Translate

લેબલ bhavai સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ bhavai સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 3 જુલાઈ, 2022

હેપ્પી ફાધર્સ ડે!

વ્હાલા પપ્પા, હેપ્પી ફાધર્સ ડે!

તમે ભવાઈનો વેશ ભજવતા ગાઓ છો :

" તન છોટું પણ મન મોટું

     મારી ખમીરવંતી જાતિ...."

રંગલા તરીકે પાત્ર ભજવતા રંગલીને સંબોધી

તમે એમ પણ ગાયું છે કે "તું ઉંચી ને હું બટકો પણ ભારે વટનો કટકો..."


  પંક્તિઓ તમે સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. છેલ્લાં એકાદ વર્ષમાં તમે શારીરિક રીતે કદાચ વધુ થોડાં કૃશ બન્યા છો. પણ તમારી આંતરિક તાકાત અને મજબૂત મનોબળના સાક્ષી બન્યા બાદ હું ચોક્કસ કહીશ કે તમે ભલે કદમાં છોટા રહ્યા, પણ મન, હ્રદય, કર્મ અને તમારા સદ્ગુણોથી સામાન્ય માનવીથી મુઠ્ઠી ઉંચેરા છો. મહામારીના કપરા કાળમાં કેન્સર જેવી મહામારીનો તમે જે રીતે સામનો કર્યો છે જોઈ

મારું તમારા પ્રત્યે માન અનેક ગણું વધી ગયું છે. મુશ્કેલીઓ દરેક જણના જીવનમાં આવે છે, પણ એનો સામનો કરવાની તમારી રીત ગજબ છે જેમાંથી હું તો ઘણું શીખ્યો છું પણ અન્ય અનેક લોકો પણ એમાંથી પ્રેરણા મેળવે માટે આજે અંગેની થોડી વાતો બ્લોગના માધ્યમથી શેર કરું છું.

   ગત વર્ષે સપ્ટેમ્બરમાં સર્જરી બાદ બે મહિના સુધી રેડીએશનના ત્રીસ અને કેમોથેરાપીના પાંચ સેશન સહ્યા બાદ આપણે ધાર્યું હતું કે હવે બધું સારું થઈ ગયું છે. પણ - એક મહિના બાદ ફરી આખા શરીરનું કેન્સર ડીટેક્ટ કરવા માટે કરાતું પેટસ્કેન કરાવતા માલુમ પડયું કે ગળા પાસેથી જે ભાગમાંથી આઠેક ગાંઠ કાઢી હતી, ત્યાં ફરી નાના એવા બે - એક સ્પોટ દેખાય છે. એટલું નહીં, ફેફસાંમાં પણ એક - બે નવા સ્પોટ શંકાસ્પદ માલૂમ પડે છે. નિષ્ણાતોના સેકંડ ઓપિનિયન બાદ ફરી કેમોથેરાપીના અમુક સેશન લેવા પડશે એવું નિદાન થયું. શરીર પર ફરી કાપાકાપી કરી બાયોસ્કોપી કરવી એવો નિર્ણય આપણે લીધો કારણ ચાલુ વર્ષના એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ સમયગાળો હતો ત્યારે. એટલે ખાટલો અને ઓક્સિજન બંને મળવા મુશ્કેલ થાત તો ખરું પણ તમારા શરીરને પણ ફરી પાછી કાપકૂપ કરી કષ્ટ આપવાનું મને કે ડોક્ટરને યોગ્ય ના લાગ્યું. આથી બીજા કેટલાક ટેસ્ટ કરાવી તાત્કાલિક કેમોથેરાપી ફરી શરૂ કરવાનું નક્કી કર્યું. છેલ્લાં થોડાં સમયમાં આપણાં સૌના જીવનમાં અને વ્યવહારમાં કેટલું બધું પરિવર્તન આવ્યું છે. સેકંડ ઓપિનિયનથી માંડી મહિના પહેલાં સર્જરીથી કાઢેલી ગાંઠોના નમૂનાના પુનઃ પરીક્ષણની સઘળી પ્રક્રિયા આપણે પોતે ક્યાંય પ્રત્યક્ષ ગયા વગર પતાવી. સઘળાં રિપોર્ટ અને નમૂના કૂરિયર દ્વારા મોકલવા, ઓનલાઇન પેમેન્ટ કરી દેવું બધું હવે નવા જીવનની અપનાવી લેવા જેવી રીત સમું લાગ્યું અને બધું સરળતાથી પાર પણ પાડયું. એક કેમો સેશન લીધા બાદ ડોક્ટરે, આગળના કેમો વારંવાર હાથમાં સોયો ખોસવાની ઝંઝટમાંથી બચી જવા અને દવા આખા શરીરમાં બરાબર પ્રસરે માટે કેમોપોર્ટ બેસાડવાની નાની સર્જરી કરવા સૂચવ્યું અને તમે હસતે મોઢે સ્વીકાર્યું અને ઓપરેશન કરાવ્યું. કેમોપોર્ટ શરીરમાં બેસાડાતી એવી નાની ડબ્બી હોય જેમાં ઈન્જેક્શનની સોય બેસાડી દવા આખા શરીરમાં અસરકારક રીતે પહોંચાડી શકાય. બોરીવલીની અપેક્સ હોસ્પિટલમાં સર્જરી કરી ત્યારે મોટી ઘટના પણ સાવ ક્ષુલ્લક લાગી. ઊલટું પણ એક યાદગાર પ્રસંગ જેવી ઘટના બની રહી. કદાચ તમે મને એક અતિ ઉપયોગી મહત્ત્વનો પાઠ શીખવ્યો છે. દરેક ઘટનાને ઉત્સવની જેમ ઉજવવી. આખો દિવસ તમારી સાથે ગાળ્યો અને આપણે કેટલી વાતો કરી! થોડું ઝગડ્યા પણ ખરા! જનરેશન ગેપ ભાઈ! તો રહેવાનો ... અને તમે ક્યાં તમારી તંગડી પડવા દો એવા છો!! હોસ્પિટલની જગા ખૂબ સુંદર અને હકારાત્મક હતી , જ્યાં બહાર સુંદર બગીચો બનાવી વચ્ચે ગણેશનું નાનું મંદિર બનાવ્યું હતું અને ખાસ આકર્ષણ સમું હતું કૈલાશપતિ ફૂલનું ઊંચું, સાંકડું વૃક્ષ! વૃક્ષ મૂળ તો વિદેશી વૃક્ષ છે પણ તેનું ફૂલ અતિ વિશિષ્ટ હોય છે - લાક્ષણિક સુંદર સુગંધ, પાંચ ઝાંખા લાલ રંગની પાંખડીઓ સાથે વચ્ચે અનેક તાંતણા ફૂલની મધ્યમાં રહેલા શિવલિંગનું જાણે રક્ષણ કરતાં હોય! આબેહૂબ શિવલિંગ જેવો આકાર ધરાવતા ભાગને લીધે ફૂલનું અને ઝાડનું નામ કૈલાશપતિ પડયું છે. અને ઝાડનું ફળ કેવું? ભારે મોટો તોપનો ગોળો જોઈ લો! જ્યારે જમીન પર પડે ત્યારે ભારે મોટો અવાજ થાય છે એટલે ઝાડના ફળનું અંગ્રેજી નામ છે - કેનનબોલ. જો કોઈ પ્રાણી કે મનુષ્યના માથા પર પડે તો તેના રામ રમી જાય. વૃક્ષ - ફૂલ - ફળ - બાગ વગેરેનું સૌંદર્ય માણી શકવા જેટલી સ્વસ્થતા કેળવતા, પપ્પા, તમે મને શીખવ્યું છે! હોસ્પિટલની રૂમમાં બાજુમાં એક બોલકા ગુજરાતી સન્નારી હતાં, તેમની સાથે પણ આખો દિવસ આપણે કેટલી બધી વાતો કરી! તેમની પાસેથી પણ ઘણું શીખવા મળ્યું. તેમણે કાજલ ઓઝા વૈધની કૃષ્ણાયન નવલકથા મને વાંચવા આપી, તેની પ્રસ્તાવના ખૂબ ગમી અને મને એક નાનકડો ટાર્ગેટ મળ્યો - પુસ્તક પૂરું વાંચવાનો! ઓપરેશનના એક અઠવાડિયા બાદ બારમી મે તમારો જન્મ દિવસ આવતો હતો માટે તમારા કલાકાર મિત્ર બાબુલ ભાઈ ભાવસાર નો ફોન પણ મેં હોસ્પિટલ બહારના બાગમાં બેઠા બેઠા અટેન્ડ કર્યો અને તમને સરપ્રાઇઝ આપવા વિડિયો સંદેશ તૈયાર કરવાની યોજના નક્કી કરી!

   હોસ્પિટલમાંથી સર્જરી પતાવી બીજે દિવસે ઘેર આવતાં, એક સારી જગાએથી ઘેર પરત ફરતી વખતે અનુભવાય એવી અકથ્ય લાગણી અનુભવાઈ! પછી તો કેમોપોર્ટ દ્વારા પણ પછીના ત્રણ કેમો સેશન થયાં અને દરેક દિવસ પણ આપણે બાપ - દીકરો જાણે સાથે ઉજવતા હોઈએ છીએ! સાંભળેલું કે કેમો તો ખૂબ પીડાદાયી હોય છે, પણ કાં તો તમારા નસીબ ખૂબ સારા છે કે પણ તમને પીડી નથી શકતો અને કાં તો તમે એટલાં મજબૂત છો કે પીડા તમારા વર્તન દ્વારા દેખાડતાં નથી.

  બીજી એક સરસ વાત કરું. કેમોના સેશન્સ વચ્ચે પણ સમય કાઢી તમે એક દિવસનું તારક મહેતાનું શૂટિંગ ગુજરાત - દમણમાં એક રિસોર્ટ ખાતે કરી આવ્યાં! મને પણ સાથે લઈ ગયા અને આપણને બંનેને એક સરસ ટૂંકો બ્રેક મળી ગયો! નાનકડું વેકેશન થઈ ગયું જાણે બે દિવસ! ત્યાં તમને મળીને તારક મહેતાની આખી ટીમને જે ખુશી થઈ છે જોઈ હું તો ગળગળો થઈ ગયો! ત્યાં પોપટલાલ બનતાં શ્યામભાઈ પાઠકનો જન્મ દિવસ ઉજવતી વેળાએ તમારા માટે પણ એક ખાસ કેક મંગાવવામાં આવી અને તમે કાપી ત્યારે સૌ કેટલી બધી ખુશી વ્યકત કરી અને તમે જલ્દી ફરી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાઓ એવી શુભેચ્છા વ્યકત કરી.

  હવે બે કેમો બાકી છે પહેલાં ફરી એક વાર પેટ સ્કેન કરવાનો છે એમાં કેન્સર સંપૂર્ણ નાબૂદ થઈ ગયાનું જાણવા મળે એવી પ્રાર્થના સાથે ફરી એક વાર તમને ફાધર્સ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!!

રવિવાર, 19 એપ્રિલ, 2015

અસ્મિતા પર્વનો અવિસ્મરણીય અનુભવ (ભાગ - ર)

          બાપુ ચિત્રકૂટધામ જવા રવાના થયા ત્યાર બાદ કવયિત્રીઓની બેઠકના શ્રોતા-પ્રેક્ષકો પણ વિદાય થઈ ગયાં હોવાથી ગુરૂકુલના મંચની આસપાસનો વિસ્તાર હવે શાંત અને નિર્જન થઈ ગયો હતો. મેં ત્યાં થોડા આંટા માર્યા અને ત્યાંના સુંદર વાતાવરણને શ્વાસમાં ભર્યું. પપ્પાના થોડાંઘણાં ચાહકોએ ખાસ રોકાઈ તેમની સાથે ફોટા પડાવ્યાં અને ચા-નાસ્તો કર્યા બાદ અમે તલગાજરડામાં આવેલા સ્વામી નારાયણ મંદિર દર્શનાર્થે ગયાં. સ્વામી નારાયણ મંદિરો એક ખાસ વિશિષ્ટ શૈલીનાં,ભવ્ય અને સુંદર હોય છે. અહિં દર્શન કર્યા બાદ પણ મનને એક અજબની શાંતિ મળી. એ મંદિરનાં વહીવટકર્તા સંત મહંતજીને મળી ફરી ગુરૂકુલ પાછા ફર્યાં. ત્યાં અમારી મુલાકાત ચેન્નાઈનાં સંગીતકાર પંડીત એમ. બાલમુરલીક્રુષ્ણ સાથે થઈ. વર્ષો પેહેલા દૂરદર્શન પરથી રજૂ થતાં પ્રખ્યાત 'મિલે સૂર મેરા તુમ્હારા...'માં દરિયા કિનારે સૂરોની રમઝટ રેલાવતા લૂંગીધારી, કપાળે નાનો ચાંલ્લો કરેલા આ ધૂરંધર સંગીતકારની એ લાક્ષણિક છબી આપણને સૌને આજે પણ યાદ છે. અહિં પણ તેઓ તેમના આ ખાસ પોશાકમાં એ જ સ્વરૂપે જોવા મળ્યાં. ગઈ રાતે દક્ષિણના આ મહાન સંગીતકારે ઉત્તરનાં બીજા એક મહાન સંગીતકાર પંડિત અજય ચક્રવર્તી સાથે શાસ્ત્રીય સંગીતની અદભૂત જુગલબંધી કરી હતી જે મેં અને પપ્પાએ ઘેર બેઠાં આસ્થા ચેનલ પર માણી હતી.અને આજે અમે કર્ણાટકી સંગીતનાં પંડિત એવા આ સરસ્વતી ઉપાસક સાથે મહુઆમાં ગોઠડી માંડી રહ્યાં હતાં! તેમની સાથે થોડી ઘણી વાતચીત કર્યાં બાદ રાતનું ભોજન લઈ રહ્યાં હતાં ત્યાં જ હેલનજી અને આશા પારેખજી તૈયાર થઈ તેમનાં રૂમમાંથી બહાર નીકળ્યાં. પપ્પાએ વર્ષો પહેલાં આશાબેન સાથે અનેક નૃત્યનાટિકાનાં કાર્યક્રમ કર્યાં હોવાથી તેઓ એકબીજાને રુબરુ સારી રીતે ઓળખે. મને જાણ થઈ કે આશા બેન પણ મૂળ મહુઆનાં જ વતની અને તેમને આ વતનનાં ગામ માટે ખુબ લગાવ. તેઓ અવારનવાર અહિંની મુલાકત લે અને અહિં તેમણે એક સાર્વજનિક બગીચો પણ બંધાવ્યો છે. આશાબેન અને હેલનજી સાથે ઔપચારીક અભિવાદન બાદ, ભોજન પતાવી લીધા પછી અમે પણ અમજદ અલી ખાન સાહેબનો સંગીત કાર્યક્રમ જીવંત માણવા તલગાજરડાના હનુમાન મંદિર - ચિત્રકૂટધામ ગયાં. પ્રેક્ષકોની ખાસ્સી ભીડ હોવાથી અમને સૌને પાછલાં બારણેથી બાપુનાં ભાવુક અને નિષ્ઠાવાન કાર્યકરો મંદિર-મંચ પાસે લઈ ગયાં.
          અમજદ અલી ખાન સાહેબ સરોદ પરથી કર્ણપ્રિય સૂરોની સૂરાવલિ વહાવી રહ્યા હતા. શ્રોતાઓ મંત્રમુગ્ધ બની સૂરોની એ નદીમાં વહી રહ્યાં હતાં.બાપુ પોતે પણ એકીરસે આ જાદુઈ સંગીત માણી રહ્યા હતા.અમે પણ એ સંગીતની મજા ધરાઈ ધરાઈને માણી.અમજદ અલી સાહેબે જ્યારે સરોદ પરથી 'મુખડાની માયા લાગી રે...' અને 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ...' ભજનોની મધુર ધૂન છેડી ત્યારે તો ત્યાં હાજર સૌ એક અજબનું કંપન - સ્પંદન અનુભવી રહ્યાં. એક મુસ્લીમ કલાકાર હનુમાનજીના મંદિરમાં તેમનાં ચરણોમાં બેસી કલાની ઉપાસના કરી રહ્યો હતો - કદાચ બધાં હિન્દુઓને પણ જે ભજન નહિ આવડતા હોય એ તે સરોદ દ્વારા બજાવી લોકોને સંગીતની એક અલગ જ દુનિયામાં વિહાર કરાવી રહ્યો હતો! સાચા કલાકારનો, આપણે જેને નામ આપ્યાં છે એવો કોઈ ધર્મ નથી હોતો,એનો ધર્મ તો એક જ હોય છે - કલા! અમજદ અલી ખાન સાહેબના પત્ની હિન્દુ છે અને તેઓ ખુબ સારા ભરત નાટ્યમના નૃત્યાંગના છે. તેમની બાજુમાં બેસી આ કાર્યક્રમ માણવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું.
          કાર્યક્રમમાંથી પાછા ફરતાં જેવા મંદિરના પાછલા બારણેથી અમારી ગાડી સુધી પહોંચવા બહાર નીકળ્યા કે સેંકડો તકગાજરડા વાસી ગ્રામ્યજનો 'નટુકાકા .. નટુકાકા..'ની હર્ષભરી ચિચિયારીઓ સાથે અમને ઘેરી વળ્યાં. લોકોનો આટલો પ્રેમ (કે ક્રેઝ?!) જોઈ હું એક અજબની લાગણી અનુભવી રહ્યો! બાપુના ભક્ત અનુયાયી એવા એક કાર્યકર્તા ભાઈ સતત અમારી સાથે રહી અમારૂં ધ્યાન રાખતાં હતાં. તેમણે ત્યાં ફરજ પર હાજર પોલીસ જુવાનોની સહાયથી અમને ચાહકોની મેદની વચ્ચેથી ગાડી સુધી સલામત પહોંચાડ્યા. તે ભાઈ છેક ગુરુકુલ સુધી અમને ગાડીમાં મુકવા આવ્યાં અને ફરી તલગાજરડા ત્યાંની વ્યવસ્થા સંભાળવા પાછા પહોંચી ગયા. અમે આ સૌ બાપુ ભક્તિ અનુયાયીઓની સેવા-નિષ્ઠાથી અભિભૂત થઈ ગયાં હતાં.કોઈક ભાવનગરથી તો કોઈક અમદાવાદથી,કોઈક વડોદરાથી તો કોઈક રાજકોટથી માત્ર સેવા માટે, આ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળવા એકાદ અઠવાડિયાથી અહિં હાજર હતું અને ખડે પગે આ સમગ્ર આયોજનનો ભાર સરખો વહેંચી રહ્યું હતું. ગુરુકુલ પાછા ફરી રાતે સરસ નિદ્રા માણી.
          બીજા દિવસે હનુમાન જયંતિની સવારે વહેલા ઉઠી ચિત્રકૂટ ધામ પહોંચી ગયા. હનુમાન જયંતિની એ સુંદર સવારે અસ્મિતા પર્વનું સમાપન થવાનું હતું તેના અંતિમ ચરણ સમાન પારિતોષિક વિતરણ કાર્યક્રમ સાથે.મંદિરમાં હનુમાનજીની પ્રતિમા સામે પડદો હતો. સામે પ્રાંગણમાં હકડેઠઠ ભીડ હતી.પ્રાંગણમાં પ્રથમ પંક્તિમાં કેટલાક ભક્તો હાર્મોનિયમ,તબલા અને મંજીરાના તાલે હનુમાનધૂન નું સૂરમય ગાન માઈક પર કરી રહ્યાં હતાં.સમગ્ર વાતાવરણ ભક્તિ અને પવિત્રતાની અનેરી સુગંધથી તરબતર હતું.મારું મન પણ એ ભક્તિગાનમાં ક્યારે જોડાઈ ગયું તેનો ખ્યાલ જ ન આવ્યો. એ કીર્તન પૂરું થયું અને હનુમાનજીની મૂર્તિ આગળનો પડદો ખોલવામાં આવ્યો. ઘણાં મંદિરોમાં આ રીતે આરતી કે ભગવાનની પૂજાની કોઈક વિધી પડદા પાછળ ચાલુ હોય અને પછી પડદો ખુલતાં ભગવાનની સુંદર મૂર્તિ દ્રષ્યમાન થાય ત્યારે સામે ઉભેલાં સૌ કોઈ ભક્તિભાવ-વિભોર થઈ જતાં હોય છે અને એક અજબની ખુશી અનુભવાય છે. એવી જ આનંદની લાગણી મેં હનુમાનજીની પંદર-વીસ ફૂટ ઉંચી મૂર્તિ દ્રષ્યમાન થતા અનુભવી. પપ્પાએ અન્ય પુરસ્કાર વિજેતાઓ સાથે હનુમાનજીની મૂર્તિના ચરણોમાં મંચ પર સ્થાન ગ્રહણ કર્યું. હું મંદિરની બહાર ડાબી બાજુએ સોફા પર બેસી સમગ્ર કાર્યક્રમ નિહાળી રહ્યો હતો.
           હનુમાનજીની આરતી સમાજનાં નીચલા ગણાતા કુળની ત્રણ કન્યાઓને મંચ પર આમંત્રી તેમના દ્વારા કરાવડાવવામાં આવી.આ મને ખુબ ગમ્યું.આપણે ત્યાં મોટે ભાગે સ્ત્રીઓને હનુમાનજીની મૂર્તિને હાથ જોડી પગે લાગવાની પણ મનાઈ કરવામાં આવે છે અને અન્ય કેટલાક ધર્મ-સંપ્રદાયોમાં પણ સ્ત્રીઓને જોવા કે અડવાનો પણ વિરોધ દર્શાવવામાં આવે છે. જ્યારે અહિ મંચ પર ત્રણ બાળકીઓએ હનુમાનજીની આરતી ઉતારી અને એ પણ વણકર સમાજની અને અન્ય નીચા ગણાતાં કુળની, એ મારા મનને ખુબ રૂચ્યું.
          પુરસ્કાર વિતરણ પહેલાં અમેરિકાથી આવેલા એક ગુજરાતી બહેને સુંદર સિતર-વાદન કર્યું. અનોખી અને અતિ નવલ એવી વાત એ હતી કે તેમના સિતારને હનુમાનજીની ગદામાં રાખવામાં આવ્યું હતું અને જ્યારે ગદા ઉંચકી તેને મંચ પર લઈ જઈ તેમાંથી સિતાર બહાર કાઢવામાં આવ્યું ત્યારે મારા સહીત ત્યાં ઉપસ્થિત સૌ કોઈ સાનંદાશ્ચર્યથી આ વ્યવસ્થાનાં મનોમન વખાણ કરી રહ્યું. આ સાંકેતિક ચેષ્ટા દ્વારા સૂચવાયું કે હનુમાનજી પણ સંગીતનાં શોખીન ભગવાન છે અને અન્યાય નાબૂદ કરવા વપરાતી ગદાના શસ્ત્ર જેટલું જ મહત્વ સંગીતના વાદ્ય સિતારનું પણ છે.
          ત્યારબાદ સૌ પ્રથમ કૈલાસ લલિતકલા પુરસ્કાર અપાયો છબિકલા ક્ષેત્રે આજીવન સેવાનાં ઉપલક્ષ્યમાં શ્રી ઝવેરીલાલ મહેતાને જેઓ ૮૭ વર્ષનાં યુવાન છે! તેમની ફોટોસ્ટોરીઝ હું પણ નાનપણથી માણતો આવ્યો છું. મસ્તમજાની હેટ સાથે તેમની આગવી સ્ટાઈલ અને પોષાકમાં પધારેલાં ઝવેરીસાહેબનાં જોશ અને કાર્યનિષ્ઠા એક યુવાનને પણ શરમાવે એવા હતાં! ત્યારબાદ મારા પિતા શ્રી ઘનશ્યામ નાયક 'રંગલો' ને ગુજરાતી લોકનાટ્ય ભવાઈ ક્ષેત્રે તેમના આજીવન યોગદાન માટે નટરાજ પુરસ્કાર અપાયો જે તેમણે તેમની ખાસ ભવાઈ શૈલીમાં સામે બેઠેલી સંગીત મંડળીએ આપેલ હાર્મોનિયમ અને તબલાનાં તાલે સ્ટેજ પર થોડું નાચીને સ્વીકાર્યો! ત્યારબાદ હિન્દી ફિલ્મોનાં જાણીતા હીરો શ્રી જીતેન્દ્રને ભારતીય ફિલ્મોમાં તેમના આજીવન યોગદાન માટે નટરાજ અવોર્ડ અપાયો જેમાંની ધનરાશિ તેમણે બાપુને નમ્રતા સાથે પરત આપી દીધી એમ કહી કે તે સત્કાર્યોમાં વાપરવામાં આવે. પછી સુશ્રી હેલન અને સુશ્રી આશા પારેખને નૃત્ય અને ફિલ્મ ક્ષેત્રે તેમના યોગદાન બદલ હનુમંત અવોર્ડ અપાયાં.સંગીત ક્ષેત્રે તેમની નોંધનીય સેવા બદલ હનુમંત અવોર્ડ ઉસ્તાદ અમજદ અલી ખન અને પં.એમ.બાલમુરલીક્રુષ્ણને અપાયાં.અસ્મિતા પર્વનાં પ્રથમ દિવસે તલગાજરડાના રામવાડી ખાતે લાઈવ તાલવાદ્ય-પરકશનનો કાર્યક્રમ આપનાર શ્રી શિવમણિને પણ સંગીત ક્ષેત્રે યોગદાન બદલ હનુમંત અવોર્ડ અપાયો જે લેવા તેઓ હાજર રહી શક્યા નહોતા.ટી.વી.ક્ષેત્રનો નટરાજ અવોર્ડ શ્રી અંજન શ્રીવાસ્તવને અર્પણ કરાયો અને છેલ્લો નટરાજ અવોર્ડ અભિનય ક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્યમાં સ્વ.શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીને અપાયો જે તેમના પત્નીએ સ્વીકાર્યો. આખા આ અવોર્ડ વિતરણ કાર્યક્રમનું સંચાલન શ્રી હરીશ્ચંદ્ર જોશીએ કર્યું અને અવોર્ડ જુદા જુદા ક્ષેત્રની જય વસાવડા,અર્ચન ત્રિવેદી,તુષાર શુક્લા,માધવ રામાનુજ વગેરે જાણીતી હસ્તીઓ દ્વારા અર્પણ કરાયાં. પુરસ્કાર વિતરણને અંતે પરમ પૂજ્ય શ્રી મોરારિબાપુએ પ્રાસંગિક અભિવ્યક્તિ દરમ્યાન પોતાના એક જુદાજ સ્વભાવ અને સ્વરૂપનું દર્શન કરાવ્યું! બાપુ ખૂબ સારા મૂડમાં હતાં અને તેમણે દરેક અવોર્ડ વિજેતા મહાનુભાવોનો આછેરો પરિચય આપી તેમનાં વિશે રસ પડે તેવી વાતો કરી. બાપુએ તેમની જુવાનીમાં તલગાજરડામાં તેમણે જોયેલી આશા પારેખ અને હેલન અભિનીત ફિલ્મોની વાત કરી અને લોકોને રમૂજી ટૂચકા કહી ખૂબ હસાવ્યાં પણ ખરાં! મારા પપ્પા એ ફરી નાનક્ડો ભવાઈનો અંશ રજૂ કર્યો અને તે જોયા-સાંભળ્યા બાદ બાપુએ પણ પ્રખ્યાત બનેલાં ગુજરાતી ગીત 'ભાઈ...ભાઈ...ભલા મોરે રામા...' ગાઈ ફરી લોકોને હળવા મૂડમાં લાવી દીધાં! ઓસ્માણ મીરે પણ પોતાના બુલંદ કંઠમાં સરસ ગીતની થોડી પંક્તિઓ ગણગણાવી.
                            

                            


                             

                             



                                 

          આ બધી હળવી મસ્તી મજાક બાદ બાપુએ દેશનાં યુવાનોને હનુમાનજીની જેમ ત્રણ સાંકેતિક કૂદકા મારી જીવન સફળ અને સાર્થક કરવાની શીખ આપી. તેમણે હનુમાનજીને પણ કલા-સંગીતનાં શોખીન ગણાવ્યાં-ઓળખાવ્યાં જેની આપણને બહુધા જાણ નથી. હનુમાનજીને આપણે માત્ર રામજીના પરમ ભક્ત તરીકે જ ઓળખીએ છીએ પણ તેમના આ નવા પાસાની બાપુએ સૌને ઓળખ કરાવી. સમગ્ર કાર્યક્રમ ખુબ માણવાલાયક રહ્યો.

                               

          અસ્મિતા પર્વનાં અવિસ્મરણીય અનુભવની વાત અહિ પૂરી થઈ. પણ હું અને પપ્પા આ કાર્યક્રમ બાદ દોઢ દિવસ સુધી મહુવામાં રોકાયા હતાં એ વિશેની વાત આવતા સપ્તાહનાં બ્લોગમાં કરીશ.
(સંપૂર્ણ)

રવિવાર, 12 એપ્રિલ, 2015

અસ્મિતા પર્વનો અવિસ્મરણીય અનુભવ (ભાગ - ૧)


૧૮ વર્ષથી શ્રી મોરારિબાપુના આશિર્વાદથી ગુજરાતનાં મહુવા-તલગાજરડા ખાતે યોજવામાં આવતા સાહિત્યસંગોષ્ઠિ,કાવ્યાયન અને શાસ્ત્રીય સંગીત- નૃત્યમહોત્સવના મહાપર્વ એવા અસ્મિતા પર્વમાં આ વર્ષે હાજર રહેવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. મારા પિતા ઘનશ્યામ નાયક ‘રંગલો’ ને ભવાઈ કલાની અસ્મિતા જાળવી રાખવા અને આ ક્ષેત્રે તેમની આજીવન સેવા બદલ આ વખતના અસ્મિતા પર્વમાં મોરારિબાપુના હસ્તે હનુમાન જયંતિને દિવસે નટરાજ પુરસ્કાર અપાયો અને આ શુભ ઘડીએ હું પણ તેમની સાથે હતો. આ સમગ્ર  યાદગાર અનુભવની વાત આજે આ બ્લોગ થકી કરવી છે.

આ અનુભવ એટલો સુખદ અને અવિસ્મરણીય બની રહ્યો કે હું મૂંઝવણમાં છું કે અમારાં આત્મીયતાપૂર્વક કરાયેલા હ્રદયસ્પર્શી આતિથ્ય વિશે વાત કરું કે આ સુંદર કાર્યક્રમનાં જેટલાં શ્રેષ્ઠતમ કક્ષાનાં અંશ મેં માણ્યા એ વિશે લખું કે આટલાં મોટા એવા આ સમગ્ર કાર્યક્રમના સુવ્યવસ્થિત આયોજન વિશે ચર્ચા કરું કે પછી હ્રદયથી જેમનાં માટે માન ઉપજ્યું છે એવા મહાત્મા રામકથાકાર પરમપૂજ્ય શ્રી મોરારિબાપુની મહત્તા અને આ કાર્યક્રમ દરમ્યાન મેં જોયેલા બાપુના જુદાજ સ્વરૂપ વિષે વાત કરું એ વિચારે મારૂં મન ચકરાવે ચડી જાય છે!

અસ્મિતા પર્વ તારીખ પહેલીથી ચોથી દરમ્યાન આયોજિત હતો જેનું જીવંત પ્રસારણ દૂરદર્શનની આસ્થા ચેનલ પર કરાયું હતું. પપ્પાનું સન્માન કાર્યક્રમના અંતિમ ચરણમાં ચોથી એપ્રિલે હતું. અમે મુંબઈથી ભાવનગરની ૩ તારીખની ફ્લાઈટ બુક કરી હતી. જેમનું પપ્પા સાથે જ અભિવાદન કરાવાનું હતું એવા સિને કલાકાર જીતેન્દ્ર અને ટી.વી.તથા સિને કલાકાર અંજન શ્રીવાસ્તવ (જેમને આપણે 'વાગલેકી દુનિયા'ના શ્રીમાન વાગલે તરીકે આજે પણ ઓળખીએ છીએ)પણ અમારી સાથે એ જ ફ્લાઈટમાં હતાં. ભાવનગર ઉતર્યાં એટલે અમને લેવા માટે ગાડી તૈયાર ઉભી હતી. દોઢ-બે કલાકમાં મહુવા પહોંચ્યા એટલે ગુરુકુલ નામની બાપુ દ્વારા ચલાવાતી સંસ્થાના નયનરમ્ય હરીત વાતાવરણમાં આવેલ સુંદર બંગલા-નિવાસો પૈકીની તુલસી કુટીરમાં અમારાં સ્વાગત માટે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંભાળી રહેલાં બાપુના ભક્ત-કાર્યકરો તૈયાર હતાં. જેમનું અવોર્ડ દ્વારા સન્માન થવાનું હોય એ મહાનુભાવોના ભોજનથી માંડી બધીજ સગવડ-સુવિધાઓનું ધ્યાન એક દંપતિ રાખે. સાથે જ આ કાર્યક્રમનું આયોજન સંભાળી રહેલા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના કેટલાક ટ્રેઇની યુવાનો તો કેટલાક અહિ જ ગુરુકુલમાં વસતા યુવાનો ખડે પગે દરેક મહેમાનની સેવામાં સતત હાજર. એક યુવાન ઓરિસ્સાથી આવેલો તો બીજો કોલકાતાથી.ત્રીજો એક યુવાન જયપુરથી તો વળી એક અમદાવાદનો!

ગુરુકુલથી પાંચેક કિલોમીટર દૂર તલગાજરડા ખાતે હનુમાન મંદિરનું પવિત્ર મનોરમ પ્રાંગણ - ચિત્રકૂટધામ. આ બે જગાઓએ સમગ્ર કાર્યક્રમ વહેંચાયેલો. કેટલાક કાર્યક્રમ ગુરુકુલનાં પ્રાંગણમાં નાળિયેરી અને આંબાનાં ઝાડો વચ્ચે ઉભા કરાયેલા ખાસ મંચ પર તો અન્ય કેટલાક કાર્યક્રમો ચિત્રકૂટધામનાં મંદિરમાં હનુમાનજીની પંદર-વીસ ફૂટ ઉંચી પ્રતિમાના ચરણોમાં ઓટલા જેવા મંચ પર! રામલીલા ફિલ્મમાં લીલાના મહેલ જેવા ઘરના સેટની કલ્પના કદાચ સંજય લીલા ભણસાલીને આ સુંદર મંદિરનું પ્રાંગણ જોઈને આવી હશે! કલાત્મક કોતરણી વાળા સ્તંભો,ભવ્ય પ્રાંગણ અને તેમાં વચ્ચે મોટું ઝાડ, આસપાસ અન્ય વ્રુક્ષો અને તેમની છાયામાં ઓરડીઓ-ઓટલાં.ખુબ સુંદર હતી ચિત્રકૂટધામની આ નયનરમ્ય છબી! ટેક્નોલોજીનો પણ અહિં સુભગ સમન્વય જોવા મળ્યો!મંદિરના પ્રાંગણ બહાર બે મોટા સફેદ પડદા ગોઠવેલા જેના પર મંચ પરથી ભજવાઈ રહેલાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવાય.શ્રેષ્ઠ કક્ષાનાં સાઉન્ડ ઇક્વિપ્મેન્ટ્સ દ્વારા દૂર બેઠેલો પ્રેક્ષક કે શ્રોતા પણ કલાકારનો કે સાહિત્યકારનો સ્વર કે વાદ્યનું સંગીત સ્પષ્ટપણે સાંભળી શકે! અનેક દેશોમાં આસ્થા ચેનલ પરથી આ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ પણ લાખો લોકોએ ઘેરબેઠાં નિહાળ્યું-માણ્યું.

કાર્યક્રમનાં સફળ,સુચારૂ અને સરસ આયોજન અને સંચાલન માટે દૂર દૂર થી બાપુ-ભક્તો-અનુયાયીઓ અહિ પધાર્યાં હતાં. બધાંએ અમારા ત્રણેક દિવસનાં નિવાસ દરમ્યાન અમારી નાની મોટી જરૂરિયાતોનું સતત ધ્યાન રાખી અમારી એવી પરોણાગત કરી જે અમે ક્યારેય નહિ ભૂલી શકીએ.ઘરનું જ પણ અતિ સ્વાદિષ્ટ ભોજન એ રીતે પીરસાય કે તમે ગદગદ થઈ જાવ,સ્વાદ સાથે એમાં સાત્વિકતા અને પ્રેમ પણ ભળેલાં હોય જેનો અનુભવ થયા વગર ન રહે. બાપુના ભક્ત અનુયાયી કાર્યકરો સતત આ બે જગાઓ વચ્ચે કારના કાફલા સાથે મહેમાનોની અવરજવર માટે ખડે પગે હાજર. સમગ્ર આયોજનમાં ક્યાંય થાક,કંટાળો કે કોઈ નકારાત્મક લાગણીનું દર્શન ન થાય.

અમે ૩જી તારીખે ભાવનગરથી મહુવા પહોંચીને ભોજન પતાવ્યું ત્યાર બાદ બપોરે પપ્પા રૂમમાં આરામ કરવા પહોંચ્યા અને હું ગુરુકુલના કેમ્પસમાં લટાર મારવા બહાર આવ્યો.ભોજન દરમ્યાન વાતચીત કરતાં માલૂમ પડ્યું કે ગઈ બપોરે હિમાલી વ્યાસ નાયક,ઓસમાણ મીર અને ચિંતન ઉપાધ્યાયે તેમના સુંદર કંઠે ગુરુકુલના વાતાવરણને સૂરમય બનાવ્યું હતું.અમે પહોંચ્યા એ દિવસે બપોરે ત્યાં કવયિત્રીઓની મહેફીલ જામવાની હતી.સમગ્ર કાર્યક્રમનું એકંદર સંચાલન સાહિત્યકાર અને બાપુના ખાસ એવા કવિ હરિશ્ચંદ્ર જોશી કરી રહ્યા હતા.મેં થોડાં-ઘણાં આંટા માર્યાં ત્યાં જ કવયિત્રીઓની બેઠક શરૂ થઈ અને હરિશ્ચંદ્ર ભાઈએ કાર્યક્રમનો દોરીસંચાર યુવા સાહિત્યકાર કવયિત્રી છાયા ત્રિવેદીને સોંપ્યો.

        માત્ર મહિલાઓ પોતાની રચનાઓનું પઠન કરવાની હોય એવા આ કાર્યક્રમને માણવાની મારા જેટલી જ મજા એ કાર્યક્રમ માણી રહેલાં સેંકડો શ્રોતાઓને પણ આવી હશે એ હું તેમના હાકારાત્મક હોંકારાઓ અને દાદના સાદ પરથી પામી શક્યો! બાપુ પોતે પણ આ કાર્યક્રમ માણી રહ્યા હતા.મને ખુબ સારૂ લાગ્યું એ જોઇને કે બાપુ એક મહાન મોટા સંત હોવા છતાં કલા અને સાહિત્યના આટલા મોટા કદરદાન છે.તેઓ આ સમગ્ર પર્વનાં બધાં જ કાર્યક્રમો દરમ્યાન પોતે હાજર રહી કલાકારો-સાહિત્યકારોને બિરદાવતાં જ નહોતાં, એ બધાં કાર્યક્રમોને પોતે રસપૂર્વક માણતા પણ હતા!




કવિતાનો એ કાર્યક્રમ પત્યાં બાદ પપ્પા અને અંજનજી એ બાપુને મળવા જવાનું નક્કી થયું હતું પણ કાર્યક્રમ પત્યા બાદ બાપુ પોતે સામે ચાલીને તેમને મળવા તુલસી કુટીરમાં પધાર્યાં.કેટલી નમ્રતા! હું પ્રથમ વાર બાપુને પ્રત્યક્ષ જોઈ-મળી રહ્યો હતો.એક અનેરી ધન્યતા અને પવિત્રતાની લાગણી થઈ તેમને મળીને. દસેક મિનિટ બાપુએ પપ્પા અને અંજનજી સાથે વાતચીત કરી.મેં પણ મારા તાજેતરમાં પ્રકાશિત થયેલા 'ઇન્ટરનેટ કોર્નર' કટાર પર આધારીત ત્રણ પુસ્તકો કથાકળશ,સ્પર્શ અને ઉપહારની ભેટ બાપુના ચરણોમાં ધરી અને તેમના આશિર્વાદ પ્રાર્થ્યાં. ત્યાં હાજર દરેક વ્યક્તિ એક અનેરી હકારાત્મકતા અને અનેરાં ભક્તિભાવ,પવિત્રતાની અનુભૂતિ કરી રહી હતી.બાદમાં બાપુ ચિત્રકૂટધામ જવા રવાના થઈ ગયા જ્યાં મોડી સાંજે ઉસ્તાદ અમજદઅલીખાન સાહેબ સરોદની મીઠી સૂરાવલિઓ છેડી સંગીતની જાદૂઈ તાકાતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાના હતા.

(ક્રમશ:)