Translate

રવિવાર, 16 ઑક્ટોબર, 2011

માણસના શરીરમાં ભગવાન : પ્રતિભાવ

[ગયા અઠવાડિયાના ગેસ્ટબ્લોગ અગાઉના રવિવારે મેં માણસના શરીરમાં ઇશ્વર પ્રવેશે એ પ્રશ્ન છેડી આ વિષય પર મારા વિચારો લખ્યાં હતાં તેના અનુસંધાનમાં કેટલાક વાચકમિત્રોએ મૂળ બ્લોગ પર જે કમેન્ટ્સ લખી હતી તે આજે 'બ્લોગને ઝરૂખેથી...'માં વાંચીએ.]



આ વિષય એવો છે જેની ચર્ચાનો કદી અંત જ ન આવે!

હું માનું છું કે આ વિષયને અનેક દ્રષ્ટીથી જોઈ શકાય અને જો બધાં લોકોને આપણે એકસરખા ગણીએ તો એ અયોગ્ય લેખાશે.આ પ્રકારનું વર્તન કરનાર દરેક વ્યક્તિ ઢોંગી કે ખોટી નથી હોતી અને દરેક આવું વર્તન કરનારી દરેક વ્યક્તિ સાચી પણ નથી હોતી.

હું ક્યારેય એવી કોઈ વ્યક્તિને મળ્યો નથી જેની પાસે અલૌકિક કે જાદૂઈ શક્તિઓ હોય કે જેને માતાજી આવતા હોય.એવી કોઈ વ્યક્તિના સંપર્કમાં હું હજી સુધી આવ્યો નથી જેના શરીરમાં ભગવાન આવતા હોય અને જે દુ:ખિયારાઓને ચોખાના દાણા કે ભસ્મ આપી કે તેમને આશિર્વાદ આપી તેમના દુ:ખડા દૂર કરતી હોય.

પણ હું જ્યારે આવી વ્યક્તિઓ વિષે વિચારૂ છું ત્યારે મને લાગે છે જ્યાં સુધી આવી વ્યક્તિઓ લોકો પાસેથી પૈસા કે ભેટસોગાદો સ્વીકાર્યા વિના ફક્ત સમાજસેવા ખાતર આવી પ્રવૃત્તિઓ કરતી હોય ત્યાં સુધી એમાં કંઈ ખોટુ નથી. ઉલટું આવી વ્યક્તિઓ એવાં ઘણાં લોકો માટે આશાના છેલ્લા કિરણ સમાન બની રહેતી હોય છે જેઓ પોતાની અસાધ્ય બિમારી કે લાંબા ગાળાની કમનસીબી કે પનોતી દૂર કરવા માટે શક્ય એટલા દરેક નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા હોય છે.

ભલે આવા, ભગવાન પોતાના શરીરમાં આવતા હોવાનો દાવો કરનાર વ્યક્તિએ આપેલ ચોખા કે લોકેટ કોઈ અસાધ્ય માંદગી કે પનોતી દૂર કરવાની તાકાત ધરાવતા ન હોય પણ તેમનામાં એવું કોઈક 'જાદૂઈ' તત્વ જરૂર હોય છે જે નિરાશ લોકોમાં આશા જીવંત રાખે છે, તેમને વધુ એક પ્રયાસ દ્વારા તેમના દુ:ખ કે આપત્તિમાંથી બહાર આવવા પ્રેરે છે, કોઈ અદ્રષ્ય શક્તિ પોતાની સાથે હોવાનો આભાસ કરાવે છે. આપણે પણ સાયકલ ચલાવતા શીખેલા ત્યારે પાછળ કોઈ અદ્રષ્ય હાથ સાયકલને પકડી આપણને સાચવતા હોવાનો અનુભવ આપણે નથી કર્યો જ્યારે હકીકતમાં ત્યાં કોઈ નહોતું?

પણ જો કોઈ વ્યક્તિ પોતાનામાં ભગવાન આવતા હોવાની વાત ફેલાવી લોકો પાસેથી પૈસા પડાવતી હોય તો તે ક્યારેય સાચી હોતી નથી.

બીજો પણ એક એવા લોકોનો વર્ગ છે જે ક્યારેય પોતાનામાં ભગવાન પ્રવેશતા હોવાનો દાવો નથી કરતાં પણ ઘણી વાર તેમના પર પ્રાર્થના વેળાએ એક ધૂન સવાર થઈ જાય છે અને તેઓ એક સમાધિ જેવી અવસ્થામાં ખોવાઈ જાય છે.મને લાગે છે આ અવસ્થા યોગમાં વપરાતા 'ધ્યાન' કે 'મેડિટેશન' શબ્દ જેવી છે. સામાન્ય રોજબરોજના જીવનમાં પણ આપણે કોઈ વસ્તુનો બારીકાઈથી અભ્યાસ કરીએ ત્યારે કે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરતી વેળાએ આવી સ્થિતી અનુભવી શકાતી હોય છે. પેલા સમાધિ અવસ્થામાં પહોંચી ગયેલા લોકો પ્રાર્થનામાં તન્મય થઈ ગીત અને ઇશ્વરની તેમના મન સમક્ષ ખડી થયેલી છબીમાં એટલી હદે ખોવાઈ જાય છે કે તેઓ પોતાની જાતને ભૂલી જાય છે અને પોતાની શારીરિક પ્રક્રિયાઓ પરનો કાબૂ પણ ગુમાવી બેસે છે (જે ક્રિયા કે અવસ્થાને તમે તમારા બ્લોગમાં 'ધૂણે છે' એવો શબ્દપ્રયોગ દ્વારા વર્ણવી હતી.)

અહિં પણ જો આ પ્રકારનું વર્તન કોઈ પોતાના અંગત લાભ ખાતર ન કરતું હોય તો મારે મતે એમાં કંઈ નુકસાન કે ખોટુ નથી.

બીજા એક દ્રષ્ટીકોણથી જોઇએ તો ભગવાને માણસના અતિ 'શક્તિશાળી' અને 'બુદ્ધિશાળી' મગજ અને એવા અવયવોની રચના કરી છે જેને વિજ્ઞાન અને તંત્રજ્ઞાને આટલી પ્રગતિ સાધી હોવા છતાં, આજ સુધી કોઈ સંપૂર્ણપણે સમજી શક્યું નથી કે કૃત્રિમ રીતે તેની આબેહૂબ નકલ સર્જી શક્યું નથી. આવા અતિ સંકુલ છતાં સચોટ માનવ શરીરની રચના કરનાર એ જ ભગવાન કેટ્તલાક 'દિવ્ય' શક્તિ ધરાવતા મનુષ્ય કેમ ન સર્જી શકે?

આખરે આવા સાચા કે ખોટા મનુષ્ય વચ્ચેનો ભેદ પારખવા મનુષ્યે પોતાના એ જ શક્તિશાળી મગજનો ઉપયોગ કરવો જોઇએ!

ધન્યવાદ.

- જયેશ જોશી (મલાડ,મુંબઈ)



* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *



મને આ ચર્ચાનો હિસ્સો બનવું ખૂબ ગમશે.

તમે એમ કહેવામાં બિલકુલ સાચા છો કે ભગવાન કદી મનુષ્યના શરીરમાં પ્રવેશી શકે નહિં. કારણ એ તો ત્યાં જ વસે છે...દરેક મનુષ્યના અંતરાત્મામાં.

ઇશ્વર કેટલા શાંતિપ્રિય,પ્રેમાળ અને માયાળુ હોય છે! જ્યારે તમે મધર ટેરેસાને યાદ કરો ત્યારે તમને કેવી લાગણી થાય છે? તેમની આસપાસ એક પ્રકારની આભાનું વર્તુળ રચાતું. તેઓ ઘણી જાહેર જગાઓએ જોવા મળતા પણ તેમણે ક્યારેય પોતાના શરીરમાં ભગવાન પ્રવેશતા હોવાનો દાવો કર્યો નહોતો. છતાં તેમની આસપાસ એક દૈવી તેજવર્તુળ ચોક્કસ અનુભવવા મળતું. જેનામાં ઇશ્વરીય તત્વ હોય તેના ચહેરા પર એક ગજબની શાંતિ અને કાંતિ છવાયેલી હોય છે જે લોકોને તેના તરફ આપોઆપ આકર્ષે છે. ઇશ્વરને મળ્યાના આનંદની અનુભૂતિ તેમને આવી વ્યક્તિને મળીને થાય છે. આનાથી ઉલટું હોય તો બધા એવી વ્યક્તિથી દૂર ભાગે છે.

જ્યારે લોકો ગમે તેવું વિકરાળ કે હિંસક સ્વરૂપ ધારણ કરેલ વ્યક્તિમાં પણ ભગવાન હોવાનું માની તેની પાસે પોતાના દુ:ખડા દૂર કરવાની યાચના કરવા દોડી જાય છે,ત્યારે એ નક્કી છે કે આવા ભોળા(?) લોકો કોઈક આશરો શોધતા હોય છે,પોતાની પ્રાર્થના આવી વ્યક્તિના માધ્યમથી બીજા વિશ્વમાં વસતા ભગવાન સુધી આ રીતે પહોંચશે એવી આશા સાથે.તેઓ કદાચ અન્ય કોઈક પાસેથી પોતે સાચા માર્ગે છે કે નહિં એ વાતની પુષ્ટી મેળવવા ઇચ્છતા હોય છે.પણ આમાં તેઓ કેટલી હદે સફળ થાય છે એ તો ઇશ્વર જ જાણે!

તમે આવા 'ભગવાન' પોતાના શરીરમાં આવતા હોવાનો દાવો કરનારા લોકો પ્રત્યે જે લાગણી ધરાવો છો તેવી જ ઉગ્ર લાગણી હું પણ આવા લોકો પ્રત્યે ધરાવું છું.મેં તો આવા કેટલાક લોકોને તેમના 'વળગાડ' માંથી મુક્ત થતા પણ જોયા છે.

- વીણા ડિસૂઝા (મલાડ, મુંબઈ)



* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *



દરેકને પોતપોતાની આગવી માન્યતા હોય છે,શ્રદ્ધા હોય છે.મારું માનવું છે કે ઇશ્વરનું અસ્તિત્વ હોય છે તેઓ માટે જેઓ તેનામાં આસ્થા રાખે છે.બાકીનાઓ (નાસ્તિકો) માટે આખી આ ચર્ચા વ્યર્થ છે.મારા જેવી વ્યક્તિ માટે પણ આ આખી વાત નિરર્થક છે જે માને છે કે ઇશ્વર પણ માણસ સમાન જ છે.માણસ નહિં તો ઇશ્વર નહિં.પણ જ્યારે 'વળગાડ' ની વાત કરીએ ત્યારે હું માનું છું કે ચોક્કસ તેના મૂળમાં કોઈક વૈજ્ઞાનિક પાયો રહેલો છે.

- મીરા મેનન (કોલકાતા)



મંગળવાર, 4 ઑક્ટોબર, 2011

માણસના શરીરમાં ભગવાન

આ બ્લોગની શરૂઆત મારે એક પ્રશ્ન પૂછીને કરવી છે.શું તમે માનો છો કે માણસના શરીરમાં ભગવાન આવે?તમે ક્યારેક સાંભળ્યું હશે કે કોઈકને માતાજી આવ્યા કે કોઈકને પવન આવ્યો.શું આવું ખરેખર બની શકે? થોડાં સમય અગાઉ સ્ટીફન હોકિંગ નામના વૈજ્ઞાનિકે તો બ્રહ્માંડનું સર્જન પણ ઇશ્વર દ્વારા નહિં થયું હોવાનો દાવો કરી ઇશ્વરના અસ્તિત્વ અંગે જ પ્રશ્નાર્થ ઉભો કર્યો છે ત્યારે ઇશ્વર પામર માનવીના નશ્વર દેહમાં આવે એ વાતમાં તમે વિશ્વાસ ધરાવો છો? હું ઇશ્વરના અસ્તિત્વમાં ચોક્કસ વિશ્વાસ ધરાવું છું. હું પ્રાર્થનામાં પણ શ્રદ્ધા રાખું છું અને અનિયમિતપણે પણ તે કરતો રહું છું. હું મંદિરોમાં પણ જાઉં છું. મેં પણ ઘણી વાર સાંભળ્યું અને પ્રત્યક્ષ જોયું છે કે કેટલીક વ્યક્તિઓ ધૂણે છે, તેમના શરીરમાં માતાજી કે પવન આવે છે. આવી કેટલીક મેં અનુભવેલી વાતો આ બ્લોગ થકી મારે તમારી સાથે શેર કરવી છે. હું નાનો હતો ત્યારે એક બહેનના ઘરે ગયાનું યાદ આવે છે જેમના શરીરમાં કાળકામા આવતા. એમના ઘેર ભક્તોની ભીડ સદાયે લાગી રહેતી. આ બહેનના સંદર્ભમાં એક ખાસ વાત મેં સાંભળી હતી. કાળી ચૌદસની રાતે તેઓ સાવ જુદૂ જ રૂપ ધારણ કરતા. તે એક પગ આખો અને બીજો અડધો વાળી ખાસ રીતે બેસતા અને તેમની જીભ એ રાતે એટલી બધી બહાર નિકળી જતી કે જોનાર તેમનું આ રૌદ્ર ભયાનક સ્વરૂપ જોઈને ડરી જાય.સામાન્ય એવો કોઈ માણસ પોતાની જીભ આટલી બહાર ન કાઢી શકે. એ રાત્રે તેઓ માથાના વાળ છૂટ્ટા રાખતા અને કપાળે મોટ્ટો લાલ ચાંદલો કરતા. કાળકા માનું સાક્ષાત સ્વરૂપ જ જોઈ લ્યો! તેમનું આખુ શરીર એ વખતે ધ્રુજતું હોય અને તેઓ પોતાનું માથુ અતિ ઝડપથી ગોળ ગોળ ફેરવતા જાય. પોચા હ્રદયની કોઈ વ્યક્તિનું એક બહેનનું આવું વિકરાળ સ્વરૂપ જોવાનું કામ નહિં! આ રાતે તેમનું ઘર તો ભક્તોની ભીડથી ભરેલું જ હોય પણ તેમના પાડોશીઓના ઘેર પણ ભક્તો કતારમાં બેઠા હોય.
મારો એક મિત્ર અંબામા અને ગણપતિનો મોટો ભક્ત અને નવરાત્રિ તેમજ ગણેશોત્સવ દરમ્યાન તેના ઘેર તે વિધીવત દેવી અને બાપ્પાની સ્થાપના અને ઉપાસના કરે અને આ પર્વો ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવે.મેં ઘણી વાર તેના ઘેર આ ઉત્સવો દરમ્યાન આરતીમાં હાજરી આપી છે.તે દેવી અને બાપા બન્નેની આરતી ચોપડીમાંથી વાંચ્યા વગર મોઢે જ ગાય અને પછી સંસ્કૃતમાં શ્લોકો પણ ઉચ્ચારે.અને આરતીને અંતે એ ધૂણે. ધૂણે એટલે રીતસર માથુ જોર જોરથી ગોળ ગોળ ઘૂમાવી તેના શરીરમાં પવન આવ્યો હોય તેમ વર્તે. મારો આ મિત્ર મારી જ ઉંમરનો અને ભણેલોગણેલો યુવાન છે. તે ધૂણે ત્યારે અમારે બધાએ બાજુમાં ખસી જઈ તેને જગા કરી આપવી પડે એટલી પ્રચંડ તાકાત લગાડી તે ધૂણે અને ઘૂમે. મારા સગાઓમાં પણ એકના જણાવ્યા મુજબ તેમના શરીરમાં મેલડીમા તો બીજાના કહેવા મુજબ તેમના દેહમાં ભુવનેશ્વરીમા પ્રવેશે છે.પપ્પાના એક મિત્ર ઇચ્છે ત્યારે પોતાના શરીરમાં આશાપુરામાને બોલાવી શકે છે.આ બધી વ્યક્તિઓને તેમના શરીરમાં ભગવાન આવે ત્યારે તેમનાથી ઘણી મોટી વયના લોકો પણ તેમને સાષ્ટાંગ પ્રણામ કરી તેમના આશીર્વાદ યાચે. આ બધી વ્યક્તિઓ જેમના શરીરમાં માતાજી આવે છે તેમના હાથ સતત ધ્રૂજતા હોય ક્યારેક આંખો ગોળ ગોળ ફરતી હોય અને તેઓ ઘણી વાર તો હિંસક સ્વરૂપ પણ ધારણ કરી સામે વાળાને તમાચો લગાવી દે અથવા ઘણી વાર એવા જૂના પ્રસંગો કહી સંભળાવે જ્યાં તેઓ પોતે હાજર નહોતા. હું આ બાબતમાં માનતો નથી.હું નાનપણમાં આ બધી વાતોમાં વિશ્વાસ ધરાવતો હતો પણ હવે મારું મન આ બધી વાતો સાચી હોય એ માનવા તૈયાર થતું નથી.હું દસમાં ધોરણની બોર્ડ પરીક્ષા વખતે, જેમનાં દેહમાં માતાજી આવતા હતા, એવા એક બહેનના દર્શન-આશિર્વાદ માટે ગયો હતો અને તેમણે આપેલા ચોખા મેં બધી પરીક્ષાઓ લખતી વખતે મારી પાસે જ રાખ્યા હતા.મને એ બોર્ડ પરીક્ષામાં ૯૦.૮૫ ટકા જેટલા ઉચ્ચ ગુણાંક પણ પ્રાપ્ત થયા હતા પણ આજે હું માનું છું કે એ મારી મહેનત (અને સદનસીબ)ને લીધે જ પ્રાપ્ત થયા હશે. નહિંતર મારા એક કઝિને પણ એ જ બહેનના આશીર્વાદ લઈ તેમના ચોખા મારી જેમજ પોતાની પાસે રાખ્યા હતા છતા એ કેમ નાપાસ થયો? આજે હું દ્રઢપણે માનું છું કે માનવ જેવા તુચ્છ જીવના શરીરમાં પરમાત્મા પ્રવેશે એ વાતમાં બિલકુલ તથ્ય નથી. માણસ ઇચ્છે ત્યારે તેના શરીરમાં આવી જાય એટલો સસ્તો છે ઇશ્વર? માણસ જેટલો પાપી અને દુષ્ટ આ પૃથ્વી પર બીજો કોઈ જીવ નથી તો સર્વગુણસંપન્ન પરમાત્મા પામર માનવીના દેહમાં એ દ્રષ્ટીએ પણ પ્રવેશે નહિં. મારા મતે આ એક માનસિક અવસ્થા છે જ્યારે વ્યક્તિ એવું માનવા માંડે છે કે તેના શરીરમાં દૈવી શક્તિ પ્રવેશી છે અને તેની અસર એટલી પ્રભાવક હોય છે કે તે વ્યક્તિનું શરીર પણ તેને સાથ આપવા માંડે અને તેનામાં વધારાની શક્તિ આવી જાય. આ વિષય પર મેં ક્યાંક વાંચેલું કે કેટલીક વ્યક્તિઓ બીજાઓનું ધ્યાન ખેંચવા કે માન અને મહત્વ મેળવવા માટે પણ આવું વર્તન જાણી જોઈને કરતી હોઈ શકે.પોતાની કોઈ ક્ષતિ કે લઘુતા ગ્રંથિથી પીડાઈને પણ વ્યક્તિના મનનો એક ભાગ તેને આમ કરવા પ્રેરતો હોઈ શકે. મનુષ્યના મનની પ્રચંડ તાકાત વિષે તો તમે જાણતા જ હશો.માતાજી આવ્યા હોય એ વખતે આ સુષુપ્ત તાકાત કામ કરવા માંડે એમ બની શકે. જ્યારે આવી વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થથી પ્રેરાઈને લોકોને છેતરવા માટે પરમેશ્વરની પોતાની કાયામાં પ્રવેશના ગપગોળા ફેંકી (અશોક જાડેજા યાદ છે ને જે પોતાના શરીરમાં માતાજી આવે છે એવું તૂત ચલાવી લોકોના લાખો રૂપિયા ચાંઉ કરી ગયેલો અને પછી પોલિસે તેની ધરપકડ કરેલી) ત્યારે એ ખોટુ અને અક્ષમ્ય અપરાધ જેવું ગણાય.લોકોએ શ્રદ્ધા રાખવી પણ અંધશ્રદ્ધા રાખી કોઈ મનુષ્યને જ ભગવાન માની બેસવાની ભૂલ કરવી જોઈએ નહિં. તમારું શું માનવું છે?

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2011

સમાજ માટે લાલબત્તી

આ બ્લોગ લખતી વેળાએ હું સ્તબ્ધ છું, શોકમાં ગરકાવ છું.મારા પાડોશમાં થોડે જ દૂર રહેતાં સોળ વર્ષના એક ઉગતા યુવાને એક રીઢા ગુનેગારની જેમ આયોજન કરી પોતાની દાદીનું કાસળ કાઢી નાંખ્યાની ચોંકાવનારી કમનસીબ ઘટના બની છે.જે અખબારોમાં વાંચી હું અતિ અસ્વસ્થ બની ગયો છું. સિનિયર સિટીઝન્સની હત્યાની પાછલા એક જ મહિનામાં બનેલી આ છઠ્ઠી ઘટના છે.આ એક આઘાતજનક સત્ય છે.આપણે ક્યાં જઈ રહ્યા છીએ?સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે.આ બધી ઘટનાઓમાં ગુનેગાર કે હત્યાનો ભોગ બનનાર સમાજના નીચલા વર્ગમાં ગણાતા હિસ્સાનો જ ભાગ નથી.ઉપર જે સોળ વર્ષના યુવાનની વાત કરી તે અતિ શ્રીમંત પરિવારનો વંઠેલ કે પછી ખોટા લાડ થકી છકી ગયેલ યુવાન છે.આપણે ખૂબ ચેતી જવાની જરૂર છે.આ યુવાનને મહિને બે થી ત્રણ હજાર રૂપિયા પોકેટમની અપાતા હતાં.આજકાલના દરેક જુવાનિયાને મા બાપ મોબાઈલ અપાવે છે.મોંઘીદાટ ભેટો આપે છે.મોહમ્મદ અઝરુદ્દિને પોતાના ઓગણીસ વર્ષના સૌથી યુવાન પુત્રને લાખ રૂપિયાથીયે વધુ કિંમતની સ્પોર્ટ્સ બાઈક બર્થડે ભેટ તરીકે આપી જેના પર બેસીને જ એ ઓગણીસ વર્ષના આશાસ્પદ યુવાને જીવ ખોયો.ફક્ત પોતાના એકલાના જ નહિં,પણ તે પોતાના કિશોર વયના પિત્રાઈ ભાઈના અપમૃત્યુનું પણ તે નિમિત્ત બન્યો. બાળકના ઘડતરમાં માતાપિતાના વર્તનનો પડઘો પડતો હોય છે. નાનપણથી તેનામાં સારા સંસ્કારનું સિંચન થાય એ માટે માતાપિતા એ પોતે સારું વર્તન કરવાની અને પોતાના સંતાનોને સૌથી મૂલ્યવાન સમય આપવાની જરૂર છે.તેને પૈસા આપી દઈ,મોંઘીદાટ ભેટો આપી કે આડા રવાડે ચડેલા મિત્રોના કે બહારના વર્ગો,ટ્યુશનના ભરોસે છોડી દેવાનું પરિણામ ગંભીર જ આવે.તમારા સંતાનની દરેક પ્રવૃત્તિમાં રસ લઈ તે ક્યાં જાય છે,કોની સાથે રહે છે,ફરે છે,ભણે છે આ બધું આજના યુગમાં એક જવાબદાર માતાપિતા માટે અતિ આવશ્યક નહિં પણ અનિવાર્ય બની ગયું છે.આજે મિડીયાનો પ્રભાવ વધ્યો છે,ઇન્ટરનેટના આ જમાનામાં તમારું બાળક ખોટા રવાડે ખૂબ જલ્દી ચડી જઈ શકે છે.ક્રાઈમ પેટ્રોલ, સી.આઈ.ડી. જેવી ટી.વી. સિર્રિયલો પણ ગુનાનું આબેહૂબ ચિત્રણ કરી લોકોને ખોટા માર્ર્ગે જતા રોકવાને બદલે ગુનો કરવાની પ્રેરણા આપનાર સમાન વધુ બની રહે છે. સોળ-સત્તર વર્ષના યુવાન સવા દોઢ લાખ રૂપિયાના બાઈક માટે થઈ ઘરે કોઈ ન હોય એ સમયે લૂંટ ચલાવવાનો પ્લાન ઘડી કાઢ્યો,આંગળીઓના નિશાન ન પડે એ માટે ગ્લોવ્સ અને ગળું દબાવી હત્યા કરવા નાયલોનની રસ્સી ખરીદ્યા. આટલું શેતાની દિમાગ આ પ્રકારના આયોજનની તાલીમ તો મેળવતું નથી તો તેને આટલી ચોકસાઈથી ગુનો કરવાની પ્રેરણા કઈ રીતે મળે?મિડીયાનાં ખોટા પ્રસાર અને પ્રચાર દ્વારા જ. અખબારો,ટી.વી. ચેનલો એ ગુનાની સિલસિલા બદ્ધ હકીકતો રજૂ કરવાને બદલે, ગુનાના દુષ્પરિણામો કે તે કર્યા બાદ ગુનેગારને થતા પારાવાર પસ્તાવા કે તેને મળતી આકરી સજાનું લંાબાણ અને વિસ્તારથી પ્રસારણ કે પ્રચાર કરવા જોઇએ.રામ ગોપાલ વર્મા જેવા તો નીરજ ગ્રોવર હત્યા કાંડ જેવા વિષય પર આખી ફિલ્મ બનાવતા પણ અચકાતા નથી.એમાંથી ગેરમાર્ગે દોરાયા વગર શું શિખવાની અપેક્ષા રાખી શકાય? જે બે યુવાનોએ મળી તેમાંના એકની સગી દાદીની હત્યા કરી તેને સરકારે બાળ સુધાર ગ્રુહમાં મોકલી દીધાં.આ યુવાનો ક્રિમીનલ્સને પણ આંબી જાય એમાંના હોવા છતાં તેમને હળવી સજા થશે કાં તો એ પણ નહિં થાય કારણ તેઓ બાળકો છે.શું આ યોગ્ય છે? જન્મ આપનાર જનેતાની નિઘૃણ હત્યા કરનાર પોતાના સંતાનને સૌ પ્રથમતો તેના પિતાએ સર્વ પ્રસાર માધ્યમોની હાજરીમાં કે જાહેર જનતા વચ્ચે પોતાની સંપત્તિ માંથી બેદખલ કરી તેને નાહી નાખવો જોઇએ અને સરકારે પણ કાનૂને બનાવેલા નિયમોનો અંધપણે અવિચારી પ્રયોગ કરવાને બદલે સમાજમાં દાખલો બેસે એ માટે આવા કેસમાં એ બંને યુવાનોને દેહાંત દંડની અથવાતો આજીવન કારાવાસની સજા ફરમાવવી જોઇએ. ત્રણ વર્ષની ગણપતિ જોવા ગયેલી બાળકી પર બળાત્કાર બાદ તેની પત્થરથી માથુ છૂંદી નાંખી કરેલી હત્યા,પોતાનાથી મોટી યુવાન બહેનનું અફેર ચાલતુ હોવાની ખબર પડતા યુવાની તેને ઢોર માર માર્યો અને યુવતિનું મૃત્યુ થયું, રૂપિયાની લાલચથી પ્રેરાઈ મિત્રનું અપહરણ કર્યું,દેવુ વધી જતા સંતાનોની તેમજ પત્નીની હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા આવા તો સમાચારોની વણઝાર ચાલુ જ રહેશે જો આપણે થોડા જવાબદાર નાગરિક નહિં બની જઈએ તો...

રવિવાર, 18 સપ્ટેમ્બર, 2011

'હાથીના ચાવવાના દાંત જુદા અને દેખાડવાના દાંત જુદા'

ગુજરાતીમાં એક કહેવત છે 'હાથીના ચાવવાના દાંત જુદા અને દેખાડવાના દાંત જુદા' જેનો અર્થ થાય છે કે કહેવું કંઈક અને કરવું કંઈક કે પછી વિચારવું કંઈક અને વર્તન અલગ કરવું.આ કહેવતને એ અર્થમાં પણ લાગુ પાડી શકાય કે આપણે પોતાના કે અંગત લોકો સાથે જે પ્રકારનું વર્તન કરીએ તેનાથી જુદું વર્તન અન્ય લોકો સાથે કરવું.


હું ‘આકાશવાણી (ઓલ ઇન્ડિયા રેડિયો)’ પર ગુજરાતીમાં સમાચાર વાંચવા જાઉં છું. પહેલા અંગ્રેજી કે હિન્દીમાં જે ખબરો મુખ્ય સમાચાર સંસ્થા પાસેથી મળી હોય તેનું ગુજરાતીમાં ભાષાંતર કરી એ કાગળ પર લખવાની. બે જણ આ ફરજ પર હાજર હોય અને તેમણે મળીને કુલ આઠ થી દસ પાના લખવાના અને પછી બેમાંથી એક જણ એ સમાચારો દસ મિનિટના બુલેટીનમાં વાંચે જેનું આફ્રિકામાં વસતા ગુજરાતીઓ માટે જીવંત પ્રસારણ થાય. હવે લખનાર બે અને વાંચનાર એક હોય એટલે સમાચાર વાંચનારે અન્ય વ્યક્તિએ ગમે તેવા અક્ષરે લખેલું વાંચવાનું મુશ્કેલ કાર્ય પણ કરવું પડે.અહિં આજના બ્લોગનો મુખ્ય મુદ્દો આવે છે. મારા અક્ષર અતિશય ખરાબ હતાં અને છે. જ્યારે મને ખબર હોય કે મારી સાથે હાજર બીજી વ્યક્તિ સમાચાર વાંચવાની છે ત્યારે હું સભાનતાપૂર્વક થોડા સારા અક્ષરે મારા ભાગના સમાચાર લખવા પ્રયાસ કરું! પણ જ્યારે ખબર હોય કે મારું લખેલું મારે જ વાંચવાનું છે ત્યારે લખવામાં હું એવી વેઠ ઉતારું કે અન્ય કોઈ ફમ્બલ થયા વગર કીડીમંકોડા જેવા અક્ષરોમાં લખેલું એ લખાણ વાંચી જ ન શકે! હમણાં છેલ્લે જ્યારે મારી ડ્યુટી હતી ત્યારે મને એમ કે મારે સમાચાર વાંચવાના છે એટલે મેં તો શરૂ કર્યું જેવા તેવા અક્ષરે લખવાનુ પણ છેલ્લી ઘડી એ મારી સાથેના સિનિયર બહેને જાહેર કર્યું તેઓ સમાચાર વાંચશે. થઈ રહ્યું! મેં તેમને આગોતરી ચેતવણી આપી દીધી કે બહેન લાઈવ સમાચાર વાંચતા પહેલાં એક વાર મારું લખાણ વાંચી જજો કારણ મેં ખૂબ ખરાબ અક્ષરો કાઢ્યા છે અને તેમણે એમ કર્યું પણ ખરા. પણ બુલેટીન લાઈવ વાંચતી વેળાએ તેમને મારા અક્ષર ઉકેલતા જે તકલીફ પડી છે એ ત્યાં મેં હાજર હોવાથી પ્રત્યક્ષ જોયું અને મને ખૂબ ક્ષોભ થયો. એ તો બહેન ખૂબ કાબેલ હોવાથી બુલેટીન જળવાઈ ગયું પણ મને વિચાર આવ્યો કે મારે શા માટે હાથીના દાંત વાળી કહેવતને સાર્થક કરતો હોઉં એમ વર્તવું જોઇએ? શું હું હંમેશા સારા અક્ષરે જ ન લખી શકું પછી ભલેને સમાચાર વાંચવાનું મારે ભાગે આવે કે ન આવે?

બીજી પણ આપણા સૌના વર્તનની કેટલીક લાક્ષણિકતાઓ વિષે મને અહિં વાત કરવાનું મન થાય છે.આપણે ઘણી વાર આપણાં માટે ખૂબ લાગણી ધરાવતી વ્યક્તિ સાથે ઉદ્ધતાઈથી વર્તતા હોઈએ છીએ જ્યારે આપણાં માટે જેને ખાસ લાગણી ન પણ હોય છતાં જે વ્યક્તિ પ્રત્યે આપણને કૂણી લાગણી હોય તેના વાંકગુના સામે પણ આંખ આડા કાન કરી આપણે તેમને વધુ પડતું માન આપતા હોઈએ છીએ. આપણા માટે લાગણી ધરાવતી વ્યક્તિઓને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવી કેટલી હદે યોગ્ય ગણાય?

મારા ઘરમાં મારા માટે ખાસ વધુ મોણ નાખેલી મને ભાવે એવી ભાખરી કે પતલી રોટલી બનાવવામાં આવે છે પણ મારી બહેન પોતાના માટે જાડી સામાન્ય લાગે એવી ભાખરી કે રોટલી બનાવે.

આપણે આપણા માટે કે આપણી નજીકની વ્યક્તિ માટે કોઈ નવી વસ્તુ ખરીદીએ ત્યારે તે સારામાં સારી હોય તેનું ધ્યાન રાખીએ છીએ પણ જ્યારે કોઈને દાનમાં આપવાની વાત આવે ત્યારે ફાટેલી, મેલી ઘેલી કે ગમે તેવી વસ્તુ આપવાનું જ પસંદ કરતા હોઈએ છીએ.જેની સાથે આપણો સીધો સંબંધ ન હોય તેવી પણ જરૂરિયાત મંદ વ્યક્તિને પણ આપણે સારામાં સારી વસ્તુ ન આપી શકીએ?

આપણું ઘર હોય તેમાં આપણે ખૂબ સારી રીતે સ્વચ્છતા જાળવતા હોઇએ છીએ પણ બહાર કચરો ગમે ત્યાં નાખી અવિચારીપણે ગંદકી ફેલાવતા હોઇએ છીએ.

આપણાં પોતાના ખિસ્સામાંથી રૂપિયા ખર્ચવાના હોય ત્યારે ખૂબ ચીવટ અને કરકસરથી ખર્ચ કરતા હોઈએ છીએ પણ મફતનું મળતું હોય કે ઓફિસના કે પારકા પૈસે કંઈક લેવાનું હોય ત્યારે સંયમ ભૂલી બેફામપણે તે વસ્તુને વેડફીએ છીએ.

હમણાં જ ગણેશોત્સવ ગયો. મારી બહેન લાલબાગચા રાજાના દર્શન માટે ગઈ હતી ત્યાં ચોવીસ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ તેને ગણપતિ બાપાની મૂર્તિના દર્શન કરવા મળ્યા જ્યારે વી.આઈ.પી ક્વોટામાં કેટલીક ખાસ વ્યક્તિઓને લાઈનમાં બિલકુલ ઉભા રહ્યા વગર એકદમ પાસે થી ગણપતિ બાપાની એજ મૂર્તિના દર્શન સાવ સરળતાથી કરવા મળી ગયાં.

એવો દિવસ આવશે જ્યારે બધે આપણું વલણ એકસરખું હોય?

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

ગેસ્ટ બ્લોગ : બાંકડો

- જગત નિરૂપમ અવાશિયા


GUEST BLOG URL: http://vicharjagat88.wordpress.com/2010/06/28/



રવિવાર ની એક સવાર ! ચૌદ વર્ષ બાદ મેં મુલાકાત લીધી એ ભૂમિ ની જ્યાં મેં મારા બાળપણ નાં કીમતી વર્ષો વિતાવ્યા હતા ! ખેડા જિલ્લાનું ધુવારણ એટલે મારા માટે તો મારી સુમધુર બચપણ ની યાદો નું એક પાવરહાઉસ ! અહીં આવેલા ગેસ્ટહાઉસ પાસેના બગીચા નો એ જ બાંકડો કે જે વર્ષો સુધી અમારી ઘણી બધી યાદો નો જાણે જીવંત સાક્ષી બની ગયો હતો ! દરેક જીવંત કે નિર્જીવ પદાર્થ નાં જીવન માં એક સમય આવે કે જયારે તેની રોનક અને જાહોજલાલી ચરમસીમા પર હોય ! આવા જ “Golden Period” ને એક જમાના માં નિહાળનાર એ બાંકડો, એ દિવસે જાણે થોડા માં ઘણું બધું કહી ગયો !




આ બ્લોગ સાથે પ્રથમ વાર આ રચનાને આપની સમક્ષ રજૂ કરું છું !

ચાલતા ચાલતા આજ સવારે મળ્યો હું એક બાંકડા ને,

પાસ જઈને હળવેથી મેં કર્યો એક સવાલ –

“કેમ ભાઈ ! પડી તુજને મારી ઓળખાણ ?”

આંખ ઉઘાડી,મુખ સંવારી ,વર્ષોથી એ મૂક બનેલો !



મને એમ કે હમણાં મુજને કરશે એક સવાલ —

“ઓળખાણ આપશો શ્રીમાન ?? “

ત્યાં તો અહીં બન્યું જ તદ્દન વિપરીત !

વૃદ્ધ છતાં પણ મક્કમ સાદે આવ્યો એક જવાબ :



બેટા ! તને તારી ખુદ ની પણ ઓળખ ન હતી,

તે દિન થી તુજ ને હું ઓળખું,

આજ મોટો થઇ તુ પૂછે મુજ ને કે

પડી મારી ઓળખાણ ?



ચાલતા પણ તુ અહીં જ શીખ્યો ‘ તો ને ,

બે પૈડા પર અહીં જ ફરતો ‘તો !

રમતો હોય કે હોય ઉજાણી

રાતદિન તુ અહીં જ ખીલ્યો ‘ તો !



મિત્રો સાથેની મહેફીલો નાં, પડઘા હજી પણ ગૂંજે !

આ જ ખુશીને કાળે, મારી એક થપાટ !

મિત્રો છીનવ્યા,સ્વજનો છીનવ્યા,છીનવી મારી રોનક !

આજે તો હું સાવ અટૂલો,મહી કિનારે,મુખ નમાવી,વજ્રાસન માં બેઠો !



“ફરી મળીશું “ એમ કહીને મેં વિદાય લીધી ત્યાંથી !!



એની યાદો ?? એની લાગણી ?? એની વેદના ??

શું હતું એ કઈ જ ન સમજાયું !

જે પણ કઈ હતું, એ સંવેદના નો….

ચિર સ્મરણીય અનુવાદ ભીનો લાગ્યો !



- જગત નિરૂપમ અવાશિયા

મંગળવાર, 6 સપ્ટેમ્બર, 2011

કાઝિરંગામાં હાથી પર વનયાત્રા

ગણેશ ચતુર્થી એટલે ગણપતિદાદાનો તહેવાર અને ગણપતિ દાદાનું મુખ એટલે ગજરાજનું મુખ.મને ગજરાજ પર બેસીને મેં વનપ્રવાસની મજા માણી એ પ્રસંગ વિષે વાત કરવાનું મન થાય છે.તો ચાલે આજે બ્લોગમાં મેં હાથી પર બેસીને માણેલી આ વનયાત્રાની વાત કરું.

ફેબ્રુઆરી મહિનામાં હું મારી પત્ની અને આઠ જ મહિનાની મારી દિકરી સાથે આસામ અને મેઘાલય રાજ્યોમાં ફરી આવ્યો. ખૂબ સારો રહ્યો મારો આ સમગ્ર અનુભવ પણ આસામની આ યાત્રા દરમ્યાન કાઝિરંગા નેશનલ પાર્કમાં એલિફન્ટ સફારી એટલે કે હાથી પર સવારી કરી જંગલમાં લટાર મારવાનો અનુભવ રોમાંચક ,અદભૂત અને અવિસ્મરણીય બની રહ્યો. આ એલિફન્ટ સફારી માટે વહેલી સવારે ઉઠવું પડે કારણ હાથી મહારાજની પહેલી સવારી ઉપડે સવારે પાંચ વાગે! હું જે હોટલમાં રોકાયો હતો તે હાથી-સફારી શરૂ થવાની જગાથી બાર કિલોમીટર દૂર હતી.આથી સવારે સાડા ત્રણે(કદાચ જીવનમાં પહેલી વાર!) ઉઠી અમે નાહીધોઈ તૈયાર થઈ ગયા અને નિકળી પડ્યા ગજરાજ સવારી માટે. સવા પાંચે આ અદભૂત યાત્રાની શરૂઆત થઈ. સફારી શરૂ થવાની જગા પાસે ગાડીમાંથી ઉતરી થોડું ચાલીને આગળ જવાનું હતું. હજી ઘોર અંધારૂં હતું.છતાં આછા ચંદ્ર પ્રકાશમાં આજુબાજુમાં ચાલી રહેલા લોકોને જોઈ ખ્યાલ આવ્યો કે પ્રક્રુતિને પ્રેમ કરનારા ઘણાં બીજા પણ છે. પણ હા એક વાત ખરી કે આઠ જ મહિનાની દિકરીને લઈ આવું સાહસ કરનાર હું એકલો જ હતો! થોડું આગળ ગયા ત્યાં લાકડાના માંચડા જેવું પ્લેટ્ફોર્મ નજરે ચડ્યું.અહિંથી અમારે ગજરાજ પર સવાર થવાનું હતું. એક હાથી પર ચાર,છ કે આઠ લોકોને બેસાડવા હાથીની પીઠ પર લાકડાની બેઠક બનાવેલી હોય.મારી સાથે પત્ની સહિત નાની બાળકી હોવાથી ચાર સીટ વાળા હાથી પર અમને બેસવા મળ્યુ.અમે બેઠા હતા તેની બીજી તરફ અમારી પીઠ તરફ તેમની પીઠ રહે એમ એક આધેડ વયનું દંપતિ બેઠું હતું.હાથીની ગરદન પર હાથી પર અંકુશ રાખનાર મહાવત ગોઠવાયો હતો.ભર અંધારામાં જ અમારી હાથીયાત્રા શરૂ થઈ.અમારા માંચડાની સામે રસ્તાની બીજી બાજુએ પણ માંચડો હતો ત્યાં બીજા બે હાથી તૈયાર હતા અન્ય પ્રવાસીઓને પીઠ પર બેસાડી જંગલયાત્રા કરાવવા.અમારા હાથી એ ચાલવું શરૂ કર્યું અને મને લાગ્યું અમે સૌથી પહેલા છીએ એ દિવસે યાત્રા પ્રારંભ કરનારા.પણ થોડા આગળ વધ્યા હોઈશું ત્યાં અંધારામાં બીજાં ચાર-પાંચ મહાકાય આકારો અલગ અલગ દિશાઓમાં ધીમે ધીમે આગળ વધી રહેલાં અનુભવ્યાં. થોડાં નજીક જતાં માલૂમ પડ્યું કે મદમસ્ત ચાલે આગળ વધી રહેલાં એ અમારી પહેલાં વનસવારી પ્રારંભ કરી ચૂકેલાં ગજરાજો હતાં! ઉંચું ઘાસ રસ્તામાં આવતું હતું.પોતાની મસ્તીમાં ટહેલી રહ્યાં હોય અને અમારો ભાર જાણે તેને વર્તાતો જ ન હોય એમ અમારા હાથી મહારાજ આગળ વધી રહ્યાં હતાં.અમે તેની ઉપર બેઠાં બેઠાં ડોલી રહ્યાં હતાં. હાથીજી વચ્ચે વચ્ચે રસ્તામાં આવતાં ઘાસને મૂળ સહિત પળવારમાં પોતાની લાંબી સૂંઢ વડે ખેંચી કાઢી પોતાના મોઢામાં પધરાવી દેતાં હતાં. હજી અંધારા મઢી વહેલી સવારમાં ક્યારેય ન અનુભવેલી અનુપમ અને અદભૂત તાજગી વર્તાતી હતી. આટલી શુદ્ધ હવા અમે ક્યારેય શ્વાસમાં ભરી નહિં હોય! અમે એટલે મેં, મારી બાજુમાં બેઠેલી મારી પત્ની અમી અને આઠ મહિનાની મારી નાનકડી દિકરી નમ્યાએ જે મારા ખોળામાં સૂતી હતી. થોડે દૂર સફેદ ગાદલા જેવું કંઈક પથરાયેલું જણાયું. મને એમ કે એ નદી કે તળાવ હશે પણ મહાવતને પ્રુચ્છા કરતા જાણવા મળ્યું કે એ જમીન પર પથરાયેલું ધૂમ્મસ હતું. હું હાથી પર બેઠા બેઠા મ્હાલી રહ્યો હતો અને આસપાસ થોડે થોડે અંતરે ચાલી રહેલા હાથીઓ તરફ જોતા જોતાં પ્રક્રુતિના આ નોખાં સ્વરૂપનાં સૌંદર્યનું ધરાઈ ધરાઈને આકંઠ પાન કરી રહ્યો હતો ત્યાં અમારા મહાવતે એક ચોક્કસ દિશા તરફ નિર્દેશ કરતાં હળવા સાદે એક રાખોડી સફેદ રંગની અસ્પષ્ટ આક્રુતિ તરફ અમારું ધ્યાન દોર્યું. તે એક ગેંડો હતો. વર્ષો પહેલાં બાળપણમાં મુંબઈના પ્રાણીબાગ ના પિંજરામાં મેં ગેંડો જોયાનું મને આછું આછું સ્મરણ છે.પચીસેક વર્ષ બાદ હું એક સાચા જીવંત ગેંડાને મારી આંખ સામે મુક્ત વિહરતો જોઈ રહ્યો હતો.એક અજબની ધન્યતાની લાગણી અનુભવી જ્યારે એ ગેંડાની બાજુમાં તેનું નાનકડું બચ્ચુ પણ લપાઈને ચાલતા જોવા મળ્યું.ધીરે ધીરે મહાવતે અમારા હાથીની ચાલવાની દિશા બદલી અને અમે એ ગેંડા મા-બેટાની સાવ નજીક જઈ પહોંચ્યા. હાથીને ઉભો રાખ્યો અને અમે ધરાઈને ગેંડાની એ મા-બેટાની જોડીને નિરખી. ત્યાં કોણ જાણે શું થયું ને મારી નમ્યાએ ભેંકડો તાણ્યો! ગેંડો અને તેની નાનકડી નમ્યા જાણે ડિસ્ટર્બ થઈ ગયાં અને તેઓ આગળ ઘાસમાં ગાયબ થઈ ગયાં! મેં મારી નમ્યા ને સહેજ પસવારી અને તે ફરી સૂઈ ગઈ.

અમે આગળ વધ્યા ત્યાં દૂર કાળી મોટી ભેંસો ચારપાંચના ટોળામાં જોવા મળી. તેમની અને આપણે ત્યાં જોવા મળતી સામાન્ય ભેંસો વચ્ચે ફરક બે હતાં એક તેઓની ચાલવા-દોડવાની ઝડપ અને બીજું વિશિષ્ટ આકારના તેમના અર્ધવર્તુળાકારના શિંગડા જેની મદદથી તેમને સહેલાઈથી ઓળખી શકાય. અંગ્રેજીમાં ‘બાઇસન’ તરીકે ઓળખાતા આ પ્રાણીઓ અતિ ખતરનાક હોય છે.જરૂર પડ્યે બચ્ચાને બચાવવાનું હોય એવા કોઈક પ્રસંગે તે સિંહ કે વાઘ સામે પણ પોતાના અણિયાળા શિંગડા વડે હૂમલો કરી તેને ભગાડી મૂકે છે.તેમને દૂરથી જોઈ મહાવતે હાથીની દિશા ફેરવી.ત્યાં બીજી તરફ સાબર નજરે ચડ્યા.ગભરુ એવા હરણ-સાબર મને સાવ નિર્દોષ અને ભોળા પ્રાણીઓ લાગે છે.થોડે આગળ વધ્યા ત્યાં દૂરથી વહેતી મોટી શાંત નદીના દર્શન થયાં.

હજી અજવાળું જોઇએ એવું પથરાયું નહોતું. નદીમાં ન્હાઈ રહેલા ગેંડા અને દૂર કેટલાક પક્ષીઓ દ્રષ્ટીગોચર થયાં. નદી થોડી વાર સુધી નિહાળ્યા બાદ હાથીને મહાવતે ડાબી તરફ વાળ્યો.થોડે આગળ ગયા ત્યાં એક સરસ વાત બની.અમારી એક બાજુએ ત્રણ-ચાર ગેંડા અને બીજી બાજુએ એક-બે સાબર ચરી-ફરી રહેલાં જોવા મળ્યાં.આટલા પાસપાસે ત્રણ જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓને મુક્ત રીતે તેમની દિનચર્યા કરતાં નિહાળ્યા - ગેંડા,સાબર અને હાથી. અહિં હાથીને તમે સંપૂર્ણ રીતે મુક્ત તો ન ગણી શકો. મનુષ્ય નામના લુચ્ચા,બુધ્ધિશાળી પ્રાણીએ તેને ગુલામ બનાવી રાખ્યો હતો અને તેના પર બેસીને જ આજે અમે આ વનપ્રવાસની મજા માણી રહ્યા હતાં.પણ એક વાતનું આશ્વાસન એ હતું કે અહિં તે તેના કુદરતી પરિસરમાં વિહરી તો શકતો હતો,પાંજરા કે સર્કસમાં કેદ તો નહોતો! આ ત્રણે વન્ય પશુઓનું આટલા નજીકથી સાનિધ્ય માણવાની અને તેમને મુક્ત રીતે હરતા ફરતા જોવાનો અનુભવ અતિ આનંદદાયક અને મનને સંતોષ અને શાંતિ આપનારો બની રહ્યો.

ધીમે ધીમે અજવાળુ પથરાઈ રહ્યું હતું.હવે અમે આજુબાજુ ચાલી રહેલા હાથીઓ,તેમના પર છ કે આઠના સમૂહમાં બેઠેલી વ્યક્તિઓને તેમજ આસપાસના પરિસરને ,તેની નૈસર્ગિક સુંદરતાને સ્પષ્ટ જોઈ શક્તા હતાં.અમારા હાથીનું નામ ‘લકી પૂર્ણિમા’ હતું.( આમ એ ખરું જોતાં હાથણી હતી!) એક ઢાળ જેવું આવ્યું અને ‘લકી પૂર્ણિમા’ ધીમે રહીને તેના પર ચઢી ગઈ. અમને હાલક્ડોલક સ્થિતીમાં આ જમીનથી થોડા ઉંચા ભાગે હાથી પર બેઠા બેઠા ચઢવાની મજા પડી. આ ઢોળાવ ખરી રીતે આજુબાજુની જમીનથી થોડી ઉંચાઈ પર બનેલ સાંકડો રસ્તો હતો. અહિં આ સાંકડા પણ ઉંચા રસ્તા પર ત્રણ-ચાર હાથી કતારબંધ ચાલી રહ્યા હતાં. ત્યાં બન્યું એવું કે રસ્તાની બીજી બાજુએ બે મોટા રાખોડી ગેંડા વાતચીત કરતા કરતા કે રમત કરતા કરતા ઝગડ્યા.પહેલાં તો અમને સૌને આ દ્રશ્ય જોવાની મજા પડી પણ ત્યાં તો એ ગેંડાઓના ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તેમાંના એકે વિચિત્ર મોટી રાડ પાડી.તેઓ અમારા હાથીની સાવ નજીક હતાં.અમારો હાથી ગેંડાનો અવાજ સાંભળી ભડક્યો અને તેણે સામે ગેંડા કરતાયે મોટા અવાજે ત્રાડ પાડી.આથી ગભરાઈને પેલા બે ગેંડામાંનો એક દોડ્યો એક દિશામાં અને બીજો દોડવા ગયો બીજી દિશામાં. પણ બાજુમાં જ અમારો હાથી હોઈ તેના પગમાં કંઈક ભરાઈ જતા પડતા પડતા રહી ગયો! મને એક બાજુ આ જોઈ હસવું આવ્યું તો બીજી તરફ ગેંડાઓની આ નાસભાગે અમારા હાથીઓને પણ ઉશ્કેર્યા અને તેઓ સાંકડા ઉંચા રસ્તા પર આઘાપાછા થવાં માંડ્યા અને અમે બધાં એવા તો ડરી ગયા કે ન પૂછો વાત! પણ થોડી જ ક્ષણોમાંતો ગેંડાઓ પણ ગાયબ થઈ ગયાં અને અમારા હાથીઓ પણ શાંત થઈ ગયાં. જો આ ખતરનાક ખેલ વધુ સમય ચાલ્યો હોત તો મને ખાતરી છે કે કેટલાક લોકો તો ચોક્કસ ગભરાઈને હાર્ટ અટેકથી મરી ગયાં હોત! ખેર મારા માટે તો આ એક રોમાંચકારી ઘટના બની રહી જે મને સદાય યાદ રહેશે!

એ પછી તો 'લકી પૂર્ણિમા'એ અમને વધુ થોડો સમય જંગલમાં ફેરવ્યા અને અજવાળું થઈ જવાથી સુંદર વ્રુક્ષો, થોડાંઘણાં પંખીઓ અને બીજાં થોડાં સાબર, ગેંડાઓ અને ઘાસ તથા કરોળિયાના જાળા,પ્રાણીઓનાં પગલાં તેમની વિશ્ટાના ઢગલા વગેરે અનેક વસ્તુઓ સ્પષ્ટ પણે જોવા મળી! અને અડધા પોણા કલાકમાં તો અમારી આ વનયાત્રા પૂર્ણ પણ થઈ ગઈ. પછી તો અમે બધાંએ હાથી પરથી નીચે ઉતરી તેની આજુબાજુ ઉભા રહી ફોટા પડાવ્યાં.

અને થોડાં સમયમાં તો બધાં ત્યાંથી વિખરાઈ ગયાં પણ આ યાત્રા - આ ઘટના સદાય મારા સ્મૃતિપટ પર જડાયેલી રહેશે.

શનિવાર, 3 સપ્ટેમ્બર, 2011

ગોવિંદા યેઉન ગેલા રે…

થોડાં જ દિવસો પહેલા જન્માષ્ટમીનું પવિત્ર પર્વ ગયું અને સાથે જ દસ સ્તરવાળું પિરામીડ બનાવવાનો રેકોર્ડ બ્રેક ન થઈ શકવા છતાં મટકી અને ગોવિંદાઓ ચર્ચામાં રહ્યાં.


સૌથી મોટું આશ્ચર્ય અને કન્ફ્યુઝન એ વાતનું છે કે મટકી કૃષ્ણ જન્મની ખુશી વ્યક્ત કરવા ફોડવામાં આવતી હોય તો એવું આ વર્ષે પણ શા માટે બન્યું કે મટકી ગોકુળ આઠમના દિવસે ફોડી લીધા બાદ, રાત્રે કૃષ્ણ જન્મ કરાવવામાં આવ્યો? મને લાગે છે કે મટકી જન્મ બાદ બીજે દિવસે એટલે કે નોમ ના દિવસે ફોડાવી જોઇએ. ખેર આપણે માણસો તો આપણી અનુકૂળતા ખાતર શું નુ શું બદલી નાંખતા હોઇએ છીએ તો આ તો ફક્ત તહેવાર ઉજવણીમાં એક દિવસ વહેલો મટકી ફોડી લેવાની જ વાત છે!

આપણને ખબર હોય કે ન હોય પણ આપણા દરેક ભારતીય તહેવારની ઉજવણી પાછળ કોઈક કારણ, કોઈક અર્થ છૂપાયેલા છે. આપણે એની ઝાઝી પરવા કર્યા વગર, ફક્ત મોજમજા અને આનંદ ખાતર, બધાં તહેવારોની ભવ્ય રીતે, ક્યારેક દેખાડો કરીને તો ક્યારેક મસમોટી રકમ ખર્ચીને પણ ઉજવણી કરીએ છીએ. ભારતીય તહેવારો ઓછા હોય એમ કેટલાક વિદેશી તહેવારો અને દિવસોની પણ આપણે જોરશોરથી ઉજવણી કરીએ છીએ.પર્વ ઉજવી આનંદ મેળવવો એ કંઈ ખોટી વાત નથી પણ તહેવાર પાછળનો ખરો આશય ભૂલી જઈ જુદા જ કારણો સર તહેવારનું વિકૃતિકરણ એ ખરેખર દુ:ખદ અને ચિંતા જનક બાબત છે. જન્માષ્ટમીએ મટકી ફોડવાના પવિત્ર તહેવારને રાજકીય પક્ષોએ, તેની સાથે લાખો-કરોડો રૂપિયાના ઇનામો જોડીને આજે આવો જ વિકૃત તહેવાર બનાવી દીધો છે.

કૃષ્ણ જન્મની ખુશી મટકી ફોડવા પાછળનું એક કારણ છે પણ શું મટકી ફોડનારા બધા ગોવિંદાઓને મટકીને દહીહાંડી શા માટે કહે છે અને એ ફોડવા પાછળના લોજિકની ખબર હોય છે?

આ પાછળ એક રસપ્રદ કથા છે.કૃષ્ણનું બાળપણ જ્યાં વિત્યુ હતું એ ગોકુળ ગામમાં પુષ્કળ ગાયો હતી જે ખૂબ સારુ અને વધુ દૂધ આપતી અને એમાંથી સારુ એવુ માખણ તૈયાર થતું પણ આ ગામની ગરીબ પ્રજાને એ માખણ ખાવાનો લાભ મળતો નહિં.કારણ પાડોશી ગામ મથુરામાં ત્યારે કૃષ્ણના મામા અસુર કંસનું રાજ હતું અને ગોકુળનું બધું માખણ કંસના ડર અને ત્રાસને કારણે મથુરા મોકલી દેવુ પડતું. અને આમ તેમનું પોતાનું માખણ ગોકુળવાસી બાળકો અને મોટેરાઓ ખાઈ શકતા નહિં.

જ્યારે કૃષ્ણને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે એક યુક્તિ વિચારી.મથુરા મોકલાવવા માટેનું માખણ ગોવાળો તેમના ઘરોમાં ઉંચે મટકીમાં ભરીને રાખતાં. કૃષ્ણે પોતાના બાળગોપાળ મિત્રોને ભેગા કરી,ગોપીઓ અને ગોવાળો ઘેર ન હોય ત્યારે છાનામાના તેમના ઘરોમાં ઘૂસી જઈ,પિરામીડ જેવું સ્ટ્રક્ચર તૈયાર કરી મટકી ફોડી તેમાંનું માખણ એ બાળગોપાળ મિત્રો સાથે વહેંચી ખાવાનું શરૂ કર્યું. આથી કેટલાક ગરીબ બાળકો જે ક્યારેય માખણ ખાવા પામી શક્તા નહોતાં,તેમને પણ માખણ ખાવા મળ્યું.અને આ ઉદાત્ત ભાવના સાથે કૃષ્ણે મટકી ફોડવાની શરૂઆત કરી હતી!

પણ આજે આપણે મટકી ફોડવાના મહાઉત્સવ ઉજવીએ છીએ કરોડો રૂપિયાના ઇનામો જાહેર કરી.આમાં ભગવાનને યાદ કરવાની કે કોઈનું ભલુ કરવાની ભાવના ક્યાંય નજરે ચડતી નથી. ગોવિંદાઓ માટે લાખો કરોડો રૂપિયાના જાહેર કરાયેલાં ઇનામની રકમ તમને મળે છે કે નહિં એ તો ક્રુષ્ણ જાણે! પણ રાજકીય પક્ષો આવા ભવ્ય કાર્યક્રમો યોજી પોતાની હલકી પબ્લિસીટીની રોટલી જરૂર શેકી લે છે. નરનારી સમાનતાના આ યુગમાં સ્ત્રીઓ પાછળ કેવી રીતે રહી શકે?કેટલીયે જગાઓએ મહિલા-ગોવિંદાના જૂથ પણ મટકી ફોડી પુરૂષો કરતાં ઓછાં પણ મસમોટી રકમના ઇનામો જીતી લે છે. મટકી સાથે મોટા અવાજે ડી.જે. મ્યુઝિક વગાડાય છે, ક્યાંક કલાકારોને મહેમાન તરીકે બોલાવાય છે તો ક્યાંક લાવણી-તમાશા જેવા કાર્યક્રમો પણ યોજાય છે. ‘અમારી મટકી સૌથી ઉંચી’ એવી જાહેરાતો સાથે અધધધ રૂપિયાનો ધુમાડો કરી આખા શહેરને જાણે યુદ્ધમેદાનમાં ફેરવી નાંખવામાં આવે છે.ઉંચા ઉંચા પિરામીડ બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવતા હોવા છતાં જ્યારે એ પિરામીડ તૂટી પડે અને કોઈ ગોવિંદાના હાથ-પગ ભાગે કે તે ગંભીર રીતે ઇજા પામે ત્યારે કોઈ રાજકારણી તેની ખબર કાઢવા હોસ્પિટલ જતો નથી કે તેના અપંગ થઈ ગયા બાદ કે કમનસીબે તેનું મૃત્યુ થઈ જાય તોતેના કુટુંબના ભરણપોષણની જવાબદારી ઉઠાવતો નથી.

આ સાથે બીજા પણ અનેક પ્રોબ્લેમ્સ મટકી ફોડવાના દિવસે ઉભા થાય છે. આખા શહેરમાં ટ્રાફિક જામ, ગોવિંદાના બે જૂથો વચ્ચે અથડામણ કે કેટલાક અસામાજિક તત્વો ગોવિંદા બની દારૂ પી બેફામ ડ્રાઇવિંગ કરી રસ્તા પર શોરબકોર સાથે બાઈક પર કે ગાડી-ખટારાઓમાં નિકળી પડે છે.આ બધા દૂષણોને કારણે પવિત્ર પર્વનું સ્વરૂપ વિકૃત થઈ જાય છે.

હું પોતે અતિ ઉત્સાહી અને તહેવાર પ્રિય હોવા છતાં આજના આપણાં આ સો-કોલ્ડ મોર્ડન યુગમાં તહેવારોના બદલાઈ ગયેલાં સ્વરૂપથી વ્યથિત છું.આશા રાખીએ કે ફરી લોકો તહેવારોને તેમનાં મૂળ સ્વરૂપે ઉજવી સાત્વિક આનંદ માણતાં શીખે!