Translate

રવિવાર, 28 એપ્રિલ, 2013

હજી કેટલા બળાત્કાર પછી સરકાર જાગશે?


 દિલ્હીમાં ચાર મહિના પહેલા અમાનવીય બળાત્કારની દુર્ઘટના બની અને તેના પડઘા હજી શમ્યા નથી,તેના અપરાધીઓને સજાનો ફેંસલો હજી સુણાવાયો નથી ત્યાં તો તેને પણ ટક્કર મારે એવી બીજી જઘન્ય અપરાધસમી બળાત્કારની કમનસીબ દુર્ઘટના પાંચ વર્ષની બાળકી સાથે બની.તેની ઝીણી ઝીણી વિગતો વાંચો તો કેટલી હદે માનવીનું ભેજું વિકૃત થઈ ગયું છે તેની પ્રતીતિ થાય.તે વખતે પણ જોરદાર વિરોધ થયા હતા અને આ વખતે પણ થઈ રહ્યાં છે પણ આપણી સ્મૃતિ ખૂબ ટૂંકી છે અને ધીરજ પણ એવીજ ટૂંકી.વિરોધો થોડા વખત સુધી જલદ રહ્યા બાદ શમી ગયાં અને નિર્ભયાનો કિસ્સો ખૂબ ગાજ્યા બાદ ભૂલી જવાયો હોત પણ એ પહેલા બદનસીબે આ બીજો કિસ્સો બન્યો. જો કદાચ એ છ નરાધમોને જાહેર ફાંસીની સજા ક્રૂરતા પૂર્વક દિલ્હીની સડકો વચ્ચે અપાઈ હોત, તો પાંચ વર્ષની બાળકી પર જુલમ કરનાર ડરી ગયો હોત અને આ બીના ટાળી શકાઈ હોત.પણ બળાત્કાર માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા છતાં નિર્ભયા કેસના છ પૈકી એક અપરાધીને કાનૂન સજા ન આપી શકી અને એ પહેલા તેણે ફાંસી ખાઈ જીવન ટૂંકાવી દીધું.હજી બાકીના પાંચ નરાધમોને સજા અપાઈ નથી.આપણા કાયદાઓમાં એવું તે શું છે કે આટાઅટલા લાંબા સમય સુધી કેસ ચાલ્યા જ કરે છે?હવે તો પરિવર્તન આવવું જ રહ્યું. સોનિયાજીના પોકળ દિલાસા કે 'અપરાધી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે' માત્રથી કામ નહિ ચાલે.મનમોહનજી ફક્ત જીવો બાળ્યા કરશે તે પણ પૂરતું નથી.હવે કાયદો બદલાવો જ જોઇએ. નહિતર પ્રજાએ તે હાથમાં લેવાની ફરજ પડશે.એવો નિયમ હોવો જોઇએ કે બળાત્કારની દુર્ઘટનાના માત્ર પંદર કે વીસ દિવસમાં કેસનો નિકાલ ફરજિયાત પણે આવવો જ જોઇએ અને અપરાધીને સખતમાં સખત સજા જાહેરમાં થવી જોઇએ.તેણે જેટલી ક્રૂરતા કે અત્યાચાર વધુ આચર્યા હોય તેટલી તેની સજા વધુ ક્રૂરતાભરી અને સખત હોવી જોઇએ.તેને ફાંસી તો મળવી જ જોઇએ પણ તે અગાઉ તેના પર જાહેરમાં પ્રજા દ્વારા સજા ફરમાવવાની જોગવાઈ હોવી જોઇએ.જેથી સમાજમાં કડક દાખલો બેસે અને બળાત્કાર કરવા વિષે કોઈ વિચાર સુદ્ધા ન કરે.

ઘણી વાર આપણે પણ આંખ આડા કાન કરતા હોઇએ છીએ.આ વૃત્તિ સુધારવાની જરૂર છે. બાજુમાં કોઈ હલ્કો યુવાન કે પુરુષ કોઈ સ્ત્રી કે યુવતિની છેડતી કરે કે ગંદી કમેન્ટ પાસ કરે તો તેને રોકવાની જરૂર છે.

મને એક કિસ્સો યાદ આવે છે.રજાના દિવસે સાંજે હું લોકલ ટ્રેનમાં ચર્ચગેટ જઈ રહ્યો હતો ત્યારે ગાડીમાં ગિર્દી ખૂબ ઓછી હતી અને બે યુવાનો મારી આગળની સીટ પર બેઠા બેઠા મોબાઈલ પર કંઈક જોઈ રહ્યાં હતાં.મારું ધ્યાન એ તરફ ગયું અને હું પામી શક્યો કે તેઓ કોઈ અશ્લીલ વિડીયોની ક્લિપ જોઈ રહ્યાં હતાં.લગભગ દસેક મિનિટથી પણ વધારે સમય સુધી તેઓ એ જોઈ હસીમજાક કરી રહ્યા હતાં પણ મેં આ અંગે આંખ આડા કાન કર્યાં.કદાચ એ બે યુવાનોએ જ દિલ્હીમાં જઈ પાંચ વર્ષની બાળકીનો બળાત્કાર કર્યો હોય એવું બની શકે.મારી તેમને સીધા ન રોકું તો કંઈ નહિ પણ તેમના વિરુદ્ધ કોઈક એકશન લેવી જોઇતી હતી.તેઓ મારી સાથે જ ચર્ચગેટ સ્ટેશને ઉતર્યા હતાં અને થોડે જ આગળ પોલીસ બેઠી હતી.હું પોલીસ પાસે જઈ તે યુવાનો વિરુદ્ધ ફરિયાદ કરી શક્યો હોત અને તેમના મોબાઈલમાંથી એ ક્લીપ્સ ડીલીટ કરાવી શક્યો હોત.કદાચ એમ કરવાથી તેઓ સુધરી જાત.પણ મેં કંઈ ન કર્યું.આપણી આ બેપરવાહી પણ એક આદર્શ,સુસજ્જ,સારા સમાજ માટે હાનિકારક છે.આપણે સજાગ રહી ખોટું બનતા રોકવાનું છે.રાંડ્યા પછી ડહાપણ જેવા, બળાત્કાર થયા બાદના વિરોધ કે મીણબત્તી પ્રદર્શનોનો કંઈ અર્થ સરે છે ખરો?

દિલ્હી પોલીસનું વર્તન શરમથી માથું ઝૂકાવી દે એવું છે.આવો મારો દેશ જેની પોલીસ આટલી હલકી? બળાત્કાર ઘટનાના માબાપને બે હજાર રૂપિયાની લાંચ આપી કેસ દાબી દેવા પ્રસ્તાવ કરનાર? વિરોધ કરનાર યુવતિને ચારપાંચ લાફા ઝીંકી દેનાર? નિર્ભયાના કેસ વખતે કે બિહારના અન્ય એક કેસમાં બન્યા મુજબ કેસ નોંધવામાં પણ આનાકાની કરનાર?આ પોલીસને સખત પ્રશિક્ષણ આપવાની જરૂર છે - માનવીય મૂલ્યોનું,માણસાઈનું,તેમને પ્રજાનું રક્ષણ કરવાની તેમની મૂળ ફરજ યાદ અપાવનારૂં.

ઇશ્વર તમેજ હવે કોઈ ચમત્કાર કરો આ દેશમાં આવા હિચકારા બનાવો રોકવા માટે...

4 ટિપ્પણીઓ:

  1. શ્રી વિકાસભાઈ, ગયા રવિવારના જન્મભૂમી પ્રવાસીમાં આપના બ્લોગમાં સરસ મુદો ઉઠાવ્યો છે.આ સરકાર જાગે તેવું તો જણાતું નથી.સમજ નથી પડતી કે પોલીસ આટલી બદનામ થાય છે છતાં સુધરતી કેમ નથી?કારણ છે આપના રાજકારણીઓ.પોલીસ તેઓની રક્ષા કરવામાંથી ઉચે ના આવે તો લોકોનું ધ્યાન રાખવા ક્યા જાય?ખરેખર તો રાજકારણીઓને રક્ષણની જરૂરત શું છે?શા માટે તેને આટલી સુરક્ષા આપવી જોઈએ? આપણે સૌ TV જોતા હોઈશું તો જોયું હશે કે બરાક ઓબામાની ફરતા ઘન લઈને ફરતા માણસો ક્યાંય દેખવામાં નથી આવતા! જયારે સૌથી વધુ ભય તો અમેરિકન પ્રમુખ ઉપર છે.છતાં આપણા ખખડધજ નેતાઓ ઝેડ સિક્યુરીટી લઈને ફરે છે! તેમને સિક્યુરીટીની જરૂર શી છે? બરાક ઓબામા બોસ્ટન હુમલાના ત્રણ કલાકમાં જાહેરમાં આવી ગયા તે આપણે સૌએ જોયું હશે.જ્યારે આપણા મનમોહન સિંહ ત્રણ વર્ષે પણ પબ્લીકની સામે નથી આવતા! અને બોલે ત્યારે શું બોલે છે તે પણ સમજ નથી પડતી!ખરેખર ભારત જેવા દેશની કમનસીબી છે કે આવા પ્રાઈમ મીનીસ્ટર મળ્યા છે. ક્યાંય આનો કોઈ ઉપાય સુઝે છે? લોકો આટલા હેવાન શા માટે થતા જાય છે? એકાએક આવું શાથી થયું? કોઈને કોઈનો ભય જ નથી?અહીં બનેલો એક પ્રસંગ યાદ આવે છે ઘણા વર્ષો પહેલાનો પ્રસંગ છે.એક યુવાન સ્ત્રીને રેપ કરવામાં આવી ત્રણ કલાકમાં આરોપી પકડાઈ ગયા.અને આંઠ દિવસમાં તેમને સજા કરવામાં આવી.કેવી સજા જાણો છો?બે જીપ ઉલ્ટી ઊભી રાખી એક એક હાથ અને પગ બન્ને જીપ સાથે બાંધીને જાહેર રસ્તામાં ચાલુ કરવામાં આવી!શું થયું હશે તે સમજી શકાય તેવું છે.માણસના શરીરના બે ફાડીયા કરી નાખવામાં આવ્યા!અને તે ટુકડા તેના સગાઓને સોંપવામાં આવ્યા.આવું જોયા પછી આવો ગુન્હો કરવાની કોઈની હિંમ્મત ચાલે?આવા કાનુન થાય તો જ નઠારા લોકોને ડર બેસે.આશા છે કે આ વિષય ઉપર વધુ લખતાં રહો. તમારો બ્લોગ નિયમિત વાંચું છું અને સરસ લખો છે.લખતાં રહેશો. આભાર.
    - જી. ડી. સોની, દુબઈ (ઇમેલ દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો
  2. ગત ડિસેમ્બરમા્ રાજધાની દિલ્હીમા સામુહિક બળાત્કારનો ભોગ બનેલ યુવતીના નિધને અને ત્યારબાદ પાંચ વરસની બાળકી પર અમાનુષી અત્યાચારના બનાવે દેશમા આક્રોશ અને આઘાતની લાગણી ફેલાવી છે. આ દુરાચરણ બાદ યુવાશક્તિએ નેતાઓને અને દેશને વિચાર કરતા કર્યા છે.
    આપણી ભાષામાં "શિયળ" શબ્દ છે. કદાચ એને "વર્જિનીટી" કહી શકાય. હકીકતમાં આ શબ્દ નારી અને પુરુષ બન્નેને લાગુ પડવો જોઇએ. સર્વસામાન્ય રીતે પુરુષ માટે "વર્જિનીટી"નો સવાલ ઊભો થતો નથી. નારીની ઓળખ તેના સંબંધને આધારે થાય છે.જ્યારે તે માતા બહેન કે દીકરીની ભુમિકા નિભાવે છે. સમાજના વરવા રુપને રજુ કરતી પુરુષપ્રધાન માન્યતાછે કે નારી ભોગવિલાસની ચીજ છે. નારી સમાજમાં મોખરે છે. ન ગમે તોયે સ્વીકારવુ પડે તે રીતે પ્રગતિના શિખર સર કરતી જાય છે. મોટાભાગના પુરુષોએ તેમની માનસિકતા બદલવાની જરૂર છે.ઘણા પુ્રુષમાં વૈમનસ્ય હીનતા અને ખારની ભાવના પેદા થાય છે.
    ઘણા પુરુષોને દલિત સમાજ પ્રત્યે સૂગ છે. પણ તે નારી સાથે બાળજબરી કરવાંમાં છોછ નથી. આ વલણ આખરે માનસિક રોગની નિશાની છે.
    દિલ્હીમાં શેરીમાં લોકો વિરોધ દર્શાવવા ઉમટી પડ્યા. આ જન જાગરણ હતું. સવાલ એ છે કે શું શાષકીય સેવા નાગરિકો અમીર અને રાજકીય વગ ધરાવતા વર્ગ માટે જુદી છે? ગત ત્રણ મહીનામાં આપણે શું શીખ્યા? આપણે સભ્ય સમાજના સુસંસ્કૃત નાગરિક હોવાનો દાવો કરીયે છીએ. આ બીજા બનાવથી વધુ શરમજનક બીજું શું હોઇ શકે? મારી માતાના શબ્દોમાં, "'ઢાંકણી" માં પાણી લઇ ડૂબી મરો." જ્યાં સુધી અપરાધીને સજાનો સવાલ છે આપણે ધારીએ છીએ એટલું સરળ નથી.ઝડપી અદાલતમાં અપરાધ પૂરવાર થાય બાદમાં સજા થાય. પરંતુ દેશભરમાં છ લાખથી વધુ કેસનો ભરાવો છે. કેસ નો નિકાલ ન આવે તો ઝડપી અદાલતનો મતલબ નથી. આ સંજોગમાં રાજતંત્રની કપરી કસોટી છે. જનતા સાથે સંવાદની જરુર છે, સંવાદ દ્વારા સંબં ધ સેતુ બંધાશે. યુવા વર્ગ અવાજ અને મસ્તક ઉઠાવવા તૈયાર છે. નારીશક્તિની અવહેલના અને અવગણના ના ઉકેલ માટે સમાજમાં સંયમનાવાતાવરણની સર્વોપરિતાની જરુર છે.
    ભારતમાં "સેક્સ" શબ્દ જાહેરમા યોગ્ય અર્થમા નથી લેવાતો. પુરુષની દાબી રાખેલ કામુકતા અકુદરતી રીતે બહાર આવે છે. સાધારણ રીતે માં ,બહેન કે દીકરી સિવાય બધી નારી પોતાની માલિકીની હોય તેવો ભાવ સમજણ આવ તે સાથેજ મજબૂત હોય છે. ખેદની વાત તો એ છે કે આ વલણને પુરુષાતન કહેવામાં આવે છે સમોવડી કહેવામાં આવે છે, મારા મતે બન્નેની તુલના કરીએ તો સમોવદી શબ્દ વપરાય, તુલનાની કોઇ ભુમિકા જ નથી કારણ બાળકને જ્ન્મ કોણ આપે છે?

    - લતા બક્ષી, , મુંબઈ (ઇમેલ દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો
  3. પહેલા તો તમને અભિનંદન એ વાત માટે કે તમે તમારૂં આખું નામ કટાર લેખક તરીકે લખો છો!
    બીજું તમારો બળાત્કારના દૂષણ વિશે નો લેખ ખૂબ સારો રહ્યો.આપણી સરકારમાં બધાં જ નમાલા અને નપુંસકો ભરેલા છે.તેઓ બળાત્કાર જેવા ગંભીર ગુના વિરુદ્ધ કંઈ જ કરવા ઇચ્છતા નથી.જૂના પેન્ડીંગ રહેલા કેસો નો નિકાલ બાકી છે તો તેનો ભરાવો થયો જ કઈ રીતે?જ્યાં દીવા જેવી સ્પષ્ટ વાત હોય ત્યાં પણ પુરાવા માંગવામાં આવે અને કેસો લાંબા લાંબા ખેંચ્યા જ કરાય ત્યાં કેસોનો ઝડપી નિકાલ કઈ રીતે શક્ય બને?બળાત્કારના અપરાધીઓને જાહેર જનતાને જ સોંપી દેવા જોઇએ અને તેઓ તેને યોગ્ય સજા આપી કેસો નો ત્વરીત નિકાલ લાવી દેશે.આવા અપરાધીઓના કાંડા કાપી નાંખવા જોઇએ.

    - હેમન્ત દેસાઇ, વિલે પાર્લે (ફોન દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો
  4. વિકાસભાઈ,
    હું જન્મભૂમિ પ્રવસીનો નિયમિત વાચક છું. તમારી કટાર ખાસ વાંચું છું. અભિનંદન અને આશિર્વાદ!
    - કિશોર તન્ના (એસ.એમ.એસ. દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો