Translate

રવિવાર, 23 જાન્યુઆરી, 2011

ગેસ્ટ બ્લોગ : વતન પે મરને વાલોં કા ‘નહીં’ નામોનિશાં હોગા!


ભારતીય ખુશ્કીદળના યુવાન મેજર ઋષિકેશ રામાણી (નીચેનો ફોટો) જૂન ૭, ૨૦૦૯ ના રોજ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયા, મીડિઆએ તેમની શહાદતના તેમજ તેમના શૌર્યના અખબારી રિપોર્ટ બીજે દિવસે છાપ્યા, હવે કેટલાક દિવસ પછી ભારત સરકાર મેજર રામાણી માટે એકાદ ખિતાબ ઘોષિત કરશે અને પછી થોડા દિવસ બાદ જાણે કશું જ બન્યું નથી તેમ બધું ભૂલાઇ જશે. આવતી કાલે કાશ્મીરમાં ભારતનો વધુ એકાદ વીર જવાન તુચ્છ આતંકવાદીની ગોળીનું નિશાન બની વીરગતિ પામશે અને તેની યાદમાં દેશની સરકાર મગરનાં આંસુ સારી વળી એ જવાનને ભૂલી જશે.

 
આ ક્રમ આજકાલનો નથી. પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝિયાએ ભારત સામે ૧૯૮૪માં પ્રોક્સી વોરનો આરંભી ત્યારથી તે ચાલ્યો આવે છે. ઝિયાના પાપે કાશ્મીર ભારત માટે બારમાસી બેટલ ફિલ્ડ બની ગયું છે અને સ્વર્ગભૂમિ કહેવાતો એ પ્રદેશ ભારતીય જવાનો માટે મરૂભૂમિ બની ગયો છે. એક પછી એક કરીને આજ દિન સુધીમાં કોણ જાણે કેટલા જવાનો ભારતે કાશ્મીરમાં ગુમાવ્યા છે--અને તે પણ એવા યુદ્ધમાં કે જેનું સત્તાવાર રીતે કોઇ અસ્તિત્વ છે જ નહિ.


કાશ્મીરને ‘આઝાદ’ કરવાના નામે ઝિયાએ શરૂ કરાવેલા આતંકવાદને પાકિસ્તાન ગુપ્તતાના પડદા પાછળ સતત પોષતું રહ્યું છે. બીજી તરફ તે આતંકવાદની વિરૂદ્ધ ભારત સરકાર નરમ હાથે કામ લેતી રહી છે. પરિણામે છેલ્લાં વીસેક વર્ષમાં કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ભારતીયોની (નાગરિકો તથા ખુશ્કી જવાનો) સંખ્યા ૮૪,૦૦૦ના આંકડાને વટાવી ગઇ છે. ખુવારીનો તે આંક જો વધુ લાગતો હોય તો જાણી લો કે તે ફિગર ૨૦૦પનો છે. ચાર વર્ષમાં હજી બીજા કેટલા લોકો મર્યા હશે તે કોણ જાણે!

પાક હસ્તકના કાશ્મીરમાં આજે ત્રણેક હજાર જેટલા યુવાન ‘જેહાદી’ઓ કુલ ૪૯ આતંકવાદી કેમ્પ્સમાં ખદબદી રહ્યા છે. કાશ્મીર ખીણમાં પોતાની આણ ફેલાવવા માટે તેઓ વારેતહેવારે સશસ્ત્ર હુમલા કરતા રહે છે. આ હુમલાઓને ખાળવા માટે ભારતના ખુશ્કીદળે સમગ્ર કાશ્મીરમાં બધું મળીને ૩૩,૦૦૦ જવાનોને તથા અફસરોને ડ્યૂટી પર ખડેપગે રાખવા પડે છે. રાષ્ટ્રીય રાયફલ્સ, રોમિયો ફોર્સ, રિઝર્વ પુલિસ વગેરે જેવા અન્ય લશ્કરી દળોને ગણો તો કાશ્મીરમાં તૈનાત ભારતીય જવાનોની સંખ્યા બે લાખ જેટલી બેસે છે. નવાઇની વાત છે કે આટઆટલી કડક વ્યવસ્થા હોવા છતાં કાશ્મીરમાં વર્ષે સરેરાશ ૨,પ૦૦ આતંકવાદી હુમલાઓ થાય છે, જેમાં કેટલાય ભારતીય જવાનો પોતાનો જાન ગુમાવે છે અથવા બૂરી રીતે જખમી બને છે.

બળાબળની દ્રષ્ટિએ જોવા બેસો તો એક તરફ માત્ર ત્રણેક હજાર આતંકવાદીઓ છે, તો બીજી તરફ ભારત પાસે બે લાખનું સંખ્યાબળ છે. હાઇ-ટેક શસ્ત્રો અને વિમાનો જુદાં! ભારત ધારે તો (કહો કે ભારતે વર્ષો પહેલાં ધાર્યું હોત તો) પાક પ્રેરિત આતંકવાદનો ગણતરીના દિવસોમાં સફાયો કરી શકે, પરંતુ રાજકારણના આટાપાટામાં સપડાયેલી કોઇ સરકારને તેમાં રસ નથી. લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગીને પાક હસ્તકના કાશ્મીરમાં આતંકવાદી કેમ્પ્સ પર છાપામાર હુમલો કરવામાં ભારતને કોણ રોકી શકે? પરંતુ નહિ, એવું પગલું ભરીને જગત આખાની નારાજગી વહોરી લેવાનું કોઇ સરકારને પાલવતું નથી. અમેરિકાની ગૂડબૂકમાં રહેવું એ ભારતીય રાજીનીતિની વણલખી નીતિ છે. પરિણામે આતંકવાદને મૂંગા મોઢે સહન કર્યે રાખવા સિવાય આરો રહેતો નથી.

દરમ્યાન મેજર ઋષિકેશ રામાણી જેવા સપૂતો એક પછી એક કરીને વીરગતિ પામતા રહે છે, બીજે દિવસે સમાચારોમાં તેમની વીરગાથા લખાય છે અને માટીપગા નેતાઓ સદ્ગત સપૂતોને એકાદ ખિતાબ વડે સન્માનિત કરી પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ માને છે. આ ક્રમ હવે તો આપણને કોઠે પડી ગયો છે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

આતંકવાદ અલંકારિક શબ્દોથી નહિ, પણ અમોધ શસ્ત્રોથી જ નાથી શકાય! આ સિમ્પલ વાત દિલ્હીમાં બેઠેલા રાજકારણીઓ ક્યારે સમજશે?


- હર્ષલ પુષ્કર્ણ
 
 
GUEST BLOG URL:
http://harshalpushkarna.blogspot.com/2009/06/blog-post_09.html

રવિવાર, 9 જાન્યુઆરી, 2011

શ્રી દિલીપ ધોળકિયા, શ્રી વેણીભાઈ પુરોહિત અને સારી વક્તવ્ય કળાની થોડી ટીપ્સ

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી

તારા રૂપની પૂનમનો પાગલ એકલો...

આ અમર થઈ ગયેલા ગુજરાતી ગીત સાથે સંકળાયેલ બે-ચાર ઘટનાઓ દસ-પંદર દિવસના ટૂંકા ગાળામાં જ બની ગઈ.

૧૯૫૦માં બહાર પડેલી ગુજરાતી ફિલ્મ દિવાદાંડીનું આ સુમધુર ગીત જે પહેલા સુપ્રસિદ્ધ ગાયક મુકેશના કંઠે સ્વરબદ્ધ થવાનું હતું પણ પછી ગુજરાતી ગીત-સંગીતવિશ્વના શિરમોર સમા સ્વ. શ્રી દિલીપ ધોળકિયાના મુખેથી ગવાયું અને આજે પણ દરેક ગુજરાતી રસિક આ ગીતથી ભાગ્યે જ અજાણ હશે.

મહાન સ્વરસમ્રાટ એવા આ વયસ્ક સંગીતકારનું થોડા દિવસો પહેલાં જ નિધન થયું

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેદ વ્યક્ત કરતા આ પીઢ મહાન સંગીતકાર માટે કહ્યું કે તેમના મૃત્યુથી જાણે ગુજરાતી ગીતસંગીતના એક યુગનો અસ્ત આવી ગયો.

એક સારી વાત એ બની કે તેમના મૃત્યુના એક-બે દિવસ પહેલાં જ તેમને પ્રતિષ્ઠિત મુનશી સન્માન અને પુરસ્કારથી નવાજવામાં આવ્યા. નાદુરસ્ત તબિયતને કારણે તેઓ આ પુરસ્કાર સમારંભમાં પ્રત્યક્ષ તો હાજર ન રહી શક્યા પણ હોસ્પિટલના બિછાનેથી પણ તેમણે પોતાના આભારસંદેશમાં ‘તારી આંખનો અફીણી …’ ગીતનું મુખડું ગાઈ તેમની ઝિંદાદિલીનો પરિચય આપ્યો!

સ્વ. શ્રી દિલીપ ધોળકિયાને હ્રદયથી આદરપૂર્વકની શ્રદ્ધાંજલિ.

**************************************************

‘તારી આંખનો અફીણી …’ ગીતના રચયિતા એટલે ઉમાશંકર જોશી જેમને ‘ બંદો બદામી’ કહેતા અને ૩જી જાન્યુઆરીએ જેમની ત્રીસમી પુણ્યતિથી ગઈ એવા મહાન ગુજરાતી કવિ શ્રી વેણીભાઈ પુરોહિત. ૨૬મી ડિસેમ્બરે સ્વ. શ્રી વેણીભાઈ પુરોહિતની જ્ઞાતિના તેમની યાદમાં યોજાયેલા એક વકતૃત્વ સ્પર્ધા તેમજ તેમના રચિત કાવ્યોની કાવ્ય પઠન સ્પર્ધામાં મને નિર્ણાયક તરીકે જવાનું સદ્ભાય પ્રાપ્ત થયું. શ્રી વેણીભાઈ જેવા પૂજ્ય અને મોટા ગજાના કવિની સ્મૃતિમાં રખાયેલ આ કાર્યક્રમમાં અનુભવી અને જાણીતા કવિ અને સંચાલક શ્રી શોભિત દેસાઈ તેમજ એક અનુભવી અને ગુજરાતી ભાષાના જાણકાર એવા શિક્ષિકા જેવા અન્ય નિર્ણાયકો સાથે આ માનદ ભૂમિકા ભજવવાનું આમંત્રણ મારા માટે ગૌરવની વાત હતી. પ્રથમ વાર આમ જજ તરીકે જવાનું હોવાથી એક ડર હતો કે આવડી મોટી જવાબદારી હું યોગ્ય રીતે નિભાવી શકીશ કે કેમ? પણ કાર્યક્રમને અંતે જ્યારે બીજા નિર્ણાયકો સાથે મારા સ્કોર્સ મેળવ્યા ત્યારે અમારા ત્રણેના મત લગભગ એટલા સરખા હતા કે અમારે અંતિમ નિર્ણય માટે પરસ્પર કોઈ ચર્ચા જ ન કરવી પડી. આ પ્રસંગે શીખવા અને જાણવા મળેલી કેટલીક વાતો આજના બ્લોગ થકી તમારી સાથે શેર કરવી છે.

મંચ પર અને ઘણાં લોકો સાંભળી રહ્યા હોય ત્યારે બધાંની આંખમાં આંખ પરોવી આત્મવિશ્વાસપૂર્વક, સાહજિકતાથી, જરાય ગભરાયા વગર બોલવું મુશ્કેલ છે પણ અશક્ય નથી. મહાવરો કેળવી વકતૃત્વની કળા ચોક્કસ આત્મસિદ્ધ કરી શકાય છે.તમારે જે કહેવું છે તે સ્મિત સાથે નિર્ભયતાથી વધુ મોટા પણ નહિં અને વધુ નીચા પણ નહિં એવા અવાજે કહો.લોકો સામે જોઈને નજર ફેરવતા ફેરવતા બોલો એટલે કે એક જ વ્યક્તિ સામે જોઈ તમારું વક્તવ્ય પૂરું ન કરો. હાવભાવ સાથે બોલો પણ એટલા બધા ન હલો કે લોકો તમને સાંભળવાનું ભૂલી જાય! કઢંગી રીતે ઉભા ન રહો કે ખરાબ રીતે ન બેસો.તમે કમ્ફર્ટેબલ રહી બોલી શકો એ રીતે ઉભા રહો કે બેસો.માઈકની બરાબર સામે અતિ નજીક જઈ ન બોલો.એનાથી તમારા ઉચ્ચારો ફાટશે(બ્લાસ્ટ થશે).માઈકથી મોં સહેજ ત્રાંસુ રાખી બોલો.બોલતા પહેલા માઈકમાં તમારો અવાજ ચકાસી લો.બોલતી વખતે હળવા રહો. ટેન્શન ન લો. તમારું વક્તવ્ય નિયત સમય કરતા અડધી મિનિટ ઓછું રાખો.વક્તવ્ય વહેણમાં હોય એ રીતનું રાખો જેથી બોલવાના મુદ્દાઓ સહજતાથી એક પછી એક સ્ફૂરે,તમારે આગળના શબ્દો કે વાક્યો યાદ કરવા તકલીફ ન લેવી પડે.જો કદાચ તમે એકાદ મુદ્દો ભૂલી પણ જાવ તો તે શ્રોતાઓને જણાવા ન દો.તમારું વક્ત્વ્ય અસ્ખલિતપણે વહેતું હોવું જોઈએ - ઝરણાની જેમ. માર્ગમાં અડચણરૂપ પત્થર પણ આવે તો ઝરણુ કેવું અટક્યા વગર વહ્યે રાખે છે તેમજ! શ્રોતાઓને પહેલેથી તમારા વક્તવ્યની જાણ તો હોતી નથી.આથી એકાદ બે વિચાર તમે બોલવાના ભૂલી પણ જાઓ તો તેમને તેની ખબર પડતી નથી, સિવાય કે તમે તમારા હાવભાવ દ્વારા તેની જાણ છતી કરી દો. મુખ પર આછું સ્મિત રાખો.શ્રોતાઓ સાથે પણ તેમને તમારા વક્ત્વયમાં સાંકળી લેવા નાનકડા પ્રશ્નો પૂછો.પણ આનો અતિરેક ન થવો જોઇએ.વક્તવ્યમાં રસ ભરવા એકાદ બે નાના ઉદાહરણ ટાંકી શકાય પણ આખી મોટી વાર્તા કહેવા બેસી જાઓ એ ન ચાલે. એકાદ રમૂજી ટૂંચકો ચાલે પણ આખા વક્તવ્યને જોક્સથી ભરી દો એ ન ચાલે!બને એટલી હળવી શૈલીમાં સરળ ભાષામાં તમારા વિચારો રજો કરો.ભારે ભરખમ ભાષા સારા વક્તવ્ય માટે હોવીજ જોઇએ એ જરૂરી નથી.

તમારા ઓડિયન્સને ધ્યાનમાં રાખીને વક્તવ્ય તૈયાર કરો.કોઈક કાવ્યની એકાદ બે પંક્તિઓને પણ તમે વક્તવ્યમાં વણી લઈ શકો.શ્રોતાઓનો રસ જળવાઈ રહ્યો છે કે નહિં એ ધ્યાનમાં લો.તથ્યો પ્રત્યે સજાગ રહો.ખોટી માહિતી ક્યારેય વક્તવ્યમાં હોવી જોઇએ નહિં.જેમકે કોઈક કવિની કાવ્યપંક્તિ ટાંકતી વખતે તમે તે કવિનું નામ જાણતા હોવ તો બોલો પણ એ વિષે તમે ચોક્કસ ન હોવ તો કવિનું નામ બોલ્યા વગર જ 'કોઈક કવિએ કહ્યું છે કે...' એ રીતે બોલી કાવ્ય પંક્તિ બોલો.

કાવ્ય પઠન વખતે સ્પર્ધાના નિયમો ખાસ જાણીલો. તમારે ફક્ત કાવ્ય જ વાંચવું જોઇએ. તેનું વિવેચન કરવું જોઇએ નહિં.પણ જો એની સ્પર્ધાના નિયમમુજબ છૂટ હોય તો તેને કાવ્યપઠનમાં રસક્ષતિ ન થાય એ રીતે વણી લો.

છેલ્લે વક્તવ્ય હોય કે કાવ્યપઠન, તમે પોતે એને એન્જોય કરો અને પછી જુઓ શ્રોતાઓ પણ તેને માણે છે કે નહિં!

રવિવાર, 2 જાન્યુઆરી, 2011

હેપ્પી ન્યુ યર!

ફરી એક નવું વર્ષ… નવી ક્ષિતિજો… નવા શમણાં… નવા ધ્યેયો!


પ્રત્યેક નવો દિવસ એક નવી આશા લઈ ઉદય પામે છે. નવી શરૂઆત.અધૂરા રહેલા અરમાનો અને કામ પૂરા કરવાની વધુ એક નવી તક!

રાત અંધારી હોય છે પણ એ પછી ધીમે ધીમે અજવાળાનું સામ્રાજ્ય પથરાતું જાય અને એ જાણે અંધારાને દૂર ભગાડતું જાય. ક્યારેય બ્રાહ્મમૂહુર્તમાં (સવારે ૪ વાગ્યાની આસપાસ) ઉઠીને તમે તાજી હવા શ્વાસમાં ભરી છે? ક્યારેય એ કાળે પ્રવર્તતી અદભૂત શાંતિનો અનુભવ કર્યો છે? ના..? તો હજી એક નવા દિવસની, નવા વર્ષની શરૂઆત થઈ છે! માણી લો આ અવર્ણનીય આનંદ આપનારા અને અપ્રતિમ શાંતિનો અહેસાસ કરાવનારા અનુભવને!

આપણને જે સ્થિતીમાં હોઈએ તેમાં જ રચ્યાપચ્યા રહેવું ગમે છે.કમ્ફર્ટઝોનમાંથી બહાર નીકળવું અતિ કષ્ટદાયક લાગે છે.ઊંઘી રહ્યા હોઈએ તો જાગીને બેઠા થવાનો કંટાળો આવે.શનિ-રવિની રજા હોય ત્યાર બાદ સોમવાર ઝેર જેવો લાગે! પણ પરિવર્તનથી જ જીવન ટકી રહે છે.સોમવાર આવે એટલે જ તમે અધૂરા મૂકેલા કે નવા હાથમાં લેવાના કામોની શરૂઆત કરી શકો!પ્રગતિના નવા શિખરો સર કરી શકો!ઇશ્વર તમને વધુ એક તક આપે છે સોમવાર દ્વારા. નવા દિવસ દ્વારા… નવા વર્ષ દ્વારા… રખે એ ચૂકી જતાં!

યોગાનુયોગ જુઓ!આ બ્લોગ લખી રહ્યો છું ત્યારે જ એક મિત્રનો એસ.એમ.એસ આવ્યો.જેનો અર્થ કંઈક આવો છે - "શું તમને વિચિત્ર અને નવાઈભર્યું નથી લાગતું કે આપણા ટેમ્પરરી(ક્ષણભંગુર અને અનિશ્ચિત) જીવન માટે આપણને જોઈએ છે બધું પર્મેનન્ટ(કાયમી)?!"

મારા પપ્પના મોઢે ઘણી વાર સાંભળ્યું છે "પલ કી ખબર નહિં પર સામાન સૌ બરસ કા..."

આ રીતે જીવીએ છીએ આપણે. સતત દોડતા દોડતા...ઘણી વાર શા માટે એ પણ ન ખબર હોવા છતાં આપણે બસ ભાગ્યા કરવું છે. નવા વર્ષથી આપણે સૌએ થોડા મનન અને ચિંતન માટે થંભી જવું જોઈએ.જીવનના નાના નાના પણ ચોક્કસ ધ્યેયો નક્કી કરવા જોઈએ અને તેને પૂર્ણ કરવાનું આયોજન કરવું જોઈએ.પરિવારને, મિત્રોને અને સૌથી વધુ તો તમારી જાતને સમય આપી સૌના અને તમારા અધૂરા રહી ગયેલા ઓરતા પૂરા કરવાના છે. સમયની રેત એક વાર હાથમાંથી સરી ગયા બાદ ફરી પાછી હાથમાં નહિં આવે.પણ નવા વર્ષની શરૂઆત સાથે એક તક તમને ચોક્કસ મળી છે થોડું આત્મનિરિક્ષણ કરવાની અને જાતનું તથા તમારી સાથે સંકળાયેલા સર્વ માટે કંઈક કરી છૂટવાની! તો ઝડપી લો એ તક ને..!

હેપ્પી ન્યુ યર..!

બુધવાર, 29 ડિસેમ્બર, 2010

ગેસ્ટ બ્લોગ : મોંઘવારીના વમળમાં ફસાયેલો મધ્યમવર્ગનો માનવી

"ધરતી પર ફેલાયો છે મોંઘવારીનો રોગચાળો,


ત્રાહી ત્રાહી મચી છે, કોઈ તો સંજીવની પાઓ."

હા, ત્રાહી ત્રાહી મચી ગઈ છે સમગ્ર વિશ્વમાં મોંઘવારી નામનો રોગચાળો ફાટી નિકળ્યો છે. જેનું ઔષધ શોધવામાં વૈજ્ઞાનિકો પણ સફળ થયા નથી અને જેના દ્વારા પ્રશાસનના પાયા ડગમગવા લાગ્યા છે એ મોંઘવારીની કાળી છાયામાંથી નીકળવા મધ્યમવર્ગીય માનવી પાણી વગરની માછલીની જેમ તરફડીયા મારી રહ્યો છે. સતત વધતા જતા મોંઘવારીના વમળમાં માનવી સૂડી વચ્ચે સોપારીની જેમ ફસાયેલો છે. પોતાના મનની ભાવના, લાગણીને સરકાર સમક્ષ પ્રસ્તુત કરવા ૫ જુલાઈના રોજ "ભારતબંધ" નામનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો. પણ શું તેનાથી મોંધવારી ઓછી થઈ જવાની છે?

આ ભારતબંધને કારણે ૧૩ હજાર કરોડનું થયેલું નુકશાન શું ભૂલવાલાયક છે? ના કદી પણ નહી. આ વધતી જતી મોંઘવારીનું કારણ શું? વધતા જતા પેટ્રોલ- ડિઝલના ભાવને કારણે સામાન્ય જનતા ત્રસ્ત છે. આ વિદેશી પ્રવાહીને પ્રશાસન માત્ર ૨૬ રૂ. પ્રતિ બેરલમાં પ્રાપ્ત કરે છે અને તેના પર રાજ્ય અને કેન્દ્ર સરકાર કર લગાડી બજારમાં ૫૨ રૂ. માં વહેંચે છે અને જ્યારે વધતી મોંઘવારીના કારણ પૂછવામાં આવે તો વિશ્વ બજારને મોંઘા ભાવ હોવાનું જણાવી સરકાર પીછેહઠ કરે છે. માનવ મનની શાંતી, લાગણી, રૂપિયાની લાલચ જેવા તત્વો મોંઘવારીમાં નાશ પામ્યા છે, માટે જ કહેવાયુ છે કે,

"સઘળાં સુખો પોઢી ગયા રૂપિયાની સોડમાં,

ને લાગણી હારી ગઈ, રૂપિયાની હોડમાં."

મોંઘવારીનો શ્રાપ મધ્યમવર્ગ અને પછાત વર્ગને એવો લાગ્યો છે કે ૬ જુલાઈના રોજ યુ.પી ના એક ગામડામાં માતા- પિતાએ પોતાના છ માંથી થી ત્રણ સંતાનને મોતના મુખમાં પોઢાડી દીધા. કારણ વધતા જતા ભાવને લીધે તેઓ પોતાના સંતાનનું ભરણ-પોષણ કરવામાં સક્ષમ ન હતા. બીજી બાજુ ખેડૂતો દ્વારા પકાવવામાં આવતા ઘઉં જે ભારતની ૨/૩ વસ્તીની જઠરાગ્નિ શોષી શકતો હતો, તે પાક વરસાદના પાણીમાં સડી રહયો છે.

હાપુડ ,ઝાંસી જેવા શહેરો માં અનુક્ર્મે ૪.૫ લાખ અને ૫,૦૦૦ ઘઉં ની ગુણીઓ સડી રહી છે અને પ્રશાસન ચૂપ છે. જે શાક કાલે ૧૦રૂ કિલોમાં વહેંચાતું હતું તે જ શાક આજે ૧૨થી ૧૫રૂ પા કિલો જ મળે છે. મોંઘવારીનો સામનો કરવા ક્રુષિ પ્રધાન શરદ પવાર દ્રારા પગલા ભરવામાં નથી આવતા અને બીજી બાજુ તે પોતાના માથા પરથી સરકારી બોજો ઓછો કરવા વિનંતીની ફુલમાળા ગૂંથી રહ્યા છે.

ભારતના અર્થતંત્રને વિશ્વમાં માન-સન્માન મળી રહ્યું છે પણ તે અર્થતંત્રમાં પીસાતા મધ્યમવર્ગ અને પછાત વર્ગના માનવીની પરિસ્થિતિ શું છે તે જાણવા કોઈ પ્રયત્ન નથી કરતું.

આઈ.પી.એલ.(Indian Premiere League) માં કરોડો-અબજો રુપિયાની ઉજાણી કરવામાં આવે છે, દાવતો ગોઠવવામાં આવે છે અને બી.પી.એલ (Below Poverty Line) ગરીબી રેખાની નીચે જીવતા નાગરિકોને એક ટંક ભોજન પણ નથી મળતું! એક જ દેશમાં આઈ.પી.એલ અને બી.પી.એલ વચ્ચે આટલો તફાવત આશ્ચર્યકારક નથી?

ફુગાવો એટલે inflation થોડાં મહિનાઓ અગાઉ જ દ્રિઅંકી સંખ્યા પર પહોંચી આવ્યો છે જે ખૂબ જ ગંભીર બાબત છે. અમીર વર્ગ પણ મોંઘવારીના કારણે કરકસર કરતો થઈ ગયો છે. જો નજીકના ભવિષ્યમાં બધા મનુષ્ય મળીને મોંધવારીનો ખાતમો નહી કરે તો ‘પીપલી લાઈવ’ ફિલ્મનું આ ગાયન જીવનભર ગાતા રહેવું પડશે –

"સખી સૈયા તો ખૂબ હી કમાત હૈ ,મહેગાઈ ડાયન ખાય જાત હૈ !”

- સચીન વજાણી

સોમવાર, 20 ડિસેમ્બર, 2010

બત્તી-બંધ ને પાંખો પ્રતિભાવ

તારીખ ૧૧મી ડિસેમ્બરના બીજા શનિવારે પાછલા ચાર વર્ષની જેમજ આ વર્ષે પણ બત્તી-બંધ કાર્યક્રમની જાહેરાત કેટલાક એક્ટિવીસ્ટ જૂથો દ્વારા કરવામાં આવી. (સિડની શહેરથી શરૂ થયેલ આ કાર્યક્રમ હેઠળ નિયત એક કલાક દરમ્યાન લોકો સ્વેચ્છાએ ઘરના,ઓફિસના વગેરે શક્ય બધાં વિજળીથી ચાલતા ઉપકરણો બંધ કરી દે છે જેથી વિજળીની બચત પણ થાય અને ગ્લોબલ વોર્મિંગ જેવા મુદ્દાઓ અંગે જાગરૂકતા ફેલાય. કેટલીક જગાઓએ તો સરકાર તરફથી પણ સહકાર પ્રાપ્ત થતાં એક કલાક માટે ફરજિયાત આખા શહેરમાં અંધારપટ કરી દેવાય છે.) આ વખતે તો બત્તી-બંધ દરમ્યાન મુંબઈના જુહુ વિસ્તારથી મરીન ડ્રાઈવ સુધી એક સાયકલ રેલી પણ યોજવામાં આવી હતી. પણ કોઈ વર્તમાન પત્રમાં આ વિષેના અહેવાલ જોવા મળ્યા નહિં. ખરું જોતા ગ્લોબલ વોર્મિંગ, ઋતુઓની અનિયમિતતા વગેરે જેવા પરિબળોને ધ્યાનમાં લેતા, આવા કાર્યક્રમોનો વર્તમાન પત્રોએ જોરશોરથી પ્રચાર કરવો જોઈએ અને નિયત શનિવારના એકાદ અઠવાડિયા અગાઉથી રોજ લોકોને એમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનું કામ પ્રસાર માધ્યમોએ કરવું જોઈએ.




આ કાર્યક્રમના બે દિવસ અગાઉ એક અંગ્રેજી અખબારમાં આ વિષેની એક નાનકડી ખબર વાંચી અને મેં આ વખતે પણ બત્તી-બંધ કાર્યક્રમમાં મારી રીતે સહભાગી થવાનું નક્કી કર્યું, ઓફિસમાં પણ બને એટલા લોકોને આ ઇનિશિયેટીવમાં જોડાવા ભલામણ કરીને. પણ આપણે ત્યાં લોકોને જ્યાં સુધી કોઈ પ્રત્યક્ષ કે તરત ફાયદો ન જણાય ત્યાં સુધી આવા કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા તૈયાર કરવા લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું કામ છે. આ ‘લોકો’ માં મારા ઘરવાળા પણ આવી ગયા!



ગયા વર્ષે ડિસેમ્બરના બીજા શનિવારે જ્યારે બત્તી-બંધ યોજાવાનો હતો ત્યારે હું મહેસાણા મારે સાસરે ગયો હતો.ત્યાં મેં મેઇન સ્વિચ બંધ કરવા સૂચન કર્યું પણ સાંજે મહેમાન આવી ચડ્યા અને લાઈટ-પંખા બંધ કરવાનું અશક્ય બની ગયું. છતાં મેં મારી રીતે બત્તી-બંધમાં સહભાગી થવાનો નિર્ધાર કર્યો હતો.આથી હું પહોંચી ગયો ધાબે અને ત્યાં મારો મોબાઈલ મેં સ્વિચ ઓફ કરી દીધો અને એક કલાક મેડિટેશન કર્યું, જાત સાથે વાતો કરી અને એકાંતમાં સમય ગાળી એક કલાક પસાર કર્યો. સતત સાથે રહેતા,બીજા કોઈ પણ અતિ નજીકના સ્વજન કરતા પણ વધુ સમય તમે જેની સાથે ગાળતા હોવ તેવા મોબાઈલથી પૂરો એક કલાક દૂર રહેવું કેટલું અઘરું છે, આજના સમયમાં, એ તો મારા જેવો કોઈ મોબાઈલ સામે હોવા છતાં તેને એક કલાક સ્વિચ ઓફ કરી મૂંગો બેસી રહેનાર સમદુખિયો જ જાણે!



આ વર્ષે તો હું અહિં મુંબઈમાં જ મારે ઘેર હતો.આથી આ વર્ષે પણ મેં બત્તિ બંધમાં ભાગ લેવા વિચાર્યું.સવારે ઘરમાં જાહેર કરી દીધું કે સાંજે સાડા સાત થી સાડા આઠ લાઈટપંખા વગર ચલાવવું પડશે.કોઈ તરફથી કોઈ પ્રતિભાવ ન મળ્યો એટલે મેં ભોળાએ સહુના મૌનને તેમની સંમતિ ગણી ઉત્સાહમાં આવી જઈ બીજા ત્રણ પાડોશીઓને પણ બત્તિબંધ વિષે થોડી ઘણી માહિતી આપી એમાં ભાગ લેવા સૂચન કર્યું.તેમણે હા ભણી.સાંજે સાડા સાત થવાની થોડી મિનિટો પહેલા મેં ફરી સૌને યાદ દેવડાવી મેઇન સ્વિચ બંધ કરવાની વાત કરી એટલે બધાએ એકી સૂરમાં વિરોધ નોંધાવ્યો!છતાં આ તો બધા મારા જ ઘરવાળા હતા ને?મનાવી લઈશ એમ વિચારી બરાબર સાડા સાતે મેં મારા ઘરની મેઇન સ્વિચ બંધ કરી દીધી.અને શરૂ થયો મારા પર ગાળોનો વરસાદ!મને વેદિયો કહેવામાં આવ્યો.હું એકલો આમ બત્તિ બંધ કરીને શું મોટી ધાડ મારી લેવાનો હતો કે મારા એકલાના બત્તિ બંધ કરવાથી સરકારને વિજળી બચાવવામાં કેટલે મોટી મદદ મળી જવાની હતી આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા પણ મેં મારી બેન પાસે મીણબત્તિ તૈયાર રખાવડાવી હતી અને અડધો કલાક બત્તિ બંધ કરવાની પરવાનગી મેં મારા પરિવાર પાસેથી મેળવી લીધી.પેલા બીજા બેત્રણ પાડોશીમાંથી એકે બત્તિબંધ કરી નહિં પણ મને સંતોષ અને ખુશી છે કે મેં એક નહિં તો અડધા કલાક માટે પણ બત્તિ બંધ પાળ્યો ખરો!

મુદ્દો છે સારા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાનો, તેમાં સહભાગી થવાનો. તમે એમ ન વિચારો તમે એકલા કંઈક સારુ કરીને શું મોટી ધાડ મારી લેવાના છો? ટીપું ટીપું મળીને જ સમુદ્ર રચાય છે. બીજું કોઈક કંઈ સારું કરતું હોય તેને તમારાથી બને એટલો સહકાર આપો, પ્રોત્સાહન આપો. આપણે સૌએ મળીને એક સારા સમાજની રચના કરવાની છે અને આવતી પેઢી માટે તેઓ સારુ જીવન જીવી શકે એવું જગત છોડી જવાનું છે. તો ચાલો નાની નાની વાતો પર ધ્યાન આપીએ,આપણાથી બનતું કંઈક કરી દેખાડીએ...

રવિવાર, 12 ડિસેમ્બર, 2010

માનવી માનવ થાય તોયે ઘણું...

કેટલીક વસ્તુઓથી ભગવાન દૂર જ રાખે તો સારું.હોસ્પિટલ,પોલીસચોકી,અદાલત,સરકારી કચેરી આ બધી જગાઓ આવી છે જેનાથી તમારો પનારો ન પડે તો તમે સદનસીબ.પણ દરેકના જીવનમાં ક્યારેક આ જગાઓમાંની એક કે વધુની એકાદ મુલાકાતનો પ્રસંગ તો આવે જ છે. નવેમ્બર માસમાં મારે ચારેક હોસ્પિટલની મુલાકાત,મારા પિતાની અચાનક ખરાબ થઈ ગયેલી તબિયતને કારણે લેવી પડી.પણ આ બધી હોસ્પિટલમાં મને થયેલ અનુભવો મહદાંશે સારા રહ્યા. એકાદબે અનુભવોની વાત મારે આ બ્લોગ થકી તમારી સાથે શેર કરવી છે.


દિવાળીને દિવસે પપ્પાને હોસ્પિટલમાંથી રજા મળવાની હતી.આથી પૈસા ચૂકવવા હું હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર પર ઉભો હતો.ત્યાં મારી બાજુમાં એક ભાઈ ઉભા હતા તેમણે મારી સામે રુપિયા પાંચ હજાર રોકડા કોઈક દર્દીને આપી દીધાની જાણ રિશેપ્સન પર બેઠેલ ખ્રિસ્તી સ્ત્રીને કરી. વાત એમ હતી કે આ ભાઈ તેમની પત્ની અને યુવાન પુત્રીને

લઈને દિવાળીના શુભ દિવસે કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાના હેતુથી તેમના ઘરની નજીક આવેલી આ હોસ્પિટલ પર આવી પહોંચ્યા હતા.તેઓ કંઈ પેલા યુવાન,જેને તેમણે તેના પિતાના ઓપરેશન માટે પાંચ હજાર રુપિયાની મદદ કરી હતી તેને ઓળખતા નહોતા.પણ સીધા હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર પર આવી તેમણે પેલી પીઢ અનુભવી રિસેપ્શનીસ્ટને યોગ્ય જરૂરિયાતમંદ દર્દી વિશે પૂછપરછ કરી.રિસેપ્શનીસ્ટ દરેક દર્દી પૈસા ચૂકવવા તેની પાસે જ આવતા હોવાથી તેમની આર્થિક સ્થિતી,ઘરની પરિસ્થિતી વગેરે અંગે માહિતી મેળવી લેતી હોય છે. આથી તેણે પેલા મદદ કરવા આવેલા ભાઈને એક ગરીબ યુવક પોતાના પિતાને મોટા ઓપરેશન માટે ગઈ રાત્રે જ દાખલ કર્યા હોવાની જાણ કરી અને એ ભાઈ તે યુવકને પાંચ હજાર રુપિયા આપી આવ્યા.હજી બીજી વધુ મદદ માટે બીજા કોઈ જરૂરિયાતમંદ દર્દી વિષે તેઓ પૃચ્છા કરી રહ્યા હતા જે મેં સાંભળી.હું સાવ આભો જ બની ગયો હતો અને અહોભાવપૂર્વક એ વ્યક્તિ અને તેની વાતચીત નિહાળી-સાંભળી રહ્યો હતો.રિશેપ્સનિસ્ટે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બધા દર્દીઓની ફાઈલ ચકાસી લીધી પણ તેને કોઈ મદદની જરૂર હોય એવું દર્દી જણાયું નહિં.આથી તે ભાઈએ પોતાનું બિઝનેસ્સ-વિઝિટીંગ કાર્ડ રિસેપ્સનિસ્ટને આપી કોઈને મદદની જરૂર પડે તો પોતાનો સંપર્ક કરવા જણાવ્યું.મારુ સંવેદના તંત્ર આ ઘટનાના સાક્ષી બની ઝણઝણી ઉઠ્યું.

તુંડે તુંડે મતિર્ભિન્ના - જુદા જુદા માણસો જુદી જુદી મતિ. એ જ ન્યાયે બધી હોસ્પિટલો પણ સારી હોય એવું જરૂરી નથી.ભગવાનની દયાથી મારે તો મુલાકાત લેવી પડેલી ચારે હોસ્પિટલનો મારો અનુભવ સારો જ રહ્યો પણ મેં એવી પણ કેટલીક હોસ્પિટલો વિષે સાંભળ્યું છે જ્યાં તેઓ દર્દીની હાલત કે તબિયતનો જરા સરખો પણ વિચાર કર્યા વિના તેને દાખલ કરતા પહેલા ડિપોઝિટની રકમ જમા કરી દેવાની ફરજ પાડે છે.ગરીબ દર્દીઓનો બિલકુલ વિચાર કરતી હોતી નથી.દરેક હોસ્પિટલની ફરજ પહેલા માણસનો જીવ બચાવવાની, તેની તબિયત સુધારવા તેને શ્રેષ્ઠ સારવાર આપવાની છે, જે તેણે ચૂકવી ન જોઈએ.

ડોક્ટર પણ કેટલાક ખૂબ સારા તો કેટલાક ખૂબ 'વ્યવહારુ' હોય છે.એટલી હદ સુધી વ્યવહારુ કે વેપારી કે તેઓ માણસ હોવાનું પણ ચૂકી જાય છે.પપ્પાના હ્રદયમાં લોહી લઈ જતી મુખ્ય નસમાં ત્રણેક અવરોધો જણાયા ત્યારે અમારી સ્થિતી કફોડી થઈ ગઈ.કેટલાક ડોક્ટર પોતાના અંગત સ્વાર્થને લઈને એન્જિયોપ્લાસ્ટી નામના ઉપાયની સલાહ આપે તો બીજા કેટલાક સર્જન ડોક્ટર્સ બાયપાસ ઓપરેશન કરાવવાની સલાહ આપે.આપણને સામાન્ય જનને તો આ બધી જટિલ બાબતમાં શી સમજ પડે?આખરે ઘણા ડોક્ટર્સની તેમજ સ્નેહી સંબંધીઓ-મિત્રોની સલાહ અનુસરી અમે પપ્પાની બાયપાસ સર્જરી કરાવવાનું નક્કી કર્યું.ડોક્ટર્સે હંમેશા સાચી સલાહ આપવી જોઈએ.

એક મિત્રના પિતાને અડધી રાતે હ્રદયમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.ડોક્ટરે આવીને ઇલાજ ઓપરેશન કરી દીધાં અને બિલ પકડાવ્યું રુપિયા નવ લાખનું.સામાન્ય સંજોગોમાં ચાર-પાંચ લાખની કિંમતમાં થઈ જતા આ ઓપરેશનના મારા મિત્રના પિતાના કેસમાં કેમ આટલા વધારે રુપિયા માંગવામાં આવ્યા હતા એ પ્રશ્નના જવાબમાં મહિલા ડોક્ટરે જણાવ્યું કે તેણે ઇમર્જન્સી ચાર્જ લગાડ્યો હતો જે અડધી રાતે આવવા માટેનો હોઈ સામાન્ય કરતા બમણાથીયે વધુ હતો. શું ડોક્ટર્સ આટલા ઉંચા ભાવ વસૂલે એ યોગ્ય ગણાય?

આવા અનેક અનુભવ પાછલા મહિને થયા પણ હવે ઇશ્વરની કૃપાથી પપ્પાની તબિયત સારી છે.

ભગવાનને પ્રાર્થના કે સૌને સદબુદ્ધિ આપે અને માણસાઈ આપે જેથી કપરા કાળમાં માનવી માનવ થઈ એકમેકની સહાય કરે...

રવિવાર, 5 ડિસેમ્બર, 2010

ગેસ્ટબ્લોગ - જૂની પેઢીએ યાદ રાખવા જેવી વાત

                                                                             
                                                                                     ગેસ્ટબ્લોગર  - લતા બક્ષી

ઘણી વાર જિંદગીમાં મૂલ્ય વાત નાના પ્રસંગથી એક્દમ સચોટ રીતે ઉભરી આવે છે.હમણાં હું ને મારા પતિ તેમના માટે શર્ટ લેવા એક આધુનિ ક મોલમાં ગયા.ત્યાં એક શોપમાં મને જે પ્રકારના શર્ટ જોઈતા હતા તે વિષે એક કાઉન્ટર સંભાળી રહેલા યુવાનને જણાવ્યું. થોડી શોધ પછી તેણે મને કહ્યું - મેડમ, આ ઓલ્ડ ડીઝાઈન છે,હવે નહિં મળે. મેં એ યુવાનને બહુ જ સાહજિકતાથી જણાવ્યું કે મે પણ તો ઓલ્ડ છીએ ને?! હું ને મારા પતિ ૬૦થી ઉપરની વયના છીએ.મારા ઉત્તર બાદ તે યુવાને નવીન અને રમૂજભરી દ્રષ્ટીથી મારી સામે જોયું!!



એવું છે ને કે પેઢીભેદ કે વિચારભેદ મોટી વયના નાગરિકો કદાચ તેમના અસંતોષ ને ઉપેક્ષાને કારણે સેવતા હોય છે.માત્ર નજર બદલવાની જરૂર છે.મારા અનુભવના એકબે તારણ છે - પૂછ્યા સિવાય મત ન આપવો. નવયુવાન પેઢીને સદા આલોચનાપૂર્વક અને ટીકાપાત્ર રીતે ન મૂલવવી.જે પસંદગીની સ્વત્રંતતા - ફ્રીડમ ઓફ ચોઈસ - આપણને નથી મળી તે એમને મળે એવી સગવડ આપવી.

આ સંદર્ભમાં મારી દિકરીની બહેનપણીએ પ્રથમ વાર ત્રણ કલાકની મુલાકાત બાદ મારી હાજરીમાં તેને જણાવ્યું – “Your mummy is cool!” (યોર મમ્મી ઈઝ કુલ - તારી માતા 'કુલ' એટલે કે આજના જનરેશનની ભાષામાં - બહુ સારી છે) ત્યારે આ પ્રશંસા મારે માટે આનંદમય બની રહી.

મેં બાવીસ વરસના ગાળા બાદ પુન: ભણવાનુ શરૂ કર્યુ. પચીસ છત્રો ના સમુહમાં બાવીસની વય ૧૮-૨૦ વરસ હતી. અમે ત્રણ બેતાળીસ વરસના હતા. સત્ર ને પહેલે દિવસે સર્વ તૈયારી કરી હું જવા નીકળી ત્યારે મેં મારી આશંકા મારા દીકરાને જણાવી કે આ સમુહ માં એકરસ કેમ થઈ શકાશે? ત્યા રે રાહુલે મને કહ્યું કે " Be yourself.” (બી યોર સેલ્ફ - તમે જેવા છો તેવા જ બની રહો) આ સૂત્રે મારો અભ્યાસ કાળ અતિ સરળ માહિતી સભર બનાવ્યો.એ સમયે મને સમજાયુ કે મનના બારણા ખુલ્લા રાખવા અતિ મહત્વનું છે. દરેક જ્ણ પોતાના કથન કરતાં વર્તન દ્વારા દાખલો બેસાડે તો તે વધુ સચોટ રહેશે. કહેવાય છે કે “ You can not demand respect, you command respect. “ (યુ કેન નોટ ડીમાન્ડ રિસપેક્ટ, યુ કમાન્ડ રિસપેક્ટ - તમે માન છિનવી શક્તા નથી તે કમાવું પડે છે.)

ઘણી વાર સાંભળવા મળે છે - અમારો જમાનો, અમારા જમાનાનો ડ્રેસ, અમારા જમાનાનું ફલાણું અને અમારા જમાનાનું ઢીંકણું - જમાનો મારા-તમારો કે કોઈનો નથી. સમય કોઈનો સગો નથી. આપણે સમયની સર્વોપરિતા સ્વીકારીને તે અનુસાર પોતાને તે માળખામાં બંધબેસતુ કરીએ તો કોઈ કડવાશ ન રહે. કોઇ અસંતોષ ન રહે.

યુવાયુવતીમાં થનગનાટ છે. વણખેડી ભૂમિ ખેડવાની ધગશ છે, સાહસ છે, સાથે સાથે ભવિષ્ય ની સલામતી અંગે સજાગતા છે. એક અગમ્ય અજાણ પરિબળ વિશે ચિંતા છે.

રખે એમ માનતા કે આ વિચારો વરિષ્ઠ નાગરિકોને ઉતારી પાડવા માટે છે.આ નાગરિકો તેમના અનુભવ વડે ભવિષ્યની સફરના ભયસ્થાનો અંગે સૂચના કરી શકે છે. યુવાનીનુ કોઈ દુસાહસ આખી જિંદગી ભાર રૂપ બનાવી દે તેવા પ્રસંગ વિશે માર્ગદર્શન આપે છે. આ છતાં પણ તેમનું બાળ ક કોઈ કૃત્ય કરે તો હંમેશા તેની સાથે રહે છે. અને તેને પીઠબળ આપે છે. એ યાદ રાખવું અગત્યનું છે કે બાળકોનો ઉપયોગ પોતાના અધૂરા રહી ગયેલા સપના સાકાર કરવા કદાપિ ન કરશો.

- લતા બક્ષી