Translate

લેબલ 'Nirbhaya' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'Nirbhaya' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 8 ડિસેમ્બર, 2019

વધુ એન્કાઉન્ટર્સની જરૂર છે

         લખવું હતું મારા કચ્છના રણોત્સવના અવિસ્મરણીય પ્રવાસ વિશે. પણ લખવા બેઠો ત્યાં ઉત્તરપ્રદેશના ઉનાઓમાં બળાત્કારનો ભોગ બનેલી વીરાંગના ન્યાય માટે લડતા લડતા વીરગતિ પામી એ ખબર વાંચ્યા અને હું સમસમી ગયો છું, મારું કાળજું કંપી અને રડી રહ્યું છે, લોહી ઉકળી રહ્યું છે. એ બહાદુર પણ બદનસીબ છોકરીના છેલ્લા શબ્દો હતાં "હું મરવા નથી ઈચ્છતી, હું બચી તો જઈશ ને ? મારા ગુનેગારોને સજા આપજો." તેની અને તેના પરિવારજનોની મનસ્થિતી કલ્પતા હું સમવેદનાથી વ્યથિત થઈ ઉઠું છું.
     સાત વર્ષ અગાઉ આવા જ દુષ્કર્મનો ભોગ બનેલી નિર્ભયાએ પણ કદાચ આવા જ વેણ ઉચ્ચારેલા અને તેણે પણ એવી જ અંતિમ ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેની સાથે ખોટું કરનારાઓને કડકમાં કડક સજા મળે. પણ આજે સાત સાત વર્ષ વીતી જવા છતાં, તે સઘળાં દોષીઓને ફાંસીની સજા ફરમાવાઈ ગઈ હોવા છતાં આ દેશને એ ગુનેગારોને માંચડે લટકાવવા જલ્લાદ નથી મળી રહ્યો! તેલંગણા પોલીસ તમારી કદાચ અત્યારે દરેક રાજ્યમાં જરૂર છે. પ્લીઝ, જલ્દીમાં જલ્દી જ્યાં જ્યાં બળાત્કારના કિસ્સાઓ બન્યા છે અને તે આચરનાર નરાધમો પકડાઈ ગયા છે કે જામીન પર મુક્ત થઈ બિનધાસ્ત ઘૂમી રહ્યા છે, ત્યાં ત્યાં પહોંચી જઈ એન્કાઉન્ટર કરી નાંખો. આમ જનતા તો તમને બીરદાવશે જ, પણ તમે એ અનેક કમનસીબ કન્યાઓની લાખો દુઆઓ પામશો!અને તમારા સમયસરના પગલા કદાચ અનેક કન્યાઓને જીવતી સળગતા, ન્યાય માટે લડતાં લડતાં મોત પામતા પણ બચાવશે!
    હૈદરાબાદ બળાત્કાર કેસના આરોપીનું એન્કાઉન્ટર થયું અને ચાર ગુનેગારો (આરોપીઓ નહીં કહું કારણ ભલે ન્યાયાલયમાં કેસ પૂરો થયો નહીં હોય પણ તેઓ ગુનો કબૂલી ચૂક્યા હતા) મોતને ઘાટ ઉતર્યા કે ઉતારાયા, એ એન્કાઉન્ટર અસલી હોય કે નકલી, ચોક્કસ આવકારદાયક છે. આમાં પણ બળાત્કારી મુસ્લિમ કે હિન્દુ હોવાનું કહી ધર્મનો મુદ્દો ઘૂસાડનારા કે માનવ દયા ધર્મ ની સુફિયાણી વાતો કરનારાઓના ચૂપ જ થઈ જાય તો સારું. તેમના ઘરની પોતાની કોઈ વ્યક્તિ સાથે કદાચ આવી કોઈ દુર્ઘટના ઘટે તો તેમની સાન ઠેકાણે આવે. વર્ષો પછી કંઈક સારું અને યોગ્ય થઈ રહ્યું હોય ત્યાં વચ્ચે ડહાપણ ડોળવા જનારની બુદ્ધિ ભગવાન ઠેકાણે લાવો.
   સરકાર આમાં કંઈ કરી શકશે નહીં, આપણે નાગરિકોએ જ જાગૃત થવાનું છે. આપણી બહેન - દીકરીઓને બહાદુર બનતાં શીખવવાનું છે અને આપણાં ભાઈ - દીકરાઓને મહિલાઓની ઈજ્જત કરતા શીખવવાનું છે, ઈજ્જત લેતા નહીં.
   મારા યુવા લેખક મિત્ર અંકિત દેસાઈએ એક વાંચવા અને વંચાવવા લાયક 'ઓપન લેટર' પોતાના નાનકડા પુત્રને સંબોધીને લખ્યો હતો, એ અહીં શેર કરું છું :
દીકરા સ્વર,
આમ તો આ પત્રમાં લખેલી વાતો મારે તને અંગતમાં કહેવાની થાય છે. અને સમયે સમયે હું તને એ કહેતો પણ રહીશ જ, પરંતુ એ વાતોની ગંભીરતા એવી છે કે મેં તારા નામે આ ઓપન લેટર લખવાનું નકકી કર્યું.
દીકરા તું જન્મ્યો ત્યારથી એક બાબતે મેં હંમેશાં સજાગતા રાખી છે કે હું તારો બેસ્ટ ફ્રેન્ડ બનું. તું મને પાપા કે ડેડા નહીં કહે અને માત્ર અંકિત જ કહેશે એ મને વધુ ગમશે, કારણ કે પિતા શબ્દ થોડી મર્યાદાઓ લઈને લાવે છે અને મારે એ પોકળ મર્યાદાઓને બહાને તને અમુક તથ્યો- સત્યો કે કેળવણીથી દૂર નથી રાખવો.
દીકરા, મારે જે વાત ખાસ શીખવવાની થાય છે તે એ કે તારી આસપાસની, તારી સાથેની સ્ત્રીઓની હંમેશાં રિસ્પેક્ટ કરજે. હંમેશાં એ બાબતનું ધ્યાન રાખજે કે તારી સામે જે છોકરી કે સ્ત્રી ઊભી હશે એ તારાથી નબળી કે તારાથી ઉતરતી નથી. સર્જનહારે શરીરના જે બાંધાને કોમળતા આપી છે એ કોમળતાને માનવ ઇતિહાસની શરૂઆતથી નિર્બળતા માની લેવાઈ છે. આ તો ઠીક એ કોમળતાને જાગીર અથવા સંપત્તિ પણ માની લેવાઈ છે. પરંતુ તું એ ભૂલ નહીં કરતો.
તું ભલે એક જવાબદાર દીકરો નહીં બને. પિતા તરીકે હું તારી પાસે આદર્શ દીકરા બનવાની અપેક્ષા રાખીશ પણ નહીં. આમેય મારે તારા પિતા થઈને તારા જેવો દોસ્ત ખોવો નથી. એટલે એક ઈન્ડિવિજ્યુઅલ તરીકે હું તારા વ્યક્તિત્વની કે તારી આગવી લાઈફસ્ટાઈલ અથવા માન્યતાઓની રિસ્પેક્ટ કરીશ. પણ દીકરા, તારા દોસ્ત તરીકે તારી પાસે એક નાનકડી અપેક્ષા હંમેશાં જરૂર રાખીશ કે તું એક આદર્શ પુરૂષ બને. દીકરા, ખરું પૌરૂષત્વ પોતાની તાકાતો દુરુપયોગ કરવામાં નથી, પણ પોતાની તાકાત કોઈનું રક્ષાકવચ બને એમાં સાચું પૌરુષત્વ છે.
મારા દીકરા, તું ટીનએજ થશે ત્યારે મારે તને એ બાબતથી સજાગ કરવો છે કે સેક્સ અને હવસ વચ્ચે ફરક છે. દરેક બાબતની એક ઉંમર હોય છે એટલે તારી યોગ્ય ઉંમરે તું ય એ બધું પામશે જ, એટલે અફેક્શન કે લવની ઉંમરમાં તું તારી શારીરિક જરૂરિયાતને તારા પર સવાર ન થવા દેતો. અને જ્યારે તું એડલ્ટ બનશે ત્યારે તને એક જ વાત કહેવી છે કે, રિલેશનશિપની બહાર કે રિલેશનશિપની અંદર બંને પાત્રોની સહમતિથી સર્વોપરી કશું જ નથી. જો સામેનું પાત્ર જરા પણ ખચકાટ અનુભવે કે જો સ્પષ્ટ ઇન્કાર કરે છે તો તારે એ ખચકાટ અને ઇન્કારનો કોઈપણ ભોગે આદર કરવો પડશે..યાદ રાખજે કે જો તું જે ક્ષણે સામેનાની ઈચ્છાનો આદર નહીં કરી શકીશ એ ક્ષણે તું તારી અંદર રહેલા દુર્જનને તારા પર સવાર થઈ જવાની તક આપી દઈશ. અને તારે ક્યારેય થવા દેવાનું નથી.
મારા મખ્ખનચોર, ઈશ્વરે મને દીકરાનો બાપ બનાવ્યો છે એટલે મારે માથેની જવાબદારી વધી જાય છે. કારણ કે તું પણ કાલ ઊઠીને પુરુષ થઈશ અને આવતીકાલના પુરૂષના વર્તનના મૂળ તારી આજમાં રહેલા છે. એટલે એ મારી નૈતિક જવાબદારી બને છે કે હું તારી સાથે અમુક વાતો ખૂલ્લા દિલે શેર કરું અને તને એ દિશામાં સાચી કેળવણી આપું.
બાકી, તારે મોટા થઈને કરીઅર શું બનાવવી છે કે તારે પ્રેમ કોને કરવો છે કે તારે લગ્ન કરવા છે કે નથી કરવા કે તારે માત્ર અલગારી રખડપટ્ટી જ કરવી છે કે એડલ્ટ તરીકે તારે આલ્કોહોલ લેવું જોઈએ કે ન લેવું જોઈએ, જેવી કોઈ બાબતમાં મને ઈન્ટ્રેસ્ટ નથી. રાધર એક ઈન્ડિવિજ્યુઅલ એડલ્ટની પર્સનલ લાઈક્સ - ડિસ્લાઈક્સમાં માથું મારવાનો મને અધિકાર પણ નથી. પરંતુ એક આ જ એક બાબત તારી પાસે હંમેશાં ઈચ્છીશ કે દુનિયાના કોઈ પણ પ્રદેશમાં તું રહે કે કોઈ પણ લાઈફસ્ટાઈલ તું જીવે, બસ મર્દ થઈને રહેજે અને મર્દાનગીનો સાચો અર્થ રિસ્પેક્ટ અને રિસ્પોન્સિબિલિટી જ થાય છે.
બી રિસ્પોન્સિબલ ફોર યોર મેનહૂડ માય ડિઅર સન.
લવ યુ ...  
    જરૂર છે આપણાં સંતાનોને સાચા શિક્ષણ અને સંસ્કાર આપી સારા નાગરિક બનાવવાની અને અન્યાય ના કરવાની કે ના સહેવાની વાત તેમના મનમાં ઠસાવવાની.
  દિલ્હી નિર્ભયા કેસના હજી જીવતા અપરાધીઓને ફાંસી આપનાર જલ્લાદ જલ્દી મળી રહે, જેટલા પણ બળાત્કારીઓ ખુલ્લા ફરી રહ્યાં છે તેમને કડકમાં કડક સજા તાત્કાલિક મળી રહે અને બળાત્કારના ગુનાઓ સદંતર બંધ થઈ જાય એવી અભ્યર્થના.

રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

દ્રૌપદી અને દામિની

હું તને દામિની કહું કે નિર્ભયા? તારું સાચું નામ તો જાહેર જ નથી થયું ને! જો કે તને અહિં મળી આનંદ થયો એમ નહિ કહું કારણ તારે તો હજી ઘણું જીવવાનું હતું, તારા જેવી ઝિંદાદિલ યુવતિ પૃથ્વી પર ઘણું પરિવર્તન લાવી શકી હોત... ઘણાં ઓછાં લોકોને ખબર હશે કે બીજાઓનું દુ:ખ,તેમની શારીરિક પીડા કંઈક અંશે ઓછી કરી શકે એ માટે જ તે ફિઝિઓથેરાપીસ્ટ બનવાનું પસંદ કર્યું હતું.પણ પેલાં છ નરપિશાચોએ તને અસહ્ય પીડાના સાગરમાં ડૂબાડી દઈ તારા પર અમાનૂષી અત્યાચાર ગૂજાર્યો. તારા જેવી આશાભરી યુવતિનું અકાળે મોત નિપજાવી ફરી અસતરૂપી રાક્ષસે સત ઉપર જાણે વિજય મેળવ્યો છે...


તે મને ઓળખી કે નહિ?હું મહાભારતની દ્રૌપદી. હું તો થોડી આખાબોલી હતી અને મેં કૌરવોનું અપમાન કરેલું તેનો બદલો વાળવા ભરસભામાં દુશાસને મારા ચીર ખેંચવાનો પ્રયાસ કર્યો પણ તેં તો તે કોઈનું અપમાન પણ કર્યું નહોતું તો તને કઈ ભૂલની સજા મળી એ વિચારે હું ઉદ્વિગ્ન થઈ જાઉં છું. અને મારા સદનસીબે મારા પરમસખા ક્રુષ્ણ યથાસમયે હાજર થઈ મારી લાજ બચાવી પણ કમનસીબે ઘોર કળિયુગની ૧૬ડિસેમ્બરની એ કાળ રાત્રિએ તારો મિત્ર તારી સાથે હોવા છતાં એ પેલાં છ-છ નરાધમોના દુષ્ક્રુત્યથી તને બચાવી શક્યો નહિ.

હું પ્રાચીન ભારતની કે કહો કે મહાભારતની પાંચાલી અને તું અર્વાચીન યુગના, આજના દિશાવિહીન ભારતની એક બદનસીબ યુવતિ. ભલે આપણી વચ્ચે હજારો વર્ષોનું અંતર હશે પણ ભારતીય સ્ત્રીની, મારા સમયની સ્થિતી કરતા આજના વૈશ્વિકરણનો ડંકો બજાવતા સમયની સ્થિતીમાં ઝાઝું પરિવર્તન નથી આવ્યું. કે પછી એમ કહેવું વધારે યોગ્ય રહેશે કે પુરૂષ પ્રધાન સમાજના આજના પુરૂષની સ્ત્રી પ્રત્યે જોવાની દ્રષ્ટીમાં બિલ્કુલ ફેર નથી આવ્યો.મસમોટી કંપનીની ચેરમેન આજે અનેક નારીઓ બની હોવા છતાં મોટા ભાગના ભારતીય પુરૂષો હજી તેને પગની જૂતી જ ગણે છે કે પછી માત્ર એક ભોગવવાનું સાધન.

ભારતનો આજનો સમાજ દંભી છે.એક તરફ સ્ત્રીશક્તિને દેવી તરીકે લક્ષ્મી,સરસ્વતી,દુર્ગા વગેરે અનેક રૂપે તેને પૂજે છે પણ જ્યારે ઘરની દિકરી,પત્ની,માતા કે બહારની અન્ય કોઈ સ્ત્રીને સન્માન તો દૂરની વાત રહી પણ પૂરું માન સુદ્ધા પ્રાપ્ત થતું નથી. પુત્રજન્મે પેંડા વહેંચતો સમાજ પુત્રી જન્મે ત્યારે એટલો ખુશ નથી થતો.આજે પણ 'પુત્રવતી ભવ...' ના જ આશિષ ગર્ભવતી સ્ત્રીને અપાય છે.પુત્ર અને પુત્રી વચ્ચે વિદ્યા કે કોઈ પણ અન્ય વસ્તુમાં પ્રાધાન્ય પુત્રને જ અપાય છે. પુત્ર રાતે મોડો પાછો ઘેર આવેતો તેની વધુ પૂછ્પરછ કરાતી નથી પણ પુત્રી કોઈ યુવક સાથે વાત સુદ્ધા કરે તો તેના પ્રત્યે લાલ આંખ કરાય છે.

હદ તો ત્યારે થાય છે જ્યારે બળાત્કારની ઘટના બને તેની દોષી પણ સ્ત્રીને ઠેરવવાની ચેષ્ટા થાય છે. સ્ત્રી ટૂંકા કપડા પહેરે છે કે અભદ્ર વસ્ત્રપરિધાન કરે ત્યારે બળાત્કાર થાય છે!સ્ત્રી મોડી રાત સુધી ઘરની બહાર ફરે ત્યારે બળાત્કાર થાય છે.મોડી રાત સુધી બહાર ભટકી બળાત્કાર કરનાર પુરૂષ જ હોય છે છતાં તેના મોડી રાત સુધી બહાર ભટકવા અંગે કોઈ પ્રશ્ન કે વાંધો નથી ઉઠાવાતો.બળાત્કાર કરનાર પુરૂષ જ હોય છે તો તેના પર પાબંદી લગાવો ને રાતે અમુક સમય બાદ બહાર નિકળવા પર! સ્ત્રીસમાનતાની ફક્ત વાતો જ થાય છે.

સાચું કહું, તારા પર થયેલા અમાનુષી અત્યાચાર બદલ વિરોધ નોંધાવવા સામાન્ય જનતા રસ્તા પર ઉતરી આવી ત્યારે મને ખુબ ખુશી થઈ હતી અને એક આશા બંધાઈ હતી કે હવે પરિવર્તન આવશે.પણ મને લાગે છે મારી આ આશા ઠગારી જ નિવડવાની.પોલીસો એ નક્કર પગલા લેવાની જગાએ ઉલટો એ નિર્દોષ યુવક-યુવતિઓ પર લાઠીચાર્જ કરી તેમનો રોષ શમાવી દેવાનો પ્રયાસ કર્યો. આટલું જ નહિ પણ ત્યારે આ દેશના સર્વોચ્ચ વડા એવા મનમોહન સિંહ તેમના નામમાં આવતા સિંહ શબ્દને સાર્થક કરી શકે એવું ગુનેગારો વિરુદ્ધ કંઈક બોલવું તો દૂર રહ્યું પણ જનતાને બાંહેધરી આપતા બે શબ્દો બોલવા પણ જનતા સમક્ષ ન આવ્યા કે પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિનું આસન શોભાવતા હોવા છતાં જનતાને હૈયાધરણાંના બે શબ્દો પણ ન કહી શક્યા? અરે તેમના સગા પુત્રે તો આંદોલનકારી યુવતિઓનું તેમને 'ડેન્ટેડ અને પેઈન્ટેડ' કહી અપમાન કર્યું ત્યારે તેને ઠપકાના બે શબ્દ પણ તે ન કહી શક્યા અને તેમની દિકરીએ જાહેર માફી માગી આ બંને પિતાપુત્રની લાજ રાખી. ગાંધીજીતો અન્યાય સામે જીવનના અંત સુધી ઝઝૂમ્યા હતા ને? તો તેમની જ અટક ધરાવતા ભારતના સૌથી વગદાર કુટુંબનું એક પણ સભ્ય તારી તરફેણમાં તુ જીવિત હતી ત્યાં સુધી કે રસ્તા પર ધસી આવેલા લોકોને શાંત કરવા બે શબ્દો પણ બોલવા જાહેરમાં ન આવ્યું. અરે આ બધા તો ન બોલ્યા એનું ગાણું હું ગાઈ રહી છું પણ જે બોલ્યા તેમણે તો કેવો બફાટ કર્યો! ગોડમેન ગણાતા આસારામ બાપુએ તો તને જ દોષી ઠેરવી!તે નરાધમો ને ભાઈ કહ્યા હોત કે બે ચાર મંત્રો ભણ્યા હોત તો તું એ અત્યાચારમાંથી બચી ગઈ હોત અને આજે જીવતી હોત આવી મૂર્ખતાભરી વાત કરનારના લાખો અનુયાયીઓ કઈ રીતે હોઈ શકે?આંધ્રના એક નેતાએ કહ્યું આપણા દેશને આઝાદી રસ્તા પર અડધી રાતે રખડવા નથી મળી.તો અન્ય એક નેતાએ તો કહ્યું બળાત્કાર 'ઇન્ડિયા'માં જ થાય છે અને ભારતમાં નહિ!તેમનું તો માનવું એમ પણ છે કે સ્ત્રીએ ઘરમાં પૂરાઈ રહી પતિ અને અન્યોની સેવા જ કરવી જોઇએ તેમાં જ ધર્મ છે!

હવે ભલા જ્યાં સુધી ભારત આવા ઉલ્લુઓના ભરડામાં ફસાયેલો હશે,જ્યાં સુધી કેટલાયે ગુનેગારો અને બળાત્કારીઓ જ તેના સંસદના સભ્યો બની ભોળી (કે મૂર્ખ) પ્રજા પર રાજ કરતાં હશે ત્યાં સુધી કેવી રીતે બળાત્કાર કે અન્ય ગુનાઓનું પ્રમાણ ઘટી શકે?

કેટલાક અન્ય પ્રશ્નો પણ મને મૂંઝવે છે. ભારતમાં અદ્યતન હોસ્પિટલો હોવા છતાં તને સિંગાપોર શા માટે લઈ જવામાં આવી? તારા કેસની સુનવણી બંધ બારણે શા માટે? અરે, તે કોઈ ભૂલ કરી જ નથી અને હવે તો તું પ્રુથ્વી પર પણ નથી,છતાં તારી ઓળખ છતી ન કરવાનું કોઈ કારણ?રાજકારણની મેલી રમત મારા સમયમાં પણ રમાતી અને આજે પણ એટલીજ પ્રવર્તમાન છે.

આ પ્રશ્નો છે જેના ઉત્તર કદાચ ભોળી એવી તું નહિ જાણતી હોય પણ જો એ કોઈ ભડવીર ઉઠાવે. તો તારું અપમ્રુત્યુ એળે નહિ જાય...બળાત્કારની એરણ પર ચડેલી તારી બલિ ફોગટ નહિ જાય.. પ્રજાએ હવે સમજી લેવું પડશે કે લોકશાહીના અમોઘ શસ્ત્રનો તેમણે સદબુદ્ધીપૂર્વક ઉપયોગ કરી ચારિત્ર્યવાન અને લાયક નેતા ચૂંટવાના છે.સ્વાર્થી ન બની અન્યોના પ્રશ્નોને ઉકેલવામાં પણ રસ લેવાનો છે,જરૂર પડ્યે જરૂરિયાતમંદને યોગ્ય મદદ કરવાની છે.પુત્ર-પુત્રી વચ્ચે ભેદભાવ ન કરતાં,પુત્રીને પણ બધાં હક અને છૂટ-સ્વતંત્રતા આપવાના છે જેથી તેનો યોગ્ય વિકાસ થઈ શકે,પુત્રને સ્ત્રીઓ પ્રત્યે માનની દ્રષ્ટીએ જોતા શિખવવાનું છે,નારીને સન્માન આપતાં શિખવવાનું છે... અને એક નવા સુંદર સમાજની રચના કરવાની છે.

ચાલ નિર્ભયા, તું અને હું દ્રૌપદી સાથે મળી ફરી મારા પરમસખા શ્રીક્રુષ્ણને યાદ કરીએ અને નવા ઉજ્જવળ ભારતનું સ્વપ્ન સાકાર કરવા તેમને વિનવીએ...એ આ વખતે પણ મને નિરાશ નહિ જ કરે એવી મને ખાતરી છે!