Translate

લેબલ "Indian temples" સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ "Indian temples" સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 22 ફેબ્રુઆરી, 2014

મંદિરોના નીતિનિયમો


કેરળ ના મંદિરોમાં એક વિચિત્ર નિયમ જોવા મળ્યો. મોટા ભાગનાં ત્યાંના મંદિરોમાં પુરુષો શર્ટ, ઝભ્ભો કે કોઇ પણ ઉપરનું વસ્ત્ર પહેરી પ્રવેશ કરી શકે નહિ એવો નિયમ છે. ત્યાં ફરવા ગયાં ત્યારે એક ગાડી ભાડે કરી લીધી હતી. ડ્રાઈવર ત્યાંનો સ્થાનિક રહેવાસી એટલે   અમને ફેરવતી વખતે ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડતો. તેણે જણાવ્યું કેટલાક મંદિરોમાં તો પુરુષોને લૂંગી પહેરી હોય તો પ્રવેશ મળે! વે આમાં વાઇ પામવા જેવું લાગે કારણ મુંબઇ કે અન્ય મહાનગરમાં લોકો આધુનિક વસ્ત્ર પરિધાન કરતાં જોવા મળે પણ કેરળમાં તો મોટે ભાગે પુરુષો લૂંગીમાં જોવા મળે! પણ પાછી આખી નહિ, ઘૂંટણ સુધી ઉંચે ચડાવેલી લૂંગી! ત્યાંના પ્રખ્યાત યાત્રાધામ શબરીમાલા જતાં પુરુષોતો કાળા વસ્ત્રોમાં જોવા મળે. કાળું શર્ટ અને કાળી લૂંગી. ડ્રાઈવરે મને જણાવ્યું કે લૂંગીમાં પણ પાછું કલર-કોડીંગ અનુસરવામાં આવે. હું ચોક્કસ વિગત તો ભૂલી ગયો છું પણ એવો કોઇક પ્રોટોકોલ જોવા મળે કે ઘરનો સૌથી નાનો સભ્ય લીલા રંગની લૂંગી પહેરે અને સૌથી મોટો સભ્ય અન્ય કોઇ ખાસ રંગની. કોઈક ખાસ વર્ગ આછા કેસરી રંગની લૂંગીમાં જોવા મળે. સફેદ લૂંગીતો સૌથી વધુ સામાન્ય​!
ખેર પાછો મૂળ વાત પર આવું તો ત્યાંના મંદિરોના કેટલાક નિયમો મને વિચિત્ર લાગ્યાં.એકાદ મંદિરમાં તો મેં પૂજારીને પૂછી જોયું કે શર્ટ પહેર્યા વગર ભગવાનના દર્શન કરવા વાના નિયમ પાછળ શું તર્ક કે કારણ હોઇ શકે? (એનજિનિયર હોવાને કારણે દરેક વસ્તુ પાછળ તર્ક કે કારણ જાણવાની મને સદાયે ઉત્કંઠા હોય) પૂજારીને પણ ખરા કારણની જાણ નહોતી. મને થોડું વિચિત્ર લાગ્યું પણ દેશ તેવો વેશનાં નાતે મેં પણ ઉઘાડી છાતીએ મોટા ભાગનાં ત્યાંના મંદિરોમાં દર્શન કર્યાં. પણ કેટલાક નિયમો  તો મને વિચિત્ર કરતાં પણ થોડાં અન્યાયકર્તા  વધુ લાગ્યાં. કેટલાક મંદિરોમાં સ્ત્રીઓને પ્રવેશની મનાઈ ફરમાવતું પાટિયું જોવા મળ્યું તો કેટલાક મંદિરોમાં વિદેશીઓ અને બ્રાહ્મણ સિવાયના વર્ગને મનાઇ ફરમાવતી સૂચના પણ જોવા મળી. થોડું વધું પડતું લાગ્યું. ઇશ્વર પાસે વા કોઈ પ્રકારના આવરણ કે નીતિનિયમની મારા મતે જરૂર નથી.આજનાં ૨૧મી સદીના અત્યાધુનિક યુગમાં પણ આવા નિયમો મને અતિ ચુસ્ત અને જડતાભર્યા લાગે છે.
હા,શોખ માટે ક્યારેક લુંગી પહેરીને મંદિરમાં વાનું હોય તો મને ગમે! પણ ઘૂંટણ સુધી ઉંચી ચડાવેલી! જો કે પહેરી હું મારા ઘર નજીક આવેલાં એક મંદિરમાં નહિ જઇ શકું કારણ અહિં એવું પાટીયું મારેલું છે કે "ભાઈઓએ લૂંગી,બર્મુડા કે અન્ય અંગપ્રદર્શન થાય તેવાં કે અભદ્ર વસ્ત્રો પહેરી મંદીરમાં પ્રવેશવું નહિ."

રવિવાર, 12 જૂન, 2011

મંદિર (ભાગ - 3)

થોડા મહિના અગાઉ હું પત્ની અને મારી પુત્રી સાથે આસામ ફરવા ગયેલો ત્યાં ગુવાહાટી ખાતે માતાજીની શક્તિ પીઠ આવેલી છે જે કામાખ્યા મંદિર તરીકે ઓળખાય છે.અહિં લોકવાયકા પ્રમાણે શંકર ભગવાન જ્યારે દેવી પાર્વતીના શબને ઉંચકી આકાશમાં ઉડયા હતા ત્યારે માતાજીનો યોનિભાગ પડ્યો હતો અને તે જગાએ આ મંદિરનું નિર્માણ થયું હતું. (ગુજરાત ખાતે આવેલ અંબાજીના પવિત્ર ધામે માતાજીનું હ્રદય પડ્યું હતું એ મંદિર પણ ખૂબ પ્રખ્યાત અને સુંદર છે.)આ કામાખ્યાદેવીના મંદિરમાં પણ બીજા પ્રખ્યાત મંદિરો જેવું જ વાતાવરણ હતું.અહિં એક માન્યતા છે કે જે જગાએ માતાજીના શરીરનો યોનિ ભાગ પડેલો તે ભાગમાંથી આજે પણ પવિત્ર પાણી ઝર્યા કરે છે અને દરેક ભક્ત આ પવિત્ર જળ માથે ચડાવી પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. મેં પણ આ મુજબ કર્યું પણ ખબર નહિં કેમ મારું મન એ પ્રચલિત લોકકથા સત્ય હોય અને એના ચમત્કાર રૂપે જ આ પાણી ઝરી રહ્યું હોય એ બાબત હજી સ્વીકારી શક્તું નથી. બીજી એક વાત આ મંદિરમાં એ બની કે ત્યાં હું જે દ્રષ્ય જોયાનો સાક્ષી બન્યો એ જોયા બાદ ત્યાંની ભૂમિને પવિત્ર કહેવી કે નહિં એ અંગે પણ હું દ્વિધા અનુભવું છું. હું પૈસા ખર્ચીને વી.આઈ.પી. દર્શનની લાઈનમાં તો ઉભો નહોતો રહ્યો કે ન તો મને સમયના અભાવે ત્યાંની સામાન્ય કતારમાં ઉભા રહી છ-સાત કલાકે મારો નંબર આવે ત્યારે માતાજીના મંદિરમાં ગર્ભગૃહના પ્રત્યક્ષ દર્શન કરવાનો લાભ મળી શકે એમ હતો. આથી એક પાંડાને દક્ષિણા આપી અમારા વતી પૂજા કરાવી દીધા બાદ મંદિરના પ્રાંગણમાં ફરતી વેળાએ બરાબર માતાજીના ગર્ભગૃહની સામે મંદિરની બહાર એક ખાસ જગાએ મારું ધ્યાન ગયું તો ત્યાં લોહીના રેલા જેવું કંઈક વહી રહ્યું હતું. એ લોહીની ધાર જોઈ મને સમજી જતા વાર ન લાગી કે શા માટી આ મંદિરના પ્રાંગણમાં અનેક લોકો બકરી હાથમાં તેડી કે કબૂતરોને ટોપલામાં કે પિંજરામાં લઈ ફરી રહ્યાં હતાં. માણસ નામની ક્રૂર જાત આ મૂંગા પશુઓની અહિં બલિ ચડાવે છે - એ વાસ્તવિક્તાનું ભાન થતાં જ મને એક તીવ્ર અણગમા અને તિરસ્કારની લાગણી થઈ આવી. અહિં આ મુખ્ય મંદિરના પ્રાંગણમાં જ બીજા નાના મોટા દેરા હતાં.જેમાંથી એક કાળકા માતાના અંધારિયા દેરામાં તો હદ થઈ ગઈ. અહિં હું ઘૂંટણિયે ઝૂકી પગે લાગી માથુ ઉંચુ કરું છું ત્યાં જ મારી નજર બાજુમાં જ તાજું વધેરી ચડાવાયેલું બકરાનું લોહી નિતરતું માથું પડેલું હતું. મને એ જોઈ કંપારી છૂટી ગઈ. શું ભગવાન આપણી પાસેથી આવી ભેટની અપેક્ષા રાખતા હશે? અરે એ તો સર્જનહાર છે,જીવની રચના કરનાર છે. પોતાના અંગત સ્વાર્થ માટે અબોલ પશુપંખી (કે ક્યારેક બાળક કે પછી બીજા મનુષ્ય સુદ્ધા) ની બલિ ચડાવવાનું ક્યારે બંધ કરશે? પહેલી વાર કોઈક મંદિરમાં ગયા બાદ મને અણગમાની લાગણી થઈ રહી હતી.


ગુજરાતના મહેસાણામાં એક પશુપાલન કેન્દ્ર જે પાડાકેન્દ્રના નામે પણ ઓળખાય છે તેની આસપાસ સરસ મજાનું નાનકડું જંગલ જ જાણે જોઈ લ્યો! લીલાછમ વૃક્ષો વચ્ચે અહિં એક પાકા સિમેન્ટનો ઓટલો અને તેની ફરતે ચોરસ ઝાંપો અને ઉપર પ્લાસ્ટિક ઢાંકી છાપરા જેવું બનાવી એક શિવલિંગની અહિં સ્થાપના કરેલી જે નીલકંઠ મહાદેવના મંદિર તરીકે ઓળખાય.આમ ખરું જોતાં તો આ જગાને મંદિર કહી શકાય કે નહિં એ પણ એક પ્રશ્ન હોવાં છતાં મને એ હ્રદયથી પ્રિય! હું જ્યારે નીલકંઠ મહાદેવના આ મંદિરમાં બેસું ત્યારે મને અપાર શાંતિનો અનુભવ થાય.અહિં બેસું એટલે જગત જાણે થંભી ગયું હોય એમ લાગે.અહિં મને સાચી આધ્યાત્મિકતાનો અનુભવ થાય.હું સીધું ઇશ્વર સાથે જોડાણ અનુભવું. અહિંની સાદગી મને આટલી ગમતી હશે કે પછી આ જગા પ્રકૃતિની આટલી નજીક હોવાથી મને અહિં અપાર સુખ મળતું હશે? જે હોય તે પણ અહિંની પવિત્રતા મને સ્પર્શતી અને અહિં અનુભવાતી સંવેદના કદાચ હું શબ્દમાં નહિં વર્ણવી શકું. શંકરનું સ્મરણ કરતા અહિં હું એકલો કે ક્યારેક પત્ની સાથે બેઠો હોઉં ત્યારે આસપાસ ખિસકોલીઓ કે કાબર, હોલા વગેરે પંખીઓ મંદિરના ઓટલા પર આસપાસ નિર્ભયતાથી રમતાં હોય તો મંદિરના પ્રાંગણમાં જ નજીક પોપટ,મોર અને કબૂતરા ચણતાં હોય. ઘણી વાર મેં અહિં લાલ-પીળા રંગો ધરાવતું લક્કડખોદ પણ જોયું છે.પોપટના તો ઝૂંડના ઝૂંડ આસપાસના ઝાડો પર જોવા મળે.શિવલિંગ પર લટકાવેલા કાણાવાળા લોટાનાં કાણામાંથી દોરી પરથી ટપકતું પાણી પીને કાબર તરસ છીપાવે! ક્યારેક ગાય વગેરે પણ આવી ઝાડોની ઠંડકમાં બેસે.જ્યારે જ્યારે મારે સાસરે મહેસાણા જવાનું થાય ત્યારે આ મંદિરમાં હું અચૂક જઈને ઘણી વાર સુધી બેસું.દોઢેક વર્ષ પહેલા મેં અહિં પંખીઓ પી શકે એ માટે પાણી ભરીને શકાય એવું માટીનું પાત્ર પણ ઝાડો વચ્ચે મૂક્યું હતું અને તેમાંથી પંખીઓ પાણી પીતા કે તેમાં નહાતા જોઈ જે પરમ સંતોષ અનુભવાતો તે અવર્ણનીય અને અનુપમ હતો.પણ કુદરતને શું સૂઝ્યું ને ગયા વર્ષે ચોમાસા દરમ્યાન એક વંટોળ આવ્યું જેણે નીલકંઠ મહાદેવના મારા આ અતિ પ્રિય મંદિર અને તેના પરિસરને તદ્દન ખેદાન મેદાન કરી નાખ્યું. અહિંના મોટા ભાગના ઝાડ પડી ગયા.મહાદેવના મંદિરના ઓટલાની જાળી વાળી વાડ તૂટી ગઈ અને હવે આ જગા સરકાર હસ્તક હોવાથી બાકી બચેલા ઝાડ પણ સાફ કરી ત્યાં નવી સરકારી ઇમારત બનતા મેં જોઈ જ્યારે હું છેલ્લી વાર અહિં દર્શન કરવા ગયો હતો.મારું મન આ જગાનું તદ્દન બદલાઈ ગયેલું સ્વરૂપ જોઈ અતિ ખિન્ન થઈ ગયું.

થોડા વર્ષ અગાઉ દમણના એક પોર્ટુગીઝ ચર્ચમાં મરી સાથે બનેલ એક રસપ્રદ પ્રસંગ પણ મને અહિં યાદ કરવાનું મન થાય છે.અમારી ઓફિસની પિકનિક દમણ ગયેલી.અહિં કેટલાંક ખૂબ સુંદર ચર્ચ આવેલાં છે.સાંજે લટાર મારવા નિકળ્યો અને મારી નજર એક ભવ્ય બાંધણી ધરાવતા પ્રાચીન ઉંચા, સુંદર પોર્ટુગલ ચર્ચ ઉપર પડી.હું જ્યારે આ ચર્ચમાં પ્રવેશ્યો ત્યારે એક ખાસ પ્રકારની પ્રાર્થના ચાલી રહી હતી.આ પ્રાર્થના પૂરી થતાં જ લોકો બે કતારમાં વહેંચાઈ ગયા અને ચર્ચમાંના પાદરી પાસે જઈ તેમના આશિર્વાદ લેવા લાગ્યા.આપણાં મંદિરોમાં જેમ આરતી પૂરી થયે પ્રસાદ વહેંચાય છે એમજ અહિં ફાધર પતાસું અને પવિત્ર જળ કતારમાં ઉભેલા ભક્તોને વારાફરતી આપતાં હતાં.હું પણ એક કતારમાં ઉભો રહી ગયો અને કતાર ધીમે ધીમે આગળ વધી રહી હતી.હું ચર્ચમાં આજુબાજુ નજર ફેરવી તેનું સૌંદર્ય માણી રહ્યો હતો.મારો વારો આવ્યો અને હજી પતાસું હાથમાં લઉં એ પહેલાં ફાધરે મને પૂછ્યું શું હું ખ્રિસ્તી પ્રોટેસ્ટંટ છું? મેં ના પાડી અને તેમણે મારા હાથ સુધી લંબાવેલું પતાસું પાછુ ખેંચી લેતાં મને જણાવ્યું ફક્ત ખ્રિસ્તીઓ જ આ પ્રસાદ લઈ શકે છે. હું ખૂબ ભોંઠપ અનુભવી રહ્યો!જે બન્યું તે સારું હતું કે ખરાબ,ખોટું હતું કે સાચું એ કંઈ હું તે ક્ષણે નક્કી કરી શક્યો નહિં અને મેં થોડા અણગમાની લાગણી સાથે ચર્ચ છોડ્યું.પણ થોડી વાર પછી મને પસ્તાવો થયો અને મારી ભૂલ સમજાઈ.જે પરંપરા કે રૂઢી વિષે આપણે કંઈ જાણતા ન હોઈએ તેની પૂરેપૂરી માહિતી વગર આપણે તેનો ભાગ બનવા કે મેં કર્યો હતો એવો અખતરો કરવા પ્રયત્ન કરવો જોઈએ નહિં.

મંદિરો સાથે જોડાયેલી કેટલીક ખાસ માન્યતાઓ કે તેમની વિશેષતાઓ પણ તેમને ખાસ મહત્વ અપાવી દે છે. જેમકે મહુડીના ઘંટાકર્ણવીર ભગવાનના મંદિરમાં ત્યાં જ ખાઈ જવી પડતી સુખડી કે મામા ભાણિયાની જોડી જ્યાં દર્શન માટે આવે છે તે શનિ શિંગણાપુરનું મંદિર, મંદ્રોપુરના શિતળામાતાના મંદિરની વાવ કે ત્યાં બનાવેલું નાગનું ગોખ, તિરૂપતિ મંદિરમાં ભગવાનને ધરી દીધેલી માથા પર ટકો કરાવી વાળની ભેટ કે ગુજરાતના કેટલાંક મંદિરોમાં જોયેલા મોટા મોટા મધપૂડા…પંજાબીઓ કે શીખોના ગુરૂદ્વારામાં જાઓ કે મુસ્લિમોની મસ્જિદમાં, ખ્રિસ્તીઓના દેવળમાં જાઓ કે જૈન દેરાસરમાં કે પછી હિંદુઓના મંદિરમાં આ બધાં દેવસ્થાનો તમારા મન અને આત્માને અનેરી શાંતિ, અપાર સુખ અને ગજબના સંતોષનો અનુભવ કરાવે છે અને એ બધાં એક જ રાહ તરફ દોરી જાય છે - ઇશ્વર, અલ્લા, પરવરદિગાર તરફ. તમે ઉદાસ થઈ જાઓ કે જીવનમાં કોઈ પ્રકારની હતાશા આવે ત્યારે કોઈ મંદિર કેરી વાટ પકડી ઇશ્વર સુધી પહોંચવાનો પ્રયત્ન કરજો, એ તમને નિરાશ નહિં કરે...

(સંપૂર્ણ)

રવિવાર, 5 જૂન, 2011

મંદિર (ભાગ - ૨)

અત્યાર સુધી લીધેલ અનેક મંદિરોની મુલાકાત પૈકી કેટલાંક યાદગાર બની રહ્યા હોય એવા અનુભવ મને યાદ આવે છે.


આઠેક વર્ષ પહેલાં ઓફિસના કામે પુણે જવાનું થયેલું. હું ઓફિસના કામ સાથે જે તે નવા પ્રદેશની આસપાસના શક્ય એટલા નવા જોવાલાયક સ્થળો અને મંદિરોની માહિતી મેળવી લઈ, શક્ય હોય તો તેમની મુલાકાત લેવાનું ક્યારેય ચૂકતો નથી. પુણેમાં અતિ પ્રખ્યાત એવા અષ્ટવિનાયકના ગણેશ મંદિરો આવેલાં છે. એમાંથી બે ગણેશ મંદિરોની મુલાકાત મેં લીધી અને એ પણ જરા હટકે સ્ટાઈલમાં! એટલે મને એ યાદ છે. તમે એકલા હોવ અને પહેલેથી આયોજન ન કર્યું હોય ત્યારે ઇમ્પ્રોમ્પ્ટુ (સહસા) તૈયાર થઈ ગયેલા પ્રવાસની પણ એક અલગ મજા હોય છે! પુણેમાં એક ખટારામાં ઘાસના ઢગલા પર બેસી હું અષ્ટવિનાયકમાંના રાંજણગાવ મહાગણેશના મંદિરે પહોંચેલો અને રસપ્રદ સ્થાનિક છકડા જેવી રિક્ષામાં બેસી બીજા વિનાયક મંદિરે ગયેલો અને ત્યારે રસ્તામાં એક લાંબા સાપને અમારા વાહન સામેથી પસાર થઈ ગયેલા જોયાનું યાદ છે. આઠેઆઠ અષ્ટવિનાયક મંદિરોની યાત્રા તો હજી સુધી પૂર્ણ કરી શક્યો નથી પણ કરીશ ખરો.

મારી ગુજરાતમાં આવેલા દ્વારકા, સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરોની યાત્રા પણ યાદગાર બની રહી હતી.

બાર જ્યોતિર્લિંગમાંથી છ ના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.ઇશ્વરની ઇચ્છા હશે તો બાકીના છ પણ દર્શનાર્થે જઈશ.

ચેન્નાઈ પણ ઓફિસના કામે બે વાર જવાનું થયેલું ત્યારે ત્યાંના મંદિરોની મુલાકાત પણ રસપ્રદ રહી હતી.આમેય મને દક્ષિણ ભારતીય સંસ્કૃતિ તેમજ ત્યાંના મંદિરોનું વિશેષ અને અનેરૂં આકર્ષણ રહ્યું છે. દક્ષિણ ભારતીય મંદિરોની શૈલી, ત્યાંની પરંપરાઓ,ભગવાનને તિલક કરવાની તેમજ શણગારવાની અને તેમની પૂજા કરવાની વિશિષ્ટ રીત - આ બધું મને ખૂબ ગમે છે. ચેન્નાઈમાં હજારો વર્ષ જૂના એવા એક ભવ્ય કપાલિશ્વર શિવાલયની મેં મુલાકાત લીધી હતી જેમાં અલગ અલગ કદના સેંકડો શિવલિંગ હતાં.અહિં એક અષ્ટલક્ષ્મી મંદિરમાં સુંદર રીતે આઠ અલગ અલગ જગાઓએ ગોઠવાયેલી લક્ષ્મીજીના આઠ સ્વરૂપોના દર્શન કરી પણ ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવાઈ હતી.

એજ વખતે બીજે દિવસે ત્યાંના પ્રખ્યાત કાંચીપુરમના કામાક્ષી દેવી મંદિર તેમજ અન્ય કેટલાક મંદિરોની મુલાકાત લીધી હતી. અહિં એક વાત મને ખૂબ ખટકેલી. એ મંદિરોમાં લખ્યું હતું 'અહિં વિદેશી લોકોએ આવવાની મનાઈ છે.' કેટલાંક મંદિરોમાં મે વાંચ્યું કે 'અહિં ફક્ત બ્રાહમણો એ જ પ્રવેશ કરવો.' મેં સાંભળ્યું છે કે દક્ષિણ ભારતના કેટલાંક મંદિરોમાં સ્ત્રીઓનો પ્રવેશ પણ વર્જ્ય છે.આ બાબત મને પસંદ નથી. આજે આપણે કયા યુગમાં પ્રવેશ્યા છીએ? આવા બંધનોની કોઈ જરૂર ખરી? ઇશ્વર સુધી પહોંચવાના સ્થળે જાતિ કે વર્ણના આવા ભેદ શા માટે? એ બાબતે મને ખ્રિસ્તી દેવળો ગમે જ્યાં માસિક ધર્મ વખતે પણ સ્ત્રીઓ ઇશ્વરને સ્મરવા જઈ શકે. ભગવાનતો ક્યારેય કોઈ સાથે ભેદભાવ રાખતા નથી તો પછી આપણે મનુષ્યો શા માટે ધર્મના નામે જુનાપુરાણા જડ નિયમોને વળગી રહ્યાં છીએ?

ખેર જવાદો એ વાત. ફરી પાછાં દક્ષિણ ભારતીય મંદિરોની સ્થાપત્ય શૈલી ઉપર આવીએ. મને આ મંદિરોના ખાસ પ્રકારના પિરામીડ જેવા આકારના શિખર ખૂબ ગમે છે જેને 'ગોપુરમ' કહેવાય છે. મદુરાઈના મિનાક્ષી મંદિર કે હૈદ્રાબાદ નજીક આવેલા જ્યોતિર્લિંગ રામેશ્વરમ મંદિરના ગોપુરમ લાક્ષણિક અને આકર્ષક છે. તિરુપતિ મંદિર અને મહાબલિપુરમના જીર્ણ ગોપુરમ પણ ભવ્ય અને સુંદર છે. ગોપુરમમાં ઘણાં બધાં દેવીદેવતાઓ ચારે દિશામાં કોતરેલા અને રંગેલા હોય છે.દક્ષિણ ભારતીય મંદિરોની ખાસિયત સમા મંદિરના પ્રાંગણમાં આવેલ સ્થંભ પણ મને ખૂબ ગમે છે જેમાં બનાવાયેલા ગોખલાઓમાં અનેક દિવા મૂકીને પ્રગટાવાય છે.ભલે દક્ષિણ ભારતના મંદિરો મોટે ભાગે અંધારિયા લાગે (કારણ આ મંદિરો અને એમાં દેવીદેવતાઓની મૂર્તિ પણ સામાન્ય રીતે કાળા પથ્થરમાંથી બનાવેલા હોય છે) છતાં તેમની ભવ્યતા અને દિવ્યતા, એમાં વાસ કરતાં દેવીદેવતાઓ આગળ તમને તમારા વામણાં હોવાનો અહેસાસ કરાવે છે.

રામેશ્વરમ નું પ્રાચીન ભવ્ય મંદિર પણ અવશ્ય એક વાર મુલાકાત લેવા લાયક છે.આ મંદિરની અંદર ૨૧ કુવાઓ આવેલા છે. વિશાળ સમુદ્રને કાંઠે આવેલા આ શિવાલયમાં જ્યોતિર્લિંગ સ્વયમ રામ ભગવાને પોતાને હાથે બનાવ્યું હતું એમ કહેવાય છે.સમુદ્રના પાણીમાં ડૂબકી લગાવ્યા બાદ મંદિરમાં આવેલા ૨૧ કૂવાઓના પાણીથી સ્નાન લઈ શરીરને પવિત્ર કર્યા બાદ શિવલિંગના દર્શન કરવા, એવી અહિં પ્રચલિત પરંપરા છે. વિશાળ સ્થંભો અને વાતાવરણમાં એક અનેરી પવિત્રતા અને શાંતિ તમારા મનને એક અનેરી ધન્યતા અને પરિતૃપ્તિની અનુભૂતિ કરાવે છે.

પ્રખ્યાત મંદિરોની મને એક ન ગમતી બાજુ એ તેમનું થયેલું વ્યાપારીકરણ છે.દરેક મોટા સુપ્રસિદ્ધ મંદિરમાં અલગ અલગ ભાવો વાળી ટિકીટ હોય છે,વી.આઈ.પી. દર્શનની અલાયદી સુવિધાઓ ખાસ વ્યક્તિઓ માટે હોય છે અને જે પૈસા ખર્ચી જાણે તેને જ મંદિર્ના ગર્ભગૃહમાં પ્રવેશ તેમજ ભગવાનની મૂર્તિ કે શિવલિંગની સ્પર્શ કરવાનો અધિકાર મળે છે!

એક બાજુ તમને પોતાના આખા શરીરને ચત્તપાટ સૂઈ જમીન પર ઘસડાવી આગળ વધતા પ્રભુભક્તો જોવા મળશે તો બીજી બાજુ સો કે વધુ રૂપિયાની ટિકીટ લઈ શોર્ટકટથી પ્રભુને મળવા જનારા ભક્તોની ભીડ જોવા મળશે. ભક્તગ્રાહકો મેળવવા માટે પંડિત-ગોર-પંડાઓનીતો જાણે લડાઈ જ જોવા મળશે! તેઓ ભક્તોના ખિસ્સા પ્રમાણેની અલગ અલગ પુજાઓ કરાવશે. પ્રસાદ પણ કિંમત મુજબ અલગ અલગ! આ બધું મોટા મંદિરો અને તીર્થધામો પ્રત્યે એક પ્રકારનો અણગમો જન્માવે છે. ઇશ્વર સામે લાખોપતિ હોય કે કોઈ ભિખારી હોય,બંને સરખા જ છે તો પછી આ બધા ભેદભાવ અને લાલચ-લોલૂપતાનું બેહૂદૂ પ્રદર્શન ઇશ્વરના નિવાસસ્થાન ગણાતા મંદિર જેવી પવિત્ર જગાએ શા માટે?

હજી મંદિરોના કેટલાક બીજા યાદગાર અનુભવોની રસપ્રદ વાતો આવતા અઠવાડિયે આ શ્રેણીના છેલ્લા અને ત્રીજા બ્લોગમાં કરીશ.

(ક્રમશ:)