વામીજી અને બ્રાહ્મણોની ચર્ચા પૂરી થઈ અને જ્યારે બધાં વિખેરાઈ ગયાં, ત્યાર બાદ મોચી સ્વામીજી પાસે આવ્યો અને તેણે સ્વામીજીને ભોજન આપવાની ઇચ્છા વ્યક્ત કરી. વિવેકાનંદે તો મોચીને આગ્રહ કરીને પોતાની સાથે જ જમવા બેસાડ્યો. પોતે નીચા કુળનો હોવાને લીધે મોચી, ‘તેના હાથનું ખાવાનું સ્વામીજી કઈ રીતે ખાઈ શકે’ એવા ડર સાથે સ્વામાજીથી દૂર ભાગવા પ્રયત્ન કરતો રહ્યો પણ બ્રાહમણ પંડિતો તેને સ્વામીજી ભેગો જોઈ ગયા અને જાણે તેનાથી કોઈ મોટો અપરાધ કે મોટું પાપ થઈ ગયાં હોય એમ તેઓ 'શિવ શિવ શિવ...' કરતા તેને ધૂત્કારવા માંડ્યા. સ્વામીજી તેમને સાચી સમજણ આપી રહ્યા હતા કે બધાં મનુષ્યો સમાન છે અને વર્ણભેદના આવા વાડા ઉભા ન કરવાં જોઇએ - આ દ્રષ્ય મંચ પર ભજવાઈ રહ્યું હતું ત્યાં તો આગળની સાધુ-સંત-મહંતોની હરોળમાંથી એક લાંબા જટિયા અને દાઢી ધારી યુવાન સાધુ મંચની એકદમ નજીક ધસી ગયો અને મોટે મોટે થી બરાડા પાડવા માંડ્યો 'બંધ કરો...બંધ કરો નાટક...'
હું તો સ્ટેજ પર જ આગળ બેઠેલો હતો તેથી મને આ બધો ડ્રામા સ્પષ્ટ જોવા મળ્યો. હું વિચારી જ રહ્યો હતો કે શા માટે તે આવું વર્તન કરી રહ્યો હશે ત્યાં તેના મુખે જ બોલાયેલા આ શબ્દોએ મારી શંકા દૂર કરી નાંખી,'બ્રાહમણો કો નીચા ક્યું દિખાયા..? બંધ કરો ...' આમ બોલતા તેણે પોતાના હાથ માં રહેલ કાગળિયા અને પુસ્તક કલાકારો પર ફંગોળ્યા. સદનસીબે મંચ ખાસ્સુ મોટુ હતું તેથી એમાનું કંઈ કલાકારો સુધી પહોંચ્યું નહિં અને એ કલાકારોને પણ દાદ આપવી ઘટે કે આ સાધુના આવા અકલ્પ્ય અને અચાનક થયેલાં આક્રમક વિરોધ પ્રદર્શન છતાં જરાય વિચલિત થયા સિવાય તેમણે નાટકની ભજવણી ચાલુ જ રાખી. કેટલાક આયોજકો અને અન્ય સંતો તરત આગળ દોડી ગયાં અને બાવડું ઝાલી યુવાન સાધુને બહાર ખેંચી ગયા. એક સાધુ પુરુષને આવો ક્રોધ શોભે? ઘણાં લોકોને ઘટનાઓ કે સામાન્ય વાત કે પ્રસંગમાં વાંકુ જોવાની જ કુટેવ હોય છે. સ્વામીજી વાળા પ્રસંગમાં વર્ણભેદ મિટાવવાની સારી વાત સ્પષ્ટ દેખાતી હોવા છતાં પેલા યુવાન સંતે બ્રાહમણોને નીચા દેખાડ્યા હોવાનું જોઈ-વિચારી લીધું. સુખી થવું હોય તો ક્યારેક સહન કરીને કે કોઈકે કહેલી વાત ન ગણકારતાં પણ શીખવું જોઇએ તો અહિં તો આ સાધુએ જે કહેવાનો આશય જ નહોતો એ ગોતી કાઢી એક ઉમદા પ્રયત્નને બિરદાવવાની જગાએ આખું નાટક ખોરવવાનો પ્રયાસ કર્યો. મને આ જરા પણ ન ગમ્યું. આવી વ્યક્તિને તો સંત કે સાધુ કહી પણ કઈ રીતે શકાય?
મંગળવાર, 31 જાન્યુઆરી, 2012
૨૬મી જાન્યુઆરી : આપણો પ્રજાસતાક દિવસ
૨૬મી જાન્યુઆરીએ આપણા ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે. આપણે તેને પ્રજાસતાક દિન તરીકે પણ ઓળખીએ છીએ. પણ શું ગણતંત્ર કે પ્રજાસતાકનો ખરો અર્થ આપણે જાણીએ છીએ? એ જાણતાં પહેલાં થોડી બીજી રસપ્રદ ચર્ચા કરીએ.રાષ્ટ્રિય દિવસ તરીકે મોટા ભાગનાં રાષ્ટ્રો પોતાના આઝાદી દિનની અથવા પ્રજાસતાક દિનની ઉજવણી કરે છે. તો કેટલાક દેશોમાં આ દિવસ તેમનાં રાજા કે કોઈ મહાન સંતનાં જન્મદિવસે પણ ઉજવાય છે. મોટા ભાગનાં દેશોમાં આ દિવસે જાહેર રજા હોય છે તો જમૈકા અને થાઈલેન્ડ જેવા કેટલાક દેશોમાં તો આ દિવસ કોઈ એક ચોક્કસ દિવસે ન ઉજવાતાં જુદે જુદે દિવસે પણ મનાવાય છે!ભારત સિવાય પ્રજાસત્તાક દિનની ઉજવણી જાન્યુઆરી માસ માં કરનાર રાષ્ટ્રો સ્લોવેકિયા અને બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના છે. અન્ય રાષ્ટ્રોમાં ફેબ્રુઆરીમાં ગુયાના અને હંગેરી તો માર્ચમાં પાકિસ્તાન, એપ્રિલમાં ઇરાન તો મે માં અર્મેનિયા, અઝેરબૈજાન અને નેપાળ, જુનમાં ઇટાલી અને જુલાઈમાં ગ્રીસ ,ઘાના, ફિલિપાઈન્સ, ઇરાક અને તુનિસિયા, સપ્ટેમ્બરમાં ત્રિનિદાદ અને તોબેગો ,ઓક્ટોબરમાં પોર્ટુગલ,ચીન, કઝાખસ્તાન, જર્મની અને તુર્કી, નવેમ્બરમાં માલ્દિવ્ઝ,બ્રાઝિલ તો ડિસેમ્બરમાં માલ્તા અને નાઈજર જેવા રાષ્ટ્રો પોતપોતાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે. તો દક્ષિણ આફ્રિકા, યુગોસ્લાવિયા અને રોડેશિયા જેવા કેટલાક રાષ્ટ્રોમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થોડાંઘણાં વર્ષો સુધી નિયમિત થયા બાદ વિવિધ કારણો સર બંધ પણ કરી દેવાઈ છે.ભારતને ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી પ્રાપ્ત થઈ અને ત્યાર બાદ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડાવાની શરૂઆત થઈ. ૧૯૪૯ની ૨૬મી નવેમ્બરે આ બંધારણ ધારાસભામાં પસાર થયું. ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીથી આ બંધારણના અમલની શરૂઆત તેમજ લોકશાહી સરકાર વ્યવસ્થા સાથે ભારત સાચા અર્થમાં પ્રજાસત્તાક બન્યું. ૨૬મી જાન્યુઆરીનો દિવસ પસંદ કરવાનું મુખ્ય કારણ એ હતું કે ૧૯૩૦ની ૨૬મી જાન્યુઆરીને દિવસે બ્રિટીશરાજ માંથી સંપૂર્ણ મુક્તિ માટેનું, પૂર્ણ સ્વરાજ માટેનું ભારતની આઝાદીનું જાહેરનામુ ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસે પસાર કર્યું હતું.ભારતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે દેશની રાજધાની દિલ્હીના રાજપથ નજીક એક ભવ્ય પરેડ યોજાય છે જેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન પાસેના રાઈસેના હિલ ખાતેથી થાય છે અને આ પરેડ રાજપથ પરથી પસાર થઈ, પ્રસિદ્ધ ઇન્ડિયા ગેટ પાસેથી થઈ ઐતિહાસિક લાલ કિલ્લા સુધી જાય છે. પાયદળ, હવાઈ દળ અને યાંત્રિક લશ્કરી સંગઠિત ટુકડીઓ દ્વારા ભારતીય લશ્કર, નૌકા દળ અને હવાઈ દળોના જવાન પોતપોતાની સુશોભિત યુદ્ધ સામગ્રી સહિત કતાર બદ્ધ થઈ આ પરેડ બનાવે છે અને ભારતીય લશ્કરી દળના અધ્યક્ષ એવા રાષ્ટ્રપતિને સલામી આપે છે.આ પરેડના મુખ્ય અતિથિ અન્ય કોઈ રાષ્ટ્રના વડા કે સરકારી અધિકારી બને છે.ભારતીય સાંસ્ક્રુતિક વારસાનું પ્રતિનિધિત્વ કરતા લોકન્રુત્યો કરતા સમૂહો પણ આ પરેડનું અનેરું આકર્ષણ બની રહે છે.આ પરેડનું પારંપારિક રીતે ભારતના હવાઈ દળના લડાયક વિમાનો આકાશમાં ખાસ રીતે ઉડી રંગીન ધુમ્રસેરો દ્વારા ભારતીય તિરંગો બનાવી સમાપન કરે છે. આ જ પ્રકારની પરેડો ભારતના દરેક રાજ્ય સ્તરે પણ યોજાય છે જ્યાં જે તે રાજ્યના ગવર્નર્સને સલામી ભરાય છે.પ્રજાસત્તાક દિનની ઉજવણીનું સત્તાવાર રીતે સમાપન ૨૬મી જાન્યુઆરીના ચાર દિવસ પછી એટલે કે ૩૦મી જાન્યુઆરીના દિવસે થાય છે જેને 'બીટીંગ રીટ્રીટ' કહેવાય છે.આ બધી તો થઈ ઉજવણીની વાતો... પણ શું આજે ભારત એક સાચું ગણતંત્ર કે પ્રજાસતાક રાષ્ટ્ર છે?
હાલમાં જ જયપુર ખાતે સાહિત્ય જગતનો એક ખાસ્સો મોટો કાર્યક્રમ જયપુર લિટ ફેસ્ટ યોજાઈ ગયો અને તે સલમાન રશ્દીને લઈને ખાસ્સો ચર્ચાસ્પદ બની રહ્યો.ભારતીય મૂળના આ એન.આર.આઈ લેખકને આ કાર્યક્રમમાં તેના અતિ ચર્ચાસ્પદ પુસ્તક 'સેતાનિક વર્સીસ'માં તેમણે મુસ્લીમો વિરુદ્ધ કરેલી કેટલીક ટીપ્પણીને લીધે જાનથી મારી નાંખવાની ધમકી મળી. આ પુસ્તક જ્યારે વર્ષો પહેલાં પ્રકાશિત થયેલું ત્યારે જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.પણ આટલાં વર્ષો બાદ પણ આ વયસ્કાને ખ્યાતનામ લેખકને ભારતમાં સાહિત્ય જગતના એક મોટા મંચ પર આવવા ન તો ભારત સરકાર તરફથી હોઈ આમંત્રણ પાઠવાયું ન તો તેમને સુરક્ષાની કોઈ ખાતરી સરકાર તરફથી આપવામાં આવી અને લેખકે પોતાની જાનનો ખતરો હોઈ અહિં આવવાનું માંડી વાળ્યું. શું આ પ્રજાસત્તાક રાષ્ટ્ર માટે માન્ય ઘટના ગણાય?
અને આવા તો અનેક કિસ્સા લાંબા સમયથી બનતાં જ આવ્યા છે.વિશ્વભરમાં સારી એવી ખ્યાતિ પામેલા વયોવ્રુદ્ધ ચિત્રકાર એમ.એફ.હુસૈનની પોતાની માત્રુભૂમિ ભારતમાં મરવાની અંતિમ ઇચ્છા પૂરી ન થી શકી?કારણ? તેમનાં પર ભારત આવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તસ્લીમા નસરીનના લજ્જા પુસ્તકે પણ સારો એવો હોબાળો મચાવ્યો હતો.શું કલાકાર કે લેખક કે સર્જકને અભિવ્યક્તિની છૂટ એ પ્રજાસતાક રાષ્ટ્રની સાચી ઓળખ નથી?આ દ્રષ્ટીએ જોઇએ તો ભારત સાચા અર્થમાં એક પ્રજાસત્તાક દેશ ગણી શકાય?યુવાનો-યુવતિઓ વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરે કે પબમાં રીલાય્ક્સ થવા જાય ત્યારે સમાજના કહેવાતા ઠેકેદારો 'મોરલ પોલિસ' બની જઈ તેમની સ્વતંત્રતા પર તરાપ મારે અને યુવાનોની મારઝૂડ તો કરે પણ યુવતિઓ સાથે પણ અભદ્ર વર્તન કરે એમાં ક્યાં દેશમાં ગણતંત્ર હોવાના દર્શન થાય છે?આવા તંત્રને તો અંધેર તંત્ર જ ગણી શકાય.ભ્રષ્ટાચાર સામે જંગે ચડેલાં ભડવીર અન્ના હજારેને પહેલાં તો લોકોએ ઉત્સાહમાં આવી જઈ ભરપૂર ટેકો જાહેર કર્યો પણ બીજી વાર જ્યારે તેઓ મજબૂત લોકપાલ કાયદો ઘડાય એ માટે ઉપવાસ પર ઉતર્યાં ત્યારે લોકોએ તેમનો સાથ ન આપ્યો અને અન્નાજીએ ઉપવાસ વહેલાં જ તોડી નાંખવા પડ્યા.બાબા રામદેવ ઉપર તાજેતરમાં જ કોઇએ લખવાની સહી છાંટી તેમનો વિરોધ કર્યો. તે પણ અન્નાજીની જેમ થોડા સમય અગાઉ ઉપવાસ પર ઉતર્યાં હતા ત્યારે સરકાર અને પોલિસે તેમને એ રીતે રોક્યા કે બાબાએ સ્ત્રી વેશ ધારણ કરી મેદાન છોડી ભાગી જવું પડ્યું.શરદ પવારના ગાલ પર લાફો ઝીંકાયો તો કંઈ કેટલાય નેતાઓ પર જૂતા ફેંકાવાના બનાવોની પણ આખી એક લાંબી યાદી તૈયાર થઈ શકે.શું આ બધા એક આદર્શ પ્રજાસત્તાક રાષ્ટ્રના લક્ષણો છે?
જોકે આ પ્રશ્ન કે સમસ્યા અંગે ઘણા અંશે આપણે ભારતની પ્રજા જ જવાબદાર છે.શું આપણે જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ નિભાવીએ છીએ ખરાં?ચૂંટણી વેળાએ મત આપવાને બદલે મિનિવેકેશન માણવા ઉપડી જ ઇએ પછી જે નેતા ચૂંટાઈને આવે તેની પાસેથી સારી અપેક્ષા રાખવી એ યોગ્ય છે?
હજી મોડું નથી થયું. જાગ્યા ત્યારથી સવાર આ કહેવતને અનુસરી ટૂંક સમયમાં જ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી સારા અને યોગ્ય ઉમેદવારને જ ચૂંટીશું તો જે સારા નેતાઓ ચૂંટાઈ આવશે તે ચોક્કસ ભારતને સાચા અર્થમાં પ્રજસત્તાક રાષ્ટ્ર બનાવી શકશે એમાં કોઈ બેમત નથી.આવો એવી શુભ કામના કરીએ કે ભારત ખરા અર્થમાં એક ગણતંત્ર બની રહે…
હાલમાં જ જયપુર ખાતે સાહિત્ય જગતનો એક ખાસ્સો મોટો કાર્યક્રમ જયપુર લિટ ફેસ્ટ યોજાઈ ગયો અને તે સલમાન રશ્દીને લઈને ખાસ્સો ચર્ચાસ્પદ બની રહ્યો.ભારતીય મૂળના આ એન.આર.આઈ લેખકને આ કાર્યક્રમમાં તેના અતિ ચર્ચાસ્પદ પુસ્તક 'સેતાનિક વર્સીસ'માં તેમણે મુસ્લીમો વિરુદ્ધ કરેલી કેટલીક ટીપ્પણીને લીધે જાનથી મારી નાંખવાની ધમકી મળી. આ પુસ્તક જ્યારે વર્ષો પહેલાં પ્રકાશિત થયેલું ત્યારે જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.પણ આટલાં વર્ષો બાદ પણ આ વયસ્કાને ખ્યાતનામ લેખકને ભારતમાં સાહિત્ય જગતના એક મોટા મંચ પર આવવા ન તો ભારત સરકાર તરફથી હોઈ આમંત્રણ પાઠવાયું ન તો તેમને સુરક્ષાની કોઈ ખાતરી સરકાર તરફથી આપવામાં આવી અને લેખકે પોતાની જાનનો ખતરો હોઈ અહિં આવવાનું માંડી વાળ્યું. શું આ પ્રજાસત્તાક રાષ્ટ્ર માટે માન્ય ઘટના ગણાય?
અને આવા તો અનેક કિસ્સા લાંબા સમયથી બનતાં જ આવ્યા છે.વિશ્વભરમાં સારી એવી ખ્યાતિ પામેલા વયોવ્રુદ્ધ ચિત્રકાર એમ.એફ.હુસૈનની પોતાની માત્રુભૂમિ ભારતમાં મરવાની અંતિમ ઇચ્છા પૂરી ન થી શકી?કારણ? તેમનાં પર ભારત આવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તસ્લીમા નસરીનના લજ્જા પુસ્તકે પણ સારો એવો હોબાળો મચાવ્યો હતો.શું કલાકાર કે લેખક કે સર્જકને અભિવ્યક્તિની છૂટ એ પ્રજાસતાક રાષ્ટ્રની સાચી ઓળખ નથી?આ દ્રષ્ટીએ જોઇએ તો ભારત સાચા અર્થમાં એક પ્રજાસત્તાક દેશ ગણી શકાય?યુવાનો-યુવતિઓ વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરે કે પબમાં રીલાય્ક્સ થવા જાય ત્યારે સમાજના કહેવાતા ઠેકેદારો 'મોરલ પોલિસ' બની જઈ તેમની સ્વતંત્રતા પર તરાપ મારે અને યુવાનોની મારઝૂડ તો કરે પણ યુવતિઓ સાથે પણ અભદ્ર વર્તન કરે એમાં ક્યાં દેશમાં ગણતંત્ર હોવાના દર્શન થાય છે?આવા તંત્રને તો અંધેર તંત્ર જ ગણી શકાય.ભ્રષ્ટાચાર સામે જંગે ચડેલાં ભડવીર અન્ના હજારેને પહેલાં તો લોકોએ ઉત્સાહમાં આવી જઈ ભરપૂર ટેકો જાહેર કર્યો પણ બીજી વાર જ્યારે તેઓ મજબૂત લોકપાલ કાયદો ઘડાય એ માટે ઉપવાસ પર ઉતર્યાં ત્યારે લોકોએ તેમનો સાથ ન આપ્યો અને અન્નાજીએ ઉપવાસ વહેલાં જ તોડી નાંખવા પડ્યા.બાબા રામદેવ ઉપર તાજેતરમાં જ કોઇએ લખવાની સહી છાંટી તેમનો વિરોધ કર્યો. તે પણ અન્નાજીની જેમ થોડા સમય અગાઉ ઉપવાસ પર ઉતર્યાં હતા ત્યારે સરકાર અને પોલિસે તેમને એ રીતે રોક્યા કે બાબાએ સ્ત્રી વેશ ધારણ કરી મેદાન છોડી ભાગી જવું પડ્યું.શરદ પવારના ગાલ પર લાફો ઝીંકાયો તો કંઈ કેટલાય નેતાઓ પર જૂતા ફેંકાવાના બનાવોની પણ આખી એક લાંબી યાદી તૈયાર થઈ શકે.શું આ બધા એક આદર્શ પ્રજાસત્તાક રાષ્ટ્રના લક્ષણો છે?
જોકે આ પ્રશ્ન કે સમસ્યા અંગે ઘણા અંશે આપણે ભારતની પ્રજા જ જવાબદાર છે.શું આપણે જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ નિભાવીએ છીએ ખરાં?ચૂંટણી વેળાએ મત આપવાને બદલે મિનિવેકેશન માણવા ઉપડી જ ઇએ પછી જે નેતા ચૂંટાઈને આવે તેની પાસેથી સારી અપેક્ષા રાખવી એ યોગ્ય છે?
હજી મોડું નથી થયું. જાગ્યા ત્યારથી સવાર આ કહેવતને અનુસરી ટૂંક સમયમાં જ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી સારા અને યોગ્ય ઉમેદવારને જ ચૂંટીશું તો જે સારા નેતાઓ ચૂંટાઈ આવશે તે ચોક્કસ ભારતને સાચા અર્થમાં પ્રજસત્તાક રાષ્ટ્ર બનાવી શકશે એમાં કોઈ બેમત નથી.આવો એવી શુભ કામના કરીએ કે ભારત ખરા અર્થમાં એક ગણતંત્ર બની રહે…
રવિવાર, 22 જાન્યુઆરી, 2012
વાત મુંબઈ મેરેથોન અને જીવન મેરેથોનની...
ગયા રવિવારે મેં મુંબઈ મેરેથોનમાં સતત ત્રીજે વર્ષે છ કિલોમીટરની 'ડ્રીમ રન' કેટેગરીમાં દોડી મારી હેટ-ટ્રીક પૂરી કરી ! ખૂબ મજા આવી મેરેથોનમાં હજારો બીજા ઉત્સાહી મુંબઈકર અને અન્ય રાજ્યોમાંથી પણ ખાસ અહિં દોડવા આવતા દોડવીરો સાથે, સામાન્ય રીતે વાહનોના ટ્રાફીકથી ખદબદતી મુંબઈની સડકો પર મુક્ત રીતે ચાલવાની! મેરેથોનનો ડિકશ્નરી અર્થ તો આશરે ૪૨ કિલોમીટરનું કે ૨૬ યાર્ડ જેટલું અંતર દોડીને કાપવું એવો થાય પણ મેં 'ચાલવાની' મજા આવે એમ એટલા માટે કહ્યું કારણ કે ડ્રીમ રનમાંતો છ કિલોમીટર જેટલું અંતર કાપવા-ચાલવામાં પણ મુશ્કેલી પડે એટલી ભીડ આ વખતે અનુભવવા મળી!
પણ ચાલવાનું હોય કે દોડવાનું, મેરેથોન એટલે મેરેથોન!
મને આ દોડ ઇવેન્ટમાં ભાગ લેવો ગમે છે તેના ઘણાં કારણો છે.મને વહેલી સવારે ઉઠી ટ્રેનમાં દક્ષિણ મુંબઈ સુધી જતી વખતે અનેક બીજા ઉત્સાહી મેરેથોનર્સને ગ્રુપમાં કે એકલ-દોકલ, ભાગવા માટે અનુકૂળ એવા વસ્ત્રો તેમજ સ્પોર્ટ્સશૂઝમાં સજ્જ થઈ એ જ ઉત્સાહ અને જોશની લાગણી અનુભવવાની ખૂબ મજા આવે છે. ઓળખતા ન હોઇએ તો પણ એકેમેકને સ્મિત અપાઈ જાય છે.
મેરેથોનમાં ભાગ લેવાનો સૌથી મોટો ફાયદો છે આરોગ્યને લગતો. બેઠાડુ જીવનજીવતા કે આળસુ કે શારીરિક કસરત જ ન મળતી હોય એવી જીવન શૈલી ધરાવતા લોકો માટે મેરેથોન એક તક લઈ આવે છે, આરોગ્ય માટે કંઈક કરવાની. જો તમારે ફુલ કે હાફ મેરેથોનમાં ભાગ લેવો હોય તો ઓછામાં ઓછા છ મહિના અગાઉથી નિયમિત કસરત કરી દોડવાનો મહાવરો કેળવવો પડે છે.આનાથી તંદુરસ્તી સાથે ડિસિપ્લીનના પાઠ પણ શીખવા મળે છે.
મેરેથોનમાં કોર્પોરેટ સ્પોન્સર્ડ એક જ ઓફિસના ગૃપમાં દરેક જણ એક સરખા રંગના ટી-શર્ટમાં જોવા મળે તો મેરેથોનમાં માર્ગમાં તો અવનવી વેશભૂષામાં સજ્જ વિવિધ પ્રકારની વ્યક્તિઓનો તો જાણે મેળો જોવા મળે! કોઈક ગાંધી બનીને દોડતું હોય તો કોઈક ઓસામા બિન લાદેન! કોઈક ઝાંસીની રાણી બન્યું હોય તો કોઈક પરી! રાજકારણને લગતા કે સામાજિક જાગરૂકતા ફેલાવતા સંદેશના બોર્ડ કે ધજાઓ લઈ દોડતા લોકો પણ ભરપૂર જોવા મળે. કોઈ રાવણનો વેશ કાઢી દસ માથા સાથે દોડતું જોવા મળે તો કોઈક માથે શિંગડા ભરાવી યમરાજના સ્વાંગમાં પણ ભાગતું જોવા મળે! રસ્તાની બાજુએ ઠેર ઠેર મંચ ઉભા કર્યા હોય, જ્યાં રોક બેન્ડ પરફોર્મ કરતું હોય કે રાજસ્થાની,ગુજરાતી કે મરાઠી લાવણી જેવા લોક નૃત્યો દ્વારા યુવાન-યુવતિઓ દોડવીરોનો ઉત્સાહ વધારવામાં સતત વ્યસ્ત હોય!
મેરેથોનની શરૂઆત કરાવવા કે જૂદા જૂદા ચેરીટી કોઝીસ સાથે સંકળાઈ મેરેથોનમાં ભાગવા આવનાર સેલિબ્રીટીઝનું પણ આખું લાંબુ લિસ્ટ તૈયાર થઈ શકે! મેરેથોનમાં દર વર્ષે ભાગ લેતાં આ સેલિબ્રિટીઓનું પણ જબરૂ આકર્ષણ હોય છે અને તેઓ કદાચ કોઈ ચેરીટી સંસ્થા સાથે જોડાયા હોય તો એ સારૂં એવું ભંડોળ ઉભું કરવામાં પણ સફળ થઈ રહે છે.આ વર્ષે પણ મેરેથોનમાં દર વર્ષે ઉત્સાહ પૂર્વક ભાગ લેનાર સેલિબ્રિટીઓ જેવીકે મિલિન્દ સોમણ,રાહુલ બોસ,સિદ્ધાર્થ માલ્યા વગેરે દોડતા જોવા મળ્યા તો ઘણા નવા સેલિબ્રિટીઝ જેવા કે રણબીર કપૂર, ચિત્રાંગદા સિંઘ,સંજય સૂરી,શાહજાન પદમસી,પ્રતીક બબ્બર વગેરે પણ આ વખતે આ રેસમાં જોડાયાં. શબાના આઝમી તો પ્લાસ્ટર વાળા ફ્રેક્ચર્ડ હાથે પણ પોતાની એન.જી.ઓ. સંસ્થા મિજબાન માટે દોડ્યા. દોડવીરોનો ઉત્સાહ વધારવા અનેક સેલિબ્રીટીઝ જેવા કે અનિલ કપૂર,ગુલશન ગ્રોવર, ટીના અંબાણી,દલીપ તાહીલ, ઇંદુ સહાની, જોનઅબ્રાહમ, મહિમા ચૌધરી વગેરેએ ખાસ તૈયાર કરેલા મંચ પર ઉભા રહી દોડવીરોનું હાથ હલાવી સસ્મિત અભિવાદન કર્યું.
શ્રીમદ રાજચંદ્ર કે ઇશા જેવી સંસ્થાઓના સેંકડો કાર્યકરો પણ ડ્રીમ રન કેટેગરીમાં દોડી પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા અનેક નિતનવા પ્રયોગ કરે જેમકે આ વખતે શ્રીમદ રાજચંદ્રના મેમ્બર્સે માનવ-ટ્રેન બનાવી સારું આકર્ષણ જમાવ્યું તો ઇશા યોગ સંસ્થાએ કેટલાક સાધુઓને કર્ણપ્રિય ફ્યુઝન સંગીત વગાડી દોડવીરોનો ઉત્સાહ વધારવામાં સારી એવી સફળતા મેળવી.
વ્હીલચેરમાં બેસી ડિફરન્ટલી એબલ્ડ દોડવીરો કે નેત્રહીન કે માનસિક રીતે અક્ષમ બાળકો, યુવાનોને પણ અતિ ઉત્સાહમાં દોડતા જોઈ મોઢામાં આંગળા નાંખી જવાય.મારા જેવી સંવેદનશીલ વ્યક્તિની આંખના ખૂણા તો સહેજ ભીના પણ થઈ જાય! કંઈ કેટલીયે શાળા અને સંસ્થાઓએ જુદી રીતે સક્ષમ બાળકો તથા યુવાનો સાથે દોડી માનવતાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું. સિનિયર સીટીઝન શ્રેણીમાં દોડતા દાદા દાદીઓને તેમની આટલી મોટી વયે તેમજ અનેક લોકોને ઘણાં પ્રકારની શારીરિક તકલીફો છતાં સ્ફૂર્તિ અને ધગશથી દોડતા જોઈ સલામ કરવાનું મન થઈ જાય.
આ વખતે કેટલાક અજબગજબનાં કિસ્સા પણ સાંભળવામાં આવ્યા જેમકે છ એક મહિનાથી પણ વધુ સમયની એક ગર્ભવતી સ્ત્રીએ મેરેથોન પૂર્ણ કરી.એક તાજી હાર્ટ સર્જરી વાળા યુવાને સફળતા અને હિંમત પૂર્વક આ દોડ પૂરી કરી.એક સિત્તેરથીયે વધુ વયના કાકાએ શરીર પર પાંચેક કિલો વજનના આમળા પહેરી આમળા તેમજ તેના વૈદકીય ગુણોનો પ્રચાર કર્યો. કેટલાંયે સિનિયર સિટીઝન્સે ફુલ મેરેથોનમાં ૪૨કિલોમીટરનું પૂરું અંતર દોડી પુરવાર કર્યું કે શરીર કરતાં મનથી યુવાન હોવ તો શારીરિક ક્ષમતાની જરૂર હોય એવું ભગીરથ કાર્ય પણ ચોક્કસ પૂર્ણ કરી શકાય છે.મન હોય તો માળવે જવાય.
હવે બીજો એક વિચાર મારા એક મિત્રે આપ્યો જે શેર કરવાનું મન થાય છે.તેણે આપણા જીવનની સરખામણી મેરેથોન દોડ સાથે કરી જે કેટલું યથાર્થ છે! આજે આ સ્પર્ધાત્મક યુગમાં બાળક જન્મે ત્યારથી જ એ જિંદગીની દોડમાં તરત સામેલ નથી થઈ જતું? જલ્દી મોટા થઈ જાય, જલ્દી વધુમાં વધુ સ્માર્ટ થઈ જાય એ માટે માબાપો બાળકની ક્ષમતા, રૂચિ કે મન:સ્થિતીનો વિચાર કર્યા વગર તેને એક દોડ-રેસમાં જ ધકેલી દેતા હોય છે. તો આપણે આપણી રોજના જીવનની - આ મુંબઈ શહેરના એક ટીપીકલ દિવસની વાત કરીએ તો એ કંઈ મેરેથોનથી થોડો કમ છે?! સવારે ઉઠતા વેત ઘરમાં સવારનો નિત્યક્રમ પતાવવા માટે દોડ (અને ઘણી વાર સ્પર્ધા પણ!), ગાડી કે બસ પકડવા માટે દોડ, ઓફિસમાં કામના ઢગલામાંથી જેટલું પતે એ શક્ય એટલી ઝડપ અને ચીવટ સાથે પૂરું કરવાની દોડ, બોસને ખુશ રાખવા અને પોતાના પ્રમોશન તેમજ ઓર્ગેનાઝેશનની અપેક્ષાઓ અને ધ્યેયો સંતુષ્ટ અને સિદ્ધ કરવાની સતત રોજબરોજની દોડ, ઘરના કુટુંબીજનો, મિત્રો,સગાસંબંધીઓ અને સમાજની અપેક્ષાઓ પૂરી કરવા તેમજ જીવન સારી અને સફળ રીતે જીવવાની દોડ, સાંજે ફરી પાછા ઘેર પરત આવવાની દોડ! પણ આ દોડોમાંયે જો આપણે મુંબઈ મેરેથોનની જેમજ ઉત્સાહ અને આનંદપૂર્વક હકારાત્મક અભિગમ સાથે બીજાઓની કંપની માણતા માણતા દોડીશું તો આપણી જીવન-મેરેથોન-દોડ પણ ચોક્કસ મજેદાર અને જીવવા લાયક બની રહેશે, એમાં કોઈ શક નથી!
ત્રણ વર્ષથી છ-સાત કિલોમીટરની ડ્રીમ રનમાં જ દોડ્યા બાદ હવે મારે એકવીસ કિલોમીટરની હાફ મેરેથોનમાં ભાગ લેવો છે. મુંબઈ મેરેથોન થાય છે તો જાન્યુઆરીના ઉતરાણની આગળ-પાછળના રવિવારે પણ એ માટે રજીસ્ટ્રેશનની શરૂઆત છ એક માસ અગાઉ જુલાઈ-ઓગષ્ટ માસમાં જ થઈ જતી હોય છે. આ અંગેની જાહેરાત અખબાર કે ઇન્ટરનેટ પર પ્રસારિત થતી હોય છે.હું પણ મારી આ કટાર દ્વારા તમને સૌને આ અંગે જાણ કરીશ. તો આવતા વર્ષે આપણે મળીએ મેરેથોનમાં..!
(For pictures of this event visit my Marathon 2012 Photo Album on Facebook at :
http://www.facebook.com/media/set/?set=a.2822292890910.134355.1666613300&type=3)
પણ ચાલવાનું હોય કે દોડવાનું, મેરેથોન એટલે મેરેથોન!
મને આ દોડ ઇવેન્ટમાં ભાગ લેવો ગમે છે તેના ઘણાં કારણો છે.મને વહેલી સવારે ઉઠી ટ્રેનમાં દક્ષિણ મુંબઈ સુધી જતી વખતે અનેક બીજા ઉત્સાહી મેરેથોનર્સને ગ્રુપમાં કે એકલ-દોકલ, ભાગવા માટે અનુકૂળ એવા વસ્ત્રો તેમજ સ્પોર્ટ્સશૂઝમાં સજ્જ થઈ એ જ ઉત્સાહ અને જોશની લાગણી અનુભવવાની ખૂબ મજા આવે છે. ઓળખતા ન હોઇએ તો પણ એકેમેકને સ્મિત અપાઈ જાય છે.
મેરેથોનમાં ભાગ લેવાનો સૌથી મોટો ફાયદો છે આરોગ્યને લગતો. બેઠાડુ જીવનજીવતા કે આળસુ કે શારીરિક કસરત જ ન મળતી હોય એવી જીવન શૈલી ધરાવતા લોકો માટે મેરેથોન એક તક લઈ આવે છે, આરોગ્ય માટે કંઈક કરવાની. જો તમારે ફુલ કે હાફ મેરેથોનમાં ભાગ લેવો હોય તો ઓછામાં ઓછા છ મહિના અગાઉથી નિયમિત કસરત કરી દોડવાનો મહાવરો કેળવવો પડે છે.આનાથી તંદુરસ્તી સાથે ડિસિપ્લીનના પાઠ પણ શીખવા મળે છે.
મેરેથોનમાં કોર્પોરેટ સ્પોન્સર્ડ એક જ ઓફિસના ગૃપમાં દરેક જણ એક સરખા રંગના ટી-શર્ટમાં જોવા મળે તો મેરેથોનમાં માર્ગમાં તો અવનવી વેશભૂષામાં સજ્જ વિવિધ પ્રકારની વ્યક્તિઓનો તો જાણે મેળો જોવા મળે! કોઈક ગાંધી બનીને દોડતું હોય તો કોઈક ઓસામા બિન લાદેન! કોઈક ઝાંસીની રાણી બન્યું હોય તો કોઈક પરી! રાજકારણને લગતા કે સામાજિક જાગરૂકતા ફેલાવતા સંદેશના બોર્ડ કે ધજાઓ લઈ દોડતા લોકો પણ ભરપૂર જોવા મળે. કોઈ રાવણનો વેશ કાઢી દસ માથા સાથે દોડતું જોવા મળે તો કોઈક માથે શિંગડા ભરાવી યમરાજના સ્વાંગમાં પણ ભાગતું જોવા મળે! રસ્તાની બાજુએ ઠેર ઠેર મંચ ઉભા કર્યા હોય, જ્યાં રોક બેન્ડ પરફોર્મ કરતું હોય કે રાજસ્થાની,ગુજરાતી કે મરાઠી લાવણી જેવા લોક નૃત્યો દ્વારા યુવાન-યુવતિઓ દોડવીરોનો ઉત્સાહ વધારવામાં સતત વ્યસ્ત હોય!
મેરેથોનની શરૂઆત કરાવવા કે જૂદા જૂદા ચેરીટી કોઝીસ સાથે સંકળાઈ મેરેથોનમાં ભાગવા આવનાર સેલિબ્રીટીઝનું પણ આખું લાંબુ લિસ્ટ તૈયાર થઈ શકે! મેરેથોનમાં દર વર્ષે ભાગ લેતાં આ સેલિબ્રિટીઓનું પણ જબરૂ આકર્ષણ હોય છે અને તેઓ કદાચ કોઈ ચેરીટી સંસ્થા સાથે જોડાયા હોય તો એ સારૂં એવું ભંડોળ ઉભું કરવામાં પણ સફળ થઈ રહે છે.આ વર્ષે પણ મેરેથોનમાં દર વર્ષે ઉત્સાહ પૂર્વક ભાગ લેનાર સેલિબ્રિટીઓ જેવીકે મિલિન્દ સોમણ,રાહુલ બોસ,સિદ્ધાર્થ માલ્યા વગેરે દોડતા જોવા મળ્યા તો ઘણા નવા સેલિબ્રિટીઝ જેવા કે રણબીર કપૂર, ચિત્રાંગદા સિંઘ,સંજય સૂરી,શાહજાન પદમસી,પ્રતીક બબ્બર વગેરે પણ આ વખતે આ રેસમાં જોડાયાં. શબાના આઝમી તો પ્લાસ્ટર વાળા ફ્રેક્ચર્ડ હાથે પણ પોતાની એન.જી.ઓ. સંસ્થા મિજબાન માટે દોડ્યા. દોડવીરોનો ઉત્સાહ વધારવા અનેક સેલિબ્રીટીઝ જેવા કે અનિલ કપૂર,ગુલશન ગ્રોવર, ટીના અંબાણી,દલીપ તાહીલ, ઇંદુ સહાની, જોનઅબ્રાહમ, મહિમા ચૌધરી વગેરેએ ખાસ તૈયાર કરેલા મંચ પર ઉભા રહી દોડવીરોનું હાથ હલાવી સસ્મિત અભિવાદન કર્યું.
શ્રીમદ રાજચંદ્ર કે ઇશા જેવી સંસ્થાઓના સેંકડો કાર્યકરો પણ ડ્રીમ રન કેટેગરીમાં દોડી પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા અનેક નિતનવા પ્રયોગ કરે જેમકે આ વખતે શ્રીમદ રાજચંદ્રના મેમ્બર્સે માનવ-ટ્રેન બનાવી સારું આકર્ષણ જમાવ્યું તો ઇશા યોગ સંસ્થાએ કેટલાક સાધુઓને કર્ણપ્રિય ફ્યુઝન સંગીત વગાડી દોડવીરોનો ઉત્સાહ વધારવામાં સારી એવી સફળતા મેળવી.
વ્હીલચેરમાં બેસી ડિફરન્ટલી એબલ્ડ દોડવીરો કે નેત્રહીન કે માનસિક રીતે અક્ષમ બાળકો, યુવાનોને પણ અતિ ઉત્સાહમાં દોડતા જોઈ મોઢામાં આંગળા નાંખી જવાય.મારા જેવી સંવેદનશીલ વ્યક્તિની આંખના ખૂણા તો સહેજ ભીના પણ થઈ જાય! કંઈ કેટલીયે શાળા અને સંસ્થાઓએ જુદી રીતે સક્ષમ બાળકો તથા યુવાનો સાથે દોડી માનવતાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું. સિનિયર સીટીઝન શ્રેણીમાં દોડતા દાદા દાદીઓને તેમની આટલી મોટી વયે તેમજ અનેક લોકોને ઘણાં પ્રકારની શારીરિક તકલીફો છતાં સ્ફૂર્તિ અને ધગશથી દોડતા જોઈ સલામ કરવાનું મન થઈ જાય.
આ વખતે કેટલાક અજબગજબનાં કિસ્સા પણ સાંભળવામાં આવ્યા જેમકે છ એક મહિનાથી પણ વધુ સમયની એક ગર્ભવતી સ્ત્રીએ મેરેથોન પૂર્ણ કરી.એક તાજી હાર્ટ સર્જરી વાળા યુવાને સફળતા અને હિંમત પૂર્વક આ દોડ પૂરી કરી.એક સિત્તેરથીયે વધુ વયના કાકાએ શરીર પર પાંચેક કિલો વજનના આમળા પહેરી આમળા તેમજ તેના વૈદકીય ગુણોનો પ્રચાર કર્યો. કેટલાંયે સિનિયર સિટીઝન્સે ફુલ મેરેથોનમાં ૪૨કિલોમીટરનું પૂરું અંતર દોડી પુરવાર કર્યું કે શરીર કરતાં મનથી યુવાન હોવ તો શારીરિક ક્ષમતાની જરૂર હોય એવું ભગીરથ કાર્ય પણ ચોક્કસ પૂર્ણ કરી શકાય છે.મન હોય તો માળવે જવાય.
હવે બીજો એક વિચાર મારા એક મિત્રે આપ્યો જે શેર કરવાનું મન થાય છે.તેણે આપણા જીવનની સરખામણી મેરેથોન દોડ સાથે કરી જે કેટલું યથાર્થ છે! આજે આ સ્પર્ધાત્મક યુગમાં બાળક જન્મે ત્યારથી જ એ જિંદગીની દોડમાં તરત સામેલ નથી થઈ જતું? જલ્દી મોટા થઈ જાય, જલ્દી વધુમાં વધુ સ્માર્ટ થઈ જાય એ માટે માબાપો બાળકની ક્ષમતા, રૂચિ કે મન:સ્થિતીનો વિચાર કર્યા વગર તેને એક દોડ-રેસમાં જ ધકેલી દેતા હોય છે. તો આપણે આપણી રોજના જીવનની - આ મુંબઈ શહેરના એક ટીપીકલ દિવસની વાત કરીએ તો એ કંઈ મેરેથોનથી થોડો કમ છે?! સવારે ઉઠતા વેત ઘરમાં સવારનો નિત્યક્રમ પતાવવા માટે દોડ (અને ઘણી વાર સ્પર્ધા પણ!), ગાડી કે બસ પકડવા માટે દોડ, ઓફિસમાં કામના ઢગલામાંથી જેટલું પતે એ શક્ય એટલી ઝડપ અને ચીવટ સાથે પૂરું કરવાની દોડ, બોસને ખુશ રાખવા અને પોતાના પ્રમોશન તેમજ ઓર્ગેનાઝેશનની અપેક્ષાઓ અને ધ્યેયો સંતુષ્ટ અને સિદ્ધ કરવાની સતત રોજબરોજની દોડ, ઘરના કુટુંબીજનો, મિત્રો,સગાસંબંધીઓ અને સમાજની અપેક્ષાઓ પૂરી કરવા તેમજ જીવન સારી અને સફળ રીતે જીવવાની દોડ, સાંજે ફરી પાછા ઘેર પરત આવવાની દોડ! પણ આ દોડોમાંયે જો આપણે મુંબઈ મેરેથોનની જેમજ ઉત્સાહ અને આનંદપૂર્વક હકારાત્મક અભિગમ સાથે બીજાઓની કંપની માણતા માણતા દોડીશું તો આપણી જીવન-મેરેથોન-દોડ પણ ચોક્કસ મજેદાર અને જીવવા લાયક બની રહેશે, એમાં કોઈ શક નથી!
ત્રણ વર્ષથી છ-સાત કિલોમીટરની ડ્રીમ રનમાં જ દોડ્યા બાદ હવે મારે એકવીસ કિલોમીટરની હાફ મેરેથોનમાં ભાગ લેવો છે. મુંબઈ મેરેથોન થાય છે તો જાન્યુઆરીના ઉતરાણની આગળ-પાછળના રવિવારે પણ એ માટે રજીસ્ટ્રેશનની શરૂઆત છ એક માસ અગાઉ જુલાઈ-ઓગષ્ટ માસમાં જ થઈ જતી હોય છે. આ અંગેની જાહેરાત અખબાર કે ઇન્ટરનેટ પર પ્રસારિત થતી હોય છે.હું પણ મારી આ કટાર દ્વારા તમને સૌને આ અંગે જાણ કરીશ. તો આવતા વર્ષે આપણે મળીએ મેરેથોનમાં..!
(For pictures of this event visit my Marathon 2012 Photo Album on Facebook at :
http://www.facebook.com/media/set/?set=a.2822292890910.134355.1666613300&type=3)
રવિવાર, 15 જાન્યુઆરી, 2012
ગેસ્ટ બ્લોગ : ઉત્તરાયણના સંસ્મરણો
-- પ્રતિષ્ઠા પંડ્યા
ડીસેમ્બર શરુ થાય ત્યાં અમદાવાદીઓ ઉત્તરાયણની તૈયારી કરવા માંડે. નિશાળેથી આવતા હવે રોજ જોવા મળે રસ્તાની ધારે બે લાકડાના થાંભલાની આસપાસ વીંટાળેલી સફેદ દોરીને ગુલાબી માંજો પીવડાવતા કારીગરો. જેમ જેમ દિવસ જતા જાય તેમ તેમ આ ધારદાર માંજાનો રંગ લોકોના મન પર પણ ચડતો જાય. આ દિવસોમાં નિશાળેથી આવી મારું પહેલું કામ દફતર ખૂણામાં ફેંકી ધાબે ચડવાનું. પંચ્યાશી વર્ષના દાદી, હું આઈ કહેતી, વર્ષોથી ઉત્તરાયણ પહેલા બાલ્કનીમાં આવી પડેલા પતંગો સંઘરે, દોરીઓ તોડી લાચ્છા વાળે, ગૂંચ સુદ્ધા ઉકેલે, અને પછી ઉત્તરાયણ જાય એટલે લાચ્છામાંથી દોરીઓ જોડી જોડી પીલ્લા તૈયાર કરે. જાતે બનાવેલા અંકોડીના થેલામાં સંઘરેલા એનાં પીલ્લામાંનું એકાદ પીલ્લું અને એક પતંગ લઇ હું સડસડાટ ધાબે! મા વચ્ચે વચ્ચે ઘાંટા પાડે કારણ ઉત્તરાયણ પહેલા જ હોય પરીક્ષા અને એટલે તૈયારી. માને મારી પરીક્ષાની ચિંતા ઘણી. પણ ઉત્તરાયણના આગલા દિવસ સુધી ચાલતી પરીક્ષાઓ મારું ટાઇમટેબલ ના બદલે. લગભગ આગલા દિવસે જ પરીક્ષા પતે એટલે હું અને દીદી પપ્પાનું માથું ખાઈએ પતંગ ખરીદવા જવા. સાંકળ આઠની ફીરકીઓ તો પપ્પાએ વહેલેથી જ પંકજ્કાકાને કહી તૈયાર કરાવી રાખી હોય. તે રાત્રે બધા પિત્રાઈ ભેગા થાય એટલે પપ્પા બધાને લઇ ચાલે કાલુપુરના પતંગ બજારમાં. ઘેશીયા, પાવલા, અડધિયા,ચાંદેદાર, આંખેદાર, પટ્ટેદાર, માછલીઓ, ઢાલ, ફૂદ્દી, ...એક આખી પતંગની રંગીન દુનિયા. મનગમતા રંગ ને ભાતના પતંગો પસંદ કરવાની અમને સહુને છૂટ, જે ગમે તે એક કોડી લેવાના. હૈયે હૈયું દળાય એવી ગિરદીમાં પતંગ ફાટે નહીં એટલે ઊંચા હાથે પકડીને ફરવાનો અનુભવ મારા માટે ખાસ્સો સાહસિક રહેતો. રાતે મોડે સુધી કિન્ના બાંધી થાકીને સૂતેલી મને ઉત્તરાયણની સવારે જગાડવી ના પડે. પોળના અડીઅડીને ઉભેલા છાપરા, અગાશીઓ વહેલી સવારથી જ મોટા અવાજે ફિલ્મી ગીતો ગાતાં ઉડવા લાગ્યાં હોય. જોતજોતામાં જો હવા સરસ ચાલતી હોય તો આકાશમાં રંગરંગીન ચંદરવો બંધાઈ ગયો હોય! વહેલી સવારે કાપાકાપી ઓછી હોય એટલે મારો પતંગ ટીકડીમાં થતા વાર નહીં. એવામાંય બાજુવાળા જયશ્રીબેનના છોકરાથી તો સંભાળવું પડે. ચડતા પતંગમાં લંગસ નાખી દોરી દાંતી પતંગ ચોરવાની એને ટેવ. એ હાથ માંથી સરસરતી દોરી ક્યારે ઠમકાવવી, ક્યારે ખેંચવી, ક્યારે ઢીલી છોડાવી, દોરીના ભાર પરથી કેટલા પેચ લાગેલા છે તે નક્કી કરવું, અને પછી કોઈ ઉસ્તાદ રણયોદ્ધાની જેમ પતંગ પાસે કેવા કેવા દાવ ખેલવવા એ સહુ અમે ભાઈઓને જોઈ જોઈને શીખતા. એ આખો દિવસ આકાશમાં એક અજબ રણમેદાન રચાતું. ભગવતીકુમાર શર્માની પેલી કવિતામાં છે ને:
પવન પાતળો કાગળ લઈને નભમાં ઉડે આગાશીજી ....
વિના અમાસે સૂર્ય ઘેરતા રાહૂ બની પતંગાજી,
ધોળે દાડે નભમાં આલે અંધકારના દંગાજી
આ જ ધરાનું પાણીપતને આ જ ગગનનું પ્લાસીજી
એ દિવસે તો સૂરજ આથમે પછીની મજા પણ કંઈક ઓર હોય. પોળની સૌથી ઉંચી અગાશી પર ઉભા અમે ચારેબાજુ થતી આતશબાજી જોઈએ. હજુ એ પૂરી થાય ત્યાંતો ટમટમતી ટૂક્કલો ચડવા લાગે ઢાલ પર. સવારથી મોડી રાત સુધી આકાશમાં અનોખા દ્રશ્યો સર્જાયા કરે અને સૌની નજરો એ દિવસે ઉર્ધ્વગામી બને. આ દ્રશ્યોનો લહાવો લેવામાં કોઈ રહી જતું હોય બાકાત તો તે મારી મા. એને તો આજે જ નહીં બે અઠવાડિયાથી ઊંઘ હરામ હોય.
ઉત્તરાયણને પંદર દિવસ બાકી હોય એટલે માના કામનું લીસ્ટ તૈયાર. માળીયેથી જુના, મોટા પિત્તળના ડબ્બા,થાળ, વાડકા, ઉતારવા, માંજવા, ને પોલીશ કરાવવાથી કામ શરુ થાય. પછી કરીયાણાવાળા પૂનમાજીને ત્યાંથી તાલ, દાળિયા, શીંગ, કોપરું, ચીક્કીનો ગોળ, મમરા, ધાણી, મંગાવવાના હોય. ઘેર રોજ એક પછી એક નાસ્તા બને-- ભેળની પૂરીઓ, જાડી-ઝીણી સેવ, ચાર જાત ની ચીક્કીઓ, વઘારેલા મમરા, ધાણી, પૌઆનો ચેવડો. રસનાના બે ત્રણ શરબત પણ બનાવી મુકવાના હોય. કાલુપુર મોતિબેકરીમાંથી જાતજાતના બિસ્કીટ લાવવાના હોય. બે અઠવાડિયા દરમ્યાન આ માળીયેથી ઉતારેલા બાર પંદર ડબ્બા જાતજાતની વસ્તુઓથી ભરાઈ જાય. પચાસએક કપ-રકાબી, ને શરબતના પ્યાલો પણ ધોઈ ને સાફ કરી હોય તૈયાર. ઉત્તરાયણના આગલાં બે દિવસે ભેળ ની ચટણીઓ, પાણીપૂરીનું પાણી બનાવવાનું, ધાબુ ધોવડાવવાનું, શેતરંજીઓ પથરાવવાની, માણેકચોકથી શેરડી, બોર, ઊંધિયાના શાક લાવવાના હોય. ઉત્તરાયણના દિવસે પણ માં સવારથી કામમાં લપેટાયેલી હોય. બે નણંદ વર, દીકરા, દીકરીઓ, જમાઈઓ અને પોરિયા સહીત આગલી રાતથી જ આવી જાય એટલે માનું કામ ક્યાંથી ખૂટે! દિવસ ચડતો જાય તેમ પપ્પાના મિત્રો, દીદીની ને મારી બહેનપણીઓ, સ્નેહીજનો, અરે ઊંચું ઘર, ને અગાશીએ રસથાળ જોઈ આજુબાજુના પડોશીઓ પણ મિત્રો સંગાથે પધારવા માંડે. માનો આખો દિવસ શરબત, ચા, ભેળ, પાનીપૂરી, ફ્રુટ, બિસ્કીટ, નાસ્તા લઇ લઇ ચાર દાદરા ઉતરચઢ કરવામાં પૂરો થાય. આખું ગામ જયારે ધાબે ચડી પતંગની મજા માણતું હોય ત્યારે નીચું ઘાલી કામ કરતી માને જોતા હું ઘણી વાર વિચારતી શું માને અગાશીએ ચડી મઝા કરવાનું મન નહીં થતું હોય? એને શા માટે બધાના આનંદ ખાતર પોતાની મઝા જતી કરવાની? હું ક્યારેક પૂછતી પણ ખરી, "ચલ ને ઉપર. તારે નથી આવવું મજા કરવા?" એ હસતી ને કહેતી, "તારા જેવડી હતી ને ત્યારે ઘણી કરી...હવે તું કર. હું ધાબે ચડી બેસું તો આ બધું કામ કોણ સંભાળશે?" ક્યારેક બે ઘડી જો આવી પણ ગઈ તો, " મામી, મારી ફીરકી પકડો ને પ્લીઝ", કરતા ભાણીયા મામીને દોરી વીંટવાનું કે ફીરકી પકડવાનું કામ સોંપી દેતા. ત્રીસ વર્ષમાં એકેય વાર બેફીકર થઇ પતંગ ચડાવતી મા મેં જોઈ નથી. હમેશા બીજાની ફીરકી પકડતી, કે કોઈએ ચગાવેલા પતંગની બે ઘડી સહેલ લેતી માના મનનું આકાશ શું ઉત્તરાયણના આકાશ જેવું જ રંગરંગીન હશે? શું ત્યાં પણ પતંગ ઉડતા હશે? કોણ બંધાતું હશે એ પંતગોને કિન્ના અને કોણ ખેંચતુ હશે એની દોર? કે પછી એણે પણ વાળી રાખ્યા હશે કંઈ કેટલાંય પીલ્લાં એની ઇચ્છાઓના?
-- પ્રતિષ્ઠા પંડ્યા
શનિવાર, 7 જાન્યુઆરી, 2012
પ્રવાસ કરતી વેળાએ...
આપણે લાંબા અંતરના પ્રવાસે કારમાં બેસીને ફરવા જતા હોઈ એ ત્યારે હાઈ વે તો આવે જ. મારગની બંને બાજુએ સરસ મજાની હરિયાળી પથરાયેલી હોય, ક્યાંક દૂર દૂર ડુંગરાઓની કતાર દેખાય તો વાદળાની અલગ અલગ છટા તો મોસમ પ્રમાણે બદલાય. કારમાં મનપસંદ સંગીત કે ફિલ્મી ગીતો વાગી રહ્યા હોય અને તમે બારી બહાર પ્રકૃતિની મજા માણતા માણતા જુની મીઠી યાદો વાગોળતા હોવ અને અચાનક માથુ ફાટી જાય એવી અસહ્ય, તીવ્ર દુર્ગંધ આવે એવું ઘણી વાર બનતું હોય છે. હાઈ વે પર બકરી, બિલાડી, કૂતરું કે ગાય-ભેંસ જેવું કોઈ પ્રાણી વાહનની હડફેટે ચડતા અકસ્માતનો ભોગ બની મરી જાય અને તેની લાશ રસ્તા વચ્ચે જ કે અકસ્માત સ્થળ પર જ એક બાજુએ ખસેડી દીધી હોય અને તે સડવા માંડે ત્યારે આવી અરૂચિકર વાસ પેદા થાય છે અને સોનાની થાળીમાં લોઢાના મેખ જેવો ઘાટ થાય!
કોઈ પણ નવા શહેરમાં રેલવે દ્વારા પ્રવાસ કરીને જાઓ અને એ શહેરનું રેલવે સ્ટેશન મોટું જંકશન હોય ત્યારે એ રેલવે સ્ટેશન પર ઉતરતાંની સાથે જ તેની હાલત જોજો. ખાસ કરીને તમારી ટ્રેન ઉભી હોય તેની નીચે પાટા પર નજર નાખજો. તમે નબળા મન ના હશો તો તમને ઉલટી થયા વિના નહિં રહે. લોકોના મળમૂત્રના થર ના થર, આપણે જ બેદરકારીથી ટ્રેનની બારીમાંથી બહાર ફેંકેલો કચરો, એ બધી ગંદકી વચ્ચે જયાફત ઉડાવતા મોટા મોટા ઉંદરો અને પ્લેટફોર્મ પણ કંઈ ચોખ્ખુ ચણાક તો નહિં જ હોય. ત્યાં પણ ચા-કોફીના વપરાયેલા પેપર કે પ્લાસ્ટિક કપ્સ, ફૂડ પેકેટ્સના ખાલી રેપર્સ, છાપાના કાગળોના ડૂચા અને બીજી બધી ગંદકી એક સાથે જોવા મળશે. જાણે ભારતભરના લોકો ત્યાં એ સ્ટેશને જ ગંદકી કરવા પહોંચી ગયા ન હોય એવું લાગે! તાજેતરમાં મારે અમદાવાદથી આગળ રેલવે દ્વારા જવાનું થયું અને મારી ટ્રેન અમદાવાદ સ્ટેશને લાંબો સમય ઉભી રહી ત્યારે ત્યાં ફેલાયેલી ગંદકી જોઈ હું સમસમી ગયો. સ્ટેશનના પ્લેટફોર્મ પર લટાર મારી ફરી ગાડીમાં મારી સીટ પર જઈ બેઠો ત્યાં મારી બાજુમાં બેઠેલ એક પરિવારની યુવતિ તેના ભાઈને કહી રહી હતી,"છી...અમદાવાદ કેટલું ગંદુ છે..." તેણે આ ઇમ્પ્રેશન ચોક્કસ ગાડીની બારીમાંથી નજરે ચડતી ગંદકીને જોઈને જ બાંધી હતી.
ઉપરોક્ત સમસ્યાઓનો કોઈ રીતે નિકાલ આવી શકે ખરો?
વેલ, જવાબ છે ચોક્કસ આવી શકે. થોડા પગલાં સરકાર લઈ શકે અને ઘણાં પગલા હું, તમે અને આપણા પરિવારના દરેક સભ્ય એટલે કે આપણે નાગરિકો મળીને લઈ શકીએ. આ થોડાઘણાં પગલા ચોક્કસ ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે.
ઉપર ચર્ચેલી બે સમસ્યાઓના સંદર્ભમાં જોઇએ આપણે શું કરી શકીએ. મને લાગે છે રસ્તે અકસ્માત થયેલા પશુઓના શબ વગેરે લઈ જવા સરકારે ચોક્કસ કોઈક વ્યવસ્થા કરી હોવી જોઇએ. આ બ્લોગ વાંચનાર કોઈ પણ વાચકને આવી કોઈ સંસ્થા કે ફોન નંબરની જાણ હોય તો મને એ જણાવવા વિનંતી. આપણે અહિં એ છાપીશું. જેથી આપ જ્યારે પ્રવાસ કરતી વેળાએ આવી કોઈ દુર્ઘટનાનો શિકાર બનેલી પ્રાણીના શબને જુઓ તો તરત એ સંસ્થા કે ફોન પર જાણ કરી એ લાશનો યથા યોગ્ય નિકાલ કરી શકાય જેથી એ સડી જઈ દુર્ગંધ અને રોગો ફેલાતા અટકી શકે. સરકારે આ દિશામાં કંઈ વિચાર્યું ન હોય તો એ કંઈક નક્કર પગલા લઈ શકે. સરકાર કે સંસ્થા સંપર્કની વિગતોના મોટા બોર્ડ હાઈવે પર અને શક્ય એટલા દરેક જરૂરી સ્થળે લગાડી આ અંગેની માહિતીનો પ્રસાર કરી શકે. આપણે મનુષ્યો કે પાળેલા પ્રાણીઓના અવસાન બાદ તેમના શબનું કેટલા માન અને પ્રેમ સાથે દહન કે દફન કરીએ છીએ.તો શું દુર્ઘટનાનો ભોગ બની પ્રભુને પ્યારા થઈ ગયેલા એ પ્રાણીઓના શબનો પણ આ રીતે જ નિકાલ થવો જોઇએ એ યોગ્ય નથી લાગતું?
બીજી ગંદકીની સમસ્યા અંગેપણ આપણે થોડું ધ્યાન રાખી વિચારપૂર્વક વર્તન કરીએ તો આપણા શહેરને,સ્ટેશનને અને દરેક જાહેર જગાને સ્વચ્છ અને સુંદર બનાવી શકીએ.સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેન ઉભી હોય ત્યારે જાજરૂનો ઉપયોગ ટાળવો જોઇએ. અન્ય એક વિચાર એવો પણ આવે છે કે રેલવે ગાડીના જાજરૂમાંથી મળમૂત્ર નીચે જમીન પર પડે એવી વ્યવસ્થા શા માટે?એવી વ્યવસ્થા ન થઈ શકે કે આખી ટ્રેનના બધાં ડબ્બાઓમાંથી મળમૂત્ર યોગ્ય પાઈપો વગેરે દ્વારા જમા કરી તેનો યોગ્ય સ્થળે વ્યવસ્થિત નિકાલ કરી શકાય? વિમાનમાં પણ જાજરૂ હોય જ છે.ત્યાં કંઈ મળમૂત્રનો નિકાલ હવામાં ખુલ્લુ ઉડાડી દઈ કરવામાં આવતો નથી!તો રેલવે વાળા વિમાનમાં વપરાતી પદ્ધતિનો ઉપયોગ ન કરી શકે?આમ થાય તો સ્વચ્છતા જાળવવામાં બહુ મોટી મદદ મળે અને કદાચ જમા થયેલા મળમૂત્રના કચરાનો ખાતર બનાવવામાં પણ ઉપયોગ થઈ શકે. ગાડી સ્ટેશન પર કે યાર્ડમાં લાંબા સમય સુધી ઉભી હોય ત્યારે પ્રવાસી સિવાયના અન્ય લોકો જાજરૂનો ઉપયોગ નિયમિત રીતે કરતા હોય છે આમ ન થાય એની તકેદારી સરકારે રાખવી જોઇએ.વધુ પ્રમાણમાં જાહેર શૌચાલયો બાંધવા જોઇએ જેથી લોકોને ખોટી રીતે ટ્રેનના જાજરૂનો ઉપયોગ ન કરવો પડે.વગર વિચાર્યે આપણે કચરો કે ખાવાપીવાના પદાર્થો ગાડીમાં કે ગાડીની બહાર ન ફેંકવા જોઇએ કે જ્યાંત્યાં થૂંકવું ન જોઇએ.સરકારે સ્ટેશનો અને જાહેર જગાઓની નિયમિત સફાઈ પર ધ્યાન આપવં જોઇએ.આપણે પણ એમાં પૂરેપૂરો સહકાર આપવો જોઇએ.પોતે તો સ્વચ્છતા નિયમોનું પાલન કરવું જ જોઇએ પણ અન્યો પણ બેફામ રીતે આપણી આંખ સામે અસ્વચ્છતા ફેલાવતા હોય તો તેમને નમ્રતાપૂર્વક એમ કરતા રોકવા જોઇએ.
થોડું સંયમ અને વિચાર પૂર્વક વર્તન કરીને આપણે પણ આસપાસના પરિસરને, શહેરને, દેશને અને વિશ્વને તથા આપણા અને આસપાસના સર્વેના જીવનને વધુ સુંદર, વધુ જીવવા લાયક બનાવી શકીએ છીએ.
કોઈ પણ નવા શહેરમાં રેલવે દ્વારા પ્રવાસ કરીને જાઓ અને એ શહેરનું રેલવે સ્ટેશન મોટું જંકશન હોય ત્યારે એ રેલવે સ્ટેશન પર ઉતરતાંની સાથે જ તેની હાલત જોજો. ખાસ કરીને તમારી ટ્રેન ઉભી હોય તેની નીચે પાટા પર નજર નાખજો. તમે નબળા મન ના હશો તો તમને ઉલટી થયા વિના નહિં રહે. લોકોના મળમૂત્રના થર ના થર, આપણે જ બેદરકારીથી ટ્રેનની બારીમાંથી બહાર ફેંકેલો કચરો, એ બધી ગંદકી વચ્ચે જયાફત ઉડાવતા મોટા મોટા ઉંદરો અને પ્લેટફોર્મ પણ કંઈ ચોખ્ખુ ચણાક તો નહિં જ હોય. ત્યાં પણ ચા-કોફીના વપરાયેલા પેપર કે પ્લાસ્ટિક કપ્સ, ફૂડ પેકેટ્સના ખાલી રેપર્સ, છાપાના કાગળોના ડૂચા અને બીજી બધી ગંદકી એક સાથે જોવા મળશે. જાણે ભારતભરના લોકો ત્યાં એ સ્ટેશને જ ગંદકી કરવા પહોંચી ગયા ન હોય એવું લાગે! તાજેતરમાં મારે અમદાવાદથી આગળ રેલવે દ્વારા જવાનું થયું અને મારી ટ્રેન અમદાવાદ સ્ટેશને લાંબો સમય ઉભી રહી ત્યારે ત્યાં ફેલાયેલી ગંદકી જોઈ હું સમસમી ગયો. સ્ટેશનના પ્લેટફોર્મ પર લટાર મારી ફરી ગાડીમાં મારી સીટ પર જઈ બેઠો ત્યાં મારી બાજુમાં બેઠેલ એક પરિવારની યુવતિ તેના ભાઈને કહી રહી હતી,"છી...અમદાવાદ કેટલું ગંદુ છે..." તેણે આ ઇમ્પ્રેશન ચોક્કસ ગાડીની બારીમાંથી નજરે ચડતી ગંદકીને જોઈને જ બાંધી હતી.
ઉપરોક્ત સમસ્યાઓનો કોઈ રીતે નિકાલ આવી શકે ખરો?
વેલ, જવાબ છે ચોક્કસ આવી શકે. થોડા પગલાં સરકાર લઈ શકે અને ઘણાં પગલા હું, તમે અને આપણા પરિવારના દરેક સભ્ય એટલે કે આપણે નાગરિકો મળીને લઈ શકીએ. આ થોડાઘણાં પગલા ચોક્કસ ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે.
ઉપર ચર્ચેલી બે સમસ્યાઓના સંદર્ભમાં જોઇએ આપણે શું કરી શકીએ. મને લાગે છે રસ્તે અકસ્માત થયેલા પશુઓના શબ વગેરે લઈ જવા સરકારે ચોક્કસ કોઈક વ્યવસ્થા કરી હોવી જોઇએ. આ બ્લોગ વાંચનાર કોઈ પણ વાચકને આવી કોઈ સંસ્થા કે ફોન નંબરની જાણ હોય તો મને એ જણાવવા વિનંતી. આપણે અહિં એ છાપીશું. જેથી આપ જ્યારે પ્રવાસ કરતી વેળાએ આવી કોઈ દુર્ઘટનાનો શિકાર બનેલી પ્રાણીના શબને જુઓ તો તરત એ સંસ્થા કે ફોન પર જાણ કરી એ લાશનો યથા યોગ્ય નિકાલ કરી શકાય જેથી એ સડી જઈ દુર્ગંધ અને રોગો ફેલાતા અટકી શકે. સરકારે આ દિશામાં કંઈ વિચાર્યું ન હોય તો એ કંઈક નક્કર પગલા લઈ શકે. સરકાર કે સંસ્થા સંપર્કની વિગતોના મોટા બોર્ડ હાઈવે પર અને શક્ય એટલા દરેક જરૂરી સ્થળે લગાડી આ અંગેની માહિતીનો પ્રસાર કરી શકે. આપણે મનુષ્યો કે પાળેલા પ્રાણીઓના અવસાન બાદ તેમના શબનું કેટલા માન અને પ્રેમ સાથે દહન કે દફન કરીએ છીએ.તો શું દુર્ઘટનાનો ભોગ બની પ્રભુને પ્યારા થઈ ગયેલા એ પ્રાણીઓના શબનો પણ આ રીતે જ નિકાલ થવો જોઇએ એ યોગ્ય નથી લાગતું?
બીજી ગંદકીની સમસ્યા અંગેપણ આપણે થોડું ધ્યાન રાખી વિચારપૂર્વક વર્તન કરીએ તો આપણા શહેરને,સ્ટેશનને અને દરેક જાહેર જગાને સ્વચ્છ અને સુંદર બનાવી શકીએ.સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેન ઉભી હોય ત્યારે જાજરૂનો ઉપયોગ ટાળવો જોઇએ. અન્ય એક વિચાર એવો પણ આવે છે કે રેલવે ગાડીના જાજરૂમાંથી મળમૂત્ર નીચે જમીન પર પડે એવી વ્યવસ્થા શા માટે?એવી વ્યવસ્થા ન થઈ શકે કે આખી ટ્રેનના બધાં ડબ્બાઓમાંથી મળમૂત્ર યોગ્ય પાઈપો વગેરે દ્વારા જમા કરી તેનો યોગ્ય સ્થળે વ્યવસ્થિત નિકાલ કરી શકાય? વિમાનમાં પણ જાજરૂ હોય જ છે.ત્યાં કંઈ મળમૂત્રનો નિકાલ હવામાં ખુલ્લુ ઉડાડી દઈ કરવામાં આવતો નથી!તો રેલવે વાળા વિમાનમાં વપરાતી પદ્ધતિનો ઉપયોગ ન કરી શકે?આમ થાય તો સ્વચ્છતા જાળવવામાં બહુ મોટી મદદ મળે અને કદાચ જમા થયેલા મળમૂત્રના કચરાનો ખાતર બનાવવામાં પણ ઉપયોગ થઈ શકે. ગાડી સ્ટેશન પર કે યાર્ડમાં લાંબા સમય સુધી ઉભી હોય ત્યારે પ્રવાસી સિવાયના અન્ય લોકો જાજરૂનો ઉપયોગ નિયમિત રીતે કરતા હોય છે આમ ન થાય એની તકેદારી સરકારે રાખવી જોઇએ.વધુ પ્રમાણમાં જાહેર શૌચાલયો બાંધવા જોઇએ જેથી લોકોને ખોટી રીતે ટ્રેનના જાજરૂનો ઉપયોગ ન કરવો પડે.વગર વિચાર્યે આપણે કચરો કે ખાવાપીવાના પદાર્થો ગાડીમાં કે ગાડીની બહાર ન ફેંકવા જોઇએ કે જ્યાંત્યાં થૂંકવું ન જોઇએ.સરકારે સ્ટેશનો અને જાહેર જગાઓની નિયમિત સફાઈ પર ધ્યાન આપવં જોઇએ.આપણે પણ એમાં પૂરેપૂરો સહકાર આપવો જોઇએ.પોતે તો સ્વચ્છતા નિયમોનું પાલન કરવું જ જોઇએ પણ અન્યો પણ બેફામ રીતે આપણી આંખ સામે અસ્વચ્છતા ફેલાવતા હોય તો તેમને નમ્રતાપૂર્વક એમ કરતા રોકવા જોઇએ.
થોડું સંયમ અને વિચાર પૂર્વક વર્તન કરીને આપણે પણ આસપાસના પરિસરને, શહેરને, દેશને અને વિશ્વને તથા આપણા અને આસપાસના સર્વેના જીવનને વધુ સુંદર, વધુ જીવવા લાયક બનાવી શકીએ છીએ.
લેબલ્સ:
'gujarati blog',
'travel',
'vikas nayak'
સોમવાર, 2 જાન્યુઆરી, 2012
નવા વર્ષની હાર્દિક શુભેચ્છા
આજે નવા વર્ષનો પ્રથમ દિવસ છે. યોગાનુયોગે આજે રવિવાર પણ છે એટલે આપણને સૌને મોકો મળ્યો છે, એક દિવસ થંભી નવા વર્ષની શરૂઆત કઈ રીતે કરીશું એનું વ્યવસ્થિત આયોજન કરવા માટે. ગઈ કાલે ૩૧ ડિસેમ્બરે ઘણાંએ પાછલા વર્ષના છેલ્લા દિવસની, મિત્રો સાથે પાર્ટી કરીને તો ઘણાંએ કુટુંબ સાથે સમય ગાળી, રાતે ઉજાગરો કરી ઉજવણી કરી હશે. આ થાક ઉતરે એ માટે અને આરામ કરવા માટે જ જાણે આજે નવા વર્ષે પ્રથમ દિવસે જ રવિવારની ભેટ મળી છે. પણ એનો થોડો સદુપયોગ કરી આવતા વર્ષ માટે સૌ પોતપોતાના જીવન માટે થોડા નાના નાના ધ્યેય નક્કી કરજો.
કહ્યું છે ને 'દિશા કે ધ્યેય વિનાનું વહાણ પવનના જોરે દરિયામાં ભમ્યા તો કરશે પણ ક્યાં જઈને અટકશે કે તેનો અંજામ શું આવશે તેની કોઈ કલ્પના કરી શક્તું નથી.’ આવું જ આપણાં જીવન - વહાણનું પણ છે. બહુ મોટા મોટા નહિં તો કંઈ નહિં પણ આપણે સૌએ વાસ્તવિક નાના નાના ધ્યેયો તો પોતાના જીવનને યોગ્ય અને સફળ રીતે જીવવા નક્કી કરવાં જ જોઇએ.
ગયા વર્ષે મેં બે ધ્યેયો પૂર્ણ કર્યા એની મને ખુશી છે. એક તો હું ડ્રાઈવિંગ શીખ્યો અને બીજું મેં આસામ અને ત્યાંના આસપાસના પ્રદેશોની નાની યાત્રા પૂર્ણ કરી. દેશ અને પરદેશના શક્ય એટલા વિવિધ પ્રદેશોની યાત્રા પોતે કરવી અને પરિવારને કરાવવી એ મારો લાંબા ગાળાનો ધ્યેય છે જે હું દર વર્ષે એકાદ બે ટ્રીપ્સ દ્વારા પૂર્ણ કરવા ઇચ્છું છું. નવા વર્ષમાં મારે એક નવી ભાષા પણ શિખવી એવું એક ધ્યેય પણ મેં નક્કી કર્યું છે.
ધ્યેયો તમારા જીવનને એક દિશા આપે છે. ધ્યેય વાળું જીવન જીવવાની એક મજા આવે છે અને ધ્યેય પૂર્ણ થતા જે પરમ સંતોષ અને સુખની અનુભૂતિ થાય છે એ પણ અવર્ણનીય છે.
આપણને સૌને અજ્ઞાતનો ભય હોય છે. મનુષ્યનો સ્વભાવ 'રેઝિસ્ટન્સ ટુ ચેન્જ' નો હોય છે એટલે કે એક કમ્ફર્ટ ઝોનમાં થોડો સમય રહ્યા બાદ કોઈ પણ નવા પરિવર્તનનો તે પ્રતિકાર કરે છે. આ નવા વર્ષે પ્રભુને પ્રાર્થના કરીએ કે આ 'રેઝિસ્ટન્સ ઓફ ચેન્જ'ની સાંકડી મનોવૃત્તિમાંથી આપણે મુક્ત થઈ શકીએ. નવાને સ્મિતસાથે આવકારીએ. જે કંઈ પરિસ્થિતી આવે તેને ‘જોઈ લઈશું’ની હામ સાથે વિચારશીલ બનીએ.
કોઈક ફિલસૂફે બહુ સુંદર વાત કહી છે. વહાણ કાંઠે કે બંદરે બંધાયેલું હોય ત્યાં તે સૌથી વધુ સુરક્ષિત હોય છે પણ એમ નિશ્ચલ ઉભા રહેવા માટે થોડું કંઈ એ સર્જાયું હોય છે? જો એ અફાટ સમુદ્રમાં તોફાનોના ભય વગર આગળ વધવા ગતિમાન થશે તો જ એ નવા કિનારા શોધી શકશે.
વધુ એક નવા વર્ષની સુપ્રભાત માણવા મળી છે એ બદલ ઇશ્વરનો પાડ માની આ નવા દિવસે આવનારા નવા વર્ષ માટે કેટલાંક ધ્યેયો નક્કી કરી,'રેઝિસ્ટન્સ ટુ ચેન્જ' ખંખેરી નાંખી આપણાં અને આસપાસનાં સૌના જીવન સુખી, સમૃદ્ધ, શાંતિ અને સુમેળ ભર્યાં બનાવવા આપણી જીવન-નૌકાને પુરુષાર્થના હલેસાં વડે વિશ્વના અફાટ સાગરમાં હંકારી જઈએ...
મારી સૌને નવા વર્ષ માટે અઢળક શુભેચ્છાઓ!
કહ્યું છે ને 'દિશા કે ધ્યેય વિનાનું વહાણ પવનના જોરે દરિયામાં ભમ્યા તો કરશે પણ ક્યાં જઈને અટકશે કે તેનો અંજામ શું આવશે તેની કોઈ કલ્પના કરી શક્તું નથી.’ આવું જ આપણાં જીવન - વહાણનું પણ છે. બહુ મોટા મોટા નહિં તો કંઈ નહિં પણ આપણે સૌએ વાસ્તવિક નાના નાના ધ્યેયો તો પોતાના જીવનને યોગ્ય અને સફળ રીતે જીવવા નક્કી કરવાં જ જોઇએ.
ગયા વર્ષે મેં બે ધ્યેયો પૂર્ણ કર્યા એની મને ખુશી છે. એક તો હું ડ્રાઈવિંગ શીખ્યો અને બીજું મેં આસામ અને ત્યાંના આસપાસના પ્રદેશોની નાની યાત્રા પૂર્ણ કરી. દેશ અને પરદેશના શક્ય એટલા વિવિધ પ્રદેશોની યાત્રા પોતે કરવી અને પરિવારને કરાવવી એ મારો લાંબા ગાળાનો ધ્યેય છે જે હું દર વર્ષે એકાદ બે ટ્રીપ્સ દ્વારા પૂર્ણ કરવા ઇચ્છું છું. નવા વર્ષમાં મારે એક નવી ભાષા પણ શિખવી એવું એક ધ્યેય પણ મેં નક્કી કર્યું છે.
ધ્યેયો તમારા જીવનને એક દિશા આપે છે. ધ્યેય વાળું જીવન જીવવાની એક મજા આવે છે અને ધ્યેય પૂર્ણ થતા જે પરમ સંતોષ અને સુખની અનુભૂતિ થાય છે એ પણ અવર્ણનીય છે.
આપણને સૌને અજ્ઞાતનો ભય હોય છે. મનુષ્યનો સ્વભાવ 'રેઝિસ્ટન્સ ટુ ચેન્જ' નો હોય છે એટલે કે એક કમ્ફર્ટ ઝોનમાં થોડો સમય રહ્યા બાદ કોઈ પણ નવા પરિવર્તનનો તે પ્રતિકાર કરે છે. આ નવા વર્ષે પ્રભુને પ્રાર્થના કરીએ કે આ 'રેઝિસ્ટન્સ ઓફ ચેન્જ'ની સાંકડી મનોવૃત્તિમાંથી આપણે મુક્ત થઈ શકીએ. નવાને સ્મિતસાથે આવકારીએ. જે કંઈ પરિસ્થિતી આવે તેને ‘જોઈ લઈશું’ની હામ સાથે વિચારશીલ બનીએ.
કોઈક ફિલસૂફે બહુ સુંદર વાત કહી છે. વહાણ કાંઠે કે બંદરે બંધાયેલું હોય ત્યાં તે સૌથી વધુ સુરક્ષિત હોય છે પણ એમ નિશ્ચલ ઉભા રહેવા માટે થોડું કંઈ એ સર્જાયું હોય છે? જો એ અફાટ સમુદ્રમાં તોફાનોના ભય વગર આગળ વધવા ગતિમાન થશે તો જ એ નવા કિનારા શોધી શકશે.
વધુ એક નવા વર્ષની સુપ્રભાત માણવા મળી છે એ બદલ ઇશ્વરનો પાડ માની આ નવા દિવસે આવનારા નવા વર્ષ માટે કેટલાંક ધ્યેયો નક્કી કરી,'રેઝિસ્ટન્સ ટુ ચેન્જ' ખંખેરી નાંખી આપણાં અને આસપાસનાં સૌના જીવન સુખી, સમૃદ્ધ, શાંતિ અને સુમેળ ભર્યાં બનાવવા આપણી જીવન-નૌકાને પુરુષાર્થના હલેસાં વડે વિશ્વના અફાટ સાગરમાં હંકારી જઈએ...
મારી સૌને નવા વર્ષ માટે અઢળક શુભેચ્છાઓ!
લેબલ્સ:
'gujarati blog',
'happy new year'
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)