Translate

લેબલ 'father' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'father' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 18 જૂન, 2018

ફાધર્સ ડે નિમિત્તે પપ્પાને પત્ર


કેથોલિક યુરોપમાં સેઇન્ટ જોસેફ' ડે તરીકે પણ ઓળખાતો અને ૧૯મી માર્ચે ઉજવાતો, વિશ્વના ૪૦ કરતાં વધુ દેશોમાં જુદા જુદા દિવસે મનાવાતો 'ફાધર્સ ડે' બ્રિટન અને અમેરિકાના મોટા ભાગના દેશો સહિત ભારતમાં જૂન મહિનાના ત્રીજા રવિવારે મનાવવામાં આવે છે. પિ તૃત્વની ઉજવણી કરતો, પિતા અને સંતાનો વચ્ચેના સંબંધ સેતુને વધુ મજબૂત કરતો તેમજ સમાજમાં પિતાના પ્રભાવ અંગે જાગરૂકતા ફેલાવતો દિવસ વર્ષે ૨૦૧૮માં  આજે ૧૭મી જૂને ઉજવાઈ રહ્યો છે. જોગાનુજોગ તાજેતરમાં મારા વાંચવામાં એક સરસ મજાનો સંદેશ આવ્યો કે તમારા માતાપિતા માટે દસ-પંદર વાક્યો તમે જાતે લખો અને તેમને સમર્પિત કરો અને મને આજનો બ્લોગ લેખ ફાધર્સ ડે નિમિત્તે મારા પિતા શ્રી ઘનશ્યામ નાયકને સમર્પિત કરવાની પ્રેરણા મળી. તમે પણ આજે અનોખી રીતે તમારા પિતા માટે કોઈક સંદેશ જાતે લખી તેમને સમર્પિત કરો અને જુઓ તમને બંનેને કેટલું સારું લાગે છે!
મારી પપ્પા પ્રત્યેની લાગણી,સદભાવના અને આજના ફાધર્સ ડે નિમિત્તની શુભેચ્છા હું આજે ફાધર્સ ડે નિમિત્તે આ પત્ર દ્વારા વ્યક્ત કરું છું :
“વ્હાલા પપ્પા,
આજે ફાધર્સ ડે છે. તમને અનેક ગણી શુભેચ્છાઓ!
તમે હંમેશા મારા આદર્શ રહ્યા છો. નાનપણથી હું તમને સંઘર્ષ કરતા જોતો આવ્યો છું, સાદગીપૂર્ણ જીવન જીવતા જોતો આવ્યો છું, ભક્તિ કરતાં, ક્યારેય કોઇનું બુરું બોલતા-ચાહતા-કરતા જોતો આવ્યો છું.  બધાંની મારા જીવન ઘડતરમાં અતિ હકારાત્મક અસર થઈ છે. બધું જોઈ તે પ્રમાણે આચરણ કરવાની મને પ્રેરણા મળી છે.
એક કલાકાર - સેલીબ્રીટી હોવા છતાં તમે ક્યારેય અભિમાન કર્યું નથી, સેલીબ્રીટીહૂડનો નશો ક્યારેય તમારા દિમાગ પર છવાયો નથી. અદેખાઈ-ઇર્ષ્યા વગેરે દુર્ગુણોથી તમે જોજનો દૂર છો. તમે સદાયે સેલીબ્રીટીહૂડ સાથે આવતી બદીઓ-કુટેવોથી દૂર રહી શક્યા છો. વિષે તમે મને ક્યારેય કોઇ ઉપદેશ કે શિખામણ આપ્યાં નથી  પણ બધાં સદગુણો, તમારું આચરણ જોતાં જોતાં મોટો થતાં સાહજીક રીતે મારામાં પણ ઉતરી આવ્યાં છે.
તમે સવારે ઉઠતાં વેત સારા સંગીત સાથે દિવસની શરૂઆત કરો છો. નાહીધોઈ ધૂપ-અગરબત્તી સાથે ઇશ્વર આરાધના કરો છો હું નાનપણથી જોતો આવ્યો છું અને મારામાં પણ શ્રદ્ધા અને ભક્તિભાવ ઉતરી આવ્યાં છે. હું કદાચ તમારી જેમ રોજ પાલખા સામે સમય પસાર કરતો નહિ હોઉં, પણ ઇશ્વરમાં હું યે તમારી જેમ સંપૂર્ણ શ્રદ્ધા ધરાવું છું.  જીવનમાં અનેક વાર, કપરા કાળે તમારી કસોટી કરી છે તેનો હું સાક્ષી રહ્યો છું. પણ આવે સમયે પણ શ્રદ્ધા ટકાવી ઇશ્વરને સઘળી ચિંતાઓ સોંપી દઈ સારા સમયની રાહ જોવાનું હું તમારી પાસે શિખ્યો છું.
નાનપણમાં તમે મને ભણતી વખતે કોઈ પ્રકારનું દબાણ કર્યું નથી, સ્કૂલમાંથી કોલેજમાં કે ત્યાર પછી મારી સ્વતંત્ર કારકિર્દી શરૂ કરી સંપૂર્ણ યાત્રા દરમ્યાન મને જ્યારે જ્યારે તમારી જરૂર પડી છે ત્યારે ત્યારે તમે સદાયે મારી પડખે રહ્યાં છો પણ ક્યારેય મારા કોઈ પણ નિર્ણયમાં તમે દખલગિરી કરી નથી. કઈ લાઈન લેવી ત્યારથી માંડી કઈ કોલેજમાં જવું,ક્યાં નોકરી સ્વીકારવી બધાં મારા નિર્ણયો લેવાની તમે મને સદાયે છૂટ આપી છે તેને પરીણામે કદાચ હું આજે જ્યાં છું તે મુકામે પહોંચી શક્યો છું. કોલેજમાં એડમિશન માટે જરૂરી દસ્તાવેજો લેવા દોડવાનું હોય કે એન્જિનીયરીંગની મસમોટી ફી ભરવાની હોય સઘળું તમે મારા માટે કોઈ જાતની અપેક્ષા વગર કર્યું છે અને બધાં ઉપકારોનો બદલો હું કઈ રીતે ચૂકવી શકું? આજે તમારી ઉંમર ૭૪ વર્ષની છે પણ આજ પર્યંત તમે દોડતા રહ્યાં છો. લોકો ૫૮ કે ૬૦ વર્ષે નિવૃત્ત થઈ જાય પણ તમારી કલા-કારકિર્દીની તો વય પણ કરતાં વધુ છે! તમે છેલ્લાં ૬૫ વર્ષથી કલા ક્ષેત્રે ભેખ ધરી તમારું સઘળું જીવન કલાને સમર્પિત કરી દીધું છે. તમે હમણાં એકાદ પત્રકાર સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે તમારી તીવ્ર ઇચ્છા એવી છે કે તમારા આયુષ્યનો અંત પણ ચહેરા પર મેક-અપ સાથે આવે! તમે એક જીવતી-જાગતી પાઠશાળા સમાન છો. આટલી મહેનત - સમર્પણ - સમર્પિતતા - કર્તવ્યનિષ્ઠા કોઈ ગુરુ કે સંસ્થા શિખવી શકે? તમે જીવી જાણ્યું છે અને હું બધાં ગુણોનો સાક્ષી બની શિખવાનો અને મારા જીવનમાં ઉતારવાનો સદાયે પ્રયત્ન કરું છું.
 તમે ક્યારેય કોઈની બૂરાઈ નથી ચાહી અને કાર્યક્ષેત્રે કે અંગત જીવનમાં કોઈ શત્રુ બનાવ્યો નથી એટલે અને તમારા સરળ, બાલસહજ અને આબાલવૃદ્ધ સાથે હળીભળી જવાના સ્વભાવને લીધે કલાજગતનાં તમારા સૌ સહકલાકારો તમને જે આદર ,પ્રેમ અને માન-સન્માન આપે છે તે હું ઘણી વાર જોઉં-અનુભવું છું અને બદલ મનમાં ને મનમાં એક ગૌરવ અને ધન્યતાની લાગણી અનુભવું છું. માન-ધન તમે કમાયેલ સૌથી મોટો પુરસ્કાર છે.
તમે તમારો અન્યો સાથે વ્યવહાર અણિશુદ્ધ રાખ્યો છે અને તમારી પ્રમાણિકતા અને નેકી ઇશ્વરે તમને આપેલી શ્રેષ્ઠ ભેટ છે.તમને જેમાં રસ હોય તે બાબતોનો ઉંડાણપૂર્વક અભ્યાસ, જીવનને સદાયે માણતા રહેવાની વૃત્તિ, જીવન પ્રત્યેનો હકારાત્મક દ્રષ્ટીકોણ વગેરે ગુણો આચરી, મને તે અપ્રત્યક્ષ રીતે શિખવવા બદલ હું તમારો હ્રદયથી આભાર માનું છું. ભીડમાં હોય તેને મદદ કરવી,ગરીબો અને જરૂરિયાતમંદ પ્રત્યે કરુણા દાખવવી, કંજૂસાઈ નહિ પણ કરકસર કરવી, નાણાંનો સદુપયોગ કરવો બધી સારી ઉપયોગી વાતો પણ તમે મને શિખવી છે. તમે મારા પિતા છો બદલ હું મારી જાતને સદભાગી સમજું છું.
પપ્પા, યુ આર ગ્રેટ એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ યુ! હેપ્પી ફાધર્સ ડે!! “

રવિવાર, 17 જૂન, 2012

હેપ્પી ફાધર્સ ડે...!

પિતા અને પુત્રનો સંબંધ અનોખો હોય છે.તેઓ એકબીજાને પ્રેમ કરતા હોય છે, એકબીજાને મનથી માન પણ આપતા હોય છે પણ છતાં તેમના સંબંધમાં એક તણાવ જોવા મળતો હોય છે. કદાચ આ મારો અંગત અભિપ્રાય હોઈ શકે છે પણ મારા પોતાના દાખલા સહિત મેં બીજા એવાં ઘણાં નજીકના ઉદાહરણ જોયાં છે જ્યાં બાપ-બેટા વચ્ચેના સંબંધો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના અનુપમ ખેર - શાહરૂખ વચ્ચે દર્શાવાયા હતાં એટલાં સરળ, સુંવાળા અને શત પ્રતિશત મતભેદ વગરના નથી હોતાં.


કેટફીશ નામની માછલીની જાતિના પિતા સજીવોમાં સર્વશ્રેષ્ઠ પિતાનું બિરૂદ પામેલ છે કારણ તે છ મહિના કરતાં પણ વધુ સમય સુધી પોતાના મોઢામાં માદાએ મૂકેલા ઇંડા સાચવી રાખે છે જ્યાં સુધી તેમાંથી બચ્ચા બહાર ન આવી જાય અને તેઓ તરતા શીખી બહારના વિશ્વનો સામનો કરવા જેટલા પુખ્ત ન થઈ જાય. તે કંઈ પણ ખાધાપીધા સિવાય આ અવસ્થા દરમ્યાન સમુદ્રને તળિયે પડી રહે છે. ખરું જોતા, માનવ જાતમાં પણ પિતા, કદાચ કેટ ફિશ જેટલો વધુ પડતો ત્યાગી-વૈરાગી બનીને નહિં પણ પોતાના સંતાનોનું પ્રેમપૂર્વક, જતનપૂર્વક ભરણપોષણ તો કરે જ છે. તે પોતાના મોજશોખનો ઘણી વાર ત્યાગ કરી દે છે જેથી તેના સંતાનની કોઈ ઇચ્છા અધૂરી ન રહી જાય કે પોતાના સંતાનને સારામાં સારી સુખસુવિધા કે ઉચ્ચ કોટિના શિક્ષણ મળી રહે. ભાગ્યે જ કોઈ પિતા એવો હશે જે પોતાના સંતાનને પ્રેમ ન કરતો હોય કે તેની નાની મોટી દરેક અભિલાષા પૂર્ણ કરવાનો પ્રયાસ ન કરતો હોય. હા,કદાચ મા જેટલા ઋજુ સ્વભાવનો ન હોવાને કારણે, ગુસ્સા કે ઉગ્ર સ્વભાવને લીધે તે ભલે ક્યારેક આકરો ભાસે, પણ દરેક પિતા પોતાના સંતાનને શ્રેષ્ઠ બાળપણ પૂરું પાડી તે ઉત્તમ કોટિના માનવી બને એવા પ્રયત્ન હ્રદયથી કરતો જ હોય છે. કયો પિતા બાળકને પોતાને ખભે બેસાડી ઘૂમ્યો નહિં હોય કે કયો પિતા બાળકને પીઠ પર બેસાડી તેના માટે ઘોડો નહિં બન્યો હોય?! પુત્ર હોય કે પુત્રી,પિતાને મન તે કાળજાના કટકા સમાન જ હોય છે (હા, કદાચ પુત્ર-પુત્રી બંને હોય તો તેને પુત્રી વિશેષ વ્હાલી લાગતી હોઈ શકે!) ક્યારેક પિતા ગુસ્સામાં હાથ ઉગામી બેસે કે આકરા એવા બેચાર શબ્દો દ્વારા સંતાનનું દિલ દુભવી શકે પણ બેશક એ સંતાનના ભલા માટે જ. દિલથી તો તે પોતાના સંતાનનું ભલુ જ ઇચ્છતો હોય છે. સંતાનનો સારામાં સારો ઉછેર કરી શકે એ માટે પિતા રાતદિવસ તનતોડ મહેનત કરી સારું કમાવા પ્રયત્ન કરે છે અને ભલે માને ત્યાગની મૂર્તિ ગણવામાં આવતી હોય છતાં બાપ પણ અનેક ગમતી ચીજ વસ્તુઓ કે શોખ-આદતોનો ત્યાગ કરી તેની ગણતરીઓ માંડતો નથી.

ક્યાંક ખૂબ સરસ વાત વાંચેલી કે પિતા માટે સૌથી ધન્ય ક્ષણ કઈ હોય છે?જ્યારે તેનું નાનકડું વહાલસોયું સંતાન તેની નાનકડી આંગળીઓ વડે તેનો હાથ પકડી તેની છાતી પર નિરાંતે સૂઈ ગયું હોય! બાપ જ આંગળી પકડી બાળકને પ્રથમ વાર બહારના જગતમાં પગરણ મંડાવે છે, પહેલી વાર બેન્કમાં લઈ જાય છે, વ્યવહારુ જ્ઞાન આપે છે, દુનિયામાં સમસ્યાઓ સામે લડતા, પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમતા શિખવે છે.

સંતાન નાનું હોય ત્યાં સુધી પિતા જ તેના સુપરહીરો હોય છે!મમ્મી જે જિદ પૂરી ન કરે તે જિદ પપ્પા પાસે પૂરી કરાવતાં સંતાનને વાર લાગતી નથી.તો પછી જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પિતા પુત્રના સંબંધોનું સ્વરૂપ શા માટે બદલાતું જતું હશે? અને કદાચ પિતા પુત્રી વચ્ચેના સંબંધમાં એટલું અંતર નથી વધી જતું જેટલું પિતા પુત્ર વચ્ચેના સંબંધમાં જોવા મળે છે.શું આ પાછળ પુરુષપ્રધાન સમાજને કારણે પુરુષમાં વિકસીત થતો પુરુષ-સહજ અહમ (મેલ-ઇગો) જવાબદાર હશે? જુવાન પુત્રને તેના પિતા સાથે દિલ ખોલીને વાત કરી શક્તો નથી.તેને ક્યારેક પિતા જૂનવાણી લાગે છે તો ક્યારેક વધુ પડતા મરજાદી કે કડક.જનરેશન ગેપ કદાચ પોતાનું કામ કરતો હશે આ પાછળ?સૌમ્ય જોશીના નાટક વેલકમ જિંદગીમાં પિતા-પુત્રના આવા સંબંધોની વાત ખૂબ સુંદર રીતે રજૂ થયેલી.આ નાટક મને ખાસ્સુ સ્પર્શી ગયેલું.

જુવાન દિકરાએ સમજવું જોઇએ કે બાપ ભલે આકરો હોય તોયે મનથી તો તેના સંતાનને ચાહતો જ હોય છે.એ ભલે ને ગમે તેટલો મોટો બની જાય કે વધુ કમાવા માંડે તો પણ તેણે એ ભૂલવું ન જોઇએ કે તેનું અસ્તિત્વ માત્ર તેના પિતાને જ આભારી છે.તે લાખ કોશિશ કરીને પણ એ હકીકતથી વેગળો નહિં થઈ શકે કે તે પિતાના ડી.એન.એ નો જ અંશ છે! તો બીજે પક્ષે બાપે પણ ક્યારેક પોતાના અહમથી વેગળા થઈ દિકરાના વિશ્વને,દિકરાની લાગણીઓને સમજવા જોઇએ.તેની સાથે સખત મિજાજના વડીલ બની નહિં પણ એક દોસ્ત બની વર્તવું જોઇએ. બાપ બેટા વચ્ચે મતભેદ થાય એ ચાલે પણ મનભેદ થવો જોઇએ નહિં.કદાચ બાપ ગુસ્સામાં બે શબ્દો બોલી દે તો દિકરાએ તે મન પર લેવુ જોઇએ નહિં અને કદાચ દિકરો ગમે તેમ બોલી નાંખે તો બાપે મોટા મને તેને ન સાંભળ્યું કરી નાંખવું જોઇએ પણ તકરાર તેમની વચ્ચેના અંતરને એટલા દૂર ન કરી નાંખવી જોઇએ કે તેઓ એક છત નીચે ન રહી શકે.

ઘરડા બાપને દિકરાની જરૂર વયસ્ક વયે જ સૌથી વધુ પડતી હોય છે અને ત્યારે જ દિકરાને પણ ઋણ ચૂકવવાનો મોકો મળતો હોય છે જે તેણે બિલકુલ જતો કરવો જોઇએ નહિં. જુવાન દિકરાના સંતાનનું સંતાન એટલે કે મુદ્દલ પરનું વ્યાજ તો પિતાને મન પોતાના સગા દિકરાથીયે વિશેષ વહાલું હોય છે.સામે પક્ષે પૌત્ર કે પૌત્રીના સ્વસ્થ અને યોગ્ય ઉછેર માટે તેને દાદા-દાદીનો પ્રેમ મળવો અનિવાર્ય છે.દાદા-દાદીને આ સૌભાગ્યથી વંચિત રાખનાર કપૂત દિકરાને તો એ પાપની સજા મળ્યા વગર રહેતી જ નથી.

છેલ્લે મારા મનની એક વાત આજે આ બ્લોગ થકી મારા પપ્પાને તેમજ મારા જેવા કેટલાયે જુવાન પુત્રોના પિતાઓને પહોંચાડવા ઇચ્છુ છું.ક્યારેક તમને તમારા જુવાન પુત્રના વાણી કે વર્તન દ્વારા આઘાત લાગે તો એટલું યાદ રાખજો કે તે મનથી તો તમને ચાહે જ છે,તમને ખૂબ માન આપે જ છે.તેને તમારું નાનકડું વહાલસોયું બાળક ગણી માફ કરી દેશો જેની આંગળી પકડી એક દિવસ તમે જ તેને આ જગતમાં ડગ માંડતા શિખવાડેલું!

મારા પપ્પાને અને જગતનાં દરેક પિતાઓને આજના આ બ્લોગ થકી 'હેપ્પી ફાધર્સ ડે...!'