Translate

રવિવાર, 10 જૂન, 2012

ગેસ્ટ બ્લોગ : “દુનિયા અમારી”

                                                     - નીતિન. વિ. મહેતા.         

કવિ શ્રી ભાનુપ્રસાદ પંડ્યાના કાવ્યની એક પંક્તિ છે:


” દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી,
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી”

આ પંક્તિઓમાં શારીરિક રીતે અક્ષમ લોકોનો ઉદગાર છે, ઉણપ છે છતાં જીવન જીવવાની ખુમારી છે કલરવની કે પગરવની દુનિયા અમારી કહેનાર પ્રજ્ઞાચક્ષુ કે શારીરિક વિકલાંગ વ્યક્તિ પોતાના અસ્તિત્વ ને પ્રસ્થાપિત કરવાના મનોરથ સેવે છે. સામાન્ય માનવીઓથી ભલે અલગ તો ય સમાજનુ અવિભાજ્ય અંગ છે. એક સરખા સામાજીક દરજ્જાના તેઓ પણ હકદાર છે.

આ લખનાર ગેસ્ટ બ્લોગરે 1984માં ઓસ્ટ્રેલિયા ખાતે ભરાયેલ એક આંતરરાષ્ટ્રિય પરષિદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં એક પેપર રજુ કર્યું હતું તેનો વિષય હતો વિકલાંગોનું પુનર્વસન (રીહેબિલિટેશન) આ પુનર્વસન વિના અપંગોનો વિકાસ અશક્ય છે. એ પેપરનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે:

પુનર્વસનનના ત્રણ પ્રકાર છે 1) શાર્રીરિક પુનર્વસન, 2) આર્થિક પુનર્વસન અને 3) સામાજીક પુનર્વસન.

શારીરિક પુનર્વસન એ પાયાની જરૂરિયત છે આજે નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે આ અભિયાન અત્યંત આવકાર્ય છે. સારા સમાચાર એ છે કે 2014ની સાલ સુધીમાં ભારત પોલિયો મુક્ત થઈ જશે જેઓ પોલિયોના રોગનો ભોગ બન્યા છે અથવા આકસ્મિક રીતે અપંગ બની ગયા છે તેમને સારવાર અને તેમના પરિવારજનો ને યોગ્ય સહાય મળી રહે તે જરૂરી છે વળી આધુનિક વિજ્ઞાને જે કંઈ શોધ કરી છે તે વિકલાંગો માટે બહુ આશીર્વાદ બની રહી છે. કૃત્રિમ અંગ ઉપાંગો દ્વારા પણ વ્યક્તિ તેમના રોજીંદા કાર્યો સહજ રીતે કરે , જરૂર છે માત્ર તેમનામાં રહેલી લઘુતાગ્રંથીને દૂર કરી પ્રોત્સાહિત કરવાની.અપંગ બાળકને પણ સામાન્ય બાળક્ની જેમ યોગ્ય શિક્ષણ મળી રહે એ જોવાની જવાબદારી માતાપિતાની છે . બીજું આર્થિક પુનર્વસન એટલે આર્થિક રીતે પગભર થવું સરકારી કે બીન સરકારી સંસ્થાઓમાં આજે બે થી ત્રણ ટકા જેટ્લી નોકરીની જગ્યા અનામત રાખવામાં આવે છે તેમાં ય, જો વિકલાંગ વ્યક્તિ વધુ ભણેલી હોય તો તેને પણ સામાન્ય માનવીઓની જેમ પ્રોમોશનનો અધિકાર હોવો ઘટે. આવા અપંગ લોકો પણ પોતાને અને પરિવારજનોને મદદ રૂપ થઈ સ્વાવલંબી બની શકે છે

ત્રીજું અને અતિ મહત્વનું છે સામાજીક પુનર્વસન સમાજે અપંગત્વને કારણે તેમની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી પણ અપેક્ષા રાખવી જોઈએ જેથી કરીને પોતાની ખોડને લીધે કોઈ પણ જવાબદારીઓમાંથી તેઓ છટકી ન શકે વિકલાંગોએ પણ પોતાની ક્ષમતા મુજબ યતકિંચીત ફાળો આપવો જોઈએ માત્ર બધા જ લાભોને લઈ બેસી રહેવાને બદલે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવું આવશ્યક છે.

આ બ્લોગ દ્વારા હું લોકોને એ જણાવવામાંગું છું કે વિકલાંગોને દયા ભાવનાની નહીં, પણ પ્રેમ, સહાનુભુતિ તથા હુંફની જરૂર છે તેમની સાથે સામાન્ય લોકો જેવો જ વ્યવહાર કરવાની વિનંતિ છે. સાથે વિકલાંગોને પણ આગ્રહભરી વિનંતિ છે કે તેમણે અન્યો ઉપર આધાર રાખવાને બદલે સ્વાવલંબી અને આત્મનિર્ભર થવું. ક્યારેય દયાની યાચના ન કરવી. મનોબળને દ્ર્ઢ કરી “સ્વ”માં આત્મવિશ્વાસનો સંચાર કરવો અને સદાય “આઈ કેન એન્ડ આઈ વિલ” નો જ અભિગમ રાખવો.

- નીતિન. વિ. મહેતા. , અંધેરી

                                

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો