Translate

લેબલ reva સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ reva સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 20 ઑક્ટોબર, 2019

ગેસ્ટ બ્લૉગ : ચૂંદડી મનોરથ


" મનોરથ "  શબ્દનું    વૈષ્ણવ   સંપ્રદાય માં   આગવું જ મહત્વ  છે  .જાત જાતના  મનોરથો  સેવવામાં  આવે   છે , અને કહે છે ને કે   તમારા   સાત્વિક  મનોરથો ખુદ  ભગવાન પરિપૂર્ણ  કરે  છે।

મારો પણ એક સહજ પ્રાર્થવામાં આવેલો  મનોરથ પૂર્ણ થયો અને એટલું જ નહીં અભૂતપૂર્વ  આસ્થાને દ્રઢીભૂત  કરી ગયો  ! !   મૂળ  વાત માંડું  તો એક દોઢ વર્ષ પહેલા ગુજરાતી  ફિલ્મ          " રેવા "  જોઈ હતી। અદભુત ફિલ્મ  ! મેં તો એ ફિલ્મ  જોઈને  ચુકાદો  પણ આપી  દીધેલો  કે આ વર્ષ  માટે  આ ફિલ્મને  પ્રાદેશિક ફિલ્મ ની શ્રેણીમાં   ઓસ્કાર  ઍવોર્ડ  માટે  મોકલી  આપવી જોઈએ  !  એ ફિલ્મમાં  દર્શાવવામાં  આવેલા  મા નર્મદાના  ચૂંદડી  મનોરથના  દ્રશ્યોને જોતા વેંત  મારું હૈયું પણ ધબકી  ઉઠ્યું  , " મારે પણ  મા નર્મદાને ચૂંદડી  ઓઢાડવી  છે  !  મારે પણ મા રેવાનો ચૂંદડી  મનોરથ કરવો છે  !   પણ પછી  થોડાક   દિવસ  માં રેવામય   રહયા પછી વળી  પાછા  રોજિંદા  જીવનમાં વ્યસ્ત થઇ ગઈ।  પછી અચાનક  મારી  બાળ સખી ,,,,નયના નો ફોન  આવ્યો  અને 2019 ના  ગંગા  દશહરા  દરમ્યાન  મા  રેવાના  ચૂંદડી મનોરથમાં   ભાગ  લેવાનો    આગ્રહ કર્યો  . દર  વર્ષે  જ્યેષ્ઠ એકમથી જ્યેષ્ઠ  સુદ દશમ સુધી   ગંગા દશહરા   ઉજવવામાં આવે છે તે   મ્યાન ભારત વર્ષની પવિત્ર નદીઓ ગંગા , યમુના  નર્મદા  વગેરેના  વિધીવત  પૂજન અર્ચનનો મહિમા   છે.

વૈરાગ્યની  અધિષ્ઠાત્રી મૂર્તિમાન સ્વરૂપ  મા નર્મદાની પરિક્રમા  3  વર્ષ,  2 માસ  અને  13 દિવસ માં પુરી  થાય  છે.  1312 કી. મી।  લાંબી  પરિક્રમા  દરમ્યાન  મા નર્મદા  પોતાની જમણી      બાજુ એ રહે તે રીતે પગપાળા પ્રવાસ કરવાનો હોય છે  . અમરકંટકથી કે પછી ૐકારેશ્વરથી  જ્યાંથી  પ્રદક્ષિણા  કે પરિક્રમા  શરુ કરી હોય ત્યાં પૂર્ણ થાય છે.  એ  વિષે અનેક પુસ્તકો પણ ઉપલબ્ધ  છે.  નર્મદા દક્ષિણ ભારતની    અન્ય   સમસ્ત નદીઓથી    વિપરીત  પૂર્વથી  પશ્ચિમ તરફ વહે છે. જો કે તાપ્તી નદી પણ પૂર્વથી પશ્ચિમ તરફ  વહે છે.

       તો મૂળ  વાત પર  આવું તો માં નર્મદાના  આશિર્વાદથી  ચૂંદડી મનોરથ  પાર  પાડવા માટેનો  તખ્તો   ગોઠવાઈ ગયો અને અન્ય આડશો પણ  સહજમાં  દૂર થઇ  ગઈ  અને આપણે  બંદા એ અભિયાનમાં  જોડાઈ ગયા।  ચૂંદડી મનોરથ  માટેની બધી  અથથી  ઇતિ સુધીની તમામ  તૈયારીઓ પણ પરમ મિત્ર  નયનાબેને જ કરી  દીધેલી। આપણે તો તૈયાર  ભાણા પર પહોંચી ગયા નયનાબેન ને ઘરે, વડોદરા  !

  બીજે દિવસે   વડોદરાથી 32 શ્રદ્ધાળુઓ પરમ આસ્થાવાન અને પ્રકાંડ પંડિતજી શ્રી દીપકભાઈ મહારાજ સાથે  ચાણોદ  પહોંચ્યા  .   નયનાબેને કહેલું કે ચૂંદડી મનોરથ દરમ્યાન મા રેવા  સાચા મનથી  અર્પણ  કરેલી  ભક્તની  એક  ચૂંદડી સ્વીકારી લે છે !  હું  નાસ્તિક  તો નથી જ  પણ ચમત્કારો તો નજરે નિહાળીએ  ત્યારે જ દ્રઢ  આસ્થાના  પૂરક બને ને  !!!   મા નર્મદાના દર્શન  કરતા વેંત  જ  મેં  મનમાં  પ્રાર્થના કરી કે " હે મા  નર્મદે !  માત્ર ને માત્ર તમારા દર્શને આવી છું   મારી હાજરી સ્વીકારજો  અને સ્વિકાર્યા નું  પ્રમાણ  આપજો !  મારી આસ્થાને દ્રઢ  કરજો !   પછી  વિધિવત  નર્મદા સ્નાન  , ષોડશોપચાર  પૂજન અર્ચન  બાદ  માં રેવા ને ચૂંદડી  અર્પણ કરવાની વિધિ શરુ થઇ    માં ને અર્પણ   કરવા અમે  કુલ 51   સાડીઓ  તૈયાર કરી હતી.  તે માટે  17/17સાડીઓને મશીન થી બખિયો મરાવીને 3 સેટ  તૈયાર  કરેલા  .અને એ 3 સેટ ને ગાંઠ  મારીને જોડી દીધેલા,  નૌકામાં બેસી  51 સાડીના તાકાના એક છેડાને  પકડી બીજા છેડાને  નદીને બીજે કાંઠે  પહોંચાડી  માં નર્મદાને , માં રેવાને 51 સાડી ઓઢાડી।, પહેરાવી એ ભાવના  .... એ મનોરથ પરિપૂર્ણ  થયો એ અનુભૂતિ થી   .  આંખમાંથી આંસુની ધારા વહી,  ત્વદીય  પાદ   પંકજમ  નમામિ દેવી  નર્મદે !   મા નર્મદે   ,   મા  રેવા  અમારા સહુની  આસ્થાને  આશીર્વાદ આપવા , દ્રઢીભૂત  કરવા જાણે  કે  સ્વયં   પ્રગટ  થઈ  એમ કહું તો જરાપણ અતિશયોક્તિ  નહિ જ કહેવાય !   અમે અર્પણ કરેલી 51 સાડીમાંથી  41 સાડી  માએ સ્વીકારી લીધી !   હા ! સાચે  જ !   મા નર્મદાએ અમારા સહુની  નજર સમક્ષ  40 સાડીઓ પરિધાન કરી  અને તેના અસ્ખલિત   નિર્મળ   ખળ ખળ   વહેતા  શાંત  શીત   પ્રવાહમાં વહેતા એ  આસ્થાવસ્ત્ર ને જોઈને અગમનિગમના   અજ્ઞાત  પરમ તત્વની અનુભૂતિ  થઇ  ! ! !   મા   નર્મદાએ  સાડીઓનો  સ્વીકાર  કર્યો એની સાબિતી એ કે અમે  17 /17  સાડીઓને મશીન દ્વારા બખિયો મરાવીને  જોડેલી  ,અને મા  એ સ્વીકારેલી સાડીઓ   તો    બખીયાને તોડીને  માનાં   ચરણ પ્રવાહમાં     વહી  ગઈ  હતી !  મા  એ મારી હાજરીને  સ્વીકાર્યાનુ   પ્રમાણ  પણ આપીને ધન્ય કરી દીધી !

 અમરકંટકથી નીકળીને  દેશના પશ્ચિમી  કાંઠે  અરબી  સમુદ્રમાં  મળતી  પવિત્ર નદી નર્મદાના    પાવન તટે  કાંઈ  કેટકેટ્લાયે  સંતો, તપસ્વીઓ,ઋષિઓ  અરે ખુદ અમર , ચિરંજીવ એવા  અશ્વત્થામા પણ તપ સાધના કરે છે।   કોઈ કોઈ પુણ્યશાળી  નર્મદા પરિક્રમા કરનારને દર્શન પણ દે છે  ! ! મુજ નાચીઝને મા એ પોતાના અમર અસ્તિત્વ નો   સાક્ષાત્કાર કરાવ્યો ,,,,, ધન્ય ધન્ય  થઈ   ગઈ  ! ! ! એ બદલ બાળસખી  નયનાનો  તો આભાર માનુ તેટલો ઓછો છે પણ સાથે સાથે " રેવા" ફિલ્મ ના  સર્જકોનો  પણ  આભાર માનુ છું !  " રેવા " ફિલ્મ, ઓસ્કાર ઍવોર્ડ  કરતાં   પણ  વધારે  સાર્થક નીવડી  . એક નાચીઝ  આસ્થાવાન શ્રદ્ધાળુને  પરમ તત્વની અનુભૂતિ  કરાવવા માટે  કારણભૂત નીવડી  !  અને હા, સાત્વિક મનોરથો   સેવવાની  પ્રેરણા  જગાવનાર અને તેને પરિપૂર્ણ  કરનાર   હાજરાહજૂર  મા  નર્મદા, મા  રેવાને  અંજલિ આપવા શબ્દો ઓછા જ પડે ને ! 

ત્વદીય  પાદ   પંકજમ ,  નમામિ  દેવી  નર્મદે ! ! !


- મૈત્રેયી મહેતા
mainakimehta@gmail.com
 

ગુરુવાર, 17 મે, 2018

ગુજરાતી ફિલ્મ - રેવા


નવેમ્બર ૨૦૧૭માં ગુજરાતી ફિલ્મ 'લવની ભવાઈ' વિશે એક બ્લોગપોસ્ટમાં લખ્યું હતું. ગત અઠવાડિયે સુંદર ફિલ્મે ૨૫ અઠવાડિયા સળંગ ચાલી રજત જયંતિ પૂરી કરી. છે એટલી મજાની ફિલ્મ! દસ-બાર વર્ષ પછી રજત જયંતિ પૂરી કરવાનું બહુમાન મેળવનાર આ ગુજરાતી ફિલ્મ લવની ભવાઈની આખી ટીમને હાર્દિક અભિનંદન! લવની ભવાઈ બાદ આવેલી અન્ય એક ગુજરાતી ફિલ્મ 'ચલ મન જીતવા જઈએ' પણ ટેક્નિકલી એક મજબૂત ફિલ્મ હતી અને પણ મને ગમેલી.
સારી ફિલ્મની ખૂબી હોય છે કે તેની ભાષા કોઈ પણ હોય - હિન્દી,અંગ્રેજી,મરાઠી કે ગુજરાતી પણ તમે તેની સાથે કનેક્ટ થઈ શકો છો,તેને માણી શકો છો. બસ શરત એટલી છે કે તે બધાં ખાતાઓમાં શ્રેષ્ઠ હોવી ઘટે - ફિલ્માંકન,સંગીત,સંકલન,દિગ્દર્શન,પટકથા વગેરે વગેરે. હવે વટથી કહી શકાય કે ગુજરાતી ફિલ્મોનો યુગ ફરી આવ્યો છે! દર મહિને - બે મહિને સારી ગુજરાતી ફિલ્મ રજૂ થાય છે અને હિટ પણ જાય છે.
ગત માસે રિલિઝ થયેલી વધુ એક ગુજરાતી ફિલ્મ 'રેવા' થોડી મોડી જોઈ  પણ મને અનહદ ગમી. હ્રદયસ્પર્શી અને વિચારશીલ એવી ફિલ્મ મૂળ ધ્રુવ ભટ્ટ લિખિત ગુજરાતી નવલકથા 'તત્વમસી' પર આધારીત છે. નવલકથા તો  મેં વાંચી નહોતી પણ ફિલ્મ જોયા બાદ તરત ઓનલાઈન ઓર્ડર કરી દીધી છે. જેના પર આધારીત કૃતિ આટલી સરસ છે તે મૂળ નવલકથા તો કેટલી રસપ્રદ હશે!
રેવા જોતા જોતા મને બે-ત્રણ સારી હિન્દી ફિલ્મોની યાદ આવી ગઈ. એક હતી શાહરુખ ખાન અભિનીત સવદેશ તો બીજી હતી આમિર ખાન અભિનીત લગાન.  રેવા જોતા જોતા ક્યાંય કચાશ લાગે. એમાં કેટલાક દ્રષ્યો તો એટલી સુંદર રીતે શૂટ કરાયા છે કે જે તમારા મન પર અમીટ છાપ છોડી જાય. ફિલ્મના મોટા ભાગનાં ગીતો પણ જેણે લખ્યાં છે અને પટકથા સહ-લેખક તરીકેની પણ ફરજ બજાવનાર ફિલ્મનો મુખ્ય અભિનેતા ચેતન ધનાણી ફિલ્મનો હીરો છે તો 'રેવા' એટલે કે નર્મદા નદી પણ જાણે ફિલ્મનું એક મુખ્ય પાત્ર બની રહે છે જેની મુખ્ય ધરીની આસપાસ ફિલ્મની વાર્તા પરિક્રમા કરે છે. ફિલ્મમાં નર્મદા મૈયાની પરિક્રમા - પરકમ્મા પણ એક મુખ્ય અંશ - મુદ્દો છે જેના વિશે ઘણાંને ફિલ્મ દ્વારા જાણવા મળ્યું હશે. દિવસે નર્મદા તરીકે ઓળખાતી નદીનું રાતનું સ્વરૂપ રેવા તરીકે ઓળખાય છે એવી માહિતી પણ ફિલ્મના એક ડાયલોગ દ્વારા મળે છે.
ફિલ્મની હીરોઈન મોનલ ગજ્જર ખુબ સુંદર લાગે છે અને તે ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં ખુબ શોભે છે. અન્ય સહાયક અભિનેત્રીઓમાં રુપા બોરગાઓકર અને સેજલ શાહ પણ નોંધપાત્ર રહે છે. યતિન કાર્યેકર, દયા શંકર પાંડે જેવા હિન્દી ફિલ્મો-ટીવીના કલાકારો પણ ફિલ્મને વધુ જોવાલાયક બનાવે છે. તો પ્રશાંત બારોટ,મુનિ ઝા,અભિનય બેન્કર,અતુલ મહાલે,ફિરોઝ ભગત જેવા કલાકારો નો અભિનય ફિલ્મને વધુ માણવાલાયક બનાવે છે. મારા મિત્ર ગુજરાતી ફિલ્મોના સુપરહીટ હીરો મલ્હાર ઠાકર અને 'વ્હાલા' મનોજ શાહ અતિથિ ભુમિકામાં સરપ્રાઈઝ પેકેજ સમા બની રહ્યાં! ફિલ્મના સંવાદોમાં આદિવાસી ભાષાનો પ્રયોગ,વસ્ત્ર પરિભૂષા  માણવા ગમે એવા છે.
 રાહુલ ભોલે અને વિનિત કનોજિયાના નામ મેં તો ફિલ્મના દિગ્દર્શક તરીકે પહેલી વાર સાંભળ્યા,પણ તેમણે ફિલ્મ ચિત્રીત કરવામાં જે મહેનત ઉઠાવી છે તે પ્રશંસનીય છે અને ફિલ્મની દરેક ક્ષણોમાં એ આબાદ ઝીલાય છે. સંગીત અને સિનેમેટોગ્રાફી ફિલ્મને વધુ ઉંચા સ્તરે લઈ જાય છે.  ફિલ્મ માટે પસંદ કરાયેલા લોકેશન્સ - જંગલ, ગામડાં, પહાડ, ઘાટ, નદી, મંદીરો વગેરે અતિ નયનરમ્ય છે. મેં ક્યાંક વાંચ્યું કે ફિલ્મની ટુકડીએ અમુક દ્રષ્યોનું ફિલ્માંકન કરવા અનેક રાતો જંગલમાં અને નદી કિનારે સૂમસામ વિસ્તારમાં વિતાવી હતી પણ તેમની મહેનત લેખે લાગી છે. કેટલાક દ્રષ્યો સંમોહક અસર ઉભી કરે છે જેમ કે નર્મદા મૈયાને જે રીતે બિત્તુબંગાની જોડી તીર-કામઠાનો ઉપયોગ કરી સાડી ઓઢાડે છે, નદી વાંકાચૂકા રસ્તે ભેડાઘાટ પાસેથી પસાર થતાં યાત્રીઓને નૌકા વિહાર કરાવે છે, કાલીમાતાના દર્શન માટે હીરો ગુફાઓમાં જાય છે, બિત્તુબંગાની જોડી ખંડિત થાય છે, હીરો પોતાની પરકમ્મા પ્રારંભે છે, રેવામા પોતે નાનકડી બાળકી સ્વરૂપે આવી તેને વિરલ અનુભૂતિ કરાવે છે અને તેનો જાન બચાવે છે વગેરે. છેલ્લે એક દ્રષ્ય જ્યારે હીરો તેની માતા સમાન રેવા મૈયાના ખોળે પોતાનું ખોળિયું જાણે સમર્પિત કરી દેતો હોય તેમ આકાશ ભણી તાકતા નદીના પાણી પર સૂઈ જાય છે તે મારા માટે તો ફિલ્મની સર્વશ્રેષ્ઠ ક્ષણ બની રહી જેમાં ભૂરા રંગના પ્રભાવે મારા મન પર એવી ભૂરકી નાંખી કે દ્રષ્ય માનસપટ પરથી કલાકો સુધી હટતું નહોતું!
ફિલ્મના નિર્માતા પરેશ વોરા અને ફિલ્મ સાથે સંકળાયેલા દરેકે દરેક કસબી-કલાકારો અને અન્ય ટીમ મેમ્બર્સને સલામ, સલામ, સલામ! મોટા પડદે જોવા લાયક ફિલ્મ હજી જોઇ હોય અને સારી ફિલ્મો જોવાનો શોખ ધરાવતા હોવ તો અચૂક રેવા ફિલ્મ જોવાની તક ઝડપી લેશો.