Translate

રવિવાર, 8 ડિસેમ્બર, 2013

ગેસ્ટ બ્લોગ : સાચો ધર્મ - માનવ ધર્મ

-      દીનેશ પાંચાલ
 
                  ડો. ડેવિડ ફ્રોલી ભારતીય ઈતિહાસના નિષ્ણાંત છે . તેમણે કહ્યું છે: અમેરિકા અને જાપાન એટલા માટે સુખી અને સમ્રુદ્ધ છે કે ત્યાં ધર્મ સંપ્રદાયના વાડા નથી. જેણે જે ધર્મ પાળવો હોય તે પાળી શકે.મલેશિયા અને પાકિસ્તાનમાં અઢળક કુદરતી સંપતિ છે. પણ એ ગરીબ રહ્યાં કારણ કે એ દેશોમાં ધર્મની બોલબાલા રહી છે.મલેશીયામાં હિન્દુ કે ખ્રિસ્તી નાગરીક મુસ્લિમ બની શકે પણ ઈસ્લામી નાગરીક ધર્મપરિવર્તન કરીને હિન્દુ કે ખ્રિસ્તી ન બની શકે.ઈસ્લામમાંથી ધર્મ પરીવર્તન કરનારને દેહાંતદંડની સજા થાય છે. એ સંબંધે એક ચોંકાવનારો કિસ્સો ધ્રણા ઉપજાવે એવો છે . ૧૯૯૮માં મલેશિયામાં જન્મેલી મૂળ મલય જાતિની મુસ્લિમ છોકરી (નામ એનું લીના જોય) ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી બની.તે છોકરી રોમન કેથલીક યુવકને પરણવા માંગતી હતી. એથી તેના આઈડેન્ટીટીકાર્ડમાંથી ઈસ્લામ ધર્મ કાઢી નાખવા માંગતી હતી. બસ આટલી બાબતે ગુનો ગણીને ઈસ્લામિક શેરિયા કોર્ટે તેને બેવફા જાહેર કરીને દેહાંતદંડની સજા ફરમાવી છે. (આજે પણ એ યુવતીએ જીવ બચાવવા સંતાતા ફરવું પડે છે) 

                એક વાત સમજાતી નથી. ધર્મ સુખને બદલે દુ:ખનું કારણ શા માટે બનવો જોઈએ? માણસે પીડાસહન કરવા કે દુ:ખી થવા માટે ધર્મ પાળવો જોઈએ એવું કોઈ ધર્મગ્રંથમાં લખ્યું નથી. ધર્મ આખરે શું છે?ભૂખ લાગે તો રોટી ખાવી એ જીવન છે અને કોઈ ભૂખ્યો આવે તો તેને અડધામાંથી અડધીરોટી આપવી એ ધર્મ છે. પાણી માટે કુવો ખોદવો એ જીવન છે અને તરસ્યાને માટે પરબ માંડવી એ ધર્મ છે.
 મિત્રો વચ્ચે ચર્ચા ચાલતી હતી તેમાં એક પ્રોફેસર મિત્રે જે કહ્યું તે સાંભળવા જેવું છે . એમણે કહ્યું-હું કોઈ પ્રસ્થાપિત ધર્મ પાળતો નથી. પણ માનવધર્મમાં મને પૂરી આસ્થા છે. હું મંદિર , મસ્જિદ કે ગિરજાઘરોમાં જતો નથી, પણ કોઈને હોસ્પિટલમાં લઈ જવાની ઈમરજન્સી ઉભી થઈ હોય તો મારુ કામ પડતું મૂકીને દોડી જાઉં છું, ભૂખ લાગે ત્યારે ખોરાક ખાઉં છું , કોઈનું ભેજુ ખાતો નથી. તરસ લાગે ત્યારે પાણી પીઉં છું કોઈનું લોહી પીતો નથી. મંદિરમાં જવાને બદલે કોઈ સાહિત્યકારની શિબિરમાં જવાનું મને વધુ ગમે છે . મંદિરમાં ગવાતા ભજનો સામે મને વાંધો નથી પણ ભજન ગાવા કરતાં સાહિત્યગોષ્ડિમાં ચિંતન-મનન કરવાનું મને વધુ ગમે છે.શિરડી પગપાળા યાત્રા કરીને સાંઈબાબા ને રીઝવવા કરતાં ઘરડા માબાપની સેવા કરવાનું મને ગમે છે. ઘરમાં સાગનું નાનું મંદિરિયુ છે . તેમા ક્યા દેવ છે તેની મને ખબર નથી.પત્ની રોજ પૂજા કરે છે.હું નથી કરતો.પત્ની એ મારી ધર્મવિમુખતા સ્વીકારી લીધી છે.હું પણ તેના ગમાઅણગમાનો ખ્યાલ રાખું છું (તે ઘરમાં પોતું મારે છે ત્યારે તે સૂકાય નહી ત્યાં સુધી હું ત્યાં પગલા નપડે તેનું ધ્યાન રાખું છું) એને કંટોલાનું શાક બહુ ભાવે,મને બિલકુલ ભાવતું નથી.પણ હું બજારમાંથી ખાસ તેને માટે કંટોલા (મોંઘાં મળે તો પણ) ખરીદી લાવું છું મને કારેલાનું શાક ખાસ પ્રિય છે તેને ભાવતું નથી.હું કદી તેને તે ખાવા માટે આગ્રહ કરતો નથી.અમારા સહજીવનમાં કંટોલા-કારેલા જેવી ઘણી અસમાનતાઓ છે પણ અમે અનુકૂલન સાધીને જીવીએ છીએ.એ ધર્મ પાળે છે હું પાળતો નથી છતાં સમજદારીથી સુખી દાંપત્ય જીવન વિતાવીએ છીએ. દાંપત્ય જીવનમાં અનુકૂલનને હું પ્રેમ કરતાં પણ ઊંચી સગાઈ ગણું છું.સુખી સંસાર માટે પ્રેમ કરતાં અનુકૂલન વધૂ જરૂરી છે હું બિલકૂલ ધાર્મિક નથી પણ લાખો ધાર્મિકો કરતાં વધું સુખી છું.

             પ્રોફેસર મિત્રે આગળ કહ્યું 'ઘણા લોકો ભગવાનનો ફોટો, મૂર્તિ વગેરે રોજ ઘસીઘસીને સાફ કરે છે પણ જ્મ્યા પછી દાંત સાફ કરતાં નથી.રોજ ધાર્મિક પુસ્તકોનું પોપટ રટણ કરે છે પણ અખબારો કે પુસ્તકો વાંચતા નથી.તેઓ શ્રદ્ધાપૂર્વક 'રામાયણ' વાંચે છે પણ ધંધામાં પાપનું પારાયણ કરવામાં પાછા પડતાં નથી.ગલ્લા પર થતી ખુલ્લેઆમ નફાખોરી કોમી રમખાણોમાં થતી છરાભોકથી ઓછી ખતરનાક નથી.ધર્મપુસ્તકનો રોજ એક અધ્યાય વાંચો એટલે દિવસભરના પાપો ધોવાઈ જાય એવું હું માનતો નથી. મંદિરે નથી જતો પણ લાઈબ્રેરીમાં રોજ જાઉં છું.ધર્મપુસ્તકોને બદલે મહાન માણસોના જીવનચરિત્ર વાંચુ છુ.આજપર્યત ઘરમાં એક પણ વાર કથા કિર્તન ભજન .યજ્ઞ કે પૂજાપાઠ કરાવ્યાં નથી. પણ મારા આખા કુટુંબે દેહદાન અને નેત્રદાનનુ ફોમ ભર્યુ છે.રક્તદાન કરવાનું અમે કદી ચુકતાં નથી. સાધુ સંતોને દાન પુણ્ય કરવાને બદલે દર વર્ષે એકાદ બે ગરીબ વિધાર્થીને પુસ્તકો ફી વગેરેમાં મદદ કરું છું.રથયાત્રામાં જોડાતો નથી પણ રોજ સવારે પદયાત્રા (મોર્નીગવોક) જરૂર કરું છું . કુંભમેળામાં કદી ગયો નથી  પણ વિજ્ઞાન મેળો કે પુસ્તકમેળો એકે છોડતો નથી આ રીતે જીવનારનો ક્યો ધર્મ કહેવાય તેની મને ખબર નથી, પણ કદી એવી ચિંતા થઈ નથી કે હું ઈશ્વ્રરને નથી ભજતો, મંદિરમાં નથી જતો, ઘરમાં કથા નથી કરાવતો, ધાર્મિક સ્થળોની યાત્રા નથી કરતો તેથી મર્યા બાદ સ્વર્ગમાં ન જવાશે તો મારું શું થશે?
                પ્રોફેસર મિત્રની વાતો સાંભળી ર્ક વાતનું સ્મરણ થયું હું લખતા લખતા બે ધ્યાનપણે કોઈ પુસ્તક ગોતવા કબાટ તરફ આગળ વધું કે તુરત શબ્દો સંભળાય- કેટલી વાર કહ્યું કે પોતુ માર્યુ હોય ત્યારે સૂકાય નહી ત્યાં સુંધી પગલા પાડવા નહી : જોવા જઈએ તો આ એક વાક્યમાં સઘળા ધર્મોનો સાર સમાઈ જાય છે.આપણી વ્યાજબી જરૂરિયાત પણ આપણે એ રીતે ન સંતોષવી જોઈએ કે બીજાને અગવડ થાય. કોઈને ખપમાં ન આવીએ તો ભલે પણ કોઈને માટે લપ ન બની જઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ. સુખ માટે સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની રહેવાને બદલે પારકાનાં સુખનો પણ ખ્યાલ રાખવો જોઈએ. આ જ વાત સઘળા ધર્મપુસ્તકોમાં લખી છે.રાવણ બનવાથી બચી જાઓ પછી 'રામાયણ' ન વાંચો તો ચાલે જીવનમાં ડગલે ને પગલે દુર્યોધન કે શકુની બની રહેતા હો તો રોજ 'મહાભારત' વાંચો તો ય શો ફાયદો?યાદ રહે જીવનના અનુભવોમાંથી જડેલા સત્યો ગીતા કુરાન કે બાયબલનું જ પવિત્ર ફળકથન હોય છે.શાયર દેવદાસ 'અમીરે' કહ્યું છે: છોડ ગીતા, કુરાન અને બાયબલ ...... અસલી પથ તો એ છે જે જમાનો શીખવે છે!
 પ્રુથ્વીલોકમાં માણસનું અવતરણ જે કારણે થયું હોય તે પણ એટલું નક્કી કે એની આંખમાંથી ક્યારેક આંસુ ટપકે છે.કોક દુ;ખી માણસનાં આંસુ ને તમારી હથેળી વડે લૂછો એ બાબત ધર્મ ન ગણાતી હોય તો પણ તેમ કરવામાં શું નુકસાન છે?

             તરસની જેમ દુ;ખ સર્વવ્યાપી સ્થિતી છે.આપણે મંદિર ન બંધાવી શકીએ પણ મંદિર બહાર બેસતા ભિખારીઓમાંથી કોક એકના પેટની આગ ઠારીએ તેમાં ક્યું નુકશાન છે?રોડ પર અકસ્માતમાં માણસ ઘવાય ત્યારે આજપર્યત એક પણ વાર એવું બન્યું નથી કે તેને મદદ કરાવા દોડી જનાર લોકોએ પહેલાં તેને એમ પૂછ્યુ હોય કે -તમે હિન્દુ છો કે મુસ્લિમ....?એક પ્રશ્ન પર ખાસ વિચારવા જેવું છે હિન્દુ મુસ્લિમ યુવક યુવતીના મન મળી જાય અને બન્ને ના અંતરના આંગણામાં હૈયાનો હસ્તમેળાપ થાય ત્યારે એને હિન્દુ પ્રેમ અને મુસ્લિમ પ્રેમમાં વહેંચી શકાય ખરો? સમગ્ર સ્રુષ્ટિના માણસો કન્સીલ્ડ વાયરીંગની જેમ પરસ્પર જોડે પ્રાક્રુતિક રીતે સંકળાયેલા છે.

               સૌના આંસુ સરખા છે. સૌના આનંદ સરખા છે.સૌની દેહરચના તથા જન્મ અને મુત્યુ સરખાં છે ત્યાં સુધી કે તેમના લોહીનો રંગ પણ (ઈસ્લામી રંગ કે હિન્દુ રંગમાં) વિભાજીત થયેલો નથી. તો માણસ માણસ વચ્ચે ન્યાત -જાત અને ધર્મ- કોમના આટલા ભેદભાવ કેમ?
            
              દરેક માણસને એક ધર્મ હોય છે. એ ધર્મ ગેટપાસ જેવો ગણાય.જીવનભર માણસ ધર્મનો બિલ્લો છાતીએ ચીપકાવીને ફરે છે પણ કબરમાં કે સ્મશાનમાં એ બિલ્લાની કોઈ મહત્તા રહેતી નથી.મંદિર બહાર બુટ ઉતારી દેવા પડે છે  તે રીતે ચિતા પર કે કબરમાં જતાં પહેલાં એ એ બિલ્લો આપોઆપ ઉતરી જાય છે.ધર્મ સિનેમાની ટિકિટના અડ્ધિયા જેવો છે. થિયેટર છોડ્યા પછી માણસ એ અડ્ધિયું ફેંકી દે છે તે રીતે ધર્મ પણ માત્ર આ પ્રૂથ્વીલોકના ઈલાકામાં કામ આવતી ચીજ છે.મ્રુત્યુલોકમાં પ્રવેશીએ પછી ધર્મનું ચલણ કામ આવતું નથી.  મ્રુત્યુ આગળ નાત જાત કે ધર્મ કોમના બધાં ભેદ ભૂંસાઈ જાય છે.તાત્પર્ય એટલું જ કે સમગ્ર વિશ્ન માટે માનવધર્મથી ચડિયાતો ધર્મ બીજો એકે નથી.

-      દીનેશ પાંચાલ, નવસારી(ગુજરાત)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો