Translate

રવિવાર, 8 એપ્રિલ, 2012

ગેસ્ટ બ્લોગ : કેટલાંક પ્રશ્નો

- લતા બક્ષી, મુંબઈ

"સંજય ને બેસ્ટ સ્ટુડન્ટ નો અવોર્ડ મળ્યો." "નેહાનો પરિવાર સિંગપોર ફરી આવ્યો." "મધુરીબહેન હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.” "ધવલને વિદેશની કોલેજમાં પ્રવેશ મળ્યો." "અમિત અમેરિકાથી ચાર અઠવાડિયા માટે આવ્યો હ્તો"


આવી બધી માહિતીની આપ-લે થાય છે ત્યારે તેની સાથે સવાલ જોડાયો હોય છે - તમને કોણે કહ્યું ?

વિકાસભાઈ સાથે હું ઓલ ઇન્ડિયા રેડિયો પર સમાચાર વાંચું છું ત્યાં કોઈ પણ ખબર પી.ટી.આઈ., યુ.એન.આઇ જેવી કઈ એજંસીના સ્રોતમાંથી આવ્યા એ સ્પષ્ટ જણાવવાનું રહે છે. પણ સામાજિક સ્તરે પરિસ્થિતિ જુદી હોય છે.

ઘણીવાર માહિતિ આપનાર તેનુ નામ ન જણાવવા વિનંતિ કરે છે. આપણે પરિસ્થિતિ મુજબ સંબંધિત પરિવાર સાથે વાત કરીએ કે વધુ વિગત જાણવા ફોન કરીએ કે તે પરિવારની મુલાકાત લઇએ તો તેમને એમ લાગી શકે કે આપણને વિગત જાણવાની આતુરતા છે. પણ સ્વભાવિક રીતે તેમને પણ સવાલ થાય - તમને કોણે કહ્યું ?

આપણે શું કરવું? આ મુંઝવણ દૂર કરવાના ઉપાય શોધું છું!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

હાલમાં જ અમારી ન્યાતના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવાનો મોકો મળ્યો. મા સરસ્વતીની કૃપા હોય તે પતિત પાવની અમારી નાત. મુખ્ય મહેમાનો પરિપત્રમાં જણાવેલ સમય મુજબ યોગ્ય સમયે હાજર અને તથા મારા જેવા ૪૦-૫૦ મહેમાનો પણ હાજર. છતાં કાર્યક્રમ ૪૫ મિનિટ મોડો શરૂ થયો. બહુ સહાજિક્તાથી બધુ પાર પડ્યું. આયોજકો ની વાસ્તવિક તક્લીફ હશે. પણ આવે વખતે જે સમયને મહત્વ આપે છે અને સમયના પાબંદ છે તેમને શા માટે સજા? આપણે સમયની મહત્તા કેળવવી રહી.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ગયા વર્ષે રસાયણ શાસ્ત્ર વિભાગમાં નોબલ પારિતોષિક ભારતીય મૂળના વૈજ્ઞાનિક અને એક વિદેશિ મહિલા વૈજ્ઞાનિક્ને સંયુક્ત રીતે મળ્યું. પરદેશ સ્થિત ભારતીય વૈજ્ઞાનિક ખૂબ જ સાદા. અત્યાર સુધી તેમના ભારતમાં પ્રવચન કાર્યક્ર્મની તે ક્ષેત્ર સિવાય જૂજ નોંધ લેવાતી હતી. આ પારિતોષિક બાદ દેશ સફાળો જાગી ઉઠ્યો. આપણુ ગૌરવ – દેશાભિમાન - છાતી ગજ ગજ ફૂલે - વગેરે પ્રતિભાવ મળ્યા. એક નોંધનીય વાત છે કે જ્યારે ભારતવાસી પરદેશ જઇને સફળતાના શિખર તેની નિપુણતા વડે સર કરે છે ત્યારે જ આપણે તેનુ ગૌરવ અનુભવીએ છીએ. દાખલા તરીકે, પ્રા.હરગોવિંદ ખુરાના, સદગત કલ્પના ચાવલા, સુનીતા પંડ્યા.

આપણાં દેશની પ્રતિભા આપણાં દેશમાં જ આગવી કાર્યશૈલી આપી શકે એ માટે , નવ યુવા-યુવતીઓને માટે એવું વાતાવરણ ન રચી શકીએ જેથી આપણું ગૌરવ સદાય અકબંધ રહે?

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

હાલમાં આંતરરાષ્ટ્રીય મહીલા દિનની ઉજવણી થઇ. ચર્ચા સત્ર યોજાયા. વિવિધ ક્ષેત્રમાં નામી સફળ મહિલાઓએ તેમની જીવન ગાથા રજૂ કરી. નારી અને નરની સમાનતાની આજે મોટી મોટી વાતો થાય છે તો સાથે જ નારીને 'weaker sex' પણ ગણવામા આવે છે. નર-નારી સમાન જ હોય તો પછી નારી ‘weaker than whom?'

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત ઘરથી કરીએ. દરેક મા તેના પુત્ર ને નારીની બુધ્ધિમત્તા ને, તેના જ્ઞાનને, તેના તેજને સ્વીકારવાની અને કદર કરવાની તાલીમ આપે. આજે પણ બહુ ઓછા વીરલાઓ છે જે નારી ને વ્યક્તિ તરીકે સમજે છે. તેની પ્રગતિમાં સહયોગ આપે છે. તેની સફળતામાં આનંદ અનુભવે છે.

જે પુરુષ નારીને કહે "તું કોઇ પણ ચિંતા વગર આગળ વધ હું તારી સાથે છું" તેને હું સલામ કરું છું.


- લતા બક્ષી, મુંબઈ


1 ટિપ્પણી:

  1. સ્નેહી શ્રી વિકાસભાઈ,
    રવિવાર,તા. ૮ એપ્રિલ,૨૦૧૨ના જન્મભૂમિ પ્રવાસીમાં પ્રકાશિત થયેલ ગેસ્ટબ્લોગ 'કેટલાક મૂંઝવનાર પ્રશ્નો' માં એવી માહિતી હતી કે ગયા વર્ષે રસાયણશાસ્ત્ર વિભાગમાં નોબલ પારિતોષિક ભારતીય મૂળના વૈજ્ઞાનિક અને એક વિદેશી મહિલા વૈજ્ઞાનિકને સંયુક્ત રીતે મળ્યું.
    અહિં કેટલીક ભૂલો છે.પ્રથમતો 'નોબલ પારિતોષિક' નહિં,'નોબેલ' પારિતોષિક છે, જેના સ્થાપક સ્વીડીશ આલ્ફ્રેડ નોબેલ (૨૧ ઓક્ટોબર ૧૮૩૩ - ૧૦ ડિસેમ્બર ૧૮૯૬) હતાં.બીજું 'ગયા વર્ષે' નહિં પણ વર્ષ ૨૦૦૯નું રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક બે નહિં પરંતુ ત્રણ વૈજ્ઞાનિકોને
    એનાયત થયેલ છે:
    ૧. વેંકટરામન રામકૃષ્ણનન (જન્મ દક્ષિણ ભારતમાં ચિદંબરમમાં, ૧૯૫૨)
    ૨. થોમસ એ. સ્ટેલત્ઝ, અમેરિકા અને
    ૩. અદા એ યોનાથ (મહિલા) ઇઝરાયેલ
    (“ For studies of the structure and function of the Ribo some ”)

    જન્મે ભારતીય વેંકટરામન રામકૃષ્ણનન અમેરિકા અને બ્રિટનનું નાગરિકત્વ ધરાવે છે. બ્રિટનમાં કેમ્બ્રિજ મધ્યે MRC Laboratory of Molecular Biology રીસર્ચ ગૃપના વડા છે.એમના પિતાશ્રી સી.વી.રામકૃષ્ણનન અને માતુશ્રી રાજલક્ષ્મી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં બાયો કેમિસ્ટ્રીના પ્રધ્યાપકો હતાં.વેંકટરામને ૧૯૭૧માં એજ યુનિવર્સીટીમાંથી ફિઝિક્સ (પદાર્થ વિજ્ઞાન)ની બી.એસસી. ની ડીગ્રી હાંસલ કરી.એમને ભારતમાં કોઈ પણ ઇન્ડિઅન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અધિકતમ અભ્યાસ માટે પ્રવેશ સાંપડ્યો નહિં, વેલોર (તામિલનાડુ)ની ક્રિસચિઅન મેડિકલ કોલેજમાં પ્રવેશ સાંપડ્યો નહિં. એમણે ૧૯૭૬માં અમેરિકામાં ઓહિયો યુનિવર્સીટીમાંથી ફિઝિક્સમાં પી.એચડી.ની ડીગ્રી હાંસલ કરી અને ત્યારબાદ એમણે બે વર્ષો દરમ્યાન યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા, સાન ડિયાગોમાં બાયોલોજીનો અભ્યાસ કર્યો.
    એમને વર્ષ ૨૦૦૯નું કેમિસ્ટ્રીનું નોબેલ પારિતોષિક એનાયત થતાં એમનો પ્રથમ પ્રતિભાવ એવો હતો કે પારિતોષિકની રકમમાંથી પોતે મોટરકાર ખરીદશે.અત્યાર સુધી સાયકલની સવારી કરતા હતા.બ્રિટનમાં કેમ્બ્રિજમાં રીસર્ચ ગૃપના વડા મોટરકાર ધરાવતા નહોતા.
    નોબેલ પારિતોષિકો ૧૯૦૧થી એનાયત થાય છે.છેક ૧૦૯માં વર્ષે ૨૦૦૯માં જન્મે ભારતીય વૈજ્ઞાનિકને (અન્ય બે વૈજ્ઞાનિકો સંગાથે) પહેલી વાર રસાયણ શાસ્ત્ર ક્ષેત્રે નોબેલ પારિતોષિક સાંપડે છે, કેમ જાણે ભારતમાં ખ્યાતનામ કેમિસ્ટ્રીના વૈજ્ઞાનિકો ન હોય.
    જન્મે ભારતીય અને નોબેલ પારિતોષિક મેળવતી વેળાએ પણ ભારતીય એવા એક જ વૈજ્ઞાનિકને વિજ્ઞાનનું - ફિઝિક્સનું નોબેલ પારિતોષિક સાંપડેલ છે - સર ચંદ્રશેખર વેંકટ રામનને,૧૯૨૮માં 'રામન ઈફેક્ટ'ની શોધ માટે ૧૯૩૦માં નોબેલ પારિતોષિક એનાયત થયેલ છે.
    ૨૦૦૯માં નોબેલ પારિતોષિક મેળવનાર અન્ય ત્રણ વિજેતાઓ (વેંકટરામન સમેત) જન્મે ભારતીય છે પણ નોબેલ પારિતોષિક પૂર્વે અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરેલ છે.આમ ૧૯૦૧ થી ૨૦૧૧ સુધીના ૧૧૧ વર્ષોમાં ભારતને માત્ર ચાર વિજ્ઞાનના નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયાં છે.
    વેંકટરામન રામકૃષ્ણનનને ૨૦૧૦માં પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવેલ છે.
    જન્મે ભારતીય અને વડોદરાની સયાજીરાવ યુનિવર્સીટીનો વિદ્યાર્થી વર્ષ ૨૦૦૯માં કેમિસ્ટ્રીનું નોબેલ પારિતોષિક હાંસલ કરે છે તે સયાજીરાવ યુનિવર્સીટી માટે યશકલગી છે.
    તે જમાનામાં સયાજીરાવ યુનિવર્સીટીમાં બાયો કેમિસ્ટ્રીનો અભ્યાસક્રમ હતો અને વેંકટરામનના પિતાશ્રી અને માતુશ્રી તેમાં બાયોકેમિસ્ટ્રીના પ્રોફેસરો હતાં.વડોદરાની સયાજીરાવ યુનિવર્સીટી ૧૯૪૯માં સ્થપાઈ હતી. ગુજરાતની આ એક માત્ર યુનિવર્સીટી છે જેમાં બધાં જ અભ્યાસક્રમો માટે અભ્યાસનું માધ્યમ અંગ્રેજી છે.બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસક્રમ અહિં ૧૯૫૫માં સ્થપાયો અને વેંકટરામનના પિતાશ્રી તેના પ્રથમ વડા પ્રોફેસર હતા. વર્ષ ૨૦૦૩ સુધીમાં આ યુનિવર્સીટીમાંથી ૯૦ વિદ્યાર્થીઓ એ પી.એચડી ની ડીગ્રી મેળવી છે અને ૨૦૧૧ સુધીમાં આ આંકડો એકસો ઉપર પહોંચી ગયો હશે જે એક વિરલ સિદ્ધી છે.
    -વી.બી. ગણાત્રા (ન્યૂયોર્ક)

    જવાબ આપોકાઢી નાખો