Translate

શનિવાર, 17 ઑગસ્ટ, 2019

ગેસ્ટ બ્લૉગ : જૂની રંગભૂમિનો સૂર્યાસ્ત - શ્રી વિનયકાંત દ્વિવેદીને શ્રદ્ધાંજલિ

     આજે સભાગૃહમાં ત્રણ બેલ પછી નાટક શરૂ થાય છે એમ જૂની રંગભૂમિ પર ત્રણ ઘંટડી વગાડવામાં આવતી અને ત્રીજી ઘંટડી બાદ પોટાશના ભડાકા સાથે નાટકની શરૂઆત થતી. જૂની રંગભૂમિનું કોઈક નાટક સ્વર્ગમાં શરૂ થયું લાગે છે પહેલી ઓગષ્ટથી એટલે વિનુભાઈ ને ઈશ્વરે ત્યાં બોલાવી લીધા. વિનુભાઈ એટલે વિનયકાંત પ્રભુલાલ દ્વિવેદી. આજની પેઢીનો કોઈ યુવાન કદાચ પૂછી શકે એ કોણ પણ કાલની અને એનાથી જૂની પેઢીના કોઈને મારે કદાચ વિનયકાંત દ્વિવેદીનો પરિચય આપવો નહીં પડે. વિનુભાઈ એટલે જૂની રંગભૂમિ એવું રૂપક અતિશયોક્તિભર્યું નહીં ગણાય.
    જૂની રંગભૂમિના ભીષ્મ પિતામહ સ્વ. શ્રી પ્રભુલાલ દયારામ દ્વિવેદીએ અનેક લોકપ્રિય નાટકોનું સર્જન કર્યું, અનેક લોકચાહના પામેલા ગીતોનું સર્જન કર્યું. અનેક હિંદી અને ગુજરાતી ફિલ્મો તેમના નાટકો પરથી બની. અનેક નામી કલાકારો તેમની કલમથી પ્રસિદ્ધિ પામ્યાં. એમના સુપુત્ર એટલે દેવી ગાયત્રીના પરમ ઉપાસક એવા વિનયકાંત દ્વિવેદી.
  ૧૯૭૮માં શ્રી દેશી નાટક સમાજ સંસ્થા મુંબઈ (ભાંગવાડી, કાલબાદેવી) ખાતે બંધ થઈ. ૧૯૮૧માં શ્રી મુકુંદ ગોરડીયા, શ્રી ચંદ્રકાંત શાહ, શ્રી રસિક ભાઈના સહકારથી વિનુભાઈએ "સંભારણાં" નામની નાટય સંસ્થા શરૂ કરી અને સંભારણાંનો પ્રથમ નાટય પ્રયોગ તેજપાલ ઓડીટોરીયમ ખાતે ૨૬ - માર્ચ - ૧૯૮૧ ના રોજ રજૂ થયો જેમાં સંગીત સંચાલન શ્રી સુરેશકુમાર શાહે કર્યું, પ્રકાશ સંચાલન શ્રી ભૌતેશ વ્યાસે સાંભળ્યું. સનત વ્યાસ અને સોહાગ દીવાનનો સાથ મળ્યો અને મારા અને મારા પિતાશ્રી સ્વ. પ્રભાકર કીર્તિ એ પણ તેમાં ભાગ ભજવ્યો અને એ શો સુપર હિટ રહ્યો.
ત્યારબાદ અનેક નાટકો રજૂ થયા,નાટ્ય ગીતોની કેસેટ - ડી. વી. ડી. બહાર પડ્યા. તેમાં મુખ્ય કલાકારો હતાં - મહેશ્વરી, રજની શાંતારામ, રંગલાલ નાયક, ઘનશ્યામ નાયક, રૂપકમલ, મનોરમા, કેશવલાલ નાયક, ડી. શાંતારામ, સૂર્ય કુમાર, લીલી પટેલ, ભૈરવી શાહ, ઉમા જોશી, અરવિંદ વેકરિયા, તન્મય વેકરિયા, જગદીશ શાહ, કિશોર ભટ્ટ, ગિરીશ દેસાઈ, જયંત ભટ્ટ, ભાસ્કર દવે, શાંતિલાલ નાયક, સરયૂ શાહ, ચંદ્રકાંત ચૈતન્ય નયના આપ્ટે, શ્રીકાંત સોની, મહેશ ભટ્ટ, ગૌરી રાવલ, ભાવના ત્રિવેદી, શરદ શર્મા, હિંમત જોશી, નિરૂપમા જોશી, રક્ષા દેસાઈ. આ બધા કલાકારોએ વિનુભાઈને જૂની રંગભૂમિ ૧૯૮૧ બાદ પણ જીવતી રાખવામાં સહયોગ આપ્યો.
વિનુભાઈ પોતે નિર્માતા, દિગ્દર્શક, લેખક - કવિ કે કલાકાર ન હોવા છતાં જૂની રંગભૂમિને જીવતી રાખવામાં તેમનું યોગદાન અમાપ અને અજોડ રહ્યું.
વિનુ ભાઈ નું અન્ય નોંધનીય પ્રદાન એટલે લગભગ છ દાયકાના ગુજરાતી સુપરહિટ નીવડેલા લોકપ્રિય ગીતોનું રસપ્રદ માહિતી સાથેનું પુસ્તક 'મીઠા ઉજાગરાં'.
જૂની રંગભૂમિના ઇતિહાસના છેલ્લા પાના સમા શ્રી વિનયકાંત દ્વિવેદીને નત મસ્તકે ભાવભીની શ્રદ્ધાંજલિ.
  - ઘનશ્યામ નાયક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો