Translate

લેબલ 'Amardeep charitable trust' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'Amardeep charitable trust' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 21 જૂન, 2020

મદદ માટે હાકલ

   થોડાં દિવસો અગાઉ કોરોનાના સતત ગાજતા સમાચારો વચ્ચે એક અન્ય સમાચારે  આપણું સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એ હતાં નિસર્ગ વાવાઝોડા અંગેના સમાચાર. આ વાવાઝોડું આવ્યું અને પાછલાં ઘણાં પ્રસંગોની જેમ આ વખતે પણ મુંબઈને માત્ર જરા સરખું સ્પર્શી  આગળ વધી ગયું. જો કે તેની અસર બધે જ મુંબઈ જેટલી ઓછી નહોતી. આપણાં જ રાજ્ય મહારાષ્ટ્રનાં કોંકણ પટ્ટામાં આવેલા રાયગઢ જિલ્લામાં અને  અન્ય કેટલાક વિસ્તારોમાં આ વાવાઝોડાએ ઘણું નુકસાન પહોંચાડયું.
    એક વોટ્સએપ ગ્રુપ પર વાવાઝોડાથી અસર ગ્રસ્ત થયેલા ગામો અંગેના કેટલાક મેસેજ વાંચ્યા, વિડિયો જોયા અને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના એક નાનકડાં ગામ માનગાવમાં વસતાં આદિવાસીઓનું જીવન આ વાવાઝોડાએ કેટલું તહસનહસ કરી નાખ્યું છે એ જોઈ મારું હૈયું દ્રવી ઉઠયું.

     માનગાવ તાલુકાના કાતેવાડી વિસ્તારમાં રહેતા કૃષ્ણા પિન્ટયા હિલમ નામની આધેડ વયની સ્ત્રી પહેલા વિડિયોમાં દેખાય છે અને તેની આપવીતી વર્ણવે છે. એ તેના વૃદ્ધ પતિ સાથે એકલી આ ગામમાં વર્ષો થી રહે છે. આ દંપતિ નિઃસંતાન છે. વાવાઝોડું આવ્યું ત્યારે તેમના ઘરનું છાપરું ઉડીને આ દંપતિ પર પડ્યું. કૃષ્ણાને ખાસ ઈજા ન થઈ, પરંતુ તેના વૃદ્ધ પતિને ખૂબ વાગ્યું અને તે હાલમાં ચાલી શકે એવી સ્થિતીમાં નથી. છાપરું ઉડી જવાને કારણે આખું ઘર ઉઘાડું થઈ ગયું અને વરસાદે તેમના ચૂલા, અનાજ, કપડાં, ઘરવખરી સઘળા પર પાણી ફેરવી દીધું. સતત વરસતા વરસાદે આ દંપતિનું જીવન બરબાદ કરી નાખ્યું. તેઓ મદદ ઝંખી રહ્યાં છે.
 
  આવી જ સ્થિતી અહીંના મોટા ભાગના ઘરોની થઈ છે. કેટલાક લોકોના ઘરના છાપરાં ઉડી જવાની સાથે તેમના ઘરની દિવાલો પણ તૂટી પડી છે. કોરોનાને કારણે જેમના સંતાનો છે એવા ખેડૂતો અને નાનું - મોટું કામ કરી ઘર ચલાવતા પરિવારો પણ છેલ્લાં થોડા સમયથી રોજીરોટી ગુમાવી ચૂક્યા છે તેવામાં આ વાવાઝોડાના સંકટે 'પડતાં ને પાટું' જેવો ઘાટ સર્જી તેમના જીવનમાં ઘોર નિરાશા ફેલાવી દીધી છે. માથે છતનો આશરો હતો તે પણ ક્રૂર વિધાતાએ છીનવી લીધો છે. તેઓ નિઃસહાય થઈ ગયાં છે.

   ગાંગવલી નામની બીજી પણ એક આદિવાસી વાડી પાડોશમાં જ છે જેની આવી જ સ્થિતી છે. કોંકણ પટ્ટામાં આવેલા આ વિસ્તારમાં સામાન્ય રીતે પણ વરસાદ વધુ પડતો હોય છે તેવામાં આ વખતે તો ચોમાસું હજી બેઠું જ છે ત્યાં આ મહારાષ્ટ્રવાસીઓની કમર તેણે બેવડ વાળી નાંખી છે. આમ જોવા જઈએ તો આપણે તેમના પાડોશી જ કહેવાઈએ અને એ નાતે તેમની મદદ કરવી આપણી ફરજ છે. મદદ કઈ રીતે કરી શકાય? તેના બે - ત્રણ રસ્તા છે. સૌ પ્રથમ તો તમારાં કોઈ ઓળખીતા કે જાણીતાં મિત્રો, સગા સંબંધી વગેરે રાયગઢ - રત્નાગિરિ વિસ્તારમાં રહેતાં હોય તો તેમને આ વિસ્તારની મુલાકાત લઈ કે તેમના સુધી મદદ પહોંચાડવાની વિનંતી કરો. તેમને આ લોકોની બિસ્માર હાલત અંગે જાણ કરો. તેમને પ્લાસ્ટિક, છાપરાં, ઈંટો વગેરે ની તાતી જરૂર છે. તે ત્યાં રહેતા નજીકના લોકો વધુ જલ્દી અને આસાનીથી પૂરી કરી શકે.
બીજો માર્ગ - એક બિન સરકારી સંસ્થા એન. જી. ઓ. અમરદીપ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લાં પચ્ચીસ વર્ષથી આ આદિવાસીઓના કલ્યાણ માટે ત્યાં જ રહી, કાર્યરત છે. તેમને તમે પૈસા મોકલી આ સેવાયજ્ઞમાં તમારો ફાળો નોંધાવી શકો છો. બેંક ઓફ ઈન્ડિયાની માનગાવ શાખાનો તેમનો એકાઉન્ટ નંબર 124710210000068 (IFSC કોડ - BKID0001247) છે જ્યાં તમે રકમ સીધી તેમના ખાતામાં જમા કરાવી શકો છો.

  ત્રીજો માર્ગ છે - કપડાં, ખાવાની ચીજ વસ્તુઓ - સીધું સામગ્રી, અન્ય ઘરવખરી ની ચીજ વસ્તુઓ તેમને દાનમાં આપીને. દાન કઈ રીતે મોકલાવી શકાય? કિરણ ચેરીઅન નામના એક નિવૃત્ત બેંક કર્મચારી અમરદીપ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે ઘણાં વર્ષોથી સંકળાયેલા છે. જો તેમની પાસે દાનમાં આપવાની પૂરતી સામગ્રી એકઠી થાય તો તે યોગ્ય વાહન ભાડે કરી એ રાયગઢ મોકલવાની વ્યવસ્થા કરવાના છે. કિરણભાઈ બિન ગુજરાતી હોવા છતાં ત્રણેક વર્ષ ગુજરાતમાં રહ્યાં અને ભણ્યા હોઈ ગુજરાતી સારું બોલી - વાંચી શકે છે. તેમનો સંપર્ક ૯૮33૬૮૬૪૧૫ નંબર પર કરી શકો છો અને તમારે દાનમાં આપવાની વસ્તુ કઈ અને કેટલી છે તેની જાણ કરવા તેમને આ નંબર પર ફોન કરી શકો છો.
   મારી દીકરી નમ્યાનો દસમો જન્મદિવસ ૨૫ મી જૂનને ગુરુવારે છે. કોરોનાના કહેરને કારણે બીજી કોઈ રીતે તો આ વખતે તે ઉજવી નહીં શકાય પણ હું રાયગઢના આદિવાસીઓની યથાશક્તિ મદદ કરી નમ્યાની વર્ષગાંઠ ખાસ બનાવવાનો છું.
  તમે પણ આ ગ્રામવાસીઓની મદદ કરશો ને?