Translate

રવિવાર, 18 મે, 2014

મુંબઈ લોકલમાં બંધ પંખો !


કાળઝાળ ગરમી અને મુંબઈ લોકલની ભયંકર ગિર્દીથી ત્રસ્ત મુંબઈગરા પરિસ્થીતીનો સામનો કર્યા વગર બીજું કરી પણ શું શકે? રસ્તાઓ પર પણ ટ્રાફિકની સમસ્યા. મેટ્રો તો શરૂ થાય ત્યારે ખરી અને મોનોરેલ પણ એક ચોક્કસ વિસ્તારમાં હોવાથી સમસ્યા કોણ જાણે ક્યારે ઉકેલાવાની! પણ હું રહ્યો અતિ આશાવાદી આથી હજી આસ્થા છે કે ક્યારેક તો એવો સુવર્ણ દીવસ આવશે ખરો જ્યારે નવી નક્કોર સ્વચ્છ ટ્રેનમાં ગાદીવાળી  સીટ પર બેસી મુંબઈગરા ઑફિસ જતા હશે!!

હવે ગરમી અને ગિર્દી ભરી આવી અસહ્ય પરિસ્થિતીમાં ટ્રેનમાં માથે ફરતા પંખા રણમાં મીઠા જળની વિરડી સમા બની રહે છે. તમારા શર્ટ કે પેન્ટના ખિસ્સા સુધી પણ તમારો હાથ ના પહોંચી  શકે એટલી  ગિર્દી વચ્ચે માથે ફરી રહેલા પંખા લોકોના મગજ અને વાતાવરણ ઠંડા રાખવાનો ભગીરથ પ્રયત્ન કરે છે.  હવે કેટલાક વિકૃત લોકોથી  જનતાનુ નાનકડુ સુખ પણ સહેવાતુ હોય એમ તેઓ પંખાના ત્રણ પાંખિયામાંથી એક-બે તોડી નાંખે છે કે પંખાની જાળીના તાર તોડી નાંખી પંખાને નકામો બનાવી મૂકે છે. ટ્રેનમાં કે સિનેમા હોલમાં  ગાદી વાળી સરસ સીટ પણ આવા મનોરોગી લોકો ફાડી નાંખતા હોય છે કે દરેક જાહેર જગાઓ સુવિધા મળતી હોય તેને નુકસાન કઈ રીતે પહોચાડવુ એવી તક આવા લોકો શોધતા રહેતા હોય છે

ફરી પાછા ટ્રેન વાળી મૂળ વાત પર પાછા ફરીએ તો સત્તાવાળાઓને પ્રશ્ન કે તેઓ પંખા એવી હલકી ગુણવત્તાવાળા બનાવતા કે પસંદ શા માટે કરતા હશે જે સહેલાઈથી તૂટી જઈ શકે? ઘણી વાર તો કોઈ નુકસાન ના પહોંચાડયુ હોય તો પણ જૂના થઈ જતા કે તેમાં એટલો મેલ ભરાઈ ગયો હોય કે સ્વિચ ચાલુ કરવા છતા પંખા ચાલુ ના થાય. કોઈ  ભલો માણસ પોતાના ખિસ્સામાંથી પેન કે કાંસ્કો કાઢી પંખાના પાંખિયાને ધક્કો મારે ત્યારે માંડ માંડ પંખો ચાલુ થાય. પણ આટલી મહેનત કરવા માટે ભલા માણસને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ કારણ આમ કરી તે પોતાનુ દુ: તો હળવુ કરે છે પણ આસપાસના અનેક અન્ય આળસુ લોકોને પડતો ત્રાસ ઓછો કરે છે અને વાતાવરણ પણ થોડુ ઠંડુ બનાવે છે. બાકી મુંબઈના મોટા ભાગના લોકો તો એટલા લાપરવાહ છે કે માથું ઉઁચુ કરી જોવા સુદ્ધાની તસ્દી નહિ લે કે પઁખો ચાલુ છે કે બંધ! અને આ નાનકડી બાબત એક મોટી મનોવ્રુત્તિની પણ સૂચક છે જે પરિસ્થિતિ છે તેમા જ રહેવાની , પરિવર્તન માટે કોઈ પ્રયત્ન નહિ કરવા ની .કોઈ દુર્ઘટના પણ બની જાય તો તમાશો જોયા કરવાની. પણ જો આપણે એક નાનકડો સકારાત્મક  પ્રયાસ કરીએ તો તેનાથી ઘણી વર બહુ મોટો ફેર પડી શકતો હોય છે. જરૂર છે થોડા ઉત્સાહ ની , થોડી પહેલવ્રુત્તિની, થોડા આત્મવિશ્વાસની.

તો હવે જ્યારે ગિર્દી ભરેલી ટ્રેનમાં  કાળઝાળ ગરમી હોય એવામાં સ્વિચ ચાલુ હોવા છતા પંખો બંધ દેખાય ત્યારે પેન કે કાંસ્કાથી તેને ચાલુ કરવાનો પ્રયાસ કરશો ને?!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો