Translate

રવિવાર, 19 માર્ચ, 2017

મંગલમય જંગલ

હમણાં એક લેખ વાંચ્યો જંગલ પ્રત્યેના પ્રેમ વિશે. મનુષ્ય કાળક્રમે ઉત્ક્રાંતિ થતાં જંગલમાંથી આજની તેણે ઉભી કરેલી દુનિયા તરફ વળ્યો, પણ તેના મૂળિયા જંગલ સાથે જોડાયેલા છે.આદિમાનવ જંગલની ગુફામાં રહેતો અને આમ તેનું જંગલ સાથે,પ્રકૃતિ સાથે કુદરતી જોડાણ છે.આથી સંગીત થેરાપી, એક્યુપંક્ચર થેરાપી, સુગંધ થેરાપીની જેમ એક નવી થેરાપી ઉદભવી છે - જંગલ થેરાપી. જેમાં હઠીલા રોગ ધરાવતા દર્દીને જંગલમાં રહેવાનું સૂચન કરાય છે. ત્યાં મળતી ખુલ્લી ચોખ્ખી હવા, શુદ્ધ ભેળસેળ વગરના ખોરાક અને તાણમુક્ત વાતાવરણ વચ્ચે દર્દીનો રોગ ચોક્કસ ટૂંક સમયમાં સારો થઈ જાય છે.
હું જંગલનો પ્રેમી છું. મને જંગલની મુલાકાતે જવું, તેમાં રહેવું બેહદ પસંદ છે.પણ આપણા શહેરી જનોને જે બધું પસંદ હોય તે કંઈ થોડું સદાયે મળી રહેતું હોય છે? છતાં એક વાતનો દિલાસો છે કે આપણાં મુંબઈની આસપાસ સંજય ગાંધી નેશનલ પાર્ક, આરે કોલોની, ભાયખલા નો રાણી બાગ જેવા જંગલો મોજૂદ છે. ભલે ત્યાં લાંબો કે કાયમી વસવાટ થઈ શકે પણ એકાદ-બે દિવસ રહેવાની સગવડ તો નેશનલ પાર્કનાં જંગલમાં ઉભી પણ કરવામાં આવી છે.
જંગલની વાત નોખી! ત્યાંનું વાતાવરણ, લીલોતરી, આબોહવા, પૃષ્ઠભૂમિ, જળાશયો, વનરાજી - ફળફૂલ, પ્રાણીઓ,જંતુઓ,દિવસ,રાત, ઋતુઓ બધું નોખું.
જંગલની કેડીએ ચાલતા હોવ તો ધૂળીયે મારગ દિવસેય તમને અંધારું લાગવાની સંભાવના ખરી અને ભર ઉનાળેય તમને ગરમી પ્રકોપમય વર્તાતા, વનરાજીને લીધે ઠંડક વર્તાય એવી શક્યતા ખરી! ચોમાસામાં તો જંગલના સ્વરૂપનું પૂછવું શું? વનસ્પતિ અને જંગલનો જેમ અતૂટ નાતો છે એમ પ્રાણી-પંખી-જંતુઓનો પણ જંગલ સાથે અજોડ રિશ્તો છે. જંગલની કલ્પના સજીવો વગર અને સજીવોની કલ્પના જંગલ વગર કરવી અઘરી છે. સર્કસ કે પ્રાણીબાગમાં પણ તમને પ્રાણીઓ જોવા મળે પણ એની સરખામણી જંગલવાસી પશુઓ સાથે થઈ શકે ખરી?
                જંગલમાં કે જંગલમાં થઈને પ્રવાસે જવ ત્યારે  ભરદિવસે ઉંચા ઉંચા વૃક્ષોની ઘટાઓને કારણે સૂર્યપ્રકાશ જંગલની જમીન સુધી પહોંચી શકતો નહોય તેથી વાતાવરણ અંધારીયું પણ મનોગમ્ય - ઠંડુ હોય. ઘડીક ધીમી તો ઘડીક તેજ રફતારે આગળ વધતા, માર્ગમાં ઝાડ પર ચડતા તો ક્યાંક ઝરણાં-નદીમાં પગ પલાળતાં આગળ વધવાની મજા પ્રવાસની અન્ય કોઈ પ્રવૃત્તિમાંથી મળતા આનંદ કરતા ચોક્કસ વધારે હોય છે! માર્ગમાં ઝાડ પરથી તોડી તાજા ફળો ખાવાની કે ઝાડી-ઝાંખરા આઘાપાછા કરી આગળ વધવાની મજા તો જંગલના પ્રવાસમાં માણવા મળે. માર્ગમાં જો કોઈ પ્રાણીનો અવાજ કે પંખીનું શહેરમાં ક્યારેય સાંભળેલું ગીત કાને પડી જાય તો ત્યારે ઉભા થતા મનોભાવ રોમાંચક તો ક્યારેક ભય ઉત્પન્ન કરનારા પણ બની રહેતા હોય છે! એમાંયે જો પ્રાણી કે પંખી નજરે ચડી જાય તો - તો મારા જેવા પ્રકૃતિપ્રેમીને તો જાણે સ્વર્ગ મળ્યા જેવી અનુભૂતિ થાય!
જંગલમાં ઉગેલું લીલુંછમ ઘાસ કે લતામંડપ કે પછી તેમાં થઈને વહેતી નદીનો ખળ ખળ ખળ ખળ મધુરો નાદ મનમાં એવા સ્પંદન જગાડે છે કે અનુભવ તમને સંપૂર્ણ રીતે રીલેક્સ કરી દે છે - તમે જાણે એક જુદી દુનિયામાં પહોંચી જાવ છો, તમારા સઘળા ટેન્શન્સ-તાણનો સમૂળગો નાશ થઈ જાય છે.
જંગલમાં જો કોઈ મંદીર કે ગુફા જડી જાય તો ત્યાં રાતવાસો કરવાની કેવી મજા પડે!
દિવસ કરતા તદ્દન જુદું એવું જંગલનું બીજું સ્વરૂપ તમને રાતવાસો કરો તો જોવા મળે.અંધારું ભયંકર હોય અને તમરાં અને અન્ય વન્ય જીવોના અવાજ ભયમાં વધારો કરી શકે પણ પ્રકૃતિ પ્રેમીને મન તો ભયનીયે પ્રિતી હોય! ઘણી વાર જંગલમાં ઉંચા ઝાડ પર માંચડો બનાવી પ્રકૃતિપ્રેમીઓ તેમાં રાતવાસો કરતા હોય છે જેથી રાતે તરસ છિપાવવા ટોળામાં નિકળેલા પ્રાણીઓને નિહાળી શકાય,તેમની સંખ્યાની ગણતરી કરી શકાય. નેશનલ પાર્કમાં આવા કૃત્રિમ જળાશય ચોક્કસ સ્થાને ઉભા કરાયા છે અને તેમની નજીક ઉંચા મચાન ઉભા કરાયા છે.
ભીમાશંકરના જ્યોતિર્લિંગના દર્શને આજથી કદાચ બે દસકા અગાઉ જંગલને રસ્તે થઈને મિત્રો સાથે ગયેલો તે દિવસનો અનુભવ આજે પણ મનની સ્મૃતિમાં લીલોછમ - તાજો છે! તો લોહગઢ કે હરીશ્ચંદ્રગઢ પર જવા માટે ઓવરનાઈટ ટ્રેકીંગ કરતી વેળાએ આખી રાત જંગલનો સહવાસ માણતા માણતા કરેલી યાત્રા વેળાએ મનમાં જન્માવેલી અવિસ્મરણીય અનુભૂતિ જીવનપર્યંત એટલી તાજી રહેશે જેટલી તાજી હોય છે જંગલની વહેલી સવારની શુદ્ધ હવા! ગુજરાતનાં વિરેશ્વર મહાદેવનું ઇડર નજીકનું જંગલમાં આવેલું શિવાલય હોય કે પછી કોરાઈગઢ પર આવેલું મહારાષ્ટ્રનું કોરાઈદેવીનું મંદીર; મહારાષ્ટ્રના પેબ, નાખિંડ, વાંગણી, માથેરાન, વિસાપુર, પ્રબલગઢ  વગેરે જેવા સ્થળોએ કરેલા ટ્રેકીંગનો અનુભવ; મનાલી-ધરમશાલા-ચંબા-ડેલહાઉસી જેવા વિસ્તારોની હનીમૂનની ખાસ યાત્રા વખતે લીધેલી મુલાકાત; કેરળના મુન્નાર અને ઠેકડી જેવા વિસ્તારોમાં કે આસામના કોર્બેટ નેશનલ પાર્ક કે માજુલી જેવા નદી પરના ટાપુ જેવા પ્રદેશની ગલીઓમાં પરીવાર સાથે કરેલી સહેલગાહ; વિદેશ ફર્યાનો તો વિશેષ અનુભવ નથી પણ સ્વીત્ઝરલેન્ડ ગયેલો ત્યારે હાર્દર કુલ્મ નામની ત્યાંની એક પર્વતની ટોચે આવેલી જગાની મુલાકાત - બધી યાત્રાઓ અવિસ્મરણીય બની રહી છે દરેક વેળાએ માણેલા જે-તે જંગલપ્રદેશના અનુભવને લીધે!
જંગલમાં સિંહ-વાઘ જેવા વિકરાળ પ્રાણીઓ પણ હોય અને મદમસ્ત હાથી કે લાંબા તાડ જેવા જીરાફ પણ હોય,નાભિમાં કસ્તૂરી સંતાડી પૂર ઝડપે ભાગતા હરણાં પણ હોય અને જમીનમાં બખોલ કરી તેમાં બચ્ચા સંતાડી કૂદકા મારી ચાલતાં સસલા પણ હોય. અહિં જાડાપાડા અજગર પણ હોય અને લાંબા ભયાનક એનાકોન્ડા જેવા સાપ પણ. અહિં સુંદર ખુશ્બુ દાર ફૂલોની મહેક પણ પ્રસરેલી જોવા મળે તો નાનકડા જંતુ-પ્રાણીઓને ભક્ષી જતી વનસ્પતિ પણ. બધાં અહિં સહજીવન માણે છે અને એક બહુ અગત્યનો પાઠ આપણે જંગલ પાસેથી શિખવાનો છે.
જે પોષતું તે મારતું ક્રમ દીસે છે કુદરતી... વિરોધાભાસી તત્વોને પોતાનામાં સમાવી લેતાં જંગલ પૃથ્વી પર જીવન ટકી રહે માટે એટલા જરૂરી છે જેટલા જરૂરી માટે આપણને હવા-પાણી અને પ્રકાશ લાગે છે.

2 ટિપ્પણીઓ:

  1. ઘનશ્યામ એચ ભરુચા19 માર્ચ, 2017 એ 11:57 AM વાગ્યે

    શહેર કરતાં જંગલાેમાં ફરવું એટલે
    ઇશ્વરના સથવારે રહેવું
    ---------------------------
    આપણાં દેશમાં દરેક રાજયમાં અનેક કુદરતી
    જંગલાે આવેલા છે જેમાં હરવુ ફરવું.જંગલાેમાં
    આવેલી લીલાેતરી હરિયાળી જાેવી કુદરતી
    પક્ષીઓના ટહુકાર સાંભળવાે એટલે.જંગલ વનમાં
    ફરવું એટલે ઇશ્વરના સથવારે રહીને કેવળ નજારાે જાેવાં
    જેમાં અનેક પવિઞ ઘામાેના દર્શન કરવાં.

    જવાબ આપોકાઢી નાખો
  2. 'મંગલમય જંગલ'...ખૂબ જ રસપદ.વાંચવાની મજા આવી.ખરેખર જંગલની વાત જ ન્યારી કુદરતના સાંનિધ્યમાં રહેવાનો અનુભવ માણવા જેવો છે.મેં પણ નેશનલ પાકમાં આ આનંદ લીધો છે. અને સાથે જો કોઇ જંગલનો જાણકાર હોય તો એની મજા જ જુદી. વન્ય જીવનની ઘણી માહિતી એમની પાસેથી જાણવા મળે. જંગલો પણ હવા પાણી જેટલા જ જરૂરી છે એકદમ સત્ય . અને એનું જતન કરવું જ જોઈએ.

    જવાબ આપોકાઢી નાખો