Translate

શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

ગેસ્ટ બ્લોગ : તમારા નામનો અર્થ શું?

-રિશી રાજપોપટ

સંસ્કૃત ભાષાનો ગૌરવ કરતાં જેટલા ગીતો ગાઈએ એટલા ઓછા પડે. આપણી આ ગીર્વાણભારતી હિન્દી,ગુજરાતી,બંગાળી,મરાઠી જેવી અનેક ભાષાઓની જનની તો છે જ, તે ઉપરાંત, આજે પણ જ્યારે હિંદુ ઘરોમાં અસ્તિત્વની કળીઓ મોરે છે, ત્યારે તે સંસ્કૃત ભાષાની અમૂલ્ય સોગાત જ હોય છે. આપણી પિછાણ, તેવું આપણું નામ, વધુ કરીને સંસ્કૃત શબ્દો પર થી જ અથવા સંસ્કૃત શબ્દોમાં બાદબાકી કરી, રાખવામાં આવતું હોય છે. દેવ, પ્રજ્ઞા, આદિત્ય, માનસ્, મેઘા જેવા નામો સરળ અને એક વિશિષ્ટ અર્થ ધરાવે છે. છતાં,આપણે એવા ઘણા શબ્દોથી રૂબરૂ થઈએ છીએ જે મૂળ રૂપે સામાસિક, સંધીબદ્ધ અને તત્ધિત-કૃદંત રચનાઓ હોય છે. મહદ અંશે,આવા શબ્દો રામ,વિષ્ણુ,કૃષ્ણ,ઇન્દ્ર,સૂર્ય જેવા ઇષ્ટ દેવો અને માયથોલોજીનાં અનેક પાત્રોના નામો માટેના વિવિધ પર્યાયો હોય છે. ઉદાહરણાર્થ, નવજાત શિશુનું નામ 'પાર્થ' રાખવામાં આવે ત્યારે એ અર્જુનનું બીજું નામ હતું એટલી જ જાણકારી માતા-પિતા કે ફૈબા ને હોય છે. પણ પાર્થ નો સૂચિતાર્થ 'પૃથાયા: અપત્યમ્ પુમાન્ પાર્થ:' છે - પૃથા (કુંતી નું બીજું નામ) નો પુત્ર-પાર્થ'. તેમજ બીજું સરળ અર્થયુકત નામ દેવાંગ છે.'દેવસ્ય અંગ: દેવાંગ:' એટલે જ પ્રભુનો જ એક ભાગ હોવાની ભાવના આ નામ પ્રગટ કરે છે.

આજ કાલ તો અર્થ જાણ્યા વગર પણ,પાર્થ જેવા સુંદર નામો રાખવામાં આવે તો સદભાગ્ય બાળકનું! નહીતર સોનિઆ, વેરોનીકા, જેનીલ, વિવાન જેવા આડકતરી રીતે નિર્મિત નામો નો ઉપયોગ થાય, તો અર્થહીનતાનાં કારણે, માણસનું વ્યક્તિમત્ત્વ પોતાની ફોરમ ગુમાવી બેસે છે. બીજી બાજુ, દેશનું રાજકારણ ભલે ભ્રષ્ટ થઇ ગયું હોય, આપણા રાજનેતાઓનાં નામો એક થી એક ચઢે એવા સુંદર છે. આપણા સુવર્ણમયી ગુજરાતના ઘડવૈયા એવા શ્રી.નરેન્દ્ર મોદી નું નામ 'નરેન્દ્ર' તપાસીએ. નરેન્દ્ર સમાસ છે -'નારાણાં ઇન્દ્ર: નરેન્દ્ર:' એટલેજ લોકોના ઇન્દ્ર(રાજા) એવા નરેન્દ્ર! પોતાનાં નામનાં પ્રગાઢ અર્થ ને અનુસરી આજે મોદીસાહેબ લોકોના હૃદયો પર ખરેખર રાજ કરતાં દેખાય છે. તેમજ પોતાની આ તખ્તી માં પ્રાણ પૂરતાં દેખાય છે. તેમના પક્ષના લોકસભિક અને વિપક્ષ પ્રણેતા સુષ્મા સ્વરાજ નું નામ પણ અતિશય મંજુળ છે. સુષ્મા-'ઉશ્મયા સહ ' એટલે જે સદા ઉષ્મા(દિવ્ય તેજ) થી ઉભરાય છે તેવા સુષ્માબેન. તેમજ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચોહાણ નાં નામ નો અર્થ છે...'પૃથીવ્યા: રાજા પૃથ્વીરાજ:'- પૃથ્વીનાં રાજા. આવો સુંદર શબ્દનિરીક્ષણ નો શાસ્ત્ર સંસ્કૃતમાં 'નિરુક્તશાસ્ત્ર' તરીકે જણાય છે.

પણ આજે તો બાળકો અને યુવકોમાં સંસ્કૃત વિષેની જાગૃતિના અભાવ ખાતે પોતાનાં નામનો અર્થ ઘણાય ને ખબર હોતો નથી! દાખલા તરીકે,'સોહમ્'.સોહમ્ સંધીબદ્ધ છે-સ:+અહં.હું એ (જ) છું. હિંદુ સંપ્રદાયો માં અદ્વૈતવાદ નો શક્તિ-સ્તંભ આજ શબ્દ છે. 'હું પરમાત્મા જોડે એક છું' આવો પ્રફુલ્લિત થઇ ચિત્કાર કરનાર વ્યક્તિ પોતાનો પ્રભુસુધીનો અડધો માર્ગ પાર કરી લે એવી આ નામની મહિમા છે. ઈશ્વર સુધી પહોચવાનો સેતુ છે આ શબ્દ! આવા ઘણા બીજા શબ્દો છે જે માણસના નામ પરથીજ તેની પ્રવૃત્તિઓ અને ગુણો વિષે બહુ બધું જણાવે છે. જેમ કે,આપણા ચિતચોર પ્રભુ શ્રી કૃષ્ણ.'કર્ષયતિ ન: કૃષ્ણ:' એટલે કૃષ્ણ.જે આપણને કર્ષી(મોહી) લે એવા કૃષ્ણ! બીજું ઉદાહરણ-શંકર.'શમં કરોતિ ઇતિ શંકર:' જે આપણું ભલું કરે એવા શંકર! તેમજ છોકરાઓ નાં ઘણા નામો તેમના મનની નિખાલસતા અને શુદ્ધિને વર્ણે છે.દા.ત.-નિરંજન.સમાસ ને છૂટો પાડીએ, (નિર્ગત: અંજન: યસ્ય સ: નિરંજન:) જેનો બધો દોષ ચાલ્યો ગયો છે એવો તે નિરંજન! વિમલ અને નિર્મલ પણ (વિગત:/નિર્ગત: મલ:યસ્ય સ: વિમલ:/નિર્મલ:) આવા જ મતલબ ધરાવે છે.જેનો મેલ/કચરો ચાલ્યો ગયો છે એવો તે વિમલ/નિર્મલ.

કાવ્યાત્મક સર્જનો માટે વપરાતા ઘણા શબ્દો માણસની દશાનું વર્ણન કરે છે.આવા શબ્દો પરથી પણ નામ પાડવામાં આવે છે. ઉદા.અચલા; અચલા શબ્દ પર્વતોની શૃંખલા માટે અર્વાચીન મહાકાવ્યો માં વપરાતો હતો. અચલા એટલે-'ન ચલતિ ઇતિ અચલા'. જે ન ચાલે/ચાલી શકે અને પોતાનાં સ્થાને સ્થિર ઉભા રહે એવા પર્વતો! આ શબ્દનો આવો સખોલ અર્થ સાંભળતાજ મુખપર સ્મીત છવાઈ જાય છે! બીજો આવો શબ્દ છે નિશાંત-'નિશાયા: અંત: નિશાન્ત:' નિશા એટલે જ રાત્રી(અહી અર્થ છે અંધકાર) નો અંત કરી ઉજાસ ને આવાહન આપતો નિશાંત! તેમજ,જાનકી એટલે 'જનકસ્ય અપત્યમ્ સ્ત્રી'.જનક ની પુત્રી જાનકી.પાર્વતી આ નામ પણ બહુ સુરેખ છે! 'પર્વતસ્ય અપત્યમ્ સ્ત્રી' એટલે પાર્વતી. પર્વતો ની પુત્રી એવી પાર્વતી.આવા તત્ધિત શબ્દો નામ રાખતી વખતે બહુ વપરાતા હોય છે.

ઘણા નામો નૈસર્ગિક તુલનાની ઉપજ હોય છે.દા.ત.સુધાકર-'સુધા ઇવ કર:'જેના કિરણો(કર) સુધા(અમૃત) જેવા હોય છે એવો તે સુધાકર.ચંદ્ર માટે આ શબ્દ યોજાયા પછી આ શબ્દ લોકો નાં નામ તરીકે વપરાવા માંડ્યો છે.તેમજ રવિની તુલના ઇન્દ્ર(અહી અર્થ છે રાજા) જોડે કરી 'રવિ ઇન્દ્ર જેવો'ને 'રવિ: ઇન્દ્ર: ઇવ રવીન્દ્ર:' આ રીતા લખવામાં આવે છે.'રવીન્દ્ર' આ નામ સંસ્કૃત ની છાપ બંગાળી સંસ્કૃતિ પર છે એનો સૌથી સુંદર દાખલો છે.ધાતુઓ માંથી નિર્મિત ઘણા સામાસિક શબ્દો કન્યાઓના નામ રાખવા માટે વપરાતા આવ્યા છે.નીરજા(એટલે કમળ) આ નામ ને આ રીતે લખી શકાય-'નીરે જાયતે ઇતિ નીરજા'. જે પાણી માં આવે (અર્થાત ઉગે) એવી નીરજા! ગિરિજા નો અર્થ પણ સમાન રીતે જ સમજાય જાય એવો છે-'ગિરે: જાયતે ઇતિ ગિરિજા'.જે પર્વતોથી આવે એવી ગિરિજા. આ નામ સંસ્કૃત અને અન્ય સાહિત્યમાં નદીઓ માટે ઉપયુક્ત હતું એવું ઈતિહાસ કહે છે. નિમ્નલિખિત સમાસો પણ ધાતુસાધિત છે -'શુભમ્ દદાતિ ઇતિ શુભદા' જે શુભ-મંગલ ને આમંત્રમ આપે એવી શુભદા! ફરી,હર્ષદા પણ 'હર્ષમ્ દદાતિ ઇતિ હર્ષદા' આ રીતે લખાય.જે હર્ષ(ખુશી) આપે એવી હર્ષદા!

સંસ્કૃત-શબ્દભંડોળ કોઈ પણ સમૃદ્ધ ભાષા ને પાછળ મૂકી દે એવું ગજું ધરાવે છે. નામ રાખવામાં આવે ત્યારે જો કોઈ જૂની વલ્લી હાથે લાગે, તો નિ:સંદેહ વિવિધ સુંદર અર્થો વાળા નામો આપણને ત્યાં સાંપડશે.બાકી બધું તો ઠીક,તમારી જિંદગીમાં તમારો છાયડો બની સંગે ચાલનારું નામ શું સમજાવા માગે છે એ જ ખબર ન હોય, તો ખરા અર્થમાં જીવન નશ્વર બની જાય છે.પોતાની ઓળખને ઓળખે અને એને લાયક બનવા માટે સદા પ્રયત્નશીલ રહે,એ માણસ ભ્રમમાં ન જીવી બ્રમ્હ માં જીવવા માંડે છે! તો વિચાર કરો,તમારા નામ નો અર્થ શું?

-રિશી રાજપોપટ

(શ્રીમતી.ભાનુ પંડ્યા અને શ્રીમતી.રંજના દેશપાંડે નો ખૂબખૂબ આભાર)

1 ટિપ્પણી: